Showing posts with label Amol Palekar. Show all posts
Showing posts with label Amol Palekar. Show all posts

Wednesday, May 28, 2025

તેઓ પૂછપૂછ કરે છે કે મોર ક્યારે લાવવાના છે?

 - અમોલ પાલેકર


'ચિત્તચોર'નાં બધાં ગીતોનું ફિલ્માંકન બાસુદાએ કોરિયોગ્રાફર વિના, પોતાની નૈસર્ગિક કથનાત્મક શૈલી થકી કર્યું. એ સમયે ગીતનું ફિલ્માંકન કોરિયોગ્રાફર સંભાળતા હોવા છતાં મોટે ભાગે તેમનો નામોલ્લેખ આજની જેમ જોવા મળતો નહીં. આજે તો કોરિયોગ્રાફર પોતાના ક્ષેત્રના સ્ટાર છે અને તેમને પૂરતો યશ અપાય છે. બીમલ રોયની ફિલ્મ 'દો બીઘા જમીન'નાં ગીતોને મહાન નૃત્યકાર સચીન શંકરે કોરિયોગ્રાફ કરેલાં, અને ડોન'નું 'ખઈ કે પાન બનારસવાલા' પી.એલ.રાજે કોરિયોગ્રાફ કરેલું. ગોપી કૃષ્ણના નાના ભાઈ માધો કૃષ્ણ પણ ખ્યાતનામ કોરિયોગ્રાફર હતા. આ પ્રથાને ધ્યાનમાં લઈને 'ચિત્તચોર'ના નિર્માતા રાજાબાબુ (રાજકુમાર બડજાત્યા)એ બાસુદાને ગીતોના ફિલ્માંકનમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા પ્રયત્ન કરેલો.
એક સાંજે 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' ગીતનું ફિલ્માંકન શરૂ થયું કે બાસુદાએ મલકાઈને કહ્યું, 'પ્રોડક્શન આસિસ્ટન્ટો સવારથી મારી પાછળ પડ્યા છે. તેઓ પૂછ પૂછ કરે છે કે તેમણે મોર ક્યારે લાવવાના છે? ગીતની પંક્તિ 'જી કરતા હૈ, મોર કે પાંવ મેં પાયલિયા પહના દૂં' માટે રાજાબાબુએ મોરને દેખાડવાની તડામાર તૈયારીઓ કરી દીધેલી. બાસુદાએ મક્કમપણે ઈન્કાર કર્યો અને થોડા સમય માટે પ્રોડક્શન ટીમમાં અસંતોષ વ્યાપી ગયો. અન્ય ગીત 'તુ જો મેરે સૂર મેં સૂર મિલા લે'ની એક પંક્તિ 'ચાંદની રાતોં મેં, હાથ લિયે હાથોં મેં' માટે સ્ટુડિયોમાં આકાશે લટકતા ચાંદ અને એની નીચે નાનકડા બ્રીજની કેડીવાળો સેટ ઊભો કરાયેલો, જે બાસુદાની શૈલીથી સદંતર વિપરીત હતું. મેં એમને આના વિશે પૂછ્યું ત્યારે તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો. જો કે, ત્યાં સુધીમાં પોતાની કળાત્મકતા જાળવી રાખીને પણ નિર્માતાની માગને અનુકૂળ થવાની તેમની પ્રતિભા વિશે મને ખ્યાલ આવી ગયો હતો. આવા મામલે તેઓ પોતાના અભિગમમાં સૂક્ષ્મ રીતે ફેરફાર કરીને વચલો રસ્તો શોધી કાઢતા.
