Showing posts with label humour. Show all posts
Showing posts with label humour. Show all posts

Sunday, February 12, 2023

આંસુસંહિતા

 'એક ધાંસૂ, એક આંસૂ' યોજના અંતર્ગત હવે સમગ્ર રાષ્ટ્ર એક સાથે એક જ મુદ્દે આંસુ વહાવતું થાય એવું આયોજન થવાની વકી છે. આની આગોતરી તૈયારી રૂપે પ્રસ્તુત છે આંસુ અંગે કેટલીક માહિતી. વાંચનારને અજ્ઞાનનો બોજ ન અનુભવાય એ હેતુથી આ માહિતી સવાલજવાબ રૂપે મૂકાઇ છે.

પ્ર.: મગર અને સોનમ કપૂરમાં સામ્ય શું?
ઉ.: તેમને આંસુ માટે ગ્લીસરીનની જરૂર પડતી નથી.
પ્ર.: આંસુનો સ્વાદ કેવો હોય છે?
ઉ.: એટલો ખારો નહીં કે લેમોનેડમાં મીઠાની અવેજીમાં ઉમેરી શકાય.
પ્ર.: આંસુ સાચા છે કે બનાવટી એ શી રીતે ખબર પડે?
ઉ.: કોને?
પ્ર.: આંસુનું મહત્ત્વ શેના આધારે નક્કી થાય? કેટલાં વહાવ્યાં એની પર? કે કોને માટે વહાવ્યાંં એની પર?
ઉ.: કોની સામે વહાવ્યાં એની પર.
પ્ર.: કોઇ આંસુ વહાવે ત્યારે સામાવાળાએ શું કરવું ઉચિત રહે?
ઉ.: આંસુના પ્રમાણ મુજબ આસપાસમાં ઉપલબ્ધ હોય એવું પાત્ર ઝડપથી આંખ નીચે ધરીને આંસુ એકઠાં કરી લેવા જોઇએ, જેથી ખારું પાણી પૃથ્વીના ભૂગર્ભ જળને દૂષિત ન કરે.
પ્ર.: કહેવાય છે મોરના આંસુ થકી જ ઢેલ ગર્ભવતી થાય છે. આ સાચું છે?
ઉ.: તમને ચીતરવા પડ્યા હોય એમ લાગતું નથી.
પ્ર.: આ રીતે અને આ જ દરે આંસુ વહાવાતાં રહેશે તો ભાવિ કેવું રહેશે?
ઉ.: દેશ નમકને મામલે આત્મનિર્ભર બની જશે. દરેકના ગાલ પર આંસુમાંથી નમક છૂટું પાડવાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.
પ્ર.: આંસુ ખુશીનાં છે કે શોકનાં એ શી રીતે ખ્યાલ આવે?
ઉ.: પહેલાં એટલું જાણી લો કે હજારો તરહ કે યે હોતે હૈ આંસુ.
પ્ર.: આંસુથી કોઇ પીગળે ખરું?
ઉ.: હા, જરૂર. આંખમાં બાઝેલા પીયા, ચીપડા, પોપડા પીગળી શકે.
પ્ર.: આંસુઓને રોકવા માટે શું કરી શકાય?
ઉ.: એની પર આડબંધ બાંધીને એનો સંગ્રહ કરી શકાય. એ રીતે સંઘરાયેલા આંસુને સમુદ્રમાં મોકલી શકાય, જેથી સમુદ્રસૃષ્ટિનું સંવર્ધન થઇ શકે. એ આંસુનો ઉપયોગ મગરો પણ કરી શકે.

(સંદર્ભ: ફેબ્રુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુલામનબી આઝાદની નિવૃત્તિ નિમિત્તે ગૃહમાં સારેલા આંસુ) 

Tuesday, August 2, 2022

નિવેદન નાગપંચમીનું

 આથી નાગપંચમીના રોજ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે-

1.અમો દૂધ પીતા નથી, કે ઝેર પણ પીતા નથી. આથી અમારા નામે કોઈએ ચરી પાળવી નહીં. એટલે કે ચરી ખાવું નહીં.
2. અમારે દાંત છે, પણ કુલેર અમને ભાવતી નથી.
3. અમને બીનમ્યુઝીક કે કોઈ પણ પ્રકારનું સંગીત સંભળાતું નથી, તેથી જેણે નાચવું હોય એ ભલે નાચે, પણ એ ડાન્‍સને 'નાગિન ડાન્સ' ન કહેવો. એમ કરવામાં આવશે તો અમને ફૂંફાડા મારીને વિરોધ વ્યક્ત કરતાં કોઈ રોકી શકશે નહીં.
4. ચોમાસું આવે એ પહેલાં છત્રી ખરીદી લેવી. અમારા સમાજના ભાઈબહેનોને છત્રી તરીકે બોલાવવા નહીં. એકાદ વાર અમારા એક વડીલે 'ભગવાનતા'ના ધોરણે સેવા આપી, એટલે કંઈ અમારે આવવું એવું લખી આપ્યું નથી.
લિ. પ્રમુખશ્રી,
ઑલ ઈન્ડિયા તક્ષક સમાજ

Monday, June 6, 2022

નીલકંઠના નુસખા

 (રમણભાઈ નીલકંઠે લખેલું 'હાસ્યમંદિર' પુસ્તક હાસ્યના વિવિધ પ્રકારોથી સભર છે. આ પુસ્તકમાં તેમણે હાસ્ય વિશે લખેલો નિબંધ પણ વિશદ્‍ છે. અહીં કેવળ ચખણી લેખે એના અંશ) 


ગધેડાને કાળો કરવાનો ઉપાય

ગધેડાને શાહી ચોપડી તડકામાં બાંધી રાખવો. સુકાઈ જાય એટલે દોરડાં છોડી નાંખવા.

બીજો ઉપાય એ છે કે પ્રથમ ગધેડાને શરીરે દીવેલ લગાડવું. તે પછી રોટલા કરી ઉતારી લીધેલા ઠીકરાના તવા ટહાડા પાડી ગધેડાના શરીર ઉપર ઘસવા. કાળો રંગ બેસે ત્યાં સુધી આ પ્રમાણે ઘસ્યા જવું. આ રીત અજમાવતાં ગધેડાની ચામડી છોલાવાનો સંભવ રહે છે માટે બહુ બારીકીથી અને સાવચેતીથી કામ લેવું. ગધેડાને પાછલો પગ ઉપાડવાની ટેવ હોય છે તે ધ્યાનમાં રાખવું.
પૈડાં વગર ગાડી ચલાવવાનો ઉપાય
એક સરખી લંબગોળાકાર કોઠીઓ કુંભાર પાસે ઘડાવવી અને ગાડી નીચે એવી બે કોઠીઓ બાંધવી. કોઠી ગાડી કરતાં કંઈક વધારે પહોળી હોવી જોઈએ. કોઠીનું મહોં રોટ આયર્નનાં ઢાંકણાંથી બંધ કરી દેવું. આ ગોઠવણથી ગાડી વગર પૈડે બહુ સારી રીતે ચાલશે.
(પ્રકરણ: હુન્નર-કૌશલ્ય-દર્પણ-પ્રકાશ તથા કળા-હીકમત-કારીગરી) 

***** 
હાસ્યલેખનો અંશ:
(મોટે ભાગે અભણ હજુરિયાઓ વચ્ચે ઘેરાયેલા રહેતા નવાબના દરબારમાં કોઈ ભણેલા કે જાણકારનો પ્રવેશ મુશ્કેલ છે. પણ એક અંગ્રેજ મુસાફર દુભાષિયાને ફોડીને દરબારમાં આવે છે. એ દુભાષિયા દ્વારા મુસાફર અને નવાબ વચ્ચે થતી વાતચીતનો અંશ)
મુસાફર (ઈંગ્રેજીમાં): આ ઈંગ્રેજ નવાબસાહેબને સલામ કરે છે અને સલામ કબૂલ થાય એવી અરજ કરે છે. અમારો રાજા નવાબસાહેબનો દોસ્ત છે, દુશ્મન નથી.
દુભાષિયો: આ ગુલામ નેકનામદાર ખુદાવિંદ આલીજનાબ નવાબસાહેબને કુરનસ કરી પગે પડી ધૂળ ચાટે છે. અમારા મુલકમાં પણ નવાબસાહેબનો જ અમલ ચાલે છે, અને, અમારો રાજા નવાબસાહેબનું નામ સાંભળીને કંપે છે.
નવાબસાહેબ- સચ હયે, તુમારે મુલુકમેં ચીડીઆં હોતી હયે?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમારો દેશ અહીંથી કેટલો આઘો છે?
મુસાફર (ઈંગ્રેજીમાં) - અમે આવીએ છીએ તે રસ્તે તો પંદર સત્તર હજાર માઈલ દૂર થાય, પણ સીધો રસ્તો હોય તો ચાર પાંચ હજાર માઈલ થાય.
દુભાષિયો- ચકલીઓ અમારા દેશમાં ઘણી થાય છે. અને, ગુલામ ચકલીઓના ખેલ કરી જાણે છે. ચકલીઓ તોપ ફોડે છે.
નવાબસાહેબ- વાહ! અજબ! તુમ મુરઘે લડા સકતે હો?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમને અહિં આવતાં કેટલો વખત લાગ્યો?
મુસાફર (ઈંગ્રેજીમાં)- લગભગ સાત મહિના થયા. પણ બધે રસ્તે પવન અનુકૂળ હોત તો છ મહિનાથી વધારે ન થાત.
દુભાષિયો- હાંં ખુદાવિંદ, મરઘાં લડાવી શકું છું. સાપ અને નોળીયાને પણ લડાવું છું. નોળીયાએ મારેલા સાપને જાદુના જોરથી જીવતો કરૂં છું.
નવાબસાહેબ- તુમારે મુલકમેં ઘોડેકા બચ્ચા અંડે મેં સે હોતાં હયે એ બાત સચ્ચી?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમે અહીં આવતાં રસ્તામાં ક્યાં ક્યાં મુસાફરી કરી?
મુસાફર(ઈંગ્રેજીમાં)- આ દેશમાં તો મારા દેશથી બારોબાર વહાણમાં આવ્યો. મદ્રાસ આવી ઉતર્યા પછી દક્ષિણના એક એક રાજ્યમાંં ફર્યો છું. આ પ્રાંતોમાં ફર્યા પછી ઉત્તર તરફ જવા ધારું છું.
દુભાષિયો- ઘોડીનું ઈંડું કોળાથી કંઈ મોટું થાય છે, પણ, રંગે ધોળું. મદ્રાસમાં એવાં ઈંડાં થોડાં આણ્યાં છે. ઘોડી એ ઈંડાં સેવતી નથી, પણ, પાણીમાં મુકી આવે એટલે મગરી સેવે છે.
(નવાબસાહેબની મુલાકાત, હાસ્યમંદિર, રમણભાઈ નીલકંઠ, ત્રીજી આવૃત્તિ, સંવત 1993, પ્રથમ આવૃત્તિ, 1915)



(પુસ્તક: હાસ્યમંદિર, લખનાર: રમણભાઈ મહીપતરામ નીલકંઠ અને વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ,
પ્રકાશક: જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ અને મુંબઈ,
ત્રીજી આવૃત્તિ, વર્ષ: ૧૯૩૭)

Sunday, June 5, 2022

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે

 "હેય યંગ મેન! જસ્ટ અ રિક્વેસ્ટ!"

"બોલો, કાકા! શું હતું? મોબાઈલના કોન્ટેક્ટ ઊડી ગયા છે?"

