Showing posts with label personal. Show all posts
Showing posts with label personal. Show all posts

Friday, July 10, 2026

તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે

રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.

મુંબઈના એક સજ્જન હતા, એમનું નામ ગિરીશ દવે. વ્યવસાયે વકીલ અને રજનીભાઈના જબરા વાચક-ચાહક. રજનીભાઈ મુંબઈ આવે એટલે ગિરીશભાઈની કાયમી ઓફર હતી. તેઓ પોતાની કાર અને ડ્રાઈવર મોકલી આપતા. રજનીભાઈને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એક વાર અમે સાથે મુંબઈ ગયા ત્યારે પણ આ જ રીતે ગિરીશભાઈની કાર અને ડ્રાઈવર હાજર. મેં રજનીભાઈને કહ્યું, 'મુંબઈમાં કાર કરતાં ટ્રેન વધુ સરળ રહે' એમણે કહ્યું, 'આપણને બધા સ્થળ ઝટ જડે નહીં, એટલે સમય બગડે. એના કરતાં આ રીત સહેલી પડે.' આનો અનુભવ મેં કર્યો અને મને એમની વાત સાચી જણાઈ.
મુંબઈમાં રજનીભાઈનો ઊતારો એમના પરમ સ્નેહી બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા રહેતા. મોટે ભાગે હું મારા કાકા શૈલેષ પરીખને ત્યાં ઊતરતો. એક વાર હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. અત્યંત પ્રેમાળ સજ્જન. વાતરસિયા, અને કથનશૈલી ગજબની. એમના પિતાજી 'હબીબ ખાંભાવાળા'ના નામે પ્રસંગકથાઓ લખતા હતા. દિવસ દરમિયાન તો અમે અમારા કામે બધે ફરતા રહ્યા, પણ સાંજે અમે ભેગા હતા.
રજનીભાઈએ બોઘાણીસાહેબને કહ્યું, 'જુઓ, હું તો અહીં નિયમીત આવું છું, પણ બીરેન આજે પહેલી વાર તમારે ત્યાં આવ્યો છે. એટલે એને તમે પેલી વાતો કહો.' પછી મને કહે, 'બદરૂદ્દીનભાઈ ગજબ કથાઓ કહે છે. એમના વિશે હું એમની હાજરીમાં કશું નથી કહેતો, પણ તું સાંભળ. મારી બહુ ઈચ્છા છે કે તને એ સંભળાવું.' હું તૈયાર હતો, પણ મને સહેજે અંદાજ નહોતો કે બોઘાણીસાહેબ શેની કથા કહેવાના છે.
બોઘાણીસાહેબે એક પછી એક પ્રસંગો કહેવાના શરૂ કર્યા. શું એમનું વર્ણન! શી એમની શૈલી! ઘણા બધામાં એ પોતે જ કોઈક પાત્ર હોય. અને વાતનો મર્મ એવી સરસ રીતે મૂકે કે આપણે આફરીન થઈ જઈએ. શો પ્રતિભાવ આપવો એ મને ન સમજાય, પણ મારા મોં પરથી બોઘાણીસાહેબ પામી ગયા કે મને બહુ મજા આવે છે. ત્રણેક પ્રસંગો કહ્યા અને તેઓ અટક્યા. એટલે રજનીભાઈ કહે, 'અરે, પેલો કહો ને! હજી પેલોય બાકી રહ્યો.' એમ કહીને એમણે બે-ત્રણ પ્રસંગો યાદ કરાવ્યા. એ સાંજ મારા માટે યાદગાર બની રહી. મને અફસોસ થયો કે મેં એ રેકોર્ડ કેમ ન કરી લીધા! જો કે, એમના કથનપ્રવાહમાં હું એવો તણાઈ ગયેલો કે એવું યાદ જ ન આવ્યું.
બોઘાણીસાહેબનાં સંતાનો અલગ રહેતાં હતાં. બોઘાણીસાહેબ એકલા જ રહેતા. એમણે કહેલું એક વાક્ય આજેય યાદ આવે છે અને હૈયે ચિરાડો પાડી દે છે. એમણે કહેલું, 'રોજ સાંજે ચાલવા માટે બહાર જાઉં છું, ત્યારે ખબર નથી હોતી કે પાછો આવીને તાળું ખોલી શકીશ કે નહીં.' આવા સમયે રજનીભાઈ જેવા મિત્ર આવે ત્યારે એમને કેટલો આનંદ થાય એ સમજી શકાય એમ છે.
બોઘાણીસાહેબે કહેલી એક વાત તો મને એટલી બધી ગમી ગઈ કે મેં એ એમના નામ સાથે બ્લોગ પર લખી. એ પછી તેમના ઘણી વાર ફોન આવતા. પહેલી વાર તેમનો ફોન આવ્યો ત્યારે એમનો નંબર મારી પાસે નહોતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મેં ઊપાડીને 'હેલો' કહ્યું કે સામેથી અવાજ આવ્યો, 'તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે.' મારાથી સહસા બોલાઈ ગયું, 'અરે! બોઘાણીસાહેબ!' તેઓ રાજી થઈને કહે, 'તમે મને ઓળખી કાઢ્યો.' મેં કહ્યું કે આ વાક્ય (ગીતની પંક્તિ) આ રીતે મને કહેનારા એક તમે જ છો. પછી ઓળખી જ કાઢું ને?' તેઓ ઓર રાજી થયા અને કહે, 'પણ તમને એ યાદ રહી ગઈ એ બહુ કહેવાય.' વાત એવી હતી કે તેમણે મને કહેલી એક કથામાં આ પંક્તિ કેન્દ્રસ્થાને હતી. શાળાકાળના પોતાના એક મિત્રને લાંબા સમય પછી મળતાં તેઓ એને આ 'કોડવર્ડ' કહીને પોતાની ઓળખ આપે છે એવી વાત હતી. એની બીજી કડીમાં 'દોસ્તી કી રાહોં મેં મિલકે ચલે થે' એમ ફેરફાર કરેલો. એ બહુ નાટ્યાત્મક વાત હતી. ખેર! વાત ત્યારે પૂરી થઈ અને મેં એમને કહ્યું કે તમને મન ફાવે ત્યારે મને ફોન કરજો. એ સિલસિલો બહુ લાંબો ન ચાલી શક્યો. એક દિવસ મને રજનીભાઈએ સમાચાર આપ્યા કે બોઘાણીસાહેબે વિદાય લીધી છે. અમે બન્નેએ એ દિવસે એમને, એમની વાતોને, એમના વ્યક્તિત્વને બહુ યાદ કરીને એમને અંજલિ આપી, પણ એકમેકને.
હવે તો રજનીભાઈ પણ ગયા, પણ તેમણે દેખાડેલી પાત્રસૃષ્ટિ મનોજગતમાં કોતરાઈ રહી છે.

Thursday, July 9, 2026

'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી

રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.

વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.

Wednesday, July 8, 2026

પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?

રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.

એ પછીના અરસામાં 'સાગર મુવીટોન' પુસ્તકના કામ માટે મારે બેંગ્લોર જવાનું થયું. રજનીભાઈએ મને ભારપૂર્વક મીનાક્ષીબહેનને મળવા અનુરોધ કર્યો. તેમની વચ્ચેના સંબંધને હું જાણતો હોવાથી મેં પણ કહ્યું કે એમને હું ચોક્કસ મળીશ.
બેંગ્લોરમાં મારું કામ પતાવ્યા પછી રજનીભાઈના મિત્ર ધીરુભાઈને મેં ફોન કર્યો. ધીરુભાઈએ બે દિવસ એવો ક્રમ બનાવ્યો કે સવારે તે પોતાનું વાહન લઈને આવે, મને અને કામિનીને એમાં લઈ જાય, વિવિધ સ્થળે ફેરવે, અને પછી સાંજે અમારા ઉતારે મૂકી જાય. આમાં અમે એક દિવસ મીનાક્ષીબહેનને મળવાનું ગોઠવ્યું. પહેલાં તો ફોન કર્યો. તેમણે બહુ ઊમળકાપૂર્વક વાત કરીને મળવાનો સમય અને ઠેકાણું કહ્યાં. એ સમયે તેમની દીકરી- જમાઈ બહારગામ ગયેલાં હોવાથી મીનાક્ષીબહેન દીકરીના ઘેર રહેવા આવેલાં. રજનીભાઈએ તેમને મારા વિશે જણાવેલું. એ રજનીભાઈના સૌજન્યનો હિસ્સો હતો કે તેઓ બન્ને પક્ષને એકમેક વિશે જાણ કરે.
મીનાક્ષીબહેન રહેતાં હતાં એ વિસ્તાર ધીરુભાઈ માટેય નવો હતો. થોડું આમતેમ થયા પછી મીનાક્ષીબહેને કહ્યું કે પોતે મુખ્ય રસ્તા પર ઊભાં રહેશે. ખરી મૂંઝવણ એ હતી કે અમે કોઈ એકમેકને જોયે ઓળખીએ નહીં. પણ મીનાક્ષીબહેન કહે, 'ઓળખી જવાશે.' ખરેખર એમ જ થયું. રસ્તાની કોરે ગુજરાતી સાડી પહેરીને ઊભેલાં, ચશ્માવાળાં એક પ્રૌઢ બહેનને જોઈને મેં ઈશારાથી જ પૂછ્યું, 'તમે મીનાક્ષીબહેન?' તેમણે પણ માત્ર આંખથી 'હા'નો જવાબ આપ્યો. એ પછી અમે તેમની દીકરીને ઘેર ગયાં. કામિની અને ધીરુભાઈ સાથે હતા ખરાં, અને તેમને એટલી ખબર હતી કે રજનીભાઈના મિત્રનાં આ બહેન છે. પણ એ મૈત્રીનો આખો અધ્યાય સ્વાભાવિકપણે જ તેમને ખ્યાલ નહોતો.
શું વાત કરવી એ સવાલ હતો. મારા મનમાં વસંત દેસાઈ, રજનીભાઈ, વીનેશ પટેલની મૈત્રીની કથા રિવાઈન્ડ થઈ રહી હતી. બહુ ભાવવાહી ક્ષણો હતી એ. પણ મીનાક્ષીબહેન અનુભવી હતાં. તેમણે જ વાત શરૂ કરી. ચા-નાસ્તો પીરસ્યો. ત્યાંથી મેં રજનીભાઈને ફોન જોડ્યો. આ પણ તેમની જ શૈલી! તેમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મીનાક્ષીબહેન સાથેય વાત કરી. અડધો- પોણો કલાક બેસીને અમે ઊભા થયાં. એ ક્ષણ બહુ ભારેખમ હતી. અમે ફરી મળીશું કે કેમ એ ખબર નહોતી. અને આમ જુઓ તો આખી વાતમાં સીધેસીધું મારું કોઈ જોડાણ પણ નહોતું, છતાં એ સમયગાળાનો હું સાક્ષી હોઉં એમ મને અનુભવાતું હતું. મીનાક્ષીબહેન પણ કદાચ આ વાત સમજી ગયેલાં. છેવટે તેમણે મૌન તોડતાં કહ્યું, 'સારું ભાઈ. આવજો. તમે આવ્યા તો બહુ ગમ્યું." મારી આંખોમાં ધસી આવેલાં પાણી મેં માંડ ખાળી રાખ્યાં. પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે રજનીભાઈની સંબંધસૃષ્ટિના કોઈ પાત્રને એમના કરતાં પહેલાં હું મળી રહ્યો હોઉં.
એ પછી અમે નીકળ્યા. ફરી મેં રજનીભાઈ સાથે વાત કરી ત્યારે તેમણેય કહ્યું, 'બેટા, મને બહુ જ ગમ્યું કે તેં સમય કાઢીને એમની મુલાકાત લીધી.' હજી હું બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો. કોઈ લેખકની પાત્રસૃષ્ટિમાં આપણે પ્રવેશ કરી જઈએ અને તેમાંના કોઈ પાત્રને મળી આવીએ એ પછી કેવી હાલત હોય!!
અને આ પાત્રો કાલ્પનિક નહીં, વાસ્તવિક હતાંં.
બેંગ્લોરથી હું પાછો આવી ગયો. વખત વીત્યો. એ પછી એક વાર રાબેતા મુજબ રજનીભાઈનો ફોન આવ્યો. કહે, 'મીનાક્ષીબહેન આવ્યાં છે. તારી સાથે વાત કરવા માગે છે.' મેં તત્ક્ષણ કહ્યું, 'બેંગ્લોરવાળાં?' ફોન કદાચ સ્પીકર પર હતો, એટલે મીનાક્ષીબહેને પણ એ સાંભળ્યું હશે. રજનીભાઈ એમને કહે, 'જોયું? હું નહોતો કહેતો કે એ તમને તરત ઓળખી જશે?' એમ કહીને તેમણે મીનાક્ષીબહેનને ફોન આપ્યો. અમે ઔપચારિક વાત કરી, પણ મારા મનમાં આખી ઘટનાઓ
રિવાઈન્ડ થતી ગઈ. ખરું કહું તો તેઓ અને રજનીભાઈ રૂબરૂ થઈ શક્યા એનો મને બહુ આનંદ હતો.
'ઝંઝાવાત'માં વસંત દેસાઈનો વિસ્તૃત ઊલ્લેખ વાંચતાં સમાંતરે મારા મનમાં આ ઘટના ચિત્રપટ્ટીની જેમ ચાલતી રહી હતી.

