Showing posts with label Drawings. Show all posts
Showing posts with label Drawings. Show all posts

Tuesday, February 18, 2025

સેમિનારની સમાંતરે....

નડિયાદની ઝઘડીયા પોળમાં આવેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન એવા 'ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર'માં 19 ફેબ્રુઆરી, 2023ને રવિવારના રોજ એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન હતું. 'ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક નગરો' વિષય પરના પરિસંવાદમાં ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સમાં રહી ચૂકેલાં વિવિધ નગરોની વાત વિદ્વાન વક્તાઓ દ્વારા કરવામાં આવી. પ્રાધ્યાપક બિરાદરી અને વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક સાહિત્યરસિકોએ સવારથી સાંજના આ પરિસંવાદમાં ભાગ લીધો. પરિસંવાદની વિગતો વિશે તેમાં ભાગ લેનારાઓ પોતપોતાની રીતે લખશે, પણ આ સમગ્ર ઉપક્રમમાં ઊડીને આંખે વળગે એવું તેના આયોજનનું પાસું હતું. પ્રા. ડૉ. હસિત મહેતાના માર્ગદર્શનમાં થયેલા આ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે સંકળાય એ જોઈને આંખ ઠરે એવું હતું. સવાસો-દોઢસો વર્ષના આ મકાનમાં જાણે કે હજી એ કાળનાં સ્પંદનો અનુભવી શકાય છે.

આ સ્મૃતિમંદીરને સતત કાર્યરત રાખવામાં આવ્યું છે, અને તેમાં વિવિધ સામયિકોની લાયબ્રેરી બનાવવામાં આવી છે. રસિકજનો તેનો ઉપયોગ કરી શકે છે. તેના વિશે વધુ વિગત થોડા સમયમાં જણાવીશ.
આ કાર્યક્રમમાં પ્રત્યેક વક્તાના ફાળે ત્રીસ મિનીટ ફાળવવામાં આવી હતી અને તેનું પાલન ચુસ્તતાપૂર્વક કરવામાં આવતું.
આ કાર્યક્રમમાં વક્તવ્યને માણતાં માણતાં એક ખૂણે રહીને, એક નાનકડા પેડમાં, ઝડપભેર કેટલાંક સ્કેચ/કેરીકેચર મેં બનાવ્યા. એમ જ હોય, કેમ કે, આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે ચાલતી 'ઈતર પ્રવૃત્તિ' હતી. ઘણાના ચહેરા ઓળખાઈ જાય એવા છે, તો અમુકને ઓળખવામાં મુશ્કેલી પણ પડે. હું બેઠો હતો એ સ્થાનેથી મને દેખાયા એવા એ ચહેરા મેં ચીતર્યા છે.
આમાંના કેટલાક અહીં મૂકું છું.

સ્વાતિબહેન જોશી

સિતાંશું યશચંદ્ર

રાજેશ પંડ્યા

બાબુ સુથાર

પ્રબોધ પરીખ (પી.પી.દાદા)

Saturday, August 17, 2024

સમય કા યે પલ, થમ સા ગયા હૈ

જવા નીકળેલા નાશિક, અને નાશિક પહોંચ્યા પછી ખબર પડી કે હકીકતમાં અમારે દેવલાલી જવાનું છે. નાશિકથી સહેજ આગળ. એક વ્યાવસાયિક કામ હતું. દેવલાલી અત્યાર સુધી નામ જ સાંભળેલું. ગુરુવારે વહેલી સવારે સાડા ચારે મુસાફરી આરંભ્યા પછી બપોરે એકના સુમારે દેવલાલી 'ટચ' થઈ ગયા. અનેક લોકોને મળવાનું હતું, અને સૌ એક જ સ્થળે આવી ગયેલા એટલે અઢી ત્રણ કલાક એ કાર્યવાહી ચાલી. એ પછી અમુક સ્થળો જોવા નીકળ્યા, જે પણ સાંદર્ભિક હતાં. પણ અહીં અંગ્રેજોએ બનાવેલાં અનેક મકાનો જોવા મળ્યા. એક સમયે ટી.બી.ના દરદીઓ માટે શુદ્ધ હવા માટેનું આ આદર્શ સ્થળ મનાતું. આને કારણે અહીં અનેક ટી.બી. સેનેટોરિયમ આવેલાં છે. અહીંનું સૌથી આકર્ષક પાસું એટલે આ અંગ્રેજી શૈલીનાં મકાનો. અહાહા! શી એની મોકળાશ! શું એનું ફર્નિચર! શી એની જાળવણી! હા, આમાંના મોટા ભાગના કાર્યરત સ્થિતિમાં છે અને સરસ રીતે જળવાયેલાં છે.

શંકુ આકારની, નળિયાંવાળી છત, પ્રવેશતાંમાં જ મોટો ઓટલો, અંદર વિશાળ ખંડ, હવાઉજાસ માટે છતમાં વ્યવસ્થા...એમ લાગે કે સમય અહીં થંભી ગયો છે.
આવી એક ઈમારતના સ્કેચ પરથી તેની સાદગીયુક્ત ભવ્યતાનો કંઈક અંદાજ મળી શકશે.


Wednesday, August 14, 2024

દમણપ્રવાસ (3): તપસ્વીઓ ગમે છે કેવળ વેદી પર

 દમણના કોટવિસ્તારમાં પગપાળા ફરતાં તેના દરિયા તરફના મુખ્ય પ્રવેશદ્વારને બિલકુલ અડકીને એક નાનકડું, આકર્ષક મકાન નજરે પડે છે. બેઠા ઘાટનું, નળિયાં ધરાવતું આ મકાન પોર્ચુગીઝ શૈલીનું છે એ જણાઈ આવે. મકાન જો કે, બંધ હાલતમાં છે, પણ તેનો જિર્ણોદ્ધાર થયેલો હોવાનો ખ્યાલ આવી જાય. નજીક જઈને જોતાં તેની પર પોર્ચુગીઝમાં લખાયેલી એક તકતી પણ જોવા મળી. તકતીનો ફોટો લઈ લીધો, અને ઘેર આવીને એ વિશે વધુ તપાસ કરતાં જણાયું કે આ મકાનમાં એક સમયે પોર્ચુગીઝ કવિ બોકાઝ/Bocage રહી ચૂકેલા.

તેમનું આખું નામ મનુઅલ મારીઆ બર્બોસા દ બોકાઝ. તેઓ અલ્મેન સડીનોના નામે કવિતા લખતા. ઈ.સ. 1786માં તેઓ પોર્ચુગીઝ નૌકાદળ તરફથી ગોવામાં નિયુક્ત થયા. કહેવાય છે કે એશિયામાં પ્રસરી રહેલા પોર્ચુગીઝ સામ્રાજ્યની ખ્યાતિ સાંભળીને તેઓ નૌકાદળમાં જોડાવા પ્રેરાયેલા. અલબત્ત, ભારત આવ્યા પછી તેમણે અસલિયત જોઈ, અને તત્કાલેન પોર્ચુગીઝ ગવર્નર અને ભારતના પોર્ચુગીઝ વાઈસરોયને તાકીને તેઓ વ્યંગ્યાત્મક સોનેટ લખવા માંડ્યાં. સ્વાભાવિકપણે જ તેમને ગોવા છોડવાની 'સલાહ' આપવામાં આવી. તેઓ 1789ના પૂર્વાર્ધમાં દમણ આવ્યા અને લેફ્ટનન્ટ તરીકે પાયદળમાં જોડાયા. સાવ ઓછા સમય માટે તે દમણમાં રહ્યા અને પછી મકાઉ ભાગી છૂટ્યા.
તેમની ગણના નવશાસ્ત્રીય પોર્ચુગીઝ કવિ તરીકે થાય છે.
સ્વપરિચય આપતી તેમની એક પોર્ચુગીઝ રચનાના એક અંશના અંગ્રેજી ભાષાંતરનો ગુજરાતી મુક્તાનુવાદ.
પાતળો, આંખો માંજરી, તામ્રવર્ણો ચહેરો,
આના પ્રમાણમાં પગ, મધ્યમ ઊંચાઈ,
ચહેરો ઉદાસ, અને એવી જ આકૃતિ,
વચ્ચે ઊભું છે નાનું નહીં, પણ ઊંચું નાક
પગમાં એને છે ભમરો,
નજાકતથી નહીં, પણ આવેશથી યુક્ત,
ફિક્કા હાથમાં પકડેલા ઘેરા રંગના કપમાંથી પીતો એ
જીવલેણ વિષ, નારકીય લિજ્જતથી
અર્પણ કરી છે ધૂપસળીઓ હજારો દેવીઓને
(મતલબ કે હજારો યુવતીઓને) એક ક્ષણમાં,
તપસ્વીઓ ગમે છે કેવળ (બલિદાનની) વેદી પર,
આ છે બોકાઝ, ઝળકે છે જેનામાં પ્રતિભા,
પ્રાપ્ત થયાં છે આ સત્યો ખુદ તેની પાસેથી,
એવા દિવસે, જ્યારે એ અનુભવતો હતો કંટાળો.
દમણમાં સાવ ટૂંકા ગાળા માટે રહેલા આ કવિના આવાસનો સ્કેચ.

Tuesday, August 13, 2024

દમણપ્રવાસ (2): સદીઓથી ઊભેલો સાક્ષી

કિલ્લા વિશે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હોઈએ એ આખી વાત અલગ, પણ કિલ્લાની રૂબરૂ મુલાકાત લેવાની થાય ત્યારે ખરેખરો રોમાંચ થઈ આવે. દમણના કિલ્લાની મુલાકાત લેતાં પણ આવી જ લાગણી થાય.

