રવિવાર સાંજથી સોમવાર બપોર (6 અને 7 સપ્ટેમ્બર) સુધી કુકેરીમાં રોકાણ હતું અને પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ બીજા મિત્રો સાથે કામ અંગેની વાત કરવાની હતી. પણ મારી ઈચ્છા આ રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની હતી. પરિમલભાઈને એ જણાવતાં તેમણે બહુ ઊલટભેર એ વ્યવસ્થા ગોઠવી આપી. વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂન અંગેનો કાર્યક્રમ રજૂ કરવું એમ નક્કી થયું. આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની તૈયારી કરી હતી. પહેલાં વિદ્યાર્થીનીઓ સમક્ષ અને પછી વિદ્યાર્થીઓ સમક્ષ એમ કુલ બે કાર્યક્રમ સવારના ભાગે રાખવાનું આયોજન થયું.
અમારા આવાસની જવાબદારી પ્રીતિ ઐયરે સંભાળેલી. જમતાં જમતાં તેમની સાથે પણ વાતો થઈ. એમ પછીના દિવસના કાર્યક્રમ અંગે સંબંધિત વિભાગના આચાર્યો સાથે કોન્ફરન્સ કોલ પર ચર્ચા થઈ.
બીજા દિવસે સવારના સાડા આઠ આસપાસ અમે પહોંચી ગયાં. કાર્ટૂનકળાનો આરંભિક પરિચય મળી રહે એ મુખ્ય હેતુ સાથે કાર્યક્રમ આરંભાયો અને લગભગ એક-સવા કલાક ચાલ્યો. જો કે, ખરી મઝા કાર્યક્રમ પછીના સવાલ-જવાબની રહી. કાર્ટૂનમાં તો સૌને મઝા આવેલી એ પૂછવાની જરૂર નહોતી, કેમ કે, કાર્યક્રમ દરમિયાન કાને પડતા હાસ્યના અવાજો જ એનું પ્રમાણ હતાં. આથી મને એમ હતું કે વિદ્યાર્થીનીઓ કાર્ટૂનકળા વિશે સવાલ પૂછશે. એને બદલે તેમણે મારા વિશે સવાલો પૂછ્યા.
| વિદ્યાર્થીનીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત |
કાર્યક્રમના આરંભે અપાયેલા મારા ઔપચારિક પરિચયમાં જે કંઈ બાકી હતું એ બધું વિદ્યાર્થીનીઓએ પૂછી લીધું. જેમ કે, એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમને કાર્ટૂનમાં ક્યારથી રસ પડવા લાગ્યો?' મારી સાથે કામિની અને ઈશાન આવેલાંં. તો એક વિદ્યાર્થીની કહે, 'તમારી ટીમનો પરિચય કરાવો.' આવા તો અનેક સવાલો તેમણે કુતૂહલવશ પૂછ્યા, જેના જવાબ આપવાની મજા આવી અને વધુ એક વાર એ બાબત શીખવા મળી કે આ પ્રકારના કાર્યક્રમમાં આગોતરી ધારણા બાંધી લેવાથી દૂર રહેવું. અને પૂછાતા તમામ સવાલના જવાબ શક્ય એટલી પ્રામાણિકતાથી આપવા.
વિદ્યાર્થીનીઓ સમક્ષના કાર્યક્રમ પછી પંદરેક મિનીટનો બ્રેક હતો. અને હવે જવાનું હતું વિદ્યાર્થીઓ પાસે. જવાબો આપવામાં, પાત્રો ઓળખવામાં વિદ્યાર્થીઓ વધુ બોલકા લાગ્યા.
કાર્યક્રમમાં તેમને મજા આવી, એટલે મનેય મજા આવી. અને એ પછીના સવાલજવાબના દોરમાં પણ વિવિધ સવાલો પૂછાયા. ખાસ તો, કાર્યક્રમ પૂરો થયા પછી અમે નીકળી રહ્યાં હતાં ત્યારે ત્રણેક વિદ્યાર્થીઓ મળવા આવ્યા. એમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ કંઈક પૂછવા માગતા હતા. ઊભા ઊભા જ એ સૌની સાથે નિરાંતે વાત કરીને એમની પૃચ્છા સંતોષી. એ પછી અમારે પ્રતાપનગર જવા માટે નીકળવાનું હતું.
વિવિધ વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે યોજાતા સંવાદ ખરેખર તો આપણી ખુદની સમજણને ઘડતા રહે છે, માંજતા રહે છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આ સમગ્ર ઉપક્રમનું આયોજન સહજતાથી ગોઠવી આપવા બદલ પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ સંબંધિત વિભાગના આચાર્યો અને શિક્ષકોનો આભાર.
(તસવીરો: ઈશાન કોઠારી)
No comments:
Post a Comment