Showing posts with label સાગર મુવીટોન. Show all posts
Showing posts with label સાગર મુવીટોન. Show all posts

Sunday, March 23, 2025

તુમ્હીંને મુઝ કો પ્રેમ સિખાયા...

સૌ પ્રથમ હિન્દી બોલપટ 'આલમઆરા'ની રજૂઆત 14 માર્ચ, 1931ના રોજ થયેલી. આ દિનવિશેષની સ્મૃતિમાં ગયે વર્ષે અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે હિન્દી સિનેમાના ટાઈટલ મ્યુઝિક પર આધારિત કાર્યક્રમ 'નમ્બરિયા'નું આયોજન કરાયેલું. એ પછી આ કાર્યક્રમનો બીજો ભાગ પણ યોજાયો, અને હજી ત્રીજો આયોજન હેઠળ છે. આ વર્ષે આ દિનવિશેષે અમે 'સાગર મુવીટોન' વિશે કાર્યક્રમ વિચાર્યો. જો કે, એ જ દિવસે ધુળેટી હોવાથી એની રજૂઆત પછીના સપ્તાહ પર ઠેલી, અને એ મુજબ 22 માર્ચ, 2025ની સાંજે સાડા સાત વાગ્યે 'SAGAR MOVIETON: Foremost, yet forgotten chapter of Indian Cinema' યોજાઈ ગયો.

'સાગર મુવીટોન' વિશે મારું પુસ્તક 2014માં પ્રકાશિત થયું હતું. એ પુસ્તકના આલેખનની સફર રોમાંચક રહી હતી, પણ અહીં મારે એ પુસ્તક વિશે ઓછી, અને આ ફિલ્મનિર્માણ કંપની વિશે વધુ વાત કરવાની હતી.

કાર્યક્રમ દરમિયાન

આમ તો 1929થી 1948 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત રહેલી આ કંપની, પણ તેનું માતબર પ્રદાન એવું અને એટલું હતું કે બે પૂંઠા વચ્ચે એ આવ્યું ત્યારે જ એનો ખ્યાલ આવી શક્યો. સિનેમાના આરંભિક કાળની આ કંપની હોવાથી એ સમયગાળો અનેક રીતે મહત્ત્વનો હતો. 'ફિલ્મ ઉદ્યોગની નર્સરી' કહેવાતી આ સંસ્થામાં અનેક કલાકારો તૈયાર થતા, અને નીકળતા. એક સવા કલાકની ગાગરમાં આ 'સાગર'ને શી રીતે સમાવવું એની મીઠી મૂંઝવણ પણ ખરી.

'અલીબાબા'ના અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલા
ગીતનું શ્રવણ અને એની શૈલીનું વિશ્લેષણ

સામે બેઠેલા દર્શકવર્ગમાં જૂની ફિલ્મોના જાણકાર અનેક વડીલમિત્રો હતા, તો અનેક યુવાઓ પણ ઊપસ્થિત રહેલા એ જોઈને વધુ આનંદ થયો. તેઓ છેક સુધી બેઠા, એટલું જ નહીં કાર્યક્રમ પછીની પ્રશ્નોત્તરીમાં સક્રિયપણે ભાગ લીધો.
'સાગર'ની તેમજ એ સમયગાળાની બીજી અનેક વાતો આવી પ્રશ્નોત્તરીમાં બહાર આવતી રહે એની એક જુદી જ મજા હોય છે.

પુસ્તકના પ્રેરક એવાં ચીમનલાલ દેસાઈના પૌત્ર સુકેતુ દેસાઈ અને
પૌત્રવધૂ દક્ષા દેસાઈનું સ્મરણ (બન્ને હવે દિવંગત છે)

આ કંપનીની એક પણ ફિલ્મની ક્લીપ ઉપલબ્ધ ન હોવાથી તેની બુકલેટોના દર્શનથી સંતોષ માનવો પડ્યો, સાથોસાથ તેનાં કેટલાંક યાદગાર ગીતોનું શ્રવણ અને તેના વિશે વાત થઈ. 'ઔરત' (નેશનલ સ્ટુડિયો' નિર્મિત) અને 'મધર ઈન્ડિયા' તેમજ એના અંત વિશે છણાવટ થઈ.
સ્ક્રેપયાર્ડનું વાતાવરણ અને અહીં આવતા સજ્જ દર્શકવર્ગને લઈને મનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સ્ફૂરી રહ્યા છે. 'નમ્બરિયા', 'હોમાય વ્યારાવાલા' પછી આ એવો જ એક કાર્યક્રમ હતો. હજી બીજા અનેક મનમાં છે.

(ડાબેથી) દક્ષાબહેનના ભાઈ અશોકભાઈ પટેલ, કામિની કોઠારી,
બીરેન, પન્નાબહેન પટેલ અને દક્ષાબહેન સાથે મને જોડી આપનાર
સંગીતપ્રેમી સ્નેહીમિત્ર ચંદ્રશેખર વૈદ્ય

આવતા સપ્તાહે, 29મી માર્ચથી 'કહત કાર્ટૂન'ની બીજી સીઝન પણ ચાલુ થઈ રહી છે.
સરવાળે એક મસ્તમજાના કાર્યક્રમની સ્મૃતિને મમળાવતાં અમે વિદાય લીધી.
(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ અને સુહાસ ઠક્કર)

Monday, April 8, 2024

'સાગર'ની છેલ્લી બુંદ પણ વિલીન

આજે વડીલમિત્ર ચંદ્રશેખર વૈદ્ય તરફથી સમાચાર મળ્યા કે અમર દેસાઈનું અવસાન થયું. અમર દેસાઈ એટલે 'સાગર મુવીટોન'ના માલિક ચીમનલાલ દેસાઈના પૌત્ર અને ચીમનલાલના દીકરા સુરેન્દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલભાઈના પુત્ર. આમ છતાં, અમર દેસાઈને 'સાગર' સાથે સીધેસીધી નહીં, પરોક્ષ લેવાદેવા હતી. 'સાગર મુવીટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું એ પછી થોડા જ સમયમાં ચીમનલાલ તેનાથી અલગ થઈ ગયા. તેમણે પોતાની આગવી ફિલ્મકંપનીનો આરંભ કર્યો અને તેનું નામ પોતાના પૌત્ર અમરના નામે 'અમર પિક્ચર્સ' રાખ્યું. મારા 'સાગર મુવીટોન' પુસ્તકમાં આ આખું પ્રકરણ 'અંત પહેલાંનો વધુ એક આરંભ'ના નામે વિગતે આલેખાયું છે. 'અમર પિક્ચર્સ' દ્વારા 1942થી 1946ના અરસામાં બધું મળીને છ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાં નામ આ મુજબ છે: આંખમિચૌલી (1942), ખિલૌના (1942), આદાબ અર્ઝ (1943), પૈગામ (1943), રત્નાવલી (1945) અને ગ્વાલન (1946). 'ખિલૌના'ની કથા વજુ કોટકે લખી હતી, જેમણે પછી એ જ વાર્તા પરથી 'રમકડાં વહુ' નામે નવલકથા લખી. 'રત્નાવલી' એક 'પિરીયડ ફિલ્મ' હતી, જેને 'ફિલ્મ ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે 'સમય અને નાણાંનો બગાડ' ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુરાવ પટેલ ચીમનલાલના ખાસ મિત્ર હતા અને 'અમર પિક્ચર્સ'ની 'ગ્વાલન'નું દિગ્દર્શન તેમણે કરેલું. એ ફિલ્મમાં બાબુરાવનાં પત્ની સુશીલારાણી પટેલની મુખ્ય ભૂમિકા હતી. અમરભાઈના મોટાભાઈ સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર વૈદ્ય સાથે અમે સુશીલારાણી પટેલને મળવા તેમના 'ગિરનાર' બંગલે ગયાં ત્યારે તેઓ રીતસર આજીજીપૂર્વક 'ગ્વાલન'ની એકાદી રીલ સુદ્ધાં મળી જાય તો અમને વ્યવસ્થા કરવા કહેતાં હતાં.

