Showing posts with label Konkan. Show all posts
Showing posts with label Konkan. Show all posts

Thursday, June 16, 2011

કોંકણ ડાયરી-૨



બાળના બાળપણનું ગામ

દાભોલના માર્ગે એસ.ટી. બસોની ફ્રીક્વન્સી ઘણી છે. એસ.ટી.ના વિકલ્પે અહીં ડમડમ તરીકે ઓળખાતી છ સીટવાળી ઓટોરીક્ષા જોવા મળે છે, જેમાં ટુરીસ્ટો પણ સ્થાનિક લોકોની જેમ, તેમના જેટલા જ ભાડામાં, તેમના જેટલી જ અગવડો સાથે મુસાફરી કરી શકે છે. દાભોલથી દસેક કિલોમીટર પહેલાં ચીખલગાંવ નામનું સાવ નાનકડું ગામ છે. લોકમાન્ય ટિળકનું બાળપણ આ ગામમાં ગુજર્યું હતું એમ કહેવાય છે. જો કે, બાળપણના કયા વરસો દરમ્યાન તેઓ અહીં રહ્યા હતા એ વિશે અધિકૃત માહિતી મળતી નથી. તેમના દાદાનું મકાન અહીં હતું એટલે ક્યારેક તો તેઓ અહીં રજાઓમાં આવ્યા જ હશે, એવુંય એક જણે ખાતરીપૂર્વક કહ્યું. છેલ્લા પચીસેક વરસથી આ વિસ્તારમાં કામ કરી એક સંસ્થાએ અહીં ટીળકજીનું સ્મૃતિમંદીર બંધાવીને તેમની બસ્ટ સાઇઝની પ્રતિમા  મૂકી છે, જેની  મુલાકાતે રડ્યા ખડ્યા પ્રવાસીઓ ઉપરાંત ટીળક જ્ઞાતિના લોકો આવે છે. 
આ સ્મૃતિમંદીરની બાજુમાં જ પ્રાથમિક શાળા ચાલે છે, જેમાં આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એકથી ત્રણ ધોરણના આ વિદ્યાર્થીઓ મુલાકાતીને ગુડ આફ્ટરનૂન સર’,’વેલકમ સર કહીને આવકારે ત્યારે આશ્ચર્યની સાથે આનંદ પણ થાય છે. આ શાળાના પાડોશી છે એકનાથ ચાંદોરકર. પગપાળા શાળા સુધી આવતી વિદ્યાર્થીનીઓ શાળા શરૂ થાય એ પહેલાં એકનાથજીના કૂવેથી પાણી ખેંચીને દેગડાઓ ભરી દે છે. શાળામાં થતી પ્રાર્થના જેવો જ આ નિત્યક્રમ છે. ઘરથી સાવ નજીક આવેલા બસસ્ટોપ સુધી પણ પોતાના સંતાનોને બાઇક પર મૂકવા જનાર મા-બાપ પર્વતીય વિસ્તારની અગવડયુક્ત આ શાળા જુએ તો તેમને ખ્યાલ આવે કે પોતાનું બાળક કેવા રાજાશાહી ઠાઠમાં રહે છે.

સાગરકિનારે
ગુહાગરનો દરિયાકિનારો
કોંકણ વિસ્તારમાં બધે વિવિધ પ્રકારની મરાઠી બોલીનું ચલણ છે. કોંકણી તરીકે ઓળખાતી બોલીનું અહીં નામનિશાન નથી. કોંકણી મુખ્યત્વે ગોવાની બોલી છે. અહીંના લોકો હિન્દી સમજી શકે છે ખરા (થેન્ક્સ ટુ હિન્દી ફિલ્મ્સ), પણ હિન્દી બોલવામાં તેમને ઘણી તકલીફ પડે છે. ગુહાગર તાલુકાનું મુખ્ય મથક છે અને અહીંનું બજાર મુખ્યત્વે બસ સ્ટેશનની આસપાસ વિકસેલું છે. વેદ્લોરથી અંજનવેલ થઇને ગુહાગરમાં પ્રવેશતી બસ આખું ગામ પાર કરીને બસ સ્ટેશનમાં પ્રવેશે છે. આ આખા રસ્તાની પહોળાઇ ફક્ત એક જ મોટું વાહન જઇ શકે એટલી છે, પણ અહીં ટ્રાફિક જામની સમસ્યા ખાસ નડતી નથી. ગુહાગરના મુખ્ય રોડથી દરિયાકાંઠો ફક્ત ચાર મિનીટના અંતરે છે. 
ચલ અકેલા
સ્વચ્છ અને નિર્મળ જણાતા આ દરિયાકાંઠે સવાર-સાંજ ગણ્યાગાંઠ્યા લોકો ચાલવા માટે આવે છે. ગુહાગરથી પંદર-વીસ મિલોમીટરના અંતરે આવેલું વેળણેશ્વરનું મંદીર અનેક લોકો માટે દર્શનીય છે, પણ ખરેખરો દર્શનીય છે વેળણેશ્વરનો દરિયાકિનારો. હજી સુધી આ કિનારો પ્રવાસીઓની નજરે ચડ્યો હોય એમ લાગતું નથી. અહીં દરિયાકિનારે આવેલી વાડીમાં લીલા નાળિયેર મળી રહે, પણ ઘેર બેઠાં મળે છે તે જ કિંમતે. આમ છતાં, આ નાળિયેરની મિઠાશ જબરદસ્ત હોય છે. આપણા દેખતાં જ ઝાડ પર ચડીને નાળિયેર નીચે પાડી આપે, એવા ટ્રી ફ્રેશ નાળિયેરનું પાણી પીવામાં જ પૈસા વસૂલ લાગે.