'ચિત્તચોર'ના નિર્માણ દરમિયાન નિર્માતા રાજાબાબુ સ્ક્રીપ્ટમાંના પ્રત્યેક દૃશ્યને ન્યાય મળે એ સુનિશ્ચિત કરતા. રાજશ્રી પિક્ચર્સ અને રાજાબાબુ માટે મારા મનમાં વિશેષ આદરનો ભાવ હતો. 'કભી કભી', 'દસ નંબરી' અને 'લૈલા મજનૂ' જેવી મુખ્ય ધારાની અતિશય ખર્ચાળ ફિલ્મોની સરખામણીએ રાજાબાબુ અને તેમના ભાઈ કમલબાબુ (કમલકુમાર બડજાત્યા) સામાન્ય બજેટમાં સ્વસ્થ મનોરંજન માટે પ્રતિબદ્ધ હતા. તેમણે સતત એવી ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું કે જે નૈતિકતાનું ઉર્ધ્વગમન કરે અને પરિવાર માણી શકે. આ તેમની મુદ્રા હતી. અલબત્ત, વિતરક તરીકેનો તેમનો બહોળો અનુભવ અને અનેક થિયેટરોની માલિકી પણ નિર્માતા તરીકેના તેમના કાર્યની મહત્ત્વની મૂડી હતી.
ફિલ્મ પૂર્ણ થયા પછી કેવળ કલાકાર અને કસબીઓને ટ્રાયલ સ્ક્રિનિંગ માટે આમંત્રવામાં આવ્યા. સૌને ફિલ્મ ગમી, અને બાસુદા પણ રાજી હતા. જો કે, અમને બન્નેને એ સાંભળીને મજા ન આવી કે ફિલ્મ મુંબઈના એક જ થિયેટરમાં રજૂઆત પામવાની છે. બાસુદા મને બડજાત્યાની ઑફિસે લઈ ગયા. બાસુદાની નિસ્બત માટે પૂરતો આદર દર્શાવતાં રાજાબાબુ અને કમલબાબુએ જે સમજૂતિ આપી એ સાંભળીને હું છક થઈ ગયો. તેમણે કહ્યું, 'ફિલ્મ જબ્બર હીટ થવાની છે, સુપર હીટ. પણ અમે એને સામાન્ય રીતે રજૂ કરવા નથી માગતા. ખૂણેખૂણે આસાનીથી ટિકિટ મળી જાય એને બદલે આ ફિલ્મ જોવા માટે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ અને દૂર સુધી જવું જોઈએ. એક વાર અનન્યતાનો આ માહોલ ઊભો થશે એ પછી અમે એને બધે રજૂ કરીશું.' એમની વ્યૂહરચના સફળ પુરવાર થઈ. અંધેરીના એક થિયેટરમાં 10 જાન્યુઆરી, 1976ના રોજ કશી તડકભડક વિના 'ચિત્તચોર' રજૂ થઈ અને સો દિવસ સુધી 'હાઉસફૂલ' ચાલી. આ સફળતાને પગલે, ધીમે ધીમે તે સમગ્ર ભારતમાં રજૂ કરવામાં આવી અને 'અમોલ પાલેકર' ઘરઘરાઉ નામ બની ગયું. ફિલ્મે મને ચીલો ચાતરનાર હીરો તરીકેની પ્રતિષ્ઠા અપાવી. એવો હીરો જેની કારકિર્દી ત્રણ ત્રણ સિલ્વર જ્યુબિલી ફિલ્મોથી શરૂ થઈ, જેને પરિણામે નિર્માતાઓ મારી સાથે કામ કરવા પડાપડી કરવા લાગ્યા.
મેં બહુ જલદી મારી બૅન્કિંગની કારકિર્દીમાંથી રાજીનામું આપીને મારી જાતને સંપૂર્ણપણે કળાજગતને સમર્પી દેવાનો સાહસિક નિર્ણય કરી લીધો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' આ લીન્ક પર તેમજ 'તૂ જો મેરે સૂર મેં સૂર મિલા લે' આ લીન્ પર જોઈ શકાશે.)