અમર દેસાઈને ન ફિલ્મ બનાવવામાં રસ હતો કે ન પોતાના દાદાની ફિલ્મકંપની વિશેનું પુસ્તક લખાય એમાં. પુસ્તકના આલેખન દરમિયાન એક વખત અમે મુમ્બઈ ગયેલાં. સુકેતુ દેસાઈ અમર દેસાઈને ત્યાં ઊતરેલા. સાંજે એક વાર સુકેતુભાઈ મને પોતાના ઉતારે લઈ ગયા. અમર દેસાઈ ઘેર જ હતા. સુકેતુભાઈએ મારો પરિચય આપીને તેમને જરૂરી વિગત પૂરી પાડવા કહ્યું. હું હજી પહેલો જ સવાલ પૂછું કે અમર દેસાઈએ કહ્યું, 'આ સવાલને પુસ્તક સાથે શો સંબંધ?' મેં કહ્યું, 'તમને પુસ્તકની રૂપરેખાની ખબર નથી એટલે આમ કહો છો.' બસ, એ પછી અમારી વાતચીત આગળ વધી ન શકી અને તેમણે જરાય અફસોસ વિના કહી દીધું:'મને એ બાબતે વાત કરવામાં રસ નથી કે પુસ્તકમાંય રસ નથી.' પુસ્તક એ વખતે એ તબક્કે આવી ગયું હતું કે અમર દેસાઈ વાત ન કરે તોય કશો ફેર પડવાનો નહોતો. આથી મેં પણ તેમનો આભાર માનીને વાત પૂરી કરી.
એ પછી થોડા સમયમાં પુસ્તકનું વિમોચન ખાર જીમખાના ખાતે યોજાયું, જેમાં મુખ્ય મહેમાન આમીર ખાન હતા. આમીર દેસાઈ પરિવારના જૂના પાડોશી હોવાને નાતે આવવાના હતા. આ કાર્યક્રમમાં અમર દેસાઈ પણ આવેલા. આમીર ખાને પોતાના વક્તવ્યમાં દેસાઈ પરિવાર સાથેના દિવસો યાદ કરતાં કહ્યું, 'સુકેતુ અંકલ કે એક બડે ભાઈ થે- બડી બડી મૂછોંવાલે. ઉનકો દેખ કે હમેં બહોત ડર લગતા થા. વો હમ કો ધમકાતે થે.' આમ કહીને તેમણે આસપાસ નજર કરી, એટલે અમર દેસાઈ પોતાની બેઠક પરથી ઊભા થયા. એમનો દેખાવ એવો જ રહેલો. ફક્ત મૂછોનો રંગ સફેદ થયેલો.


કાર્યક્રમ પત્યો. હજી અમે સૌ જાણે કે માની શકતા નહોતા કે આ બધું વાસ્તવિક છે કે સ્વપ્ન! ધીમે ધીમે સૌ વિખરાયા. અમર દેસાઈ પુસ્તકના કાઉન્ટર પર પહોંચ્યા અને એક પુસ્તક લઈને ચાલવા લાગ્યા. કાઉન્ટર પર બેઠેલા (કાર્તિકભાઈના ભાઈ)અમીતભાઈ તેમને ઓળખતા નહોતા. એટલે તેમણે 'ઓ ભાઈ!' કહીને બૂમ પાડીને એમને પુસ્તક પાછું મૂકવા જણાવ્યું. ખેર! એ પછીની વાતમાં ખાસ કશું નથી, પણ આ પુસ્તકમાં મેં 'સાગર પરિવાર' નામનું અલાયદું પ્રકરણ લખ્યું છે. એમાં તમામ પરિવારજનો તો ઠીક, દેસાઈ પરિવારને ત્યાં બે પેઢીથી કામ કરનાર 'બાઈ' સુમન વાતારે, તેમના પારિવારિક મિત્ર રમેશ માવાણી અને (સ્વ.) ટોની ફર્નાન્ડિસ સુદ્ધાં વિશે અલગથી લખ્યું છે, પણ અમર દેસાઈ વિશે ગણીને દસ લીટી છે. એમાંની અડધી તો એમનાં પત્ની, પુત્ર અને પૌત્ર વિશે છે. કારણ? પુસ્તક બાબતે તેઓ એટલા ઉદાસીન હતા કે પોતાની વિગતો પૂરી પાડવાનું પણ તેમણે ટાળેલું.
તેમનાં પત્ની આમતાએ 2003માં જ વિદાય લીધેલી. તેના બે દાયકા પછી અમર દેસાઈ પણ ગયા. 'સાગર મુવીટોન' સાથેનો આછોપાતળો અને છેલ્લો તંતુ પણ એ રીતે તૂટ્યો. હવે તો આખી ગાથા પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે જ રહી છે, જે માત્ર પરિવારની ન બની રહેતાં સૌ કોઈ સિનેમાપ્રેમીઓની, ઈતિહાસપ્રેમીઓની બની રહી છે.

Sunday, August 13, 2023

'સાગર' સાથેની સવાર

 પુસ્તકાલયો સાથે લોકોનું જોડાણ ઘટી રહ્યું હોવાની ફરિયાદ લગભગ સાર્વત્રિક છે. નવસારીના સયાજીવૈભવ પુસ્તકાલય અને તેમાં થતી પ્રવૃત્તિઓ વિશે જે સાંભળ્યું છે, એ આ હકીકતને ખોટી ઠેરવે છે. અલબત્ત, નડિયાદના 'અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય'માં પ્રવૃત્તિઓનો ધમધમાટ મેં નજરે જોયો છે, અને છેલ્લા થોડા સમયથી તેની સાથે અમુક રીતે સંકળાયો પણ છું. અહીં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે એ જોઈને હૈયું ઠરે એવું છે. પ્રો.હસિત મહેતા, પ્રો.આશિષ શાહ, નીરજભાઈ યાજ્ઞિક, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા કુશળ માર્ગદર્શકો આ સમગ્ર પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.

દર મહિનાના પ્રથમ રવિવારે 'ગ્રંથનો પંથ' કાર્યક્રમમાં એક નિમંત્રીત વક્તા આવીને કોઈ પુસ્તક વિશે વાત કરે છે અને એ પછી સવાલજવાબ ચાલે છે. આમ, વરસના બાર વક્તાઓ બાર પુસ્તક વિશે વાત કરે એવો ઉપક્રમ છે. આવા કુલ સો મણકાનું સમાપન થયું. એકસો એકમા મણકામાં 'સાગર મુવીટોન' પુસ્તક વિશે મારો વાર્તાલાપ આયોજિત થયો હતો.
આ પુસ્તક વિશે એક કલાકમાં વાત કરવી અઘરી છે. અગાઉ આ પુસ્તક વિશે જ્યાં પણ વાર્તાલાપ યોજાયો ત્યાં પડદા પર પ્રેઝન્ટેશન પણ હતું, જેને કારણે એ વધુ રસપ્રદ બની રહેતો. અહીં એ વિકલ્પ હતો, પણ હૉલની રચના જોતાં એ વિકલ્પ પડતો મૂકીને માત્ર વાર્તાલાપનો જ ઉપક્રમ વિચાર્યો. સામે વિવિધ વયજૂથના શ્રોતાઓ હતા. એ સૌની રુચિને અનુરૂપ વાત હોય એ શક્ય નહોતું, કેમ કે, ઘણાં જાણીતાં, પણ જૂનાં નામ સાથે બધાનું અનુસંધાન ન પણ હોય. આ સંજોગોમાં માહિતી પણ મળે અને રસ પણ જળવાઈ રહે એ રીતે આખી વાત કહેવાની હતી. એ કેટલી હદે સફળ રહ્યું એ ખબર નથી, પણ મારો પ્રયત્ન એ દિશામાં હતો.
આ મણકાથી એક નવિન શરૂઆત એ થઈ કે 'ગુલદસ્તો' નામનો એક ઉપક્રમ આરંભાયો. આગલા માસના ચૂંટેલા સાહિત્યિક-સાંસ્કૃતિક સમાચારોનું કાર્યક્રમના આરંભે વિદ્યાર્થી દ્વારા જ પઠન થાય, જેની શરૂઆત ધ્રુવીથી થઈ. બીજો ઉપક્રમ પણ મજાનો હતો, જેમાં વક્તા પરિચયની ઔપચારિકતા પણ વિદ્યાર્થી જ નિભાવે. એ કામ કૃતિએ બહુ સારી રીતે કર્યું.
વક્તવ્ય પછી થતા સવાલ-જવાબ બહુ રસપ્રદ બની રહે છે. નડિયાદના શ્રોતાઓ કેળવાયેલા શ્રોતાઓ હોવાથી તેમના દ્વારા પૂછાતા સવાલ પણ એવા જ સ્તરના હોય, જેના જવાબ આપતાં વક્તાની કસોટી થઈ જાય.
આમ, રવિવારને 6 ઑગષ્ટની સવાર આનંદદાયક બની રહી.
અહીં થઈ રહેલી બીજી અનેક પ્રવૃત્તિઓ વિશે વખતોવખત જણાવતા રહીશું. કેમ કે, એ બધું એક વારમાં કહી શકાય એવું નથી, અને કહી દેવા જેવું પણ નથી.
'સાગર મુવીટોન' પુસ્તક પરનો મારો વાર્તાલાપ યુ ટ્યૂબ પર અહીં સાંભળી શકાશે. 'ગુલદસ્તો'થી લઈને છેલ્લે 'સવાલ-જવાબ' સુધીની લગભગ બે કલાકની ક્લીપ છે. અવાજ એકદમ સુસ્પષ્ટ નથી, પણ બોલવામાં આવે એ સાંભળી શકાય છે ખરું.

