Showing posts with label obit. Show all posts
Showing posts with label obit. Show all posts

Sunday, August 2, 2026

આલ્કિલેશન કેન નોટ કોન્‍ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!

ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.

અમે નવાસવા જોડાયા ત્યારે સુરાનીભાઈને પહેલી વાર મળતાં જ આપણી પાડોશમાં રહેતા કોઈ વડીલને મળતા હોઈએ એમ લાગેલું. માયાળુ અને મદદગાર પ્રકૃતિ ધરાવતા સુરાનીભાઈને કશું પણ પૂછી શકાય. ઔદ્યોગિક વાતાવરણ એવું હોય કે નવાસવા આવેલા લોકોને શરૂ શરૂમાં ફાવે નહીં. પછી ધીમે ધીમે ફાવતું જાય અને તેઓ રીઢા બનતા જાય. નવાસવા તાલીમાર્થીઓને અમુકતમુક સિનીયર માણસોને દૂરથી ચીંધીને તેમનો સાચોખોટો ડર દેખાડવામાં આવે. એવું ખરેખર ન હોય તો પણ અમુક સિનીયરોની ગંભીર મુખમુદ્રા જોઈને એ સાચું લાગ્યા વિના રહે નહીં. જો કે, સુરાનીભાઈ બાબતે ક્યારેય એમ ન લાગતું. તેઓ કદી કોઈ નવા આવેલાને કોઈ પણ જાતની હેરાનગતિ ન કરતા, એટલું જ નહીં, તેને શક્ય રીતે મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા.
અમે જોડાયા ત્યારે તેઓ 'ફિલ્ડ'માં હતા. પ્લાન્ટમાં મુખ્યત્વે બે કાર્યક્ષેત્ર હોય છે. ખરેખરો પ્લાન્ટ, જેમાં વિવિધ શ્રેણીના ઓપરેટર અને ચોથા વર્ગના કર્મચારી હોય, અને તેનો કન્ટ્રોલ રૂમ, જેમાં મુખ્યત્વે અધિકારી વર્ગના લોકો હોય. થોડા વખતમાં પ્રમોશન મેળવ્યા પછી સુરાનીભાઈ કન્ટ્રોલ રૂમમાં ગયા. કન્ટ્રોલ રૂમ પ્લાન્ટમાં જ હોય, જેમાં વિવિધ પેનલ રહેતી. ફિલ્ડના લોકો સાથે સંવાદ કરવા માટે અહીં લાઉડોફોન પદ્ધતિ હતી. એટલે કે કન્ટ્રોલ રૂમમાં લાઉડોફોન મૂકાયેલું હોય, જેના દ્વારા ફીલ્ડમાં મૂકાયેલા વિવિધ માઈક પર અવાજ સાંભળી શકાય. કોઈ ચોક્કસ વિભાગના ઓપરેટરને સંબોધવો હોય, તો કન્ટ્રોલ રૂમમાંથી જે તે વિભાગનું બટન દાબીને જરૂરી સૂચના બોલવામાં આવે. સામે પક્ષે ફિલ્ડના જે તે વિભાગમાં મૂકાયેલા લાઉડોફોન પરથી ઓપરેટર સ્વીચ દાબીને પ્રતિભાવ આપે. કન્ટ્રોલ રૂમમાંથી અપાતી સૂચનાને 'અનાઉન્સમેન્ટ' કહેવાય.
પ્રત્યાયનની આ પદ્ધતિનું આટલું વિવરણ આપવાનું કારણ એ કે તેની સાથે અમારા સૌના મનમાં સુરાનીભાઈની મુખ્ય ઓળખ સંકળાયેલી છે.
પ્રમોશન પામીને કન્ટ્રોલ રૂમમાં ગયેલા સુરાનીભાઈની ઓળખ તેમની અનાઉન્સમેન્ટ કરવાની પદ્ધતિથી ઊભી થઈ. તેઓ બહુ વિશિષ્ટ રીતે અનાઉન્સમેન્ટ કરતા. જેમ કે, પ્લાન્ટમાં 'આલ્કિલેશન' નામે એક વિભાગ હતો. સુરાનીભાઈ લાઉડોફોન પર લલકારે: 'આલ્કિલેશન પ્લીઝ કોન્ટેક્ટ કન્ટ્રોલ રૂમ, આલ્કિલેશ...અ.....ન.' છેલ્લો શબ્દ તેઓ લંબાવીને બોલે. એક તો એમનો પોતાનો અવાજ મોટો, અને એમાં લાઉડોફોન. તેમણે ભલે એક વિભાગની સ્વીચ દાબીને અનાઉન્સમેન્ટ કર્યું હોય, પણ તે સંભળાય બીજા વિભાગોમાં પણ. તેમની બીજી એક શૈલી. તેઓ 'કોન્ટેક્ટ કન્ટ્રોલરૂમ' શબ્દો બોલે ત્યારે એ શબ્દો એકમેકમાં ભળી જતા. ધીમે ધીમે સુરાનીભાઈની આ શૈલી એવી પ્રચલિત બની કે તેઓ પોતે પણ એની મજા લેવા લાગ્યા. ઘણી વાર એમ થતું કે અમારી ફર્સ્ટ શિફ્ટ સવારના છ વાગ્યે શરૂ થતી. અને સાત વાગ્યે ચા-નાતો આવે, જેનું અનાઉન્સમેન્ટ કન્ટ્રોલ રૂમમાંથી કરાતું. સુરાનીભાઈ ફર્સ્ટ શિફ્ટમાં હોય અને કશા કામે ચા-નાસ્તાના સમય પહેલાં અનાઉન્સમેન્ટ કરે એનાથી ઘણા લોકો એમની પર મનોમન અકળાતા, કેમ કે, અનાઉન્સમેન્ટ ભલે બીજા વિભાગનું હોય, પણ સુરાનીભાઈના બુલંદ સ્વરે કરાયેલા, લંબાણપૂર્વકના અનાઉન્સમેન્ટથી એવા લોકોની ઉંઘમાં ખલેલ પડતી. એકાદ વાર એવા એક અસરગ્રસ્ત સહકાર્યકરે એમની સાથે બોલાચાલી પણ કરેલી.
તેઓ સામાજિક એટલા કે પ્લાન્ટની બહાર પણ સંબંધ સાચવે. એક વાર મારા હાથમાં 'હેરલાઈન ક્રેક' થયેલી અને પ્લાસ્ટર હોવાથી ત્રણેક અઠવાડિયાં રજા પર હતો. એ વખતે સુરાનીભાઈ પોતાનાં પત્ની સાથે મારી ખબર જોવા આવેલા. મને બહુ નવાઈ લાગેલી, કેમ કે, મારા જેવા જુનિયરની ખબર જોવા તેઓ આવે એવા ગાઢ અમારા સંબંધ નહોતા. પણ તેમના માટે એ સહજ હતું.