ફળોથી ફૂલ

ચક્કર ઘુમાવો એટલે પાણી
 કોંકણના ઉચ્ચ પ્રદેશમાં નાળિયેર,  સોપારી,  કાજુ,  આંબા,  ફણસ, કોકમ વગેરેનાં વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળે છે.એની સામે શાકભાજી એટલા પ્રમાણમાં થતાં નથી. મુખ્ય ખેતી ચોખાની છે, તેથી દાલ-ચાવલનું ભોજન અહીં આસાનીથી ઉપલબ્ધ છે. ચિખલગાંવ જેવા નાના ગામમાં લોકો હજી ચાર-આઠ આનાની સોપારી ખરીદે તે જોઇને નવાઇ લાગે છે, કેમ કે આપણે ત્યાં ચાર-આઠ આના પાછા લેવાના થાય તો કોઇ માંગતું નથી, અને હવે તો રૂપીયાના સિક્કાનું અસ્તિત્વ પણ જોખમમાં છે. લવિંગ, તમાલપત્ર, મરી જેવા તેજાનાનું પણ અહીં  છૂટુંછવાયું વાવેતર થાય છે. અહીંયાં કૂવા લગભગ ઘેરઘેર હોય છે. કૂવામાંથી પાણી ખેંચવા માટેના ચક્રની રચના પણ એવી હોય છે કે હેન્ડલથી ચક્રને ગોળ ફેરવવાથી તેની પર વીંટાયેલું દોરડું ઉકલવા માંડે.  આમ, કૂવામાંથી પાણી ખેંચવાનું કામનાનું છોકરું પણ કરી શકે એટલું સરળ છે. અહીંયાં વરસાદ સખત હોવા છતાં ખડકાળ ભૂમિ હોવાથી પીવાના પાણીની તંગી રહે છે. શિયાળા અને ઉનાળામાં અહીં માફકસરનું તાપમાન રહેવાથી વાંધો આવતો નથી, પણ એપ્રિલ-મેમાં આ વિસ્તારમાં જવાથી કેરી, કાજુ, ફણસ જેવાં ફળો ખાવાની મઝા લઇ શકાય છે. આ પ્રદેશમાં હજી સહકારી મંડળીઓનું ખાસ ચલણ નથી.  અહીંના ફળોનું સૌથી મોટું બજાર મુંબઇ હોવાથી કદાચ સહકારી પ્રવૃત્તિ વિકસાવવાની કોઇએ પહેલ ન કરી હોય એવુંય બને.પચીસેક વરસથી ચિખલગાંવ નજીક લોકસાધના સંસ્થા દ્વારા આ 
વિસ્તારમાં શિક્ષણ અને લોકસેવાની ધૂણી ધખાવીને બેઠેલા દાંડેકર દંપતિમાંના ડો. રાજા દાંડેકર કહે છે એમ કોંકણવાસી જલદી કોઇનો ભરોસો કરતો નથી. પણ એક વખત ભરોસો મૂકે પછી તે પાછું વાળીને જોતો નથી. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં તો બન્યું છે એવું કે જેમના પર ભરોસો મૂકાયો એ લોકોએ પાછું વાળીને જોયું નથી. આના પરથી એમ પણ સાબિત કરી શકાય કે અતિશય વિકાસ અને અવિકાસ બન્ને સમાન અવસ્થાઓ છે.


