પૂછતાં પંડિત થવાય. આવું આપણે વરસોથી સાંભળતા આવ્યા છીએ. પણ આ ઉક્તિ પાછળની ખરી ભાવના બહુ ઓછા લોકો પામી શક્યા છે. એટલે જ આવા લોકો બહુમતિ દ્વારા ટીકાને પાત્ર બને છે. ‘મિસ પતલી ગલી’ની કોઈ સ્પર્ધકને ‘આંતરિક સૌંદર્ય’ વિષે પૂછવામાં આવે, જ્ઞાનપીઠ વિજેતા કોઈ કવિને રાજકારણ વિષે સવાલ કરાય, કોઈ મુખ્યમંત્રીને કવિતા બાબતે પૂછાય, કોઈ અભિનેતા પાસેથી એની ‘ઈતર પ્રવૃત્તિ’ અંગેની માહિતી મંગાય એમાં તો લોકો હોબાળો મચાવી દે છે. તો શું બિલ ક્લીન્ટનને કેવળ એમની રાજનીતિ વિષે જ પૂછવાનું? ભગવાન રામે કરેલા વાલીના એન્કાઉન્ટર વિષે આપણે એમને કશું ન પૂછવું ? શાહરૂખખાન જોડે અભિનય સિવાય બીજ કશાના સવાલ જ ન પૂછાય? બ્લોગ અને ફેસબુક જેવા અભિવ્યક્તિ સ્વચ્છંદતાના આધુનિક માધ્યમોના જમાનામાં આવું વિચારવું કેવી સંકુચિતતા કહેવાય? એવું તે હોય કંઈ?
આ તો લોકશાહીનું ગળું ઘોંટવા જેવી વાત થઈ.
આ તો લોકશાહીનું ગળું ઘોંટવા જેવી વાત થઈ.
પણ હમણાં ટી.વી.પર ટાટા સ્કાયની બે એડ જોઈને લોકશાહીમાં ઓછો થઈ ગયેલો વિશ્વાસ પુન:જાગૃત થયો. આ ટી.વી.સી.ની ‘પંચલાઈન’ જ બહુ પ્રતીકાત્મક છે, જે જણાવે છે: ‘પૂછને મેં ક્યા જાતા હૈ?’
પહેલાં તો વિદેશપ્રવાસે ગયેલા બે ભારતીય મિત્રો કૂકી (પાતળો) અને સોનુ (ચશ્માવાળો) ને દેખાડતી આ બન્ને એડ જોઈએ.
સરમુખત્યાર જેવા દેખાતા જણને આવું પૂછવાની હિંમત દાખવ્યા પછી બીજી પણ અણધારી પરિસ્થિતિમાં એ પ્રશ્ન પૂછવાની હિંમત કરે છે. એ જોઈએ આ એડમાં.
બન્ને એડને પ્રોડક્ટ સાથે કેટલો સંબંધ છે, એ પૂછવાની જરૂર નથી. મૂળ વાત છે કોઈ પણને, ક્યાંય પણ, ક્યારે પણ, કંઈ પણ પૂછવાનો અભિગમ. તંદુરસ્ત લોકશાહીના પ્રતીક જેવો આ અભિગમ બધાય અપનાવે અને ભલભલા ચમરબંધીઓની શેહમાં આવ્યા વિના એમને કેવા સવાલો પૂછે, એની કલ્પના. એટલું ધ્યાન રાખજો કે મહત્વ સવાલ પૂછનારનું નથી, એ તો હું, તમે કે આપણા જેવું કોઈ પણ હોઈ શકે. મહત્વ છે સવાલનું અને એ કોને પૂછાયો છે એનું. એ જ તો છે ખરો લોકશાહી અભિગમ.
(તમામ તસવીરો અને એડ ક્લીપિંગ નેટ પરથી લીધા છે.)


