Tuesday, February 11, 2025

મારા જીવનનો આ બીજો અકસ્માત કે જેનાથી હું અભિનેતા બની ગયો

 - અમોલ પાલેકર

1966માં હું બૅન્ક ઑફ ઈન્ડિયામાં કામ કરતો હતો અને મારાથી ત્રણ વર્ષ નાની બહેન ઉન્નતિ મુંબઈની સેન્ટ ઝેવિયર કૉલેજમાં ભણતી હતી. તેની કૉલેજના વાર્ષિકોત્સવના ભાગરૂપે તે એક નાટકમાં કામ કરી રહી હતી. એક રીહર્સલમાં હાજરી આપવા માટે તેણે મને નોંતર્યો. ત્યાં તેની સાથે કામ કરતી મિત્ર ચિત્રા મુર્દેશ્વરને હું મળ્યો. તેનો સ્વાવલંબી અને ઊર્જાવાન અભિગમ મને ગમ્યો. અમે નજીક આવ્યા અને આજીવન સંબંધનો પાયો નંખાયો. એ અરસામાં 'ફિલ્મ ફોરમ' નામે સમાંતર સિનેમાના આંદોલને એમ.એસ.સથ્યુ, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી અને શ્યામ બેનેગલને હોલીવુડની મુખ્ય ધારાની ફિલ્મોથી અલગ વિવિધ વિદેશી ફિલ્મો દર્શાવવા માટે પ્રેર્યા. મરીન ડ્રાઈવ પર આવેલા તારાબાઈ હૉલ થિયેટરમાં એ દર્શાવાતી. ચિત્રાએ અને મેં નિયમીતપણે એ સાંજના શોમાં હાજરી આપવા માંડી.
એક દિવસ સત્યદેવ દુબે ચિત્રાને મળવા સેન્ટ ઝેવિયર કૉલેજ પર આવ્યા. પોતાના નાટક 'યયાતિ'માં તેમણે ચિત્રાને ભૂમિકાની દરખાસ્ત કરી. આ ભૂમિકા માટે ચિત્રાનું નામ જાણીતાં અભિનેત્રી સુલભા દેશપાંડેએ સૂચવેલું. પેડર રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના વેરહાઉસમાં દુબે પોતાના નાટકોનાં રીહર્સલ કરાવતા. પહેલી વાર ચિત્રા સાથે હું રીહર્સલમાં ગયો ત્યારે સખત વરસાદ વરસી રહ્યો હતો. ટીશર્ટ અને ચડ્ડી પહેરેલા એક બટકા માણસને મેં જોયો. એના વાંકડિયા વાળ સત્ય સાંઈબાબાની યાદ અપાવે એવા હતા. ચિત્રા મારા કાનમાં ગણગણી, 'પેલા છે એ દુબે.' પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને એમણે કહ્યું, 'તું પાંચ મિનીટ વહેલી આવી એ સારી વાત છે.' ચિત્રાએ મારો પરિચય 'મિત્ર' તરીકે કરાવ્યો. એ ફર્યા એટલે મેં એમના હાથમાં એક મોટી લાકડી જોઈ. 'અમારું રીહર્સલ બે કલાક ચાલશે.' તેમણે મને જણાવ્યું, મતલબ કે મારે ત્યાં હાજર રહેવાનું નહોતું. ભવિષ્યમાં મને તેમનો વધુ પરિચય થતો ગયો એમ મેં તેમને અલગ અલગ મૂડ અને અવતારમાં જોયા. દર વખતે લાકડી તેમના હાથમાં રહેતી, જેનો તેઓ વિવિધ મુદ્રાઓ માટે ઊપયોગ કરતા.