Monday, December 5, 2022

'સાગર મુવીટોન'ના એક પ્રકરણનું સમાપન

તેમની સીધેસીધી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે 'સાગર મુવીટોન'ના ચીમનલાલ દેસાઈના પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના નાના પુત્ર. સુકેતુ દેસાઈને જોઈને પહેલી છાપ એમ જ પડે કે તે ફિલ્મના અભિનય સાથે સંકળાયેલા રહ્યા હશે. અસાધારણ લંબાઈ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શાલીન રીતભાત. આ કારણે જ તેમની ઈચ્છા જે તે સમયે ફિલ્મક્ષેત્રે જવાની હતી. એકાદ બે નિર્માતાઓ સાથે વાત પણ ચાલેલી. યોગાનુયોગ એવો થયો કે જે નિર્માતા સાથે વાત સહેજ આગળ વધે કે એ નિર્માતાનું અવસાન થઈ જાય. એ સમયે પડદા પર ખલનાયકી કરતા પ્રાણસાહેબે સુકેતુ દેસાઈને નાયકની નહીં, પણ ખલનાયક તરીકેની કારકિર્દી માટે સૂચન કરેલું, જેથી એ કારકિર્દી લાંબી ચાલી શકે. જો કે, એ કશું ન બની શક્યું. આખરે બાંદરામાં પોતાનાંં બે થિયેટર સંભાળવામાં તે પરોવાયેલા. સુકેતુ દેસાઈએ એ સમયે પડાવેલી તસવીર બતાવીને મને કહેલું, 'The coming Kumar તરીકે મારા નામની પબ્લિસિટી કરવાની હતી.' મેં તત્ક્ષણ જવાબ વાળતાં કહ્યું, 'The coming Kumar who never came.' આવી મજાકને તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકારીને કહ્યું, 'ધેટ્સ ટ્રુ.'

સુકેતુ દેસાઈ: ધ કમિંગ કુમાર 

'સાગર મુવીટોન' પુસ્તકનું આલેખન નક્કી કર્યું એ પછી લગભગ એમ ગોઠવાતું કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર મારે અમદાવાદ જવાનું થતું. મિત્ર ચંદ્રશેખર વૈદ્ય પણ લગભગ હોય જ. સુકેતુ-દક્ષા દેસાઈ અને મારી વચ્ચે આ પુસ્તક બાબતે ગોરકર્મ કરાવવામાં તેઓ નિમિત્ત બનેલા. એ મુલાકાતો ઉપરાંત બે-ત્રણ વાર મુંબઈ, સુરત-ભરૂચ પણ અમે સાથે ગયેલા. મુંબઈ જઈએ એટલે કાયમી તકલીફ તેમના 'માપ'ની ટેક્સી શોધવાની રહેતી. બાંદરા સ્ટેશનના પ્રિપેઈડ ટેક્સીસ્ટેન્ડ પર અમે ટિકીટ લઈને ઊભા રહીએ, અને મોટા ભાગના બધા મુસાફરોને ટેક્સી મળી જાય એ પછી અમારો વારો આવતો, કેમ કે, સુકેતુભાઈની લંબાઈ એટલી કે સાદી ફિયાટમાં તે સમાઈ ન શકે. આથી મોટે ભાગે મારુતિ વાનની રાહ જોઈને ઊભા રહેવું પડે. મુંબઈના રોકાણ દરમિયાન તે મોટે ભાગે નેપિયન સી રોડ પર ઊતરતા, અને હું પેડર રોડ પર. આથી મોટે ભાગે એવો ક્રમ રહેતો કે તે પોતાને ત્યાંથી નીકળીને રસ્તામાંથી મને ફોન કરે અને હું પેડર રોડ પરથી તેમની સાથે જોડાઈ જાઉં.
સુકેતુ દેસાઈ અને દક્ષા દેસાઈ, પુત્રી ઋતુજા સાથે 
સુકેતુ દેસાઈની બોલવાની શૈલી એવી કે તેમને ઓળખતા ન હોય એને એમ લાગે કે તે સામાવાળાને ધમકાવે છે યા અપમાનિત કરે છે. એ એમના અવાજની લાક્ષણિકતા હતી એટલું જ.
'સાગર મુવીટોન'ના કામ વખતે અસંખ્ય વખત એવું બન્યું કે મારે તેમના દ્વારા રજૂ કરાતી હકીકતોને પડકારવાની આવી હોય. વરસોથી કુટુંબમાં ચાલી આવતી વાતોને મારા જેવો, તેમના પરિવાર માટે નવોસવો માણસ પડકારે એટલે સુકેતુ દેસાઈ પહેલાં તો વિરોધ કરે. પછી હું કહું, 'પુરાવો બતાવું તો તમે માનશો?' એટલે હસીને કહે, 'માનવું જ પડશે ને! છૂટકો છે?' અને ખરેખર, એ પછી નિખાલસતાથી એ સચ્ચાઈ સ્વીકારે. પુસ્તકના આલેખન વખતે પણ તેમણે કહેલું, 'તને જે સાચું લાગે એ જ લખજે.' આ સ્વીકાર બહુ અઘરો હોય છે.
'સાગર મુવીટોન' પુસ્તકના વિમોચન વખતે
જૂના પાડોશી આમીર ખાન સાથે
સંજોગોની થપાટ તેમના પરિવારે બહુ ખાવી પડેલી. 1991માં તેઓ સપરિવાર અમેરિકા જઈ વસ્યાં, અને અઢારેક વરસ પછી પાછા ભારત આવીને સ્થાયી થયા. એ પછી દક્ષાબહેને પુસ્તકનું કામ કરાવવાનો વિચાર કરેલો.
સ્વાસ્થ્યને લઈને તેમને અનેક સમસ્યાઓ રહેતી. પુસ્તકનું કામ પૂરું થયા પછી સંપર્ક ઓછો થાય એ સ્વાભાવિક છે, પણ તે વડોદરા આવે ત્યારે અચૂક ફોન કરતા. યા વચ્ચે કોઈ વાર મન થાય તો પણ ફોન કરતા. આ એપ્રિલમાં દક્ષાબેનનું અવસાન થયું એ પછી તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત છેલ્લી બની રહી.
સુકેતુભાઈ પથારીવશ રહેતા હતા. દક્ષાબેનની વિદાય પછી આઠેક મહિનામાં તેમણે પણ વિદાય લીધી. 4 ડિસેમ્બર, 2020ની સાંજે તેમણે શ્વાસ મૂક્યો હોવાના સમાચાર ચંદ્રશેખરભાઈ વૈદ્ય દ્વારા મળ્યા. તેઓ 80 વર્ષના હતા.

'સાગર મુવીટોન' અને 'સાગર' પરિવારના એક પ્રકરણનું આમ સમાપન થયું. અમેરિકાનિવાસ પછી તેઓ ભારતમાં ગમે એ કારણોસર સ્થાયી થવા આવ્યા હોય, 'સાગર મુવીટોન' પુસ્તકનું અવતરણ તેમનું અવતારકાર્ય બની રહ્યું. સિનેમા અને ઈતિહાસના પ્રેમીઓ તેમની આ ચેષ્ટા બદલ તેમના ઋણી રહેશે.

Thursday, April 28, 2022

'મને મળતી માહિતી જિગ-સૉ પઝલના છૂટા ટુકડાઓ જેવી હતી'

માધ્યમ ભલે મોટું કે નાનું હોય, પણ આપણા દિલની વાત જણાવવાનો અવકાશ મળે ત્યારે આનંદ જ આવતો હોય છે. 'સાગર મુવીટોન' અને તેના સ્થાપક ચીમનલાલ દેસાઈ વિષેની દીપાબહેન દેસાઈ સાથેની પ્રશ્નોત્તરી 'બ્રહ્મક્ષત્રિય મુખપત્ર'ના ડિસેમ્બર, 19 ના અંકમાં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તક વિષે કદાચ પહેલી વાર આવા સવાલજવાબ થયા છે. દીપાબહેનના આભાર સાથે રસ ધરાવતા મિત્રો માટે એ પૃષ્ઠ અહીં મૂક્યાં છે.




Monday, March 3, 2014

'સાગર'સંહિતા aka The Saga of the Sagar यानि दास्तान-ए-सागर (૩)


(અમેરિકાથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલાં દક્ષાબેન પુસ્તકના આલેખન માટે કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતાં. દરમ્યાન તેમની મુલાકાત આકસ્મિક રીતે તેમના સહાધ્યાયી ચંદ્રશેખર વૈદ્ય સાથે થઈ. લાયબ્રેરી સાથે સંકળાયેલા તેમજ જૂનાં ગીતોનાં શોખીન હોઈ ચંદ્રશેખર વૈદ્ય પોતાને આવી કોઈ વ્યક્તિ સૂચવી શકશે એમ દક્ષાબેનને લાગ્યું. ચંદ્રશેખરભાઈ દ્વારા મારી મુલાકાત સુકેતુ દેસાઈ અને દક્ષાબેન દેસાઈ સાથે ગોઠવાઈ. તેમના અમદાવાદના નિવાસસ્થાને અમે મળ્યા. શું થયું એ મુલાકાતમાં?)  