કોંકણની તસવીરી ઝલક

કોંકણનું પહાડી ગામ

કાજુનો મોર

લચેલાં લીલાં મરી

 







 
ફણસનો ફાલ
 
અનાનસ

 









પશ્ચીમ ઘાટનો ઉચ્ચ પ્રદેશ

 
(ડાબે) ટીળક સ્મૃતિમંદીરની બાજુમાં શાળા


ટીળક સ્મૃતિમંદીર







હરીયાલી ઔર રાસ્તા







(તા.ક.: કોંકણ વિસ્તારમાં ફરવા જવાની શ્રેષ્ઠ મોસમ ચોમાસાને બાદ કરતા શિયાળો છે.  ગુહાગર, વેલનેશ્વર ઉપરાંત બીજા અનેક વર્જિન દરિયાકિનારા છે. આ વર્ણન એક ચોક્કસ વિસ્તાર પૂરતું છે. ઘણા નગરોમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેવાની સુવિધા પણ છે.)  

(તમામ તસવીરો: બીરેન કોઠારી)

Sunday, June 12, 2011

કોંકણ ડાયરી-1


-         
 પેટ ભરાય, પણ આંખ ન ધરાય.  


મારિયો મિરાન્ડાની નજરે કોંકણ રેલ્વે  
 
કોઁકણ નામ કાને પડતાં જ મોટા ભાગના લોકોને કોંકણ રેલ્વે યાદ આવી જાય. કોંકણ જઇ આવ્યા એમ સાંભળતાની સાથે જ ઉત્સાહપૂર્વક સામો સવાલ પૂછાઇ જાય, તો તો તમે કોંકણ રેલ્વેમાં બેઠા હશો, કેમ? કેમ જાણે કોંકણ રેલ્વેના રૂટ પર ચાલતી ટ્રેનમાં બેસવું કોઇ મોટું પરાક્રમનું કામ ન હોય?ખરેખર તો,અન્ય કોઈ પણ રુટ પર ચાલતી હોય એવી જ આ ટ્રેનો છે. અને એવી જ હોય ને? ખરી મઝા છે કોંકણ રેલ્વેના રૂટ પરથી પસાર થવાની. સિનીયોરીટી મુજબ જોઇએ તો કોંકણ રેલ્વે બારેક વરસ જેટલી જ જૂની છે. પણ અ‍નેક રીતે તે આગવી છે. પહેલી વાર કોંકણ રેલ્વેમાં મુસાફરી કરવી હોય તો બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું તો એ કે મુસાફરી માટે બને ત્યાં સુધી દિવસનો સમય પસંદ કરવો. કેમ કે આ વિસ્તારનું સૌંદર્ય માણવા માટે દિવસનું અજવાળું અત્યંત આવશ્યક છે. બીજી વાત એ કે મોસમ અનૂકુળ હોય તો મુસાફરી માટે સેકન્ડ ક્લાસ પસંદ કરવો. કેમ કે આવા કોચમાં બારીઓના કાચ ઉપર ચડાવી શકાશે અને બારીની બહારનું પ્રાકૃતિક સૌંદર્ય બરાબર માણી શકાશે. ઉપલા વર્ગની મુસાફરીમાં કદાચ સુવિધા જળવાય,પણ બારીઓ પર લગાડેલા ફીક્સ્ડ કાચને કારણે આ પ્રદેશના અદભૂત સૌંદર્યથી વંચિત રહી જવાની પૂરેપૂરી શક્યતા. બીજા વર્ગની મુસાફરીમાં ખાધે પીધે કશી જ અગવડ નથી. જાતભાતની સ્વાદિષ્ટ, ગરમાગરમ, સુગંધીદાર ખાદ્યચીજો સતત આવતી જ રહે. બસ, બારીની બહારનું સૌંદર્ય જોઇને આંખ ભરો અને ડબ્બામાં મળતી ચીજો ખાઇને પેટ ભરો. કોંકણ રેલ્વેમાં મુસાફરી આ બન્ને વિના અધૂરી ગણાય. અને છતાંય પેટ ભરાશે, પણ આંખ નહીં ધરાય.
ઘર સે બહુત દૂર હૈ સ્ટેશન