થોડા દિવસ પછી એક દિવસ રીહર્સલ પતાવીને ચિત્રા બહાર નીકળી ત્યારે દુબે તેની પાછળ આવ્યા. મારા વિશે ટૂંકી પણ સઘન પૂછતાછ પછી સાવ અણધાર્યા તેમણે મને નાટકમાં અભિનય કરવા બાબતે પૂછ્યું. તેમણે તરત ઉમેર્યું, 'એમ ન માનતો કે મેં તારામાં કોઈ મોટી અભિનયપ્રતિભા જોઈ લીધી છે. આ તો તારી પાસે પુષ્કળ સમય હોય છે એટલે હું પૂછું છું.' આમ, 'ચૂપ! કોર્ટ ચાલુ આહે'માં પોંક્શેની ભૂમિકામાં મને નીમવામાં આવ્યો.
મારા જીવનનો આ 'બીજો અકસ્માત', જેના પ્રતાપે 'અભિનેતા'ના કશા લેબલ કે અપેક્ષા વિના હું અભિનેતા બની ગયો. ત્રેવીસની વયે અચાનક જ 'ચિત્રકાર અમોલ પાલેકર' બની ગયો 'અભિનેતા અમોલ પાલેકર'. એક વાર મુંબઈના તેજપાલ ઓડિટોરીયમમાં મારા સૌ પ્રથમ નાટકનો શો પત્યો કે હું વાલચંદ ટેરેસ હૉલમાં ગયો, ત્યાં બેઠો અને સુખદ ક્ષણો વાગોળી રહ્યો હતો. દુબે આવ્યા અને મારા હાથમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની નકલ થમાવી. નાટકના ખ્યાતનામ સમીક્ષક જ્ઞાનેશ્વર નાડકર્ણીએ એમાં લખેલી નાટકની સમીક્ષા એમણે મને મોટેથી વાંચવા કહ્યું. નાડકર્ણીના લેખમાં મારી રજૂઆતને 'શિષ્ટ' તરીકે બિરદાવવામાં આવી હતી. એમના શબ્દોને સમજવા મને મુશ્કેલ લાગ્યા. દુબેએ કહ્યું, 'હવે તું અભિનય શીખવા તૈયાર છું, પણ સૌથી પહેલાં મૂળભૂત બાબતો શીખ. મંચ પરની તારી ઉપસ્થિતિ પર કામ કર. તું આટલો અક્કડ કેમ ઊભો રહે છે? તારા ખભાને રીલેક્સ કર. તાણને ઓછી કર.' આરંભિક સૂચનાઓ આપ્યા પછી તેમણે વધારાનો આદેશ છોડ્યો, 'એક પગ પર ઊભો રહેવા પ્રયત્ન કર.' મારા કામને બીરદાવવાની એમની આ રીત હતી. વાલચંદ ટેરેસ હૉલમાં એક થાંભલા પછવાડે ઊભેલા યુવાન દુબેની છબિ મારી સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Saturday, February 1, 2025

