આજે વડીલમિત્ર ચંદ્રશેખર વૈદ્ય તરફથી સમાચાર મળ્યા કે અમર દેસાઈનું અવસાન થયું. અમર દેસાઈ એટલે 'સાગર મુવીટોન'ના માલિક ચીમનલાલ દેસાઈના પૌત્ર અને ચીમનલાલના દીકરા સુરેન્દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલભાઈના પુત્ર. આમ છતાં, અમર દેસાઈને 'સાગર' સાથે સીધેસીધી નહીં, પરોક્ષ લેવાદેવા હતી. 'સાગર મુવીટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું એ પછી થોડા જ સમયમાં ચીમનલાલ તેનાથી અલગ થઈ ગયા. તેમણે પોતાની આગવી ફિલ્મકંપનીનો આરંભ કર્યો અને તેનું નામ પોતાના પૌત્ર અમરના નામે 'અમર પિક્ચર્સ' રાખ્યું. મારા 'સાગર મુવીટોન' પુસ્તકમાં આ આખું પ્રકરણ 'અંત પહેલાંનો વધુ એક આરંભ'ના નામે વિગતે આલેખાયું છે. 'અમર પિક્ચર્સ' દ્વારા 1942થી 1946ના અરસામાં બધું મળીને છ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાં નામ આ મુજબ છે: આંખમિચૌલી (1942), ખિલૌના (1942), આદાબ અર્ઝ (1943), પૈગામ (1943), રત્નાવલી (1945) અને ગ્વાલન (1946). 'ખિલૌના'ની કથા વજુ કોટકે લખી હતી, જેમણે પછી એ જ વાર્તા પરથી 'રમકડાં વહુ' નામે નવલકથા લખી. 'રત્નાવલી' એક 'પિરીયડ ફિલ્મ' હતી, જેને 'ફિલ્મ ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે 'સમય અને નાણાંનો બગાડ' ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુરાવ પટેલ ચીમનલાલના ખાસ મિત્ર હતા અને 'અમર પિક્ચર્સ'ની 'ગ્વાલન'નું દિગ્દર્શન તેમણે કરેલું. એ ફિલ્મમાં બાબુરાવનાં પત્ની સુશીલારાણી પટેલની મુખ્ય ભૂમિકા હતી. અમરભાઈના મોટાભાઈ સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર વૈદ્ય સાથે અમે સુશીલારાણી પટેલને મળવા તેમના 'ગિરનાર' બંગલે ગયાં ત્યારે તેઓ રીતસર આજીજીપૂર્વક 'ગ્વાલન'ની એકાદી રીલ સુદ્ધાં મળી જાય તો અમને વ્યવસ્થા કરવા કહેતાં હતાં.
Monday, April 8, 2024
'સાગર'ની છેલ્લી બુંદ પણ વિલીન
Saturday, March 23, 2024
આપ કે પીછે ચલેગી આપ કી પરછાઈયાં
અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ થિયેટર ખાતે 22 માર્ચ, શુક્રવારના રોજ 'કહત કાર્ટૂન...' શ્રેણીની છઠ્ઠી કડીની રજૂઆત થઈ. ઑક્ટોબર, 2023થી આરંભાયેલી આ શૃંખલામાં કાર્ટૂનકળાનાં વિવિધ આયામોને ઉજાગર કરવાનો અને એ રીતે તેને માણવાનો ઉપક્રમ છે. એક જુદા ઉપક્રમ તરીકે આરંભાયેલી આ શ્રેણી અહીં મળતા રહેલા સજ્જ શ્રોતાઓને કારણે હવે જુદી રીતે, જુદી દિશામાં આગળ વધી રહી છે. વિશ્વભરના કાર્ટૂનિસ્ટો શી રીતે વિવિધ પ્રયુક્તિઓ, ઉપકરણોને કાર્ટૂનમાં પ્રયોજે છે એ દર્શાવવાનો પ્રયત્ન આ શ્રેણીમાં થઈ રહ્યો છે.
