નડિયાદની ઝઘડીયા પોળમાં આવેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન એવા 'ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર'માં 19 ફેબ્રુઆરી, 2023ને રવિવારના રોજ એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન હતું. 'ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક નગરો' વિષય પરના પરિસંવાદમાં ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સમાં રહી ચૂકેલાં વિવિધ નગરોની વાત વિદ્વાન વક્તાઓ દ્વારા કરવામાં આવી. પ્રાધ્યાપક બિરાદરી અને વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક સાહિત્યરસિકોએ સવારથી સાંજના આ પરિસંવાદમાં ભાગ લીધો. પરિસંવાદની વિગતો વિશે તેમાં ભાગ લેનારાઓ પોતપોતાની રીતે લખશે, પણ આ સમગ્ર ઉપક્રમમાં ઊડીને આંખે વળગે એવું તેના આયોજનનું પાસું હતું. પ્રા. ડૉ. હસિત મહેતાના માર્ગદર્શનમાં થયેલા આ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે સંકળાય એ જોઈને આંખ ઠરે એવું હતું. સવાસો-દોઢસો વર્ષના આ મકાનમાં જાણે કે હજી એ કાળનાં સ્પંદનો અનુભવી શકાય છે.
Tuesday, February 18, 2025
સેમિનારની સમાંતરે....
Saturday, August 17, 2024
સમય કા યે પલ, થમ સા ગયા હૈ
જવા નીકળેલા નાશિક, અને નાશિક પહોંચ્યા પછી ખબર પડી કે હકીકતમાં અમારે દેવલાલી જવાનું છે. નાશિકથી સહેજ આગળ. એક વ્યાવસાયિક કામ હતું. દેવલાલી અત્યાર સુધી નામ જ સાંભળેલું. ગુરુવારે વહેલી સવારે સાડા ચારે મુસાફરી આરંભ્યા પછી બપોરે એકના સુમારે દેવલાલી 'ટચ' થઈ ગયા. અનેક લોકોને મળવાનું હતું, અને સૌ એક જ સ્થળે આવી ગયેલા એટલે અઢી ત્રણ કલાક એ કાર્યવાહી ચાલી. એ પછી અમુક સ્થળો જોવા નીકળ્યા, જે પણ સાંદર્ભિક હતાં. પણ અહીં અંગ્રેજોએ બનાવેલાં અનેક મકાનો જોવા મળ્યા. એક સમયે ટી.બી.ના દરદીઓ માટે શુદ્ધ હવા માટેનું આ આદર્શ સ્થળ મનાતું. આને કારણે અહીં અનેક ટી.બી. સેનેટોરિયમ આવેલાં છે. અહીંનું સૌથી આકર્ષક પાસું એટલે આ અંગ્રેજી શૈલીનાં મકાનો. અહાહા! શી એની મોકળાશ! શું એનું ફર્નિચર! શી એની જાળવણી! હા, આમાંના મોટા ભાગના કાર્યરત સ્થિતિમાં છે અને સરસ રીતે જળવાયેલાં છે.
Wednesday, August 14, 2024
દમણપ્રવાસ (3): તપસ્વીઓ ગમે છે કેવળ વેદી પર
દમણના કોટવિસ્તારમાં પગપાળા ફરતાં તેના દરિયા તરફના મુખ્ય પ્રવેશદ્વારને બિલકુલ અડકીને એક નાનકડું, આકર્ષક મકાન નજરે પડે છે. બેઠા ઘાટનું, નળિયાં ધરાવતું આ મકાન પોર્ચુગીઝ શૈલીનું છે એ જણાઈ આવે. મકાન જો કે, બંધ હાલતમાં છે, પણ તેનો જિર્ણોદ્ધાર થયેલો હોવાનો ખ્યાલ આવી જાય. નજીક જઈને જોતાં તેની પર પોર્ચુગીઝમાં લખાયેલી એક તકતી પણ જોવા મળી. તકતીનો ફોટો લઈ લીધો, અને ઘેર આવીને એ વિશે વધુ તપાસ કરતાં જણાયું કે આ મકાનમાં એક સમયે પોર્ચુગીઝ કવિ બોકાઝ/Bocage રહી ચૂકેલા.
