Wednesday, November 24, 2021

એક ઐતિહાસિક સંસ્થાના ઈતિહાસનું આલેખન

 વટવૃક્ષ એટલે કે વડ અન્ય વૃક્ષોથી અલગ પડે છે. તેનું અતિ દીર્ઘ આયુષ્ય, તેનો પ્રસ્તાર અને તેને માટે કારણભૂત અતિ ઊંડાં અને દૃઢ મૂળ. વડની ડાળીઓ એટલે કે વડવાઈઓનો ફેલાવો પણ એટલો જ, અને આ દરેક વડવાઈ જમીન સુધી પહોંચતાં વડ બને એવી પૂરી શક્યતા. વડનાં ફળો એવા ટેટા સાવ નાનાં, પણ એમાંય આખેઆખા વટવૃક્ષની શક્યતા. કોઈ પણ સંસ્થાનો વ્યાપ અત્યંત પ્રસરેલો હોય, અને તેનાં મૂળિયાં પણ એટલાં જ ઊંડાં ઉતરેલાં હોય ત્યારે તેને યોગ્ય કારણોસર જ 'વટવૃક્ષ' સાથે સરખાવવામાં આવે છે. આ શબ્દપ્રયોગ કે સરખામણી હવે તો અતિશય ઉપયોગથી સાવ લપટી પડી ગઈ હોવા છતાં એ એટલી જ સચોટ જણાય છે.

1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને અહીં જ સ્થાયી થયા પછી મોહનદાસ ગાંધીએ સ્વાવલંબન અને સ્વદેશી કેળવણીના પોતાના આગવા વિચારોના અમલ માટે એક યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું. અંગ્રેજો સાથે લડતના વિવિધ કાર્યક્રમોની સાથોસાથ તેમણે 18 ઑક્ટોબર, 1920ના રોજ તેની સ્થાપના કરી. નામ રખાયું 'ગૂજરાત વિદ્યાપીઠ'. આ કોઈ ક્ષણિક આવેશમાં આવીને લેવાયેલો નિર્ણય નહોતો, બલકે નક્કર વિચારણાને આધારે લેવાયેલું પગલું હતું.

18 ઑક્ટોબર, 2020ના રોજ આ સંસ્થાએ શતાબ્દી પૂર્ણ કરી. ખરા અર્થમાં તે વટવૃક્ષ સમાન બની રહી છે. તેની પોતાની અનેકવિધ શાખાપ્રશાખાઓ તો ખરી જ, પણ અહીંના સ્નાતકોએ પોતાની કેળવણીસંસ્થાઓ સ્થાપી એ અલગ.

આ સંસ્થાની સો વર્ષની સફરને આલેખવાનું કામ ચારેક વર્ષ પહેલાં મને સોંપવામાં આવ્યું. એનો રોમાંચ હતો, સાથે એક મોટી જવાબદારીનો અહેસાસ પણ ખરો. મારે આખી સંસ્થાનું વિહંગાવલોકન કરવાનું હતું. દોઢેક વરસની સમયમર્યાદા વિચારવામાં આવેલી. સૌ પ્રથમ કામ હતું વિદ્યાપીઠ અને તેને આનુષંગિક તમામ સામગ્રીનું વાંચન અને તારણ. 'નવજીવન' અને 'હરિજનબંધુ'ના તમામ અંકો ઉપરાંત એ ગાળાના જે પણ લોકોએ સંસ્મરણો યા આત્મકથા લખી હોય એનો સંદર્ભ ચકાસવાનો અને તેમાં વિદ્યાપીઠનો ઉલ્લેખ હોય તો એ પણ જોવાનો. આ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો-પુસ્તિકાઓ પર પણ નજર ફેરવવાની. અને આ બધું અન્ય તમામ વ્યાવસાયિક લેખનની સમાંતરે કરવાનું.

એટલું આરંભથી નક્કી હતું કે વિદ્યાપીઠની સફરનું આલેખન દશકાવાર કરવું, જેથી તેનો ક્રમિક વિકાસ ખ્યાલ આવે. આરંભનાં વરસોનું દસ્તાવેજીકરણ એટલું વિગતવાર જોવા મળે કે મૂંઝવણ થઈ આવે કે કયા હિસ્સાને કેટલું મહત્ત્વ આપવું. સો વરસના દીર્ઘ ઈતિહાસમાં જે તે ઘટનાનું સ્થાન અને મહત્ત્વ નક્કી કરીને તેને સમાવવી એવું નક્કી કર્યું. સામગ્રીના વાંચનમાં ખાસ્સો સમય ગયો. અન્ય રસપ્રદ, પણ અન્ય વિષયની હોય એવી સામગ્રી વાંચવાની લાલચ ખાળતાં ઘણી મહેનત પડી. એ પછી ધીમે ધીમે આલેખનનો આરંભ કર્યો.

અમારા સૌનો એવો મત હતો કે એક વાર આલેખન થાય એ પછી વિદ્યાપીઠ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ એ ચકાસે, જેથી કોઈ હકીકતદોષ યા અન્ય ક્ષતિ નિવારી શકાય.

આરંભના ત્રણેક દાયકા વિદ્યાપીઠ અને રાષ્ટ્રિય પ્રવાહોને અલગ કરી શકાય એમ જ નહોતા. આથી એ વિગતોને સમાવવી જરૂરી હતી. ધીમે ધીમે રસ્તો નીકળતો ગયો અને આલેખન આગળ વધતું ચાલ્યું. આ દરમિયાન વચ્ચે કોરોના કાળ આવ્યો, લૉકડાઉન ઘોષિત થયું. પરિણામે થોડો વિલંબ પણ થયો. પાંચ દાયકાનું આલેખન પૂર્ણ થયું, તે સંપૂર્ણપણે વંચાઈ રહ્યું એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે પુસ્તકનું પ્રકાશન બે ભાગમાં કરવું. એટલે કે પચાસ પચાસ વર્ષના બે ભાગમાં વિભાજીત કરીને પુસ્તકને પ્રકાશિત કરવું. એ અનુસાર ગયા મહિને પહેલો ભાગ પ્રકાશિત થયો.

આ તબક્કે વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં કેટલાંક નામોનો ઉલ્લેખ જરૂરી છે. ડૉ. અશ્વિનકુમાર ચૌહાણનું આ કાર્ય સાથે મને સાંકળવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું. વિદ્યાપીઠમાં મારા માટે 'સીંગલ વિન્ડો કાઉન્ટર'ની ભૂમિકા ભજવનાર પ્રકાશન વિભાગનાં તૃપ્તિબેન આડેસરાને કારણે મારું કામ અત્યંત સરળ બની રહ્યું. બિંદુવાસિનીબેન જોશીએ તૈયાર કરેલી 'વિદ્યાપીઠની વિકાસયાત્રા'એ મારા માટે દીવાદાંડીનું કામ કર્યું. (હવે ભૂતપૂર્વ) કુલનાયક અનામિકભાઈ શાહ, (હવે ભૂતપૂર્વ) કુલસચિવ રાજેન્દ્રભાઈ ખીમાણી, (ભૂતપૂર્વ) કુલસચિવ ભરતભાઈ જોશી સાથેની વખતોવખત મુલાકાત દરમિયાન અનેક હકારાત્મક સૂચનોની આપ-લે થતી રહી. મંદાબેન પરીખે કાળજીપૂર્વક આખી હસ્તપ્રતને વાંચીને જરૂરી સુધારા-ઉમેરા સૂચવ્યા, જેને કારણે પુસ્તકની અધિકૃતતામાં ઉમેરો થયો.

પુસ્તકના આલેખનમાં મિત્ર પરેશ પ્રજાપતિ મદદરૂપ બની રહ્યા, તો ઉર્વીશ કોઠારીનો અંગત સંગ્રહ મને અનેક રીતે કામમાં આવ્યો.

પુસ્તકનું લેઆઉટ અને ડિઝાઈન વિદ્યાપીઠના જ યોગેશભાઈ પ્રજાપતિએ કર્યાં, તો જોડણીશુદ્ધિ હર્ષાબેન દવેએ ચીવટપૂર્વક કરી.

રાજમોહન ગાંધીએ પુસ્તકની સુયોગ્ય પ્રસ્તાવના લખી મોકલી, તો કુલપતિ ઈલાબેન ભટ્ટે પણ પુસ્તક માટે આવકારના પ્રોત્સાહક શબ્દો લખ્યાં.

આ સહુના સહિયારા પ્રયાસોના ફળરૂપે હવે આ પુસ્તક સૌ માટે સુલભ બન્યું છે. અલબત્ત, આ પુસ્તકનો પ્રથમ ખંડ છે, જેમાં 1920થી 1970નાં પ્રથમ પચાસ વરસોના ઈતિહાસને સમાવવામાં આવ્યો છે. દ્વિતીય ખંડનું આલેખન ચાલુ છે, અને ટૂંક સમયમાં એ પ્રકાશિત થશે. વિદ્યાપીઠમાં, ગાંધીવિચારમાં તેમજ કેળવણી સાથે સંકળાયેલા કે તેમાં રસ ધરાવતા સૌ કોઈને આ પુસ્તકમાં રસ પડશે.

