રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.
Friday, July 10, 2026
તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે
Thursday, July 9, 2026
'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી
રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.
Wednesday, July 8, 2026
પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?
રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.
Tuesday, July 7, 2026
દોસ્તી ખરી, પણ સૌજન્યમાં મસ્તી નહીં
સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.
Monday, July 6, 2026
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના
રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!
Tuesday, June 9, 2026
અથશ્રી લેપટોપકાંડ
"તમને ટ્રેન મળી ગઈ?"
"હા. ટ્રેનમાં જ છું."
| ગુજરાત ક્વિનની સાખે, મને બેગ સાથે લેપટોપ સોંપતા રેલ્વે પોલીસના અજયભાઈ ખુમાણ. |
પણ એ પછી આ પ્રકરણ અમારે ત્યાં ચાલુ રહ્યું. ઘેર પહોંચ્યો કે મારા હાથમાં અજાણી બેગ જોતાં જ કામિનીએ પૂછ્યું, 'આ કોની બેગ છે?' જવાબમાં મેં એને આખી વાર્તા કરી અને પેલો ફોટો દેખાડ્યો. હવે બીજા દિવસે અમદાવાદ જતાં અમારે યાદ રાખીને એ બેગ (લેપટોપ સાથે) લઈ જવાની હતી.
Sunday, March 15, 2026
ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'
આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.
'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.
તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'
આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'
માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.
Tuesday, February 24, 2026
જેમ્સ હેડલી ચેઈઝ, ફોઈની દીકરીઓ અને પપ્પા
'હમણાં તારે આ ચોપડીઓ નથી વાંચવાની.' આવી સૂચના મારા પપ્પાએ હું આઠમા-નવમા ધોરણમાં હતો ત્યારે મને આપેલી. પપ્પાની સૂચના કડક હોય એવું અલગથી કહેવાનું ન હોય. પણ એવું તો શું હતું એ ચોપડીઓમાં?
Thursday, October 16, 2025
પ્રસંગોના પોતમાં સ્મૃતિના તાણાવાણા
આજે, એટલે કે, 16 ઓક્ટોબરના રોજ પપ્પાનો જન્મદિવસ (જન્મવર્ષ:1932) છે. (2008માં) તેમની વિદાયને સોળ વરસ થઈ ગયાં. એવું કંઈ નથી કે એમના જન્મદિન કે પુણ્યતિથિએ યાદ આવતા રહે. ઘણી વખત તારીખ યાદ ન રહે. પણ વાતોમાં અનેક વાર યાદ આવતા રહે. તેમને કપડાંનો બહુ શોખ હતો. તેમની વસ્ત્રપસંદગી ઉત્તમ. પપ્પા હયાત હતા ત્યારે તો ખરું જ, તેમની વિદાય પછી કેટલાક લોકોએ કહેલું કે 'અમને અનિલભાઈની (કપડાંની) 'ચોઈસ' બહુ ગમતી.' હા, પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. સ્વાસ્થ્યના કારણોવશ છેલ્લાં પચીસેક વરસ તેમનું હલનચલન મર્યાદિત બન્યું ત્યારે યાદ નથી કે એ વરસોમાં તેમણે કોઈ નવાં કપડાં વસાવ્યાં હોય. તેઓ પથારીવશ નહોતા રહ્યા એટલું આશ્વાસન. આથી બહાર જવાનું ઓછું બનતું. એ વખતે તેમણે અગાઉ વસાવેલાં કપડાંમાંથી જ કામ ચાલી જતું. એટલો