Tuesday, August 13, 2024
દમણપ્રવાસ (2): સદીઓથી ઊભેલો સાક્ષી
કિલ્લા વિશે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હોઈએ એ આખી વાત અલગ, પણ કિલ્લાની રૂબરૂ મુલાકાત લેવાની થાય ત્યારે ખરેખરો રોમાંચ થઈ આવે. દમણના કિલ્લાની મુલાકાત લેતાં પણ આવી જ લાગણી થાય.
Saturday, July 29, 2023
લદાખના રેખાંકનો (5)
અત્યાર સુધી જોયેલા મહેલોની સાથે સરખાવતાં એ જરા જુદો જણાઈ આવે, પણ લેહમાં ઠીક ઠીક ઊંચાઈએ બનાવાયેલો આ મહેલ તરત જ ધ્યાન ખેંચે એવો છે. ચારસો વર્ષ જૂના આ પ્રસાદનું નિર્માણ રાજા સિંગે નામગ્યાલના શાસનકાળમાં હાથ ધરાયેલું. પોતાના બળનું પ્રદર્શન કરી શકાય એ માટે લેહના ઊંચા પર્વત પર નવ માળનું આ ભવન તૈયાર કરાવાયું. સ્થાનિક કારીગરો અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે મહેલ માટે ઉપયોગમાં લેવાયેલા પથ્થરો ફ્યાંગ તથા સાબૂ ગામમાંથી મંગાવાયેલા. લાકડાંને અલમ તિલતથી ઝંસ્કર નદીના પ્રવાહમાં વહેવડાવીને યોગ્ય સ્થાને પહોંચાડાયેલાં. નિર્માણે ત્રણ વર્ષ લીધાં.
પુરાતત્ત્વ ખાતાએ ઘણું બધું કામ કરવું પડ્યું હશે, પણ એ યોગ્ય રીતે કરાયેલું જણાય છે. અહીં મૂકેલાં બે ચિત્રોમાં દૂરથી દેખાતો લેહ પેલેસ તેમજ એ પેલેસનો અંદરનો એક હિસ્સો ચીતરાયેલાં છે.
![]() |
| લેહ પેલેસ |
![]() |
| લેહ પેલેસની અંદરનો એક ભાગ |
Thursday, July 27, 2023
લદાખનાં રેખાંકનો (4)
પંદરેક હજાર ફીટની ઊંચાઈએ આવેલું ત્સો (સરોવર) મોરીરી અને એને કાંઠે વસેલું કર્ઝોક ગામ. માંડ સોએક ઘરો હશે. એક તરફ સરોવર અને તેની પેલે પાર હિમાચ્છાદિત શીખરો, અને બીજી તરફ રેતાળ પર્વતો. આટલી ઊંચાઈએ કશું ન ઉગે એ સ્વાભાવિક છે, આથી પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા અહીંના લોકો કદાચ શિયાળામાં નીચેના ભાગમાં જતા હશે. આવા નાનકડા ગામમાંય ચારસો વર્ષ જૂની એક મોનેસ્ટ્રી હતી.
Monday, July 24, 2023
લદાખનાં રેખાંકનો (3)
![]() |
| હુન્દર ગામનો એક રસ્તો |
![]() |
| હુન્દરમાં જોવા મળતાં બે ખૂંધવાળાં બેક્ટ્રિઅન ઊંટ |
Sunday, July 23, 2023
લદાખનાં રેખાંકનો (2)
લેહ અને તેની આસપાસના વિસ્તારોમાં બૌદ્ધ ધર્મીઓની બહુમતિ છે. લેહ અને તેની આસપાસ અનેક મહત્ત્વની મોનેસ્ટ્રી/ગોન્પા આવેલાં છે, જે દરેકનું આગવું માહાત્મ્ય હશે. મને બુદ્ધમાં રસ ખરો, પણ બૌદ્ધ ધર્મમાં નહીં, આથી અમે નક્કી કરેલું કે એકાદ બે મોનેસ્ટ્રીની મુલાકાત લઈશું. બધે નહીં જઈએ. લેહથી બાવીસેક કિ.મી.ના અંતરે આવેલા ઠિક્સે ગામે આવેલી મોનેસ્ટ્રીની અમે મુલાકાત લીધી. લેહ આવતો ભાગ્યે જ કોઈ પ્રવાસી એવો હશે કે જેણે આ મોનેસ્ટ્રીની મુલાકાત ન લીધી હોય. ઊંચાઈ પર આવેલી હોવાથી આ મોનેસ્ટ્રી પરથી આસપાસનું દૃશ્ય સુંદર રીતે જોઈ શકાય છે. તદુપરાંત આ મોનેસ્ટ્રીના રંગ એકદમ તાજા કરેલા હોય એમ જણાયું. તેને કારણે તેના ફોટા લેવાનું આકર્ષણ પ્રવાસીઓમાં હોય એ સ્વાભાવિક છે. અહીંનું મુખ્ય આકર્ષણ પંદરેક મીટર ઊંચી મૈત્રેય બુદ્ધની પ્રતિમા છે.