પુસ્તકની વિગતો:

ક્રાંતિની કેળવણી, શતાબ્દીની સફર
(લેખન- સંપાદન: બીરેન કોઠારી)
પૃષ્ઠસંખ્યા: 200 + 16 (તસવીરોનાં પાનાં)
કિંમત: 250/-
પ્રાપ્તિસ્થાન:
પુસ્તક ભંડાર
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ- 380 014.
ફોન: 079- 400 162 69
ઈ-મેલ: gvpustakbhandar@gujaratvidyapith.org



Tuesday, November 23, 2021

જિસકા મુઝે થા ઈંતજાર....

મૃત્યુ એ જીવનનો અંત છે, સંબંધનો નહીં. એ સંબંધ બહુઆયામી અને અંતરંગ હોય ત્યારે તો ખાસ. વ્યક્તિ સદેહે હયાત ન હોય તો પણ તે અનેક રીતે સ્મૃતિમાં જીવિત રહે છે. એવું બને કે સદ્ગતની જન્મતારીખ કે અવસાનતિથિ જેવી ક્ષુલ્લક બાબતો યાદ ન પણ રહે. પણ અનેક નાનીનાની બાબતોમાં તેમની સ્મૃતિ એટલી અવિભાજ્ય બની રહી હોય કે તેને છૂટી પાડી ન શકાય. ચાહે એ કોઈ ફિલ્મી ગીત હોય, કોઈ વાનગી હોય કે પછી કોઈ ચોક્કસ બાબત પરની ટીપ્પણી. 'તુમ હોતે તો ઐસા હોતા'ની લાગણી સતત અનુભવાયા કરે.

હોમાય વ્યારાવાલાનું દેહાવસાન 15 જાન્યુઆરી, 2012ના રોજ, 98 વર્ષની પાકટ વયે થયું. તેમની સાથેનો મારો સંપર્ક બાર-તેર વર્ષનો. તેમની વિદાયને આઠ વરસ વીત્યાં, પણ એ તો સદેહે વિદાયને! સૂક્ષ્મરૂપે અમારી વાતોમાં અને બીજા અનેક પ્રસંગે તેમની હાજરી વરતાય છે.
દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર તરીકેનું સ્થાન મેળવનાર હોમાયબેનને તેમના જીવનના અંતિમ દસકામાં મારે સંપર્કમાં આવવાનું બન્યું. એક વિશિષ્ટ અનુબંધ રચાયો. અમારો સંબંધ પારિવારિક મૈત્રીમાં તબદીલ થયો અને તેમને નજીકથી જોવા, જાણવાની તક મળી.
તેમના મારા પર આવેલા પત્રો અહીં 'પેલેટ' પર પણ ઉપલબ્ધ છે. હકીકતમાં તેમની સાથેના મારા સંબંધને કે‍ન્દ્રમાં રાખીને એક પુસ્તક લખવાનું મારું આયોજન હતું.
એ જણાવતાં આનંદ થાય છે કે આખરે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે.
આ પુસ્તક પ્રથમ પુરુષ એકવચનમાં આલેખાયેલું છે, પણ એના કેન્દ્રમાં હું નહીં, હોમાય વ્યારાવાલા છે. અમારી મૈત્રી કેટલી ગાઢ હતી એ જણાવવાનો એનો ઉપક્રમ નથી, પણ એ ગાઢ મૈત્રીને કારણે તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં મને જોવા-જાણવા મળ્યાં તેના આલેખનનો હેતુ મુખ્ય છે. મારી ભૂમિકા કેવળ તેમની તસવીર લઈ રહેલા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેટલી જ છે.
વર્તમાન સમયમાં સિનીયર સિટીઝનોની એકલતાની સમસ્યા અતિશય ગંભીર બની રહી છે. એકલા હોવા છતાં, ખુમારી અને ખુદ્દારીપૂર્વક શી રીતે જીવી શકાય એ બાબત જાણવામાં આ પુસ્તક થકી કોઈને રસ પડે, દિશાસૂચન મળે તો આલેખનનો હેતુ સફળ. વધુ ને વધુ સિનીયર સિટીઝનો સુધી આ પુસ્તક પહોંચે તો ખુશી થશે. એ સિવાયના વયજૂથના લોકોને પણ હોમાયબેનના જીવનમાં રસ પડે અને રસપ્રદ વાંચનનો આનંદ મળે તો એ પણ મારા માટે આનંદની વાત હશે.
આ પુસ્તક વિશેની વિગતો નીચે પ્રશ્નોત્તરીરૂપે જણાવેલી છે.



****
'સાર્થક સ્મરણ શ્રેણી'ના દ્વિતીય પુસ્તક 'હોમાય વ્યારાવાલા' (તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ) વિશે પૂછતાં ખચકાટ થાય, છતાં જાણવી જરૂરી કેટલીક વિગતો:
- હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક માત્ર વયસ્કો અને સિનીયર સિટીઝનો માટે છે?
પુસ્તકના વાચકવર્ગનું એવું વર્ગવિભાજન શી રીતે કરી શકાય? સારા અને નક્કર વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને આ પુસ્તકમાં રસ પડે એમ છે.
- નવી પેઢી આ પુસ્તક શા માટે વાંચે?
પેઢી કોઈ પણ હોય, જીવાયેલા જીવનમાં, વ્યક્તિની જીવંતતામાં રસ હોય એવી કોઈ પણ પેઢીની વ્યક્તિને આ પુસ્તકમાં રસ પડશે.
- આમાં તો બધી જૂની જૂની વાતો હોવાની. જૂનું ચગળ્યા કરીને શો ફાયદો?
દેશનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાની તસવીરકાર તરીકેની કારકિર્દી એકદમ ઝળહળતી હતી. હજી આજે પણ આ ક્ષેત્રે મર્યાદિત મહિલાઓ જોવા મળે છે, તો ચાળીસી, પચાસ અને સાઠના દાયકામાં તેમણે શી રીતે કામ કર્યું એ જાણવામાં કોને રસ ન પડે?
- એટલે આ પુસ્તક દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફરની જીવનકથા છે? એના પેટાશિર્ષકમાં તો 'તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ' લખેલું છે!
ના, આ પુસ્તક એમની સંપૂર્ણ જીવનકથા નથી. હા, એમની કારકિર્દીનાં વર્ષોનો એ હિસ્સો પૃષ્ઠભૂમિ તરીકે આલેખાયેલો છે ખરો, પણ પુસ્તકના કેન્દ્રમાં તેમનાં જીવનનાં અંતિમ દાયકાની વાત છે. તેમની સાથેનાં સંભારણાંનું આલેખન છે.
- એ તો લેખકનાં અંગત સંભારણાં હશે. એમાં કોઈને શો રસ પડે?
એ લેખકનાં અંગત સંભારણાં ચોક્કસ ખરાં, પણ એનો ઉપક્રમ મહિમાગાનનો કે એમની સાથેના પોતાના સંબંધની ઘટ્ટતા બતાવવાનો નથી. અહીં લેખકની ભૂમિકા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેવી છે કે જેણે પોતાના એન્ગલથી હોમાયબેનની છબિ દેખાડી છે.
- તો પણ, એમાં કોઈને શું કામ રસ પડે?
આવી ઝળહળતી કારકિર્દીના સમાપન પછી અતિશય દીર્ઘ જીવન જીવી ગયેલાં હોમાયબેને શી રીતે પોતાનો જીવનરસ ટકાવી રાખ્યો, એક નહીં, બન્ને પગ કબરમાં લટકી રહ્યા હોય એવી અવસ્થાએ શી રીતે તેઓ જીવનને સંપૂર્ણપણે માણતાં, એકલાં હોવાને કારણે તેમની વ્યાવહારિક મુશ્કેલીઓ શી હતી, અને એમાંથી તેઓ શી રીતે ઊકેલ કાઢતાં, આ અંતિમ અવસ્થાએ તે ફરી પાછાં પ્રસારમાધ્યમોમાં ઝળકવા લાગ્યાં એ સમયગાળાનું હેતુલક્ષી દૃષ્ટિએ મૂલ્યાંકન- વગેરે અનેક બાબતો અને પાસાં આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
- તો તો આ પુસ્તક આપણા કોઈ વડીલને ભેટ આપી શકાય.
હા, વડીલને ભેટ ચોક્કસ આપી શકાય. કેમ કે, એમાં કોઈ ઉપદેશાત્મક કે હકારાત્મક વાતોને બદલે જીવનની વાસ્તવિકતા સાથે સંકળાયેલી, આપણા જેવી જ એક વ્યક્તિની નક્કર વાતો છે. પણ એનો અર્થ એવો નથી કે એ માત્ર વડીલોને ભેટ આપવા માટે જ છે. યુવાનોને રસ પડે એવું ઘણું બધું આમાં છે, અને વ્યાવસાયિક કારકિર્દીના સમાપન પછીના જીવન માટેની મૂલ્યવાન ટીપ્સ પણ એવા કશા દાવા વિના એમાં સમાવાયેલી છે.
- ઓકે. આ પુસ્તક અંગેની વિગતો?
- પૃષ્ઠસંખ્યા: 6+130 = 136, પુસ્તકની કિંમત: રૂ.125/-, વળતર સાથેની કિંમત: રૂ. 110/- (ભારતભરમાં શિપિંગ ફ્રી), દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમત: રૂ. 90/-
પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ ફોન/વૉટ્સેપ: 98252 90796

Monday, November 22, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (16)

 હોમાય વ્યારાવાલા સાથેનાં મારાં સંભારણાં થકી ઉપસતી તેમની શબ્દછબિ હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ ચૂકી છે. પુસ્તકમાં એવી ઘણી અંગત બાબતો છે કે જેનો ઉલ્લેખ જાણીજોઈને ટાળ્યો છે, કેમ કે, પુસ્તકનો ઉપક્રમ અમારા સંબંધોનું માહાત્મ્ય કરવાનો બિલકુલ નથી, બલકે હોમાયબેનના મિજાજને દર્શાવવાનો છે. આથી જ પુસ્તક આવતાં અગાઉ તેમના મારા પર આવેલા વિવિધ પત્રો તેના યોગ્ય સંદર્ભ સાથે અહીં મૂકતો રહ્યો છું.