'ગોલમાલ'માં મારી ત્રણ ભૂમિકાઓ હતી

 - અમોલ પાલેકર

'ગોલમાલ'નો અડધોઅડધ હિસ્સો હૃષિદાના બંગલે અને બાકીનો સહનિર્માતા એન.સી.સીપ્પીના બંગલે ફિલ્માવાયો હતો. પોતાના વકરતા જતા આર્થરાઈટિસને લઈને કદાચ હૃષિદાએ આ શૈલીનું ફિલ્માંકન સ્વીકાર્યું હશે. જે હોય એ, પણ તેમને ભવ્ય સેટ ડિઝાઈનને બદલે સાદા સેટિંગમાં સીધી ને સટ રીતે કહેવાયેલી કથનશૈલી પસંદ હતી. 'ગોલમાલ'માં કામ કરતી વેળાએ મને આનો ખ્યાલ આવ્યો. હૃષિદાના સૂક્ષ્મ દિગ્દર્શનને કારણે 'ગોલમાલ'ની મારી ત્રણ ભૂમિકામાં હું સહેલાઈથી આવનજાવન કરી શકેલો, જે અન્યથા બહુ પડકારજનક બની રહ્યું હોત. મોટા ભાગના લોકો માને છે કે હું બેવડી ભૂમિકામાં હતો. રામપ્રસાદ અને લક્ષ્મણપ્રસાદને જોતાં પ્રેક્ષકો ભૂલી જાય છે કે મુખ્ય પાત્ર તો નોકરીની શોધ કરતો 'રામ' છે. ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના તરંગી બૉસને પ્રભાવિત કરવા માટે તે પોતાને રામપ્રસાદ તરીકે રજૂ કરે છે, અને પછી મુસીબતમાં મૂકાતાં તે લક્ષ્મણપ્રસાદ નામનું એક બીજું પાત્ર ઊભું કરે છે. પોતાનો જોડિયો ભાઈ હોવાનું જૂઠાણું તેની કોટે વળગે છે. 'રામ'ને આ બન્ને વ્યક્તિત્વો વચ્ચે અટવાતો જોઈને પ્રેક્ષકો અસલ 'રામ'ને ભૂલી જાય છે. અનેક ભૂમિકાઓ નિભાવવાનો મારો ઈતિહાસ હતો. આથી 'ગોલમાલ'માં ત્રણ ભૂમિકાઓ ભજવવા બાબતે હું ખાસ ચિંતીત નહોતો. હૃષિદાની સ્ક્રીપ્ટમાં જ પાત્રો વચ્ચેનો ભેદ સમાવિષ્ટ હતો. જો કે, બન્ને પાત્રો વચ્ચેના ભેદને અસરકારક રીતે ઉજાગર કરવા માટે મેં એમાં મારી પોતાની ઢબછબ ઉમેરેલી- જેમ કે, મારા શર્ટને ચુસ્ત રીતે બંધ કરવું, વારેઘડીયે કુર્તો નીચેની તરફ ખેંચ્યે રાખવો કે આંગળી ફરતે ચાવી ગોળગોળ ફેરવવી.
ઉત્પલદા (ઉત્પલ દત્ત) અને દીનાબેન (પાઠક) સાથે કામ કરવાનો બહુ આનંદ આવ્યો. રીહર્સલ દરમિયાન અમે એકમેકને ઉપયોગી સૂચનો આપતાં. એક વાર હૃષિદાએ દૃશ્યની કોરિઓગ્રાફી સમજાવી અને પ્રેક્ષકોની ઈચ્છિત પ્રતિક્રિયા મેળવવા માટેની અગણિત સંભાવનાઓ પર કામ કરવાનું અમારી પર છોડી દીધું. ત્રણ કે ચાર રીહર્સલ પછી એ નક્કી કરતા કે શું રાખવું અને શું કાઢી નાખવું, અને પછી અમે આખરી રીહર્સલ અને/અથવા 'ટેક' કરતા. જે દૃશ્યોમાં હું નહોતો એમાં પણ ઉત્પલદા અને દીનાબેન મને સેટ પર રહીને સૂચનો આપવાનો આગ્રહ રાખતા. એક પાર્ટીમાં તેઓ મળે છે એ દૃશ્ય દરમિયાન મેં એક નાનકડું સૂચન કર્યું, જેથી એ દૃશ્ય વધુ અસરકારક બને. ઉત્પલદાના હીંચકા પર બેસવાના પ્રયત્નો અને બે-ત્રણ વાર એમાં મળતી નિષ્ફળતાને કારણે એ તનાવપૂર્ણ દૃશ્યમાં પણ ઘણી રમૂજ ઊમેરાઈ. તેમણે પણ મને કેટલીક અદ્ભુત ટીપ્સ આપી. જેમ કે, લક્ષ્મણપ્રસાદના પ્રવેશ વખતે તેમણે મને કાંસકાને ચપ્પાની જેમ પકડવાનું મસ્ત સૂચન કર્યું, જેણે મારા વરણાગી પાત્રમાં ઊમેરો કર્યો. રીહર્સલમાં સુધારા કરતા જવાની આ શૈલી બહુ જલ્દી ફાવી ગઈ અને દેવેન વર્મા તેમજ શુભા ખોટે પણ જોડાયાં. મારી બહેનની ભૂમિકા કરતી ટી.વી.પ્રેઝન્ટર મંજુ સીંઘ, ધુરંધર અભિનેતા ડેવિડસા'બ અને બાકીના કલાકારો કેવળ કલાકારોને બદલે એક સંયુક્ત ટીમ બની રહ્યા. દિગ્દર્શક તરીકેની મારી કારકિર્દી દરમિયાન ફિલ્મનિર્માણ વેળા આવી પરિચીતતા અને એકરૂપતાનો માહોલ જળવાયેલો રહે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Friday, January 31, 2025

આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા

 - અમોલ પાલેકર


'છોટી સી બાત'નું સમાપન થયું એટલે 'ચિત્તચોર'ની તૈયારીઓ આરંભાઈ. મારો પરિચય એફ.ટી.આઈ.આઈ.ની તાજી ગ્રેજ્યુએટ થયેલી ઝરીના વહાબ સાથે કરાવાયો. રાજશ્રી પિક્ચર્સની ઓફિસમાં મને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રવીન્દ્ર જૈને સંગીતબદ્ધ કરેલાં તેમજ હેમલતા અને યેસુદાસે ગાયેલાં સુંદર ગીતોના રેકોર્ડિંગ સેશનમાં ઉપસ્થિત રહેવા મને જણાવાયું. બાસુદાની સ્ક્રીપ્ટ અને સંવાદોની ચર્ચા કરવાના ચારથી પાંચ દિવસના સેશનમાં પણ મને આમંત્રણ મળ્યું અને શહેરની બહાર મને લઈ જવા તેમજ લાવવા માટે ખાસ કારની વ્યવસ્થા કરવામાં આવી. આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા.
મોટા ભાગનું શૂટિંગ પંચગની અને મહાબળેશ્વરમાં થયું. બાસુદાએ 'રજનીગંધા'માં વિદ્યા (સિંહા)ને સહાય કરવા મને સૂચવેલું એમ જ આ વખતે તેમણે ખુશમિજાજ અભિનેતા વિજયેન્દ્ર ઘાટગેને એના કૌશલ્યની ધાર કાઢવામાં મદદ કરવા મને જણાવ્યું. ગેસ્ટ હાઉસમાં મારા રૂમમાં વિજયેન્દ્રને ઊતારો અપાયો. એક સવારે હું જાગ્યો અને મેં જોયું કે તે અરીસા સામે વિવિધ હાવભાવની પ્રેક્ટિસ કરી રહ્યો છે. હું તેને જિજ્ઞાસાપૂર્વક જોતો રહ્યો. એ પછી તરત જ એણે મને પોતે એફ.ટી.આઈ.આઈ.માં મેળવેલી અભિનયની તાલિમ વિશે સમજાવ્યું. મેં પછી બાસુદાને જણાવ્યું, 'એને વિશ્વાસ છે કે પોતે અભિનય વિશે બધું જાણે છે, એટલે હવે મને એમાં સંડોવશો નહીં.' બાસુદા હસ્યા અને વિજયેન્દ્ર માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી. શૂટ દરમિયાન, બાસુદા પોતાની સામાન્ય આદતથી વિપરીત વિજયેન્દ્રને સવાલ પૂછતા: 'શું ચાલી રહ્યું છે? તું અભિનય કરે છે? આ તું કેમ કરે છે?' એફ.ટી.આઈ.આઈ.માંથી જ આવેલી ઝરીના નૈસર્ગિક અને સહજ અભિનેત્રી હતી. મેથડ એક્ટિંગ તરફ તેનો ઝુકાવ નહોતો. રિહર્સલ દરમિયાન તેના અભિનય બદલ જ્યારે પણ હું તેની પ્રશંસા કરતો ત્યારે તે નિર્દોષતાપૂર્વક પૂછતી, 'મેં એવું તે શું મોટું કામ કર્યું છે?' તેની જીવંત પ્રકૃતિની જ્યોતે અમારા બન્ને વચ્ચે એક સાહજિક કેમિસ્ટ્રી રચી અને કેમેરા સામે અમે આવતા બંધ થયા પછી પણ અમારી વચ્ચે સ્થપાયેલી મૈત્રી ચાલુ રહી.
'ચિત્તચોર'માં પહેલવહેલી વાર બાસુદાએ અભિનેતાઓના લીપ-સિન્ક સાથે ગીતોનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. મારી ગાયકીના ત્વરિત મૂલ્યાંકન પછી તેમણે જાહેર કર્યું, 'અમોલ, તું સારું ગાય છે અને સંગીતની તને સારી સમજ છે. મારી ચિંતા ઓછી થઈ.' રાગ યમન પર આધારિત ગીત 'જબ દીપ જલે આના' ગાતા મારા ક્લોઝ અપ તેમણે લીધા એ મને સમર્થન આપવાની એમની આગવી રીત હતી. હું રાજી થયો. મને રજૂઆત કરવા મળેલી એ અદ્ભુત ધૂન ખજાના સમી હતી. પાંચ પાંચ દાયકા પછી પણ મારા સહિત યુવા પેઢીના લોકોને પણ એ સાંભળવું ગમે છે, જેનો મને વિશેષ આનંદ છે. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાયકોએ હીરોની છબિને વિશેષ રીતે ઉજાગર કરી છે. રાજકપૂર-મુકેશ, રાજેશ ખન્ના- કિશોરકુમાર અને શમ્મી કપૂર- રફીની જોડી દંતકથા સમી બની રહી એ જ રીતે અમોલ પાલેકર- યેસુદાસે હિન્દી ફિલ્મસંગીતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'જબ દીપ જલે આના' આ લીન્ક પર જોઈ શકાશે.)