![]() |
| ઠિક્સે મોનેસ્ટ્રીનું નીચેથી દેખાતું દૃશ્ય |
![]() |
| વિરાટ કદનું પ્રેયર વ્હીલ |
![]() |
| તિબેટના પૌરાણિક પ્રાણી સ્નો લાયનની પ્રતિમા |
Saturday, July 22, 2023
લદાખનાં રેખાંકનો (1)
લેહમાં એક ટેકરી પર આવેલા શાંતિસ્તૂપનું નિર્માણ 1991માં જાપાની બૌદ્ધ ભિખ્ખુ ગ્યોમો નાકામુરા દ્વારા, બૌદ્ધ ધર્મના 2500 વર્ષ થઈ રહ્યા હતા એ નિમિત્તે કરાવવામાં આવ્યું હતું. તેના તળિયે ભગવાન બુદ્ધના અવશેષો છે, જેનું 14મા દલાઈ લામા દ્વારા અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. બે સ્તરીય બાંધકામ ધરાવતા આ સ્તૂપના પ્રથમ મજલે આસપાસ બે હરણ ધરાવતું ધર્મચક્ર છે અને મધ્યમાં સોનેરી રંગના બુદ્ધ બિરાજમાન છે. અન્ય બાજુએ તેમના જન્મ અને મૃત્યુ (પરિનિર્વાણ)નો ઘટનાક્રમ દર્શાવાયો છે, તેમજ તેમની તપશ્ચર્યામાં ભંગ કરતા દૈત્યોને તેઓ પરાજિત કરતા બતાવાયા છે.
![]() |
| શાંતિ સ્તૂપ, લેહ |
![]() |
| શાંતિ સ્તૂપના તળિયાની પેનલમાં હાથીની આકૃતિ (સિમેન્ટમાં કોતરાયેલી) |
Monday, February 20, 2023
સાહિત્ય- બાહિત્ય (6)
વધેલાનો કરીએ વઘાર
Friday, February 17, 2023
વાત એક પુસ્તકની સર્જનપ્રક્રિયાની ( = પુસ્તકપ્રચારનો એક નુસખો)
તાજેતરમાં પ્રકાશિત મારા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય' બાબતે ખૂણેખૂણેથી પૂછપરછ આવી રહી છે. ( = લોકો ખૂણે ભરાઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે આ પુસ્તક વિશે લખાતું બંધ થાય ત્યારે અમને જાણ કરજો) આ અનન્ય અને અભૂતપૂર્વ વ્યંગ્યપુસ્તક બાબતે બે શબ્દો કહેવા અસ્થાને નહીં ગણાય. ( =સીદીબાઈને સીદકાં વહાલાં) અસલમાં અમદાવાદમાં 2015માં યોજાયેલા પુસ્તકમેળા વખતે સાવ અનાયાસે આ પુસ્તકનું બીજ રોપાયું હતું. પુસ્તકમેળામાં ઊભી થતી કેટલીક પરિસ્થિતિઓ વિશે કાલ્પનિક સંવાદો લખવાનો આરંભ કર્યો ત્યારે એમ વિચાર્યું કે એને કશુંક શિર્ષક આપવું. ઝાઝું વિચાર્યા વગર એને નામ આપ્યું 'અનપ્લગ્ડ'. એ વખતે મનમાં એમ કે એકાદ બે દિવસ આવી મસ્તી કરીશું. પણ ધીમે ધીમે એમાં મઝા પડવા લાગી. એટલે એ લખાતું ગયું. એ પુસ્તકમેળો તો પૂરો થયો, પણ પછી બીજા વરસે એ આવ્યો ત્યારે લોકોએ 'અનપ્લગ્ડ'ને યાદ કર્યું. ( = કોઈ પણ સર્જનપ્રક્રિયાને પબ્લિક ડિમાન્ડ સાથે જોડવાથી વજન પડે.) ત્રણ-ચાર વરસ પુસ્તકમેળા દરમિયાન આ દોર