આ અગાઉની પોસ્ટમાં મૃત્યુ સંબંધે તેમના વિચારો મૂક્યા હતા. એ જ કાગળની બીજી બાજુએ તેમણે પોતાના દેહના અંતિમ સંસ્કાર બાબતે પોતાની ઈચ્છા લખી રાખી હતી. ભાઈ પરેશ પ્રજાપતિ સાથે એ લખાણ હતું.
તેમના પત્રોની શ્રેણીમાં આ લખાણ છેલ્લું હશે એમ અત્યારે લાગે છે.
મૂળ અંગ્રેજી લખાણનો અહીં ગુજરાતી ભાવાનુવાદ મૂકું છું.
મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા
"હું, હોમાય વ્યારાવાલા, ઉ.વ.96, મારા સંપૂર્ણ સાબૂત તનમનથી મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા, તેનો આદર કરવામાં આવશે એ આશાએ અહીં લખી જણાવું છું.
મૃતદેહની સંભાળ લેવા માટે ગીધો હયાત હતાં ત્યાં સુધી મારા મૃતદેહને દોખ્મા(પારસી સ્મશાનભૂમિ)માં મૂકવા સામે મને કશો વાંધો ન હતો. હવે સૂર્યનાં પરાવર્તિત કિરણો થકી મૃતદેહના નિકાલની નવી પ્રણાલિ થોડા મહિનાઓથી પ્રચલિત બની છે. તેમાં મૃતદેહ સડેલી અવસ્થામાં પડ્યો રહે છે અને એ રીતે આસપાસના વિસ્તારને એ પ્રદૂષિત કરે છે. મૃતક કોઈક ચેપી રોગથી મર્યા હોય તો આ બહુ મોટું જોખમ રહે છે. આ વિચાર જ કમકમાટી ઉપજાવે એવો છે.
કોઈ પણ સંજોગોમાં મારા મૃતદેહને આ પરાવર્તકો (રિફ્લેક્ટર)તળે મૂકવામાં ન આવે, કે દિલ્હીમાં કરવામાં આવે છે એમ તેને દફનાવવામાં ન આવે. જે પણ શહેરમાં મારું મૃત્યુ થાય એ શહેરના માન્ય સ્મશાનગૃહને તેની સોંપણી કરવામાં આવે.
મારી ઈચ્છાનું પાલન કરવામાં કોઈ વ્યક્તિ કે ધર્મગુરુને વાંધો હોય તો મારી અંતિમ વિધિથી તે દૂર રહે અને આ બાબતે તેઓ કશો વાદવિવાદ ખડો ન કરે એવી વિનંતી.
આ પરાવર્તકો મૂક્યા છે એ પારસી પંચાયતના જ કેટલાક સભ્યો અને ખુદ સેક્રેટરી તેમજ અન્ય એક ટ્રસ્ટીએ મૃતકના નિકાલની આ નવી પ્રણાલિનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે અને પોતાના મૃતદેહને વડોદરાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે પોતાનાં સ્વજનોને હવાલે કરેલો છે."
હોમાય વ્યારાવાલા
17.6.06


Friday, October 15, 2021

'પ્રભુ'ની વિદાય

આજે સવારે જ શ્રી જગદીશ પટેલ દ્વારા સમાચાર મળ્યા કે રમેશ પટેલે વિદાય લીધી. જગદીશભાઈના તો એ મોટાભાઈ. હવે તો જગદીશભાઈ સાથે મિત્રતા કહી શકાય એવા સંબંધ છે, પણ રમેશ પટેલનો પરિચય મને તેમનાથી પહેલાં થયેલો.

પરોક્ષ પરિચય રજનીકુમાર પંડ્યાએ તેમના વિશે લખેલા લેખ થકી હતો જ. લંડનમાં શુદ્ધ ગુજરાતી ભોજન પીરસતી હોટેલ 'મંદિર'ના સંચાલકનો પરિચય કરાવતો એ લેખ રજનીકુમારની 'રંગતરંગ'ની કોલમ 'ખોલો બંધ પટારા'માં પ્રકાશિત થયેલો. એ રીતે રમેશ પટેલ સ્મૃતિમાં હતા. એ પછી તેઓ ભારત આવીને, વડોદરા ખાતે વસ્યા એની મને ખબર નહોતી. શ્રી નવનીતભાઈ મદ્રાસીની જીવનકથાના મેં લખેલા પુસ્તક 'પડકાર સામે પુરુષાર્થ' નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રમેશભાઈ પહેલી વાર મળ્યા ત્યારે રજનીકુમાર પણ એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. એ વખતે મને ખબર પડી કે આ 'મંદિર'વાળા જ રમેશભાઈ.

એક કૉમન મિત્ર થકી અકોટા વિસ્તારમાં રહેતા રમેશભાઈને ત્યાં પણ પછી જવાનું બન્યું. ત્યારે ધ્યાને આવ્યું કે રમેશભાઈનું પ્રિય સંબોધન 'પ્રભુ' છે. એ કહે, 'પ્રભુ, આપણે તો મળેલા છીએ. તમારા કાર્યક્રમમાં...' આમ અમારો પરિચય દ્વિપક્ષી થયો, પણ એ આગળ વધવામાં નિમિત્ત બન્યા બીજા એક મિત્ર રાજેશ દાણી. રાજેશ દાણીએ એક વાર રજનીકુમારને ફોન કર્યો અને જણાવ્યું કે તેમના એક મિત્રની જીવનકથાનું આલેખન કરાવવું છે. રજનીકુમારે રાજેશભાઈને જણાવ્યું કે તે મારો સંપર્ક કરે, કેમ કે, હું પણ વડોદારામાં જ છું. એ પછી રાજેશભાઈનો ફોન આવ્યો, તેમણે વિગતે વાત કરી, અને અમે એક નિર્ધારીત દિવસે મળવાનું ઠરાવ્યું. ત્યાં સુધી ન મેં પૂછેલું કે ન તેમણે જણાવેલું કે કોની જીવનકથાનું આલેખન કરાવવાનું છે. અમે બન્ને નિયત સ્થળે મળ્યા અને આગળ વધ્યા. એક પરિચીત સોસાયટીમાં પ્રવેશ્યા એટલે મેં રાજેશભાઈને પૂછ્યું, 'આપણે રમેશભાઈને ત્યાં જવાનું છે?' રાજેશભાઈ કહે, 'તમે એમને જાણો છો?'
આમ, એ મુલાકાત સરળ રહી. 'પ્રભુ'ની જીવનકથા એકદમ ચડાવઉતારવાળી હતી. તેમને એનું આલેખન પણ વ્યાવસાયિક ઢબે કરાવવું હતું. એ પહેલી મુલાકાત પછી મેં તેમને વિગતે રૂપરેખા મોકલી આપી. એ પછી અમારી વધુ એક મિટિંગ થઈ. 'પ્રભુ'એ મારી તમામ બાબતો મંજૂર રાખેલી, પણ તેમણે મને નિખાલસભાવે પૂછેલા પ્રશ્નના જવાબમાં મેં પણ એવો જ જવાબ આપતાં એમને જણાવ્યું કે આ પુસ્તક પ્રકાશિત કર્યા પછી એના વેચાણમાંથી એનો નિર્માણખર્ચ નીકળી રહે એ અહીં શક્ય નથી. એ પછી અમે થોડો વિચારવિમર્શ કર્યો, અને આખરે એ પ્રકલ્પ પડતો મૂકવાનું નક્કી કર્યું. પણ એ પછી અમારી વચ્ચેનો પરિચય વધુ ગાઢ બન્યો. મેં સામે ચાલીને તેમને આપેલા વાસ્તવિક સૂચનને કારણે કદાચ તેમને મારા માટે એક વિશેષ ભાવ થઈ આવ્યો એમ મને લાગતું.
હાડોહાડ સંગીતપ્રેમી એવા રમેશભાઈએ પોતાના બંગલામાં એક હૉલ બનાવેલો, જેનું નામ 'બૈજુ બાવરા- તાના રીરી હૉલ' હતું. એમાં દર સપ્તાહે નિયમિતપણે ગીતસંગીતના કાર્યક્રમ થતા. દોઢસો એક શ્રોતાઓની ક્ષમતાવાળો એ હૉલ પૂરેપૂરો ભરાઈ જતો. અમારા મહેમદાવાદી મિત્ર- કવિ અને સંગીતકાર મયંક ઓઝાનો કાર્યક્રમ પણ એક વાર એમાં યોજાયેલો.