આ કિલ્લો પોર્ચુગીઝોએ ઈ.સ.1559માં બંધાવવાનો આરંભ કરેલો, અને ઈ.સ.1581માં તેનું બાંધકામ પૂર્ણ થયેલું. આ અરસો એટલે દેશમાં સમ્રાટ અકબરનો શાસનકાળ. કિલ્લાનો આરંભ મોગલોએ કર્યો હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
ત્રીસેક હજાર ચો.મી.નો વિસ્તાર ધરાવતો આ કિલ્લો આજે પણ અડીખમ ઊભેલો છે. તેની અંદર વિવિધ સરકારી કાર્યાલયો આવેલાં છે. કિલ્લાની રાંગ પર ઠેકઠેકાણે બુરજ ઊભા કરાયેલા છે, જે સંભવિત આક્રમણ સામે વ્યૂહાત્મક રક્ષણ પૂરું પાડે છે. કિલ્લાની બહાર ચોફેર નાનકડી ખાઈ આવેલી છે.
કિલ્લાના બુરજ તેમજ અન્ય બાંધકામોમાં અસલ પોર્ચુગીઝ શૈલી ઝળકે છે. આ શૈલીમાં ગુંબજને બદલે અણિયાળી, શંકુ આકારની ટોચ હોય છે, જે ગોથિક કે રોમન શૈલીને મળતી આવે છે. બારીઓ કે હવાજાળી સિવાય ગોળાકાર ભાગ્યે જોવા મળે.
વરસાદી માહોલમાં અમે લોકો કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશીને રાંગ પર ચડી ગયા, જ્યાં ઠીક ઠીક પહોળો કહી શકાય એવો રસ્તો હતો. અને કેમ ન હોય? એક સમયે અહીં ઘોડેસવાર સૈનિકોની અવરજવર રહેતી હશે.
કિલ્લા પર આવેલા આવા એક બુરજનો આ સ્કેચ છે.



Saturday, July 29, 2023

લદાખના રેખાંકનો (5)

અત્યાર સુધી જોયેલા મહેલોની સાથે સરખાવતાં એ જરા જુદો જણાઈ આવે, પણ લેહમાં ઠીક ઠીક ઊંચાઈએ બનાવાયેલો આ મહેલ તરત જ ધ્યાન ખેંચે એવો છે. ચારસો વર્ષ જૂના આ પ્રસાદનું નિર્માણ રાજા સિંગે નામગ્યાલના શાસનકાળમાં હાથ ધરાયેલું. પોતાના બળનું પ્રદર્શન કરી શકાય એ માટે લેહના ઊંચા પર્વત પર નવ માળનું આ ભવન તૈયાર કરાવાયું. સ્થાનિક કારીગરો અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે મહેલ માટે ઉપયોગમાં લેવાયેલા પથ્થરો ફ્યાંગ તથા સાબૂ ગામમાંથી મંગાવાયેલા. લાકડાંને અલમ તિલતથી ઝંસ્કર નદીના પ્રવાહમાં વહેવડાવીને યોગ્ય સ્થાને પહોંચાડાયેલાં. નિર્માણે ત્રણ વર્ષ લીધાં.

એ પછી આક્રમણ અને વાતાવરણની વિષમતાનો તે ભોગ બનતો રહ્યો. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મોડે મોડે તેનો જિર્ણોદ્ધાર કર્યો. તેને કારણે એ હવે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકાયો છે. જિર્ણોદ્ધાર પહેલાં એ કેવો દેખાતો હશે? 1998માં રજૂઆત પામેલી મણિરત્નમ દિગ્દર્શીત 'દિલ સે'ના ગીત 'સતરંગી રે'માં તેનો કેટલોક હિસ્સો જોઈ શકાય છે. (અને એ ગીત અહીં જોઈ શકાય છે.)


પુરાતત્ત્વ ખાતાએ ઘણું બધું કામ કરવું પડ્યું હશે, પણ એ યોગ્ય રીતે કરાયેલું જણાય છે. અહીં મૂકેલાં બે ચિત્રોમાં દૂરથી દેખાતો લેહ પેલેસ તેમજ એ પેલેસનો અંદરનો એક હિસ્સો ચીતરાયેલાં છે.

લેહ પેલેસ 

લેહ પેલેસની અંદરનો એક ભાગ 

Thursday, July 27, 2023

લદાખનાં રેખાંકનો (4)

 પંદરેક હજાર ફીટની ઊંચાઈએ આવેલું ત્સો (સરોવર) મોરીરી અને એને કાંઠે વસેલું કર્ઝોક ગામ. માંડ સોએક ઘરો હશે. એક તરફ સરોવર અને તેની પેલે પાર હિમાચ્છાદિત શીખરો, અને બીજી તરફ રેતાળ પર્વતો. આટલી ઊંચાઈએ કશું ન ઉગે એ સ્વાભાવિક છે, આથી પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા અહીંના લોકો કદાચ શિયાળામાં નીચેના ભાગમાં જતા હશે. આવા નાનકડા ગામમાંય ચારસો વર્ષ જૂની એક મોનેસ્ટ્રી હતી.

અહીં ધુમ્રપાન અને મદ્યપાન પ્રતિબંધિત હતાં- કદાચ મોનેસ્ટ્રીના પ્રભાવને લઈને. દૂરથી જોતાં ગામ જાણે કે પર્વતનો જ એક હિસ્સો હોય એમ લાગે, કેમ કે, મોટા ભાગનાં મકાન પથ્થરોનાં બનેલાં અને તેમાં માટી વપરાયેલી. એ સિવાય થઈ રહેલાં નવાં બાંધકામો હોમસ્ટે અને ગેસ્ટહાઉસનાં છે. આ ઉપરાંત તંબૂઓ પણ ખરા.
અમે ગામના છેડા સુધી લટાર મારી. એ શેરીનું એક દૃશ્ય.

કર્ઝોક ગામની શેરી 

Monday, July 24, 2023

લદાખનાં રેખાંકનો (3)

નુબરા ખીણમાં આવેલું હુન્દર ગામ ત્યાંના રેતીના ઢૂવા માટે વિખ્યાત છે. સપાટ મેદાનમાં વહેતું નુબરા નદીનું વહેણ, સાવ પાંખા કાંટાળા વૃક્ષો, ભૂખરી સફેદ રેતીના ઢૂવા અને પશ્ચાદભૂમાં ભૂખરા પર્વતો.

હુન્દર ગામનો એક રસ્તો

આ પ્રદેશના પર્વતોનો રંગ અલગ જ છે. મોટા ભાગના પર્વતો ભૂખરા, અને એની ટોચે હીમ જામેલું જોવા મળે. રેતીના ઢૂવા દૂર સુધી પથરાયેલા, જેમાં સહેલાણીઓ બે ખૂંધવાળા ઊંટ પર બેસીને લટાર મારતા જોવા મળે. બે ખૂંધવાળા ઊંટની શારિરીક રચના વિશિષ્ટ છે. બન્ને ખૂંધમાં ચરબીનો સંગ્રહ થાય છે, અને તેની આંખનાં પોપચાં સહેજ મોટાં હોય છે. આને કારણે રેતી તેની આંખમાં પેસી જતી નથી. આટલી ઊંચાઈએ આવેલા રેગિસ્તાનમાં ટકી રહેવા માટે કુદરતે તેની શરીરરચના વિશિષ્ટ બનાવી હશે. 

હુન્દરમાં જોવા મળતાં બે ખૂંધવાળાં બેક્ટ્રિઅન ઊંટ

બેક્ટ્રીઆ હિંદુકુશની પર્વતમાળામાં વસેલું પ્રાચીન રાજ્ય હતું. અહીં જોવા મળેલા મોટા ભાગના ઊંટના વાળ (રુંવાટી/ઉન) ઊતારી લેવામાં આવ્યા હતા.
હુન્દરમાં વસવાટ માટે અનેક હોમસ્ટે, ગેસ્ટહાઉસ, હોટેલ ઉપલબ્ધ છે. અહીં પર્વતો એટલા નજદીક લાગે છે કે મોટે ભાગે કોઈ પણ સ્થળે ઉતરતાં જ બારીમાંથી તેને સાવ ઝીણવટથી જોઈ શકાય. અહીં કોઈક ધર્મસ્થાનેથી આખો દિવસ માઈક પર કંઈક ને કંઈક વાગ્યા કરતું હતું. એમ ઘણી હોટેલોમાં પણ મોટેથી ડીજે સાઉન્ડના ધડાકા સંભળાતા હતા. ખરા અર્થમાં પ્રકૃતિની ગોદમાં વસેલા આવા રૂપકડા ગામમાં પણ આવું ધ્વનિ પ્રદૂષણ ત્રાસ ઉપજાવતું હતું. અને એ એમ પણ સૂચવતું હતું કે દિન બ દિન તેનો ઉપદ્રવ વધતો જવાનો છે.