"ઓહ નો! થેન્ક્સ! કામ એવું હતું કે...."
"કાકા, ઝટ બોલો. મારા હાથમાં આ રોપો છે એ ચીમળાઈ જશે, તો એની
સાથેની સેલ્ફી બગડશે."
"ઓહ, ડિયર! યુ સ્નેચ્ડ ધ વર્ડ્સ ઑફ માય....."
"કાકા, આપણે ગુજરાતી ચાલશે. બોલો જલ્દી."
"મ'કુ ભઈ, મારી સાથે એક સેલ્ફી પડાય ને?"
"વૉટ? બટ વ્હાય? આઈ મીન, કાકા, તમે ય તે શું? ન જાન, ન પેહચાન, ને મૈં તેરા મેહમાન..."
"ભઈલુ, વાત એવી છે કે તું મારી સાથે સેલ્ફી પડાઈશ ને તો તારા જેવા બીજા પચ્ચી-પચ્ચા નીકળી આવશે. એ સેલ્ફી હું એફ બી ને બધે મૂકીશ તો કદાચ મારી કોલમ બચી જશે."
"કોલમ? વૉટ કોલમ? કાકા, તમે કોન્ટ્રાક્ટરનું કરો છો?"
"ના ભાઈ! એ લોકો મારું કરે છે!"
"બાય, અન્કલ!"
***** ***** *****

"હેલો, ડિયર! જસ્ટ અ સ્મૉલ રિક્વેસ્ટ!"
"લૂક સર! આયેમ નોટ અ ડિયર. આયેમ અ મેન. એન્ડ રિક્વેસ્ટ્સ આર ઈરરિસ્પેક્ટિવ ઑફ સાઈઝ, યુ નો!"
"નો, આઈ ડોન્ટ!" પણ એક સાઈન જોઈએ તમારી."
"સાઈન? પણ કાકા, પેન તો હું ઘેર ભૂલી ગયો છું."
"પેન તો આ રહી. એક ઑનલાઈન પિટીશન સાઈન કરવાની છે."
"વાઉ! આઈ જસ્ટ લવ ઑનલાઈન પિટીશન્સ! યુ નો, માય નેમ ઈઝ અબાઉટ ટુ એન્ટર ઈન ધ 'ગ્રીનીચ' બુક ફોર સાઈનીંગ ઑનલાઈન પિટીશન્સ. ટેલ મી, વ્હૉટ ધ હોલ કેમ્પેન ઈઝ ઑલ અબાઉટ? ટુ સેવ ઓઝોન લેયર? ગ્રીન લેયર ઑન મૂન?"
"ના દોસ્ત! આ તો મારી કોલમ બચાવવા માટેની ઑનલાઈન પિટીશન છે. નાઉ જસ્ટ સાઈન હીયર એન્ડ ગેટ લોસ્ટ."
"થેન્ક્સ, અંકલ! વીલ યુ પ્લીઝ ઈશ્યૂ મી અ સર્ટિ?"

Thursday, June 2, 2022

જવાની કી ભૂલ

 શહેરની એક શાંત સવાર હતી. સવારે ખાસ ટ્રાફિક ન હતો, તેથી વાહનચાલકો પોતાનાં વાહનો વ્યવસ્થિત રીતે ચલાવતા હતા. શહેરનો આ વિસ્તાર એવો હતો કે અહીં ઘણી બેન્કોનાં એટીએમ મશીન મૂકાયેલાં હતાં, જેમાંના મોટા ભાગના ચાલુ હાલતમાં રહેતા. તેને કારણે અહીં ટ્રાફિક ખૂબ રહેતો. આ વિસ્તારમાં અનેક બેન્કો હતી, જેના કર્મચારીઓ ગ્રાહકોને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા.

આ વિસ્તારમાં એક નેતાનો બંગલો હતો. તેમણે લાખોના કૌભાંડ આચર્યા હોવાનું કહેવાતું. નેતાની બરાબર બાજુમાં એક લેખક રહેતા હતા. નેતા અને લેખક બન્નેમાં એક સામ્ય હતું. તે એ કે તેઓ ક્યારે કોને વફાદાર છે એ તેમને ખુદને ખબર નહોતી. બન્ને પોતાના આત્માના અવાજને અનુસરતા હતા. લેખક, અલબત્ત, રેશનાલિસ્ટ હતા, તેથી આત્મા-પરમાત્મા જેવી બાબતોમાં વિશ્વાસ ધરાવતા નહીં. દરેક બાબતને તર્કના ત્રાજવે તોલવાની તેમને આદત હતી. પોતાનો દરેક લેખ લખતાં પહેલાં અને લખ્યા પછી તેઓ આમ કરતા.
એક વખત એવું બન્યું કે........
****
સૂચના:
આવું ઢીલુંઢાલું ઓપનીંગ હોય ત્યારે કશું બને ખરું? ચાલો હવે, આટલું વાચ્યું જ છે તો એક કામ કરો. ઉપરના બે ફકરામાં કેટલી ભુલો છે એ શોધી કાઢો. આ ભૂલો જોડણી- વ્યાકરણ સિવાયની હોવી જોઈએ.
તમારો સ્કોર આ મુજબ રહેશે.
15 થી વધુ ભૂલો- તમે અહીં નકામા સડી રહ્યા છો. 'કેગ' કમિટીમાં ભરતી થઈ જાવ. ત્યાં બહુ જરૂર છે. (જતાં અગાઉ ત્યાં પૂછાવી લેવું.)
10 થી 15 ભૂલો - અભિનંદન! તમને નાગરિક હોવા છતાં ગમે તે ગોળી ગળાવી શકાય એમ નથી.
10 થી ઓછી અને 5 થી વધુ- વધુ મહેનત કરો. તમે કરી શકો એમ છો.
5 થી ઓછી- યાર, તમે અહીં શું કરો છો? પેલા લેખકને બંગલે પહોંચી જાવ. બે શબ્દ શીખવા મળશે.
- હજી તમે શિર્ષકમાં જ અટવાયા હો તો પછી આવી જાવ, અમારે કાર્યકર્તાઓની જરૂર છે.
(સૂચના: પહેલાં ભૂલ શોધીને પછી પોતાનું રેટીંગ જોવાનું રહેશે. રેટીંગ પહેલું વાંચીને ભૂલ શોધવા નીકળશો તો કોઈ પણ પક્ષના હોદ્દે તમારી દાવેદારી ચાલશે નહીં.)

Sunday, May 29, 2022

એક મલ્ટીબોધ કથા

એક તળાવમાં બે બગલા અને એક કાચબો રહેતા હતા. એક વાર ઉનાળામાં તળાવનું પાણી સૂકાવા માંડ્યું. તેથી બન્ને બગલાઓએ ઉડીને બીજે રહેવા જવાનું નક્કી કર્યું. કાચબાએ કહ્યું, ‘હું આવું તમારી સાથે?’ બગલાઓએ કહ્યું, ‘તું આવે એનો વાંધો નથી, પણ તું બહુ વાતોડીયો છે. તારે તારી ટેવ પર કાબૂ રાખવો પડશે. નહીંતર મુશ્કેલી થશે.’ કાચબાએ કહ્યું, ‘સારું, હું વાતો નહીં કરું.’ બન્ને બગલાઓએ પોતાની ચાંચમાં એક લાકડી પકડી. એ લાકડીના વચ્ચેના ભાગને કાચબાએ પોતાના મોં વડે પકડી. બન્ને બગલાઓ ઉડ્યા અને તેમની સાથે કાચબો પણ ઉંચકાયો.

ધીમે ધીમે તેઓ આગળ વધ્યા. કાચબાને વાત કરવાનું બહુ મન થતું હતું, પણ તેને બગલાઓએ આપેલી ચેતવણી યાદ હતી. આથી તે મહામહેનતે જાત પર કાબૂ રાખતો હતો. છેવટે એક જગાએ એક સરોવર દેખાયું. એ જોઈને બગલાઓ બોલી ઉઠ્યા: ‘અહીં બહુ પાણી છે. અહીં લેન્ડીંગ કરીએ.’ બગલાઓ વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમની ચાંચમાંથી લાકડી છટકી અને કાચબો નીચે પટકાયો.
****

બોધ:
૧. પોતાની ખરાબ ટેવની જેમ, બીજાની સારી ટેવથી પણ ક્યારેક જાનનું જોખમ થઈ શકે.
૨. લાંબી મુસાફરીમાં સાથીદારની પસંદગીમાં ચીવટ રાખવી જોઈએ.
૩. ગમે તેની સાથે લટકી ન જાવ, અને ગમે તે વાહનમાં પણ!
૪. વાતોડીયા હોવું ખરાબ નથી. પણ ક્યારે ચૂપ રહેવું એ જાણી લેવું જોઈએ.
૫. શાંત રહેવું સારું નથી, પણ ક્યારે બોલવું એ જાણી લેવું જોઈએ.
૬. બીજાને સલાહ આપ્યા પછી ભૂલેચૂકેય પોતાનાથી તેનું પાલન ન થઈ જાય તેની કાળજી રાખો.
૭. પાણી ન હોય તો ગભરાવ નહીં. હવે બોટલમાં તૈયાર પાણી મળે છે.
૮. તળાવ પર દરવાજા બનાવી દો, અને એમાં એન્ટ્રી ટિકિટ રાખો, જેથી એમાં કોઈ મફત રહી કે જઈ ન શકે.
૯. વાર્તાઓ જેટલી જ લંબાઈ બોધની હોય તો એ વાંચવાનું ટાળો.
૧૦. બોધ નં. ૯નો અમલ ન થઈ શક્યો હોય તો શરમાયા વિના બોધ નં.૬ નું સ્મરણ કરો.
૧૧. કોઈ પણ વાતમાંથી બોધ, પોઝીટીવ થીન્કીંગ, જીવનોપયોગી ટીપ્સ વગેરે જોવાની કે લેવાની આદત પડી ગઈ હોય તો વેળાસર કોઈ સારા ડૉક્ટરને બતાવો. મઝા ખાતર મઝા લેતાં શીખો.

Thursday, May 19, 2022

લેખકશ્રી, વક્તાશ્રી, પુસ્તકશ્રી વગેરે...

"મિત્રો, આજના આપણા વક્તાશ્રી ખરેખર વિદ્વાન છે. નામની પરવા કર્યા વિના તેઓશ્રીએ અનેક પુસ્તકો લખ્યાં છે. મારા-તમારા-આપણા સૌના વાંચવામાં એ પુસ્તકો આવ્યાં હશે, છતાં આપણને અંદાજ નહીં હોય કે એ પુસ્તક તેઓશ્રીના કરકમળ વડે લખાયેલું હશે. અમે આ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી બનવા માટે તેઓશ્રીને નિમંત્રણ આપવા ગયા ત્યારે તેઓશ્રીએ તરત તેનો સ્વીકાર કરી લીધો. બાકી જાણીતા સાહિત્યકારો કેવો ભાવ ખાય છે એ આપણે સૌ ક્યાં નથી જાણતા? એ તો ઠીક, એમણે તો એ હદે કહ્યું કે તમે પુરસ્કાર નહીં આપો તો પણ ચાલશે.