સુરાનીભાઈની એ ખાસિયત હતી કે તેમના મનમાં કદી કોઈના માટે દુર્ભાવ ન મળે. પ્લાન્ટમાં સાથે કામ કરતાં, મોટે ભાગે કાર્યપદ્ધતિને લઈને ઘણી વાર ઉગ્ર અવાજે બોલાચાલી થાય કે અભાવ પેદા થાય એમ બને. પણ સુરાનીભાઈ એવું કશું યાદ ન રાખે. પોતે કન્ટ્રોલ રૂમમાં હોવા છતાં 'અધિકારીપણું' તેમનામાં પ્રવેશ્યું નહોતું. આથી 'ફિલ્ડ'માં કશું કામ હોય તો તેઓ પોતે જ કન્ટ્રોલ રૂમની બહાર નીકળે જતા અને જે તે વિભાગમાં રહેલી, જરૂરી સાઈઝની લોખંડની 'વાલ્વ કી' (અંગ્રેજી F આકારનું સાધન) શોધીને જ એ વિભાગના ઓપરેટરનો સંપર્ક કરતા. કામ કરવાનું હોય એ સ્થળે તેઓ પહોંચતા, અને મોટે ભાગે તેઓ આગળ રહીને ઓપરેટરને દોરતા હોય એમ બનતું. ઘણી બધી વાર એમ બનતું કે પાઈપલાઈન પર વાલ્વ કી ઠોકવાની હોય, એટલે કે 'હેમરિંગ' કરવાનું હોય તો એમાંય સુરાનીભાઈની આગેવાની. ઘણા મજાકમાં એમ કહેતા કે જે પાઈપલાઈનમાં 'ચૉક' (જામી ગયેલું) હોય ત્યાં સુરાનીભાઈ 'વાલ્વ કી'થી 'હેમરિંગ' કરે એટલે એ નીકળ્યે જ છૂટકો.
અસલમાં સુરાનીભાઈ જૂનું મેટ્રિક ભણેલા. કેમિકલ એન્જિનિયરીંગનું વિધિવત શિક્ષણ એમણે લીધેલું નહોતું. આથી એક મત એવોય હતો કે સુરાનીભાઈને 'કેમિકલ પ્રોસેસ' વિશે સમજણ નથી, બસ, ક્યાંય 'હથોડા મારવાના' હોય તો જ એમને ફાવે. અમુક આખાબોલાઓ એમને મોં પર પણ આમ જણાવીને એમની મજાક કરતા. હકીકત શી હતી? સુરાનીભાઈ નિવૃત્ત થઈ ગયા એ સમયે પ્લાન્ટમાં ઘણા જુનિયર એન્જિનિયરો જોડાયેલા. તેઓ કોઈ પણ બાબતે મૂંઝાય, કઈ લાઈન ક્યાં જાય છે એની સમજણ ન પડે, તો તેઓ અડધી રાતે પણ સુરાનીભાઈને ફોન કરતા. અને સુરાનીભાઈ એવા સહૃદયી કે તેઓ ઘેર બેઠાં બેઠાં માર્ગદર્શન આપતા. એ હદે તેમણે પ્લાન્ટ અને તેના કાર્યક્ષેત્રને આત્મસાત કરેલું.
મેં 2007માં કંપની છોડ્યા પછી સ્વાભાવિકપણે જ તેમને મળવાનું સાવ ઓછું થયું. એ પછી તેઓ પણ નિવૃત્ત થયા. ક્યારેક સુધીરભાઈ (શાહ) જેવા મિત્ર પાસેથી જાણવા મળતું કે ધીમે ધીમે સુરાનીભાઈની દૃષ્ટિ સાવ ઝાંખી થઈ રહી છે અને તેઓ નહીંવત્ જોઈ શકે છે. એક વખત યોજાયેલા સ્નેહમિલનમાં તેઓ આવેલા. ત્યારે આ અમે અનુભવ્યું. તેમની પાસે જઈને ઊભા રહીએ અને 'કેમ છો, સુરાનીભાઈ?' કહીએ કે તરત જ તેઓ અવાજ ઓળખી જાય અને ઉષ્માપૂર્વક જવાબ આપે. એ સ્નેહમિલનમાં અમીષ ભાવસાર પણ હાજર હતા, જેઓ બહુ લોકપ્રિય એન્જિનિયર હતા. તેઓ સુરાનીભાઈને 'સુરાનીકાકા' કહેતા. એ સ્નેહમિલન પતવા આવ્યું અને સૌ છૂટા પડી રહ્યા હતા ત્યારે અમીષે એમને એક વિશિષ્ટ ફરમાઈશ કરી. કહે: 'કાકા, એક વાર અનાઉન્સમેન્ટ કરો ને!' મતલબ કે પ્લાન્ટમાં તેઓ જે શૈલીએ લાઉડોફોન પર અનાઉન્સમેન્ટ કરતા એ જ શૈલીએ અનાઉન્‍સ કરે. (કોઈ ગાયકને તેના કોઈ લોકપ્રિય ગીતની ફરમાઈશ કરવામાં આવે એ રીતે) સુરાનીભાઈ એટલા સરળ અને સહજ પ્રકૃતિના કે તેમણે આ વિનંતી સહર્ષ સ્વીકારી લીધી, કેમ કે, એ કરી હતી અમીષે, પણ એ સૌની લાગણીનો પડઘો હતો. દૃષ્ટિ લગભગ નહીં જેવી, પણ ખુરશીમાં બેઠે બેઠે જ સુરાનીભાઈએ એ જ લહેકાથી 'આલ્કિલેશન, પ્લીઝ કોન્ટેક્ટ, આલ્કિલેશ.....અ..અ..ન.' લલકાર્યું એ સાથે જ સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા. એક સાથે સૌના મનમાં પોતે પ્લાન્ટમાં વીતાવેલો સમયગાળો સજીવન થઈ ઉઠ્યો.
બસ, સુરાનીભાઈ સાથેની એ કદાચ મારી છેલ્લી મુલાકાત હશે. મારું ક્ષેત્ર સાવ બદલાઈ ગયેલું હોવાથી મળવાનું બનતું નહીં. તેમનું બહાર નીકળવાનું પણ લગભગ બંધ થઈ ગયેલું.
ગઈ કાલે તેમનું અવસાન થયાના સમાચાર જાણ્યા કે મનમાં સૌથી પહેલું કશું યાદ આવ્યું હોય તો એમના અવાજમાં થતું અનાઉન્સમેન્ટ. આવા નિષ્પાપ, મદદગાર અને સરળ પ્રકૃતિ ધરાવતા મુકુંદભાઈ સુરાની સ્વર્ગમાં પણ પોતાની ભૂમિકા શોધી લેશે. સ્વર્ગના દરવાજાની બહાર પ્રતીક્ષામાં ઉભેલા લોકોને તેઓ માઈક પર કહેશે, 'લાઈનમાં ઊભા રહો, પ્લી...ઈ...ઈ...ઝ, લાઈનમાં.'