પહેલાંના જમાનામાં સૈનિકો પોતાના રાજાના મિજાજને બરાબર ઓળખતા. એક રાજાની બીજા રાજા સાથે મુલાકાત થવાની હોય ત્યારે આગોતરી તૈયારીરૂપે આ સૈનિકો પોતપોતાનાં તલવાર, ભાલાઓની ધાર તેજ કરવા લાગતા. આવું ક્યાંય નોંધાયું નથી તો શું થયું? 
મારી સ્થિતિ જરા ઉલટી હતી. સૈનિકને રણમેદાન તરફ જતો જોઈને રજાઓ પોતપોતાનાં શસ્ત્રોની ધાર કાઢવા લાગ્યા હતા. અને સૈનિકને હજી એ પણ ખબર નહોતી કે તેણે ખરેખર મેદાનમાં ઉતરવાનું છે કે નહીં. રાજા પાસે સામાન્ય રીતે સૈનિકોની ફોજ હોય, તેને બદલે મારા જેવા સૈનિક પાસે રાજાઓની ફોજ હતી. 
દક્ષાબહેન અને સુકેતુભાઈ દેસાઈ સાથે એ પહેલી મુલાકાત હતી. એ દિવસે અન્ય એક બહેન પણ ત્યાં આવેલાં હતાં. સુકેતુભાઈએ તેમનો પણ પરિચય કરાવ્યો. એ હતાં ભરુચથી આવેલાં શીલાબેન દેસાઈ. વીરેન્‍દ્ર દેસાઈનાં એ પુત્રવધૂ થતાં હતાં. આમ, પહેલી જ મુલાકાતમાં વીરેન્‍દ્ર દેસાઈનો ઉલ્લેખ થઈ ગયો. શરૂઆતમાં એમ હતું કે વીરેન્‍દ્રભાઈનું નામ જરા સાચવીને લેવું પડશે. કારણ એ કે વીરેન્‍દ્ર દેસાઈ સુકેતુ દેસાઈના કાકા અને ચીમનલાલ દેસાઈના દીકરા થાય. તેમણે બીજાં લગ્ન નલિની જયવંત સાથે કર્યાં હતાં. આટલી માહિતી તો એ ગાળાની ફિલ્મોમાં રસ ધરાવતા કોઈ પણને હોય. અહીં મને વાતવાતમાં એ જાણવા મળ્યું કે વીરેન્‍દ્રભાઈનાં પહેલાં પત્ની મધુરીબહેન હજી હયાત છે. અને મારી સામે બેઠેલાં શીલાબેન તેમનાં પુત્રવધૂ થાય. ફિલ્મો સાથે સંકળાયેલા પરિવારમાં સ્ત્રી-પુરુષોના સંબંધોને બહુ ઉદારતાથી જોવામાં આવે છે, એવી એક માન્યતા છે. અમુક અંશે સાચી પણ હશે. છતાં અહીં મારે એ બધી જિજ્ઞાસાને હાલ પૂરતી દાબી રાખવાની હતી.
સુકેતુ દેસાઈ અને દક્ષાબહેન સાથે વાત શરૂ કરી. બહુ સ્પષ્ટપણે મેં જણાવ્યું કે મને ગુજરાતીમાં જ લખતાં ફાવશે. તેમણે પણ એ વાત મંજૂર રાખી. તેમણે મારાં અમુક પુસ્તકો વિષે વાત કરી. એ તેમને ગમ્યાં છે એમ જણાવ્યું. મેં પણ તેમને પુસ્તક શી રીતે આલેખાશે એની આછી રૂપરેખા આપવાનો પ્રયત્ન કર્યો. મારા મનમાં પુસ્તક માટેનો જે સૂચિત નકશો હતો એ પણ મેં તેમને જણાવ્યો, અને કહ્યું કે એકાદ અઠવાડિયામાં હું એ તેમને લખીને મોકલી આપીશ.
મારે એ જાણવું હતું કે તેમની પોતાની પાસે શી સામગ્રી હતી. તેમની પોતાની પાસે જે સામગ્રી હોય એમાં દસ્તાવેજો, પત્રો જેવું સાહિત્ય હોય તો ઘણું કામ લાગે. મારા પ્રશ્નના જવાબમાં સુકેતુભાઈ અને દક્ષાબહેને જણાવ્યું કે બે મોટી ટ્રન્‍ક ભરીને સામગ્રી તેમની પાસે મુંબઈમાં પડી છે. આ પેટીઓમાં બીજું શું હશે એ તો જોઈએ ત્યારે ખબર પડે, પણ સુકેતુભાઈએ જણાવ્યું કે તેમાં મુનશીજી અને ર.વ.દેસાઈની સહીઓ કરેલા કોન્‍ટ્રાક્ટ પણ છે. આ બન્ને સાહિત્યકારોની કથાઓ પરથી સાગર દ્વારા ફિલ્મોનું નિર્માણ થયેલું. આવી દુર્લભ વસ્તુ મળે તો કેવી મઝા પડી જાય? આ સાંભળીને મારા રુંવાડા ખડા થઈ ગયા.
ચા-પાણીના દોર વચ્ચે વાતો આગળ ચાલી. કુટુંબમાં કોને કોને મળવું જોઈએ, ક્યાં ક્યાં જવું જોઈએ, ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોમાંથી કોને મળી શકાય વગેરે ચર્ચાઓ ચાલી. હકીકત એ હતી કે સાગર મુવીટોન છેક ૧૯૪૮માં બંધ થઈ ગયું હતું. તેની સાથે સંકળાયેલા હોય એવા મોટા ભાગના કલાકારો હવે હયાત રહ્યા નહોતા. તદુપરાંત ફિલ્મજગતના દસ્તાવેજીકરણનો મુખ્ય આધાર રાખી શકાય એવું મેગેઝીન ફિલ્મફેર છેક ૧૯૫૨માં શરૂ થયું હતું. એટલે તેના જૂના અંકો મળે તોય સાગર મુવીટોન વિષે કશું જાણવા મળે એવી શક્યતા નહીંવત હતી.
હા, જૂનાં ફિલ્મ ઈન્‍ડીયા મળી શકે. પણ એ તો ૧૯૩૫ થી શરૂ થયેલું, જ્યારે સાગર કંપનીનો આરંભ તો ૧૯૩૦માં થઈ ગયેલો. આ છ વરસની માહિતી ક્યાંથી મેળવવી? આવા અનેક સવાલો અને મૂંઝવણો હતી. વાતવાતમાં અચાનક દક્ષાબેનને કંઈક યાદ આવ્યું હોય એમ એ ઉભાં થયાં, અને અંદરના રૂમમાં ગયાં. થોડી મિનીટોમાં તે રૂમની બહાર આવ્યાં ત્યારે એમના હાથમાં કોઈક છાપાનું લેમિનેટ કરેલું અડધું પાનું હતું. એના રંગ અને કદ પરથી એ ઓળખતાં મને વાર ન લાગી. એટલે દૂરથી જ મેં કહ્યું, “તમે હરીશભાઈએ લખેલો લેખ મને બતાવવા માટે લાવો છો?” દક્ષાબેન અને સુકેતુભાઈને નવાઈ લાગી. એટલે દૂરથી મને શી રીતે જાણ થઈ ગઈ કે આ હરીશભાઈનો લેખ હતો? અલબત્ત, હરીશભાઈને તે ઓળખતા નહોતા. તેમણે મને પૂછ્યું, “તમે ઓળખો છો આ ભાઈને? એ આપણને ઘણી મદદ કરી શકશે એમ લાગે છે.” આ સાંભળીને મને અને ચંદ્રશેખરભાઈને હસવું આવ્યું. તમે ઓળખો છો એમને?’ નો શો જવાબ આપવો? હિમાલયની તળેટીમાં રહેનારને કોઈ પૂછે કે 'હિમાલયને ઓળખો છો?' તો શો જવાબ હોય? છેવટે મેં કહ્યું કે એ મારા પરમ મિત્ર છે, અને તેમના તરફથી આપણને બધી સહાય મળશે. તેમણે મને આખી ફિલ્મોગ્રાફી તૈયાર કરીને મોકલી હતી એની વાત પણ મેં તેમને કરી.
હજી આ વાત ચાલી રહી હતી ત્યાં જ મારા ખિસ્સામાંનો ફોન રણક્યો. નામ જોયું તો હરીશભાઈનું! હરીશભાઈની આ વિશેષતા છે. તેમને ખબર હોય કે હું બહારગામ જવાનો છું એટલે બહારગામ હોઉં ત્યારે વચ્ચે એકાદ વાર ફોન કરીને ખબરઅંતર પૂછી લે. ફોન ઉપાડ્યા પછી હરીશભાઈ અને સુકેતુભાઈનો પરસ્પર પરિચય કરાવીને બન્ને સાથે વાત કરાવી.