તમે તો જાણો છો, સુજ્ઞ વાચકશ્રીઓ, કે આપણા સાહિત્યકારો જે ગામમાં ડામરનો રોડ પણ ન હોય ત્યાં બોલવા આવવા માટે પ્લેનની ટિકિટનું ભાડું માગતા હોય છે. હું મારી વાત વધુ લંબાવતો નથી, પણ મુદ્દે એટલું જ કહેવું છે કે આવા મહાનુભાવનું આપણી વચ્ચે ઉપસ્થિત હોવું આપણું સદ્ભાગ્ય છે. તેઓશ્રીનો ફક્ત એક જ આગ્રહ હતો. એમણે કહેલું કે એમનું વક્તવ્ય શરૂ થાય એ અગાઉ એમના પરિચયમાં પણ સમય ન વેડફવો. તેઓશ્રીના કહેવા મુજબ આવા પરિચયોમાં નકરી અતિશયોક્તિની સાથોસાથ નર્યાં જૂઠાણાં અને બિનજરૂરી લંબાણ હોય છે. મેં એમને ખાતરી આપી હતી કે સાહેબ, આપડે એવું કશું નહીં બોલીએ. તેઓશ્રીએ ફક્ત એક જ શરત મૂકી હતી, જે સાવ મામૂલી હતી. અને તે એ કે એમણે લખેલાં પુસ્તકોનાં નામની યાદી વાંચી સંભળાવવી, જેથી ઉપસ્થિત સુજ્ઞ વાચકોને એમના કાર્યનો અંદાજ મળી રહે. આવા અદના લેખકશ્રીને પહેલાં આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.

(તાળીઓનો ગડગડાટ)

"તો દોસ્તો, આ વિદ્વાન લેખકશ્રીએ લખેલાં કુલ વીસ પુસ્તકો છે. એનાં નામ છે: 'મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1990, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1991, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1992, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1993, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1994, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1995, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1996, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1997, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1998, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1999, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 2000. આ શ્રેણી પછી તેમણે એક અન્ય શ્રેણી શરૂ કરી."
(બેલનો અવાજ)
"મિત્રો, દિલગીરી સાથે કહેવું પડે છે કે આ સાથે આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થઈ ગયો છે. તેમનાં પુસ્તકોની અધૂરી યાદી માટે હવે તેમને આપણે ફરીથી નિમંત્રણ આપીશું. અને એમાં સમય રહેશે તો તેઓશ્રીનું ટૂંકું વક્તવ્ય પણ ગોઠવીશું."

Wednesday, May 18, 2022

બે મેનેજમેન્‍ટ કથાઓ

કાગડો અને શિયાળ

એક કાગડો હતો. એ એક પૂરી લઈને આવ્યો અને એક ઝાડની ડાળી પર બેસીને ‘કા કા’ કરવા લાગ્યો. નીચે એક શિયાળ બેઠેલું હતું. તેને થયું કે આ પૂરી પોતાને મળે તો કેવું સારું? તેણે કાગડાની સામું જોઈને અભિવાદન કર્યું. કાગડાના કંઠની પ્રશંસા શી રીતે કરવી એ વિચારતો હતો એ સાથે જ કાગડાએ એક પૂરી તેને આપી અને શિયાળ કશું બોલે એ પહેલાં જ કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’

ઘડીભર શિયાળના માનવામાં ન આવ્યું. તે પૂરી ખાઈ ગયું. બીજે દિવસે પણ કાગડો પૂરી લઈને એ જ સ્થળે બેઠો. શિયાળે તેનું અભિવાદન કર્યું એ સાથે જ કાગડાએ પૂરી તેને આપી દીધી અને કહ્યું, ‘પૂરી માટે મારાં ખોટાં વખાણ કરવાની જરૂર નથી.’ એ પૂરી પણ શિયાળ ખાઈ ગયું.
ત્રીજે દિવસે કાગડો નાન લઈને આવ્યો. શિયાળે તેનું અભિવાદન કર્યું. કાગડાએ પણ સામું અભિવાદન કર્યું. એ પછી તેણે નાન ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં તે આખો નાન પૂરો કરી ગયો. શિયાળને તેણે કંઈ આપ્યું નહીં. આથી શિયાળને બહુ નવાઈ લાગી. તેણે કાગડાને પૂછ્યું, ‘તમે તમારાં વખાણ કરવાની મને ના પાડી હતી અને સામેથી મને પૂરી આપી હતી. એટલે હું કંઈ ન બોલ્યો, પણ તમે આખું નાન ખાઈ ગયા. મારે જાણવું છે કે તમે આવું કેમ કર્યું?”
કાગડાએ કહ્યું, ‘મેં પૂરી માટે ખોટાં વખાણ કરવાની ના પાડી હતી. નાન માટે સાચાં વખાણ તારે કરવા જોઈએ ને!’
બોધ: કોઈ ગમે એટલું ના કહે, પણ વખાણ તો કરવા જ. કોઈનું નાન મફતમાં જોઈતું હોય અને વખાણ પણ ન કરવા હોય તો પછી પેલો ખાય અને તમારે જોયા કરવાનો વારો જ આવશે.
બોધનો બોધ: કોઈ પણ કથાને તમે 'મેનેજમેન્ટ કથા'નું લેબલ આપશો એટલે એમાંથી અર્થ લોકો જાતે શોધી લેશે.

**** **** ****

બગલો અને શિયાળ
એક બગલો હતો. એક શિયાળ હતું. બન્ને મિત્રો હતા. એક દિવસ બગલાએ શિયાળને પોતાને ઘેર ભોજન માટે આવવાનું નિમંત્રણ આપ્યું. શિયાળ હોંશે હોંશે પહોંચી ગયું. બગલાએ ખીર બનાવી હતી. તેણે શિયાળને એક કુંજામાં ખીર પીરસી. બગલો લાંબા કુંજામાં ચાંચ બોળીને ખીર પીવા લાગ્યો. શિયાળે પોતાની કૅરીબેગમાંથી સ્ટ્રો પાઈપ કાઢી અને ખીર ચૂસવા લાગ્યું. તેને બહુ મઝા આવી. ધરાઈને ખીર ખાધા પછી તેણે પણ બગલાને પોતાને ઘેર ભોજન માટે નિમંત્ર્યો. નિયત દિવસે બગલો પહોંચી ગયો. શિયાળે પણ ખીર બનાવી હતી. તેણે એક મોટી કથરોટમાં ખીર પીરસી.પોતાની કથરોટમાંથી તે જીભ વડે ખીર ખાવા માંડ્યું. બગલાએ પોતાની પાંખ નીચેથી એક ચમચી કાઢી અને ચમચીએ ચમચીએ તે પણ ખીરનો સ્વાદ માણવા લાગ્યો. તેણે ધરાઈને ખીર પીધી.
આમ, બન્ને મિત્રોએ એકબીજાને ખીર ખવડાવીને સંતોષ લીધો.
બોધ: ક્લાયન્ટની જરૂરિયાતને તાબે થવાને બદલે તેને આપણા સ્રોત મુજબ તૈયાર કરો. એને એમ ઠસાવો કે આમ કરવું સરવાળે તેના જ ફાયદામાં છે.
બોધનો બોધ: આ કથામાં પાયાની અનેક ત્રુટિઓ છે. જેમ કે, બગલા અને શિયાળની દોસ્તી શક્ય નથી. કદાચ એમ હોય તો તેમને ખીર બનાવતાં આવડે એ શક્ય નથી. કદાચ એ પણ શક્ય હોય તો તેમને ઘેર કૂંજો અને કથરોટ હોય એ અશક્ય છે. માનો કે એ પણ હોય તોય બન્ને પોતપોતાને ઘેર ખાવાને બદલે બીજાને પોતાને ઘેર શું કરવા બોલાવે? અને એ રીતે બોલાવે તો ખીર જ શું કામ બનાવે? બગલો ચમચી અને શિયાળ સ્ટ્રો ખરેખર લઈને આવ્યા હતા કે તેઓ ક્લેપ્ટોમેનીઆક હતા? ખીરચૂસવામાં સ્ટ્રો કામ ન લાગે. કોપરાના ટુકડા અને ચોખા ભૂંગળીમાં ભરાઈ જાય.
બોધના બોધ પર ટીપ્પણી: સવાલો ઉઠાવતાં શીખો. ગીતાવચન મુજબ સંશયાત્મા વિકસતિ. મેનેજમેન્ટ કથા અને ગીતાના નામે કોઈ પણ, કંઈ પણ આપી દે તો એનાં અર્થઘટન કરવા ન બેસી જાવ. જ્ઞાનના પ્રદર્શનની બહુ ખુજલી હોય તો અર્થઘટન કરવાને બદલે મેનેજમેન્ટ કથાઓ લખવા માંડો. અર્થઘટન કરવામાં જ્ઞાનનું નહીં, બુદ્ધિનું પ્રદર્શન થાય છે. જો કે, એ નિ:શુલ્ક છે, તેથી એ સુવિધાનો લાભ લો તોય ખોટું નથી.

Tuesday, May 17, 2022

એક કચડાયેલા જીવની કરમકહાણી

 ના, મારો કશો વાંક નહોતો. મારા થકી કોઈ અનીતિ આચરે એમાં હું શી રીતે દોષી ગણાઉં? આ બયાન વાંચીને તમે જ નક્કી કરજો.

એ પાપ હતું કેટલાક મુઠ્ઠીભર લોકોનું. ટૂંકા સમયમાં તેમને ઝાઝા રૂપિયા કમાઈ લેવાની લાલચ
હતી. ઉંબરે આવેલો ગ્રાહક પાછો જાય એ તેમને પોસાય એમ ન હતું. કોઈ પણ ભોગે એ લોકો તેમને ખંખેરી લેવા માંગતા હતા. એટલે જ અમારી સાથે એ લોકોએ આમ કર્યું.
અમને સૌને એક બંધ ઓરડામાં પૂરી દેવામાં આવી. અરે, નાંખવામાં આવી, એમ જ કહો ને! એક બારી હતી, એ પણ નામની. કેમ કે, એ મોટે ભાગે બંધ જ રહેતી હતી. ભયાનક બફારો થતો હતો. કોણ જાણે ક્યાં ક્યાંથી બધીને લાવવામાં આવી હતી. સાવ કાચી, કુમળી. અમારી ચિંતા એ જ હતી કે ક્યારે અહીંથી છૂટકારો થશે ? અને થશે તો કઈ હાલતમાં થશે? કોને ખબર, કોણ અમને લઈ જશે? ક્યાં રાખશે? કોઈક વિચિત્ર ગંધ આખા ઓરડામાં પ્રસરેલી હતી.
રોજ અમારામાંથી અમુકને બહાર કાઢવામાં આવતી. અને એક વાર બહાર ગયા પછી એ પાછી આવતી નહોતી. મારોય નંબર લાગશે એ આશામાં હું સમય પસાર કરી રહી હતી. કમ સે કમ સૂરજનો પ્રકાશ તો જોવા મળશે! અહીં તો દિવસ કે રાતની કશી સરત રહેતી ન હતી.
અચાનક એક દિવસ ઓરડાની બહાર પગલાંની ધડબડાટી સંભળાઈ. જાતજાતના અવાજો આવવા લાગ્યા. અમારા ઓરડાનાં બન્ને બારણાં એકસામટાં ખૂલી ગયાં. આંખો અંજાઈ જાય એ હદે અજવાળું અજવાળું થઈ ગયું. અચાનક અમને સૌને બહાર ધકેલીને એક વાહનમાં ચડાવી દેવામાં આવી. શહેરની ભાગોળે, વસ્તીથી દૂર એક ખુલ્લા મેદાનમાં અમને ધકેલી દેવામાં આવી. પીળા રંગનું એક મોટું વાહન જાણે કે અમારી રાહ જોતું ધુમાડા ઓકતું ઉભું હતું. તેના એન્જિનમાંથી નીકળતો ‘ઢગ્ ઢગ્ ઢગ્’ અવાજ અમારી અંતિમ ઘડી આવી રહી હોવાનું સૂચવતો હતો. હમણાં તે અમારા દેહ પર ફરી વળશે, અમારા દેહ જોતજોતાંમાં પંચમહાભૂતમાં ભળી જશે.
હીટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં હારબંધ ઉભેલા કેદીઓની જેમ અહીં કોઈ નાત નહોતી, જાત નહોતી, રંગ કે વર્ણનો કોઈ ભેદ નહોતો, કે નહોતી કોઈ સ્વતંત્ર ઓળખ. ઓળખ હતી તો સાવ ક્ષુલ્લક! અને સૌની એક જ નિયતિ હતી.
***** **** ****
...આખરે
મારો દેહ જીર્ણશીર્ણ થઈ ગયો છે. શરીરમાં હાડકું નામેય બચ્યું નથી. મને મોત કેમ ન આવ્યું? મશીન નીચે ચગદાઈ જઈને મરવાને બદલે કાગડા સમડી મારા જીવતા દેહને કોચી કોચીને મોતને હવાલે પહોંચાડે એ કદાચ કુદરતને મંજૂર હશે. કોને ખબર, કદાચ મારી આ વ્યથાકથા તમારા સુધી પહોંચાડવા માટે સર્જનહારે મને જીવતી રાખી હોય! જે હોય તે, મારી આ કથા તમારા સુધી પહોંચશે ત્યારે કદાચ મારો છેલ્લો શ્વાસ ચાલ્યો ગયો હશે અને તમે રસમાં બોળીને રોટલી ઝાપટતા હશો. બસ, એ વખતે એ ૫૨૦૦ કિલોમાંની એક કેરી તરીકે મુજ કમનસીબને એક ક્ષણ માટે યાદ કરી લેશો તો મારું આ અકાળે મૃત્યુ લેખે લાગશે.