વાર્તાલાપ દરમિયાન... |
'પડછાયા'ની રજૂઆત કરનારનો પડછાયો |
Cartoonist: Rajinder Puri |
Cartoonist: Paco Baca |
Cartoonist: Hasan Bleibel |
Friday, March 22, 2024
જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.
એક ફિલ્મમાં એક પાત્રના મોંએ આ તકિયાકલામ સાંભળવા મળે છે. આમ તો રમૂજપ્રેરક, છતાં વાસ્તવિક સંવાદ છે આ. છ મહિનાથી સ્ક્રેપયાર્ડમાં ચાલી રહેલી મારી 'કહત કાર્ટૂન' શ્રેણીને આ બરાબર લાગુ પડે છે.
Saturday, March 16, 2024
રુંવાડાં ખડા, આંખો ભીની
કાર્યક્રમનો, થઈ ગયેલા કાર્યક્રમનો અહેવાલ હોય. કાર્યક્રમના રીહર્સલનો કંઈ અહેવાલ હોય? પણ છે. આ અહેવાલ આવતી કાલે યોજાનારા કાર્યક્રમના રીહર્સલનો જ છે.
Friday, March 15, 2024
નમ્બરીયા...કર ગયા મુઝ પે જાદુ
કોઈ પણ નવિન ચીજની પ્રસ્તુતિનો કાર્યક્રમ હોય અને પેટમાં પતંગિયાં ઊડે એવું જ મને છેલ્લા બે એક સપ્તાહથી થતું હતું. એમાં રોમાંચ ઉપરાંત અનિશ્ચિતતા અને તેને લઈને સહેજ અજંપાનો પણ ભાવ હોય. હિન્દી ફિલ્મોની ટાઈટલ ટ્રેક ધ્યાનપૂર્વક સાંભળવાનું અને એના વિશે ફેસબુક પર લખવાનું શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે હિન્દી સિનેમાનું આ ક્ષેત્ર લગભગ વણખેડાયેલું જ રહ્યું છે. ફેસબુક પર એકસો પચાસ ફિલ્મનાં ટાઈટલ મ્યુઝિક વિશે લખવા દરમિયાન એનાથી ત્રણ-ચાર ગણી ટાઈટલ ટ્રેક સાંભળવામાં આવી હશે. આમ છતાં, એની રજૂઆત કાર્યક્રમ દ્વારા થઈ શકે એવો વિચાર આવ્યો નહોતો, કેમ કે, એવો કાર્યક્રમ રાખે કોણ? અને કોઈ રાખે તો એમાં આવે કોણ?
આજની રજૂઆત 'નમ્બરીયા' |
કાર્યક્રમના આરંભ પહેલાં કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડની પ્રવૃત્તિ વિશે ટૂંકમાં પરિચય |
Wednesday, March 13, 2024
જ્યોતિભાઈના જન્મદિને
ગઈ કાલ 12 માર્ચે જ્યોતિ ભટ્ટનો 90મો જન્મદિન હતો. એ નિમિત્તે તેમની દીકરી જાઈ તેમજ તેમના બૃહદ પરિવારે એક નાનકડા, અનૌપચારિક છતાં આત્મીય કાર્યક્રમનું આયોજન કરેલું. વડોદરાના કલાવર્તુળમાં જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનનું નામ બહુ આદરપૂર્વક લેવાય છે. જ્યોત્સ્નાબહેને તો થોડા સમય પહેલાં જ વિદાય લીધી. જ્યોતિભાઈની પ્રાથમિક ઓળખ ચિત્રકાર, તસવીરકાર, પ્રિન્ટમેકર તરીકે આપી શકાય. તેમણે કળાવિષયક લેખો પણ ગુજરાતીમાં લખ્યા છે, જેનો સંચય રમણિકભાઈ ઝાપડીયાની સંસ્થા 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા 'રૂપ નામ જૂજવાં' શિર્ષકથી પ્રકાશિત કરેલો છે. પણ આ બધાથી ઉપર જ્યોતિભાઈની ઓળખ એટલે એક સાચા શિક્ષકની, માર્ગદર્શકની.
Saturday, February 24, 2024
નકશામાં જોયું, જાણે ન કશામાં...