કોંકણ એ કોઇ એક ચોક્કસ જગા કે સ્થળનું નામ નથી. મહારાષ્ટ્ર રાજ્યના ચાર જિલ્લા- થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ- કોંકણ તરીકે ઓળખાય છે. અહીંનું ભૂપૃષ્ઠ અત્યંત વિશિષ્ટ છે, જેમાં દરિયો – અરબી સમુદ્ર છે, સાંકડા મેદાનો છે અને ઉચ્ચ પ્રદેશ પણ છે. માછીમારીના ઉદ્યોગને કારણે મુસ્લિમોની વસ્તી દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે, તો બ્રાહ્મણોની વસ્તી અ‍ન્ય વિસ્તારોમાં વધુ છે. આ વિસ્તારમાં રેલવેનું આગમન થયું ત્યાર પછી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પણ એ અગાઉ બધો વ્યવહાર જમીનમાર્ગે (રોડ દ્વારા) હોવાથી પ્રવાસીઓ અત્યંત મર્યાદિત હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંકણ રેલ્વેના માર્ગમાં આવતા કોઇ સ્ટેશન પર ઉતરીએ તો ત્યાંથી ગામ કે નગર ઘણું દૂર લાગે. કેમ કે હજી સ્ટેશન નવાં હોવાથી તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થઇ રહ્યો છે. પણ બહુ ઝડપથી આ પરિસ્થિતિ બદલાશે એમ લાગે છે. પ્રવાસીઓ માટે કોંકણમાં મોટે ભાગે બે અંતિમો જેવી સ્થિતિ સર્જાય છે.
અમુક વિસ્તારોમાં રહેવા-જમવાનું અત્યંત મોંઘું છે, જ્યારે ઘણા વિસ્તારો એવા છે, જ્યાં હજી વ્યાવસાયિકતા પ્રવેશી નથી અને કિફાયત ભાવે રહેવા-જમવાની સુવિધા મળી રહે છે. કોંકણ વિસ્તારને ટુરીઝમના હોટ સ્પોટ તરીકે પ્રમોટ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે અને જે રીતે પ્રવાસભૂખ્યા લોકો આ વિસ્તારને ધમરોળી રહ્યા છે, એ જોતાં પ્રવાસીઓથી આ વિસ્તાર ઉભરાતો થઇ જાય એ દિવસો દૂર નથી. અને છતાંય એવા ઘણા વિસ્તારો છે, ખૂણાખાંચરાના રમણીય સ્થાનો છે, જ્યાં નિરાંતે રજાઓ ગાળી શકાય.
ભાગોળે છે દાભોળ
દાભોળની ભાગોળ
દાપોલી તાલુકો કોંકણમાં આગવું મહત્વ ધરાવે છે. દાપોલીમાં ખેતીવાડી કોલેજનું જબરદસ્ત કેમ્પસ છે, ઉપરાંત આર્ટસ અ‍ને કોમર્સ કોલેજો પણ ખરી. ડૉ. આંબેડકર, સાને ગુરુજી અને મહર્ષિ ઘોંડો કેશવ કર્વેનું બાળપણ આ વિસ્તારમાં વીતેલું. જો કે, અહીંના ઘણા લોકોને લાગે છે કે આ મહાનુભાવોની જન્મભૂમિને (અથવા તો બાલ્યાવસ્થા વીતી હોય એવી ભૂમિ) બદલે કર્મભૂમિ અહીં હોત તો આ વિસ્તારનો વિકાસ યોગ્ય રીતે થઇ શક્યો હોત.  
ખેડ રેલ્વે સ્ટેશને ઉતરીને વાયા દાપોલી આગળ જતાં ડાભોલ આવે છે, જે અહીં તેના શુદ્ધ ઉચ્ચાર દાભોળ તરીકે ઓળખાય છે. આ નામ પડતાં જ એનરોન યાદ ન આવે તો જ નવાઇ! આ વિસ્તાર પૂરતો દાભોળને જમીનમાર્ગનો ડેડ એન્ડ કહી શકાય, કેમ કે જમીનમાર્ગે ત્યાંથી આગળ જઇ શકાતું નથી. જમીનમાર્ગે ક્યાંય જવું હોય તો પાછા દાપોલી આવવું પડે. દાભોળ નદીકિનારે નહીં, પણ ખાડીકિનારે છે, જે ટુરીઝમની ભાષામાં બેકવોટર્સ તરીકે ઓળખાય છે. પર્વતીય પ્રદેશના ઢાળ ઉતરતાં સમુદ્રકિનારો નજદીક આવતો જાય તેમ હવામાં માછલીઓની ગંધની તીવ્રતા વધવા લાગે છે. મચ્છીમારીનું અહીં મોટું કેન્દ્ર હોવાથી ખાડી પર બનાવેલી જેટી પર કેટલીય માછલીઓનો વેપાર થાય છે. લસણ-ડુંગળીની વાસને પણ સહી ન શકનારા લોકો દાભોલની જેટી પર જાય તો માછલીઓની ગંધથી જ બેભાન થઇ જાય. અહીં સનસેટ વખતે બેકવૉટરમાં ફરવા જવાનો વિચાર આકર્ષક લાગે, પણ કિનારે પહોંચતાં જ તમામ ઉત્સાહ ઓસરી જાય એમ બનવાની શક્યતા ખરી. માછલીઓને કારણે કિનારા પર કાગડા અને સમડીઓની ચીલઝડપ જોવા મળે છે, તેમ કૂતરાં પણ દેખાય છે. બીજી બધી રીતે તદ્દન ભિન્ન અને અજાણી જણાતી આ ભૂમિમાં કાગડા અને કૂતરાની હાજરીને કારણે થોડું પોતીકાપણું લાગે એવી સંભાવના ખરી.
ડીમ થયેલો અર્થતંત્રનો પાવર

