Showing posts with label daansingh. Show all posts
Showing posts with label daansingh. Show all posts

Tuesday, June 21, 2011

દાનસીંગની વિદાય: અપની કિસ્મત હી કુછ ઐસી થી...



(image courtsey: India Today)
હિંદી ફિલ્મોના ગીતસંગીતનો દરિયો અગાધ છે. અનેક ગાયકો, સંગીતકારો, ગીતકારોનું તેમાં પ્રદાન છે. સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપનારા સંગીતકારોથી લઈને ગણીગાંઠી ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર સંગીતકારોએ આ દરિયાને સમૃદ્ધ કર્યો છે. આવા જ એક સંગીતકાર દાનસીંગનું ૧૮મી જૂન, ૨૦૧૧ ને શુક્રવારના રોજ અવસાન ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું. દાનસીંગની ફિલ્મોની સંખ્યા તો એક જ આંગળીના વેઢામાં સમાઈ જાય એટલી છે, પણ તેમના સંગીતની ગુણવત્તા સદાકાળ છે.
ગીતસંગીતના પ્રેમીઓ અને જાણકારો માટે આ નામ અજાણ્યું નથી. ગીતસંગીતની મર્યાદિત જાણકારી ધરાવતા લોકોને કદાચ આ નામ અજાણ્યું લાગે, પણ આવા લોકો માટે દાનસીંગે સંગીતબદ્ધ કરેલું એક ગીત જ યાદ કરાવવું કાફી છે. એ ગીત એટલે મુકેશે ગાયેલું અને આનંદ બક્ષીએ લખેલું વો તેરે પ્યાર કા ગમ, ઈક બહાના થા સનમ’. (ફિલ્મ માય લવ’)
(જુઓ મુકેશ વિષે દાનસીંગ:

 
પત્ની ડો. ઉમા યાજ્ઞિક સાથે દાનસીંગ
(image courtsey: India Today)
દાનસીંગનો જન્મ ૧૪મી ઑક્ટોબર, ૧૯૨૭ના રોજ થયેલો. તેમના પિતાજી સાંવલસિંહ જયપુર કલાવિદ્યાલયના આચાર્ય હતા. મેટ્રીક સુધી શાળાનો અભ્યાસ કરીને દાનસીંગ નોકરીની તલાશમાં ઊપડ્યા દિલ્હી. તેમનો કંઠ સુંદર અને કેળવાયેલો હતો. સંગીતકાર તરીકે જાણીતા થયા પછીય તેઓ પોતાને મૂળભૂત રીતે ગાયક જ ગણાવતા. દિલ્હીમાં તેમણે સાહિત્યરત્ન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આકાશવાણી, દિલ્હીમાં તેમણે એક વખત કવિ સુમિત્રાનંદન પંતની કવિતા પોતાના કંઠમાં રજૂ કરી, એ સાંભળીને પંતજી બહુ રાજી થઈ ગયેલા.
નસીબ અજમાવવા માટે દાનસીંગ મુંબઈ આવ્યા. મુંબઈ આવીને બેએક વરસ તેમણે સંઘર્ષ કરવો પડ્યો. પોતે ધુરંધર સંગીતકાર ખેમચંદ પ્રકાશ (મહલ ફેઈમ)ના શિષ્ય હતા. આ કારણે ફિલ્મોમાં કામ મળી રહેશે એવો તેમને વિશ્વાસ હતો. પણ તેમને ક્યાં ખબર હતી કે ફિલ્મ લાઈનમાં પ્રતિભા ઊપરાંત બીજી પણ અનેક આવડતો જરૂરી છે. જો કે, આ જ્ઞાન લાધવામાં બહુ વાર ન લાગી.
(ફિલ્મ: બવંડર)
કોઈકે તેમને ફિલ્મ્સ ડીવીઝનમાં મોકલ્યા. ફિલ્મ્સ ડીવીઝનવાળા ભાસ્કર રાવે તેમને સાંભળ્યા. સાંભળ્યા પછી તેમને આ સંગીતકારની પ્રતિભાની ઓળખ થઈ. અને ફિલ્મ્સ ડીવીઝનની એક ફિલ્મ રેત મેં ગંગામાં તેમને સંગીતની તક આપવામાં આવી. આ ફિલ્મ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પુરુષોત્તમ રુંગટાએ દાનસીંગની મુલાકાત ગાયક મુકેશ સાથે કરાવી. આ મુલાકાત ફળી અને દાનસીંગને માય લવ ફિલ્મ મળી. આ ફિલ્મમાં મુકેશે ગાયેલા વો તેરે પ્યાર કા ગમ ગીતની નોંધ લેવાઈ (આ ગીતમાં પીયાનો અને સેક્સોફોનનો અદભૂત ઉપયોગ થયો છે). તો મુકેશનું જિક્ર હોતા હૈ જબ કયામત કા, તેરે જલવોં કી બાત હોતી હૈ પણ વખણાયું. પણ દાન સીંગને સબક મેળવવા માટે બહુ રાહ ન જોવી પડી. માય લવ ફિલ્મના સંગીત પેટે તેમને કાણી પાઈ પણ ન મળી. હદ તો ત્યારે થઈ કે ક્યારેક કોઈક મહેફિલમાં પોતે સંભળાવેલી ધૂનો સીધી જ અન્ય ફિલ્મોમાં,અન્ય સંગીતકારના નામે ગીત તરીકે આવવા લાગી. દાનસીંગ માટે આ વિશ્વાસઘાત જીરવી ન શકાય એવો હતો. તેમને લાગ્યું કે આ માયાવી દુનિયા પોતાને માટે નથી. આથી તેમણે વહેલી તકે મુંબઈને અલવિદા કહી દેવાનું નક્કી કર્યું. એ અગાઉ તેમણે તૂફાનમાં સંગીત આપેલું. ભારત-ચીન યુદ્ધની કથા આધારીત ફિલ્મ ભૂલ ના જાનામાં પણ તેમનું સંગીત હતું, પણ સંરક્ષણ મંત્રાલયે વાંધો પાડતાં આ ફિલ્મ સેન્સર થઈ નહોતી. આ ફિલ્મમાં મન્નાડે દ્વારા ગવાયેલું ગીત બહી હૈ જવાં ખૂન કી આજ ધારા, ઉઠો હિંદ કી સરજમીંને પુકારા (ગીત: હરીરામ આચાર્ય) ચીનની ભૂમિમાં ઘાયલ થઈને અંતિમ શ્વાસ લેતા અને માતૃભૂમિમાં આવીને શ્વાસ છોડવા ઈચ્છતા ઘાયલ સૈનિકની મથામણ આબાદ વ્યક્ત થઈ હતી. ( આ ગીત ઓડીયોમાં  છે. સાભળવા અહી ક્લિક કરો.
<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" codebase="http://fpdownload.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=8,0,0,0" width="335" height="28" id="divplaylist"><param name="movie" value="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" /><embed src="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" width="335" height="28" name="divplaylist" type="application/x-shockwave-flash" pluginspage="http://www.macromedia.com/go/getflashplayer%22%3E%3C/embed%3E%3C/object%3E