રમેશભાઈ પોતે કવિ હતા. તેમનો મુખ્ય રસ પ્રકૃતિ અને અધ્યાત્મનો. તેમણે પોતે લંડન હતા ત્યારે 'હૃદયગંગા' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલો. પોતાના હૉલમાં યોજાતા કાર્યક્રમ વિશે એક વાર મેં વાતવાતમાં કહેલું, 'તમારે ત્યાં યોજાતા કાર્યક્રમ સેન્ડવીચ જેવા હોય છે.' એ કહે, 'પ્રભુ, સમજાવો. આમાં સમજણ ન પડી.' મેં કહ્યું, 'વચ્ચેનો સ્ટફ બદલાતો જાય, પણ કાર્યક્રમના આરંભે અને અંતે તમારું જ ગીત હોય.' આ સાંભળીને એ હસી પડ્યા. કાર્યક્રમનો આરંભ અને અંત 'હું તો નદી બનીને દોડું, જે તરસ્યા હો તે આવો' ગીતના સમૂહગાનથી થતો, અને ઉપસ્થિત શ્રોતાઓમાં તેનો પાઠ અપાતો.
'કુશલ ફાર્મસી'વાળા ડૉ. કિશોરભાઈ ઠક્કુર પણ તેમના મિત્ર. ઠક્કુરસાહેબના દવાખાને અમસ્તા વાતો કરવા મારે પણ જવાનું બનતું. એ રીતે વધુ એક પરિમાણ અમારા પરિચયમાં ઉમેરાયું. એક વખત ડૉ. કિશોરભાઈ, રમેશભાઈ અને મેં- સુરત ઉપાડી. ડૉ. કિશોરભાઈની તીવ્ર ઈચ્છા કે.કે.સાહેબને મળવાની હતી. એ અરસામાં જ પ્રકાશિત મારા દ્વારા સંપાદિત પુસ્તક 'ગુઝરા હુઆ જમાના' તેમણે સાદ્યંત વાંચેલું. અમે નક્કી કરીને સુરત ઉપડ્યા અને રોહિતભાઈ મારફતિયાની 'વીન્ટેજ વેટરન્સ'માં હાજરી આપી. કે.કે.સાહેબ પણ ત્યાં જ મળી ગયા. સુરત જતાં અને આવતાં રમેશભાઈનું સાન્નિધ્ય મળ્યું. તેમનાં ગીતો સાંભળવા મળ્યાં. તે 'પ્રેમોર્મિ'ના ઉપનામથી ગીતો લખતા હતા.
થોડા સમય પછી વળી તેમણે મને યાદ કર્યો. તેમનાં ગીતોનાં પુસ્તક 'હૃદયગંગા'ની સર્જનયાત્રા તેમણે છૂટકછૂટક લખી હતી. એ તમામ સામગ્રી તેમણે મને આપી અને એનું શું થઈ શકે એ વિશે અમે ચર્ચા કરી. એ સામગ્રી વાંચતાં જ એનો નકશો મારા મનમાં સ્પષ્ટ થયો. એનું સંપાદન કરીને, એને પ્રકરણવાર મૂકવાનું મેં સૂચન કર્યું એટલે રમેશભાઈ કહે, 'પ્રભુ, હવે એ તમે જાણો કે શું કરવાનું છે. બસ, તમને આપ્યું.' સામાન્ય રીતે વ્યાવસાયિક બાબતોની અગાઉથી ચર્ચા કરીને હું એમાં આગળ વધવાનું નક્કી કરતો હોઉં છું. પણ 'પ્રભુ' પાસે એ થાય?
એ પુસ્તકમાં તેમને એ પુસ્તક નિમિત્તે મળેલા પ્રતિભાવો, તેમણે પોતે ચીતરેલાં ચિત્રો પણ અમે મૂક્યાં. એ પુસ્તકનાં પ્રકરણોનું વિભાજન ગંગોત્રીથી ગંગાસાગરની ગંગાની સફરમાં આવતાં તીર્થ મુજબ કર્યું એ જાણીને તે બહુ રાજી થયા હતા.


સંગીત બાબતે તેઓ અનેક પ્રયોગો કરતા રહેતા હતા. ભારતીય સંસ્કૃતિ વિશેના તેમના પોતાના ખ્યાલ હતા.


જો કે, થોડા સમયમાં તેમણે વડોદરા ખાતેનો બંગલો વેચીને પોતાના વતન કરમસદમાં સ્થાયી થવાનું નક્કી કરેલું. એ સાંભળીને અનેક લોકોને પોતાનું એક ઠેકાણું વિલાઈ રહ્યું હોવાનું લાગેલું.
કરમસદમાં તેમણે નવેસરથી મકાન તૈયાર કરાવ્યું અને એમાં પણ સંગીતના કાર્યક્રમ યોજવાના શરૂ કરેલા. ત્યાં ગયા પછી અમારો સંપર્ક પ્રમાણમાં ઓછો રહ્યો, પણ અમુક અંતરાલે 'શું ચાલે છે, પ્રભુ!' પૂછતા તેમના ફોન આવતા રહેતા.
થોડા દિવસો અગાઉ જગદીશભાઈ સાથે વાત થતાં જાણ થઈ કે રમેશભાઈને દવાખાનામાં દાખલ કરેલા છે. એ પછી તેમના એક મિત્રે મને સમાચાર આપ્યા કે રમેશભાઈને બ્રેઈન હેમરેજ થયું છે. એ જ ક્રમમાં આજે જગદીશભાઈએ તેમના દેહાવસાનના સમાચાર આપ્યા.
રમેશભાઇનાં સંતાનો વિદેશમાં છે. અહીં તેમનો પરિવાર વિસ્તૃત હતો. કેટલાય સંગીતપ્રેમીઓને, મારા જેવા મિત્રોને તેમની વિદાયથી એક સ્વજન ગુમાવ્યાની અનુભૂતિ થશે. 
સ્વર્ગના પ્રવેશટાણે જ રમેશભાઈ કહેશે, "આવી ગયો છું, પ્રભુ!" અને પ્રભુ કહેશે, "ભલે પધાર્યા, પ્રભુ!"

Friday, October 1, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (15)

વાસ્તવદર્શિતાની દૃષ્ટિએ એકદમ કઠોર કહી શકાય એવાં હોમાય વ્યારાવાલાએ પોતાના મૃત્યુ બાબતે ન વિચાર્યું હોય એમ બને? પારસીઓની પરંપરાગત અંતિમ વિધિની તેમની ઈચ્છા નહોતી. એનું કારણ એમના મતે સ્પષ્ટ હતું. ગીધની સંખ્યા ઘટી રહી હોવાને કારણે પોતાનો દેહ એમને કામમાં આવે નહીં, અને એ પડ્યો પડ્યો સડતો રહે. તેને બદલે અગ્નિસંસ્કાર બહેતર ગણાય. અલબત્ત, એક તબક્કે મારાં ઘરનાં સભ્યોએ (કનુકાકા, પપ્પા, મમ્મી, ઉર્વીશ અને સોનલ) દેહદાન માટેનું ફોર્મ ભર્યું એ અંગે તેમને મેં જણાવ્યું. તેમને પણ એ યોગ્ય લાગ્યું. આથી તેમણે મારી પાસે એ ફોર્મ મંગાવ્યું અને ભર્યું પણ ખરું. જો કે, એ પછી કયા કારણસર એ ફોર્મ સંબંધિત સ્થળે ન મોકલાવ્યું એ અત્યારે હું ભૂલી ગયો છું.

પરેશ પ્રજાપતિની તેમની સાથેની નિકટતા વધી એ પછી એક સમયગાળો એવો હતો કે તે પોતાના અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ અંગે તેની સાથે વાત કરતાં રહેતાં. આ વાત પરેશ માટે જીરવવી બહુ કપરી હતી. જો કે, હોમાયબેન બહુ હેતુલક્ષિતાપૂર્વક, જરાય લાગણીશીલ થયા વિના એ વાત કરતાં. એ અરસામાં તેમણે બે લખાણનો મુસદ્દો લખી રાખેલો, જેને તેમણે એ પછી સહેજ ફેરફાર સાથે વીલમાં સમાવેલો. એક મુસદ્દો હતો પોતાના અંતિમ સમય વિશેનો, જ્યારે બીજો મુસદ્દો હતો પોતાના અંતિમ સંસ્કાર અંગેનો.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા એમાંના એક મુસદ્દાનો ગુજરાતી અનુવાદ અહીં મૂકું છું.

"હું, હોમાય વ્યારાવાલા, આ મારા સ્વસ્થ અને સાબૂત તનમન સાથે લખી રહી છું.

મને મૃત્યુનો ડર નથી, મને ડર છે પીડાનો. મારા જીવનની અંતિમ ક્ષણો દરમિયાન મારે પીડાનો ભોગ બનવાનું આવે અને મારી મેળે નિર્ણય લેવાની સ્થિતિમાં હું ન હોઉં તો દવા તરીકે કેવળ પેઈનકીલર્સ આપીને, જીવન લંબાવતાં આધુનિક ઉપકરણોના ઉપયોગ વિના, ગરિમાપૂર્ણ મૃત્યુની હું વિનંતી કરું છું.

મને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં ન આવે, પણ કૅરટેકરની મદદથી ઘેર જ સારવાર કરવામાં આવે. તેનો તમામ ખર્ચ તેમજ મારા દેહની અંતિમ વિધિનો ખર્ચ મારી સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે.

મારા મૃત્યુ બાદ મારા દેહના નિકાલ માટે તેને કોઈ માન્ય સ્મશાનગૃહે લઈ જવામાં આવે. પણ એમ કરતાં અગાઉ કોઈ ડૉક્ટરનો સંપર્ક કરીને એ તપાસવામાં આવે કે મારું કોઈ અંગ પ્રત્યારોપણ માટે ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ. યોગ્ય લાગે તો એ લેવું.