Tuesday, July 7, 2026

દોસ્તી ખરી, પણ સૌજન્‍યમાં મસ્તી નહીં

સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.

નિર્ધારીત દિવસે અને સમયે હું એમને ત્યાં મણિનગર પહોંચી ગયો. તેઓ તૈયાર જ બેઠા હતા. અમે થોડી ઔપચારિક વાતચીત કરી. એ પછી એમણે એક ફોન જોડ્યો. સામેથી ફોન લેવાયો એટલે મને રજનીભાઈ બોલતા હતા એ સંભળાયું, "મને ખબર છે કે તું બહુ વ્યસ્ત હોઈશ. અને તને ફોન ન થાય. હું ત્યાં આવું જ છું. પણ મારો મિત્ર જેને તુંય ઓળખે છે એ આવેલો છે અને મારી સાથે આવે છે. તો તું એને આમંત્રણ આપ." આમ કહી એમણે મને ફોન આપ્યો. સામે આપણા જાણીતા નવલકથાકાર મહેશ યાજ્ઞિક હતા. એમની દીકરીનું લગ્ન હતું, જેમાં રજનીભાઈએ હાજરી આપવાની હતી. તેઓ મને એમ જ સાથે લઈ જાય તો કંઈ મહેશભાઈ ના ઓછા પાડવાના? પણ ના, સૌજન્ય જળવાવું જ જોઈએ. મહેશભાઈએ મને બહુ પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. એ પછી અમે બન્ને કારમાં નીકળ્યા. લગ્નપ્રસંગમાં હાજરી આપી, સાથે ભોજન લીધું, અને પછી રજનીભાઈ મને રમેશ ઠાકરને ત્યાં મૂકવા આવ્યા.
****
રમેશ ઠાકર અને રજનીભાઈ જૂના મિત્રો. (એમનો ઉલ્લેખ 'ઝંઝાવાત' પુસ્તકમાં છે.) રમેશભાઈ ત્યારે 75 આસપાસના. કદ નાનું, પણ એવા ચંચળ અને જિજ્ઞાસુવૃત્તિ અકબંધ. તેઓ અમારી રાહ જ જોતા હતા. અમને જોઈને કહે, 'એક વસ્તુ તમને બતાવવાની છે અને મારેય જોવાની છે. તમે આવો એટલે ખોલું એમ કહીને મૂકી રાખી છે. હજી આજે જ આવી છે.' આમ કહીને તેઓ એક મોટું પેકેટ અંદરથી લઈ આવ્યા. એમાં અનિયમીત આકાર ધરાવતી કોઈક વજનદાર વસ્તુ હતી. અમને નવાઈ લાગી કે આ છે શું? રમેશભાઈ બહુ ઉત્સાહથી એની ઉપરનું આવરણ હટાવવા લાગ્યા. એ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે તે કશાકનો વજનદાર પથ્થર છે. આખું પેકિંગ ખૂલ્યું એટલે રમેશભાઈએ વારાફરતી એ અમારા હાથમાં મૂક્યો. કહે, 'આ લાવાનો પથ્થર છે. લાવા જામી જાય એ પછી બનતો પથ્થર. મેં જીવનમાં કદી જોયો નહોતો, એટલે કેદારને કહ્યું કે મારા માટે બીજું કશું નહીં, પણ એ મોકલી આપજે.' કેદાર ઠાકર એટલે રમેશભાઈના દીકરા, જેઓ સૈન્યમાં હતા અને તેમનું પોસ્ટિંગ કોંગો દેશમાં થયેલું. એમણે રમેશભાઈને પોતે શું મોકલે એમ પૂછાવ્યું હશે એટલે રમેશભાઈએ આવો જવાબ આપેલો, અને કેદારભાઈએ એમની ઈચ્છા પૂરી કરેલી.
જિજ્ઞાસા અને નવિન ચીજો જાણવાની કેવી ગજબ પેશન! બસ, એ પછી રજનીભાઈ પાછા જવા નીકળ્યા. મારે લેવાના ઈન્ટરવ્યૂની પણ કેવી ગજબ પૂર્વભૂમિકા ઊભી થઈ ગઈ!

Monday, July 6, 2026

જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના

રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!

એક વખત અમે તેમને ઘેર બેઠેલા અને (તેમનાં પત્ની) તરુબહેને એક કથાકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પોતાને એમની શૈલી બહુ ગમે છે. એટલે રજનીભાઈએ તત્ક્ષણ કહ્યું, 'એ કથાકાર તલત મહેમૂદ છે. અને પેલા (અન્ય એક કથાકાર) મહમ્મદ રફી છે.' આમ બોલીને તેમણે પોતાની સરખામણી વધુ સ્પષ્ટ કરી: 'પેલા કથાકાર કથા કહે ત્યારે શ્રોતાઓને રડવું આવે, તલત મહેમૂદનાં ગીતોની જેમ. અને આ કથાકાર તો કથા કહેતાં કહેતાં પોતે જ રડવા લાગે, મહમ્મદ રફીની જેમ.' તેમની સાવી સચોટ સરખામણી સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. (ઉર્વીશ પણ ત્યારે સાથે હતો) જો કે, તરુબહેને સહેજ નારાજગીના સૂરે કહેલું, 'તમને બધી વાતમાં ફિલમ જ દેખાય છે.'
રજનીભાઈ સાથે મારે ક્યારેક કોઈ સંસ્થાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જવાનું બનતું. તેમની શૈલી સાવ નિરાળી. પહેલાં તેઓ શૂટ કરાવતા. પછી અમે બન્ને સાથે બેસીને એકે એક દૃશ્યના કાઉન્ટર નંબર અને વર્ણન લખતા. અને એના પરથી છેલ્લે હું સ્ક્રિપ્ટ લખતો. ('હેલ્લારો', 'ઊંબરો, 'ધબકારો' ફેઈમ) અભિષેક સાથે પરિચય થયો એ પછીના ગાળામાં મેં તેને આ પદ્ધતિ વિશે વાત કરી તો એનું હસવું કેમે કરીને માય નહીં. મને કહે, 'તમે ઊંધું કરો છો. પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય.' મૂળ મુદ્દો એ નથી. સ્ક્રિપ્ટ પછી લખાતી હોવાને કારણે શૂટ વેળા રજનીભાઈના મનમાં એમને ગમતા ઘણા બધા ફિલ્મદિગ્દર્શકો ઉભરતા. તેઓ કામનાં, નકામાં એવાં અનેક દૃશ્યો શૂટ કરાવતા. અને કહેતા, 'રાજ કપૂર કેટલાં બધાં દૃશ્યો કેમેરામાં લઈ લેતા. પછી એમાંથી અમુક જ પસંદ કરતા.' ડોક્યુમેન્ટરીના કામમાં બહુ સમય જતો, અને છેવટે ફાઈનલ એડિટીંગ વખતે રજનીભાઈ સુકાન પોતાના હાથમાં લઈ લેતા. આ બાબતે પછી અમને જ્ઞાન લાધતાં ઉર્વીશે અને મેં એમને સમજાવ્યું કે રાજ કપૂર, બીમલ રોય વગેરે કંઈ ડોક્યુમેન્ટરી નહોતા બનાવતા. તમે એમના વાદે ન ચડો. એમની પાછળ તો મોટા ફાઈનેન્સર હતા. તેમણે હસતાં હસતાં અમારી વાત સ્વીકારી. પણ ડોક્યુમેન્ટરીના એડિટિંગમાં તેમનાં સૂચનોમાંય એમનો ફિલ્મપ્રેમ ઝળકે. એવાં નાના નાના ગ્રાફિક મૂકાવે, અમુકમાં તો એ કેટલીક ફિલ્મોના શોટ મૂકાવે.
સારી યા ખરાબ કે મધ્યમ, કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કશા આયાસ વિના જ જે તે પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ યાદ આવી જતી. અને એ ગીતનું મુખડું ન પણ હોય, બલ્કે એના અંતરામાંથી કોઈક લીટીય હોય. અને એવું નહીં કે એમને પોતાના પ્રિય ગાયક કે પ્રિય ગીતની જ પંક્તિ યાદ આવે. પોતે સાંભળેલા કોઈ પણ ગીતની પંક્તિ તેમને સૂઝી જતી. તેમના અનન્ય પુસ્તક 'શબ્દઠઠ્ઠા'માં મોટા ભાગની વાર્તાઓમાં તેમણે કોઈ ને કોઈ ગીતની પંક્તિ કે તેની પેરડી મૂકી છે. જેમ કે, 'મેરી કહાની સુનનેવાલે, તેરા ટી.વી.આબાદ રહે', 'હમેં ઈન રાહોં પે ચલના હૈ, જહાં ઉલ્ટે સબક સિખાના હૈ', 'પ્યાર બાંટતે ચલો, એવોર્ડ બાંટતે ચલો' વગેરે.
તેમની આવી ક્ષમતાથી પરિચીત એવા સલીલ દલાલ પોતાના કોઈ પારિવારિક મુદ્દે કશુંક લખવા માગતા હતા ત્યારે એમણે રજનીભાઈને ટૂંકમાં પરિસ્થિતિ જણાવીને યોગ્ય પંક્તિ સૂચવવા જણાવેલું. સલીલભાઈ ખુદ ફિલ્મી ગીતોના ઘાયલ, છતાં એમને આ કામ માટે રજનીભાઈ વધુ યોગ્ય લાગેલા.
પ્રિય વ્યક્તિની વિદાય પછી સર્જાયેલો ખાલીપો ભાગ્યે જ ભરી શકાતો હોય છે, આપણે અન્ય કામ કે પ્રવૃત્તિમાં ડૂબી જઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એ ખાલી સ્થાન વખતોવખત પોકારીને પોતાની ઉપસ્થિતિની જાણ કરતું રહે છે.
'શબ્દઠઠ્ઠા' પુસ્તક તેમણે ઉર્વીશને અને મને અર્પણ કરેલું છે. અમારા નામની નીચે તેમણે જહીર ગાજીપુરનો એક શેર ટાંક્યો છે:
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના,
વાસી અખબારોં કે અનમોલ તરાશે હૈં હમ.
2003માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ટાંકેલો આ શેર આજે, તેવીસ વર્ષ પછી કેટલો બંધબેસતો લાગે છે!