Friday, April 29, 2022

અજમાવી જુઓ

તમારી બોરિંગ જિંદગીને રસપ્રદ (એન્‍ડ વાઈસે વર્સા) બનાવતા ટોપ ટેન ઘરેલુ નુસ્ખા

यह टोप टेन टीप्स आपको भूला देगी कि 'जिंदगी ह्सने गाने के लिये है पल, दो पल'

TOP TEN TIPS TO MAKE UR LOUSY LIFE TOUGHER:


તમારું ઘર સાવ જંતુમુક્ત છે? એમ હોય તો જરા વિચારજો કે એવા ઘરમાં તમે શી રીતે રહી શકો, કે જ્યાં કીડી સુદ્ધાં રહેવા તૈયાર નથી? જીવજંતુઓ તેમજ અન્ય મનુષ્યેતર જીવો પણ સંબંધોની સૃષ્ટિનો જ એક હિસ્સો છે. અહીં એ અંગે કેટલીક ઉપયોગી ટીપ્સ આપવામાં આવી છે.
૧. થોડી લાલ અને થોડી કાળી કીડીઓ લઈ આવો અને ઘરમાં એને મુક્તપણે ફરવા દો.

૨. તમારા ઘરમાં કીડીઓનો ત્રાસ બહુ થઈ જાય તો મંકોડા પાળો. મંકોડા કીડીને ખાતા નથી, પણ મંકોડા તરત નજરે ચડશે અને તેમને પકડી શકાશે.

૩. તમારા ઘરમાં મંકોડાનો ત્રાસ વધી જાય તો વાંદા પાળો. મંકોડા અને વાંદા ભેગા થાય તો લડતા નથી, પણ પકડદાવ, નદી કે પર્વત જેવી રમતો રમે છે.

૪. તમારા ઘરમાં વાંદાનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ગરોળી પાળો. કેમ કે, વાંદા એ ગરોળીનો ખોરાક છે.

૫. તમારા ઘરમાં ગરોળીનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ઉંદર પાળો. ઉંદર આવતાં જ તમારું ધ્યાન જમીન તરફ કે બહુ બહુ તો ભીંત તરફ રહેશે અને છત પર ફરી રહેલી ગરોળી તરફ તમે નજર સુદ્ધાં નહીં કરો.

૬. તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ વધી ગયો હોય તો તમારા અણગમતા લેખકોનાં પુસ્તકો પસ્તીમાંથી ખરીદી લાવો, (ઘરમાંથી કાઢો તોય વાંધો નથી) અને ઉંદરીયામાં મૂકો. ઉંદર એ પુસ્તક ખાવા ન આવે તો અણગમતા લેખકના લખાણ પર પુનર્વિચાર કરો. અને પુસ્તક બદલી જુઓ. આમ છતાંય ઉંદરનો ત્રાસ એમનો એમ રહે તો એક બિલાડી પાળો.

૭. તમારા ઘરમાં બિલાડીનો ત્રાસ વધી ગયો હોય તો કૂતરો પાળો. કૂતરાના ત્રાસની સરખામણીએ બિલાડીનો ત્રાસ ઓછો લાગશે.

૮. તમારા ઘરમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોય તો એક વાઘ લાવો. તમારા ઘરનું કૂતરું જ નહીં, આખી સોસાયટીનાં કૂતરાં શાંત થઈ જશે, કેમ કે, કૂતરાંને વાઘની બહુ બીક લાગે છે.

૯. વાઘનો ત્રાસ બહુ વધી ગયો હોય એમ લાગે તો પહેલાં એ ચૅક કરો કે તમે ભૂલથી સરકસની રીંગમાં ઘૂસી નથી ગયા ને! કેમ કે, વાઘ ઘરમાં આવતા નથી. આવે તો રહેતા નથી. અને એ રહે તો....વેલ, તો પછી એ વાઘ છે કે નહીં એ ચૅક કરો.

૧૦. ભલા માણસ, એટલું તો વિચારો તમારા ઘરમાં વિવિધ જીવજંતુઓ કે પ્રાણીઓનો ત્રાસ વધી ગયો હોય તો કોઈ શું કરે? તમારા ઘરના લોકો જેમ તમારો ત્રાસ વેઠે છે એમ તમેય આ જીવોનો ત્રાસ વેઠો.

Wednesday, April 27, 2022

પાંચ મિનીટમાં પતાવટ

ફેસબુક કે વૉટ્સેપ પર 'ફાઈવ મિનીટ હેક્સ'/Five minute hacks અને 'ડી.આઈ.વાય'/D.I.Y. (Do It Yourself)ની અનેક વિડીયો જોયા પછી લાધેલું જ્ઞાન:

  • સૌ પ્રથમ તો કપડાંના શોરૂમમાં જાવ. ત્યાંથી તમારા માપનું જિન્સ પેન્ટ ખરીદો. એની લંબાઈ વધુ હોય તો એને શોરૂમમાં જ ઑલ્ટર કરાવવાનો આગ્રહ રાખો. આ જિન્સને લઈને ઘેર આવો.
  • એક જૂની કાતર લો. એનાથી જિન્સ પેન્ટના બન્ને પાયચા કાપી નાંખો. એક પાયચું લઈને એને તળિયેથી સીવી દો. ઉપરનો ભાગ ખુલ્લો રહેશે.
  • રેતી અને સિમેન્ટનું મિશ્રણ તૈયાર કરો. એમાં પાણી ઉમેરો.
  • હવે પાયચાના ખુલ્લા ભાગમાં તમારો ડાબો હાથ સરકાવો. મુઠ્ઠી વાળેલી રાખો.
  • જમણા હાથે રેતી અને સિમેન્ટનું મિશ્રણ પાયચામાં ભરતા જાવ. છેક ઉપર સુધી એને ભરી દો. મિશ્રણ ઠરે ત્યાં સુધી રાહ જુઓ. એ પછી તમારો હાથ ખેંચી લો.
  • પછી કાતર વડે પાયચું કાપીને દૂર કરતા જાવ.
  • જુઓ કે અંદર કશું બને છે?
  • એનો શો ઉપયોગ થઈ શકે એમ છે?
આ સમગ્ર પ્રક્રિયાની વિડીયો ઉતારો.
છેલ્લા બે સવાલોના જવાબ અમને ખાસ જણાવો.

Wednesday, April 20, 2022

એક રાષ્ટ્ર, એક પ્રશ્નપત્ર

પરીક્ષાની તારીખો આવવા લાગી છે. આ ખાસ સમય માટે હવે પ્રશ્નપત્રો પણ ખાસ કાઢવા પડશે. મોટે ભાગે એમ.સી.ક્યૂ.વાળા. એમાં પણ જવાબોના વિકલ્પ એવા મૂકવાના કે કોઈ પણ વિકલ્પે ટીક કરવામાં આવે તો જવાબ સાચો જ પડે. ઊંચી ટકાવારી માટે ચોરી કે શિરજોરી કરતાં આ વિકલ્પ નૈતિક રીતે બહેતર છે.

વિદ્યાર્થીઓના લાભાર્થે અહીં પેપરની સૂચિત શૈલી મૂકવામાં આવી છે.
કોઈ પણ એક સાચા જવાબ પર નિશાની કરો.
ખાસ નોંધ: તમને બધા જવાબ સાચા લાગે, તો પણ નિશાની એક જવાબ પર જ કરવાની રહેશે.
પ્રશ્ન 1
1. કોરોના એટલે.....
(અ) ચીની બનાવટનો વાયરસ (બ) 'તોડોના'નો મોટો ભાઈ (ક) ભારતીય ઈવેન્ટ યોજવા માટેનું ચીની બહાનું (ડ) ઉપરના બધા
2. રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે રોમનસમ્રાટ નીરો......
(અ) અમીર ઉમરાવોની ખરીદી કરી રહ્યો હતો (બ) ફીડલ વગાડી રહ્યો હતો (ક) લોકોને સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખવી રહ્યો હતો (ડ) દ્રાક્ષ-રુદ્રાક્ષની સંસ્કૃતિવાળી કાઠિયાવાડી હ્યુમર માણી રહ્યો હતો.
3. 'ઝૂમ એપ્લિકેશન' એટલે....
(અ) 'રૂમઝૂમ' કરતાં કરતાં આપવાની અરજી (બ) દૂર બેઠે બેઠે, પડદે યોજાતી બેઠક (ક) કોઈની સહમતિ વિના એકપક્ષી મંજૂરી આપી દેવાની જોગવાઈ (ડ) ઉપરના બધા
4. આપણા દેશમાં કયું દળ સંખ્યાબળમાં ઓછું, છતાં શક્તિબળમાં ભારે છે?
(અ) હવાઈ દળ (બ) ટ્રોલદળ (ક) મારુતિ દળ (ડ) ટોળાબળ
5. નેગેટીવ થીન્કિંગ એટલે...
(અ) પોતાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવશે એમ સતત વિચારવું (બ) કેન્દ્ર સરકાર હંમેશાં સાચું જ કરે, અને એ સિવાયની સરકાર કાયમ ખોટું જ કરે એમ વિચારવું (ક) આવું પેપર કાઢવું (ડ) ઉપરના બધા
પ્રશ્ન 2
(1) કોરોના સંદર્ભે પોઝીટીવ થીન્કિંગ એટલે શું તેને વિસ્તારથી સમજાવો.
(2) સાંપ્રત સમયનો આપદ્ધર્મ: આરોગ્યની સુવિધાને મજબૂત કરવી? કે ધારાસભ્યોની લે-વેચ?
અથવા
ટૂંકનોંધ લખો.
1. ખરીદાઈ જવા ઈચ્છતા, પણ ન ખરીદાતા એક ધારાસભ્યની મનો:સ્થિતિનું લાગણીસભર વર્ણન.
2. કવિતામાં વક્તવ્ય અને વક્તવ્યમાં કવિતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