Saturday, June 20, 2026

કળાને સમર્પિત કળાશિક્ષક, કળાકારની વિદાય

શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.

1991-92માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં મેં પેઈન્ટિંગ વિભાગમાં પ્રવેશ મેળવેલો. એ વખતે બન્ને ટર્મમાં અલગ અલગ વિભાગોમાં એક એક મહિનો (કે પંદર દિવસ- ચોક્કસ યાદ નથી) જવાનું બનતું. એ રીતે શિલ્પ વિભાગમાં બે વખત જવાનું થયું. અમારા અગાઉના વરસે સ્કલ્પચર વિભાગના હેડ રાઘવ કનેરિયાસાહેબ આ રીતે આવનારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને શિલ્પકળાના પ્રાથમિક પાઠ ભણાવતા. અમારી વખતે પહેલી વાર જ શિલ્પકળામાં તાજા જ એમ.એ. થયેલા એક શિક્ષક આવ્યા. તેમણે નવો જ અભિગમ અપનાવ્યો. સામાન્ય રીતે પહેલા વર્ષના પેઈન્ટિંગના વિદ્યાર્થીઓને ક્લે મોડેલિંગ શીખવાડાતું. તેને બદલે આ નવા સાહેબે સૌને 'પેપર સ્કલ્પચર' કરાવવાનું નક્કી કર્યું. પણ એથીય પહેલાં તેમણે સૌને કોઈ ને કોઈ 'ઓબ્જેક્ટ' શોધીને એનું આબેહૂબ ત્રિપરિમાણીય લાગે એવું પેન્સિલ ડ્રોઈંગ કરી લાવવાનું સોંપ્યું. તેમણે પોતાની ઓળખ આપતાં નામ જણાવ્યું, પણ તે એવા લહેજામાં બોલતા કે મોટા ભાગના બિનગુજરાતી વિદ્યાર્થીઓને એ ન સમજાયું, ખાસ કરીને એમની અટક. તેઓ પોતાનું નામ 'રતિલાલ કાન્સોદરિયા' તરીકે ઉચ્ચારતા. જો કે, તેમને સૌનાં નામ યાદ રહી ગયેલાં. તેઓ બહુ ધીમેથી બોલતા, ભાગ્યે જ અકળાતા, અને ધીરજપૂર્વક વિવિધ વિદ્યાર્થીઓએ દોરેલાં ડ્રોઈંગને નકારતાં. મેં એક અડધો ખવાયેલો મકાઈડોડો દોરવાનો શરૂ કરેલું. તેમણે એના એકે એક દાણામાં પેન્સિલ વડે રેન્ડરીંગ કરવાનો આગ્રહ રાખેલો, અને એમ કરતાં એમાંથી થોડા દાણા પણ છોલીને કાઢી નાખેલા. જેનું ચિત્ર તૈયાર થઈ જાય એને તેઓ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનું કહેતા. આ રીતે આખા વર્ગના વિદ્યાર્થીઓનાં ચિત્રો એક સાથે જોઈ શકાતા.
એ વખતે એમ લાગેલું કે રતિલાલભાઈની આકરી કસોટીમાંથી પસાર થવું 'મુશ્કિલ હી નહીં, નામુમકિન' છે. ડ્રોઈંગ પછી આવ્યો પેપર સ્કલ્પચરનો વારો. તેમણે સૌને પહેલાં ચિત્ર તૈયાર કરવા જણાવ્યું અને એ પછી તેનું કાગળશિલ્પ. સામાન્ય રીતે 'ટીન્ટેડ શીટ' (રંગીન જાડો કાગળ)માંથી તે બનાવાતું. મેં જે ચિત્ર દોર્યું એમાં જાંબલી રંગ પસંદ કરેલો. એ જોઈને રતિલાલભાઈ કહે, 'આ રંગનો કાગળ તમને ભાગ્યે જ મળશે.' મને એવી કશી ખબર નહીં, એટલે મેં નિર્દોષભાવે દુકાનમાં જઈને તપાસ કરી, અને મને એ મળી પણ ગયો એટલે મેં કામ ચાલુ કર્યું. એ જોયું એટલે રતિલાલભાઈ કહે, 'મળી ગયો આ કાગળ? સારું કહેવાય. નહીંતર આ રંગ નથી મળતો.' ખેર! મેં કાગળશિલ્પ બનાવ્યું, જે ઈલસ્ટ્રેશન જેવું વધુ હતું. અમે કામ કરતા ત્યારે જોતા કે તેમના સહાધ્યાયીઓ રહી ચૂકેલા કે તેમનાથી જુનિયર લોકો તેમને મળવા આવતા.
એ જ અરસામાં તેમનાં કાષ્ઠશિલ્પોનું પ્રદર્શન મુંબઈ ખાતે યોજાવાનું હતું. કોલેજની એક લોબીમાં એ શિલ્પો મૂકાયેલાં. જતાંઆવતાં અમે એ જોતા પણ ખરા. એમાંનું એક શિલ્પ બરાબર યાદ છે. તેમણે ચોતરા સહિતનો એક વડ બનાવેલો. વડમાં વિવિધ વસ્તુઓ- ડાળીપાંદડા તો ખરા જ, એ ઉપરાંત ટેટા, પંખીના માળા, ભમરીના ઘર વગેરે...સિમેન્ટના બનેલા ચોતરા પર તોફાની છોકરાં જે 'ગ્રાફિટી' લખી જતાં એ પણ તેમણે લાકડામાંથી કોતરેલા એ ચોતરા પર બનાવેલી, જેમાં લખેલું 'રમલાની મા મરે.' બીજા વિદ્યાર્થીઓ આવું લખાય કે નહીં એની પણ ફાઈન આર્ટ્સ સહજ ચર્ચા કરતા.
પહેલી ટર્મમાં શિલ્પકળા વિભાગમાં અમારો સમય પૂરો થયો એટલે અમે સૌ નીકળ્યા. એ પછી વારો આવ્યો બીજી ટર્મનો. આ વખતે અમારે બે ક્લે મોડેલ બનાવવાનાં હતાં. એટલે પહેલાં તો રતિલાલભાઈએ સૌને શિલ્પ જેવી જણાતી વિવિધ ચીજો શોધી લાવવાની સૂચના આપી. આ જાણીને ઘણા સિનીયર વિદ્યાર્થીઓને નવાઈ લાગી, કેમ કે, આ ચીજોમાં તેમણે 'કોઈ પણ' એટલે કે - કુદરતી કે માનવસર્જિત- ચીજ શોધવા જણાવેલું, જ્યારે અગાઉ કનેરિયાસાહેબ ફક્ત ને ફક્ત કુદરતી ચીજોનો જ આગ્રહ રાખતા.