Tuesday, June 9, 2026

અથશ્રી લેપટોપકાંડ

"તમને ટ્રેન મળી ગઈ?"

"હા. ટ્રેનમાં જ છું."

"કઈ ટ્રેનમાં?"
"ગુજરાત ક્વીનમાં."
"કેટલામો ડબ્બો?"
"એ તો ગણ્યો નથી, પણ આગળથી સાતમો આઠમો હશે. પણ છે શું એ કહો ને?"
શુક્રવારની સાંજે નડિયાદથી ગુજરાત ક્વિનમાં હું વડોદરા આવવા માટે બેઠો. આણંદથી ટ્રેન ઊપડી કે હસિતભાઈનો ફોન આવ્યો. અમારી વચ્ચે આવા સવાલજવાબ થયા. હજી કલાકેક પહેલાં જ અમે એમની કોલેજમાં ફાઈનલ રીહર્સલ પતાવેલું. કેમ કે, પછીના દિવસે શનિવારે, 6 જૂને અમદાવાદમાં સળંગ બે કાર્યક્રમ હતા. રિહર્સલ પછી હસિતભાઈ નાઝનીનને, વૈદેહીને અને મને ગોવર્ધનસ્મૃતિમંદીર ઊતારતા ગયેલા. એ વખતે એવી વાત થયેલી કે હજી મારી પાસે કલાકેક છે એટલે હું સ્મૃતિમંદીર બેસીશ. અને પછી ક્વિન પકડીશ. એટલે તેમનો આવો ફોન આવ્યો ત્યારે મને એમ કે આ પૃચ્છા મને ટ્રેન મળી ગઈ કે કેમ એની છે. પણ હું કયા ડબ્બામાં બેઠો છું એની સાથે એમને શી લેવાદેવા? હતી, અને એ દિવસે બરાબરની લેવાદેવા હતી. એમના દીકરા પર્જન્યે મારી સાથે વાત કરી.
વાત કંઈક આવી હતી. પર્જન્ય અત્યારે ગાંધીનગર આવ-જા કરે છે. એ ક્રમમાં તે અમદાવાદથી સાંજે ગુજરાત ક્વિન પકડીને નડિયાદ ઊતર્યો હતો. પણ પોતાની સાથે તે લેપટોપ મૂકેલી બેગ લઈ ગયેલો એને એ ટ્રેનમાં જ ભૂલી ગયેલો. તેણે જણાવ્યું કે એ પોતે ત્રીજા કે ચોથા ડબ્બામાં હતો. એ ડબ્બાના વચલા બારણામાંથી પ્રવેશીને જમણી બાજુ જતાં જે છાજલી હતી એની પર તેણે બેગ મૂકેલી. બેગનો રંગ પીળો. એચ.પી.ની બેગ, જેના આગળના પોકેટમાં એનું ઓળખપત્ર હતું. મારે હવે એ ડબ્બાઓમાં એણે મૂકેલા સ્થાને જઈને એ બેગ છે કે કેમ એની તપાસ કરવાની હતી. દરમિયાન એવી જ બેગનો તેણે ફોટોય મોકલી આપ્યો.
તેની વાત સાંભળીને હું મારી બેઠક પરથી ઊભો થઈ ગયો અને બીજા ડબ્બામાં જવા આગળ વધ્યો. પણ જોયું તો આ બધા ડબ્બા અલગ અલગ હતા. એટલે કે એકમાંથી બીજામાં જઈ શકાય એમ નહોતું. હવે પછી આવનારા વાસદ સ્ટેશને જ હું એ તપાસી શકું. આથી હું બારણા પાસે ઊભો રહ્યો. ટ્રેન આગળ વધી રહી હતી, એવામાં વાસદની પહેલાંના અડાસ સ્ટેશને સિગ્નલ ન મળવાથી એ પ્લેટફોર્મ પર થોભી. એ સાથે જ હું ડબ્બામાંથી ઊતરીને આગળ દોડ્યો અને મારી આગળના ડબ્બાઓમાં પર્જન્યે બતાવેલી જગ્યાએ, બહારથી જોતો જોતો આગળ દોડતો ગયો. પ્લેટફોર્મ પર હાથમાં લીલી ટોર્ચ લઈને ઊભેલા રેલવેના માણસે મને કહ્યું, 'આમાં ચડી જાવ.' પણ તેને અવગણીને હું આગળ વધ્યો. સિગ્નલ મળતાં ટ્રેન ઊપડી એ પહેલાં હું પાંચમા કે છઠ્ઠા ડબા સુધી આવી ગયેલો. હસિતભાઈ સાથે વાત પણ વચ્ચે વચ્ચે ચાલુ હતી. તરત જ વાસદ સ્ટેશન આવ્યું. ફટાફટ નીચે ઊતરીને હું આગળના ડબ્બા જોતો ગયો. પણ મને ક્યાંય બેગ દેખાઈ નહીં. ટ્રેન ઊપડતાં હું ફરી એક વાર એમાં ચડી ગયો. હવે વીસેક મિનીટ પછી વડોદરા સ્ટેશન આવે અને ત્યાં ટ્રેન વધુ સમય થોભે એ વખતે તપાસ કરીશ એમ વિચાર્યું.
દરમિયાન હસિતભાઈએ તેમની રીતે ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. વડોદરાના રેલવે ડી.એસ.પી. શ્યાનસાહેબ તેમના પરિચીત હતા. તેમણે સઘળી હકીકત જાણી લીધી. તેમને પણ હસિતભાઈએ બેગનો ફોટો મોકલી આપેલો. તેમણે ડી-સ્ટાફને તૈનાત કરી દીધેલો. એટલે કે ડબ્બા આગળ તો ખરા જ, પણ સ્ટેશનથી બહાર નીકળવાના રસ્તા પર પણ તેમના માણસો ગોઠવાઈ ગયેલા. હસિતભાઈએ અને આ હકીકત જણાવી તેમજ ત્યાંના એક પોલિસકર્મી અજયભાઈનો ફોન નંબર મને મોકલ્યો. જોતજોતાંમાં વડોદરા સ્ટેશન આવ્યું.
અહીં ટ્રેન સહેજ બધુ થોભે, પણ ચડવા માટે ધસારોય વધુ હોય.
મેં જોયું તો બહાર બે પોલિસમેન ઊભેલા હતા અને તેઓ ડબ્બામાં ચડીને છાજલીઓ જોઈ રહ્યા હતા. હું પણ ફટાફટ ઊતરીને બીજા ડબ્બા જોવા લાગ્યો. એવામાં એક ડબ્બામાં ચડેલા અજયભાઈએ બેગ જોઈ અને તેમના સાથીદારને કહ્યું, 'મળી ગઈ.' મેં આ સાંભળ્યું કે તરત હું તેમની પાસે પહોંંચી ગયો અને પૂછ્યું, 'નડિયાદવાળું ને?' તેમના હાથમાં એ જ બેગ હતી. તેમણે પૂછ્યું, 'તમે એમના મિત્ર છો?' હસિતભાઈએ મારા વિશે એમને જણાવેલું. અમે પ્લેટફોર્મ પર ઊભા રહ્યા. તેમણે હસિતભાઈને ફોન જોડ્યો અને પોતે વાત કરીને મારી સાથેય વાત કરાવી. એ પછી તેમણે મને એ બેગ આપી. તેમના સાથીદારે મને બેગ અપાતી હોય એવો ફોટો પાડીને હસિતભાઈને મોકલી આપ્યો. આમ, એક પ્રકરણ અહીં સુખરૂપ પૂરું થયું.

ગુજરાત ક્વિનની સાખે,
મને બેગ સાથે લેપટોપ સોંપતા
રેલ્વે પોલીસના અજયભાઈ ખુમાણ.