શાળાકાળમાં અલંકાર ભણતી વખતે અપાતાં વિવિધ અલંકારનાં ઉદાહરણમાં યમક અલંકારનું આ ઉદાહરણ યાદ રહી ગયેલું, જે આમ તો બહુ ચવાઈ ગયેલું છે. પણ 'કહત કાર્ટૂન...'ના પાંચમા હપ્તામાં પેટાશિર્ષક તરીકે મને એ જ યાદ આવ્યું, અને એકદમ બંધબેસતું લાગ્યું. કેમ કે, વિષય હતો કાર્ટૂનમાં નકશાના ઉપયોગનો.કાર્યક્રમની રજૂઆત દરમિયાન
(ડાબેથી) શરદ રાવલ, પિયૂષભાઈ પંડ્યા, દીપક સોલિયા, ડૉ. દુર્ગેશ મોદી, કબીર ઠાકોર, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, પરેશ પ્રજાપતિ, નિખીલભાઈ રિંદાણી |
ગાઝાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Mikail Ciftci) |
સિરીયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Abdullah Al-darqawi) |
ઓસ્ટ્રેલિયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: John Ditchburn) |
Friday, February 23, 2024
હમસફર દોસ્ત
આજે મિત્ર પરેશ પ્રજાપતિનો જન્મદિન છે. મહેમદાવાદનો પરેશ આમ તો મારા નાના ભાઈ ઉર્વીશ કોઠારીનો સહાધ્યાયી. તેઓ શાળામાં સાથે હતા. મહેમદાવાદમાં અમારા ઘરથી નજીક જ તેનું ઘર. ચાર ભાઈઓ અને એક બહેનનો બહોળો પરિવાર. બધાં ભાઈબહેનો અભ્યાસમાં આગળ, અને પરેશનું પણ એવું જ. પણ દસમા-અગિયારમામાં હશે એ અરસામાં ઉર્વીશને (અને મારે) પગલે તેને જૂનાં ફિલ્મસંગીતનું જંતુ કરડ્યું. સમાંતરે સાહિત્યમાં રસ પડતો થયો. બસ, એને લઈને તેની સાથેની અમારી દોસ્તી ગાઢ બનતી ચાલી. એ એવી ગાઢ બની રહી કે હવે મળીએ ત્યારે આ બે વિષયની વાત કદાચ સૌથી ઓછી થતી હશે.
બારમા પછી તેણે અમદાવાદની ભવન્સ કૉલેજમાંથી બી.એસ.સી. કર્યું ત્યાં સુધી એનો શૈક્ષણિક રેકોર્ડ એકધારો ઊંચો. અમુક હોંશિઆર છોકરાઓમાં જોવા મળે એવી કેટલીક 'સ્માર્ટનેસ' પણ કરી, જેમ કે, પોતાની નોટ્સ તે ઝટ કોઈને ન આપે, કોઈક કશું પૂછે તો સરખો જવાબ ન આપે વગેરે...ઉર્વીશ કહેતો કે એ મિત્રો આ કારણે એને 'પરીયો આડો' કહેતા. જો કે, એની ખરી પ્રકૃતિનો પરિચય એના વધુ સંપર્કમાં આવતાં થતો ગયો. ત્યારે ખબર પડી કે એ 'આડો' નહીં, પણ એકદમ 'સીધો' છે. હા, એના દેખાવમાં, શારિરીક બાંધામાં ખાસ કશો ફરક પડ્યો નથી. એ એકદમ 'સીધો' જ રહ્યો છે, 'ગોળ' નથી બન્યો.