મેં બે વસ્તુ શોધેલી. એમાંનું એક હતું પોર્સેલિનના બોર્ડનો તૂટેલો ટુકડો. એની અંદરના ભાગ જે રીતે ઊપસાવાયેલા એ મને રસપ્રદ જણાયા. રતિલાલભાઈને બતાવતાં કહ્યું, 'આ શિલ્પ જ છે. બનાવો' બીજી વસ્તુ તે સળીઓનું બંડલ હોય એવો દેખાવ ધરાવતું કશાકનું ફળ. રતિલાલભાઈ પાસે એ લઈ ગયો એટલે તેમણે કહ્યું, 'આ છે સરસ, પણ હજી એને ઈન્ટરેસ્ટિંગ બનાવીએ.' આમ કહીને એમણે એને વચ્ચેથી તોડ્યું અને મરડ્યું. કહે, 'જુઓ, હવે મજાનું થયું. આ બનાવો.' એટલે મેં એને બનાવવા માંડ્યું. કહેવામાં આવેલું કે પ્રમાણમાપ મુજબ બનાવવાનું. એ શું એ સમજતાં વાર લાગી. બન્યા પછી રતિલાલભાઈને જણાવ્યું એટલે તેઓ આવ્યા. હાથમાં પાતળો, મઠિયાં તળવામાં વપરાય એવો સળિયો હતો. પૂછ્યું, 'કેટલા ગણું બનાવ્યું છે?' હું મૌન રહ્યો. તેમણે સળિયા પર અંગૂઠા વડે મૂળ વસ્તુનું માપ લીધું. પછી એના વડે બનાવેલા માટીના શિલ્પનું માપ કાઢ્યું. અને દરેક બાજુએથી એ માપ એટલા ગણું છે કે નહીં એ ચકાસ્યું. મને ખબર નહીં કે શિલ્પમાં આ હદનું પરફેક્શન જોઈએ. એકાદ જગ્યાએ એ માપ ઓછું નીકળ્યું એટલે તેમણે એટલો ભાગ ફરી બનાવવા જણાવ્યો. એ મેં કર્યો. હવે વાત હતી મોડેલને વચ્ચેથી મરડવાની. એ મને ન ફાવ્યું એટલે તેમને બોલાવ્યા. તેમણે એ મરડ્યું તો ખરું,પણ પછી એ મોડેલ સ્વતંત્રપણે ઊભું રહેતું ન હતું, જે શિલ્પ માટેની પ્રાથમિક જરૂરિયાત ગણાય. તેમણે અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા એટલે કહે, 'આને હું ભારે હૈયે તોડી કાઢું છું.' એમ કહીને તેમણે એ મોડેલ તોડી નાખ્યું. અલબત્ત, તેમણે એ માન્ય રાખેલું, એટલે મારે નવું બનાવવાનું નહોતું.
બસ, એ પછી અમે પાછા પેઈન્ટિંગ વિભાગમાં આવ્યા. એક વર્ષ પછી મેં અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછી એ કોલેજ અને એના અધ્યાપકો સાથેનો સંપર્ક તૂટ્યો. એ પછી સોળ સત્તર વરસે નોકરી છોડીને પૂર્ણ સમયના લેખનક્ષેત્રે પ્રવેશ્યો. રજનીકુમાર પંડ્યા સાથેનો સંપર્ક વધુ ગાઢ બનતો રહેલો અને અમે સંયુક્તપણે કામ કરતા હતા. રજનીભાઈની દીકરી તર્જનીએ અમદાવાદની સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં શિલ્પકળામાં પ્રવેશ લીધેલો. આથી મેં સહજ પૂછ્યું, 'ત્યાં તને કોણ ભણાવે છે?' તેણે કહ્યું, 'રતિલાલ કાંસોદરિયા.' આથી મેં એમનું મારી સાથેનું કનેક્શન તર્જનીને જણાવ્યું. દરમિયાન તર્જનીની પરીક્ષા આવી. તેને લેવા મૂકવા રજનીભાઈ કોલેજે જતા અને તર્જનીની પરીક્ષા ચાલે ત્યાં લગી એટલામાં બેસીને પોતાનું કામ કરતા. એક વાર તેમનો ફોન આવ્યો અને કહે, 'લે, તારા મિત્ર સાથે વાત કર.' મેં 'મિત્ર'નું નામ પૂછ્યું તો રતિલાલ કાંસોદરિયા. અમે ફોન પર ઔપચારિક વાત કરી. મને ખબર હતી કે આટલાં વરસો પછી હું તેમને યાદ હોઉં એવી શક્યતા જરાય નહોતી. પણ મારા બેચમેટ્સના નામ આપ્યાં, વરસ કહ્યું. મેં એમને 'રમલાની મા મરે' વાળું શિલ્પ યાદ કરાવ્યું એ જાણીને એમને બહુ આશ્ચર્ય થયું. એ બધી વાતોનો આનંદ આવ્યો. પણ પરિચય એકપક્ષી જ રહ્યો એમ કહી શકાય.
પછીના સમયમાં 'અહા!જિંદગી'માં મારી કોલમ 'ગુર્જરરત્ન' શરૂ થઈ, જેમાં હું દર મહિને એક એક વ્યક્તિની દીર્ઘ મુલાકાત લઈને તેના વિશે લેખ લખતો. એ ક્રમમાં એક વાર મેં તસવીરકાર પ્રાણલાલ પટેલ વિશે લખ્યું. ચારેક પાનામાં પથરાયેલો લેખ અને સુયોગ્ય તસવીરો. એ વાંચીને ફોન આવ્યો: 'હું રતિલાલ કાંસોદરિયા બોલું છું.' તેઓ મને ઓળખતા નહોતા, પણ લેખ વાંચીને ફોન કરેલો, કેમ કે, તેઓ પ્રાણલાલના સગા થતા હતા. (તેમના કૌટુંબિક જમાઈ હતા એવો ખ્યાલ છે.) લેખ બદલ તેમણે રાજીપો વ્યક્ત કર્યો ત્યારે મેં ફરી વાર વડોદરાનું જોડાણ યાદ કર્યું. બસ, એ પછીનો અમારો પરિચય દ્વિપક્ષી બની રહ્યો. એક વાર અમદાવાદમાં તેમનાં શિલ્પોનું પ્રદર્શન હતું. અમે સપરિવાર જોવા ગયા ત્યારે રૂબરૂ મુલાકાત થઈ. કોલેજ છોડ્યા પછીની એ પહેલી અને કદાચ છેલ્લી પણ ખરી. કેમ કે, એ પછી ફોન પર નિયમીત વાત થતી, પણ મળવાનું ન બન્યું. 'સાર્થક જલસો' માટે તેઓ લખે એવી મારી બહુ ઈચ્છા. કેમ કે, તેમનાં શિલ્પોમાં ગ્રામ્યજીવન જે રીતે દેખાતું એ તેમનું અસલ જીવન હતું. ઘણીબધી વાતો હતી તેમની સાથે. જેમ કે, તેઓ ભેંસ પર ચોક વડે લખીને કક્કો શીખતા, તેમના કુટુંબના એક વડીલ વસ્ત્રોમાંથી દોરડાં બનાવીને તેનાથી ખાટલાની પાટી ભરતા (એમનું તેમણે શિલ્પ પણ બનાવેલું) વગેરે. જો કે, લખવા બાબતે તેમની ઉદાસીનતા હતી, સાથોસાથ વ્યસ્તતાનો પણ પ્રશ્ન હતો. આમ છતાં, મારો આગ્રહ ચાલુ રહેલો. ઘણી વાર મન થાય ત્યારે અચાનક તેમનો ફોન આવતો કે હું ફોન કરતો. અને વિવિધ વિષય પર વાત થતી. છેલ્લે તેમના સ્ટુડિયો પર આવવાનું કાયમી આમંત્રણ હોય જ. 'આવીશું ક્યારેક' કહીને અમે વાત પૂરી કરતા. અમદાવાદ આવવાનું બને ત્યારે કાર્યક્રમ એટલો સજ્જડ હોય કે એની બહાર જઈને ભાગ્યે જ કશું વિચારી શકાય. આથી તેમના સ્ટુડિયોની મુલાકાત લેવાની રહી જ.
આવામાં અચાનક સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે સમજાયું કે ઘણા વખતથી અમારી વાત થઈ નથી. સંપૂર્ણપણે કળાને સમર્પિત, આવા પ્રેમાળ માણસ ભાગ્યે જ જોવા મળે. અમદાવાદ શહેર તેમને અખા અને દલપતરામની પ્રતિમાઓના શિલ્પકાર તરીકે કદાચ યાદ રાખશે, પણ મને રતિલાલ કાંસોદરિયા એક કળાશિક્ષક તરીકે, તેમજ એક મિત્ર તરીકે- એમ બન્ને ભૂમિકામાં યાદ રહેશે.