મારા મૃત્યુ બાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય તો એને એક વર્ષના ગાળામાં જ સંપન્ન કરવી- એ પછી કશું જ નહીં.

મારી ઈચ્છાઓને માન આપશે એમને મારો અંતરાત્મા આશીર્વાદ આપશે.

હોમાય વ્યારાવાલા

-------------------

17-6-06


No photo description available.

Monday, September 20, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (14)

 ગુજરાતી બોલીઓ અનેક છે, જે પ્રદેશ, જાતિ અને વર્ગ મુજબ પણ આગવી હોય છે. પારસીઓ દ્વારા ચલણી બનેલી ગુજરાતી બોલી એ જ રીતે આગવી તરી આવે છે. તેમની બોલવાની લઢણને લીધે એ સાંભળવી ગમે છે, મીઠી લાગે છે. અમુક શબ્દપ્રયોગો તેમની ખાસિયત હોય છે, તો અમુક શબ્દપ્રયોગો તેમની ધારી લેવાયેલી ખાસિયત હોય છે, જે ફિલ્મો યા નાટકોને કારણે 'સ્ટીરિયોટાઈપ' બની રહે છે. જેમ કે, પારસીઓ સંબોધનમાં 'ડીકરા', કે 'ડીકરી'નો ઉપયોગ કરતા બતાવાય છે. એ કેટલું સાચું એ ખબર નથી, પણ મેં હોમાય વ્યારાવાલાને મોંએ કદી એ સંબોધન સાંભળ્યું નથી.

ઘણા શબ્દો એવા હતા કે જે તેમના મોંએ અમે પહેલી વાર સાંભળેલા. 'મગજમારી'ને બદલે તે 'મસ્તકમારી' કહેતાં. 'મગજ' કે 'દિમાગ'ને બદલે તે 'ભેજું' બોલતાં. તેમના ગુજરાતી ઉચ્ચારો મજા આવે એવા, પણ અંગ્રેજી ઉચ્ચારો એકદમ શુદ્ધ. એમણે મને ગુજરાતીમાં પત્ર લખ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તે 'કોઠારી'ને બદલે 'કોથારી' બોલતાં હશે, કેમ કે, સામાન્ય વ્યવહારમાં સંબોધનની જરૂર પડતી નહીં, અને પડે તો 'બીરેનભાઈ'થી કામ ચાલી જતું.
એક વાર અમે પરસ્પર નક્કી કરી લીધું કે એ અમને કામ સોંપે અને અમારે એ કરવાનું છે, એટલે સાથે અમે (મેં અને કામિનીએ) એ પણ શરત મૂકી કે એમણે અમને 'થેન્ક્સ' કહેવું નહીં. એવું આછું આછું યાદ આવે છે કે મેં એમ પણ કહેલું કે તે જેટલી વાર મને 'થેન્ક્સ' કહે એની ડાયરીમાં અમે અલગથી નોંધ રાખીશું, અને એનો વધારાનો ચાર્જ વસૂલીશું. આ શરત પરસ્પર નક્કી થયા પછી પણ શરૂ શરૂમાં એવું થતું કે એ આદતવશ 'થેન્ક્સ' બોલી જતાં, અને બોલી દીધા પછી તરત ખ્યાલ આવતાં એટલે દાંત તળે જીભ દબાવીને જાણે કે પોતાનાથી ભૂલ થઈ ગઈ છે એનો એકરાર કરતાં. અમે એમને કહેતાં, 'ચાલો, આનો ચાર્જ નહીં ગણીએ, બસ?' એટલે એ ફરી પાછાં આદતવશ 'થેન્ક્સ' કહેતાં અને અમે બધાં ખડખડાટ હસતાં. આ ક્રમ મોટે ભાગે અમે જવા માટે ઊભા થઈએ અને તે અમને વિદાય આપવા માટે દાદર સુધી આવે ત્યાં સુધીનો રહેતો. એને કારણે બેય પક્ષ બહુ પ્રસન્નતાપૂર્વક છૂટા પડતા.
અહીં એક પત્ર મૂક્યો છે, જે હોમાયબહેને ગુજરાતીમાં લખ્યો છે. તેમના ગુજરાતી અક્ષરો, ગુજરાતી શબ્દો અને જોડણી રસ પડે એવી છે. એની સાથેસાથે 'થેન્ક્સ' ન કહેવાના નિયમનું પાલન કરીને તેમણે શી રીતે સૌજન્ય જાળવ્યું છે એ પણ મઝાનું છે.

Saturday, September 18, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (13)

 પોતે એક ફોટોગ્રાફર રહી ચૂક્યાં હોવાને નાતે હોમાય વ્યારાવાલાનો આગ્રહ એવો રહેતો કે પોતે લીધેલી તસવીરમાં દેખાતી વ્યક્તિ હંમેશાં ગરિમાપૂર્ણ જ લાગવી જોઈએ. એટલે કે કોઈ એવા એન્ગલથી તસવીર લેવાઈ ગઈ હોય અને એમાં જે તે વ્યક્તિનો ચહેરો કે મુદ્રા વિચિત્ર યા કઢંગાં હોય તો એ તસવીર પ્રકાશિત કરવી નહીં, યા આપવી નહીં. વિયેટનામના ક્રાંતિકારી નેતા હો ચિ મિન્હ ભારતની મુલાકાતે આવેલા. એ વખતે તે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ અને વડાપ્રધાન નહેરુની વચ્ચે ચાલતા હોય એવી એક તસવીર હોમાયબેને ખેંચેલી. તસવીર લીધા પછી તેમણે જોયું કે વાત કરતાં કરતાં નહેરુની હથેળીની મુદ્રા એવી દેખાતી હતી કે જાણે એ હો ચિ મિન્હની દાઢી ખેંચી રહ્યા હોય. સાથે જ હો ચિ મિન્હના ચહેરાના હાવભાવ પણ બરાબર નથી. એટલે કે જાણે તેમની દાઢી ખેંચાઈ રહી હોય એમ લાગે છે. આ તસવીર તેમણે પ્રકાશિત કરી નહીં અને પોતાની પાસે જ રાખી મૂકી. 

(ડાબેથી) રાજેન્‍દ્ર પ્રસાદ, હો ચિ મિન્‍હ, નહેરુ 

સામેની વ્યક્તિની ગરિમા હણાય નહીં એવી તસવીરો લેવાનો તેમનો આગ્રહ હતો એવો જ આગ્રહ તેમનો પોતાની તસવીર માટે પણ રહેતો. તેમની મુલાકાતે આવેલી વ્યક્તિ તેમની તસવીર લેવા ઈચ્છે તો એ ઊભા થતાં, અંદર જઈને વાળ સરખા કરી આવતાં અને વસ્ત્રને પણ સરખા કરીને પછી જ તસવીર લેવા દેતાં. 'ટાઈમ્સ'ના એક પત્રકારે તેમની લીધેલી એક તસવીરથી તે એવા અકળાઈ ગયેલાં કે તંત્રીને પત્ર લખીને જાણ કરેલી કે આ તસવીરમાં હું annoyed (ત્રસ્ત) હોઉં એમ જણાય છે. હું એવી હોઈશ તો પણ તમારા ફોટોગ્રાફરે લીધેલી આ તસવીરથી. આ તસવીર જોઈને મને લાગે છે કે તમારા અખબારને વૃદ્ધો પ્રત્યે કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી.

તેમના વિશે મેં લખેલા એક લેખ સાથે મારે કેટલીક તસવીરો લેવાની હતી ત્યારે અમે અગાઉથી નક્કી કરીને ગયેલાં, જેથી તેઓ તૈયાર રહી શકે. એ સમયે મેં તેમની જુદી જુદી મુદ્રામાં તસવીરો લીધેલી અને તેમણે એમાં પૂરો સહયોગ આપેલો. એ વખતે તો કેમેરા ડીજીટલ નહીં, પણ રોલવાળો હતો. આ તસવીરો એમને બહુ ગમી.
એ પછી તેમને ક્યાંય તસવીર મોકલવાની જરૂર પડે તો આ તસવીર જ મોકલતાં. તેમણે લખેલા આ પત્રમાં આ તસવીરો વિશેનો ઉલ્લેખ, તેમની મુદ્રા જેવા સૌજન્ય અને મજાકની સાથે જોઈ શકાય છે.