Sunday, July 23, 2023

લદાખનાં રેખાંકનો (2)

 લેહ અને તેની આસપાસના વિસ્તારોમાં બૌદ્ધ ધર્મીઓની બહુમતિ છે. લેહ અને તેની આસપાસ અનેક મહત્ત્વની મોનેસ્ટ્રી/ગોન્પા આવેલાં છે, જે દરેકનું આગવું માહાત્મ્ય હશે. મને બુદ્ધમાં રસ ખરો, પણ બૌદ્ધ ધર્મમાં નહીં, આથી અમે નક્કી કરેલું કે એકાદ બે મોનેસ્ટ્રીની મુલાકાત લઈશું. બધે નહીં જઈએ. લેહથી બાવીસેક કિ.મી.ના અંતરે આવેલા ઠિક્સે ગામે આવેલી મોનેસ્ટ્રીની અમે મુલાકાત લીધી. લેહ આવતો ભાગ્યે જ કોઈ પ્રવાસી એવો હશે કે જેણે આ મોનેસ્ટ્રીની મુલાકાત ન લીધી હોય. ઊંચાઈ પર આવેલી હોવાથી આ મોનેસ્ટ્રી પરથી આસપાસનું દૃશ્ય સુંદર રીતે જોઈ શકાય છે. તદુપરાંત આ મોનેસ્ટ્રીના રંગ એકદમ તાજા કરેલા હોય એમ જણાયું. તેને કારણે તેના ફોટા લેવાનું આકર્ષણ પ્રવાસીઓમાં હોય એ સ્વાભાવિક છે. અહીંનું મુખ્ય આકર્ષણ પંદરેક મીટર ઊંચી મૈત્રેય બુદ્ધની પ્રતિમા છે.

ઠિક્સે મોનેસ્ટ્રીનું નીચેથી દેખાતું દૃશ્ય

ટિકિટ ખરીદ્યા પછી વળાંક અને ઢાળવાળા પગથિયાં ધીમે ધીમે ચડવા પડે. વચમાં વિરાટ કદનું પ્રેયર વ્હીલ જોવા મળે છે, જ્યાં લોકો સામાન્ય રીતે ફોટા પડાવે છે. અલબત્ત, આવા વિરાટ કદનાં પ્રેયર વ્હીલ લેહની આસપાસ ઘણે ઠેકાણે જોઈ શકાય છે.

વિરાટ કદનું પ્રેયર વ્હીલ

પગથિયાં ચડીને ઉપર આવીએ એટલે સામેના વિશાળ ચોકમાંથી ઉપર જઈ શકાય. પણ ચોકના પ્રવેશદ્વારે બે બાજુ બે વિચિત્ર પ્રાણીઓની પ્રતિમા જોવા મળી. પહેલી નજરે એ સિંહ જેવા લાગતા હતા, પણ એ સામાન્ય સિંહ નહોતા. પછી ખ્યાલ આવ્યો કે એ સ્નો લાયન છે. તેનું માહાત્મ્ય તિબેટી પુરાણોમાં ઘણું છે. એ રીતે અહીં બન્ને સિંહ પ્રવેશદ્વાર પાસે બેસીને સમગ્ર પરિસરનું રક્ષણ કરતા હોય એવું દર્શાવાયું હશે.

તિબેટના પૌરાણિક પ્રાણી સ્નો લાયનની પ્રતિમા

Saturday, July 22, 2023

લદાખનાં રેખાંકનો (1)

 લેહમાં એક ટેકરી પર આવેલા શાંતિસ્તૂપનું નિર્માણ 1991માં જાપાની બૌદ્ધ ભિખ્ખુ ગ્યોમો નાકામુરા દ્વારા, બૌદ્ધ ધર્મના 2500 વર્ષ થઈ રહ્યા હતા એ નિમિત્તે કરાવવામાં આવ્યું હતું. તેના તળિયે ભગવાન બુદ્ધના અવશેષો છે, જેનું 14મા દલાઈ લામા દ્વારા અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. બે સ્તરીય બાંધકામ ધરાવતા આ સ્તૂપના પ્રથમ મજલે આસપાસ બે હરણ ધરાવતું ધર્મચક્ર છે અને મધ્યમાં સોનેરી રંગના બુદ્ધ બિરાજમાન છે. અન્ય બાજુએ તેમના જન્મ અને મૃત્યુ (પરિનિર્વાણ)નો ઘટનાક્રમ દર્શાવાયો છે, તેમજ તેમની તપશ્ચર્યામાં ભંગ કરતા દૈત્યોને તેઓ પરાજિત કરતા બતાવાયા છે.

સાગરતટથી આશરે પોણા બાર હજાર ફીટની ઊંચાઈએ તે આવેલો છે અને તે વિશ્વશાંતિનો પ્રતીક છે.
શાંતિ સ્તૂપ, લેહ

બૌદ્ધ ચિત્રોમાં અનેક અવનવાં પ્રાણીઓ જોવા મળે છે. આ સ્તૂપની તળિયાની પેનલ પર હાથી દર્શાવાયેલા છે, જે મજબૂતીનું પ્રતીક છે, અને પોતાની પીઠ પર તે આ સમગ્ર સંકુલનો ભાર ઊંચકે છે એમ કદાચ સૂચવાયું છે. અમને આ હાથીનું આલેખન જોઈને મઝા આવી ગઈ. તેની વિશાળતા સૂચવતા થાંભલા જેવા પગને બદલે તેનું શરીર ગાય કે એવા અન્ય પ્રાણી જેવું સામાન્ય હતું. રેખાંકનમાં એ હાથી દર્શાવ્યો છે.

શાંતિ સ્તૂપના તળિયાની પેનલમાં હાથીની આકૃતિ
(સિમેન્
ટમાં કોતરાયેલી)

Monday, February 20, 2023

સાહિત્ય- બાહિત્ય (6)

 વધેલાનો કરીએ વઘાર

“આ વખતે એકસો ઓગણપચાસ કૃતિઓનાં જ નામ આવ્યાં છે અને જાહેર થયેલા પુરસ્કારોની સંખ્યા એકસો ચોર્યાશી છે. ભારે મૂંઝવણ છે. એક કૃતિને કંઈ બે ઇનામ તો અપાતાં નથી! તો વધેલાં ઇનામોનું શું કરીશું?”
“આપણા બધાનાં પુસ્તકો જ્યાં છપાય છે એ ‘આર્ટિસ્ટિક પ્રિન્ટિંગ પ્રેસ’ના ટીકુભાઈને ઇનામ આપીએ તો કેવું? આમ જોઈએ તો સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન પણ કહેવાય જ ને?”
“ટીકુભાઈ? ઓહ! ધેટ્સ ગ્રેટ! પણ એ તો એક જ ઇનામ થયું ને! ચાલો, જરા લિબરલ બનીએ તોય એમના પ્રેસનો સ્ટાફ પંદરનો ગણો. હવે બાકીના ઓગણીસનો મેળ કેમનો પાડીશું?”
**** **** ****
આ અને આવા અનેક સંવાદપ્રસંગો 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકના 'ઈનામ, સન્માન સમારંભ, લિટફેસ્ટ' વિભાગમાં છે. સાહિત્યનાં વિવિધ ઈનામ ઘોષિત થાય એની પાછળની પ્રક્રિયા શી હોય છે, લિટફેસ્ટમાં કેવી કેવી પરિસ્થિતિઓ હોઈ શકે, અને સન્માન સમારંભમાં કેવા સીન સર્જાય- આ બધા પર વ્યંગ્ય કરતાં પ્રસંગો હોવાથી પુસ્તકના આ ખંડનું વિભાજક/સેપરેટર શું રાખવું એ વિચારવાનું હતું. સાવ ઉભડક, કશા ધોરણ વિના, અને અધ્ધરતાલ પસંદગી થાય છે એ મૂળ વિચાર મનમાં ખરો, પણ એને ચિત્ર દ્વારા શી રીતે દર્શાવવો એ વિચારવાનું હતું.
પહેલો યાદ આવ્યો મેળામાંનો રિંગ ફેંકવાનો સ્ટૉલ. સામે વિવિધ વસ્તુઓ પડેલી હોય અને અમુક અંતરે ઊભા રહીને રિંગ ફેંકવાની. એ રિંગ જે વસ્તુ પર પડે એ આપણી. આમાં સામે વિવિધ પુસ્તકો બતાવવાં એમ વિચાર્યું અને એ મુજબનું ચિત્ર બનાવ્યું. 
આ ચિત્ર, જે પછી રદ કર્યું

જો કે, એ બનાવ્યા પછી વિચાર આવ્યો કે રિંગ ફેંકતી વખતે એ ફેંકનાર અમુક વસ્તુને તાકીને ફેંકે છે, પછી ભલે ત્યાં સુધી રિંગ ન પહોંચે. બીજી રીતે કહીએ તો પસંદગી કરનારના મનમાં પોતાનું એક 'ધોરણ' હોય છે. અને એનો પ્રયત્ન એ માટેનો હોય છે. મારે આ શક્યતા પણ નહોતી દેખાડવી. આથી રિંગવાળું ચિત્ર રદ કર્યું. એ ચિત્ર બરાબર બન્યું નહોતું, પણ એ તો સરખું થઈ શકે એમ હતું. પણ એ પછી મારા વિચારને અનુરૂપ વધુ સચોટ ચિત્ર બનાવ્યું.