(તસવીર સૌજન્ય: Aura Art)

Monday, June 8, 2026

'મૅડ'નો પાગલ

"આ મેગેઝીન જોવા જેવું છે. શાંતિથી બેસીને જો. ત્યાં સુધી હું મારું કામ પતાવું."

1995-96માં મુંબઈ ખાતે 'અભિયાન'ની ઓફિસમાં હું ગયો ત્યારે ઉર્વીશે મને આમ કહીને 'મેડ'ના થોડા અંક આપ્યા. હું બેઠો બેઠો પાનાં ફેરવવા લાગ્યો. વાંચવા પ્રયત્ન કર્યો એમાં અમુક સમજાતું અને અમુક નહીં. પણ ન સમજાતું એમાંય એ ટલો ખ્યાલ આવ્યો કે આનો સંદર્ભ મને નથી ખબર, પણ કટાક્ષ શો છે. થોડી વાર પછી મારાથી પૂછ્યા વિના ન રહેવાયું, 'આ તને કોણે આપ્યું?' ઉર્વીશે કહ્યું, 'નીલેશભાઈએ. (રૂપાપરા)' નીલેશભાઈએ એની ભાળ ક્યાંથી મેળવી હશે એ પૂછવું મને જરૂરી ન લાગ્યું, પણ 'મેડ'ના એ પહેલવહેલા દર્શન પછી એના પ્રેમમાં પડ્યા, જે પ્રેમસંબંધ આજ સુધી ટકી રહ્યો છે.
ફેસબુક પર પ્રવેશ્યા પછી વિવિધ મિત્રોના પરિચયમાં આવવાનું બનતું ગયું, એમાં રાજુ પટેલ નામે એક મિત્ર પણ હતો. એમને ઉર્વીશ જાણતો હતો. એકાદ વાર કદાચ મંટો વિશેની કોઈ પ્રશ્નાવલિ મને તેમના દ્વારા વાયા ઉર્વીશ મળેલી, જે મેં ભરીને મોકલી આપેલી. એટલો પરિચય મારો પણ હતો. એ પછી ફેસબુક પર નાનીમોટી ક્રિયા-પ્રતિક્રિયા થતી રહેતી.
દરમિયાન એટલો ખ્યાલ આવ્યો કે રાજુ તો 'મેડ'ના અઠંગ ચાહક છે. 'મેડ' મેગેઝીનનું પ્રકાશન સ્થગિત થયું ત્યારે તેમણે પોતાની કોલમમાં એનો અંજલિલેખ લખેલો. એમાં 'મેડ' દ્વારા હાસ્યનાં કેવાં કેવાં ગ્રામર વિકસાવાયાં છે એની વાત હતી.
એ પછી એક વાર અમે ફોન પર વાત કરી. વાતવાતમાં મેં એને 'મેડ' સાથેના મારા પ્રથમ પરિચય અને નીલેશભાઈનો ઉલ્લેખ કર્યો. ત્યારે રાજુએ કહ્યું, 'નીલેશને એ મેં જ દેખાડેલું.' આમ, 'મેડ' પરિચયનું આખું વર્તુળ પૂરું થયું હતું. તેમની ઈચ્છા ગુજરાતીમાં આવું એક સામયિક શરૂ કરવાની હતી. ત્યારે હું મારા બ્લોગ પર દૃશ્યહાસ્યની કેટલીક 'મેડ'પ્રેરિત આઈટમો મૂકી રહ્યો હતો. જો કે, મને સામયિક શરૂ કરવાનું સૂઝ્યું નહોતું. આમ છતાં, રાજુએ અને મેં ઉત્સાહપૂર્વક ચર્ચા કરી કે 'મેડ'ના આલ્ફ્રેડ ઈ. ન્યુમનની જેમ એની ગુજરાતી આવૃત્તિનો માસ્કોટ કેવો હોય. એનાં કપડાં કેવાં હોય. એ ચર્ચાનું પરિણામ એટલું આવ્યું કે અમે સંયુક્તપણે 'MADપૂર્વક' નામનું એક ફેસબુક પેજ શરૂ કર્યું. ઠીક ઠીક સમય સુધી અમે એને સક્રિય રાખ્યું, જેમાં ઈશાન ભાવસાર, ઈમરાન દલ જેવા મિત્રો પણ વખતોવખત ઉમેરો કરતા. મોટા ભાગના ફેસબુક પેજની બાબતમાં બને છે એમ પછી એ સુષુપ્ત બન્યું અને આ વિષય સિવાયના લોકો એમાં પોતાની પોસ્ટ ચોંટાડતા થયા એટલે એના સેટિંગમાં ફેરફાર કરવો પડ્યો.
આ જ સમયગાળામાં એક વાર અમદાવાદમાં અમે 'મૅડ'મિલન યોજ્યું. રાજુ ત્યારે અમદાવાદ આવવાના હતા. કશા ઔપચારિક ઢાંચા વિના એમાં દસ- બાર મિત્રો આવ્યા. 'નવજીવન'ની ગેલરીમાં અને પછી લોનમાં બેઠા. વાતો થઈ. અને સારો એવો સમય ગાળીને છૂટા પડ્યા.
એ પછી રાજુ અમારી સાથે રજનીભાઈને ઘેર આવ્યા. એક વાર્તાકાર અને બીજા હાડોહાડ વાર્તાપ્રેમી વચ્ચેના સંવાદના સાક્ષી બનવાનું મળ્યું. રાજુ સાથેની રૂબરૂ મુલાકાત એક માત્ર આ જ.