હરીશ રઘુવંશી પોતાની અંગત લાયબ્રેરીમાં:
પુસ્તક થાય એની મારાથી વધુ ફિકર . 
હજી સુરતના એક બીજા સજ્જનનો પરિચય મારે સુકેતુભાઈને કરાવવાનો હતો. આ સજ્જને પોતાની અભિનયકારકિર્દી ચીમનલાલ દેસાઈની કંપની અમર પિક્ચર્સથી કરી હતી. એ હતા કૃષ્ણકાન્‍ત (કે.કે.). અગાઉ એક વાર તેમનો ઈન્‍ટરવ્યૂ લેવાનું બન્યું ત્યારે કે.કે.સાહેબે બહુ ભાવપૂર્વક ચીમનલાલ દેસાઈનો અને તેમના પુત્ર બુલબુલભાઈ એટલે કે સુરેન્‍દ્રભાઈનો ઉલ્લેખ કર્યો હતો. સુરેન્‍દ્રભાઈ એટલે સુકેતુભાઈના પિતાજી. મને ખાતરી હતી કે સુકેતુભાઈ સાથે વાત કરતાં કે.કે.સાહેબને બહુ ખુશી થશે. સુકેતુભાઈને કે.કે. વિષે વાત કરી તો તેમણે કહ્યું કે મુંબઈમાં એક નાટકમાં કે.કે.ને જોયા હતા. તેમની મંજૂરી લઈને કે.કે. સાહેબને સુરત ફોન જોડ્યો. કે.કે.સાહેબને મારી આ મુલાકાતનો કશો અંદાજ નહોતો. એટલે અચાનક તેમને ખ્યાલ ન આવ્યો. પણ પછી પરિસ્થિતિની ગડ બેઠી એટલે કહે, “શું વાત કરો છો? તમે બુલબુલભાઈના સનને ત્યાં બેઠા છો? બુલબુલભાઈ, ધ ગ્રેટ? વાહ.” આમ તેમને બરાબર ઓળખાણ પડી એ પછી સુકેતુભાઈને મેં ફોન આપ્યો.
આ બધી ગતિવિધીઓ સાવ સહજ ક્રમમાં થઈ હતી. મારી કેટલી અને કેવી ઓળખાણો છે એ બતાવવાનો બિલકુલ આશય નહોતો. પણ કલાકેકની એ બેઠકમાં એક વાતની મેં ખાતરી આપી કે તમે એમ ન માનતા કે મને એકલાને જ આ કામ તમે સોંપી રહ્યા છો! હરીશભાઈ, હરમંદિરસીંઘહમરાઝ’, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ, ઉર્વીશ કોઠારી જેવા તો આપોઆપ આ પ્રોજેક્ટ સાથે સંકળાઈ જશે. અને તેમની સાથે સંકળાયેલા બીજા અનેક રસિકો પણ મદદરૂપ થશે. ચંદ્રશેખરભાઈએ પણ આ જ વાત દક્ષાબહેનને કહી હતી. પણ દક્ષાબહેનને એમ હતું કે પોતાના મનમાં આવેલા એક વિચાર સાથે આ બધાને શી લેવાદેવા? અને છતાંય આ બધા સંકળાતા હોય તો ખોટુંય નથી.
આમ, પહેલી મુલાકાતમાં કેટલીક મહત્ત્વની વાતો થઈ અને અમે છૂટા પડ્યા. અલબત્ત, કામ મને મળશે કે નહીં એ નક્કી નહોતું. છતાં રૂબરૂ મુલાકાતને લઈને એક પ્રકારનો વિશ્વાસ પરસ્પર પેદા થય હતો.
**** **** ****

એકાદ અઠવાડિયામાં મેં પુસ્તકના આલેખન વિષેની ઝીણીઝીણી વિગત તૈયાર કરી. કોને મળવું, કયાં સ્થળોની મુલાકાત લેવી, કઈ સામગ્રી મેળવવી વગેરે સહિત પુસ્તકનું આયોજન શી રીતે થશે, તેમાં કેવાં કેવાં પ્રકરણો આવશે, મારી વાસ્તવિક ભૂમિકા શી રહેશે અને તેમણે શું કરવાનું રહેશે એ બધી જ વિગત આવરી લીધી. પાંચેક પાનાંનો એ મુસદ્દો એવો હતો કે અન્ય કોઈના હાથમાં એ પકડાવી દેવામાં આવે તો પુસ્તક શી રીતે કરવું એનું માર્ગદર્શન બેઠ્ઠું મળી જાય. પણ એવું બધું વિચારાય નહીં.
આ અરસામાં જ ગ્રામોફોન ક્લબમાં કામિની કૌશલ અતિથિ તરીકે આવવાનાં હતાં. દક્ષાબેન સાથે આ બાબતે ફોન પર વાત થઈ એટલે તેમણે કહ્યું કે એક વાર ચીમનલાલ દેસાઈ બીમાર પડ્યા ત્યારે કામિની કૌશલ તેમને મળવા આવેલાં. મતલબ કે કામિની કૌશલ ચીમનલાલ દેસાઈ વિષે ચોક્કસ કંઈ કહી શકશે. અને એ અમદાવાદ આવી જ રહ્યાં છે, તો તેમનો ઈન્‍ટરવ્યૂ લઈ લેવો. તેમનું સૂચન યોગ્ય હતું. પણ અમુક વ્યાવહારિક મુશ્કેલીઓ હતી.
એક તો એ કે હજી કામ મને આપવાનું ઠરાવાયું નહોતું. મેં જે મુસદ્દો મોકલાવ્યો એ પછી હવે તેમના કહેણની રાહ જોવાની હતી. એ નક્કી થાય ત્યાર પછી જ હું આગળ વધી શકું. જો કે, હરીશભાઈને મેં આ અંગે જણાવતાં તેમણે કહી દીધું કે કામિની કૌશલનો ફિલ્મોમાં પ્રવેશ થયો ત્યારે સાગર બંધ થઈ ગયું હતું. એટલે એ ભાગ્યે જ કશું કહી શકે. મારું પણ આમ જ માનવું હતું. એટલે કામિની કૌશલને આ કારણે મળવા માટે હું એટલો ઉત્સુક ન હતો. 
કામિની કૌશલના એ કાર્યક્રમમાં મેં હાજરી આપી. ત્યાં દક્ષાબેન અને સુકેતુભાઈ બન્ને મળ્યા. અમે નક્કી કર્યું કે બીજા દિવસે સવારે મળવું.
**** **** ****