મૂળ ચિત્ર 

પુસ્તકમાં આ ચિત્રનો ઉપયોગ 

('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

Friday, February 17, 2023

વાત એક પુસ્તકની સર્જનપ્રક્રિયાની ( = પુસ્તકપ્રચારનો એક નુસખો)

 તાજેતરમાં પ્રકાશિત મારા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય' બાબતે ખૂણેખૂણેથી પૂછપરછ આવી રહી છે. ( = લોકો ખૂણે ભરાઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે આ પુસ્તક વિશે લખાતું બંધ થાય ત્યારે અમને જાણ કરજો) આ અનન્ય અને અભૂતપૂર્વ વ્યંગ્યપુસ્તક બાબતે બે શબ્દો કહેવા અસ્થાને નહીં ગણાય. ( =સીદીબાઈને સીદકાં વહાલાં) અસલમાં અમદાવાદમાં 2015માં યોજાયેલા પુસ્તકમેળા વખતે સાવ અનાયાસે આ પુસ્તકનું બીજ રોપાયું હતું. પુસ્તકમેળામાં ઊભી થતી કેટલીક પરિસ્થિતિઓ વિશે કાલ્પનિક સંવાદો લખવાનો આરંભ કર્યો ત્યારે એમ વિચાર્યું કે એને કશુંક શિર્ષક આપવું. ઝાઝું વિચાર્યા વગર એને નામ આપ્યું 'અનપ્લગ્ડ'. એ વખતે મનમાં એમ કે એકાદ બે દિવસ આવી મસ્તી કરીશું. પણ ધીમે ધીમે એમાં મઝા પડવા લાગી. એટલે એ લખાતું ગયું. એ પુસ્તકમેળો તો પૂરો થયો, પણ પછી બીજા વરસે એ આવ્યો ત્યારે લોકોએ 'અનપ્લગ્ડ'ને યાદ કર્યું. ( = કોઈ પણ સર્જનપ્રક્રિયાને પબ્લિક ડિમાન્ડ સાથે જોડવાથી વજન પડે.) ત્રણ-ચાર વરસ પુસ્તકમેળા દરમિયાન આ દોર ચાલ્યો એ પછી મેં આ તમામ લખાણને ભેગા કર્યા. તેને લેખક, વાચક, પ્રકાશક, ઈનામ- પુરસ્કાર, પુસ્તકમેળો એમ વિવિધ શિર્ષક મુજબ વિભાજીત કર્યા અને 'સાર્થક પ્રકાશન'ના અધિષ્ઠાતાઓ અને કેટલાક મિત્રોને મોકલી આપ્યા. ( = તમને હીરાની પરખ ન હોય તો હીરાને સ્વમુખે 'લાખ હમારા મોલ' કહેવાનો વાંધો નથી.) તીક્ષ્ણ વ્યાવસાયિક સૂઝ ધરાવતા કાર્તિક શાહ અને તીવ્ર રમૂજવૃત્તિનાં માલકણ હેતલ દેસાઈએ એ વાંચીને તરત કહ્યું, 'આનું પુસ્તક કરો.' ( = તીર નિશાને લાગ્યું.) જો કે, એ પછી એમાં ઘણો વિલંબ થયો. ( = એક સાથે બબ્બે જણ શૂળી પર ચડવાનું કહે ત્યારે ઉતાવળ ન કરવી.) આખરે ઘણા અંતરાલ પછી આ પુસ્તક આપના હાથમાં છે. (=તમે મંગાવો, ભઈશાબ, તો જ એ તમારા હાથમાં આવશે.)

જો કે, આ પુસ્તકમાં 'વિભાજક'/સેપરેટર પર પ્રતીક વ્યંગ્યચિત્ર મૂકવાં એમ મને હતું. ( =બહુવિધ પ્રતિભાનું દર્શન કરાવવાની લાલચથી કોણ બચી શક્યું છે?) એ મુજબ, પહેલો વિભાગ 'લેખક-વાચક'નો છે. આ પુસ્તકનો કેન્દ્રવર્તી ધ્વનિ વ્યંગ્યનો હોવાથી એવું કયું ચિત્ર બનાવવું એ વિશે મથામણ ચાલી. અનેક ચિતરામણ થયાં. આખરે માઈકેલ એન્જેલો મદદે આવ્યા. ( =મોટાં નામ છાંટવાથી વાચકો પર વજન પડતું હોય છે.) તેમનું બનાવેલું જગવિખ્યાત ફ્રેસ્કો 'The creation of Adam'માં એવી કલ્પના છે કે શ્વેત દાઢીવાળા ઈશ્વર પોતાના જમણા હાથની પહેલી આંગળીને આદમના ડાબા હાથની પહેલી આંગળીનો સ્પર્શ કરીને તેનામાં જીવનચેતનાનો સંચાર કરે છે.


આખું ભીંતચિત્ર અતિ જાણીતું છે, પણ માત્ર સામસામા બે હાથ દર્શાવતો તેનો અંશ સુદ્ધાં વિખ્યાત છે. અનેક સ્થળે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બસ, આ સામસામા બે હાથવાળા વિચાર પર કામ શરૂ કર્યું. ( =વ્યંગ્યના પુસ્તકમાં વિદ્વત્તાનો ભાર ખાસ વરતાવો જોઈએ.)



ઘણા લેખકો પોતાને 'દિવ્ય' શક્તિ ધરાવતા માનતા હોય છે, તો અમુક લેખકો એમ માને છે કે પોતે લખતા નથી, પણ કોઈક અદૃશ્ય શક્તિ પોતાને લખાવે છે. ( = 'ઘણા' અને 'અમુક' એટલે બધા જ, પણ આવી છટકબારી રાખવી જરૂરી, જેથી કોઈ વાંધો ઉઠાવે તો કહેવાય કે તમે અપવાદ છો.) આથી પોતે જો વાચકોને પોતાનું કોઈ પુસ્તક ભેટરૂપે આપે તો વાચકો કૃતકૃત્યતા અનુભવે. વાચકો પણ જાતભાતના હોય છે. એમના મનમાં લેખક વિશે ચિત્રવિચિત્ર કલ્પનાઓ હોય છે. ( = લેખક ગમે એ હોય, પુસ્તક પર વળતર મળવું જોઈએ.) બસ, એક વાર આ લાઈન પર વિચારવાનું શરૂ થયું એટલે અનેક વિચાર સૂઝતા ગયા. આખરે એક વિચાર ફાઈનલ કર્યો.


અહીં ચિત્રમાં માઈકેલ એન્જેલોનું મૂળ ચિત્ર, એનો હાથવાળો અંશ અને એના પરથી પ્રેરિત મેં બનાવેલું અને પુસ્તકમાં મૂકેલું વ્યંગ્યચિત્ર મૂકેલું છે. ( = માત્ર અભિનંદન આપીને કે વખાણ કરીને વાત પૂરી ન કરશો, પણ પુસ્તકની આ જાહેરાત માનજો.)


આ પુસ્તકના કુલ પાંચ વિભાજક છે, એ પૈકીના સૌ પ્રથમ વિભાજકની કથા અહીં કરવામાં આવી છે. આપ સૌ સુજ્ઞ છો, આથી વધુ લખવું નથી. ( = મૂળ કારણ એ કે લખાણ લાંબું થઈ જાય.)
પુસ્તક હજી 'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર મૂકાયું નથી. ( = પ્રકાશકે બિચારાએ પરાવલંબી હોવાનો પુરાવો આપવો રહ્યો.) ત્યાં સુધી તેને વૉટ્સેપ નંબર 98252 90796 દ્વારા મંગાવી શકાશે. ( = આ નંબર કાર્તિકભાઈનો છે. એમનેય ખબર પડવી જોઈએ કે પુસ્તકનું સૂચન આપવું સહેલું છે, પણ વેચવું અઘરું છે.) કિંમત રૂ. 130/ છે, પણ વળતર અને પોસ્ટેજ ફ્રી સહિત એ માત્ર 120/માં મળશે. ( = લાખ રૂપિયાની વસ્તુ હોય તો પણ 'માત્ર' શબ્દ વપરાય છે.)

Sunday, April 17, 2022

યે પાંવ બહોત હસીન હૈ

ભગવાન શ્રીકૃષ્ણને લગતી ફિલ્મો અને ટી.વી. ધારાવાહિકો જેટલી જોઈ શક્યો છું એમાં ક્યાંય તેમના અંતિમ સમયનું દૃશ્ય જોવાનું આવ્યું નથી. કહેવાય છે કે તેઓશ્રી એક વૃક્ષ નીચે આરામ ફરમાવી રહ્યા હતા અને તેમના પગનું તળિયું જ દેખાતું હતું. એક પારધિની નજર તેની પર પડી અને તે સમજ્યો કે આ હરણ છે. તેણે તીર ચલાવ્યું અને એ તીર બરાબર નિશાન પર લાગ્યું. અને શ્રીકૃષ્ણનો ધ એન્ડ.....!