ચાલ્યો એ પછી મેં આ તમામ લખાણને ભેગા કર્યા. તેને લેખક, વાચક, પ્રકાશક, ઈનામ- પુરસ્કાર, પુસ્તકમેળો એમ વિવિધ શિર્ષક મુજબ વિભાજીત કર્યા અને 'સાર્થક પ્રકાશન'ના અધિષ્ઠાતાઓ અને કેટલાક મિત્રોને મોકલી આપ્યા. ( = તમને હીરાની પરખ ન હોય તો હીરાને સ્વમુખે 'લાખ હમારા મોલ' કહેવાનો વાંધો નથી.) તીક્ષ્ણ વ્યાવસાયિક સૂઝ ધરાવતા કાર્તિક શાહ અને તીવ્ર રમૂજવૃત્તિનાં માલકણ હેતલ દેસાઈએ એ વાંચીને તરત કહ્યું, 'આનું પુસ્તક કરો.' ( = તીર નિશાને લાગ્યું.) જો કે, એ પછી એમાં ઘણો વિલંબ થયો. ( = એક સાથે બબ્બે જણ શૂળી પર ચડવાનું કહે ત્યારે ઉતાવળ ન કરવી.) આખરે ઘણા અંતરાલ પછી આ પુસ્તક આપના હાથમાં છે. (=તમે મંગાવો, ભઈશાબ, તો જ એ તમારા હાથમાં આવશે.)
Sunday, April 17, 2022
યે પાંવ બહોત હસીન હૈ
ભગવાન શ્રીકૃષ્ણને લગતી ફિલ્મો અને ટી.વી. ધારાવાહિકો જેટલી જોઈ શક્યો છું એમાં ક્યાંય તેમના અંતિમ સમયનું દૃશ્ય જોવાનું આવ્યું નથી. કહેવાય છે કે તેઓશ્રી એક વૃક્ષ નીચે આરામ ફરમાવી રહ્યા હતા અને તેમના પગનું તળિયું જ દેખાતું હતું. એક પારધિની નજર તેની પર પડી અને તે સમજ્યો કે આ હરણ છે. તેણે તીર ચલાવ્યું અને એ તીર બરાબર નિશાન પર લાગ્યું. અને શ્રીકૃષ્ણનો ધ એન્ડ.....!
![]() |
| રાત્રે ટ્રેનમાં કરેલું ચિત્રાંકન |
Wednesday, April 13, 2022
પ્રેમગલી
દો દિલોં કો યે દુનિયા મિલને હી નહીં દેતી,
Tuesday, April 12, 2022
ધુમ્રયંત્ર
રાજ કપૂરની 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી' ગીત થકી સ્વપ્નશ્રેણીનો આરંભ થયા પછી આજ દિન સુધી ઘણી ફિલ્મોનું તે આકર્ષણ બની રહી છે. મે-જૂન દરમ્યાન અમે ગ્રહણ (હિમાચલ પ્રદેશ)ના પ્રવાસે ગયા ત્યારે ધુમ્મસની લીલા જોઈને દંગ રહી જવાયું હતું. એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે આ જ લીલા અમને ઘેરબેઠે જોવા મળશે.
![]() |
| ધુમ્રયંત્ર (ચિત્રાંકન: બીરેન) |
Saturday, March 12, 2022
અધૂરી સફરની અધૂરી વાત (5): પેપર કોલાજ
![]() |
| મહેરાનગઢનું પ્રવેશદ્વાર |
![]() |
| જોધપુરનો મહેરાનગઢ |
![]() |
| દીવના કિલ્લાના પ્રવેશદ્વારની તસવીર |
![]() |
| બીજી મુલાકાત વખતે બનાવેલું દીવના કિલ્લાનું પેન ડ્રોઈંગ |
પેપર કોલાજ બીજાં પણ ઘણાં છે, પણ એ ફ્રેમ કરેલાં હોવાથી એની તસવીર બરાબર લઈ શકાતી નથી. એ કારણે અહીં મૂક્યા નથી.