બીજા દિવસે સવારે અમે એલિસબ્રીજ જીમખાનામાં આવેલી ચંદ્રશેખરભાઈની લાયબ્રેરીમાં મળ્યાં. દક્ષાબહેન અને તેમની દીકરી રાધિકા આવ્યાં હતાં. ફરી એક વાર પેલા પાંચ પાનાંની એકે એક વિગત મેં વાંચી, રાધિકાને તે અંગ્રેજીમાં પણ સમજાવતો ગયો, અને તેમના જે પ્રશ્નો હતા એના જવાબ પણ આપતો ગયો. વાતવાતમાં એ પણ જાણવા મળ્યું કે દક્ષાબેન કામિની કૌશલને મળ્યાં હતાં અને સાગર મુવીટોન કે ચીમનલાલ દેસાઈ વિષે પૂછપરછ કરી હતી. પણ કામિની કૌશલે પોતાને ઝાઝી જાણ હોવાનો ઈન્‍કાર કરી દીધો હતો. આમ, અમારું અનુમાન સાચું ઠર્યું હતું. 
એલીસબ્રીજ જીમખાનાની અમારી એ બેઠકમાં બધું પાકું થયું અને વિધિવત રીતે આ કામ મને સોંપાયું. ચંદ્રશેખરભાઈ મારા અને દક્ષાબેનના મિત્ર, અને એથીય ઉપર જૂની ફિલ્મોના પ્રેમી. તેમની હાજરીમાં જ આ ગોઠવાયું એટલે સૌથી વધુ ખુશી તેમને થાય એ સ્વાભાવિક છે. એક વાત મારા મનમાં નક્કી હતી કે આ કામ મળતું હોય તો અમુક બાબતો જતી કરવી. પણ કામ તો કરવું જ. જો કે, બન્ને પક્ષો રાજી રહે એ રીતે બધું ગોઠવાયું. અમે છૂટા પડ્યા ત્યારે મેં તેમને હવે પેલી મુંબઈની ટ્રન્‍કમાં રહેલી સામગ્રી મંગાવવાની તાકીદ કરી.
બહાર આવીને મેં ઉર્વીશને, રજનીભાઈને અને હરીશભાઈને ફોન કરીને સારા સમાચાર આપ્યા. આ કામ મળ્યાની ખુશી મારા જેટલી જ એ સૌને હતી. કેમ કે, આ કંઈ મારું એકલાનું કામ નહોતું, પણ સૌનું હતું, એમ બધાને લાગતું હતું.
હજી એક વ્યક્તિને આ સમાચાર આપવાના હતા. એ હતા કે.કે. હરીશભાઈએ તેમને સમાચાર પહોંચાડી દીધા અને જણાવ્યું કે વડોદરા પહોંચીને હું તેમની સાથે વિગતે વાત કરીશ. વડોદરા પહોંચ્યા પછી કે.કે.સાહેબને સાથે ફોન પર વાત થઈ એટલે તેમણે બહુ રાજીપો દર્શાવ્યો. મેં તેમને કહ્યું, “આપણે ઘણી વાર મળ્યા છીએ અને વાતો કરી છે. પણ હવે મારે ખાસ આ બાબતે તમારો ઈન્‍ટરવ્યૂ લેવા માટે સુરત આવવું પડશે.”
**** **** ****
કાનપુરના હરમંદિરસીંઘ હમરાઝને હરીશભાઈએ સમાચાર આપી દીધા હતા, પણ તેમને વિધિવત જાણ કરતો મેલ મેં પણ તેમને કર્યો. હમરાઝે રાજીપો દર્શાવતો જવાબ તરત વાળ્યો. સાથે સાગરની ફિલ્મોનું તેમણે તૈયાર કરેલું લીસ્ટ પણ મોકલી આપ્યું અને જણાવ્યું કે આ તો કામચલાઉ બનાવેલું લીસ્ટ છે, અને પાકું લીસ્ટ તે પછી બનાવશે.
મેં તરત તેમને જવાબ લખી દીધો કે હરીશભાઈએ એ કામ કરી દીધું છે અને હમરાઝ એની તસ્દી ન લે. બીજી તરફ હરીશભાઈ કામે લાગી ગયા. તેમની પાસેનો ખજાનો તેમણે ઉલેચવા માંડ્યો. સાગરને લગતું જે કંઈ તેમને મળે એ તે ઈ-મેલ દ્વારા મોકલવા માંડ્યા.
દરમ્યાન તેમના દ્વારા જાણવા મળ્યું કે કે.કે.સાહેબને પીઠમાં દુ:ખાવો શરૂ થયો છે. દુ:ખાવો વધતો ચાલ્યો અને કે.કે.સાહેબ પથારીવશ થઈ ગયા. તેમને  દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. આ સાંભળીને મને ફાળ પડી. દવાખાને ખબર જોવા ગયેલા હરીશભાઈના ફોન પરથી જ કે.કે.સાહેબે મારી સાથે વાત કરી. તેમણે મને તાકીદ કરતાં જણાવ્યું કે મારે તેમના ઈન્‍ટરવ્યૂ માટે આવવું હોય તો બને એટલા જલ્દી સુરત આવી જવું. કારણ એ કે તેમની યાદદાસ્ત ધીમે ધીમે જવા લાગી છે. ૮૯ વરસની વ્યક્તિ દવાખાને દાખલ થયાના સમાચાર સાંભળીને જે હાલત થવી જોઈએ એવી જ થઈ. હું ગભરાયો. અસલમાં અમે એમ વિચારેલું કે સુકેતુભાઈ, દક્ષાબેન, ચંદ્રશેખરભાઈ સહિત અમે બધા કે.કે.ને મળવા જઈશું. પણ એ તો ગોઠવાય ત્યારે. મને લાગ્યું કે એ વખતે ફરી જઈશું, પણ અત્યારે મારે એકલાએ જઈ આવવું અને કે.કે.નો ઈન્‍ટરવ્યૂ લેવો.
જો કે, થોડા દિવસમાં કે.કે.ને પાછા ઘેર લાવી દેવામાં આવ્યા.
આખરે પ એપ્રિલ, ૨૦૧૨ના દિવસે હું અને કામિની સુરત જવા ઊપડ્યા. આશ્વાસન એ હતું કે કે.કે. ઘેર પાછા આવી ગયા હતા.
'સાગર મુવીટોન' માટેનો સૌ પ્રથમ ઈન્‍ટરવ્યૂ કે.કે.સાહેબનો. 
હરીશભાઈ સાથે અમે કે.કે.ને ઘેર ગયા અને ચીમનલાલ દેસાઈ વિષે તેમજ બુલબુલ દેસાઈ વિષે અનેક વાતો તેમણે કરી, જે મેં રેકોર્ડ કરી લીધી. ત્યાર પછી કે.કે.સાહેબને મેં તેમનાં સંભારણાં વિષે પૂછ્યું. આ સંભારણાં અગાઉ ૧૯૯૩-૯૪માં ગુજરાત મિત્રમાં ૭૫ હપ્તે પ્રકાશિત થયાં હતાં. મેં તેમને આગ્રહ કર્યો અને કહ્યું કે તમારા મનમાં જે ગૂંચવણ કે શંકા હોય એ જણાવો, તો એનો નિકાલ લાવીએ. પણ આ કામ આપણે કરીએ. તમારે અમને આ પુસ્તક તો આપવું જ રહ્યું. કે.કે.સાહેબે હસીને વાત ટાળી અને એ અંગે પછી મને જણાવશે એની ખાતરી આપી.
આમ, સાગર મુવીટોન માટેનો પહેલો ઈન્‍ટરવ્યૂ કે.કે.સાહેબનો લેવાયો. કંઈક નક્કર કહી શકાય એવી વાતો મળી હતી, જેનો આનંદ હતો. પણ આ આનંદ ઝાઝો ટકવાનો નહોતો.

**** **** ****

આ ગાળામાં દક્ષાબેન અને સુકેતુભાઈના મુંબઈથી બે પેટીઓ મેળવવાના પ્રયત્નો ચાલુ હતા. બન્ને વારાફરતી એ માટે મુંબઈ જઈ આવ્યા હતા. પણ એ પછી તેમના તરફથી કશા સમાચાર નહોતા. થોડા દિવસ પછી ચંદ્રશેખરભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું, “તને ફોન કરવાનું એ લોકો કેટલાય દિવસથી વિચારે છે, પણ શી રીતે કરવો એ સમજાતું નથી.” આનો અર્થ સમજું એ પહેલાં તેમણે આગળ જણાવ્યું, “પેલી બન્ને પેટીઓની ભાળ મળતી નથી. એ ખોવાઈ ગઈ છે. ખરેખર તો એ ખોવાઈ નથી, પણ એનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.”

સમાચાર આંચકો પમાડે એવા જ હતા. સુકેતુભાઈ અને દક્ષાબેને આ જાણ્યું ત્યારે તેમનું હૈયું બેસી ગયું હતું. મહામહેનતે તૈયાર થયેલું વહાણ હજી પાણીમાં મૂકાય એ પહેલાં કિનારાની રેતીમાં જ જાણે કે દફન થઈ ગયું હતું. આ વાત મને શી રીતે જણાવવી એની અવઢવ એ અનુભવતા હતા. સ્વજનના અવસાનના સમાચાર તેની સૌથી નિકટની વ્યક્તિને આપવા જેવું અઘરું કામ હતું આ. બન્ને પક્ષના મિત્ર હોવાને નાતે છેવટે એ અઘરી ફરજ ચંદ્રશેખરભાઈએ બજાવી હતી અને મને સમાચાર આપ્યા હતા. 
હવે શું? પુસ્તક આગળ વધારવું કે કેમ? એ આગળ વધી શકશે ખરું? 

(સફરના આરંભે જ કેવા જોરદાર બમ્પ આવ્યા? હવે?) 

Thursday, February 27, 2014

'સાગર'સંહિતા aka The Saga of the Sagar यानि दास्तान-ए-सागर (૨)

(ગઈ વખતે વાંચ્યું કે અમેરિકાના ગુજરાતીઓમાં દાદાજીના લાડકા નામે ઓળખાતા હરીકૃષ્ણ મજમુદારના અમદાવાદનાં યજમાન દક્ષાબેન દેસાઈ બન્યાં હતાં, પણ દક્ષાબેનને પોતાને અમેરિકાથી અમદાવાદમાં સ્થાયી થયે માંડ બે મહિના જ થયા હતા. દક્ષાબેન દેસાઈના મનમાં સાગર મુવીટોન વિષે પુસ્તક લખાવવાનું શી રીતે રોપાયું તે જોયું. હવે આગળ..)

મજમુદારદાદાએ આંગળી ચીંધ્યા મુજબ તેમને મળવા આવનારા પત્રકાર-લેખક-ઈતિહાસકારોએ દક્ષાબેનને પોતાની કથા લખવા માટે જણાવ્યું. પણ દક્ષાબેને તેમને સૌ પહેલાં ચાચાજી અને તેમની સાગર ફિલ્મ કંપની વિષે લખાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને એ પણ અંદાજ નહોતો કે એ કથા લખવાનું કોને કહી શકાય, અને કોના વિષયક્ષેત્રમાં એ આવે. ચાચાજીની કથા લખી આપવાના પ્રસ્તાવ પણ તેને પગલે તેમને મળ્યા. જો કે, દક્ષાબેનને ત્યારે ખ્યાલ નહોતો, પણ પછી ખબર પડી કે ગુજરાતી લેખનજગતનાં એ બહુ મોટાં માથાં ગણાતાં હતાં. એવા એકાદ સજ્જન સાથે એ બાબતે તેમની મુલાકાત પણ ગોઠવાઈ, જેમાં એ સજ્જને દક્ષાબેનને પોતાનું પુસ્તક બતાવ્યું. આ પુસ્તકમાં વિશિષ્ટ ગુજરાતીઓ વિષેના લેખો હતા. ગમે તે કારણ હોય, પણ તેમને એમાં મઝા ન આવી. તેમણે તપાસ ચાલુ રાખી.
**** **** ****

અમદાવાદની ગ્રામોફોન ક્લબ હવે તો અતિ જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાય છે. આ ક્લબના મોટા ભાગના હોદ્દેદારો અમારા વડીલ મિત્રો છે. તેના સ્થાપક પ્રમુખ સ્વ. અરવિંદ દેસાઈ હતા ત્યારે પણ અમારા પર ઘણો સ્નેહભાવ રાખતા. તેમની વિદાય પછી પણ ગ્રામોફોન ક્લબ સાથેનું અમારું જોડાણ ચાલુ છે, જેમાં વર્તમાન હોદ્દેદારોનો પ્રેમભાવ કારણભૂત છે. આ ક્લબમાં જૂના ફિલ્મસંગીતના અનેક પ્રેમીઓ સભ્ય છે. આવા એક સજ્જન છે અશોક ઈશ્વરલાલ દેસાઈ. કોલકાતામાં સક્રિયપણે ફિલ્મવિતરણમાં કાર્યરત રહ્યા પછી અશોકભાઈ ૨૦૦૪થી કોલકાતા છોડીને અમદાવાદમાં સ્થાયી થયા છે.
ગ્રામોફોન ક્લબના એક હોદ્દેદાર અને અમારા સંગીતપ્રેમી મિત્ર ચંદ્રશેખર વૈદ્ય સ્વાભાવિકપણે અશોકભાઈને જાણે, અને તેમનું ફિલ્મજગત સાથેનું કંઈક જોડાણ હતું એય તેમને ખબર. આ અંગે તેમણે ઉર્વીશને વાત કરી હતી, અને અશોકભાઈ તેમજ ઉર્વીશની મુલાકાત ગોઠવાય તેવો પ્રયત્ન ચંદ્રશેખરભાઈ કરી રહ્યા હતા, પણ કોઈ ને કોઈ કારણોસર એ શક્ય બન્યું ન હતું.