આ કથા સાંભળી કે વાંચી હશે અને આછું આછું યાદ છે એ મુજબ તેનું ચિત્રાંકન પણ ક્યાંક જોયું છે. આમ છતાં, મુંબઈ જવાનું કે ત્યાંથી રાતની ટ્રેનમાં આવવાનું થાય ત્યારે આ આખું દૃશ્ય મારી નજર સમક્ષ ખડું થઈ જાય છે. રાતની મુસાફરીમાં સળંગ ઊંઘ આવે એવું ભાગ્યે જ બને. 'આપણું સ્ટેશન જતું તો નહીં રહે ને', 'આપણો સામાન કોઈક સરકાવી તો નહીં જાય ને' જેવા ફડકા મનમાં પડતા રહે. આવા સમયે ડબ્બાના પેસેજમાં નજર કરીએ તો ભૂરા રંગના નાઈટ લેમ્પના અજવાળે સૂતેલા શ્રીકૃષ્ણના પગનાં તળિયાં આ રીતે જોવા મળે. મનોમન સીધ ગોઠવીને અનેક વાર વિચાર્યું હશે અને પછી લાગ્યું છે કે આ રીતે નિશાન લેવા માટે નિશાનબાજી બહુ પાક્કી જોઈએ, જે આવડત આપણી પાસે નથી.
ત્યારે બીજો વિચાર એ આવે કે આપણી પાસે એવો કોઈ રબર સ્ટેમ્પ હોવો જોઈએ. બધા આ રીતે પગ ધરીને સૂતા હોય અને આપણી ઊંઘ ઊડે કે તરત આપણે બધાના પગની નીચે થપ્પા લગાવી દઈએ અને ચૂપચાપ પાછા આવીને આપણી બર્થ પર લંબાવી દઈએ.
એક તકલીફ છે. રબર સ્ટેમ્પ થકી કયું લખાણ કે ડિઝાઈન ઊપસાવવી એ હજી હું નક્કી કરી શક્યો નથી. કોઈ સૂચન?

રાત્રે ટ્રેનમાં કરેલું ચિત્રાંકન 


Wednesday, April 13, 2022

પ્રેમગલી

 દો દિલોં કો યે દુનિયા મિલને હી નહીં દેતી,

આશાઓં કી કલીયો કો ખિલને હી નહીં દેતી.
રૂપમહલ, પ્રેમગલી, ખોલી નંબર 420. ચિ.એન્થની ગોન્સાલ્વીસનું આ સરનામું આમ તો આનંદ બક્ષીએ આપ્યું હતું, જે એન્થનીભાઈ પ્રેમના કે પીણાના નશા તળે ગાઈને સંભળાવતા હતા અને એ સૂચવતું હતું કે આ સરનામુ કાલ્પનિક છે.
રૂપમહલ કે ખોલી નં. 420 વિશે મને કશી જાણકારી નથી, પણ પ્રેમગલી વિશે અવશ્ય હું કશું કહી શકું એમ છું. મહેમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો પણ 'પ્રેમગલી' શબ્દ કાને પડતાં જ બોલી ઉઠે કદાચ, 'હા, ભઈ! ખબર છે હવે! લાલ નેરિયું!' મૂળ શબ્દ 'નેળ' પરથી 'નેળીયું' અને તેની પરથી 'નેરિયું' થયું હશે, પણ તેની આગળ 'લાલ' વિશેષણ શા કારણે લાગ્યું એ બાબતે કોઈ પુરાતત્ત્વવિદે કામ કરવું જોઈએ.
મહેમદાવાદમાં વ્યાસવાડાથી દાખલ થઈએ એ પછી ઢાંકણીવાડથી શરૂ થતો અને જીભાઈ પોળ આગળ પૂરો થતો નાનકડો રસ્તો 'લાલ નેરિયું' તરીકે ઓળખાય છે. આ વિસ્તાર ભેંકાર નહીં, સામાન્યપણે સૂનો રહેતો. તેની લંબાઈ એટલી બધી નહીં, એટલે એક છેડે ઉભા હોઈએ તો સામો છેડો જોઈ શકાય. પણ આ નેળની બન્ને તરફ આવેલાં મકાનોનો પાછલો ભાગ અહીં પડતો. ઢાંકણીવાડથી પ્રવેશીએ તો ડાબી તરફના મકાનોનું મુખ્ય બારણું મગદળીઆ પોળમાં અને જમણી બાજુનાં મકાનોનું મુખ્ય બારણું મોટે ભાગે મહાદેવ પોળમાં પડતું હશે.
અહીં દિવાલો એકદમ ઊંચી હતી અને છે...ક પહેલા માળે નાનકડી બારી કે કઠેરો પડતો હોય. દિવાલોની નીચેનો ભાગ વર્તુળના ચાપ આકારનો હોવાથી તેની પર ચડી શકાય નહીં. એમ આ દિવાલો પણ મોટા ભાગની પ્લાસ્ટર વિનાની હતી. ક્યાંક પાણી સતત વહેતું રહેવાને કારણે દીવાલો પર ઓઘરાળા પડેલા હોય, તો ક્યાંક નાનાં નાનાં વડ-પીપળા પણ ઉગી નીકળ્યા હોય. પાછલા રસ્તે પડતી આ બારીનો ઉપયોગ મુખ્યત્વે એંઠવાડનું પાણી ઉપરથી નાંખવા માટે જ થતો. કદાચ એમ પણ બને કે નાનપણમાં આ મકાનો છે એનાથી વધુ ઊંચા ભાસતાં હોય.
આ બધાં કારણોસર આ સ્થળ પ્રેમીઓના મિલન માટેનું આદર્શ સ્થળ ગણાતું. તેનો એ રીતે ઉપયોગ કરવાથી તો હું અને મારા મિત્રો વંચિત રહ્યા. અમને એમ લાગતું કે 'એવી બધી' બાબતો માટે અમે 'નાના' છીએ. એ પછી અચાનક ક્યારે 'મોટા' બની ગયા એ ખબર જ ન પડી. પણ તેનો ઉપયોગ કોણ કોણ કરતું હતું તેના અહેવાલો ઘણી વાર અમને અમારા મિત્ર મૂકા (મુકેશ પટેલ) દ્વારા મળતા. અને મને ખાત્રી છે કે અમારી જેમ ગામ આખાના લોકોને પણ તે અન્યો દ્વારા મળતા હશે.
પણ ચાર-પાંચ વરસ અગાઉ મહેમદાવાદ જવાનું બન્યું ત્યારે સતત બે દિવસ સુધી પ્રેમ સિવાયના ઈતર કામે આ પ્રેમગલીમાંથી પસાર થવાનું બન્યું. એવી કોઈ અંગત સ્મૃતિ મારી અહીં હતી નહીં, છતાં મને બે ઘડી આઘાત લાગી ગયો. મેં જોયું કે આ ગલીમાં હવે મોટા ભાગનાં મકાનોનાં મુખ્ય દરવાજા પાડવામાં આવ્યા છે. તેને કારણે હવે અહીં પેલો સૂનકાર રહ્યો નથી, બલ્કે અવરજવર સતત રહે છે. એ આખી ગલી હવે આર.સી.સી.ની બની ગઈ છે. મને કોણ જાણે એક ક્ષણે એવો પણ વિચાર આવ્યો કે મારા હાથમાં હોય તો હું જે તે સમયે આ ગલીને આરક્ષિત વિસ્તાર જાહેર કરી દેત. (આવું વિચારીએ છીએ એટલે જ આપણા હાથમાં કશું હોતું નથી.) આનો અર્થ એ થયો કે લાલ નેરિયું નામ ભલે રહ્યું, પણ પ્રેમગલી તરીકેનો તેનો દરજ્જો તો ગયો જ.
પાછા ફરતાં આ ગલીનું બદલાયેલું સ્વરૂપ મારા મનને બહુ કોસતું હતું. આના ઉપાયરૂપે મેં એક અખતરો કર્યો. મારી પાસે રહેલી સ્કેચબુક ખોલી અને જેવું આવડે એવું પણ મારા મનમાં પડેલું પ્રેમગલીનું અસલ સ્વરૂપ ચીતરવાનો પ્રયાસ કર્યો. તેનું પરિણામ તે આ ડ્રોઈંગ.
આ પેન ડ્રોઈંગ પૂરતી એટલી સ્પષ્ટતા કે તેને મેં કેવળ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે જ્યારે ખરેખર અસ્તિત્ત્વમાં હતું ત્યારે મને ચિત્ર દોરતાં આવડતું નહોતું કે નહોતો મારી પાસે કેમેરા. આથી મારા મનમાં તેની જે છાપ રહી ગઈ છે તેને આલેખવાનો આ પ્રયાસ છે.

Tuesday, April 12, 2022

ધુમ્રયંત્ર

રાજ કપૂરની 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી' ગીત થકી સ્વપ્નશ્રેણીનો આરંભ થયા પછી આજ દિન સુધી ઘણી ફિલ્મોનું તે આકર્ષણ બની રહી છે. મે-જૂન દરમ્યાન અમે ગ્રહણ (હિમાચલ પ્રદેશ)ના પ્રવાસે ગયા ત્યારે ધુમ્મસની લીલા જોઈને દંગ રહી જવાયું હતું. એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે આ જ લીલા અમને ઘેરબેઠે જોવા મળશે.