મૂળ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
બોમ્બે પારસી પંચાયત ભારતના તેમજ વિશ્વભરના મહત્ત્વના પારસીઓ વિશે એક સચિત્ર ગ્રંથ તૈયાર કરી રહી છે.
તેમણે મને લેખની સાથે મારી બે રંગીન તસવીરો મોકલવાની વિનંતી કરી છે. થોડા દિવસ અગાઉ તમે લીધેલી એ સિવાય મારી પાસે મારી કોઈ રંગીન તસવીરો નથી, આથી મારી કાર આગળ હું ઊભેલી છું એ તસવીરની બે સારી, રિપ્રોડ્યુસ થઈ શકે એવી નકલ મોકલવાની વિનંતી કરી શકું?
બીજું કે તમે મારા અધિકૃત તસવીરકાર બની શકો અને મારાં થોડાં રંગીન પોર્ટ્રેટ લઈ આપો તો હું ઉપકૃત થઈશ. અને આ બધું ચુસ્તપણે ચૂકવણીની શરતે- એમાં કોઈ કમિશન મંજૂર રાખવામાં નહીં આવે.
પંચાયતને આ તસવીરો તાકીદે જોઈતી હોવાથી આ અસાઈનમેન્ટ માટે તમે થોડો સમય ફાળવી શકશો?
આભાર. તમે ક્યારે એ કરી શકશો એ જણાવવા વિનંતી.
શુભેચ્છાઓ
સાથે,
હોમાય વી."
(પત્ર નીચે મૂકેલો છે)
'કમિશન'ને લગતી મજાક તેમની ગમતી મજાક હતી. આ પત્રમાં પણ એ તેમણે કરેલી જોઈ શકાય છે. 'તમારું કમિશન કેટલું?', 'કમિશન આપવામાં નહીં આવે', 'નો કમિશન પ્લીઝ' વગેરે વાક્યો તે વાપરતાં અને અમે એ મુજબ તેના જવાબ આપતાં.
'કમિશન કંઈ તમને ઓછું કહેવાનું હોય?', 'અમારે તો કમિશન બારોબાર જમા થઈ જાય. તમારી દેખતાં ન લઈએ.', 'ચાલો, આ વખતે કમિશન જતું કર્યું, બસ?' જેવા જવાબો અમે આપતાં અને એ રમૂજનું વર્તુળ પૂરું કરતાં.
કાર સાથે તેમની તસવીર અહીં મૂકી છે સિવાયની પણ એક છે. તેમણે કદાચ આ જ તસવીરની વાત કરી હશે એમ માનું છું.

Friday, September 17, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (12)

 સર્જનને આપણે બહુ સાંકડી વ્યાખ્યામાં કેદ કરી દીધું છે. સાહિત્યિક કે કળાકીય સર્જનને જ આપણે સામાન્ય રીતે સર્જન ગણતા હોઈએ છીએ. હોમાય વ્યારાવાલાનો અભિગમ સર્જનશીલ હતો એમ હું કહું ત્યારે એ બાબત પર મારે ખાસ ભાર મૂકવો રહ્યો કે તેમનામાં કલા, કસબ અને કારીગરી આ ત્રણે બાબતોનો જૂજ સંગમ હતો. આ ત્રણે શબ્દો વચ્ચે ઘણો ભેદ છે.

અન્ય કામ માટે લવાયેલી, અને એ ક્ષેત્રે તેનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી ઘરમાં જ રહેલી ચીજોનો કળાત્મક ઉપયોગ શી રીતે કરવો એની તેમને જબ્બર સૂઝ હતી. જેમ કે, તેમની પાસે કેમેરાનો એક ટ્રાયપોડ હતો, જેના પાયા લાકડાના (કદાચ વાંસના) હતા. એ ખાસ્સો ભારે હતો. તેનો ઉપયોગ હવે તેમને રહ્યો નહોતો. આથી એ જ ટ્રાયપોડ પર તેમણે તેને અનુરૂપ એક કૂંડું મૂક્યું હતું, જેમાં ઉગાડેલી મનીવેલ નીચે લટકતી હતી. મનીવેલ મને આનાથી સુંદર બીજે ક્યાંય જોવા મળી નથી.
તેમને ક્રોશે સરસ ફાવતું અને પોતાનાં જૂનાં સ્વેટર કે અન્ય ગરમ કપડાં તે જાતે જ રીપેર કરતાં. ક્રોશે માટેના સળિયા પણ તે જાતે જ વાળીને પોતાના ખપ મુજબ બનાવતાં.
તેમની પાસે તમામ પ્રકારનાં સાધનો હતાં. પોતાના મકાનના પ્રવેશદ્વાર જેવી ઝાંપલી તેમણે કરવત વડે કાપીને, તેને તારની ફ્રેમમાં એ રીતે તૈયાર કરી હતી કે ધીમે ધીમે પેલાં લાકડાં ઢીલાં થવા લાગ્યાં તો પણ તારની ફ્રેમે તેને પકડી રાખેલાં.
તેમનો એક મુખ્ય શોખ અવનવી વાનગીઓ બનાવવાનો હતો. આ વાનગીઓમાં તે તાર્કિક રીતે અખતરા કરતાં અચકાતાં નહીં. ક્યારેક અમે તેમને ઘેર જઈએ અને ચા પીએ તો એનો સ્વાદ એટલો અદ્ભુત હોય કે મઝા આવી જાય. ચા સાથે ક્યારેક તેમની બનાવેલી ફ્રૂટ કેક પણ હોય. લીંબુ કે નારંગીનાં ફોતરાં તે સાચવી રાખતાં. તેને તડકે સૂકવતાં. આ છોતરાંને ગરમ પાણીમાં ઉકાળવાથી તેની તૂરાશ જતી રહે અને તેને ઉપયોગમાં લઈ શકાય એવું તેમણે કહેલું. આ રીતે સૂકવેલાં છોતરાંનો તે ચામાં ઉપયોગ કરતાં. નારંગી અને લીંબુંનાં છોતરાનાં લાંબા અને પાતળા ટુકડા કરીને તેને એક શીશીમાં ચાસણીમાં બોળીને બંધ કરતાં અને તડકે મૂકતાં. એ રીતે તૈયાર થયેલી માર્મલેડ તે બ્રેડ સાથે ખાતાં. તેમને ઘેર જઈએ એટલે ક્યારેક અમે સામે ચાલીને લીંબુનું શરબત પીવાની માગણી કરતાં. એનું એક રહસ્ય હતું. લીંબુના શરબતમાં તે ચપટીક 'ઈનો' ઉમેરતાં, જેને કારણે એ શરબતનો 'પમરાટ' જીભે રહી જતો. આવી તો અનેક બાબતોમાં તેઓ અખતરા કરતા રહેતાં. એવું નહોતું કે દરેક અખતરા સફળ થાય, ક્યારેક એ નિષ્ફળ પણ જતા હશે. એ નિષ્ફળ અખતરામાંથી પણ એ કશુંક ઉપયોગી શોધી કાઢતા.
'રીડર્સ ડાયજેસ્ટ'નાં કે અન્ય પુસ્તકોમાં આવતી વાનગીઓની રેસિપી તે લખી રાખતાં. એમાં વિવિધ ચીજવસ્તુઓનાં અંગ્રેજી નામ તે ઉતારી લેતાં અને પછી ફુરસદે તેનું ગુજરાતી શોધતાં. મને આની જાણ થયા પછી તેમની આ શોધયાત્રામાં ક્યારેક હું પણ સામેલ થતો. મને તેમણે લખેલા ગુજરાતી શબ્દો વાંચવાની બહુ મજા આવતી.




તેમની પાસે રહેલી ઈલેક્ટ્રિક ઓવન અને માઈક્રોવેવ ઓવનનો તે ભરપૂર ઉપયોગ કરતાં. જૂની માઈક્રોવેવ ઓવન અને એ રીપેર થઈ ન શકી ત્યારે તેમણે એ નવી ખરીદી લીધી. દિલ્હીસ્થિત એક મિત્ર અશીમ ઘોષ તેમને ત્યાં આવેલો અને એ બન્ને જઈને માઈક્રોવેવ ઓવન ખરીદી લાવેલાં.
અહીં હોમાયબેને લખેલાં વિવિધ ચીજવતુઓનાં નામ, ક્યાંક તેમણે લખેલું ગુજરાતી અને વાનગીલક્ષી ટીપ જોઈ શકાશે. (જેમ કે, કેકની સપાટી પર ડિઝાઈન શી રીતે પાડવી)


'એકલા માટે કોણ બધી ઝંઝટ વહોરે!' એ વાક્ય તેમના મોંએ કદી આવ્યું નથી, કેમ કે, રાંધવું એ પણ તેમના જીવનરસનો એક સ્રોત હતો.

Thursday, September 16, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (11)

 સૌજન્યને સીધી લેવાદેવા શિક્ષણ સાથે નહીં, પણ કેળવણી સાથે હોય છે. અને કેળવણી કોઈ આપી શકતું નથી. હા, એ મેળવવા ઈચ્છનાર એને મેળવી શકે ખરા. સૌજન્યની વ્યાખ્યા પ્રાંત અને પ્રજા મુજબ અલગ અલગ થતી હોય છે. હોમાય વ્યારાવાલા પોતે એકદમ સૌજન્યશીલ, અને એ પણ એકદમ સહજ રીતે, આથી એમને સામાવાળા પાસેથી એવી અપેક્ષા હોય એ સમજાય એવું છે. પોતાનું નાનામાં નાનું કામ કરનારને એ 'થેન્ક યુ' કે 'ગૉડ બ્લેસ યુ' કહે ત્યારે એ કેવળ ઔપચારિકતા નહીં, પણ તેના પૂરા ભાવ સાથે કહેવાયું હોય.