પણ એ પછી આ પ્રકરણ અમારે ત્યાં ચાલુ રહ્યું. ઘેર પહોંચ્યો કે મારા હાથમાં અજાણી બેગ જોતાં જ કામિનીએ પૂછ્યું, 'આ કોની બેગ છે?' જવાબમાં મેં એને આખી વાર્તા કરી અને પેલો ફોટો દેખાડ્યો. હવે બીજા દિવસે અમદાવાદ જતાં અમારે યાદ રાખીને એ બેગ (લેપટોપ સાથે) લઈ જવાની હતી.
ઘેર પહોંચીને હસિતભાઈનો ફરી ફોન આવ્યો ત્યારે અમે બન્નેએ કેટલીક કલ્પનાઓ કરી. એ મુજબ શ્યાનસાહેબે ડી-સ્ટાફ તૈનાત રાખેલો અને તેમને સૂચના આપેલી કે કોઈ પણ શખ્સ પીળા રંગની આવી બેગ સાથે બહાર નીકળતો દેખાય એટલે એને પકડવો. અમે પરસ્પર કહ્યું કે ડી-સ્ટાફના માણસો નામ પછી પૂછે, પહેલાં તો ડંડા ફટકારે. આ સંજોગોમાં મને બેગ મળી હોત અને હું એ લઈને બહાર નીકળતો હોત ત્યારે ડી-સ્ટાફના માણસોએ મને જોયો હોત તો... ! આમ વિચારીને અમે બહુ હસ્યા.
બીજી પણ મસ્તીઓ કરી.
કામિનીએ પૂછ્યું કે તમે આ જાણ્યું ત્યારે પર્જન્યને શું કહેલું? હસિતભાઈ કહે કે મેં તો સીધું પીન્કીને (પત્ની લિમિશાને) જ ઠપકો આપ્યો કે મેં તને એ વખતે કહેલું ને કે તું બરાબર બદામ ખાજે, જેથી (આવનારા) દીકરાની યાદશક્તિ સરખી રહે. પણ તેં ન ખાધી તો આજે આ દિવસ જોવાનો આવ્યો!
હસિતભાઈ મારી સાથે ફોન પર વાત કરીને મને ડબ્બા તપાસવાની સૂચના આપી રહ્યા હતા ત્યારે તેમની સાથે દિવ્યેશ, દેવાંગ, વિષ્ણુ વગેરે મિત્રો બેઠેલા. તેમણે હસિતભાઈને કહ્યું, 'તમે બીરેનભાઈને આવી સૂચનાઓ આપો છો, તો તમે એમની ઉંમર ભૂલી ગયા લાગો છો!'
ખેર! અપડાઉન કરતા ત્યારે મોટે ભાગે છેલ્લા ડબામાં બેસતા અને નંદેસરી ટ્રેન ઊભી રહે ત્યારે નીચે ઊતરીને અમે દોડીને આગળના ડબ્બે આવી જતા એ દિવસો યાદ આવ્યા.
બીજા દિવસે સ્ક્રેપયાર્ડમાં અમે લગભગ આગળપાછળ જ પહોંચ્યા. પર્જન્ય મને જોશભેર ભેટી પડ્યો એ જોઈને બાજુમાં ઊભેલી કામિનીએ કહ્યું, 'અલ્યા, તને લેપટોપ આપશે, હોં!' પણ પડછંદ કદકાઠી ધરાવતા પર્જન્ય અને મારા ભેટવાનું દૃશ્ય મને અફઝલખાન અને શિવાજીની મુલાકાતની યાદ અપાવતું હતું. મેં લેપટોપવાળી બેગ કાઢીને પર્જન્યને સોંપી. એ ઘડીની તસવીર નાઝનીને લીધી. હસિતભાઈએ એ જ તસવીર શ્યાનસાહેબને મોકલીને આખું વર્તુળ પૂરું કર્યું.
||ઈતિશ્રી લેપટોપકાંડ||

એ જ મિલકતની મૂળ માલિકને સોંપણી


Sunday, March 15, 2026

ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'

આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.

'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.

તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'

આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'

માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.

Tuesday, February 24, 2026

જેમ્સ હેડલી ચેઈઝ, ફોઈની દીકરીઓ અને પપ્પા

'હમણાં તારે આ ચોપડીઓ નથી વાંચવાની.' આવી સૂચના મારા પપ્પાએ હું આઠમા-નવમા ધોરણમાં હતો ત્યારે મને આપેલી. પપ્પાની સૂચના કડક હોય એવું અલગથી કહેવાનું ન હોય. પણ એવું તો શું હતું એ ચોપડીઓમાં?

મહેમદાવાદના અમારા જૂના ઘરમાં ત્રીજે માળે (આજની જબાનમાં જી પ્લસ ટુ) એક લાકડાનું ભીંતકબાટ હતું, જેનાં બન્ને બારણાં પર સામસામે બેઠેલા મોરનાં ચિત્ર હતાં. આ કબાટમાં એક મોટું ખાનું અને ઊપર તેમજ નીચે નાનાં ખાનાં. મોટું ખાનું એવું હતું કે ઊભે ઊભે એમાંથી ચોપડીઓ કાઢી શકાય. હું હજી આઠમા- નવમા ધોરણમાં ભણતો હતો. એ સમયે પપ્પા વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતા. વાંચવાના તેઓ જબરા શોખીન, અને વાંચવાની ઝડપ પણ ઘણી. પણ તેમનો મુખ્ય રસ પોકેટ બુક્સ વાંચવાનો. આથી અઠવાડિયે બે- ત્રણ વાર એવું બનતું કે તેઓ વડોદરા સ્ટેશને આવેલા એ.એચ.વ્હીલરના સ્ટોલ પરથી એક પુસ્તક ખરીદે અને મહેમદાવાદ આવે ત્યાં સુધીમાં એ વાંચી લે. ત્યારે વડોદરાથી મહેમદાવાદ પેસેન્જર ટ્રેનમાં અઢીથી પોણા ત્રણ કલાક લાગતા. તેમણે ખરીદેલાં મોટા ભાગનાં પુસ્તકો જેમ્સ હેડલી ચેઈઝનાં રહેતાં. ક્યારેક હેરોલ્ડ રોબિન્સ કે ઈઆન ફ્લેમિંગ પણ આવી જાય. આ પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત હતાં. જેમ્સ હેડલી ચેઈઝનાં મોટા ભાગનાં પુસ્તકોનો અનુવાદ બકુલ વોરા દ્વારા થતો. ક્યારેક તેઓ અંગ્રેજી પોકેટ બુક્સ પણ ખરીદતા અને વાંચતા.
મારા માટે આ પુસ્તકો નવીનવાઈનાં હતાં. કેમ કે, દરેક પુસ્તક પર લેખકનું નામ મોટા અક્ષરે મસ્ત ટાઈપોગ્રાફીમાં લખાયેલું રહેતું, જ્યારે પુસ્તકનું નામ નીચે સાદી ટાઈપોગ્રાફીમાં. આવાં બીજાં કોઈ પુસ્તકો મેં જોયાં નહોતાં. આ પુસ્તકો મુંબઈથી આવતા મારા પિતરાઈ ભાઈઓ કિસનભાઈ અને મયુરભાઈ, તેમજ અમદાવાદથી આવતી ફોઈની દીકરીઓ રન્નાબહેન, ઉષ્માબહેન, પારુલબહેન તેમજ બેલાબહેન હોંશે હોંશે વાંચતાં. ફોઈની દીકરીઓ તો આવે એટલે સીધી જ ત્રીજે માળે કબાટે પહોંચી જતી અને મામા કઈ નવી બુક્સ લાવ્યા છે એ જોતી. ક્યારેક પપ્પા તેમને કહેતા પણ ખરા કે આમાં મજા આવશે. મને નવાઈ લાગતી કે એમને એમાં આટલો બધો શો રસ પડતો હશે?
મને વાંચવાનો શોખ લાગુ પડેલો, અને મારા માટે તેઓ 'અમર ચિત્રકથા' તેમજ અન્ય કિશોર સાહિત્ય લાવતા. એ પુસ્તકો મારા મહેમદાવાદના મિત્રવર્તુળના મિત્રોએ દરેક વેકેશનમાં અનેક વાર વાંચ્યા હશે. પણ પેલી પોકેટ બુક્સ મારે ન વાંચવાની પપ્પાની સૂચના. મને ખાસ કુતૂહલ નહોતું કે એમાં શું હશે. પપ્પા કે મમ્મીનો એવો કશો ચોકીપહેરો પણ નહીં, એટલે કદી ચોરીછૂપીથી વાંચવાની ઈચ્છા કદાચ નહીં થયેલી.
દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પાએ મને સામેથી કહ્યું, 'તું વેકેશનમાં આ બધી ચોપડીઓ વાંચજે.' પપ્પાએ પરવાનગી આપી ત્યારે પુસ્તકોની સંખ્યા ઘટી ગયેલી. ફોઈની દીકરીઓ ઘણાં પુસ્તકો વાંચવા લઈ જતી. તેમની પાસે પણ ઘણાં પુસ્તકો હતાં. ક્યારેક તેઓ યાદ રાખીને પપ્પાનાં પુસ્તકો પાછાં લાવતી, તો ક્યારેક ભૂલથી એમનાં પોતાનાં પુસ્તકો પણ આવી જતાં. પણ પપ્પાએ એક વાર એ વાંચી લીધાં હોય પછી ફરી વાંચવાનું રહેતું નહીં. આથી એવી કશી નોંધ રાખવાનો રિવાજ નહોતો.
પપ્પાએ કહ્યા પછી મેં એકાદું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. પણ મને એમાં આવતા અંગ્રેજી નામ અને વાતાવરણ બહુ ફાવ્યાં નહીં. આથી મેં એ અધૂરું મૂક્યું. પણ મારા મિત્ર વિપુલ રાવલે એક પછી એક પુસ્તકો વાંચવા માંડ્યા. તેણે મનેય કહ્યું કે એક વાર તું ટેવાઈ જઈશ પછી બહુ જ મજા આવશે. તેની આવી હિદાયતથી મેં ફરી એક વાર એ પુસ્તક હાથમાં લીધું અને પૂરું કર્યું. ખરેખર મજા આવી ગઈ. બસ, હવે તો સામે ખજાનો હતો.
દસમાનું વેકેશન હતું એટલે એક વાર મમ્મીને મેં કહ્યું કે તેઓ ફોઈને ત્યાં જાય અને ફોઈની દીકરીઓ પાસેથી પુસ્તકો લેતાં આવે. મમ્મી ખાસ એ કામ માટે અમદાવાદ ગયાં અને ઘણાં પુસ્તકો લેતા આવ્યાં. ફોઈની દીકરીઓએ પણ એ વાંચી લીધેલાં. ઘણાં બધાં પુસ્તકો બદલાઈ ગયેલાં, તેમણે પોતાનાં હોય એવાં આપેલાં, પણ મહત્ત્વ સંખ્યાનું હતું. ધીમે ધીમે કરતાં અમે એ તમામ પુસ્તકો વાંચી નાખ્યાં. એ પછી તો દર વેકેશનમાં આ પોકેટ બુક્સ વાંચવાનો અમારો ક્રમ બની ગયો. 'વેલ નાઉ માય પ્રીટી', 'ધેર ઈઝ અ હીપ્પી ઓન ધ હાઈવે', 'કેન ઓફ વોર્મ્સ', 'વારી ટ્રાન્સગ્રેસર', 'કેડ', 'એન ઈઅર ટુ ધ ગ્રાઉન્ડ', 'ધ જોકર ઈન ધ પેક', 'નો ઓર્કિડ્સ ફોર મિસ બ્લેન્ડીશ' 'શોક ટ્રીટમેન્ટ', 'ડબલ શફલ', 'હેવ ધીસ વન ઓન મી', 'ફીગર ઈટ આઉટ' હેરોલ્ડ રોબિન્સની 'સ્ટીલેટો', ઈઆન ફ્લેમિંગની 'ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ' વગેરે જેવાં અનેક નામ આજેય મને કશા આયાસ વગર યાદ છે. એક આખી સૃષ્ટિ જાણે કે ખુલી ગઈ.
હવે ઘણાં વખતથી એ પુસ્તકો તરફ નજર કરાઈ નથી. પણ વાંચનની આદતને વિકસાવવામાં આ પુસ્તકોનું ઘણું પ્રદાન રહ્યું. પપ્પા દર વેકેશનમાં બાળ અને કિશોરસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો લાવતાં એમાંનાં ઘણાં બધાં પુસ્તકો અમારાં સંતાનોએ પણ વાંચ્યાં. એમાંનાં ઘણા હજી સચવાયાં છે, અને એમાંની કેટલીક વાર્તાઓનાં પાત્રો કે પરિસ્થિતિઓ અમારા માટે સંદર્ભબિંદુ બની રહ્યાં છે.
પપ્પાની વિદાયને આજની તારીખે અઢાર વર્ષ વીત્યાં. સ્વજનોની સ્મૃતિ કંઈ તિથિતારીખ પૂરતી મર્યાદિત નથી હોતી. ભૌતિક અને માનસિક સ્મૃતિઓ થકી તેઓ આપણા મનમાં જીવંત રહેતાં હોય છે. હવે આપણી વય વધતી જાય અને વ્યસ્તતા તેમજ પ્રાથમિકતાઓ બદલાતી જાય ત્યારે મનમાં રહેલા સ્મૃતિના આંતરપ્રવાહને આ રીતે બહાર લાવવો પણ જરૂરી છે.