અન્ય ત્રણ ગીતોની લીન્ક અલગથી મૂકી છે.)
મુંબઈથી આવ્યા પછી થોડો સમય શેખાવતીમાં તે રહ્યા. અહીં રહીને તેમણે રામાયણ, ગીતા તેમજ ભગવાન અય્યપ્પાની પ્રાર્થનાઓ હિંદીમાં સંગીતબદ્ધ કરી. જો કે, તેની યોગ્ય કિંમત ન મળી એટલે એ કામ પણ પડતું મૂક્યું. ત્યાર પછી તે પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક સાથે જયપુરમાં જ સ્થાયી થયા અને પોતાની રીતે જીવન ગુજારવા લાગ્યા.
૧૯૯૫માં તેમના વિષે એક લેખ પ્રસિદ્ધ થયો ત્યારે આ પ્રતિભાશાળી સંગીતકાર જયપુરમાં રહેતા હોવાની નવેસરથી જાણ થઈ. ફરી એક વાર તેમને ફિલ્મની ઑફર આવી. તેમણે એ સ્વીકારી પણ ખરી. પણ અફસોસ! એ બન્ને ફિલ્મો ખિલતે ફૂલ અને મહેફિલ રિલીઝ ન થઈ શકી. ત્યાર પછી રાજસ્થાનની ભંવરી દેવીની ઘટના પરથી બનેલી જગમોહન મુંદડાની ફિલ્મ બવંડરનાં ગીતો તેમણે સંગીતબદ્ધ કર્યાં. આ ફિલ્મમાં પાર્શ્વસંગીત હતું પંડીત વિશ્વમોહન ભટ્ટનું.
પોતાના ગુરુ ખેમચંદ પ્રકાશે મહલનું અમર ગીત આયેગા આનેવાલા રચ્યું ત્યારે જ એ ધૂનમાં રહેલી તાકાતનો અંદાજ ખેમચંદજીને આવી ગયો હશે. એટલે તેમણે આવા જ ત્રણ શબ્દો જાયેગા જાનેવાલા પરથી બીજું ગીત બનાવવાનો પડકાર ઊપાડેલો. જો કે, એ શક્ય ન થઈ શક્યું અને ખેમચંદ પ્રકાશનું દુ:ખદ અવસાન થયું. પણ આ પડકાર તેમના શિષ્ય દાનસીંગે ઊપાડી લીધો. તેમણે આ શબ્દો વિસ્તારીને ગીત તૈયાર કર્યું અને તેની ધૂન પણ બનાવી, જેના શબ્દો હતા, આનેકી શહાદત હૈ જાના, જાનેકી શહાદત હૈ આના, યહ રોજ કા આનાજાના હૈ, જાયેગા જાનેવાલા, આયેગા આનેવાલા. પણ અફસોસ! એ ગીત આપણા સુધી પહોંચી ન શક્યું. દાનસીંગને એ વાતનો અફસોસ રહી ગયેલો કે પોતે લતા મંગેશકરને પોતાના સંગીત નિર્દેશનમાં ગવડાવી ન શક્યા.  
એક પ્રતિભાશાળી સંગીતકાર તરીકે દાનસીંગ હંમેશાં યાદ રહેશે. ઝાઝી ફિલ્મોમાં એ સંગીત આપી ન શક્યા એને કોની કમનસીબી ગણવી? એમની કે સંગીતપ્રેમીઓની?
(માહિતી સ્રોત: હરીશ રઘુવંશી, સુરત)
દાનસીંગનાં લોકપ્રિય ગીતો:
- વો તેરે પ્યાર કા ગામ (ફિલ્મ: માય લવ)

- જીક્ર હોતા હૈ જબ કયામત કા (ફિલ્મ: માય લવ)

-યે તુમ્હારે રાસ્તેમે (ફિલ્મ: માય લવ)

- ગમે દિલ કિસસે કહું (ફિલ્મ: ભૂલ ના જાના)
- પુકારો મુઝે  નામ લેકર પુકારો (ફિલ્મ: ભૂલ ના જાના)
-ગોરા ગોરા મુખડા યે તૂને (ફિલ્મ: ભૂલ ના જાના)

-મેરે હમનશી મેરે હમનવા (ફિલ્મ: ભૂલ ના જાના)