વિપુલ જથ્થો હતો. મારી અને ઉર્વીશની વસ્ત્રપસંદગી માટે 'પસંદગી' શબ્દ વાપરવો વધુ પડતો લાગે એવી. દસમા- અગિયારમામાં હું ભણતો ત્યાં સુધી મારાં કપડાં પપ્પા જ લાવતા. એ વખતે કાપડ લાવીને કપડાં સીવડાવવા પડતાં. પપ્પા ત્યારે મહેમદાવાદથી વડોદરા અપડાઉન કરતા. મોટે ભાગે થતું એવું કે પપ્પા કાપડ લઈને વડોદરાથી આવે, અને નડિયાદ રહેતા મામા (અરવિંદ દેસાઈ) એ કાપડ સ્ટેશન પરથી લઈ લે. અરવિંદમામા બેન્કમાં હતા. તેમના એક સહકાર્યકર નવિનભાઈ (એન.બી.) દરજી હતા, જે કપડાં સિવતા. તેમની પાસે મારું માપ રહેતું. અથવા એ પછીના દિવસોમાં હું નડિયાદ જતો અને નવિનભાઈને માપ આપી આવતો. નવિનભાઈને મારે બેન્કમાં જ મળવાનું થતું. તેઓ મુખ્ય કાઉન્ટર પર બેસતા. હું જાઉં એટલે મને તેઓ અંદરના રૂમમાં લઈ જતા અને માપ લેતા. એ પછી નવિનભાઈ કપડાં સિવીને મામા દ્વારા મોકલી આપતા. કદીક મારે નડિયાદ જવાનું થાય તો મામાની બેન્ક નજીક હોવાથી તેમને મળવા હું ત્યાં જતો. ત્યારે નવિનભાઈ પણ હોય જ. તેઓ પણ મને 'ભાણા' કહેતા. મેં મોટે ભાગે એમનાં સિવેલાં કપડાં પહેર્યાં હોય એટલે નવિનભાઈ જુએ મને, પણ હકીકતમાં તેઓ એ જોતા હોય કે એમણે સિવેલાં કપડાં મને કેવાંક લાગે છે. તેઓ કહેતા, 'ભાણા, જામ છ, હોં!' પપ્પાની વસ્ત્રપસંદગીથી નવિનભાઈ બહુ ખુશ થતા.
Saturday, September 13, 2025
ફરી પાછી 'દાદા'ગીરી શરૂ
એક વડદાદાના વિસર્જનની કથા અહીં વાંચ્યા પછી તેની અપડેટ આપવી જરૂરી બની રહે છે. (અહીં આપણા પત્રકારત્વમાં ફોલો અપ સ્ટોરીઝનો કેટલો અભાવ છે એ લખવાનું ટાળ્યું છે)
| રાતનો વરસાદ માણ્યા પછી પ્રસન્ન મુદ્રામાં વડદાદા |
માટી વડે એ કૂંડાને ભર્યું. આમ, બેઠક તૈયાર થયા પછી એમાં એ વડનું સ્થાપન કર્યું. પાણી રેડીને માટી બેસાડવાની જરૂર વરતાતી હતી, પણ રસોડામાં તળી રાખેલી પાપડીઓની હવાઈ ગયેલી સ્થિતિ પરથી હવામાં ભેજ કેટલો હશે અને ક્યારે વરસાદ પડશે એનું અનુમાન અમે કર્યું. (અહીં 'ભારતીય જ્ઞાનપ્રણાલિ' એટલે કે 'આઈ.કે.એસ.'ની સચોટતા અને મહાનતા વિશે લખવાનું ટાળ્યું છે) વડને નવેસરથી ગોઠવીને અમે અમારા કામે લાગ્યા. (અમે કેવાં કેવાં કામમાં વ્યસ્ત રહીએ છીએ અને એમ કરીને અમે સમાજ પર કેવો ઊપકાર કરીએ છીએ એની લાંબી યાદી લખવાની ટાળી છે.) હવાઈ ગયેલી પાપડીના આધારે કરાયેલું અનુમાન સચોટ ઠર્યું અને રાતના ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત સુધી ચાલ્યો. (મોડી રાત સુધી જાગીને લખવા-વાંચવાના ફાયદા લખવાનું ટાળ્યું છે.) સવારે જાગીને અમે બહાર જોયું તો વડદાદા એકદમ મસ્ત રીતે કુંડામાં સ્થાપિત થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, અને વડદાદા એને માણી રહ્યા છે. (અહીં જે લખવાનું ટાળ્યું છે એ વાંચનારની કલ્પના પર છોડવામાં આવે છે)
| કોથળી હટાવ્યા પછી |
| મૂળ આસપાસના ભાગની સફાઈ |
| સફાઈ પછી |
હવે આ વડને પાંદદાં ફૂટશે, વડવાઈઓ નીકળશે, ભલું હશે તો એની ડાળે હીંચકો બાંધવામાં આવશે, અને વાંદરાં પણ કૂદાવવામાં આવશે. જેવો વડનો વિકાસ અને જેવો અમારો બોન્સાઈપ્રેમ!