Thursday, October 16, 2025

પ્રસંગોના પોતમાં સ્મૃતિના તાણાવાણા

આજે, એટલે કે, 16 ઓક્ટોબરના રોજ પપ્પાનો જન્મદિવસ (જન્મવર્ષ:1932) છે. (2008માં) તેમની વિદાયને સોળ વરસ થઈ ગયાં. એવું કંઈ નથી કે એમના જન્મદિન કે પુણ્યતિથિએ યાદ આવતા રહે. ઘણી વખત તારીખ યાદ ન રહે. પણ વાતોમાં અનેક વાર યાદ આવતા રહે. તેમને કપડાંનો બહુ શોખ હતો. તેમની વસ્ત્રપસંદગી ઉત્તમ. પપ્પા હયાત હતા ત્યારે તો ખરું જ, તેમની વિદાય પછી કેટલાક લોકોએ કહેલું કે 'અમને અનિલભાઈની (કપડાંની) 'ચોઈસ' બહુ ગમતી.' હા, પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. સ્વાસ્થ્યના કારણોવશ છેલ્લાં પચીસેક વરસ તેમનું હલનચલન મર્યાદિત બન્યું ત્યારે યાદ નથી કે એ વરસોમાં તેમણે કોઈ નવાં કપડાં વસાવ્યાં હોય. તેઓ પથારીવશ નહોતા રહ્યા એટલું આશ્વાસન. આથી બહાર જવાનું ઓછું બનતું. એ વખતે તેમણે અગાઉ વસાવેલાં કપડાંમાંથી જ કામ ચાલી જતું. એટલો વિપુલ જથ્થો હતો. મારી અને ઉર્વીશની વસ્ત્રપસંદગી માટે 'પસંદગી' શબ્દ વાપરવો વધુ પડતો લાગે એવી. દસમા- અગિયારમામાં હું ભણતો ત્યાં સુધી મારાં કપડાં પપ્પા જ લાવતા. એ વખતે કાપડ લાવીને કપડાં સીવડાવવા પડતાં. પપ્પા ત્યારે મહેમદાવાદથી વડોદરા અપડાઉન કરતા. મોટે ભાગે થતું એવું કે પપ્પા કાપડ લઈને વડોદરાથી આવે, અને નડિયાદ રહેતા મામા (અરવિંદ દેસાઈ) એ કાપડ સ્ટેશન પરથી લઈ લે. અરવિંદમામા બેન્કમાં હતા. તેમના એક સહકાર્યકર નવિનભાઈ (એન.બી.) દરજી હતા, જે કપડાં સિવતા. તેમની પાસે મારું માપ રહેતું. અથવા એ પછીના દિવસોમાં હું નડિયાદ જતો અને નવિનભાઈને માપ આપી આવતો. નવિનભાઈને મારે બેન્કમાં જ મળવાનું થતું. તેઓ મુખ્ય કાઉન્ટર પર બેસતા. હું જાઉં એટલે મને તેઓ અંદરના રૂમમાં લઈ જતા અને માપ લેતા. એ પછી નવિનભાઈ કપડાં સિવીને મામા દ્વારા મોકલી આપતા. કદીક મારે નડિયાદ જવાનું થાય તો મામાની બેન્ક નજીક હોવાથી તેમને મળવા હું ત્યાં જતો. ત્યારે નવિનભાઈ પણ હોય જ. તેઓ પણ મને 'ભાણા' કહેતા. મેં મોટે ભાગે એમનાં સિવેલાં કપડાં પહેર્યાં હોય એટલે નવિનભાઈ જુએ મને, પણ હકીકતમાં તેઓ એ જોતા હોય કે એમણે સિવેલાં કપડાં મને કેવાંક લાગે છે. તેઓ કહેતા, 'ભાણા, જામ છ, હોં!' પપ્પાની વસ્ત્રપસંદગીથી નવિનભાઈ બહુ ખુશ થતા.

એક વખત મેં કપડાં સિવડાવવાં આપેલાં. નવિનભાઈને કંઈક કામસર મહેમદાવાદ આવવાનું થયું હશે એટલે તેમણે મામાને કહ્યું કે એ પોતે જ સીવેલાં કપડાં પહોંચાડી દેશે. સાંજનો સમય હતો. અમે સૌ છેક અંદરના, રસોડાવાળા રૂમમાં જમવા બેઠેલા. મારાં દાદીમા કપિલાબહેન પણ ત્યારે હતાં. એ વખતે કોઈક અમારો દાદરો ચડ્યું. અવાજ આવ્યો એટલે અમે બહારની તરફ જોયું તો નવિનભાઈ દરજી. એમને જોઈને મને નવાઈ લાગી. એમણે બહારથી જ ઈશારો કર્યો કે 'જમી લો, હું બેઠો છું.' સૌથી પહેલાં મારાં દાદીમા જમી રહ્યાં. તેઓ જમીને બહારના રૂમમાં ગયાં. નવિનભાઈને તેઓ ઓળખતાં નહીં. આથી તેમણે નવિનભાઈની ઓળખાણ પૂછી. કોણ છે, ક્યાંથી આવ્યા છે, શા કામે આવ્યા છે વગેરે...મને અંદર રહ્યે રહ્યે થતું કે બા આજે નવિનભાઈને સવાલો પૂછી પૂછીને થકવી નાખશે. હું પણ ફટાફટ જમવાનું પતાવીને બહારના રૂમમાં આવ્યો. ત્યાં સુધીમાં તો બાએ નવિનભાઈ સાથે ઓળખાણ કાઢી નાખી હતી. તેમના પિતાજી, કાકા વગેરે સૌને એ ઓળખતાં હતાં. નવિનભાઈના મામા જગુભાઈ મહેમદાવાદમાં જ રહેતા, અને એ જગુકાકા સાથે અમારા પારિવારિક સંંબંધો હતા. હું બહારના રૂમમાં ગયો એટલે બા કહે, 'આ તો અમારા '-------- (નામ ભૂલી ગયો છું)'નો છોકરો છે. એના પપ્પા, કાકા બધાને હું ઓળખું.' મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. નવિનભાઈ પણ હસતા હતા.
એ પછી નવિનભાઈએ મને પોતે સિવેલાં મારાં કપડાં આપ્યાં અને કહે, 'ભાણા, બહુ મસ્ત કલર છે, હોં!' નવિનભાઈ જાણતા હતા કે રંગોની પસંદગી મારી નહીં, પપ્પાની હતી. મેં રાજી થઈને કપડાં એમની પાસેથી લીધા. થોડી વાર બેસીને નવિનભાઈએ પણ વિદાય લીધી.
એ પછી પપ્પાનું વડોદરાનું અપડાઉન બંધ થયું. પછીનાં વરસોમાં કપડાં સિવડાવવાનું ચલણ પણ ઘટતું ચાલ્યું. આથી નવિનભાઈ પાસે કપડાં સિવડાવવાનું રહ્યું નહીં. અલબત્ત, મામાની બેન્કમાં જાઉં ત્યારે એ અવશ્ય મળતા.
એ પછીનાં વરસોમાં કેન્સરની બિમારીને લઈને નવિનભાઈએ પણ ચીરવિદાય લીધી. મારાં બા એ પહેલાં ગયાં, અને પછી પપ્પા પણ. અરવિંદમામા હજી નડિયાદ છે, અને એવો જ પ્રેમ અમારા સૌ પર વહાવે છે.
આ આખી વાતમાં પપ્પા ક્યાં? આવો સવાલ અસ્થાને છે. વાત એટલી કે સ્વજનોની યાદ કોઈ તારીખ, તિથિની મોહતાજ નથી હોતી. જીવનની એવી એવી બાબતોમાં તેમની સ્મૃતિઓ વણાયેલી હોય છે કે વાત કોઈ પણ હોય, કાપડના તાણા અને વાણાની જેમ એના પોતમાં સ્મૃતિનો તાર પરોવાયેલો નીકળે જ.