અમારી મુલાકાત પંદર-વીસ દિવસે એકાદ વાર થતી, અને એ ગાળામાં તેમને કશુંક કામ હોય તો તે પત્ર લખી જણાવતાં. અમારી મુલાકાત સમયે કશાક કામની વાત થઈ હોય અને એ પછી તેમનું કામ કરવાની કોઈ વ્યવસ્થા હું ગોઠવું, એ કામ માટેની એજન્સીને તેમને ત્યાં મોકલું, અને કામ પૂરું થઈ જાય એટલે એની જાણ કરતો પત્ર હોમાયબેન અચૂક લખે.
'એક્નોલેજમેન્ટ' એટલે કે 'સ્વીકારપહોંચ' આપવાનું મોટા ભાગના લોકો શીખ્યા જ નથી હોતા. એમને એમ હોય છે કે સામેવાળાએ કશું મોકલ્યું, આપણને એ મળી ગયું એટલે વાત પૂરી. વ્હૉટ્સેપની ભૂરી ટીકનો વિચાર કદાચ લોકોની આ પ્રકૃતિને કારણે જ આવ્યો હોય તો નવાઈ નહીં.
હોમાયબેનના ડ્રાઈવિંગ લાયસન્સની અવધિ પૂરી થવા આવેલી એટલે તેના નવિનીકરણની વિધિ મેં હાથમાં લીધેલી અને એક એજન્ટ દ્વારા એ કામ કરાવેલું. બધી વિધિને અંતે લાયસન્સ એમને ઘેર પહોંચતું થઈ ગયું. માત્ર તેની જાણ કરતું, ફક્ત બે લીટીનું પોસ્ટકાર્ડ તેમણે લખી મોકલ્યું. તેમણે ધાર્યું હોત તો અમે રૂબરૂ મળવા જઈએ ત્યારે જણાવી શક્યાં હોત. પોસ્ટકાર્ડ લખવું, તેને પોસ્ટ કરવા માટે લેટરબૉક્સ સુધી ચાલીને જવું તેમને માટે ઘણું અગવડભર્યું હતું, પણ સૌજન્ય જેનું નામ. (એ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એ જ રીતે તેમના પાસપોર્ટને લગતું કામ ચાલી રહ્યું હતું, જેમાં સબીના દિલ્હીથી અમુક કાર્યવાહી કરી રહી હતી, અને સ્થાનિક ધોરણે હોમાયબેન સાથે મારો વ્યવહાર ચાલતો હતો. પાસપોર્ટ માટે જરૂરી પોલિસ ઈન્ક્વાયરીની વિધિ પૂરી થઈ અને તેમને ઘેર પોલિસ વિભાગમાંથી આવીને પૂછપરછ કરી ગયા. તેની પણ જાણ એમણે મને એક લીટીનું પોસ્ટકાર્ડ લખીને કરી. (આ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


બહુ ઝડપથી અમારી વચ્ચે એવો વ્યવહાર થઈ ગયેલો કે અમે તેમને ત્યાં ફોન કર્યા વિના જવા લાગ્યાં. એ મંજૂરી અમે તેમની પાસેથી મેળવી લીધેલી. દસ-પંદર દિવસ થાય એટલે તેમને મનમાં હોય કે અમે આવીશું. આથી વચ્ચેના સમયગાળામાં તેમણે ક્યાંક બહારગામ જવાનું થયું હોય તો તે પત્રથી જાણ કરી દેતાં કે અમુક તારીખો દરમિયાન પોતે ઘેર નહીં હોય. (આવું એક પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એક વખત એવું બન્યું કે અમે તેમને ત્યાં સાંજે પહોંચી ગયાં. તેમણે મંગાવેલી થોડી વસ્તુઓ પણ સાથે હતી. ઘેર તાળું જોયું એટલે અમે મૂંઝાયાં કે તે ક્યાં ગયાં હશે! શ્રીમતિ મિશ્રાને ત્યાં અમે તપાસ કરી તો હોમાયબેન ત્યાં નહોતાં. આથી અમે એવું નક્કી કર્યું કે તેમના માટેની ચીજવસ્તુઓને તેમના મુખ્ય બારણા આગળ મૂકી દીધી, જેથી તેમનું ધ્યાન પડે. એટલું કરીને અમે નીકળી ગયાં. બે-ચાર દિવસમાં જ એમનું પોસ્ટકાર્ડ આવ્યું. અહીં મૂકેલા એ પોસ્ટકાર્ડલા પહેલા ફકરાના અંગ્રેજી લખાણનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
મારા બારણા નજીક વસ્તુઓ મૂકી જવા બદલ અને તમે તથા તમારાં પત્ની ફરી ક્યારે આવશો એની નોંધ સુદ્ધાં મૂકી ન જવા બદલ આભાર." સૌજન્યવશ તેમણે અમારો આભાર તો માન્યો, સાથે હળવો ઉપાલંભ પણ આપ્યો. જો કે, આનો એક ફાયદો એ થયો કે તેમણે પોતાની ગેરહાજરીમાં તેમના મકાનનું બારણું કેવી રીતે ખોલવું એટલે કે પોતે ચાવી ક્યાં મૂકતાં હતાં એ ઠેકાણું બતાવી દીધું.


તે ક્યાંક આસપાસમાં ગયાં હોય અને થોડી વારમાં પરત ફરવાની ધારણા હોય તો તે એક પાટિયું ટીંગાવીને જતાં, જેથી મુલાકાતીને ખ્યાલ આવે કે પોતે રાહ જોવાની છે.


સૌજન્ય અને ઔપચારિકતા (ફોર્માલિટી) વચ્ચે કેવડો મોટો ભેદ હોય છે, અને હોવો જોઈએ એ હોમાયબેન પાસેથી જાણવા મળ્યું.

Wednesday, September 15, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (10)

 હોમાય વ્યારાવાલા સાથે પરિચય થયો ત્યારથી તેમને અમે 'હોમાયબેન' તરીકે જ સંબોધતાં. એનું કારણ હતું. એક તો મને કદી કોઈ વયસ્ક સ્ત્રીને 'માસી', 'કાકી' કે પુરુષ માટે 'કાકા', 'દાદા' જેવું સંબોધન મોંએ ચડતું નથી. એવી જરૂર પણ લાગી નથી. બીજું કે મને જે મળ્યા એ લોકોમાં સામેવાળાને એવી કોઈ અપેક્ષા હોતી નથી કે એને અમુકતમુક રીતે સંબોધવામાં આવે. પણ હોમાયબેનને મળવા આવનારા, કે તેમના ખબરઅંતર મને પૂછતા લોકોને ઘણી મૂંઝવણ થતી.

તે પારસી હતાં એટલે ઘણાં તેમને 'માયજી' કહેતાં, તો કોઈક તેમના માટે મારી આગળ 'બાનુ' શબ્દ પણ વાપરતું. કોઈક તેમને 'હોમાયજી' કહેતું, અને એમ જ લખતું, તો શુદ્ધ ઉચ્ચારના આગ્રહીઓ એમને 'હુમાયુબેન' કહેતા. એટલું સારું હતું કે હોમાયબેનને શ્રવણની તકલીફ હતી, અને આવાં સંબોધનો તેમને ખાસ સંભળાતાં નહીં. એક કાર્યક્રમમાં તેમણે પોતાને માટે 'હુમાયુબેન' સાંભળ્યું ત્યારે તે બહુ હસેલાં.