Monday, January 27, 2025

ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું

 - અમોલ પાલેકર

સપ્ટેમ્બર, 1974માં 'રજનીગંધા'નું પ્રિમીયર મંત્રાલયની સામે આવેલા આકાશવાણી થિયેટરમાં યોજાયું. સુરેશ (જિંદાલ- નિર્માતા), બાસુદા (ચેટરજી- દિગ્દર્શક), સિનેમેટોગ્રાફર કે.કે.મહાજન, દિનેશ (ઠાકુર- અભિનેતા) અને હું સવારના અગિયારના સૌ પ્રથમ શો વખતે ફોયરમાં ઊભેલા. પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મની કેટલીક ઝલક જ જોઈ હોવાથી રૂપેરી પડદે આખી ફિલ્મ જોવા હું ઉત્સુક હતો. જો કે, બાસુદાએ મને બહાર ઊભા રહીને પ્રતીક્ષા કરવા સૂચવ્યું. નિષ્ફળતા કે અસલામતિનો કોઈ ડર ન હોવા છતાં બાસુદા થોડી વાર અંદર ડોકિયું કરી આવ્યા અને સંતોષકારક સ્મિત સાથે કહ્યું, 'લોકો હસે છે, યાર. બધાને મજા આવી રહી છે.' એ પછી કે.કે. હૉલમાં પ્રવેશ્યા, આસપાસ જોયું, સિગરેટ સળગાવી અને અમને 'થમ્બ્સ અપ'નો ઈશારો કર્યો. મધ્યાંતર દરમિયાન શ્રોતાઓના સકારાત્મક પ્રતિભાવે અમને આશ્વસ્ત કર્યા. બેચેન જણાતા સુરેશે મને પૂછ્યું, 'શું લાગે છે, અમોલ? ફિલ્મ ચાલશે?' સિગરેટનો કશ લેતાં મેં કહ્યું, 'તું શું કામ ફિકર કરે છે? ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું- દિનેશના કોઈ પણ દૃશ્યમાંથી સિગરેટની જાહેરખબર, અને મારા કોઈ પણ દૃશ્યમાંથી ટૂથપેસ્ટની જાહેરખબર.' મારા જવાબથી સુરેશ એટલો ગુસ્સે ભરાયો કે ત્યાંથી ચાલી ગયો. એ પછીની અમારી મુલાકાતોમાં પણ એનો ગુસ્સો શાંત ન પડ્યો. મારી વક્રોક્તિયુક્ત રમૂજ એને ફાવી નહોતી. જાતનું અવમૂલ્યન અને કોઈના કામનું હેતુલક્ષી મૂલ્યાંકન ફિલ્મઉદ્યોગમાં અસામાન્ય બાબતો છે. પણ કશુંક નવું કરવાના સુરેશના અથાક જુસ્સા માટે મને બહુ માન છે. તેણે કરેલું 'શતરંજ કે ખિલાડી'નું નિર્માણ અસાધારણ સિદ્ધિ હતી, જે પ્રશંસા અને ગૌરવને પાત્ર હતી.

મને ખાતરી હતી કે માસ્ટર સંગીતકાર સલિલ ચૌધરી દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં 'રજનીગંધા'નાં ગીતો અમર બની રહેશે. જો કે, 'કઈ બાર યૂંહી દેખા હૈ' ગીત માટે મુકેશનો સ્વર લેવાના તેમના નિર્ણય બાબતે હું અનિશ્ચિત હતો. પણ મારે એની પર લીપ- સિન્ક કરવાનું ન હતું એટલે મેં એ બાબત અવગણી. આ ગીત માટે મુકેશે એ વર્ષનો 'શ્રેષ્ઠ પાર્શ્વગાયક' તરીકેનો રાષ્ટ્રિય એવોર્ડ પણ મેળવ્યો. મારી માન્યતા એવી છે કે સાદી કથાને સરળ શૈલીએ કહેવાથી દર્શકો સાથે મજબૂત અનુબંધ રચાય છે, અને 'રજનીગંધા'ની સફળતાથી એ માન્યતા પુરવાર થઈ. અગિયાર વાગ્યાનો સૌ પ્રથમ શો પૂરો થયા પછી દર્શકો દિનેશને અને મને ઘેરી વળ્યા. મરાઠી દર્શકો મારી સાથે ખાસ હાથ મિલાવવા આવતા ત્યારે તેમની આંખોમાં પ્રેમ અને ગૌરવની એક જુદી જ ચમક હું જોતો. પ્રશંસાની આ વર્ષાથી હું તૃપ્ત થયો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)