Saturday, September 13, 2025

ફરી પાછી 'દાદા'ગીરી શરૂ

એક વડદાદાના વિસર્જનની કથા અહીં વાંચ્યા પછી તેની અપડેટ આપવી જરૂરી બની રહે છે. (અહીં આપણા પત્રકારત્વમાં ફોલો અપ સ્ટોરીઝનો કેટલો અભાવ છે એ લખવાનું ટાળ્યું છે)

રાતનો વરસાદ માણ્યા પછી
પ્રસન્ન મુદ્રામાં વડદાદા
વડના મૂળની આસપાસ લગાવેલી પ્લાસ્ટિકની કોથળીને દૂર કરીને માટી તપાસતાં એમાં શંખ, પથ્થર વગેરે જણાયાં. એ શંખની અંદર કીડી કે કીડાનાં ઈંડાં હતાં. આ ઈંડાંમાંથી કેક યા ઓમલેટ બની શકે એમ ન હોવાથી એ અમારે ખપનાં નહોતાં. (અહીં વકરેલી ઊપભોક્તાવાદી માનસિકતા અને 'યુઝ વિધાઉટ થ્રો'ના વલણ અને એના વિશે મારા વિચારો લખવાનું ટાળું છું) પહેલાં તો નળના પાણીમાં આ આખી માટી ધોઈને સાફ કરવામાં આવી. એને કારણે મૂળ ખુલ્લા થયાં. આ વડના કદને અનુરૂપ કુંડૂં પણ હોવું જોઈએ. અત્યારે એ હાથવગું નહોતું. આથી ફાઈકસ ઊગાડેલા એક કૂંડામાંથી ફાઈકસને બહાર કાઢ્યું. એને માનભેર અન્ય પાત્રમાં રોપ્યું. એ પછી નવી માટી, ખાતર અને થોડી જૂની

માટી વડે એ કૂંડાને ભર્યું. આમ, બેઠક તૈયાર થયા પછી એમાં એ વડનું સ્થાપન કર્યું. પાણી રેડીને માટી બેસાડવાની જરૂર વરતાતી હતી, પણ રસોડામાં તળી રાખેલી પાપડીઓની હવાઈ ગયેલી સ્થિતિ પરથી હવામાં ભેજ કેટલો હશે અને ક્યારે વરસાદ પડશે એનું અનુમાન અમે કર્યું. (અહીં 'ભારતીય જ્ઞાનપ્રણાલિ' એટલે કે 'આઈ.કે.એસ.'ની સચોટતા અને મહાનતા વિશે લખવાનું ટાળ્યું છે) વડને નવેસરથી ગોઠવીને અમે અમારા કામે લાગ્યા. (અમે કેવાં કેવાં કામમાં વ્યસ્ત રહીએ છીએ અને એમ કરીને અમે સમાજ પર કેવો ઊપકાર કરીએ છીએ એની લાંબી યાદી લખવાની ટાળી છે.) હવાઈ ગયેલી પાપડીના આધારે કરાયેલું અનુમાન સચોટ ઠર્યું અને રાતના ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત સુધી ચાલ્યો. (મોડી રાત સુધી જાગીને લખવા-વાંચવાના ફાયદા લખવાનું ટાળ્યું છે.) સવારે જાગીને અમે બહાર જોયું તો વડદાદા એકદમ મસ્ત રીતે કુંડામાં સ્થાપિત થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, અને વડદાદા એને માણી રહ્યા છે. (અહીં જે લખવાનું ટાળ્યું છે એ વાંચનારની કલ્પના પર છોડવામાં આવે છે)

કોથળી હટાવ્યા પછી

મૂળ આસપાસના ભાગની સફાઈ

સફાઈ પછી

હવે આ વડને પાંદદાં ફૂટશે, વડવાઈઓ નીકળશે, ભલું હશે તો એની ડાળે હીંચકો બાંધવામાં આવશે, અને વાંદરાં પણ કૂદાવવામાં આવશે. જેવો વડનો વિકાસ અને જેવો અમારો બોન્
સાઈપ્રેમ!

ચરોતરમાં બહુ તોફાની વ્યક્તિ માટે કહેવાય છે કે, 'એ તો વડનાં વાંદરા પાડે એવો છે.' વધુ પૈસા આવશે તો 'વડના વાંદરા પાડવાનો', 'વડ પરથી પાડેલાં વાંદરા પાછા ગોઠવવાનો', 'વાંદરા પાડવાનું મેનેજ' કરવાનો' વગેરે જેવા કોર્સ ધરાવતી યુનિવર્સિટી પણ ખોલવાનું વિચારણા હેઠળ છે. (અહીં ફરી એક વાર 'ભારતીય જ્ઞાન પ્રણાલિ' અને તેની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે લખવાનું ટાળું છું) આમ, કોઈકના દ્વારા વિસર્જિત કરાયેલા વડદાદા હવે માનભેર સ્થાપિત થયા છે. આ વડના રૂબરૂ દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા મૂકાતી ભેટ સ્વીકારાય છે. ભેટ મૂક્યા પછી પહોંચ મેળવી લેવાનો ખાસ આગ્રહ રાખવો એવી વિનંતી.

Saturday, September 6, 2025

દાદાનું વિસર્જન અને પુન:સ્થાપન

અમારા ઘરના બગીચાની દેખરેખ કામિની કરે છે. પૂજામાં બેઠેલી પત્નીના હાથને કેવળ 'હાથ અડકાડવાથી' પત્નીના પુણ્યકાર્યમાં સહભાગી થઈ જવાય છે. એ ન્યાયે મારે પણ એનાં ઉછેરેલા છોડ ધરાવતાં કુંડાને ફક્ત 'હાથ અડકાડવાનો' એટલે કે જરૂર મુજબ ખસેડી આપવાનાં હોય છે. મારા આ પુણ્યકાર્યમાં એ પણ સહભાગી બને છે. ઘેર ઉછેરેલાં ઘણા ઝાડ (બોન્સાઈ) અને અન્ય વનસ્પતિની રસપ્રદ કહાણી હોય છે, પણ અમે કોઈને એ કહીને 'બોર' નથી કરતાં. એમ કરવા માટે મારી લેખનપ્રક્રિયા, કામિનીએ બનાવેલી દાળભાત, રોટલી કે શાક, કાચા શાકના સલાડ જેવી કોઈક વાનગીની રેસિપી જણાવવા જેવા અનેક સરળ ઊપાયો હાથવગા અને પૂરતા છે. પણ બાગાયતને કારણે હવે અમારી નજર બદલાઈ છે. કોઈ તૂટેલા પાત્રમાં કૂંડું નજરે પડે, તો ક્યાંક ઊગી નીકળેલા છોડમાં બોન્સાઈની શક્યતા!

ગઈ કાલે વરસાદી માહોલમાં સવારના અગિયારેક વાગ્યે અમે બન્ને નડીયાદ જવા નીકળ્યા. (હું નડીયાદ શા માટે જાઉં છું અને ગોવર્ધનરામ સ્મૃતિમંદિર કેટલું અદ્ભુત સ્થળ છે એ વર્ણન હું ટાળું છું. સ્વાભાવિક છે કે કઈ કાર હું વાપરું છું એ પણ નથી લખ્યું.)
એક રસ્તે અમે કાટખૂણે વળાંક લીધો અને આગળ વધ્યા કે કામિની કહે, 'અરે, ત્યાં એક વડ પડેલો હતો!' કાર ધીમી હતી, પણ અમે સહેજ આગળ નીકળી ગયેલા. (હું કેવું સુંદર ડ્રાઈવિંગ કરું છું એનું વર્ણન ટાળું છું.) મેં પૂછ્યું, 'ક્યાં હતો? કઈ સ્થિતિમાં હતો?' તેણે વિગત જણાવી અને કહ્યું, 'લાગે છે કે કોઈકે એને ફેંકી દીધો હશે.' અમારા બન્નેનું વનસ્પતિપ્રેમી હૃદય દ્રવી ઉઠ્યું. (અહીં મને કયો શેર યાદ આવ્યો એ લખવાનું ટાળું છું) મેં પૂછ્યું, 'આગળથી યુ-ટર્ન લઈ લઉં?' પહેલાં કોઈ પણ બાબતે યુ-ટર્ન લેવામાં અમને સ્વમાન, સ્વાભિમાન, દેશાભિમાન વગેરે નડતાં હતાં, પણ ગૂગલ મેપના ઊપયોગને કારણે હવે યુ-ટર્ન લેવો એવી જ સાહજિક ઘટના બની રહી છે જેમ મોસમ વિભાગની આગાહી ખોટી પડે. પણ કામિનીએ કહ્યું, 'આપણે રાત્રે પાછા આવીએ ત્યારે યાદ રાખીને અહીં ઊભા રહીશું.' આમ તો, રસ્તે ત્યજી દેવાયેલી કોઈ કિંમતી ચીજવસ્તુ આઠ દસ કલાક પડી રહે, કોઈ એને લઈ ન જાય એ અશક્ય છે, પણ અમને આપણા દેશમાં પુન: સ્થપાઈ રહેલી સાંસ્કૃતિક ગર્વની ભાવના તેમજ સ્વચ્છતા અભિયાનની સાર્થકતા પર વિશ્વાસ, બલ્કે અંધ વિશ્વાસ હતો કે એ વડ સાંજ સુધી એમનો એમ જ પડ્યો રહેશે.
વિસર્જિત થયેલા વડદાદા
નડિયાદ પહોંચીને અમે એક જ ઉદગમસ્થાનેથી નીકળેલી બે નદીઓ પોતપોતાની રાહે ફંટાય એમ પોતપોતાનાં સ્થાને અને કામે વળી ગયાં. સાંજ પડ્યે વળી પાછા, એ બે નદીઓનો સંગમ રચાય એમ અમે ભેગાં થયાં અને વડોદરા તરફની વળતી મુસાફરી આરંભી. (આપ સમજી શકશો કે અહીં મેં શું શું લખવું ટાળ્યું છે) ઝરમર વરસાદ આખે રસ્તે હતો. (પણ એકે વરસાદી ગીત યાદ નહોતું આવ્યું.) આખરે અમે વડોદરામાં પ્રવેશ્યાં. અમને યાદ હતું કે અમારે પેલા વડ પાસે જવાનું હતું. રાતના આઠેક વાગ્યા હોવાથી ઠીક ઠીક અંધારું હતું, પણ એ વડ મળી ગયો. સવારે અમે એ વડના ત્યાં જ રહેવા બાબતે આપણી સંસ્કૃતિમાં વ્યક્ત કરેલી શ્રદ્ધા અને વિશ્વાસ સાચાં પડ્યાં એ બાબતે ગર્વ અનુભવ્યો. વડોદરામાં સતત વરસાદ પડી ગયેલો, પણ એ સમયે અટકેલો. આથી કીચડ ખૂબ થઈ ગયેલો. રોડને કિનારે કાર ઊભી રાખીને કામિની સીધી એ વડ પાસે પહોંચી ગઈ. દરમિયાન મેં નીચે ઊતરીને ડીકી ખોલી દીધી. એ વડને ડીકીમાં મૂકીને અમે ઘેર લઈ આવ્યાં અને ઘેર આવ્યા પછી એને બહાર ખુલ્લામાં મૂક્યો. આખી રાતના ઝરમર વરસાદમાં તેણે સ્નાન કર્યું. સવારે એ વડનાં દર્શન કર્યાં અને દિલ ખુશ થઈ ગયું. કોઈકે એ વડ ઉછેરેલો હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું. એની પર વીંટાળેલા ધાગા જોઈને એ પણ ખ્યાલ આવતો હતો કે વટસાવિત્રી નિમિત્તે પણ કોઈકે એની પૂજા કરી હશે. પણ એ પછી એને કેમ આમ ફેંકી દીધો હશે? કામ પતી ગયું હશે એટલે? કે પછી કોઈક વાસ્તુશાસ્ત્રી કે કર્મકાંડીએ કહ્યું હશે એટલે? અમને યાદ આવ્યું કે થોડા સમય અગાઉ અમારા એક પરિચીત અમારી પાસેથી માગીને પીપળાનું બોન્સાઈ લઈ ગયેલા. (આ વાંચીને પ્રેરાવું નહીં. કેમ? એ જાણવા આગળ વાંચો) થોડા સમયમાં જ તેઓ અમને એ રંગેચંગે પાછું આપી ગયા. કહે, 'અમને તો ખબર નહીં, પણ દાદાએ કહ્યું કે આના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, પાંદડામાં વાય દેવતાનો વાસ છે, ફળમાં ઝેડ દેવતાનો વાસ છે. એટલે એને ઘરમાં ન રખાય.' આટલે સુધી તો બરાબર હતું. અમને આ માહિતી જાણીને નહીં, પણ પીપળો પાછો આવ્યો જાણીને (પીપલીયા વસ્તાવૈયા) બહુ આનંદ થયો.
વટસાવિત્રી વખતે કરાયેલી પૂજા?
એ પછી તેમણે કહ્યું, 'દાદાએ કહેવડાવ્યું છે કે તમેય તમારા ઘરમાંથી બધા પીપળા કાઢી નાખજો.' મારા મોંએ દલીલ આવી ગઈ કે પીપળામાં આટલા બધા દેવતાનો વાસ હોય તો એને કાઢી નખાય કે રખાય? પણ ભક્ત આગળ, આઈ મીન શ્રદ્ધાળુઓ આગળ દલીલ કરવી નહીં, એટલે કે આપણે જે કરતા હોઈએ એ દલીલ વિના જ કર્યે જવું એવી જે શીખ છેલ્લા બે દાયકાથી મનમાં પાળી છે એનું અમે પાલન કર્યું.
આમ, કોઈકે જેનું વિસર્જન કરી દીધેલું એવા 'વડદાદા'ને અમે અમારા ઘેર લઈ આવ્યા છીએ, અને હવે યોગ્ય 'પાત્ર'માં એમનું પુન:સ્થાપન કરવામાં આવશે. એ વખતે ફરી એક વાર એ વિધિની જાણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓએ પોતપોતાને ભાવતો પ્રસાદ કલ્પીને પોતાને ઘેર જ બેસીને ખાઈ લેવો.
ઈતિશ્રી પ્રથમ અધ્યાય ઓફ દાદાપુરાણ સમાપ્ત!