નોંધ: માત્ર શૈલીનો ખ્યાલ આવે એટલા માટે તૈયાર કરેલું આ પ્રશ્નપત્ર છે. કુલ 4 પ્રશ્નો પૂછાશે, જેમાં પહેલા પ્રશ્નમાં દસ પેટાપ્રશ્નો- વિકલ્પવાળા હશે. એ સિવાયના દરેક પ્રશ્નોમાં 'અથવા' હશે.
સલાહ: માત્ર શૈલીનો ખ્યાલ આપવા માટે મૂકાયેલું આ પ્રશ્નપત્ર છે. તેના જવાબ અહીં આપવા ન માંડવા.
ચેતવણી: પ્રશ્નપત્રના પ્રશ્નો બદલવા અંગેનો કોઈ પણ 'વ્યવહાર' અહીં કરવો નહીં.
ધમકી: પ્રશ્નપત્રમાંના એકે જવાબ ન આવડે અને તે કોરું મૂકીને કોઈ ચાલ્યું આવશે તો પણ તેને પાસ કરી દેવામાં આવશે.
****

અગાઉના પ્રશ્નપત્રની જંગી સફળતા બાદ, 'લૉક'લાગણીને માન આપીને હવે પ્રસ્તુત છે કોરોના ક્વિઝ.
શાળાના વિદ્યાર્થીઓથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને મદદરૂપ થવા માટે કરેલી એક અનોખી પહેલ:
સૂચના: કોઈ પણ જવાબ પર નિશાની કરો, તે સાચા જ છે. આથી વિદ્યાર્થીઓએ નર્વસ થયા વિના માત્ર ને માત્ર એક જ જવાબ પર નિશાની કરવી.
નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પર નિશાની કરો. દરેક જવાબનો એક ગુણ છે. (કુલ અવગુણ: 10)
(1) 'હું પણ કોરોના વૉરિયર'નો સૂચિતાર્થ શો છે?
(ક) તું તારું જો (ખ) ચડ જા બેટા સૂલી પર (ગ) મુસાભાઈનાં વા ને પાણી (ઘ) જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ
(2) 'લૉકડાઉનમાં લુપ્તેશકુમાર લાઈવ'નો અર્થ શો?
(ક) અગાઉ લુપ્તેશકુમાર 'ડેડ' હતા (ખ) લુપ્તેશકુમાર ફેસબુક પર લાઈવ થયા (ગ) લુપ્તેશકુમાર માત્ર લૉકડાઉનમાં જ લાઈવ છે (ઘ) વર્ણસગાઈ અલંકારનું ઉદાહરણ
(3) 'સોશ્યલ ડિસ્ટન્સિંગ'નો વિચાર આપણી ------- પરંપરા છે.
(ક) સાંસ્કૃતિક (ખ) વેદકાલીન (ગ) આદિ (ઘ) સનાતન
(4) કોરોના ક્યારે હારશે?
(ક) જ્યારે ગુજરાત જીતશે ત્યારે (ખ) વર્ચ્યુઅલ રેલીઓ વધુ પ્રમાણમાં નીકળશે ત્યારે (ગ) ધારાસભ્યોની ખરીદી પતી જશે ત્યારે (ઘ) કેન્દ્રીય આરોગ્યમંત્રી કોણ છે અને એમની ભૂમિકા શી છે એની ખબર પડશે ત્યારે
(5) ટ્રેન ગંતવ્યસ્થાનને બદલે જુદી દિશામાં ફંટાઈ જાય ત્યારે એમ કહેવામાં આવે કે 'એ તો જે તે સ્ટેશને ભીડ ઓછી કરવા માટેનું આયોજન હતું' - આ કઈ કહેવતની યાદ અપાવે છે?
(ક) મિયાંભાઈ ગિર ગયે તો કે મૈં તો નમાઝ પઢ રહા થા (ખ) ગાડી, દીકરી અને ગાય -દોરે ત્યાં જાય (ગ) જતા'તા જાપાન ને પહોંચી ગયા ચીન (ઘ) જીવ્યા કરતાં જોયું ભલું
(6) સરકાર કોઈ પણ મોરચે નિષ્ફળ જાય ત્યારે હકીકતમાં...
(ક) એ જનતાની નિષ્ફળતા છે (ખ) વિપક્ષની બેજવાબદારી છે (ગ) તે સફળ જ હોય છે (ઘ) તે સફળતા તરફ જવાનું વધુ એક પગથિયું ચણે છે
(7) કઈ ભાષામાં સૂત્રો લખવાથી કોરોના ભાગી જશે?
(ક) ગુજરાતી (ખ) ચીની (ગ) અંગ્રેજી (ઘ) જાપાની
( કોવિડ-19ના ઓછા ટેસ્ટ કરવાથી કોને ઉઠાં ભણાવી શકાય છે?
(ક) કોરોનાને (ખ) ચીની પ્રમુખને (ગ) ડોનાલ્ડ ટ્રમ્પને (ઘ) કોરિયાના પ્રમુખને
(9) 'હિંંદી ચીની ભાઈભાઈ' સૂત્રનો અર્થ....
(ક) ઝૂલે ઝુલાવ્યા જિનપિંગને (ખ) વેલકમ, કોરોના! (ગ) તુ છૂરા લે કે આ, મૈં સીના ધર કે ખડા હૂં (ઘ) નહેરુએ અનુભવેલો એવો જ થાય.
(10) માનો કે, કોઈ એક દિવસને 'વિશ્વ છાકા દિન' તરીકે ઉજવવાનું નક્કી થાય તો એની ઉજવણી શી રીતે કરવી જોઈએ?
(ક) સેલ્ફી મૂકીને (ખ) સમૂહમાં છીંક ખાઈને (ગ) ભરબપોરે સૂર્ય તરફ આંગળી ચીંધતા ફોટા મૂકીને (ઘ) તેને અલગથી ઉજવવાની જરૂર નથી.

****

"મિત્રો, આપને અગાઉનાં બે પેપર કેવાં લાગ્યાં?"
"બહુ ટફ હતાં, સર! હજી ઈઝીઅર ન કાઢી શકાય? સર, યુ નો, અમારે માથે કેટલું બધું પ્રેશર હોય છે. એમાં પાછાં આટલાં અઘરાં પેપર..."
"ઓકે, ઓકે, મિત્રો! આવું પેપર કાઢું તો ચાલે? જુઓ, આજે સામાન્ય જ્ઞાનનું પેપર છે. ઑલ ધ બેસ્ટ."

સૂચના: તમામ જવાબો સાચા લાગે તો પણ ગમે તે એક વિકલ્પ પર જ નિશાની કરવાની રહેશે. (કુલ અવગુણ: ટીક મુજબ)
(1) સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
(ક) ચેરાપુંજી (ખ) મોનસિનરમ (ગ) ઉપરવાસ (ઘ) બાથરૂમના શાવરમાં
(2) ભારતમાં સૌથી વધુ બરફ ક્યાંં પડે છે?
(ક) હિમાલય પર (ખ) ગોળાવાળાને ત્યાં (ગ) વ્હીસ્કીના ગ્લાસમાં (ઘ) ઉપરના બધા
(3) ટ્વીટ એટલે શું?
(ક) ભૂરા રંગના પક્ષીનો ચહેકાટ (ખ) મૂંગા મંત્રીઓને સાંભળવાનું સ્થળ (ગ) રક્તપાત વિનાનું રણમેદાન (ઘ) ધર્મનો રોજેરોજ ક્ષય થતો હોવા છતાં કોઈ કાકાનેય અવતાર લેવાનું મન ન થાય એવું સ્થળ
(4) 'આરપાર કી લડાઈ' એટલે?
(ક) ગુરુદત્તની 'આરપાર' ફિલ્મ વખતે ટિકિટબારી પર થતી લડાઈ (ખ) આરપાર નામના એક સામયિકના અંક મેળવવા માટે થતી લડાઈ (ગ) વેલકમ, બ્રો (ઘ) ઉપરનામાંથી એક પણ નહીં
(5) 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું' નીચેનામાંથી કઈ પરિસ્થિતિને લાગુ પડે છે?
(ક) સરકાર બનાવવાની હોય ત્યારે ધારાસભ્યો ખરીદવા (ખ) આગ લાગે ત્યારે તેલનો કૂવો ખોદવો કે પાણીનો એ સમજ્યા વિના ઉપરીના આદેશનું પાલન કરવું (ગ) ગયે વખતે કૂવો ખોદ્યો ત્યારે કેટલા ફીટે પાણી આવેલું એ માહિતી અગ્નિશામક દળના લાશ્કરોને આપવી (ઘ) બેઠે બેઠે કૂવો પણ ખોદી શકાય એનો દાખલો બેસાડવો

****

ગભરાશો નહીં, વિદ્યાર્થીમિત્રો!
'એક રાષ્ટ્ર-એક પરીક્ષા'ના પગલે પ્રસ્તુત છે- 'એક રાષ્ટ્ર, એક સ્યોર સજેશન'.
આપ સૌ જાણો છો એમ, પ્રશ્નપત્રની પદ્ધતિ નહીં બદલાય, પણ સવાલો વધુ અઘરા બનશે. તેની સામે ફાયદો એ છે કે કોઈ પણ વિકલ્પ પર નિશાની કરશો તો એ સાચો હશે.
એક સવાલ બે ગુણનો રહેશે.
(કુલ અવગુણ: 10)
(1) સરકાર જે પ્રતિબદ્ધતાથી કામ કરે છે એ જોતાં હવે કયો વધારાનો કર લાગુ કરવામાં આવે એ વાજબી ગણાય?
(a) મનોરંજન કર (b) સત્યવદમ કર (c) ગરીબી વેરો (d) પ્રચાર વેરો
(2) આગામી વરસોમાં કાગડા લુપ્ત થઈ જશે, કારણ કે-
(a) જૂઠુંં બોલનારાને કરડી કરડીને તે થાકી ગયા હશે (b) મંત્રીઓની લોકપ્રિયતા વધારવા માટે તેમને ત્રાસવાદી ગણાવીને એન્કાઉન્ટર કરી દેવાશે (c) વિવિધ તપાસ સમિતિઓના અહેવાલો વાંચવા માટે તેમની નિમણૂક કરવામાં આવશે (d) મૃતદેહોને ચૂંથવાનું કામ રાજકારણીઓને હસ્તક જતું રહેશે એટલે ભૂખમરાથી મરશે.
(3) નેતા કે સરકારની લોકપ્રિયતા વધારવા માટે કયાં પરિબળો અસરકારક ગણાય ?
(a) પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓ (b) મુંબઈથી આવતા શાર્પ શૂટરો (c) સ્વદેશી રાષ્ટ્રદ્રોહીઓ (d) સ્થાનિક અર્બન નક્સલ
(4) 'એક રાષ્ટ્ર, એક કાર્ડ', 'એક રાષ્ટ્ર, એક વેરો', 'એક રાષ્ટ્ર, એક ', 'એક રાષ્ટ્ર, એક પરીક્ષા'ના ભવ્ય આયોજન પછી આગામી આયોજન શું હોઈ શકે?
(a) એક રાષ્ટ્ર, એક ગણવેશ (b) એક રાષ્ટ્ર, એક દેવ (c) એક રાષ્ટ્ર, એક દુશ્મન (d) એક રાષ્ટ્ર, એક જૂઠાણું
(5) પોપટ કોને કહેવાય?
(a) સરકારના ઈશારે કામ કરતી જાસૂસી સંસ્થાઓને (b) નેતાની હત્યા માટે આવેલા હત્યારાના પ્રેસમાં અપાતા બયાનને (c) વહુ અને વરસાદનો જશ પણ સરકારને આપે તેને (d) ગમે તે સાઈઝના પાંજરે પુરાયેલા કોઈ પણ જીવને