**** **** ****

અમદાવાદ આવ્યા પછી જૂના પરિચિતો સાથે દક્ષાબેનનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો નહોતો, એટલે જૂના મિત્રો કે સ્નેહીઓમાંથી બહુ ઓછા લોકોને ખબર હતી કે તે પાછાં અમદાવાદ આવ્યાં છે. દરમ્યાન તેમને એક કામ અંગે બહાર નીકળવાનું બન્યું.  અમદાવાદની એક રેસ્ટોરાંમાં બેસીને તે નાસ્તો કરી રહ્યાં હતાં. એ વખતે હોટેલના વેઈટરે આવીને તેમને ટીશ્યૂ નેપકીન ધર્યો અને દૂરના ટેબલ પર બેઠેલા એક દાઢીધારી ભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું કે એમણે આ સંદેશો મોકલ્યો છે. દક્ષાબેનને થયું કે પોતાને સંદેશો મોકલનાર અહીં કોણ ફૂટી નીકળ્યું? પેપર નેપકીન પર લખેલું, “હું તમને ઓળખું છું. તમે દક્ષા ભગવતલાલ પટેલ ને? તમને મળીને વાત કરી શકું?” આ વાંચીને તેમને બહુ આશ્ચર્ય થયું. આ તો તેમનું લગ્ન પહેલાંનું નામ! આ નામે ઓળખનાર આ મહાશય કોણ હશે? યાદ નહોતું આવતું, પણ એટલું નક્કી હતું કે હશે કોઈ જૂના પરિચીત. એમાંય આવા આખા નામથી ઓળખતા હોય તો તો કદાચ કોઈ સહાધ્યાયી હોઈ શકે! જે હોય તે, તેમણે ઈશારો કર્યો એટલે દૂર રહેલા એ મહાશય નજીક આવ્યા. સામેના ટેબલ પર ગોઠવાયા. દક્ષાબેનની મૂંઝવણ કળી જઈને પોતાની ઓળખાણ આપતાં તેમણે કહ્યું, “હું ચંદ્રશેખર વૈદ્ય.” ઓહોહો! આ ચંદ્રશેખર તો મારો શાળાનો સહાધ્યાયી. અમે ગોમતીપુરના પાડોશી. કેટલાં વરસો વીતી ગયાં હતાં. તમે? તું?’ પછી તું ક્યાં છે? શું કરે છે? કેટલાં છૈયાંછોકરાં છે? એમાંનાં કેટલાં પરણી ગયાં?’ એવી અનેક વાતો થઈ. સરનામાં, ફોનનંબરની આપ- લે થઈ અને તેમણે સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું. આમ, અમદાવાદમાં કેવળ દક્ષાબેનને જ નહીં, તેમના આખા પરિવારને એક મજબૂત દોસ્તીની પ્રાપ્તિ થઈ.
અવારનવાર ચંદ્રશેખરભાઈ અને પરિવાર સાથે મળવાનું ગોઠવાતું, અને અનેક વાતો થતી. જેમાં જાણવા મળ્યું કે લાઈબ્રેરીના વ્યવસાય સાથે ચંદ્રશેખરભાઈ સંકળાયેલા છે અને જ્ઞાનપ્રપા નામની બહુ જૂની તેમજ પ્રતિષ્ઠિત લાયબ્રેરીના એ સહસંચાલક તથા ભાગીદાર છે. પછી દક્ષબેનને એ પણ ખબર પડી કે જૂનાં ગીતોના એ જબરા ચાહક છે. એટલું જ નહીં, જૂનાં ગીતોને સમર્પિત અમદાવાદની અતિ પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબ સાથે પણ તે સક્રિયપણે સંકળાયેલા છે. એટલે ત્યાર પછીના તબક્કામાં દક્ષાબેન અને તેમના પતિ સુકેતુ બન્ને આ ક્લબનાં સભ્ય બની ગયાં.
ચંદ્રશેખરભાઈ જૂનાં ગીતો અને પુસ્તકો બન્ને સાથે સંકળાયેલા હોવાના કારણે દક્ષાબેનને લાગ્યું કે ચાચાજી વિષેનું પુસ્તક કરાવવા બાબતે તેમનું માર્ગદર્શન લેવું જોઈએ.

**** **** ****

ગ્રામોફોન ક્લબના એક કાર્યક્રમમાં એક વખત અશોક દેસાઈ, દક્ષાબેન અને સુકેતુ દેસાઈ ચંદ્રશેખરભાઈને એક સાથે મળી ગયાં. ચંદ્રશેખરભાઈ બન્ને પરિવારોને સ્વતંત્રપણે ઓળખતા હતા, પણ તેમના સગપણ વિષે તેમને ખ્યાલ નહોતો. ચંદ્રશેખરભાઈને પહેલી વાર ત્યારે ખબર પડી કે અશોકભાઈના પિતાજી ઈશ્વરલાલ દેસાઈ એ સાગર મુવીટોનના ચીમનલાલ દેસાઈના નાના ભાઈ થાય. જ્યારે સુકેતુ દેસાઈ ચીમનલાલ દેસાઈના પૌત્ર થાય. એ સગપણે અશોકભાઈ સુકેતુ દેસાઈના ચાચા (કાકા) થાય. અશોકભાઈએ એ જ વખતે દક્ષાબેનના હાથમાં બેટન પકડાવતા હોય એમ કહ્યું, “દક્ષા, વાલાચાચા (ચીમનલાલ) વિષે તું ચંદ્રશેખરને જણાવજે. એમના વિષે ઘણું કહી શકાય એમ છે.” અશોકચાચાએ હવાલો સોંપી દેતા હોય એમ ચંદ્રશેખરને કહ્યું, “તમે એમની પાસેથી ઘણી વાતો મેળવી શકશો. કેમ કે અમારા કરતાં ફિલ્મો સાથે એ વધુ સંકળાયેલા હતા.”

અશોક દેસાઈ/ Ashok Desai 

ઓહો! આ વળી જબરો સંયોગ હતો. પુસ્તક લખાવવાનો જે દડો ચંદ્રશેખરભાઈ દ્વારા ગબડતો મૂકવાનું દક્ષાબેને વિચાર્યું હતું એ દડો લઈને ખુદ ચંદ્રશેખરભાઈ જ જાણે કે દક્ષાબેન પાસે આવી ગયા. એ પછી તેઓ મળ્યા ત્યારે ચાચાજી અંગેના પુસ્તક દક્ષાબેને ચંદ્રશેખરભાઈને વિષે જણાવ્યું. પુસ્તક અંગે અગાઉ તેમનો સંપર્ક કર્યો હતો એ સૌ વિષે પણ તેમણે ચંદ્રશેખરભાઈને જણાવ્યું. ચંદ્રશેખરભાઈના મનમાં તરત કોઈકનું નામ ઝબક્યું હોય એવું દક્ષાબેનને લાગ્યું. પણ ઉતાવળ કરવાને બદલે ફરી વાર તે મળ્યા ત્યારે કેટલાંક પુસ્તકો લઈને ચંદ્રશેખરભાઈ આવ્યા. એ પુસ્તકો આપ્યા પછી તેમણે દક્ષાબેનને એની પર શાંતિથી નજર નાંખી જવા જણાવ્યું.