Sunday, August 31, 2025

પ્રેમનું પાવરહાઉસ, આતિથ્યભાવનાનું એવરેસ્ટ

- બીરેન કોઠારી

આજે રેખાકાકીનો જન્મદિવસ છે. ઉર્વીશને અને મને નજીકથી જાણતા અમારા મોટા ભાગના મિત્રો એટલું જાણતા હોય કે મુંબઈ જઈએ ત્યારે અમારો ઊતારો એમને ત્યાં હોય છે. એમાંનું કોઈક ક્યારેક અમારી સાથે કે અમને મળવા મુંબઈમાં એમને ઘેર એકાદ વાર પણ આવ્યું હોય તો એ કદી રેખાકાકીને ભૂલી ન શકે. (ઉદાહરણ તરીકે અભિષેક, બિનીત મોદી, અજય પરીખ વગેરે) આમ થવાનું કારણ રેખાકાકીનું હૂંફાળું અને પ્રેમસભર આતિથ્ય.
પણ પહેલાં એમની સગપણે ઓળખાણ. થોડા દિવસ અગાઉ મારી પિતરાઈ પૌલાનો પરિચય લખેલો. (એ પરિચય અહીં વાંચી શકાશે.)
રેખાકાકી એટલે પૌલાનાં મમ્મી. એ જ રીતે મારા પપ્પાના મસિઆઈ ભાઈ શૈલેષકાકાનાં પત્ની. પોતાના પિતાજી ડાહ્યાભાઈ પરીખની બેન્કની નોકરીને કારણે આણંદ, નડિયાદ, અમદાવાદ જેવાં નગરોમાં વસવાટ અને એ પછી લગ્નને કારણે મુંબઈ વસ્યા પછી રેખાકાકીમાં મુંબઈનો અસલી મિજાજ જોવા મળે.
પૌલાના પરિચયમાં જણાવેલું એમ, અગાઉ અમે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે મારા સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ત્યાં ઊતારો રહેતો. અહીંથી એકાદ સાંજનો અમારો કાર્યક્રમ 'માસીને ત્યાં' (મારા પપ્પાના માસી સરલાબહેન એટલે કે અતિમાસી) જવાનો રહેતો. એવે સમયે પણ રેખાકાકી અમારી જે મહેમાનગતિ કરતાં એ જોઈને નવાઈ લાગતી. પહોંચીએ એટલે કોઈક ગરમ નાસ્તો, સાથે ચા, એ પછી ભોજનમાં પણ ઘણું બધું અને છેલ્લે આઈસક્રીમ. અમે મહેમદાવાદથી આવ્યા હોઈએ એટલે અમારા હાથમાં 'કવર' પણ મૂકી દેતાં. અલબત્ત, અમારી આવી મુલાકાત એક જ વારની રહેતી.
એ પછી એક વાર અમારાં સગા કાકી પુષ્પાકાકીને કોઈક સર્જરી કરાવી. તેમની સંભાળ લેવા કેટલાંક સગાંએ એમની સાથે રોકાવું જ પડે એમ હતું. અને અમારી પહેલવહેલી 'મુંબઈયાત્રા' અમે એ જ અરસામાં ગોઠવેલી. અગાઉ અમે મુંબઈ આવતા, પણ ઉર્વીશ અને મેં આ મુલાકાત જુદા જ કારણસર ગોઠવેલી. પુષ્પાકાકી રહેતાં એ ઘર નાનું, થોડાં સગાં આવેલાં, અને એમાં અમે બન્ને જણનો ઉમેરો થાય તો રહેવાની ઘણી તકલીફ પડે એ સ્વાભાવિક છે. એવે સમયે પૌલાએ આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે અમે મુંબઈની મુલાકાત રદ ન કરીએ અને એમને ત્યાં અમારો ઊતારો રાખીએ. પૌલા સાથે એટલા સમયમાં અમારે મિત્રતા થયેલી એટલે અમે એ માન્ય રાખ્યું.
નક્કી કર્યા મુજબ, અમે પહેલાં સાન્તાક્રુઝ પહોંચ્યા. ત્યાં બધાંને મળીને પછી શૈલેષકાકા- રેખાકાકીને ત્યાં પહોંચ્યા. એમના ફ્લેટની રચના એવી છે કે રેખાકાકી રસોડામાં હોય તો બહારથી આવનાર એમની નજરે પડે. એ બારીમાંથી જ કાકીનો આવકાર આપતો અવાજ સંભળાયો, 'આવો આવો ભાઈ. આવી ગયા?' ત્યારથી લઈને આજ સુધી કાકીના આવકારના રણકામાં કશો ફેર પડ્યો નથી.
ખેર, અમે અંદર પ્રવેશ્યા. પણ અંદરનું દૃશ્ય જોઈને ઓર મૂંઝાયા. ફ્લેટના વિશાળ ખંડમાં કેટલા બધા લોકો હતા! રેખાકાકીનાં મમ્મીપપ્પા ડાહ્યાભાઈ અને આનંદીબહેન, એમનાં બહેન દક્ષાબહેન અને દીકરી નિયતિ, ભત્રીજો સૌરીન, મુંબઈ રહેતાં કાકીનાં બહેન રીટાબહેન, એમની દીકરીઓ ઋજુતા અને શીતલ. આ ઊપરાંત મારા પપ્પાના પિતરાઈ (મામાનો દીકરો) નરેન્દ્રકાકા અને એમનો દીકરો આશિષ. આ સૌ અહીં વેકેશન ગાળવા આવેલા. એક ક્ષણ અમને થયું કે અરે! આટલા બધામાં અમારા બેનો ઊમેરો? અમે નરેન્દ્રકાકા અને આશિષ સિવાય બાકીનાં સૌને પહેલી વાર જ મળી રહ્યા હતા. પણ રેખાકાકી જેમનું નામ! એમણે અમને એટલા પ્રેમ અને હૂંફથી આવકાર્યા, સૌ સાથે પરિચય કરાવ્યો અને જણાવ્યું કે અત્યારે સૌથી પહેલાં આપણે બહાર જમવા જવાનું છે.
અમે જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો મક્સદ લઈને ગયેલા. મુંબઈ રહેતા સગાંને ત્યાં આ હેતુથી ઘણા લોકો આવતા હોવાથી એની નવાઈ ન હોય. પણ કાકીએ રસપૂર્વક પૂછ્યું, 'કોને કોને મળવાના છો?' અમારા માટે આમ ગંભીર, પણ અન્યને કદાચ બાલીશતા લાગે એવો અમારો હેતુ હતો, પણ કાકીએ એને આવું મહત્ત્વ આપ્યું એ જોઈને આનંદ થયો.
આટલા બધા સગાં આવેલાં હોવા છતાં રેખાકાકી જે ઉત્સાહ અને ઉમંગથી આતિથ્ય કરતાં એ આશ્ચર્ય પમાડતું. અધૂરામાં પૂરું બીજાં કેટલાંક સ્નેહી કે મિત્રોને પણ એમણે પોતાને ત્યાં નિમંત્રેલા અને નાનકડું 'ગેધરિંગ' યોજેલું. અમારા માટે અજાણ્યા એવા મોટા ભાગના લોકો હોવા છતાં અમને એકલું ન લાગે કે અમે એકલા ન પડી જઈએ એનું ધ્યાન કાકા, કાકી અને પૌલા- સૌ રાખતાં. હજી અમારી કશી સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી. આજે વિચારતાં લાગે કે એ કેવડી મોટી વાત હતી કે ગામથી આવેલા, સગપણમાં દૂરના ભત્રીજાઓને આટલા પ્રેમ અને વિવેકથી સૌની સાથે પરિચીત કરવા! જૂની ફિલ્મોના એક અભિનેતા સુશીલકુમાર શૈલેષકાકાના ક્લાયન્ટ હતા. (શૈલેષકાકા અને એમના પિતાજી કાંતિલાલમાસા બન્ને સોલિસીટર હતા.) અમે એમની સાથે નિરાંતે વાતચીત કરી શકીએ એ માટે રેખાકાકીના આગ્રહથી શૈલેષકાકાએ એમને પોતાને ઘેર જ નિમંત્રેલા. એ દૃશ્ય પણ મઝાનું હતું. એક ફિલ્મ કલાકાર આવેલા એટલે પહેલાં સૌ કુતૂહલથી એમની આસપાસ ગોઠવાઈ ગયાં. ધીમે ધીમે વાતો શરૂ થઈ, અને એમાં અમે ઊંડા ઊતરતા ગયા એમ 'બિછડે સભી બારી બારી' થતું ગયું. એમ ને એમ રાતના બાર થયા. હવે અમારી વાતોનો પણ છેડો આવ્યો હોય એમ લાગતું હતું, પણ સુશીલકુમાર કદાચ વરસો પછી પોતાની કારકિર્દી વિશે કોઈકને કહી રહ્યા હતા એટલે બરાબર રંગમાં આવી ગયેલા. છેવટે રેખાકાકીએ એમને જ સૂઝે એવી તરકીબ કરી. અંદરના રૂમમાંથી સૌરીન આવ્યો અને શૈલેષકાકાના કાનમાં કશુંક કહી ગયો. સુશીલકુમારે વાત કરતાં સહેજ 'પૉઝ' લીધો કે કાકા કહે, 'રેખાએ કહેવડાવ્યું છે કે રાતે તમે અહીં જ રોકાઈ જજો. અત્યારે પાછા સાન્તાક્રુઝ ન જતા.' ત્યારે સુશીલકુમારે ઘડિયાળ જોઈ અને તેમને સમયનું ભાન થયું. તેમણે સૌજન્યપૂર્વક જવાની રજા માગી, જે આપવા અમે પણ રાજી હતા.
આઠ-દસ દિવસનું અમારું એ રોકાણ બહુ યાદગાર બની રહ્યું. ખાસ તો, એ દરમિયાન જોયેલી- અનુભવેલી કેટલીય બાબતો અમે જીવનમાં અપનાવી શક્યા.
મારા સગા કાકા પછી મુંબઈ છોડીને મહેમદાવાદ આવી ગયા એટલે હવે શૈલેષકાકાનું ઘર અમારું મુંબઈ ખાતેનું રોકાણ બન્યું. શૈલેષકાકાએ વિદાય લીધા પછી પણ રેખાકાકીની બદૌલત એ સિલસિલો ચાલુ રહ્યો છે.
એમની સક્રિયતા ગજબની. એમને સૌથી વધુ શોખ જમવા-જમાડવાનો. એમને ઘેર જઈએ એટલે તેઓ અમારી સામે જે વિકલ્પ મૂકે એનાથી અમે ચકિત થઈ જઈએ અને કહીએ કે એવી કશી જરૂર નથી. પણ કાકી અવનવી વાનગીઓ બનાવે, અને ગરમાગરમ જમાડે. એનો પણ એક રમૂજી કિસ્સો છે. એક વાર મારા પરિવાર સાથે હું મુંબઈ ગયેલો. કાકાને ત્યાં જ ઊતારો. મારાં સંતાનો નાનાં હતાં. સવારે રેખાકાકીએ ઈશાનને નાસ્તાના વિકલ્પો પૂછ્યા. ઈશાને ભોળા ભાવે પૂછ્યું, 'પણ કાકી, ચા મળશે ને?' જે નિર્દોષતાથી એણે પૂછેલું એ જોઈને સૌ હસી પડ્યાં. એ પછી આ મજાક અમારું કાયમી સંદર્ભબિંદુ બની ગઈ. આજે પણ કાકીનો ફોન આવે તો પૂછે, 'ચાવાળો ભાઈ શું કરે છે?"
રેખાકાકી અને શૈલેષકાકાની પ્રકૃતિ આમ વિપરીત. કાકીને વાતો કરવા જોઈએ, જ્યારે કાકા એકદમ મિતભાષી. કાકા મજાકમાં કહેતા, 'હું (સોલિસીટર હોવાથી) બોલવાના પૈસા લઉં છું.' પણ બન્નેને સ્નેહમિલન ખૂબ ગમે. પોતાને ઘેર અવારનવાર યોજે. એમાં ઘણી વાર એમ બને કે બધા કાકાને પત્તાં રમવા કે હાઉસી રમવા જેવી સામૂહિક પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરે. પણ કાકાને એ ન ગમે. મિત્રવર્તુળ દ્વારા બહુ આગ્રહ થાય ત્યારે કાકાનો જવાબ: 'હું તમને કદી 'રિડર્સ ડાયજેસ્ટ' વાંચવાનો આગ્રહ કરું છું?' કાકાએ એક વાર અમને 'રિડર્સ ડાયજેસ્ટ'નું વાર્ષિક લવાજમ ભેટમાં આપેલું. (એ પછી પૌલાએ અમેરિકામાં અમારા માટે 'મૅડ'નું વાર્ષિક લવાજમ ભરેલું.)