Wednesday, September 6, 2017

ગણેશ વિસર્જને

 

हम लोग खिलौने हैं, एक ऐसे खिलाड़ी के

जिसको अभी सदियों तक, ये खेल रचाना है
આપણા તહેવારો સાથે સ્વચ્છતા અને પવિત્રતા અભિન્નપણે જોડાયેલાં છે. ગણેશ વિસર્જન ટાણે વાગતો ડી.જે.સાઉન્ડ આપણા કાનના એવા એવા અંતરિયાળ ખૂણે જઈ પહોંચે છે અને મેલને ખેરવી શકે છે, જ્યાં ગમે એવી વાંકીચૂકી હેરપીન કદી પહોંચી ન શકે. આ દિવસે અઢળકપણે ફોડવામાં આવતું દારૂખાનું ચોમાસા પછી પેદા થઈ ગયેલી નાની નાની જીવાતોને ખતમ કરે છે. રસ્તે ઉડાડવામાં આવતા ગુલાલ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. હલકીફૂલકી જીવાતો સામાન્યપણે નીચે આવતી નથી. ગુલાલને હવામાં ઉડાડવાથી ગુલાલ એ જીવાતોને ચોંટી જાય છે, અને એ જીવાતો નીચે આવે છે. ત્યાર પછી તેને ડી.જે.સાઉન્ડ અને દારૂખાનાના ધુમાડાથી ખતમ કરવામાં આવે છે. જીવહિંસા આપણી સંસ્કૃતિમાં 'શરતો લાગૂ' સાથે પાપ ગણાય છે. કોઈ પણ સભાન અને સંવેદનશીલ માણસ એક નાના જંતુને કે મોટી ગાયને મારવાનું તો ઠીક, ઈજા પહોંચાડવાનું વિચારી સુદ્ધાં ન શકે. આમ કરવા માટે તેણે ભાન ભુલવું જરૂરી છે. અને આમ કરવા માટે તેણે કોઈક નશીલા દ્રવ્યને શરણે જવું પડે છે. આમ, પોતાની જાત પર જુલમ કરીને પણ તે ભાન ભૂલે છે અને બહુજનહિતાય એ દ્રવ્યનું સેવન કરે છે.
ગણેશજીના તહેવાર ટાણે આકળા થઈ જતા લોકોને આ બધાં વૈજ્ઞાનિક કારણોની ક્યાંથી જાણ હોય? અનેકવિધ રૂપ ધારણ કરતા ગણેશજીઓ આ ખેલ જોઈને એકબીજાને કહે છે, 'એક ડુંડ સે આના હૈ, એક ડુંડ મેં જાના હૈ'.



Thursday, August 3, 2017

'સળી'શતાબ્દિ નિમિત્તે.....


બરાબર બે વર્ષ પહેલાં, 'દિવ્ય ભાસ્કર'ના પૃષ્ઠ સંપાદક ઉર્વીશ કોઠારી અને તંત્રી રાજ ગોસ્વામીના નિમંત્રણથી 30-7-15ના દિવસે 'સળી નહીં, સાવરણી' કોલમનો આરંભ થયો હતો. તેને 'કોલમ' કહેવાય કે નહીં, એ હું હજી નક્કી કરી શક્યો નથી, કેમ કે, પહેલી આંગળી અને અંગૂઠો પહોળો કરીએ એટલી તેની લંબાઈ છે. 
30-7-2015ના રોજ પ્રકાશિત પહેલવહેલો લેખ

શરૂઆતમાં 400 શબ્દોની મર્યાદા આકરી લાગતી હતી, કેમ કે, સાદો, સામાન્ય લંબાઈનો હાસ્યલેખ 700-800 શબ્દોનો હોય એમ ગણીને ચાલીએ તો તેનો 'ટેક ઓફ' લેવામાં જ આટલા શબ્દો જોઈએ. ખુદ પૃષ્ઠ સંપાદક હાસ્યલેખક હોવાથી આ હકીકત તેમનાથી બહેતર કોણ સમજી શકે? પણ ત્રીસ-પાંત્રીસ લેખો લખાયા પછી સૂચના મળી કે આને હજી ઘટાડીને 350 શબ્દોમાં લખવું. 
ડાર્વિનનો સિદ્ધાંત ભણતી વખતે ગોખેલો, પણ હવે બરાબર સમજાયો. લોકો ગણે કે ન ગણે, કોલમીસ્ટ, અથવા આ કિસ્સામાં 'મીની કોલમીસ્ટ' પણ એક એવો સજીવ છે કે જે ટકી રહેવા માટે અનુકૂલન સાધવાના તમામ પ્રયત્નો કરે. આ જ દિવસે 'ગુજરાત મિત્ર'માં પ્રકાશિત થનારી કોલમ 'ફિર દેખો યારોં' આનાથી બમણા કદની હોવા છતાં આનાથી અડધા સમયમાં લખાઈ જતી. એ રીતે આઈન્‍સ્ટાઈનનો સાપેક્ષવાદ પણ સમજાયો.
અલબત્ત, આટલા મોટા તંત્રના નખની ટોચ જેટલું કોલમનું કદ હોવાને કારણે મનમાં એમ સતત રહેતું કે ગમે ત્યારે આ અટકી જશે. આ કારણે આ કોલમનો દરેક હપ્તો એવી માનસિકતાથી જ લખતો રહ્યો કે જાણે એ છેલ્લો હપ્તો જ હોય! આ માનસિકતા બહુ કામ આવી.
એક એક રનની કરેલી સફરનો આજે આ સોમો મુકામ છે. નિયમીતપણે ફેસબુુુક પર મૂકાતી આ કોલમ નીચે ઘણી વાર તો એનાથી વધુ લંબાઈ નીચે લખાતી કમેન્‍ટોની થઈ જતી. અને એ કમેન્‍ટો 'વાહ!' , 'ક્યા બાત!' ને બદલે રીતસરની પટાબાજી જ હતી, એટલે મૂળ લખાણથી વધુ હાસ્ય એ વાંચીને નીપજતું. એ પટાબાજીમાં ભાગ લેનારા સૌ મિત્રોનો દિલથી આભાર. એમને એટલું જ કહેવાનું કે કોલમ તો એક માધ્યમ છે. એ આજે છે, કાલે ન પણ હોય. પણ આપણી પટાબાજી કોઈ ને કોઈ રીતે ચાલુ જ રાખવાની છે.
આટલી નાની જગ્યામાં હાસ્ય રેલાવતા, સપ્તાહના અન્ય દિવસોએ લખતા સાથીદારો કિરણ જોશી, ચેતન પગી, આરંભે ઝમકદાર બેટીંગ કરી જનાર જ્વલંત નાયક તેમજ કાર્તિકેય ભટ્ટ, નવી ગોઠવણમાં જોડાનાર અમીત રાડીયા અને દિવ્યેેેશ વ્યાસ તેમજ ડૉ. અશ્વિનકુમારનાં લખાણો આ નવિન સ્વરૂપમાં લખાતાં થયાં એનો આનંદ એટલો જ છે.
આટલા પૂર્વકથન પછી પ્રસ્તુત છે આ કોલમનો સોમો લેખ. 
3-8-2017ના રોજ પ્રકાશિત સોમો લેખ 

ચોમાસામાં હવાયેલાં બારીબારણાં જોઈને

ઘણાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં અને તેનાં હેન્ડલ તથા મકાનમાલિક પિત્તળનાં હોય છે. મકાનમાલિક મકાનના વાસ્તુ વેળાએ અને લાકડાનાં બારીબારણાં ચોમાસા વખતે બરાબર ફૂલે છે. ફૂલેલાં બારીબારણાંને સંસ્કૃત સુભાષિતમાં જણાવાયેલા વિદ્યારૂપી ધન સાથે સરખાવી શકાય. મકાનમાલિક તેને ઉઘાડબંધ કરી શકતો નથી, ચોર તેને તોડી શકતો નથી, સુથાર તેને છોલી શકતો નથી કે બિલ્ડર તેને બદલી શકતો નથી. સાદી ભાષામાં તેને જામ થઈ ગયેલાં કહેવાય.
‘નેતા એક, કૌભાંડ અનેક’ની જેમ ‘જામ’ માટે પણ ‘શબ્દ એક, અર્થ અનેક’ની સ્થિતિ છે. ગુલામ માનસિકતા ધરાવતો વર્ગ ‘જામ’ શબ્દ સાંભળતાં અદબભેર ઝૂકી જાય છે. ‘જામનામ સત્ય હૈ’ને ધ્રુવમંત્ર ગણતા ‘બિમાર’ પરવાનાધારકોની નજર સમક્ષ સોડા, પાણી કે અન્ય સંગાથી પીણાં તરવરે છે. સમયના પાબંદ એવા કામચોર કર્મચારીઓને ચોમાસા દરમ્યાન ઓફિસે જતાં-આવતાં ‘જામ’ થઈ જતા ટ્રાફિકની ફિકર હોય છે. બાળકોને તંદુરસ્ત નહીં, પણ જાડીયાપાડીયા બનાવવા માંગતી માતાઓ બ્રેડ પર ચીઝ કે બટર સાથે કયો ‘જામ’ ચોપડવો એની ફિરાકમાં હોય છે, જ્યારે વિશુદ્ધ ગૃહિણી માટે ‘જામ’નો અર્થ છે ફૂલી ગયેલાં બારીબારણાં.
કહેવાય છે કે કાષ્ઠયુગમાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં રહેતાં. ચોમાસામાં તે ફૂલી જતાં અને અંદરથી તેની સ્ટોપર વાસી શકાતી નહીં. આથી બાથરૂમમાં જનારે છેક બહાર સંભળાય એટલા ઉંચા અવાજે સતત ગાતા કે ગણગણતા રહેવું પડતું કે જેથી કોઈ ભૂલમાં બારણું ખોલી ન દે. પરિણામે એ યુગમાં બુલંદ સ્વર ધરાવતા અનેક ગાયકો, ઉદ્ઘોષકો તેમજ સંચાલકો પેદા થયા. ફિલ્મી ગીત કે સુગમ સંગીત જેવા ગાયનપ્રકારો આ યુગની દેન હોવાનું મનાય છે. પણ સતત નવો ત્રાસ ઝંખતી નવી પેઢી માટે આ શૈલી અસહ્ય બનવા લાગી. તેને નાબૂદ કરવા માટે તે ટેકનોલોજીને શરણે ગઈ. તેમણે એવી કૃત્રિમ સામગ્રીનાં બારીબારણાં વિકસાવ્યાં કે જે ગમે એવા ભેજવાળા વાતાવરણમાં કદી ફૂલે નહીં અને અંદરથી તેને વાસી શકાય.
એક જમાનામાં લોકો સાંજથી ઘરના બારણાને પણ અંદરથી વાસી દેતા, કેમ કે ડાકુ-લૂંટારાઓ ગામ ભાંગવા ચડી આવતા. રાતવરત બંદૂકના ભડાકાઓ સંભળાતા. આ વર્ગનો વિકાસ થતાં તે દેશ ભાંગવા નીકળ્યો અને હવે લોકપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. આથી હવે રાત્રે ઓચિંતો બંદૂકના ભડાકા જેવો અવાજ સંભળાય તો માનવું કે કોઈકને જામ થયેલું બારણું ખોલવા કે બંધ કરવામાં સફળતા મળી છે. જો કે, બુદ્ધિનું બારણું કદી જામ થતું નથી. કેમ કે તે ખૂલતું નથી અને બંધ પણ થતું નથી.

Thursday, November 29, 2012

આ નાકમાં તો શ્લેષ્મનો સ્તંભ છે, હમણાં ટપકશે; એને ખંખેરવા બેસું તો વરસોનાં વરસ લાગે.