ભૂલાયેલો ભૂતકાળ એનરોન 
દાભોળ જેના માટે પ્રખ્યાત છે, અથવા તો કુખ્યાત છે, તે પાવર પ્રોજેક્ટ હકીકતમાં ખાડીને સામે કાંઠે આવેલા અંજનવેલ ગામ નજીક છે. દાભોળથી સામે કાંઠેના વેદ્લોર ગામ સુધી ફેરી બોટ સર્વિસ ચાલે છે. અહીં પણ ખાનગી ફેરી સર્વિસવાળા સરકારી ફેરી સર્વિસ સાથે હરીફાઇ કરે છે. સરકારી ફેરી સર્વિસ એનો સમય થાય એટલે ઉપડી જ જાય, જ્યારે ખાનગી ફેરી સર્વિસવાળા દૂરથી કોઇ સવારીને આવતી જુએ તો તેની રાહ જુએ. જો કે, સરકારી ફેરી સર્વિસમાં જવાનો ફાયદો એ કે તેની સાથે એસ.ટી.બસનું કનેક્શન છે. દાભોળથી આવતી સરકારી બોટના પેસેન્જરની રાહ જોયા પછી જ એસ.ટી. બસ ઉપડે છે. આ ફેરી બોટમાં મુસાફરો તો ઠીક, કારના માલિકો પણ પોતાની કાર સહિત ખાડી ઓળંગે છે. વેદ્લોરથી પચ્ચીસેક કિલોમીટરે ગુહાગર આવેલું છે, જે જમીનમાર્ગે દાભોળથી સીત્તેરેક કિલોમીટર જેટલું થાય. પાવર પ્રોજેક્ટને કારણે જે તે સમયે દાપોલી અને દાભોલનું આખું અર્થતંત્ર ઉંચકાઇ ગયું હતું. તમારે ક્યાં ખિસ્સામાંથી ચૂકવવાના છે! તમને તો કંપની જ આપે છે ને! આ મંત્ર સ્થાનિક વેપારીઓ છૂટથી ઉચ્ચારતા. વડોદરાની આસપાસના તેમજ વડોદરાના બજારોમાં રિફાઇનરી,આઇ.પી.સી.એલ (હવે રીલાયન્સ), જી.એસ.એફ.સી;જી.એ.સી.એલ. જેવી કંપનીઓને કારણે હજીય આ મંત્ર ઘણે અંશે ચલણી છે. જો કે, પાવર પ્રોજેક્ટ ખોરંભે પડ્યો અને ત્યાર પછી એનરોન કંપનીએ દેવાળું કાઢ્યું એ પછી ફરી પાછી યથાવત સ્થિતિ થઇ ગઇ છે. છેલ્લે છેલ્લે રત્નાગિરિ ગેસ એન્ડ પાવર પ્રા.લિ. દ્વારા પણ આ કંપની શરૂ કરવાનો આરંભ કરાયો, પણ એક યા બીજા કારણોસર તેમાં અડચણો આવતી જ રહે છે. આરંભથી જ રાજકારણનું ગ્રહણ આ પ્રોજેક્ટને નડ્યું ત્યાર પછીય તેના માટે અમાસની રાત જેવો સમયગાળો ચાલુ જ રહ્યો છે. આ અંધકારમાં કોઇ લાઇટ (પ્રકાશ)ની સંભાવના નજીકમાં તો દેખાતી નથી. પાવર પ્રોજેક્ટના ભૂંગળાં અત્યારે ટુરીઝમ સ્પોટ તરીકે દૂરથી દેખાડાય જ છે, પણ આ પરિસ્થિતિ રહી તો કદાચ હેરીટેજ સાઇટનો દરજ્જો પણ તેને મળી જાય તો નવાઇ નહીં. (ક્રમશ:) 
(તસવીરો: બીરેન કોઠારી)