ચારેક વરસ પહેલાં, ઑગષ્ટની એક સવારે વાદળછાયું વાતાવરણ હતું. તાજા પડી ચૂકેલા વરસાદથી રસ્તા ભીંજાયેલા હતા. એવે વખતે 'ડ્રુંઉંઉંઉંઉં' અવાજ સતત આવવાનો શરૂ થયો અને જોતજોતાંમાં અમારી ગલી ઘેરા, સફેદ ધુમ્મસથી આચ્છાદિત થઈ ગઈ. પહેલાં જાદુગરોના શોમાં જોયેલું કે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડે અને કોઈક પ્રગટ થાય, કાં અલોપ થઈ જાય. ફિલ્મોમાં પણ જોયેલું કે ધુમાડાના ગોટા એ રીતે નીકળે અને પછી પ્રસરે કે સામેના દૃશ્યોના કેટલાક ભાગ દેખાય, તો કેટલાક ઢંકાયેલા રહે. જેમ કે, મકાનની બાલ્કની દેખાય, અને ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ધાબાનો ભાગ ઢંકાયેલો રહે. એને લઈને આપોઆપ એક સ્વર્ગીય અનુભવ થાય. (અલબત્ત, આપણે કલ્પેલું સ્વર્ગ)
એક ટેમ્પાના પાછળ રહેલા છાપરાવાળા ભાગમાં એક કર્મચારી મોંએ રૂમાલ બાંધીને અને આંખે ચશ્મા પહેરીને બેઠા હતા. તેમનો એક હાથ લાઈટ મશીનગનના નાળચા જેવા દેખાતા એક ભૂંગળા પર હતો અને ભૂંગળામાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. કોણ જાણે કેમ, આ ભાઈને જોઈને મને કિશોરાવસ્થામાં વાંચેલી એ શ્રેણીની એક માત્ર નવલકથા કે જેનું નામ હું ભૂલી ગયો છું, એનું પાત્ર મૅક બોલાન, ધ એક્ઝિક્યુશનર યાદ આવી ગયો. (અંગ્રેજી નવલકથાઓનો જ્યારે પણ ઉલ્લેખ આવે ત્યારે સમજવું કે એ ગુજરાતીમાં અનુવાદિત થયેલી વાંચી છે.) બોસ્ટન શહેરમાં તે આ રીતે જ, એક સૈન્ય પાસે હોય એવાં સાધનો વડે માફિયાઓનો ખાત્મો બોલાવતો હતો. આજે વિચારતાં લાગે છે કે એને 'રેમ્બો'ની શહેરી આવૃત્તિ કહી શકાય. ગૂગલે જણાવ્યું કે મૅક બોલાનના પાત્રસર્જક ડોન પેન્ડલટન હતા, અને આ પાત્ર અતિશય લોકપ્રિય બનેલું, જેને કેન્દ્રમાં રાખીને સેંકડો નવલકથાઓ લખાયેલી.


એ બોસ્ટન હતું, અને આ બરોડા છે. મૅક બોલાન સ્વયંભૂ નીકળેલો, અને આ અનામી ભાઈ નોકરીના ભાગરૂપે, પણ બન્નેનો હેતુ એક જ હતો- દુશ્મનોનો ખાત્મો બોલાવવો. એકના દુશ્મન મચ્છર જેવા હાનિકારક માણસો હતા, જ્યારે બીજાના દુશ્મન ખુદ મચ્છર છે. પણ આ મચ્છરો ભારતવર્ષના છે. આ સફેદ ધુમાડો આખા વિસ્તારમાં પ્રસરવા લાગ્યો એ જોઈને મચ્છરોની પ્રતિક્રિયા શી હોઈ શકે?
અમારા વિસ્તારના મચ્છરોમાં ભાગદોડ મચી ગઈ હશે, અને છુપાયા હોય ત્યાંથી નીકળીને મચ્છરો બહાર આવવા પડાપડી કરવા લાગ્યા હશે. 'ગુન ગુન'નો અનુવાદ કંઈક આવો કરી શકાય. 'દોડો, ચાલો, આજનાં ફૂડ પેકેટ આવી ગયાં છે.' , 'આજે બહાર જમવા જવાનું વિચારતા હતા, પણ હવે માંડી વાળીએ. આજે ઘેર જ જમી લઈશું.' સ્વાસ્થ્ય અંગે ચિંતીત મચ્છરો કહેતા હશે, 'અલ્યા, લઈ લો આ ધુમાડો. Smoking is advantageous to health.અમે કહી કહીને મરી ગયા, પણ આ જુવાનિયાં સમજતા જ નથી.'
એકાદુ સાહસિક મચ્છર પશ્ચાદ્ભૂમાં એક્ઝિક્યુશનર દેખાય એ રીતે સેલ્ફી પણ લેવા માંડ્યું. એને એવી રીતે સેલ્ફી લેવી હતી કે ફ્રેમમાં કાળો ધુમાડો અને સફેદ ધુમાડો બન્ને દેખાય.
ટૂંકમાં, પળવારમાં અને પળવાર માટે એક ભેદી, ગેબી સૃષ્ટિ રચાઈ ગઈ. પછી તો ભઈ, એય ને ધુમાડા ઓસર્યા, ઉઘાડ નીકળ્યો ને અમારી બુદ્ધિ આડેથી વાદળ પણ હટ્યાં. સૌર ઉર્જા થકી દિમાગમાં બત્તી થઈ, સ્કેચબુક ખૂલી ને હાથ ચાલતા રહ્યા.
ધુમાડિયું યંત્ર જેવું અમને ફળ્યું તેવું સૌને ફળજો.

ધુમ્રયંત્ર (ચિત્રાંકન: બીરેન) 

Saturday, March 12, 2022

અધૂરી સફરની અધૂરી વાત (5): પેપર કોલાજ


ફાઈન આર્ટ્સના મારા સવા-દોઢ વર્ષના ગાળામાં પહેલા વર્ષે સ્ટડી ટૂરમાં જવાનું થયું. જોધપુર અને જેસલમેરની એ સ્ટડી ટૂર યાદગાર હતી. આ અગાઉ મેં ટૂર કરી હતી, પણ સ્ટડી ટૂરનો આ પહેલો અનુભવ હતો. નોકરીમાંથી રજા લઈને હું આ ટૂરમાં જોડાયેલો. કામ કરવામાં રસ ધરાવતા અમે ચાર-પાંચ મિત્રોએ નાનકડું જૂથ બનાવી દીધેલું. રોજ સવારે અમે નક્કી કરીએ કે કયા વિસ્તારમાં જવું છે. એ મુજબ એક સ્થળે ઉપડીએ. ત્યાં જઈને પોતપોતાની પસંદગી મુજબ સૌ કામ કરે. અને નક્કી કરેલા સમયે પાછા એક સ્થળે નાસ્તા માટે મળીએ.
મારી સાથેના અજય શર્મા અને સૌમેન દાસ સીધા વોટર કલરમાં કામ કરતા. મને એ ફાવટ નહોતી. બલ્કે મને ડ્રોઈંગની ફાવટ જ ઓછી હતી. એટલે હું મુખ્યત્વે પેન્સિલ અને ઈન્કમાં કામ કરતો.

એક પગ લેખનમાં હતો અને બીજો પગ કળામાં. એ અરસામાં ડ્રોઈંગ બનાવ્યા પછી મેં પેપર કોલાજ બનાવવાનું શરૂ કરેલું, જેનો આધાર સ્કેચ/ડ્રોઈંગ રહેતાં. પેપર કોલાજ અનેક પદ્ધતિથી થાય છે. મેં નક્કી કરેલું કે એ પ્યોર પેપર કોલાજ હોવા જોઈએ. એમાં પેન, પેન્સિલ કે બ્રશનો બિલકુલ ઉપયોગ ન કરવો. જોઈતા રંગના કાગળો મેળવવા, જરૂરી આકારમાં ફાડવા અને જોઈતી અસર ઉપસાવવી- આ બધામાં બહુ સમય જતો. ઈન્ડીયન એરલાઈન્સના ઈન ફ્લાઈટ મેગેઝીન 'સ્વાગત'ના જૂના અંકો હું થોકબંધ ખરીદતો અને તેના જાડા, લીસા, રંગીન કાગળનો ઉપયોગ કરીને કોલાજ બનાવતો. અલબત્ત, કૉલેજમાં હતો ત્યારે મને આ માધ્યમનો કેવળ અછડતો પરિચય થયેલો, પણ એનું વ્યવસ્થિત ખેડાણ કૉલેજ છોડ્યા પછી થઈ શક્યું. આને કારણે મને ઠીક ઠીક સમય સુધી અવઢવ રહી કે જે પ્રકારનું કોલાજ હું કરું છું એ 'યોગ્ય' કહેવાય કે કેમ. મિત્ર બકુલેશ જોશી પ્રોત્સાહન આપતો, છતાં એ કામ વિશે હું ભાગ્યે જ કોઈ સાથે વાત કરતો. આમ છતાં, મને મજા આવતી હતી એટલે મેં કામ ચાલુ રાખેલું.
એક કોલાજ બનાવવામાં દિવસો વીતતા. એ કરતાં પંખો ચાલુ થાય નહીં, કેમ કે, પંખો ચાલુ કરું તો સાચવી રાખેલા નાના નાના અસંખ્ય ટુકડા ઉડી જાય. પથારો પાથરવામાં એટલો સમય જાય કે એને સમેટવાનું ન ફાવે. મારી નોકરીના સમય દરમિયાન સેકન્‍ડ અને નાઈટ શિફ્ટમાં રોજિંદું કામ પતાવ્યા પછી મારી પાસે ઘણો સમય રહેતો. એ સમયમાં હું પેપર કોલાજ બનાવતો. પ્લાન્ટમાં આવેલી નાનકડી કેબિનમાં બેસીને હું આ કામ કરતો, જ્યાં અવરજવર ઓછી રહેતી.
આ બધાને કારણે જે કોલાજ બની ગયાં એ બની ગયાં. હવે આટલા મોટાં બને એ શક્યતા ઓછી લાગે છે.
જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એટલો આકર્ષક હતો કે અમે સવારના આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા. ત્યારે કિલ્લાનું પ્રવેશદ્વાર પણ ખૂલ્યું નહોતું. બપોરના બે-અઢી વાગ્યા સુધી અમે બહાર જ રહીને કામ કર્યું અને ત્યાર પછી અંદર પ્રવેશ્યા.
આ કોલાજ જોધપુરના કિલ્લાનું પ્રવેશદ્વાર છે.