એ પછી ફેસબુક પર અને ફોનથી સંપર્ક થતો રહેતો. 'વારેવા'નો આરંભ કરવાનો હતો ત્યારે તેમનો ફોન આવ્યો. મને એમ કે તેઓ મને વાર્તાલેખન તરફ લઈ જવા માગતા હશે. આટલી વાતચીતે મને એટલું સમજાયેલું કે રાજુ બહુ મૃદુતાથી, આપણી સાથે વાત કરીને સંમત થતાં થતાં, અને અમુક મુદ્દે ભિન્નતા દર્શાવતાં, પોતાના ધ્યેય તરફ લઈ જઈ શકે એવી કળા ધરાવે છે. એટલે મેં પહેલાં જ એમને જણાવી દીધું કે વાર્તાલેખનમાં મને હાલ કશી રુચિ નથી. તેમણે કંઈક જુદો જ ફટાકડો ફોડ્યો. કહે, 'તમારે એમાં કાર્ટૂન ચીતરવાનાં છે, અને એ પણ સાહિત્યનાં.' મેં એમને એ બાબતે મારી જે અણઆવડત દર્શાવી એ બધી જ તે જાણતા હતા, અને છતાં ઈચ્છતા હતા કે હું એ બનાવું. રાજુના એ પ્રોત્સાહન અને પહેલ થકી 'વારેવા'ના પહેલા જ અંકથી મારાં બનાવેલાં કાર્ટૂન એમાં પ્રકાશિત થવા લાગ્યા.
રાજુ ઈચ્છતા કે હું કાર્ટૂનના શો વ્યાવસાયિક ધોરણે, મોટા હોલમાં કરું. એ માટે જરૂરી વ્યવસ્થાશક્તિ અને આયોજન કરવાની મારી માનસિકતા નહોતી. તેમણે મને એ વખતે સ્ક્રેપયાર્ડનું નામ સૂચવ્યું, જેમાં તેઓ પોતે વાર્તાશિબિર યોજી ચૂકેલા. સ્ક્રેપયાર્ડ સાથે એ વખતે તો મારું જોડાણ ન થયું, પણ પછી થયું ત્યારે એવું મજબૂત રીતે થયું કે એને ધ્યાનમાં રાખીને હું અવનવા કાર્યક્રમ વિચારતો થયો. એ જોઈને રાજુ બહુ રાજી થતા. આમ તો, તેમણે કરેલા સૂચનનો જ એ અમલ હતો એટલે વિશેષ.
રાજુ સાથે અનિયમીત ફોનવ્યવહાર હતો. ફેસબુક પર એક વાર તેમણે પોતાના ફિલ્મપત્રકારત્વના કેટલાક કિસ્સા લખેલા. એ વાંચીને મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે 'જલસો' માટે આ સળંગસૂત્રે લખી આપો. રાજુએ એમની પ્રકૃતિ મુજબ મને જાતભાતના સવાલ પૂછ્યા, જેનો અર્થ એટલો હતો કે એમાં કોને રસ પડશે? હકીકતમાં તેઓ એ ન લખવાનું બહાનું શોધતા હતા એમ મને લાગ્યું, એટલે મેં કહેલું, 'અમને સંંપાદકોને એમાં રસ છે.' દરમિયાન તેમને દિલ્હી જવાનું થયેલું. ત્યાંથી એમણે એક વાર બે પાનાં લખી મોકલ્યાં અને પૂછ્યું, 'વાત બને છે?' મેં જવાબમાં લખ્યું, 'તમે આવું બધું ન પૂછો. મને અધૂરું ન મોકલશો. વાત બનવાની જ છે. એટલે હવે સીધો લેખ જ મોકલશો.'
આ પછી અમારી ખાસ વાત થઈ નહીં. દરમિયાન ફેસબુક પર તેમનું અકાઉન્ટ હેક થયું અને તેમણે નવું અકાઉન્ટ બનાવ્યું. તેમની તબિયત લથડવા લાગી અને એ છેક છેલ્લા તબક્કામાં પહોંચી ગયા એનો કશો અણસાર જ મને નહોતો. તેમનું અવસાન થયું એ દિવસે સવારે જ ઉર્વીશે મને રાજુ અંતિમ તબક્કામાં હોવાના સમાચાર આપ્યા. અને બપોરે તો કિશોરભાઈનો શોકસંદેશ આવ્યો.
રાજુ એવા મિત્ર હતા કે ઘણી બધી રીતે આપણે તેમની સાથે સંમત ન પણ હોઈએ. પણ તે સામાવાળાની વિચારશક્તિને પ્રજ્વલિત અવશ્ય કરી શકે. તેમની એ ક્ષમતા હતી અને ગમતી પ્રવૃત્તિ પણ. એકની એક જ વસ્તુને બીજી કઈ કઈ રીતે જોઈ શકાય એ રાજુ પાસેથી બહુ સહજપણે જાણવા અને ઈચ્છો તો શીખવા મળે. શાલીન, તર્કબદ્ધ રીતે દલિલ શી રીતે કરવી, પોતાનો મત શી રીતે નમ્રતાથી, છતાં દૃઢતાથી મૂકવો અને સામાવાળાની વાહિયાત દલીલને જરાય કડવાશ વિના 'ઠીક' કહીને શી રીતે અવગણવી એ રાજુ પાસેથી શીખવા મળે.
કેટલા ટૂંકા સમયમાં નીલેશભાઈ, દિલીપભાઈ અને હવે રાજુએ પણ વિદાય લીધી. તેમની અણધારી વિદાયનો આંચકો લાગે, અને એ ઓસર્યા પછી વિચારીએ તો એ પણ જણાય કે આપણા જીવનના એકાદા ખૂણાને તેમણે પોતાના વ્યક્તિત્વથી અજવાળ્યોય છે. બસ, એ જ તેમની સાથેની મૈત્રીનું સરવૈયું.
('વારેવા'ના બારમા અંકમાં 'ઉધઈ ઉવાચ' શિર્ષકથી બનાવેલું કાર્ટૂન, જેમાં સંપાદકોની ફીરકી લેવામાં આવી છે. સંપાદકમંંડળીનાં છાયાબહેન ઉપાધ્યાય વેઈટ્રેસ તરીકે, અને ડાબી તરફ બારીમાંથી સાંભળતા રાજુ તેમજ કિશોરભાઈ બતાવાયા છે.)