તેમને મળવા આવનારના હેતુઓ જુદા જુદા રહેતા. હણા કુતૂહલવશ, કોઈક મ્યુઝિયમમાં રહેલી કળાકૃતિ જોવા આવે એ રીતે તેમને 'જોવા' આવતા, અને કળાકૃતિ જોતાં વર્તે એ રીતે જ વર્તતાં. અમુક જણા તેમની 'ખ્યાતિ' સાંભળીને, તેમનાથી અંજાઈને આવતાં, અને તેમને મળતાં જ તેમનાં ચરણોમાં લેટી પડતા. અમુક જણ મળવા આવે તો નીચા નમીને તેમને 'પગે લાગવાની' ચેષ્ટા કરતા. હોમાયબેન આ બધાથી ટેવાઈ ગયેલાં. શરૂમાં તે કદાચ અકળાતાં હશે, પણ પછી તેમને આ બધું જોઈને રમૂજ થતી.
તેમને લઈને હું એક કાર્યક્રમ માટે અમદાવાદ ગયેલો. આયોજકોએ ધારેલું નહીં એવી સરળતાથી હોમાયબેન આવેલાં. અલબત્ત, એ પછી તેમની યોગ્ય આગતાસ્વાગતામાં આયોજકો કાચા પડેલા (એમ મને લાગેલું, હોમાયબેનને નહીં.) પણ એ કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકોમાંના એક ભાઈ, જેમણે મારા દ્વારા હોમાયબેન સાથે કમ્યુનિકેશન કરેલું એ આવ્યા, અને હોમાયબેનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ સજ્જન પોતે પાંસઠ-સિત્તેરના હશે, અને કદાચ હોમાયબેનને જોઈને ભાવાવેશમાં આવી ગયા હશે. જો કે, મને એમ લાગેલું કે હોમાયબેને એમને આયોજક તરીકે કશી તકલીફ ન આપી એનો એમને વધુ આનંદ હતો.
બીજા એક સિનીયર તસવીરકાર એક વાર હોમાયબેનને ઘેર આવી ચડ્યા. 'માયજી', 'મધર' જેવાં સંબોધનોથી તેમણે હોમાયબેનને નવાજ્યાં અને કોઈ મ્યુઝિયમમાં ફરતા હોય એમ તેમના ઘરમાં ફરી વળ્યા. 'આ બધું એમની જાતે શી રીતે કરે છે?', 'એમનું થઈ રહે છે?' જેવા પ્રશ્નો એમણે ત્યાં હાજર રહેલા મિત્ર પરેશ પ્રજાપતિને પૂછ્યા, જેના જવાબ એમને અપેક્ષિત નહોતા. પોતાનું એક પુસ્તક તેમણે 'માયજી'ને ભેટ આપ્યું, પણ એ અગાઉ ટીપ્પણી કરી, 'ડોસી બહુ કંજૂસ લાગે છે.' આ સાંભળીને પરેશને બહુ માઠું લાગેલું. પછી તેણે મને આ બાબતે ફરિયાદ કરેલી. મને થયું કે હોય હવે! 'મધર' માટે 'છોરુ' ગમે એ કહી શકે, એમાં શું? એ છોરુ ભલે ને પંચોતેર વરસનું હોય!
મારી અને હોમાયબેનની વચ્ચે સહેજે પચાસેક વરસનો તફાવત હતો. તેમની સાથે મને જોઈને ઘણાને આશ્ચર્ય થતું અને તેઓ પૂછતા કે હું એમનો શું થાઉં. આ મૂંઝવણનો ઉકેલ હોમાયબેને પોતે જ આપી દીધેલો.
તેમના એક જૂના સ્નેહીને મળવા માટે અમે વિદ્યાનગર ગયેલા. એ સજ્જન ઈજનેરી કૉલેજના પ્રાધ્યાપક રહી ચૂકેલા. મને જોઈને તેમણે પૂછ્યું, 'આપ ઈનસે કૈસે જુડે હો?' હું વાત ક્યાંથી શરૂ કરવી એની મૂંઝવણ અનુભવતો હતો ત્યાં હોમાયબેને કહ્યું, 'એવન મારા ફ્રેન્ડ છે.' આ સાંભળીને પેલા સજ્જન ઓર મૂંઝાયા, પણ હવે અમારો સંબંધ સ્પષ્ટ થઈ ગયો હતો એટલે હસી પડ્યા અને કહે, 'યાર, હમસે ભી દોસ્તી કર લો!'
હોમાયબેને આપેલી આ ઓળખાણ પછી મારા માટે કાયમી મૂંઝવણ ટળી ગઈ. એવન મારાં ફ્રેન્ડ હતાં, અને ફ્રેન્ડ આપણાથી વયમાં મોટા હોય, મહિલા હોય તો એમની પાછળ આદરસૂચક રીતે 'બેન' લગાવવું જોઈએ. એટલે એમના માટે અમારું સંબોધન 'હોમાયબેન' જ રહ્યું. ન હોમાયજી, ન માયજી, ન મધર, કે ન બાનુ. એ મને 'મિ.કોઠારી' કહેતાં, કે પછી 'બીરેનભાઈ'. એમણે પણ કદી તુંકારો વાપર્યો નથી. નહીંતર એ તો એમ કરવાના હકદાર હતાં.





હોમાયબેને અમને કરેલાં વિવિધ સંબોધનો 


Tuesday, September 14, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (9)

 સ્વચિકિત્સા એટલે કે સેલ્ફ-મેડિકેશન જોખમી હોય છે અને સામાન્ય રીતે તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે 'ઘરેલુ નુસ્ખા', 'અજમાવી જુઓ' કે 'દાદીમાનું વૈદું' પ્રકારના અખતરાને સામાન્યપણે ઉપહાસથી જોવામાં આવે છે. હોમાય વ્યારાવાલા હંમેશાં સ્વચિકિત્સામાં જ માનતાં. પોતાના શરીરને તેઓ બરાબર ઓળખતાં એક ડૉક્ટર પોતાના દર્દીના શરીરને જાણે એ રીતે! અને એમાં કશી બડાઈ નહોતી.

98 વર્ષના જીવનમાં એમણે ફક્ત ત્રણ જ વાર હોસ્પિટલમાં દાખલ થવું પડેલું. પહેલી વાર 1942 માં દીકરા ફારૂકના જન્મ વખતે, બીજી વાર 96 વર્ષની વયે અશક્તિને કારણે, અને ત્રીજી વાર એ અંતિમ વખત. તેમને 96 વર્ષની વયે હોસ્પિટલમાં દાખલ કરેલાં ત્યારે અમે હોસ્પિટલે પહોંચ્યાં. હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોની બેદરકારીથી એ બરાબર ત્રાસેલાં. એ લોકો હોમાયબેનનું કશું સાંભળ્યા વિના પોતાની રીતે સારવાર કર્યે રાખતાં. અમે ગયાં એટલે હોમાયબેન કહે, 'તમે મારા સવારના નાસ્તાની કશીક ગોઠવણ કરી આપો, નહીંતર હું બિમારીથી નહીં, અશક્તિથી મરી જઈશ.' નજીકની એક હોટેલમાં અમે પહોંચ્યા અને એક ભલા વેઈટરે રોજ સવારે હોમાયબેનને ઈડલી-સંભાર, મેંદુવડા જેવો ગરમ નાસ્તો નિયમીત પહોંચાડવાની જવાબદારી સ્વિકારી. આ વયે હોસ્પિટલમાં દાખલ થયેલી વ્યક્તિ પાછી ઘેર આવશે કે કેમ એ વિશે આપણા મનમાં શંકા હોય, પણ હોમાયબેન એકદમ તાજાંમાજાં થઈને પાછાં આવી ગયાં.
અગાઉ તેમને મોતિયો આવેલો. એ વખતે તેમના એક ભરોસાપાત્ર ડૉક્ટર આયુર્વેદના જાણકાર હતા. તેમણે એક ચોક્કસ ટીપાં હોમાયબેનને આપ્યાં. હોમાયબેનને એ એવા ફાવી ગયાં કે એમણે એન અજમાયશ ચાલુ જ રાખી. આમ ને આમ તેમણે એક-બે નહીં, પૂરા પચીસ વર્ષ ખેંચી કાઢ્યાં. એ પછી પેલા ડૉક્ટરે પ્રેક્ટિસ બંધ કરી એટલે હોમાયબેનને ટીપાં મળતાં બંધ થયાં. તેમણે વારાફરતી મોતિયો કઢાવવાનું નક્કી કર્યું.
'રિડર્સ ડાયજેસ્ટ'નાં 'હોમ રેમેડીઝ'ને લગતાં જાડાં પુસ્તકો તે વાંચતાં અને તેમાંથી પોતાના જોગ ઉપાય શોધતાં. કોઈક કાગળમાં કે નોટબુકમાં તે આ બધું લખી રાખતાં. ક્યારેક કોઈક દવા અમારી પાસે પણ મંગાવતાં. અહીં મૂકેલા એક પોસ્ટકાર્ડમાં તેમણે ઈપ્સમ સૉલ્ટ અને સી-સૉલ્ટ મંગાવ્યાં છે, અને જણાવ્યું છે કે એ તબીબી હેતુ માટે છે.



મૂળ પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ.કોઠારી,
આશા રાખું કે તમે અને પરિવાર મઝામાં હશો.
તમે ફરી વાર મને મળવા આવવાનું નક્કી કરો ત્યારે કેમિસ્ટ પાસેથી 00 ગ્રામ ઈપ્સમ સૉલ્ટ અને જનરલ સ્ટોરમાંથી 500 ગ્રામ સી-સૉલ્ટ લેતા આવશો? ઔષધીય હેતુ માટે આની જરૂર છે.
તમને તકલીફ આપવા બદલ દિલગીર છું.
આભાર.
શુભેચ્છાઓ
.
હોમાય."

એક વાર તેમણે ઓમેગા-3ની, પોટેશિયમની અને ક્વિનાઈનની ગોળીઓ અમારી પાસે મંગાવેલી, કેમ કે, તેમની પાસેનો જૂનો સ્ટૉક ખલાસ થઈ ગયેલો.
એ પત્રના એક હિસ્સાનો ગુજરાતી અનુવાદ:
"બાય ધ વે, તમે જ્યારે ઓમેગા-3 અને પોટેશિયમની ગોળીઓ લેવા જાવ ત્યારે ક્વિનાઈનની અથવા તેના વિકલ્પે બીજી ગોળીઓ મળે છે કે કેમ એ પૂછી જોશો. હું ક્વિનાઈનની નિયમીત ઉપયોગકર્તા રહી છું, પણ મારો સ્ટૉક ઘટી ગયો છે. મેલેરિયા અને મારી અન્ય તકલીફોનો એ શ્રેષ્ઠ ઉપાય છે. આથી આ વિનંતી.
શુભેચ્છાઓ
.
હોમાય વી."


તેમણે મંગાવેલી ઓમેગા-3 અમે અમારા ઓળખીતા કેમિસ્ટની પાસે માંગી એટલે એ કેમિસ્ટે ચિંતાપૂર્વક પૂછપરછ કરી અને જણાવ્યું કે કારણ વગર આ ગોળી ખોટેખોટી ન લેવી. અમે તેમને કહ્યું, 'એ લેનાર નક્કી કરશે. તમે ગોળી આપી દો, અને ના આપવી હોય તો ના કહો, તો અમે બીજે તપાસ કરીએ.'
પોતાનાં મિત્રો-સ્નેહીઓને પણ તે પૂછીને આ પ્રકારના નુસખા લખેલા આપતા. અહીં તેમણે લખેલા વાળ વધારવાના નુસખા મૂકેલા છે. એ ખાસ વાંચવા જેવા છે, કેમ કે, તેમણે એને પોતાને સમજાય એવા ગુજરાતીમાં ઉતાર્યા છે. એમાં 'ટાલકી', 'ટાલક' 'તાલકે' જેવા શબ્દોની ખરી મઝા છે.