કલાની મારી અધૂરી સફરની વાત આટલે જ અટકાવું છું. હવે એમાં આગળઉપર જે કામ થતું રહેશે એ અહીં મૂકતો રહીશ. ચિત્રાંકનમાં એક નવો ફાંટો કાર્ટૂન દોરવાનો પડ્યો છે, જેના વિશે વિગતે અહીં વાંચી શકાશે.
(સમાપ્ત)
(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.)
આ શ્રેણીની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કડી અહીં વાંચી શકાશે.
Friday, March 11, 2022
અધૂરી સફરની અધૂરી વાત (4) : પ્રવાસ દરમિયાન દોરેલાં ચિત્રો
ફાઈન આર્ટ્સનો અભ્યાસક્રમ છૂટી ગયો, પણ એ પછી અનિયમિતપણે કામ ચાલુ રહી શક્યું. જો કે, 1997થી વડોદરા સ્થાયી થવા આવ્યો અને બે વરસ મારું મકાન બનાવવાનું ચાલ્યું એ વખતે એ સંગ છૂટ્યો. એ અરસામાં ક્યાંય પ્રવાસે જવાનું થાય ત્યારે હું સ્કેચબુક અને પેન સાથે રાખતો અને સમય મળ્યે ચિત્રાંકન કરી લેતો. પેન્સિલથી હું બને ત્યાં સુધી કામ નહોતો કરતો. અહીં મૂકેલાં ચિત્રો આ રીતે પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચને વિકસાવીને બનાવેલા છે. એટલે કે મૂળભૂત રેખાંકન પેન યા પેન્સિલથી તૈયાર કરી રાખ્યું હોય, પણ એમાં ઝીણવટભર્યું કામ ઘેર આવ્યા પછી કર્યું હોય. આમ થવાનું કારણ એ કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે નવું સ્થળ જોવાની પણ બહુ જ ઈચ્છા હોય, ત્યાં તસવીરો લેવાની બહુ ગમે, અને ચિત્રોય કરવા હોય. ઉપરાંત સાથેના પરિવારજનો-મિત્રોનો પણ ખ્યાલ રાખવાનો હોય. આથી ઘેર આવીને તેની પર નિરાંતે કામ કરી શકાતું. ડ્રોઈંગમાં મને ખાસ કરીને લેન્ડસ્કેપ, અમુક પ્રકારના આર્કિટેક્ચરલ વ્યૂ વગેરે કાગળ પર ઉતારવા વધુ ગમતા. માનવાકૃતિઓ દોરવા બાબતે હું ખાસ ઉત્સાહી ન હતો. અહીં મૂકેલાં આ ડ્રોઈંગ મેં અલગ અલગ સ્થળના પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચના આધારે તૈયાર કરેલા છે. તેમનો સમયગાળો 1997થી 2002ની વચ્ચેનો હશે.
****
જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એટલો અદભુત છે કે મનમાંથી એ કદી ખસે નહીં. એનું સ્થાન એવું છે કે શહેરમાં ગમે ત્યાંથી એ નજરે પડે. એની તસવીરો લેતાં ધરવ ન થાય અને એનાં ડ્રોઈંગ બનાવતાં જ રહીએ એમ થાય. પણ તેનું કદ અને વ્યાપ એવાં છે કે મારા જેવા શિખાઉથી થોડા કલાકોમાં કે એક દિવસમાં એ કરી ન શકાય. આ કિલ્લો સમગ્રપણે એટલો વિશાળ છે કે સામાન્ય કદના કાગળમાં તેને આખો બતાવવો હોય તો બહુ નાનો ચીતરવો પડે. ઘણા ચિત્રકારોએ તેનાં લાઈન ડ્રોઈંગ બનાવ્યાં છે. આ કિલ્લાનો પેપર કોલાજ બનાવ્યા પછી પણ મને સંતોષ થયો નહીં. એમ થાય કે હજી આની પર વધુ કામ કરવું જોઈએ.