ચરોતરમાં બહુ તોફાની વ્યક્તિ માટે કહેવાય છે કે, 'એ તો વડનાં વાંદરા પાડે એવો છે.' વધુ પૈસા આવશે તો 'વડના વાંદરા પાડવાનો', 'વડ પરથી પાડેલાં વાંદરા પાછા ગોઠવવાનો', 'વાંદરા પાડવાનું મેનેજ' કરવાનો' વગેરે જેવા કોર્સ ધરાવતી યુનિવર્સિટી પણ ખોલવાનું વિચારણા હેઠળ છે. (અહીં ફરી એક વાર 'ભારતીય જ્ઞાન પ્રણાલિ' અને તેની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે લખવાનું ટાળું છું) આમ, કોઈકના દ્વારા વિસર્જિત કરાયેલા વડદાદા હવે માનભેર સ્થાપિત થયા છે. આ વડના રૂબરૂ દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા મૂકાતી ભેટ સ્વીકારાય છે. ભેટ મૂક્યા પછી પહોંચ મેળવી લેવાનો ખાસ આગ્રહ રાખવો એવી વિનંતી.
Saturday, September 6, 2025
દાદાનું વિસર્જન અને પુન:સ્થાપન
અમારા ઘરના બગીચાની દેખરેખ કામિની કરે છે. પૂજામાં બેઠેલી પત્નીના હાથને કેવળ 'હાથ અડકાડવાથી' પત્નીના પુણ્યકાર્યમાં સહભાગી થઈ જવાય છે. એ ન્યાયે મારે પણ એનાં ઉછેરેલા છોડ ધરાવતાં કુંડાને ફક્ત 'હાથ અડકાડવાનો' એટલે કે જરૂર મુજબ ખસેડી આપવાનાં હોય છે. મારા આ પુણ્યકાર્યમાં એ પણ સહભાગી બને છે. ઘેર ઉછેરેલાં ઘણા ઝાડ (બોન્સાઈ) અને અન્ય વનસ્પતિની રસપ્રદ કહાણી હોય છે, પણ અમે કોઈને એ કહીને 'બોર' નથી કરતાં. એમ કરવા માટે મારી લેખનપ્રક્રિયા, કામિનીએ બનાવેલી દાળભાત, રોટલી કે શાક, કાચા શાકના સલાડ જેવી કોઈક વાનગીની રેસિપી જણાવવા જેવા અનેક સરળ ઊપાયો હાથવગા અને પૂરતા છે. પણ બાગાયતને કારણે હવે અમારી નજર બદલાઈ છે. કોઈ તૂટેલા પાત્રમાં કૂંડું નજરે પડે, તો ક્યાંક ઊગી નીકળેલા છોડમાં બોન્સાઈની શક્યતા!
| વિસર્જિત થયેલા વડદાદા |
| વટસાવિત્રી વખતે કરાયેલી પૂજા? |
Sunday, August 31, 2025
પ્રેમનું પાવરહાઉસ, આતિથ્યભાવનાનું એવરેસ્ટ
- બીરેન કોઠારી
![]() |
| મહેમદાવાદની એક મુલાકાત દરમિયાન ગપ્પાંગોષ્ઠિ (ડાબેથી) સોનલ, રેખાકાકી, મમ્મી, કામિની અને બીરેન (ઉર્વીશ કેમેરાની પાછળ) |
.jpeg)