એ સમયે અમારા મહેમદાવાદના ઘરે કેટલાક મિત્રો ભેગા થતા અને રાત્રે મોડે સુધી જૂનાં ફિલ્મગીતો સાંભળતાં. એમાં ખાસ કરીને પરેશ અને દિલીપ પંચાલ હોય જ. પરેશને અનેક જાતના સવાલ થતા, અને એ તે પૂછતો રહેતો. તેના સવાલ ઘણી વાર જિજ્ઞાસાથી નહીં, પણ સંશયથી પ્રેરિત હોય એમ અમને લાગતું. આથી અમે એનું નામ 'સંશયાત્મા' પાડેલું. તે રાતે બહુ મોડે સુધી ન બેસતો અને વહેલો નીકળી જતો. આથી અમે કહેતા, 'સંશયાત્મા વિનશ્યતિ. આ સંશયાત્મા હતો એટલે એ વહેલો 'નાશ પામ્યો.' પરેશને પણ આ વાત જણાવી એટલે એણે પૂછેલું હોવાનું યાદ છે, 'સંશય એટલે શું?' આ એની વિશેષતા.
પછીના અરસામાં મારે વડોદરા સ્થાયી થવાનું બન્યું. તેની નોકરી પણ વડોદરામાં હતી. આથી શરૂઆતના અપડાઉન પછી તે પણ વડોદરા સ્થાયી થયો. આથી તેનો સંપર્ક મારી સાથે સતત રહેતો. હવે એવું બન્યું છે કે તેને ઉર્વીશ કરતાં મને મળવાનું વધુ બને છે.
તેના પિતાજીએ ખૂબ સંઘર્ષ કરીને પોતાનાં તમામ સંંતાનોને સારું શિક્ષણ આપ્યું, જેનું ફળ અત્યારે આખો પરિવાર મેળવી રહ્યો છે. પણ સતત સંઘર્ષરત રહેવાને કારણે તેના પિતાજીની પ્રકૃતિમાં એક જાતની કરકસર જણાય, અને એનો વારસો પરેશમાં પણ ઉતરેલો જોઈ શકાય. અલબત્ત, આ બધાં એની પ્રકૃતિનાં પહેલી નજરે પડતાં છેતરામણાં પાસાં છે. જરૂરતમંદ મિત્રને કશા દેખાડા વિના મદદ કરનાર પરેશ જેવા મિત્રો જૂજ હશે.
વડોદરામાં તે શરૂ શરૂમાં અમારે ઘેર આવતો ત્યારે અમે નવાસવા રહેવા આવેલા અને ઘરમાં નાનુંમોટું કામ હોય જ. તે આવે, કંઈ પણ કામ હાથમાં લઈ લે અને એને પૂરું કરીને છોડે. એ હદે કે બાળકો રમાડવાં એને બહુ ગમે અને એ એને સારી રીતે આવડે પણ ખરું. એટલે શચિ કે ઈશાન નાનાં હોય તો એમને પણ રમાડે અને આનંદ અપાવે.
અમે પ્રવાસ માટે યોગ્ય જોડીદારની શોધ આરંભી ત્યારે પહેલું નામ પરેશનું યાદ આવ્યું. એની સાથે વાત કરી, અને કેટલીક આગોતરી સ્પષ્ટતાઓ પણ. જેમ કે, આ પ્રવાસમાં આપણે સાથે જઈએ, અને કોઈ કારણસર આપણી વચ્ચે મનદુ:ખ થાય તો ફરી સાથે નહીં જવાનું. કેમ કે, મિત્રતા વધુ મહત્ત્વની છે. અને માનો કે મનદુ:ખ ન થયું, તો ફરી વાર સાથે જવાનું. અને પ્રવાસેથી પાછા આવીને નિખાલસતાથી વાત કરીને નક્કી કરવાનું કે હવે પછીનો પ્રવાસ સાથે કરવો છે કે કેમ. પહેલવહેલા પચમઢીના પ્રવાસથી શરૂ કરીને ગોવા, દાપોલી-ગુહાગર (કોંકણ), ગ્રહણ (હિમાચલ પ્રદેશ), ભંડારદરા (મહારાષ્ટ્ર), ડેલહાઉસી, મુન્સિયારી (ઉત્તરાખંડ), સાપુતારા જેવાં સ્થળોએ અમે એક તબક્કે નિયમીતપણે પ્રવાસ કર્યા. અને ગયે વરસે લદાખ પણ સાથે ગયાં. એમ કહી શકાય કે અમને એકમેકની મર્યાદાઓ ફાવી ગઈ છે.