પહેલી વાર કૉલેજમાંથી સ્ટડી ટૂર વખતે જોધપુર-જેસલમેર પહેલી વાર જવાનું બનેલું. એ પછી આ જ રુટ પર ઉર્વીશ, બિનીત અને મારો પરિવાર (કામિની અને શચિ) ગયેલાં. જોધપુર માટે અમે ખાસ બે આખા દિવસ ફાળવ્યા હતા. એ સમયે પેન્સિલથી કાચું રેખાંકન કરી રાખ્યું હતું,એ ઘણા વખત સુધી પડ્યું રહ્યું. મનમાં પણ એ એમનું એમ હતું. એટલે સમય મળતો ગયો એમ તેને પેન વડે સરખું કરતો ગયો.છેવટે એ તૈયાર થઈ ગયું ખરું. આ કિલ્લાના બીજા ભાગનાં થોડાં રેખાંકનો કર્યા હતા, પણ પછી સમય જતાં લાગ્યું કે એને સાચવી રાખવાનો અર્થ નથી. એટલે એ બધા કાઢી નાંખ્યા.
| મહેરાનગઢ, જોધપુર |
| જેસલમેરના કિલ્લાનું પ્રવેશદ્વાર |
ઑગષ્ટ, 2001માં ઉર્વીશ અને અમે માત્ર પુષ્કર જયપુરનો પાંચ દિવસનો કાર્યક્રમ બનાવેલો. એ વખતે ઈશાન દોઢ-પોણા બે વરસનો હતો. પુષ્કર એક દિવસ રોકાઈને ચાર દિવસ અમે જયપુરમાં ફરેલા. વર્ષના બાકીના દિવસોએ સાવ સુસ્ત અને શાંત એવા પુષ્કરમાં પગપાળા ફરેલા. એ સમયે એકે સ્કેચ બનાવી ન શકાયો. પણ પાછા આવી હોટેલની અગાસીમાં બેઠા હતા એ વખતે સામે આવેલા એક મકાન પર નજર પડી. સાવ ખંડેર જેવા દેખાતા એ મકાન પર મારી નજર વળી વળીને જતી હતી. મારાથી રહેવાયું નહીં એટલે છેવટે સ્કેચબુક લઈ આવ્યો અને અગાસીમાં બેસીને જ એનું ડ્રોઈંગ બનાવ્યું. આ માળખું એવું અટપટું હતું, અને એ મને ઊંચાઈ પરથી વધુ અટપટું લાગતું હતું. આથી એનું આખું ડ્રોઈંગ મેં ત્યાં જ પૂરું કર્યું. ફક્ત રેન્ડરીંગ (શેડ) કરવાનું બાકી રાખ્યું. આજે પણ મારું આ ગમતું ચિત્ર છે.
| પુષ્કરનું એક દૃશ્ય |
| જયપુર |
****
એપ્રિલ, 2002માં મારી કમ્પની તરફથી યુનિટ લેવલની ટૂરમાં જવાનું ગોઠવાયું. એમાં અંતિમ મંઝીલ મનાલી હતી. મનાલી હું અગાઉ જઈ આવેલો હતો. આથી અમુક સ્થળો ફરી જોવાનો લોભ જતો કરીને મેં ચિત્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનું પરિણામ એટલે આ ચિત્રો. સીધા જ પેનથી દોરેલાં ચિત્રોમાં ઝીણવટભર્યું કામ હું હોટેલની રૂમ પર આવીને કરતો.