મહેરાનગઢનું પ્રવેશદ્વાર 

ત્યારે બનાવેલા પેન્સિલ ડ્રોઈંગને આધારે ઘણા વખત પછી આ પેપર કોલાજ બનાવ્યો.

જોધપુરનો મહેરાનગઢ 

પેપર કોલાજનું આ માધ્યમ મારા માટે સાવ નવું હતું, છતાં બહુ આકર્ષક હતું. જો કે, યોગ્ય રંગના કાગળો શોધવામાં
સમય ખૂબ જતો. આર્કિટેક્ચરલ ડ્રોઈંગ પરથી કોલાજ બનાવવો મને બહુ ગમતો, પણ ગમતા સ્થળે જઈને કેવળ ડ્રોઈંગ બનાવવા બેસીએ એવો સમય કે અનુકૂળતા ન હતાં. તેથી મિત્રો સાથે ક્યાંક ગયા હોઈએ ત્યારે સમય ચોરીને ડ્રોઈંગ બનાવી લેતો. મૂળ ડ્રોઈંગ નબળું હોય તો કોલાજ બનાવવામાં બહુ મુશ્કેલી પડે, ખાસ કરીને આર્કિટેક્ચરલ! અને એ વખતે ફોટા લેવાની એટલી છૂટ પણ નહીં. આથી મૂળ ડ્રોઈંગમાં વિગતો ઓછી આવે તો ભલે, પણ એ બરાબર હોવું જોઈએ એનું ધ્યાન રાખતો.
કદાચ ૧૯૯૬ કે '૯૭માં અમે સૌ મિત્રોએ બે દિવસ માટે દીવ જવાનો કાર્યક્રમ બનાવેલો. એ ટૂંકા પ્રવાસમાં દીવના કિલ્લાનાં પેન્સિલ ડ્રોઈંગ ઝડપથી બનાવી દીધેલાં. ત્યાંના કિલ્લાના પ્રવેશદ્વારનું પણ ઉતાવળે પેન્સિલ ડ્રોઈંગ બનાવ્યું હતું. ઘેર આવ્યા પછી આ પેન્સિલ ડ્રોઈંગના આધારે પેપર કોલાજ તૈયાર કર્યું. એ વખતે ફોટા બહુ મર્યાદિત રીતે પાડ્યા હતા. આ ડ્રોઈંગ પરથી પછી કોલાજ બનાવેલા. એમાંનો એક પેપર કોલાજ નીચે મૂકેલો છે.
આ પ્યોર પેપર કોલાજ છે. એમાં પેન, પેન્સિલ કે બ્રશ ક્યાંય નથી. માત્ર ને માત્ર રંગીન કાગળના ઉપયોગથી જરૂરી અસર ઉભી કરી છે.

દીવના કિલ્લાનું પ્રવેશદ્વાર 

ફરી વખત દીવ જવાની બહુ ઈચ્છા છતાં વીસ વરસ સુધી ત્યાં જવાનું બન્યું નહીં. છેક 2016માં દીવ ગયા ત્યારે કિલ્લાના પ્રવેશદ્વાર સાથે મારા બનાવેલા પેપર કોલાજ સાથે નજરથી સરખાવી જોયું. સૌથી પહેલી નજર કિલ્લાની ટોચ ઉપર ગઈ અને ખબર પડી કે કોલાજમાં સૌથી ઉપર ક્રોસ બનાવેલો હતો એ આ વખતે તૂટી ગયો હતો.
આ વખતે આ જ સ્થળેથી પેન વડે તેનું ડ્રોઈંગ પણ કર્યું. દસ બાર વર્ષે ફરી હાથમાં પેન અને સ્કેચબુક પકડ્યાં.
નીચે કિલ્લાના પ્રવેશદ્વારની લીધેલી તસવીર અને ફરી મુલાકાત વખતે બનાવેલું એ જ સ્થળનું પેન ડ્રોઈંગ છે.

દીવના કિલ્લાના પ્રવેશદ્વારની તસવીર 

બીજી મુલાકાત વખતે બનાવેલું દીવના કિલ્લાનું પેન ડ્રોઈંગ 

પેપર કોલાજ બીજાં પણ ઘણાં છે, પણ એ ફ્રેમ કરેલાં હોવાથી એની તસવીર બરાબર લઈ શકાતી નથી. એ કારણે અહીં મૂક્યા નથી. 

કલાની મારી અધૂરી સફરની વાત આટલે જ અટકાવું છું. હવે એમાં આગળઉપર જે કામ થતું રહેશે એ અહીં મૂકતો રહીશ. ચિત્રાંકનમાં એક નવો ફાંટો કાર્ટૂન દોરવાનો પડ્યો છે, જેના વિશે વિગતે અહીં વાંચી શકાશે

(સમાપ્ત) 


 (નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.)  

આ શ્રેણીની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કડી અહીં વાંચી શકાશે. 

Friday, March 11, 2022

અધૂરી સફરની અધૂરી વાત (4) : પ્રવાસ દરમિયાન દોરેલાં ચિત્રો

ફાઈન આર્ટ્સનો અભ્યાસક્રમ છૂટી ગયો, પણ એ પછી અનિયમિતપણે કામ ચાલુ રહી શક્યું. જો કે, 1997થી વડોદરા સ્થાયી થવા આવ્યો અને બે વરસ મારું મકાન બનાવવાનું ચાલ્યું એ વખતે એ સંગ છૂટ્યો. એ અરસામાં ક્યાંય પ્રવાસે જવાનું થાય ત્યારે હું સ્કેચબુક અને પેન સાથે રાખતો અને સમય મળ્યે ચિત્રાંકન કરી લેતો. પેન્‍સિલથી હું બને ત્યાં સુધી કામ નહોતો કરતો. અહીં મૂકેલાં ચિત્રો આ રીતે પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચને વિકસાવીને બનાવેલા છે. એટલે કે મૂળભૂત રેખાંકન પેન યા પેન્‍સિલથી તૈયાર કરી રાખ્યું હોય, પણ એમાં ઝીણવટભર્યું કામ ઘેર આવ્યા પછી કર્યું હોય. આમ થવાનું કારણ એ કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે નવું સ્થળ જોવાની પણ બહુ જ ઈચ્છા હોય, ત્યાં તસવીરો લેવાની બહુ ગમે, અને ચિત્રોય કરવા હોય. ઉપરાંત સાથેના પરિવારજનો-મિત્રોનો પણ ખ્યાલ રાખવાનો હોય. આથી ઘેર આવીને તેની પર નિરાંતે કામ કરી શકાતું. ડ્રોઈંગમાં મને ખાસ કરીને લેન્‍ડસ્કેપ, અમુક પ્રકારના આર્કિટેક્ચરલ વ્યૂ વગેરે કાગળ પર ઉતારવા વધુ ગમતા. માનવાકૃતિઓ દોરવા બાબતે હું ખાસ ઉત્સાહી ન હતો. અહીં મૂકેલાં આ ડ્રોઈંગ મેં અલગ અલગ સ્થળના પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચના આધારે તૈયાર કરેલા છે. તેમનો સમયગાળો 1997થી 2002ની વચ્ચેનો હશે. 

**** 

જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એટલો અદભુત છે કે મનમાંથી એ કદી ખસે નહીં. એનું સ્થાન એવું છે કે શહેરમાં ગમે ત્યાંથી એ નજરે પડે. એની તસવીરો લેતાં ધરવ ન થાય અને એનાં ડ્રોઈંગ બનાવતાં જ રહીએ એમ થાય. પણ તેનું કદ અને વ્યાપ એવાં છે કે મારા જેવા શિખાઉથી થોડા કલાકોમાં કે એક દિવસમાં એ કરી ન શકાય. આ કિલ્લો સમગ્રપણે એટલો વિશાળ છે કે સામાન્ય કદના કાગળમાં તેને આખો બતાવવો હોય તો બહુ નાનો ચીતરવો પડે. ઘણા ચિત્રકારોએ તેનાં લાઈન ડ્રોઈંગ બનાવ્યાં છે. આ કિલ્લાનો પેપર કોલાજ બનાવ્યા પછી પણ મને સંતોષ થયો નહીં. એમ થાય કે હજી આની પર વધુ કામ કરવું જોઈએ.

પહેલી વાર કૉલેજમાંથી સ્ટડી ટૂર વખતે જોધપુર-જેસલમેર પહેલી વાર જવાનું બનેલું. એ પછી આ જ રુટ પર ઉર્વીશ, બિનીત અને મારો પરિવાર (કામિની અને શચિ) ગયેલાં. જોધપુર માટે અમે ખાસ બે આખા દિવસ ફાળવ્યા હતા. એ સમયે પેન્સિલથી કાચું રેખાંકન કરી રાખ્યું હતું,એ ઘણા વખત સુધી પડ્યું રહ્યું. મનમાં પણ એ એમનું એમ હતું. એટલે સમય મળતો ગયો એમ તેને પેન વડે સરખું કરતો ગયો.છેવટે એ તૈયાર થઈ ગયું ખરું. આ કિલ્લાના બીજા ભાગનાં થોડાં રેખાંકનો કર્યા હતા, પણ પછી સમય જતાં લાગ્યું કે એને સાચવી રાખવાનો અર્થ નથી. એટલે એ બધા કાઢી નાંખ્યા.