રજનીકુમાર પંડ્યા અને બીરેન
કોઠારી લિખીત-સંપાદિત ઉપેન્‍દ્ર
ત્રિવેદી વિષેનું પુસ્તક 
દક્ષાબેન અને સુકેતુભાઈએ પછી એ પુસ્તકો પર નજર નાંખી તો ખ્યાલ આવ્યો કે એમાંના મોટા ભાગનાં પુસ્તકો વિવિધ વ્યક્તિઓની જીવનકથાના હતા. આમાંના અમુક પુસ્તકો પર નામ હતું રજનીકુમાર પંડ્યાનું. રજનીકુમાર સાથે એકાદ વખત દક્ષાબેનની અલપઝલપ મુલાકાત થઈ હતી, ત્યારે તેમની સતેજ સ્મૃતિનો અનુભવ એમને થયો હતો. પચીસેક વરસ અગાઉ એક કૉમન મિત્ર દ્વારા તેઓ મળેલાં હોવાનું રજનીકુમારે તેમને જણાવ્યું ત્યારે દક્ષાબેનના મનમાંથી એ વાત વીસરાઈ ગઈ હતી. પુસ્તકો પર બીજું નામ હતું બીરેન કોઠારીનું. આ નામ દક્ષાબેન માટે તદ્દન અજાણ્યું હતું. પણ તેમને એટલો અંદાજ આવી ગયો કે રજનીકુમાર અને બીરેન કોઠારીએ મળીને જીવનકથાનાં અનેક પુસ્તકો લખ્યાં હતાં. તે સૌથી વધુ પ્રભાવિત થયાં હોય તો ઉપેન્‍દ્ર ત્રિવેદી વિષેના પુસ્તકથી. બહોળો વ્યાપ ધરાવતી ઉપેન્‍દ્રભાઈની કારકિર્દીને આ પુસ્તકમાં જે સમતોલ અને સર્વાંગી રીતે રજૂ કરવામાં આવી હતી એ જોઈને તેમને લાગ્યું કે ચંદ્રશેખરે યોગ્ય દિશા ચીંધી છે. થોડા દિવસમાં આ પુસ્તકો પર તે સરસરી નજર ફેરવી ગયાં. હવે વાત આગળ વધારવાની હતી. ચંદ્રશેખરભાઈને તેમણે કહ્યું, “આ બીરેન કોઠારીને મળીએ તો ખરા. વાત કરી જોઈએ એમની સાથે. લાગે છે કે એ આ કામ કરી શકશે.”
આમ તો સહજ રીતે તેમને આ કામ રજનીકુમારને સોંપવાનું જ સૂઝવું જોઈએ. કેમ કે રજનીકુમાર કુમારમાં સિનેમાના ૧૯૩૧ થી ૧૯૪૧ના દાયકાનો વિગતવાર ઈતિહાસ ફિલ્માકાશ શ્રેણીમાં આલેખી ચૂક્યા હતા. પણ રજનીકુમારની અતિ વ્યસ્તતા જોતાં તેમને આટલું લાંબા પટાનું કામ સોંપવું દક્ષાબેનને ઠીક ન લાગ્યું. જો કે, ચંદ્રશેખરભાઈએ તેમને જણાવ્યું કે બીરેન આપણી સાથે જોડાય એટલે રજનીકુમારને આપણી સાથે જોડાયેલા જ માની લેવાના. આટલું કહીને તેમણે ઉમેર્યું, “એકલા રજનીકુમાર જ નહીં, સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશી, મુંબઈના ફિલ્મસંગીત ઈતિહાસકાર નલિન શાહ, હિન્‍દી ફિલ્મગીતકોશના સંપાદક કાનપુરના હરમંદીરસીંઘ હમરાઝ સહિત બીજા અનેક સંગીતપ્રેમીઓનો પૂરેપૂરો સાથ અને સહકાર આ કામમાં મળી રહેશે. આ સૌ ઉપરાંત ઉર્વીશ કોઠારી તો ખરા જ.” આ બધાં નામો દક્ષાબેન અને સુકેતુભાઈ માટે હવે સાવ અજાણ્યાં રહ્યાં ન હતાં. આમ છતાંય આ સૌ જોડાય એ વાત તેમને જરા વધુ પડતી લાગતી હતી. તેમને લાગ્યું કે પોતાના મનમાં ઉગેલા એક વિચાર સાથે એકબીજાથી કેટલાય કિલોમીટર વસતા આ બધા મહાનુભાવોને શી લેવાદેવા? છતાંય એમ થયું કે એ સૌ જોડાતા હોય એના જેવું રૂડું શું? અલબત્ત, આ  બધી ગતિવિધીઓની જાણ તો મને ઘણી પાછળથી થઈ હતી.

**** **** ****

દરમ્યાન ચંદ્રશેખરભાઈએ મને જણાવ્યું હતું કે સાગર મુવીટોન વિષે પુસ્તક લખવા માટે મારું નામ તેમણે સૂચવ્યું છે. અને કંઈક નક્કર ગોઠવાય તો મારે એક વાર અમદાવાદ આવવાનું ગોઠવવું. વાચક તરીકે અને એ ગાળાના ફિલ્મસંગીતના પ્રેમી તરીકે આ સાંભળીને મને થયું કે સાગર મુવીટોન વિષે પુસ્તક? વાહ! મઝા આવી જાય. પણ ત્યાર પછી લેખક તરીકે થયું કે શી રીતે મઝા આવવાની? મારે માહિતી ક્યાંથી મેળવવી? એ લોકો મને કેટલી સામગ્રી પૂરી પાડશે? અને બીજા કોની કોની મદદ હું લઈશ તો આ કામ આગળ વધી શકશે? મેં સહજ રીતે જ સુરતના હરીશ રઘુવંશી સાથે આ બાબતે વાત કરી. હરીશભાઈએ જણાવ્યું કે પોતે પોતાનો સંગ્રહ જોવો પડશે. પણ એટલું ખરું કે એના વિષે ઉપલબ્ધ માહિતીનું પ્રમાણ ઓછું છે. જો કે, મેં તેમને ભારપૂર્વક જણાવ્યું કે હમણાં એ પોતાનો સંગ્રહ ઉથલાવવાનું શરૂ ન કરે. કેમ કે, હજી તો અમારી મુલાકાત પણ થઈ નથી કે નથી એ કામ મને મળશે કે નહીં એ નક્કી થયું. હરીશ રઘુવંશીને ખબર હતી કે મારે અમદાવાદ સાગર મુવીટોનના કામ માટે જવાનું હતું. પણ માત્ર આનંદ વ્યક્ત કરીને એ બેસી રહે તો હરીશભાઈ શાના? તેમણે સાગર મુવીટોન અને ત્યાર પછી જોડાણ અને વિલીનીકરણ દ્વારા જે નવી કંપની બની તે નેશનલ સ્ટુડિયોઝ અને છેલ્લે અમર પિક્ચર્સની તમામ ફિલ્મોની સાલવાર સૂચિ બનાવવા માંડી હતી. મારે અમદાવાદ જવાના સંભવિત દિવસ પહેલાં એ પૂરી કરીને મને મોકલી દેવાની તેમની ધારણા હતી. મને જ્યારે આ વાતની જાણ તેમણે કરી ત્યારે મેં તેમને કહ્યું, “અરે, હજી મને કામ તો મળવા દો! એ પછી તમે મને આ સૂચિ બનાવી આપજો ને! અત્યારે નકામી મહેનત શું કામ કરો છો?” ત્યારે હરીશભાઈએ કહ્યું, “તમને કામ મળે કે ન મળે, એ બહાને એક મહત્વનું કામ થઈ જાય ને!”

હરીશ રઘુવંશીએ લખેલો ચીમનલાલ દેસાઈ
 વિષેનો લેખ 
છેવટે એક દિવસ અમારી મુલાકાત ગોઠવાઈ. કદાચ ફેબ્રુઆરી મહિનો હતો. વરસ હતું ૨૦૧૨. અમદાવાદ જવા નીકળ્યો એ દિવસે સવારે મારા મેલબોક્સમાં હરીશભાઈએ બનાવેલી ફિલ્મોગ્રાફી આવીને પડી હતી. એ ઉપરાંત અગાઉ હરીશભાઈએ તેમની શ્રેણી હિન્‍દી સિનેમા, ગુજરાતી મહિમા અંતર્ગત લખેલો ચીમનલાલ દેસાઈ વિષેનો લેખ પણ ફરી એક વાર મેં વાંચી લીધો હતો. અમદાવાદ પહોંચીને એકાદ બે કામ પતાવ્યા. ત્યાર પછી ચંદ્રશેખરભાઈને મળ્યો. તેમના સ્કૂટરની પાછળ ગોઠવાયો. અમદાવાદના રસ્તાઓ પર ચાલુ સ્કૂટરે જે રીતે વાત થઈ શકે એ રીતે અમે વાત કરતા હતા. હજી મને સુકેતુભાઈનું ચીમનલાલ સાથેનું ચોક્કસ સગપણ પણ ખબર નહોતી. એક વાત એવી પણ હતી કે પુસ્તક અંગ્રેજીમાં જ લખાવવાનું છે. આ સાંભળીને મને થયું કે અંગ્રેજીમાં લખાવવાનું હોય તો મારી જરૂર જ ક્યાં રહી? મને તો ગુજરાતીમાં લખતાં આવડે છે.
આવી અવઢવ છતાં એમ હતું કે એક વાર મળીએ તો ખબર પડે કે શું અને કેવી રીતે કરવાનું છે.
આખરે અમે આવી પહોંચ્યા.


(હજી આ અમારી પહેલી મુલાકાત હતી. અને એક વાર મળવાથી કામ થઈ જાય એવું તો કેમ બને?)