પરેશનું વ્યક્તિત્વ એવું છે કે પરિવારના સહુ કોઈને એ પોતાનો લાગે. મારાં મમ્મી અને કામિની તો બરાબર, પણ મારાં સંતાનો શચિ અને ઈશાનનેય એની સાથે મજા આવે. તેનાં પરિવારજનોમાં પત્ની પ્રતીક્ષા અને સંતાનો સુજાત તેમજ દીકરી મલક અમારા તમામ પ્રવાસમાં સાથે હોય જ. હવે તો સુજાત સરકારી નોકરીએ લાગ્યો છે અને ઊંચા હોદ્દે છે. એની સાથે પણ અમારી મિત્રતા કેળવાઈ રહી છે એ આનંદની વાત છે.
પરેશ એટલો નિષ્કપટ છે કે એના મનમાં કોઈના અહિતનો વિચાર ભાગ્યે જ આવી શકે. મદદ માટે એ સદાય તત્પર રહે અને એની લાગણી એકદમ સાચુકલી. મેં મારી સલામત નોકરી છોડીને લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો એ વખતે તેણે મને કહેલું કે ક્યારેય પૈસાની જરૂર પડે તો મને કહી દેજે. મૂંઝાતો નહીં. અને આ માત્ર કહેવા ખાતર નહીં. અમુક સંજોગોમાં તો એ રીતસર પ્રેમાગ્રહ કરે કે તારે જરૂર હશે જ, પણ તું કેમ કહેતો નથી.
પરેશને સંગીત, સાહિત્ય વગેરેમાં રસ ખરો, પણ એની પ્રાથમિકતા પરિવારની- બૃહદ પરિવારની. હું ઘણી વાર મજાકમાં કહું કે 'તારું 'વસુધૈવકુટુમ્બકમ્' કરતાં ઉંધું છે. એમાં 'પૃથ્વીને કુટુમ્બ' ગણવાની વાત છે, પણ તારા માટે 'કુટુમ્બ એ પૃથ્વી છે.'
હોમાયબહેનનાં અસ્થિનું વિસર્જન કરી રહેલાં પરેશ અને પ્રતીક્ષા |
હોમાયબહેન સાથે(ઊભેલાં ડાબેથી): સબીના ગડીહોક, પરેશ, પ્રતીક્ષા, ઈશાન(બેઠેલાં ડાબેથી) બીરેન (સાથે ઉભેલી મલક), હોમાયબહેન અને કામિની |
ફોન પર અમારો સંપર્ક નિયમીત, અને મળવાનું પણ એવું જ. મારાં અવનવા કામમાં એ જેન્યુઈન રસ લે, પૂછપરછ કરે, અને મદદની તત્પરતા દેખાડે. 'કહત કાર્ટૂન'ના અત્યાર સુધીના એકે એક કાર્યક્રમમાં તે ઉલટથી હાજર રહ્યો છે, અને જરૂરી સૂચન પણ આપતો રહ્યો છે.
સ્વભાવે તે અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ. આથી અમુક વાર બહુ મજા આવે. એક વાર તેના કોઈક વલણ બાબતે મેં કહ્યું કે 'તારું વલણ દયાથી નહીં, કરુણાથી પ્રેરિત છે.' એટલે એણે એની અસલ 'સંશયાત્મા' શૈલીએ પૂછ્યું, 'એ બે વચ્ચે ભેદ શો?'
એ હકીકત બહુ જ સંતોષ આપનારી લાગે કે તેને ઘેર જઈએ એટલે પ્રતીક્ષા તરફથી પણ એવો જ હૂંફાળો આવકાર મળે. એ ઘર મારું જ ઘર હોય એમ લાગે. આ ભૂમિકા બહુ અઘરી હોય છે, અને પ્રતીક્ષાએ એ બરાબર નિભાવી છે.