મહેરાનગઢ, જોધપુર 

****

જેસલમેરના પ્રેમમાં પડી જવાય એટલું અદભુત એ નગર છે. અહીં કોઈ શિખાઉ તસવીરકાર ગમે એવી તસવીરો લે તો પણ ઉત્તમ કમ્પોઝીશન મળી રહે. બે વખત અહીં જવાનું બન્યું ત્યારે હજી ડીજીટલ કેમેરા અવ્યો નહોતો. આથી રોલવાળા કેમેરા વડે અહીંના અઢળક ફોટા પાડ્યા હતા. કદાચ પ્રવાસખર્ચ અને રોલ + નેગેટીવ ડેવલપ કરાવવાનો ખર્ચ સરખો હોય તો નવાઈ નહીં. જેસલમેરના કિલ્લાના પ્રવેશદ્વારનો આ ભાગ મારું ગમતું સ્થળ છે. આ સ્થળનાં ડ્રોઈંગ, વૉટર કલર અને કોલાજ બનાવ્યાં છે, પણ એમાં સૌથી ગમતું આ ડ્રોઈંગ છે. માનવાકૃતિઓ દોરવાની મને ફાવટ ઓછી હોવાથી જે તે સ્થળની જીવંતતા બતાવવા પૂરતો જ એનો ઉપયોગ કરી લઉં છું.

જેસલમેરના કિલ્લાનું પ્રવેશદ્વાર

**** 

ઑગષ્ટ, 2001માં ઉર્વીશ અને અમે માત્ર પુષ્કર જયપુરનો પાંચ દિવસનો કાર્યક્રમ બનાવેલો. એ વખતે ઈશાન દોઢ-પોણા બે વરસનો હતો. પુષ્કર એક દિવસ રોકાઈને ચાર દિવસ અમે જયપુરમાં ફરેલા. વર્ષના બાકીના દિવસોએ સાવ સુસ્ત અને શાંત એવા પુષ્કરમાં પગપાળા ફરેલા. એ સમયે એકે સ્કેચ બનાવી ન શકાયો. પણ પાછા આવી હોટેલની અગાસીમાં બેઠા હતા એ વખતે સામે આવેલા એક મકાન પર નજર પડી. સાવ ખંડેર જેવા દેખાતા એ મકાન પર મારી નજર વળી વળીને જતી હતી. મારાથી રહેવાયું નહીં એટલે છેવટે સ્કેચબુક લઈ આવ્યો અને અગાસીમાં બેસીને જ એનું ડ્રોઈંગ બનાવ્યું. આ માળખું એવું અટપટું હતું, અને એ મને ઊંચાઈ પરથી વધુ અટપટું લાગતું હતું. આથી એનું આખું ડ્રોઈંગ મેં ત્યાં જ પૂરું કર્યું. ફક્ત રેન્‍ડરીંગ (શેડ) કરવાનું બાકી રાખ્યું. આજે પણ મારું આ ગમતું ચિત્ર છે. 

પુષ્કરનું એક દૃશ્ય 

**** 
એ જ પ્રવાસમાં જયપુરમાં ગાળેલા ચાર દિવસ દરમિયાન ખાસ કામ થઈ ન શક્યું. પણ એક બગીચામાં ગયા ત્યાં જરા નિરાંત હતી એટલે આ ચિત્ર દોરી લીધું. આ સ્થળ કયું છે એ ચોક્કસપણે યાદ નથી, પણ જયપુરમાં, ખાસ કરીને રાજસ્થાનમાં આવા ગુંબજ અને આવી કમાનો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. 

જયપુર 

****

એપ્રિલ, 2002માં મારી કમ્પની તરફથી યુનિટ લેવલની ટૂરમાં જવાનું ગોઠવાયું. એમાં અંતિમ મંઝીલ મનાલી હતી. મનાલી હું અગાઉ જઈ આવેલો હતો. આથી અમુક સ્થળો ફરી જોવાનો લોભ જતો કરીને મેં ચિત્રો બનાવવા પર ધ્યાન કેન્‍દ્રિત કર્યું. તેનું પરિણામ એટલે આ ચિત્રો. સીધા જ પેનથી દોરેલાં ચિત્રોમાં ઝીણવટભર્યું કામ હું હોટેલની રૂમ પર આવીને કરતો.

મનાલી (હિ.પ્ર.) 

મનાલી (હિ.પ્ર.) 

મનાલી (હિ.પ્ર.) 

**** 

મારો સહકાર્યકર રમેશ ભોયા લુહેરી (તા.ધરમપુર) ગામનો. એને ત્યાં મારા બીજા એક- બે સહકાર્યકરો જઈ આવેલા. તેમની પાસેથી મેં એ ગામનું વર્ણન સાંભળેલું. આથી એક વખત ત્યાં જવું એમ નક્કી કર્યું. મે, 2002માં અનુકૂળતા ગોઠવાઈ એટલે અમે ચારે (મારા ઉપરાંત કામિની, શચિ અને ઈશાન) ઉપડ્યા. વલસાડથી ધરમપુર બસમાં આવી ગયા, પણ ધરમપુરથી લુહેરીનો રસ્તો પથરાળ હતો. અહીં જીપ ચાલતી હતી, પણ એ વખતે જીપ મળે એમ નહોતી. અમે મૂંઝાતા હતા. ત્યાંથી રમેશને ફોન કર્યો. રમેશના મોટા ભાઈ શાંતિલાલ ધરમપુર આવેલા હતા. એ બસસ્ટેન્‍ડ પર જ ઊભેલા. તેમણે અમને ઓળખી પાડ્યા. યાદ છે ત્યાં સુધી તેમની સાથે બીજા એક મિત્ર પણ હતા. અમે ચારે જણ તેમના સ્પ્લેન્ડર બાઈક પર વહેંચાઈને ગોઠવાયા. પથરાળ રસ્તે બાઈક ચલાવવામાં જોખમ હતું, પણ અમે એની મજા માણી. આખરે અમે લુહેરી પહોંચ્યા. સામે જ દેખાતો પર્વત, અને એની ગોદમાં વસેલું આ ગામ. અમને આખું દૃશ્ય જોઈને જ મજા પડી ગઈ. અહીં અમારે બે દિવસ રોકાવાનું હતું એ વિચારે રોમાંચ થઈ આવ્યો. નીચે બનાવેલું પેન ડ્રોઈંગ એ જ દૃશ્યનું છે, જે અમને રમેશના ઘર પાસે પહોંચતાં જ જોવા મળ્યું. એમાં દેખાતા મકાનમાં જ અમારો ઊતારો હતો. સાંજે અમે એ પર્વત પર ચડ્યા અને ત્યાં આવેલી ગુફા પણ જોઈ. ક્યારેક એમાં વાઘ રહેતો હતો અને કદીક ગામ ભણી પણ દેખા દેતો એવી વાત સાંભળી. ઈશાન સાવ અઢી-ત્રણ વરસનો હોવાથી રમેશે એને ઊંચકીને ચડાવવા માટે ખાસ બે માણસોની વ્યવસ્થા કરેલી. 

બીજા દિવસે તાડફળીની મિજબાની હતી. ત્રણ-ચાર માણસો સાધન સાથે તાડના ઝાડ પર ચડ્યા અને તાડનાં ફળને કાપી કાપીને નીચે મોકલવા માંડ્યા. અમે ધરાઈને તાડફળી ખાધી. ગામમાં ફળિયું હતું, પણ દરેક ઘર એકમેકથી ઘણાં દૂર. આથી મોકળાશ બહુ લાગતી. રમેશના અમુક સગાં પણ એ જ ગામમાં રહેતા હતા. એમણે અમને ચા પીવા નોંતર્યા અને અમે પણ હોંશે હોંશે એમને ત્યાં જઈને કાવાનો સ્વાદ લીધો. 

લુહેરી (તા.ધરમપુર) 

ઉપર જે ઘર દોર્યું છે તેનો આ આગલો ભાગ છે. એમ થાય કે કુદરતની ગોદમાં અહીં જ રહી પડીએ અને ક્યાંય ન જઈએ. પણ એ ક્યાં શક્ય બને છે! આ બન્ને ચિત્રોમાં લુહેરીની યાદગીરી સચવાઈ ગઈ છે. 

લુહેરી 

બસ, આ ચિત્રો મારાં એ સમય પૂરતાં છેલ્લાં ચિત્રો બની રહ્યાં. કેમ કે, એ જ વરસે ઑગષ્ટ, 2002માં રજનીકુમાર પંડ્યા સાથે એક જીવનકથાના પ્રોજેક્ટમાં સક્રિયપણે સંકળાવાનું બન્યું. તેને પગલે લેખનની, ખાસ કરીને ચરિત્રલેખનની દિશા નિશ્ચિત બની. 2007થી તો નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ક્ષેત્રાંતર કર્યું અને પૂર્ણ સમયનું વ્યાવસાયિક લેખન આરંભ્યું. પંદરેક વરસ જેટલા અંતરાલ પછી ફરી મેં પેન અને સ્કેચબુક હાથમાં પકડ્યાં એના વિશે મેં અહીં જણાવેલું છે. 

હવે એ છૂટુંછવાયું, પણ ચાલુ રહ્યું છે ખરું. 


(ક્રમશ:) 

(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.)  

આ શ્રેણીની ત્રીજી કડી અહીં અને પાંચમી કડી અહીં વાંચી શકાશે.