આઝાદી મળી એ અગાઉ આપણો દેશ ગુલામ હતો, જેનું સંચાલન અંગ્રેજો દ્વારા થતું હતું.કારણે તમામ બાબતોમાં અંગ્રેજીયત જણા આવતી હતી. જો કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે આપણા દેશને છ દાયકા કરતાંય વધુ સમય વીતી ગયો, છતાં હજીય ઘણા લોકોને એ બાબતનો ખ્યાલ નથી.  આની સીધી અસર આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગેના જ્ઞાન પર થઈ છે. આપણા અસલી અને ભવ્ય સાંસ્કૃતિક વારસાથી આપણે અજાણ જ રહી ગયા છીએ. આપણે ભલે રાજી થઈએ કે યોગ, અધ્યાત્મ, આયુર્વેદ વગેરે જેવી ભારતીય ચીજોનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, પણ ખરું પૂછો તો તેના માર્કેટીંગમાં ક્યાંય ભારતીય તરીકાઓ જોવા મળતા નથી. આવા સંજોગોમાં જરૂર છે આપણા ખરેખરા સાંસ્કૃતિક વારસાને ઓળખવાની, તેનો અભ્યાસ કરવાની અને તેને દુનિયા સમક્ષ રજૂ કરવાની.
અરે દીવાનોં! મુઝે પહચાનોં! 
સૌ જાણે છે એમ દુનિયામાં અન્યત્ર શોધાયેલી અને શોધાવાની બાકી છે એવી તમામ ચીજો હજારો વરસો અગાઉ ભારતમાં શોધા છે, એટલું જ નહીં, બલ્કે વપરાઇને ફેંકા ચૂકી છે. પણ અમુક બાબતો એવી છે, જે વરસોથી અમલમાં હોય, લોકો તેનાથી પરિચીત હોય અને છતાં સાંસ્કૃતિક વારસા તરીકે તેની ઓળખ થવાની બાકી હોય. કવિ ઈકબાલે જે તે સમયે લખેલું, ક્યા બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’. આ વાક્યને અંતે પ્રશ્નાર્થચિહ્ન છે કે આશ્ચર્યચિહ્ન, એ તો કવિને જ પૂછવું પડે. અને કવિ વરસો અગાઉ ખુદાને પ્યારા થઈ ગયા છે. એટલે હાલ આપણે એ વાત પર પૂર્ણવિરામ મૂકીએ. યૂનાનો-મિસ્ર-રોમાં જેવી મહાન સંસ્કૃતિઓનો અસ્ત થઈ જાય અને આપણી હસ્તી કોઈ મિટાવી ન શકે એવી તો શી બાબત છે આપણી સંસ્કૃતિમાં? બીજી અનેક બાબતો પર ઈતિહાસકારો કે સમાજશાસ્ત્રીઓ યા કોલમીસ્ટ મિત્રો વખતોવખત પ્રકાશ પાડતા રહ્યા છે, છતાં એક બાબત તેમના સૌના ધ્યાનબહાર રહી ગઈ છે. આપણી  સંસ્કૃતિને સાચા અર્થમાં રજૂ  કરતી એ બાબત એટલે છીંકવાની ક્રિયાની આપણા સમાજમાં સ્વીકૃતિ, તેનું મહત્વનું સ્થાન અને તેની શાન.
ટલું વાંચીને ઘણા નાકનું ટીચકું ચડાવશે. (અને કદાચ છીંકવાની તૈયારી કરશે.) ઘણા એને વાંચ્યા વિના પણ ટીચકું ચડાવશે. કો એમ કહેશે કે માત્ર છીંકવું જ શા માટે, થૂંકવું પણ આવી જ સાંસ્કૃતિક બાબત છે. વાત સાચી, પણ એટલું સ્વીકારવું રહ્યું કે થૂંકવા અંગે જેટલું સંશોધન થયું છે,ના સોમા ભાગનુંય સંશોધન છીંકવા અંગે થયું નથી. (થૂંક વિષે વિષદ્‍ છણાવટ સાથેનો સંશોધન લેખ વાંચવા અહીં ક્લીક કરો. http://birenkothari.blogspot.in/2011/11/blog-post_25.html) એ વાત જુદી છે કે સંશોધન જગતમાં આ સંશોધનની જોઈએ એવી નોંધ લેવામાં આવી નથી. કદાચ વિવેચકોએ એને થૂંકવામાં કાઢી નાંખ્યો હોય એ શક્યતા પણ ખરી. એમ તો આ લેખને પણ તેઓ ખંખેરી નાંખે એવી સંભાવના નકારી કઢાય એમ નથી. પણ એવો વિચાર કરીએ તો સંશોધન થઈ જ ન શકે. છીંકવા અંગે ખાસ સંશોધન નથી થયું એનું કારણ સ્પષ્ટ છે. અમુક અભ્યાસુઓ થૂંકવાની ક્રિયાને ટેસ્ટ મેચ સાથે સરખાવે છે, જ્યારે છીંકવાને વન-ડે ક્રિકેટ મેચ સાથે. જૂના જમાનાના અમુક લોકો હજીય વન-ડે મેચને ક્રિકેટના સાચા સ્વરૂપ તરીકે સ્વીકારી શકતા નથી. અને છતાંય તેના પ્રભાવને અવગણી શકાતો નથી. એવું જ છીંકવાની ક્રિયાનું છે.
વાસ્તવમાં છીંકવું એ ક્રિયા નહીં, પણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના હકનો દેશના બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. છતાં દેશનો કોઈ પણ નાગરિક, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે છીંકી શકે છે. તેના માટે કોઈ વયમર્યાદા નથી કે નથી અન્ય કશી સામગ્રીની આવશ્યકતા. આ પ્રક્રિયામાં એક જ ચીજની આવશ્યકતા છે અને એ છે નાકની. બસ, જે તે વ્યક્તિ પાસે નાક પોતાનું હોવું જોઈએ. અહીં નાક હોવુંનો સામાજિક નહીં, પણ શારિરીક અર્થ ધ્યાનમાં લેવાનો છે. સામાજિક અર્થ ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે કપાયેલા નાકવાળી વ્યક્તિ પણ છીંકવાનો વૈભવ ભોગવી શકે છે. છીંકવાનો વૈભવ હોઈ શકે? આવો સવાલ કોઈને થાય એ અગાઉ જ એનો ખુલાસો આપી દેવો જરૂરી છે. કીચડ જેવી ચીજમાં કાકાસાહેબ જેવા સમર્થ નિબંધકારને સૌંદર્યબોધ થતો હોય તો છીંકવાની ક્રિયામા વૈભવ કેમ ન હોઈ શકે? બલ્કે આવી તુચ્છ મનાતી ચીજોમાં ઉચ્ચ ચીજનાં દર્શન કરવાથી જ સમર્થ નિબંધકાર બની શકાય છે. લાંબા સમય સુધી નિબંધો લખતા રહેવાથી આપમેળે (બાય ડિફોલ્ટ) જ ચિંતકનો દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે. બસ, એક વાર ચિંતક બની ગયા પછી વિષયો માટે ફાંફા મારવા જવાની જરાય ચિંતા નહીં! એરિસ્ટોટલથી લઈને એન્‍કાઉન્‍ટર સુધીના, ઝેબ્રાથી લઈને ઝાકળ સુધીના કોઈ પણ વિષયને ગમે તે લેખમાં સ્વચ્છંદપણે ઢસડી લવાય તો પણ કોઈ પૂછનાર નહીં. એક કલમજીવી માટે આ કેવડો મોટો વૈભવ કહેવાય એ બિચારા વાચકો શું જાણે!
હવે ચિંતકસહજ ડેમો આપવાનું છોડીને મૂળ વાત પર આવીએ. આપણે વાત છીંકવાની કરતા હતા. વરસાદ આવતાં પહેલાં વાદળનો ગડગડાટ થાય, સૂતળી બોમ્બ ફૂટતાં પહેલાં તેની દીવેટની સરસરાટી થાય એ જ રીતે છીંક આવતાં અગાઉ નાકમાં સળવળાટ પેદા થાય છે. સળવળાટ કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે. જેવી જેની શ્રદ્ધા!
છીંક આયે યા ન આયે, લાની ચાહિયે 
ઘણા લોકો સ્વનિર્ભર પ્રકૃતિના હોય છે. કદાચ નાસ્તિક કે અશ્રદ્ધાળુ પણ હોય તો નવાઈ નહીં. આવા લોકો સળવળાટ પેદા થાય એના માટે ઈશ્વર યા કોઈ ગેબી શક્તિમાં શ્રદ્ધા નથી રાખતા. તેઓ પ્રારબ્ધવાદી નહીં, પણ પુરુષાર્થવાદી હોય છે. તેઓ હાથરૂમાલના એક ખૂણાને વળ ચડાવીને તૈયાર કરે છે. એ રીતે તેના છેડાને અણિદાર બનાવે છે. જાણે કે રણમોરચે જતો યોદ્ધો શસ્ત્રો ન સજાવતો હોય! રૂમાલના આ અણિદાર છેડાને તેઓ હળવેકથી પોતાના નસકોરામાં પ્રવેશ કરાવે છે. અલબત્ત, ભારતમાં આજકાલ આરોગ્ય બાબતે પ્રશંસનીય જાગૃતિ આવી રહી છે. આરોગ્યની વાત આવે તો લોકો વધુ પૈસા ખરચતા પણ અચકાતા નથી. અરે, ઘણા લોકો તો એ હદે જાગૃત થઈ ગયા છે કે તેમને લાગવા માંડ્યું છે કે કોઈ પણ ચીજ પાછળ વધુ પૈસા ખરચીએ એટલે આપમેળે આરોગ્ય બાબતે જાગૃતિ આવી જાય છે. આવા સ્વચ્છતા અને આરોગ્યપ્રેમી લોકો જાણે છે કે પોતાના હાથરૂમાલમાં કેટકેટલા બેક્ટેરિયા અને વાઈરસ મોજૂદ હોય છે. આથી તેઓ હાથરૂમાલની અવેજીમાં અન્ય વિકલ્પ તરીકે પાતળી સળી કે બોલપેનના ઢાંકણાની પાતળી અણીની સહાય લેતાં પણ ખચકાતા નથી. નાકમાં સળવળાટ પેદા કરવાના કામને ફેસબુક પર નિયમીતપણે સ્ટેટસ અપડેટ કરતા લોકો સાથે સરખાવી શકાય. કોઈ લાઈક મળે કે ન મળે, નિયમીત સ્ટેટસ અપડેટ કરતા જ રહેવું પડે, એમ છીંક આવે કે ન આવે, સળવળાટ પેદા થાય એ જરૂરી છે.
એક વાર સળવળાટ પેદા થઈ જાય ત્યાર પછીનો તબક્કો છે છીંકવાના ક્ષેત્રનો તાગ લેવાનો. સળવળાટ પરથી જે તે વ્યક્તિને ખાતરી થઈ જાય કે હવે છીંકનું અવતરણ થવાની તૈયારી છે. એ ક્ષણે તે વ્યક્તિ પોતાની આંખો વડે આજુબાજુના વિસ્તારનો તાગ લે છે. કોઈ બોલરનો બોલ નંખાતા અગાઉ બેટ્સમેન મેદાન પર ચોફેર નજર ફેરવીને તેને કયા વિસ્તારમાં ફટકારવો એ જુએ છે એ જ રીતે છીંકનાર વ્યક્તિ પણ પોતાની છીંકના છાંટા કેટલા વિસ્તારને આવરી લેશે એ વિચારે છે.
ત્યાર પછી આવે છે સૌથી કટોકટીભર્યો તબક્કો. ઘણા લોકો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ ચેતન ચૌહાણ જેવા હોય છે. નેવું રન વટાવી ગયા પછી અનેક વખત નર્વસ નાઈન્ટીનો ભોગ બનીને ચેતન ચૌહાણ આઉટ થઈ જતા અને સદી ચૂકી જતા, એમ આ તબક્કે પહોંચ્યા પછી ઘણા લોકો છીંક ચૂકી જાય છે. પોતાની નર્વસનેસ છુપાવવા આવા લોકો તરત જ હાથરૂમાલને નાક આડે દબાવી દે છે. પોતે સમાજમાં મોં દેખાડવા લાયક નથી રહ્યા, એવી મૂળ ભાવનાનું આ પ્રતિક હશે. આ ચેષ્ટા દર્શાવે છે કે છીંકવું પણ આપણા સમાજમાં ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલું હશે, જેનું હવે સંસ્કૃતિ કે ધર્મને લગતી બીજી દરેક બાબતોની જેમ કેવળ પ્રતિકાત્મક અમે ક્રિયાત્મક મહત્વ રહી ગયું છે.
આથી વિરુદ્ધ ઘણા વીરલાઓનો દેખાવ ડોન બ્રેડમેન જેવો હોય છે. (આજકાલ સચીન તેંડુલકરનું ઉદાહરણ આપવામાં જોખમ છે.) આવા વીરલાઓ નેવું રન વટાવ્યા પછીય તદ્દન સ્વસ્થતાપૂર્વક રમે અને સદી પૂરી કરે, એમ ઘણા લોકો છીંક સુધી પહોંચવાના પ્રાથમિક તબક્કાઓ વટાવ્યા પછી છીંક ખાવાની ક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરે છે.
છીંક ખાઈ, કોઈ ચોરી નહીં કી,
છુપછુપ નાક લૂછના ક્યા 
તેઓ પોતાની ગરદનને સહેજ પાછળ ઝૂકાવે છે, આંખો સહેજ મીંચે છે, મોં પહોળું કરે છે અને જોરથી છીંક ખાય છે. આ ક્રિયા દરમ્યાન ક્યારેક મોંમાંથી મોટો અવાજ નીકળે છે, જેને નીકળતો રોકવા અમુક લોકો પોતાના નાક પર રૂમાલ દબાવી દે છે. આવી ચેષ્ટાના બે ફાયદા છે. પોતે આવી અસભ્ય ગણાતી ચેષ્ટા રોકવાની બનતી કોશિશ કરી એમ દેખાય છે, સાથેસાથે છીંકવાથી થતો અવાજ સાંભળવાનો આનંદ પણ ઉઠાવી શકાય છે. અલબત્ત, છીંકવાથી પોતાના નાસિકાપ્રવાહીનો છંટકાવ સામેવાળા પર થવાની ભીતિ પણ રહે છે. છતાં સામાવાળાને અળખામણા થવાનું જોખમ લઈને ય તેઓ આ કાર્ય કરે છે. આમાં તેમનો બળવાખોર મિજાજ પ્રગટ થાય છે.
જો કે, શાસ્ત્રીય પદ્ધતિ અને પરંપરાના આગ્રહીઓ તો નાક આગળ કશી આડશ રાખવામાં માનતા જ નથી. અને તેઓ ખુલ્લી હવામાં જ છીંકાટે છે. એ રીતે હવામાંથી શ્વસેલા કણોને તેઓ પાછા હવાને હવાલે કરી દે છે. આ ક્રિયામાં તેરા તુઝકો અર્પણની ઉદાત્ત ભાવના સમાયેલી જોવા મળે છે.
ઘણા લોકો ચાળીસીમાં પ્રવેશતા પિતાઓ જેવા હોય છે. પ્રાચીનતા તેમને ગમતી ન હોય તો પણ તેને તેઓ ત્યાગી શકતા નથી અને આધુનિકતા પસંદ હોય તો પણ તેને ખુલ્લેઆમ અપનાવી શકતા નથી. આવા લોકો છીંક આવી જાય ત્યાર પછી જ નાક આગળ હથેળી લઈ આવે છે. આને કારણે સામે રહેલી વ્યક્તિ પર છાંટા ઉડે તેને એમ લાગે છે કે આ ભાઈ કે બહેનને છીંક વહેલી આવી ગઈ હશે. સામે પક્ષે છીંક ખાનારને એટલો આત્મસંતોષ રહે છે કે આપણે આપણી અસલ પરંપરાને ત્યાગી નથી, તેમ સામેવાળા પર આપણી સભ્યતાની છાપ પણ છોડી શક્યા છીએ.