Sunday, March 15, 2026

ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'

આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.

'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.

તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'

આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'

માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.

Saturday, February 14, 2026

મૃદુભાષી, મિતભાષી, છતાં મક્કમ વ્યક્તિત્વની વિદાય

પ્રમેશબહેન મહેતા 
ગઈ કાલે એમિટી સ્કૂલ, ભરુચના પૃષ્ઠ પર પ્રમેશબહેન મહેતાના અવસાનના સમાચાર જાણવા મળ્યા. પ્રમેશબહેન સાથે છેલ્લી મુલાકાત 22 નવેમ્બર, 2025ના રોજ એમિટી સ્કૂલમાં જ થયેલી. ઘણા સમયથી નાદુરસ્ત તબિયત છતાં હું આવવાનો હોવાથી તેઓ ખાસ મળવા આવેલાં. વ્હીલચેર પર બેઠેલાં, પણ જાણે કે ક્યારે એની પરથી ઊભા થઈ જવું એમ જ મનમાં હોય એમ લાગે. તેમની સાથે પહેલવહેલો પરિચય 26 ફેબ્રુઆરી, 2011ના રોજ થયેલો. એમિટી સ્કૂલના બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન હતું અને મારે તેમાં વક્તવ્ય આપવાનું હતું. પ્રમેશબહેનને સૌ પ્રથમ વાર મળવાનું ત્યારે બનેલું. એમિટીના રણછોડભાઈએ તેમનો અને પ્રકાશભાઈનો પરિચય કરાવ્યો. એ વખતે પ્રમેશબહેન સાવ ખપ પૂરતું બોલતાં હોય એવી છાપ પડેલી. એ પછી એમિટી પર જ્યારે જવાનું થાય ત્યારે તેઓ મળે, હસીને ખબરઅંતર પૂછે અને વાતોમાં જોડાય ખરાં, પણ વાતોમાં ભાગ ખાસ ન લે.

મારી ભરુચની એક મુલાકાત દરમિયાન 'કોર ગૃપ'
સાથેની બેઠકમાં પ્રમેશબહેન (જમણેથી પહેલાં)

જો કે, એમિટી સ્કૂલ વિશેનું પુસ્તક 'કેળવણીનો કર્મયોગ'નું આલેખન કરવાનું શરૂ થયું ત્યારે સાવ આરંભિક મુલાકાતોમાંની એક તેમની હતી. એ વખતે મને તેમના વિશે વધુ જાણ થઈ. તેઓ પોતે પોતાના વિશે ખાસ બોલવા ઈચ્છે નહીં, પણ રણછોડભાઈએ તેમને કહ્યું, 'પ્રમેશબહેન, તમારે તમારી વાત કહેવી પડશે. નહીંતર એ લખશે શી રીતે?' પ્રમેશબહેને વાત કરી, પણ જાણે કે પોતાના વિશે વાત કરતાં સંકોચ થતો હોય એ સ્પષ્ટપણે દેખાય.