રેખાકાકી અને શૈલેષકાકા

કાકી સામાજિક રીતે બહુ સક્રિય. વિવિધ મંડળો સાથે જોડાયેલાં. એમનાં અનેક સંપર્કો. કાર્યક્રમનું આયોજન હોય કે સંચાલન, કાકી એમાં ઊલટભેર જોડાય. વખત અગાઉ ઈન્ગ્લેન્ડથી આવેલા મારાં કાકા-કાકી હોય કે મારી દીકરી શચિનું લગ્ન હોય, આવેલાં સૌને મનોરંજક રીતે જોડાયેલા રાખવાનું આયોજન અમે કાકી સાથે કરીએ અને એ 'હીટ' જ હોય. કાકી પોતે સારો અવાજ ધરાવે છે. એ અને પૌલા ઘણા કાર્યક્રમોમાં ગાવા પણ જાય. આથી શચિના લગ્નમાં એક વાર અમે એવું આયોજન વિચારેલું કે 'ઈચકદાના બીચકદાના' ગીતની શૈલીએ, એ તરજમાં મારા મિત્રો અને કેટલાંક સગાંઓની ખાસિયતને લગતાં જોડકણાં કાકી અને પૌલા પાસે ગવડાવવાં. એ દરેક પછી કાકી પૂછે, 'બોલો કોણ?' અને ટોળું જવાબ આપે. અહાહા! એમાં જે મજા આવી છે! અમારા સૌની બરાબર ખિંચાઈ કરતાં જોડકણાં અમે સાથે બેસીને લખ્યાં, 'ઈચકદાના' ગીતના મીટરમાં બેસાડ્યા અને કાકી-પૌલાની જોડીએ ગાયાં. એમાં મારાં મમ્મીની વાત પણ હોય. ઈશાનનો ચાવાળો કિસ્સો હોય, મારી અમુક રમૂજનો ઉલ્લેખ હોય. છેલ્લે અમે પણ એમની ખિંચાઈ કરતું જોડકણું લલકાર્યું.
આમ, રેખાકાકીની હાજરી હોય એટલે વાતાવરણ જીવંત બની જાય. એક તો એમનો પોતાનો મોટો અવાજ, ખુલીને હસવાની આદત, અને સૌ સાથે હળીમળી જવાનું વલણ- આ બધું ભેગું થાય એટલે પૂછવું જ શું!

મહેમદાવાદની એક મુલાકાત દરમિયાન ગપ્પાંગોષ્ઠિ
(ડાબેથી) સોનલ, રેખાકાકી, મમ્મી, કામિની અને બીરેન
 (ઉર્વીશ કેમેરાની પાછળ)

આજે પણ મહિનેદહાડે એમનો ફોન આવે- કશા એજન્ડા વિના આવે, અને ફોન પર પણ અમે લાંબી વાત કરીએ. ઘણુંબધું અને ઘણા બધાને યાદ કરીએ, હસીએ, અને મજા કરીએ.
કોવિડના સમયગાળામાં જ્યારે સૌ નજરકેદ થઈ ગયાં હતાં ત્યારે પણ કાકીએ પોતાનો રસોઈપ્રેમ જીવંત રાખીને દોહિતરાંને રોજેરોજ અવનવી વાનગીઓ બનાવીને ખવડાવેલી અને મજા કરાવેલી.
ઉર્વીશ કે હું મુંબઈ જઈએ ત્યારે બીજે ગમે ત્યાં ઊતરીએ, એક રાત એમને ત્યાં ગાળવાની જ. મુંબઈના યજમાનની જેમ કાકી અમારો કાર્યક્રમ પૂછી લે, અને પછી કંઈક ને કંઈક આયોજન કરે. કાં ઘેર જમવાનું ગોઠવે, જેમાં પૌલા- કપિલભાઈ, (કપિલભાઈનાં માતા) સરલાબહેન, સાહિલ, પૂજા હોય. (શૈલેષકાકાનાં બહેન) ઊષાફોઈ હતાં ત્યારે ઉષાફોઈ- અનિલફુઆને નોંતરે. પ્રેમથી ભોજન બનાવે અને એટલા જ પ્રેમથી જમાડે. ભોજન એટલે સંપૂર્ણ ભોજન. છેલ્લે આઈસ્ક્રીમથી સમાપન થાય ત્યાં સુધીનું.
પણ ખરી મજા રાત્રિબેઠકની. સામાન્ય રીતે વહેલાં સૂવા ટેવાયેલાં રેખાકાકીને રાતના સાડા નવ તો બહુ થઈ ગયા. પણ અમે જઈએ ત્યારે આ ક્રમ બદલાય. એમની આંખો ઘેરાઈ હોય, બગાસાં આવતાં હોય, પણ એને અવગણીને એ બેસે, અને જાતભાતની વાતો અમે કરીએ. પૌલા ક્યારેક બેસે, યા એનો સમય થતાં જતી રહે, પણ બીજા દિવસે સવારે ચાના સમયે એ અચૂક આવીને પહેલો સવાલ પૂછે, 'કાલે કેટલા વગાડેલા?' જવાબમાં 'બાર', 'સાડા બાર', કે 'એક' સાંભળીને એને બહુ આશ્ચર્ય થાય અને પોતે 'સેશન મિસ કર્યાનું' અનુભવાય.
સૌથી નોંધપાત્ર વાત એ કે કાકી કોઈકને ત્યાં મહેમાન બનીને ગયાં હોય તો પોતે જે સરભરા આપવાના આદી છે એવી કશી અપેક્ષા ન રાખે. બાકી સહજપણે જ એવી અપેક્ષા રહે!
મે, 2025માં રામચંદ્ર ગુહાના પુસ્તક 'ગાંધી પછીનું ભારત'ના વિમોચન કાર્યક્રમમાં કાકી ખાસ મુંબઈથી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં. એનું અમારે મન મોટું મૂલ્ય એ રીતે છે કે એ વિષય સાથે એમને ખાસ લેવાદેવા ન હોવા છતાં માત્ર ને માત્ર અમારા માટેના પ્રેમવશ તેમણે એ કરેલું. આ જ એમની વિશેષતા. આ જ એમની ખાસિયત. અમારી કશી ઓળખ નહોતી ત્યારે પણ અમારા માટે એટલો જ પ્રેમ અને ભાવ, અને આટલાં વરસો પછી, એમની નજર સામે જ અમે અમારાં ક્ષેત્રોમાં આગળ વધ્યા ત્યારે પણ એ જ પ્રેમ અને ભાવ.
આવા વડીલ મળવા એ સદભાગ્ય જ કહી શકાય, અને એમની ચાહનાને પાત્ર બનવું એ પરમ ભાગ્ય.
રેખાકાકી આજે એમનાં જીવનનાં 79 વર્ષ સંપન્ન કરી રહ્યાં છે એ નિમિત્તે એટલી જ શુભેચ્છા કે એમનો જીવનરસ અને જુસ્સો જળવાયેલાં રહે.