શચિ નાની હતી ત્યારે હું એના મોંએ ધરાર 'પરેશકાકા'ને બદલે 'પરીયાકાકા' કહેવડાવતો. મને આજે પણ 'પરીયો' સંબોધન જ વધુ ઉચિત લાગે છે. હવે જો કે, એ સુજાત માટે યોગ્ય કન્યાની શોધમાં છે અને એ શોધ પૂરી થશે ત્યારે મારે લોકલાજે (વેવાઈલાજે) એને 'પરેશ' કહેવું પડશે એમ લાગે છે. એમ નહીં કરું તો મને ડર છે કે એના (ભાવિ) વેવાઈ પણ એને 'પરીયાભાઈ' કહેવા લાગે. કેમ કે, એનું વ્યક્તિત્વ જ એવું મૈત્રીપૂર્ણ છે કે સામાવાળાને એવી લાલચ થઈ આવે.
મારા, અમારા આ મિત્રને જન્મદિનની શુભેચ્છાઓ, અને એવી કામના પણ ખરી કે હજી અનેક પ્રવાસ અમારે સાથે કરવાના થાય.
Wednesday, February 21, 2024
કવિતાબવિતા
Sunday, February 11, 2024
'કહત કાર્ટૂન...' એક જુદા જ વર્ગ સમક્ષ
શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024ની સાંજે અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલા 'નિર્માણ ભવન'માં 'ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ'ના યજમાનપદે 'કહત કાર્ટૂન...' કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે કેવળ નિમંત્રીતો માટે હતો. મિત્ર ઉષ્માબહેન શાહે સંયોજકની ભૂમિકા અદા કરીને આ કાર્યક્રમને શક્ય બનાવ્યો હતો. અત્યાર સુધી મેં રજૂ કરેલા કાર્ટૂન માણવાના કાર્યક્રમ કરતાં આ ઉપક્રમ સહેજ અલગ રાખવો એમ મારા મનમાં હતું. કેમ કે, અહીં પ્રેક્ષકવર્ગ પૈકીના મોટા ભાગના આ સંસ્થાના સભ્ય હતા, એટલે કે તેઓ સિવિલ એન્જિનિયર કે આર્કિટેક્ટ હતા.
કાર્યક્રમના આરંભ પહેલાં... |
કાર્યક્રમ પહેલાં પૂર્વભૂમિકા બાંધતાં ઉષ્માબહેન |
વિવિધ કાર્ટૂનની રજૂઆત |
ઉપસ્થિત સભ્યો |
Wednesday, January 31, 2024
કહત કાર્ટૂન...(4)
30 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદસ્થિત 'સ્ક્રેપયાર્ડ'માં 'કહત કાર્ટૂન...'શ્રેણી અંતર્ગત ચોથો કાર્યક્રમ યોજાયો. વિષય હતો: 'ગાંધીજી: સર્વવ્યાપી, છતાં ગેરહાજર.' ગાંધીજી પર દોરાયેલાં વ્યંગ્યચિત્રોને કેન્દ્રમાં રાખીને અગાઉ મેં ડઝનેક કાર્યક્રમ કર્યા છે, પણ આ વખતના કાર્યક્રમમાં ગાંધીજીનાં કાર્ટૂનોમાંથી એક જ વિષયવસ્તુને પસંદ કરીને એને વિસ્તારીત કરી હતી. 'સ્ક્રેપયાર્ડ'ના સજ્જ શ્રોતાગણનો ત્રણેક વાર પરિચય થયા પછી આ વિચાર આવ્યો અને એને અમલમાં મૂક્યો. એવાં કાર્ટૂનો પસંદ કર્યાં કે જેમાં ગાંધીજી પ્રત્યક્ષપણે ન દેખાય, છતાં તેમની હાજરી વર્તાય. આ કાર્યક્રમની કોઈ આગોતરી સ્ક્રીપ્ટ હું તૈયાર કરતો નથી, ફક્ત જે તે કાર્ટૂનના સંદર્ભ પૂરતી તૈયારી કરું છું. એને કારણે અનેક એવી બાબતો ક્થન વખતે સૂઝે અને એ કહેવામાં આવે એવી જ રીતે સામે છેડેથી ઝીલાય એની મઝા જ ઓર છે. વિવિધ વયજૂથના શ્રોતાઓ હોવાથી એ પણ ખ્યાલ આવે છે કે આ વિષયમાં સૌને કેવો રસ પડે છે.