આપણી અન્ય ઘણી બાબતોને આધુનિકતાનું ગ્રહણ લાગ્યું છે, અને આધુનિક દેખાવાની લ્હાયમાં લોકો પોતાની અસલિયત વીસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમ આ ક્રિયા સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે પણ થયું છે. આવા લોકો છીંક ખાતી વેળાએ સૌથી પહેલાં તો સામેવાળા તરફથી પોતાનું મોં ફેરવી લે છે. જાણે કે પોતે મોં દેખાડવાને લાયક ન રહ્યા હોય એમ! ત્યાર પછી નાક આગળ હથેળી આડી ધરીને કોઈ ગેરકાનૂની કૃત્ય જાહેરમાં કરવું પડતું હોય એવા ક્ષોભ અને સંકોચ સાથે સાવ આસ્તે રહીને છીંક ખાય છે. એમ બને કે આમાંના ઘણા લોકો કદાચ ગેરકાનૂની કૃત્યો છીંક ખાવા જેટલી સહજતાથી કરતા હોય.
પુરાવાનો નાશ કરવાની શરમજનક કવાયત   
અગાઉ કહ્યું એમ આ ક્રિયા નહીં, પણ આખી પ્રક્રિયા છે. એટલે છીંક આવી જવાની સાથે વાત સમાપ્ત થઈ જતી નથી. થ્રીલર ફિલ્મોમાં દેખાડાય છે એમ ગુનાહિત કૃત્ય કર્યા પછી પુરાવાનો નાશ કરતા ખૂનીની જેમ છીંક આવી ગયા પછી વ્યક્તિ હાથરૂમાલ લઈને પોતાના નાકને એ રીતે લૂછે છે, જાણે કે છીંકના પુરાવાઓનો નાશ કરી રહ્યો હોય.
આ ક્રિયાના પણ અનેક પ્રકાર છે. (પરંપરા કોને કહી!)
ઘણા લોકો અંગૂઠા અને પ્રથમ આંગળી વડે નાકને દબાવે છે અને ટ્યૂબમાંથી છેલ્લે દબાવી દબાવીને પેસ્ટ કાઢતા હોય એમ નાકમાં રહેલા પ્રવાહીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ રીતે જેટલું પ્રવાહી બહાર આવે તેને પોતે જ્યાં બેઠા હોય એ બેઠકની નીચેના ભાગમાં લૂછી લે છે. અમુક જણા વાયુદેવતાને અર્ઘ્ય આપતા હોય એમ તેનો ખુલ્લી હવામાં છંટકાવ કરે છે. કેટલાક સ્વમાની અને સ્વાવલંબી લોકો આવી કોઇ બાહ્ય બાબત પર આધાર રાખવાને બદલે આ પ્રવાહીને પોતાના માથાના વાળ પર લૂછીને સંતોષ અને આત્મગૌરવની લાગણી મહેસૂસ કરે છે. આવા લોકોના ચહેરા પર દૈવી તેજ ફેલાય કે ન ફેલાય પણ તેમના નાક પર દૈવી લાલાશ અવશ્ય પ્રસરે છે.
ધ્વનિનું ત્રીજું પરિમાણ 
પ્રયોગના શોખીન એવા ઘણા ઉત્સાહીઓ આ પ્રક્રિયામાં સાઉન્ડનું ત્રીજું પરિમાણ ઉમેરે છે. આને કારણે આખું વાતાવરણ રણમેદાન જેવું લાઈવ બની રહે છે. કેમ કે, આવા અવાજો સામેવાળાને ઘોડા, ઉંટ કે અન્ય પ્રાણીઓની હણહણાટીની યાદ અપાવે છે.
છીંકવાની આખીય પ્રક્રિયામાં ચોંકાવનારું વૈજ્ઞાનિક સત્ય એ છે કે છીંકવાને શરદી સાથે કશી લેવાદેવા નથી. મતલબ કે શરદી થાય એટલે છીંક આવતી હશે, પણ છીંક આવે એ માટે શરદી થઈ હોવી જરૂરી નથી.
આપણા અન્ય સાંસ્કૃતિક વારસાની જેમ આ સાંસ્કૃતિક વારસાની જાળવણી બાબતે પણ આપણા લોકો જરાય સભાન નથી. એનું મૂળ કારણ એ જ છે કે આ બાબત સાંસ્કૃતિક વારસા તરીકે હજી સુધી કોઈના ધ્યાન પર આવી જ નથી. એક શક્યતા એ પણ છે કે આ બાબતને સાંસ્કૃતિક વારસા તરીકે ઘોષિત કરવામાં આવે તો તેનું મૂલ્ય અને મહત્વ અચાનક વધી જાય. દેશવિદેશમાં તેનો પ્રચારપ્રસાર એ હદે થવા લાગે કે લાંબેગાળે આપણા દેશના લોકોનો તેની પરનો એકાધિકાર ગુમાવી બેસે. અને એ ચીજ દુર્લભ બની જાય. આવી ભીતિને કારણે પણ આમ થયું હોય એ બનવાજોગ છે.
"એક્સક્યુઝ મી, સોરી! હા...ક  છીં!" 
દુ:ખ એ વાતનું છે કે વિદેશમાં રહીને પોતાની ભારતીયતા માટે ગૌરવ અનુભવતા લોકો પણ છીંક ખાધા પહેલાં કે પછી સામેવાળાને સોરી કહેતા થઈ ગયા છે. પરદેશમાં રહેવાનો એ કદાચ તકાદો હશે, તેથી એમની સામે બહુ વાંધો ન લઈ શકાય. પણ ખરી તકલીફ એ છે કે એમનું જોઈને ભારતમાં રહેતા આપણા લોકો પણ હવે વિદેશી દેખાવાની લ્હાયમાં છીંક ખાધા પહેલાં કે પછી એક્સક્યુઝ મી કે સોરી જેવા શબ્દપ્રયોગો કરવા લાગ્યા છે. કેમ જાણે છીંક માટેના પરવાનાની અરજી ન કરતા હોય! આશ્વાસન હોય તો એક જ વાતનું છે. એક્સ્ક્યુઝ મી કે સોરી બોલ્યા પછી પણ તેઓ છીંક ખાય છે જ. કવિ ઈકબાલની પેલી પંક્તિઓનો જવાબ કદાચ અહીંથી મળી રહે છે. તેથી જ લાગે છે કે યૂનાનો-મિસ્ર-રોમાંની સંસ્કૃતિ ભલે ગઈ. હજી બીજી કેટલીય સંસ્કૃતિઓ આવશે ને જશે, પણ છીંકવાની આપણી સંસ્કૃતિ સદીઓ સુધી ટકી રહેશે, અને વિશ્વભરમાં આપણી સંસ્કૃતિનો ધ્વજ લહેરાવતી રહેશે. 

(શીર્ષક પંક્તિ: સ્વ. મનોજ ખંડેરીયાની ક્ષમાયાચના સાથે 
મૂળ શે'ર: આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં ઓગળશે, 
એને ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.) 

(નોંધ: તમામ તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)