| મનાલી (હિ.પ્ર.) |
| મનાલી (હિ.પ્ર.) |
| મનાલી (હિ.પ્ર.) |
****
મારો સહકાર્યકર રમેશ ભોયા લુહેરી (તા.ધરમપુર) ગામનો. એને ત્યાં મારા બીજા એક- બે સહકાર્યકરો જઈ આવેલા. તેમની પાસેથી મેં એ ગામનું વર્ણન સાંભળેલું. આથી એક વખત ત્યાં જવું એમ નક્કી કર્યું. મે, 2002માં અનુકૂળતા ગોઠવાઈ એટલે અમે ચારે (મારા ઉપરાંત કામિની, શચિ અને ઈશાન) ઉપડ્યા. વલસાડથી ધરમપુર બસમાં આવી ગયા, પણ ધરમપુરથી લુહેરીનો રસ્તો પથરાળ હતો. અહીં જીપ ચાલતી હતી, પણ એ વખતે જીપ મળે એમ નહોતી. અમે મૂંઝાતા હતા. ત્યાંથી રમેશને ફોન કર્યો. રમેશના મોટા ભાઈ શાંતિલાલ ધરમપુર આવેલા હતા. એ બસસ્ટેન્ડ પર જ ઊભેલા. તેમણે અમને ઓળખી પાડ્યા. યાદ છે ત્યાં સુધી તેમની સાથે બીજા એક મિત્ર પણ હતા. અમે ચારે જણ તેમના સ્પ્લેન્ડર બાઈક પર વહેંચાઈને ગોઠવાયા. પથરાળ રસ્તે બાઈક ચલાવવામાં જોખમ હતું, પણ અમે એની મજા માણી. આખરે અમે લુહેરી પહોંચ્યા. સામે જ દેખાતો પર્વત, અને એની ગોદમાં વસેલું આ ગામ. અમને આખું દૃશ્ય જોઈને જ મજા પડી ગઈ. અહીં અમારે બે દિવસ રોકાવાનું હતું એ વિચારે રોમાંચ થઈ આવ્યો. નીચે બનાવેલું પેન ડ્રોઈંગ એ જ દૃશ્યનું છે, જે અમને રમેશના ઘર પાસે પહોંચતાં જ જોવા મળ્યું. એમાં દેખાતા મકાનમાં જ અમારો ઊતારો હતો. સાંજે અમે એ પર્વત પર ચડ્યા અને ત્યાં આવેલી ગુફા પણ જોઈ. ક્યારેક એમાં વાઘ રહેતો હતો અને કદીક ગામ ભણી પણ દેખા દેતો એવી વાત સાંભળી. ઈશાન સાવ અઢી-ત્રણ વરસનો હોવાથી રમેશે એને ઊંચકીને ચડાવવા માટે ખાસ બે માણસોની વ્યવસ્થા કરેલી.
બીજા દિવસે તાડફળીની મિજબાની હતી. ત્રણ-ચાર માણસો સાધન સાથે તાડના ઝાડ પર ચડ્યા અને તાડનાં ફળને કાપી કાપીને નીચે મોકલવા માંડ્યા. અમે ધરાઈને તાડફળી ખાધી. ગામમાં ફળિયું હતું, પણ દરેક ઘર એકમેકથી ઘણાં દૂર. આથી મોકળાશ બહુ લાગતી. રમેશના અમુક સગાં પણ એ જ ગામમાં રહેતા હતા. એમણે અમને ચા પીવા નોંતર્યા અને અમે પણ હોંશે હોંશે એમને ત્યાં જઈને કાવાનો સ્વાદ લીધો.
| લુહેરી (તા.ધરમપુર) |
ઉપર જે ઘર દોર્યું છે તેનો આ આગલો ભાગ છે. એમ થાય કે કુદરતની ગોદમાં અહીં જ રહી પડીએ અને ક્યાંય ન જઈએ. પણ એ ક્યાં શક્ય બને છે! આ બન્ને ચિત્રોમાં લુહેરીની યાદગીરી સચવાઈ ગઈ છે.
| લુહેરી |
બસ, આ ચિત્રો મારાં એ સમય પૂરતાં છેલ્લાં ચિત્રો બની રહ્યાં. કેમ કે, એ જ વરસે ઑગષ્ટ, 2002માં રજનીકુમાર પંડ્યા સાથે એક જીવનકથાના પ્રોજેક્ટમાં સક્રિયપણે સંકળાવાનું બન્યું. તેને પગલે લેખનની, ખાસ કરીને ચરિત્રલેખનની દિશા નિશ્ચિત બની. 2007થી તો નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ક્ષેત્રાંતર કર્યું અને પૂર્ણ સમયનું વ્યાવસાયિક લેખન આરંભ્યું. પંદરેક વરસ જેટલા અંતરાલ પછી ફરી મેં પેન અને સ્કેચબુક હાથમાં પકડ્યાં એના વિશે મેં અહીં જણાવેલું છે.
હવે એ છૂટુંછવાયું, પણ ચાલુ રહ્યું છે ખરું.














.jpeg)


