અમારી છેલ્લી મુલાકાત વખતે કાર્યક્રમમાં
ઉપસ્થિત પ્રમેશબહેન (સામેની હરોળમાં જમણેથી બીજા ક્રમે)

પ્રમેશબહેનની કૌટુંબિક પૃષ્ઠભૂમિ સાવ જુદી હતી. કરાચીમાં જન્મ્યા પછી સાવ દોઢ બે વર્ષની વયે, દેશના વિભાજનને કારણે માતાપિતા સાથે તેમણે સ્થળાંતર કરીને મુંબઈ આવી જવું પડેલું. મેટ્રિક અને ત્યાર પછી મોન્ટેસરી કોર્સ તેમણે મુંબઈમાં જ કરેલો, અને વાલકેશ્વર ખાતે ‘ભગિની કલામંદીર’માં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. લગ્ન પછી પ્રમેશબેનને સુરત સ્થાયી થવાનું બન્યું, પણ એ અગાઉ ‘ભગિની કલા મંદીર’નાં આચાર્યા વિમળાબહેને પોતાની પિતરાઈ પુષ્પાબહેનને પ્રમેશબેનના નામની ભલામણ કરી હતી. પુષ્પાબહેન ત્યારે ભરૂચમાં ‘રુંગટા વિદ્યાભવન’નાં મેનેજિંગ ટ્રસ્ટી હતાં. પ્રમેશબહેન પરણીને સુરત આવ્યાં ત્યારે તેમના પતિ આઝાદભાઈ મહેતાની નોકરી ખેતીવાડી વિભાગમાં કીમ ખાતે હતી. પ્રમેશબહેન ભરૂચ ખાતે ‘રુંગટા વિદ્યાભવન’માં જોડાયાં. વહેલી સવારે પતિપત્ની બન્ને સુરતથી ટ્રેનમાં નીકળી જતાં, અને સાંજે ઘરભેગા થતાં. આ ક્રમ બહુ લાંબું ચાલે એમ નહોતો, કેમ કે ટ્રેન દ્વારા અપડાઉન કરવામાં ઘણો સમય વેડફાતો હતો. બહુ ઝડપથી તેમણે ભરૂચમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો.
રણછોડભાઈએ આચાર્ય તરીકે ‘રુંગટા’નો કાર્યભાર સંભાળ્યો ત્યારે પ્રમેશબહેન ત્યાં પૂર્વ પ્રાથમિક વિભાગના વડાની જવાબદારી સંભાળી રહ્યા હતાં. ભૂલકાંઓમાં પ્રમેશબહેન અતિશય પ્રિય બની રહેલાં. તેમની સાદગીભરી રહેણીકરણી અને એવા જ સાદગીસભર વ્યક્તિત્વને કારણે સૌ કોઈને તેમની સાથે આત્મીયતા અનુભવાતી. પ્રકૃતિએ પ્રેમાળ અને મિતભાષી પ્રમેશબહેનના મનમાં શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધબકતી હતી.
આમ, એક સમયે 'રુંગટા વિદ્યાભવન' સાથે સંકળાયેલાં રણછોડભાઈ, પ્રમેશબહેન, શૈલાબહેન અને પ્રવિણસિંહ રાજ 'એમિટી સ્કૂલ'ની સ્થાપનામાં નિમિત્ત બન્યાં. શિક્ષણના પોતાના ખ્યાલ અનુસાર તેમણે સૌએ આ શાળાને સીંચી અને એક આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ત્યારથી પ્રમેશબહેન જીવનપર્યંત એમિટી સાથે જ સંકળાયેલાં રહ્યાં. બાળકો પ્રત્યેના તેમના પ્રેમની છાલક સૌ કોઈને ભીંજવતી. આથી જ છેક પૂર્વ પ્રાથમિકમાં ભણી ચૂક્યાં હોય એવાં અનેક બાળકો મોટાં થાય અને તેમનાં પોતાનાં સંતાનોને પૂર્વ પ્રાથમિકમાં મૂકવાનો વારો આવે ત્યારે 'પ્રમેશ ટીચર'ને યાદ કરતાં.
પુસ્તકના આલેખન દરમિયાન એક આખો અરસો મારે 'એમિટી'ની મુલાકાતે જવાનું થતું રહ્યું. દરેક મુલાકાત વખતે પ્રમેશબહેન સસ્મિત હાજર હોય. તેઓ વાલી સાથે કે સહકાર્યકરો સાથે વાત કરે ત્યારે જાણે કે જુદી જ વ્યક્તિ હોય. બાળઉછેર તેમજ શૈક્ષણિક પદ્ધતિ વિશેની તેમના મનમાં રહેલી પાયાની સ્પષ્ટતાઓ આ વાતચીતમાં જોઈ શકાય. અને આ તેમને સૌથી ગમતું કામ એ તેમને જોઈને આપણને સમજાઈ જાય.
નવેમ્બરમાં બુક લવર્સ મીટ નિમિત્તે સાંજે મારે ભરૂચનો કાર્યક્રમ હતો. ત્યારે સવારે એમિટી સ્કૂલમાં મારે હોમાય વ્યારાવાલા વિશે વાત કરવાનું રણછોડભાઈ અને પ્રકાશભાઈએ આયોજન કર્યું. ત્યાં હવે પરિચીત બનેલા સૌ કોઈને મળવાનું આકર્ષણ મને હોય એ સ્વાભાવિક છે. મેં સાંભળેલું કે પ્રમેશબહેનની તબિયત નાદુરસ્ત રહે છે. પણ તેઓ એ જ હસતા ચહેરે આવ્યાં ત્યારે સાનંદાશ્ચર્ય થયું. એટલું જ નહીં, તેઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બેઠાં રહ્યાં. ત્યારે ખ્યાલ નહોતો કે તેમની સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પ્રમેશબહેન જેવી વ્યક્તિ સદેહે ભલે વિદાય લે, પણ તેમની સ્મૃતિઓની મહેક એવી હોય છે કે રજનીગંધાનાં ફૂલોની સુગંધની જેમ તે મનને સદાય મહેકતું રાખે.

Sunday, November 30, 2025

'જે પરમાત્મા! એમ જોયા ની કર.'

- બીરેન કોઠારી

રમેશ ભોયાના અવસાનના સમાચાર વહેલી બપોરે (30 નવેમ્બર, 2025ને રવિવારે) મળ્યા. એ સાથે કેટકેટલી વાતો યાદ આવી ગઈ! એક સમયે મારો સહકાર્યકર રહી ચૂકેલો રમેશ નવોસવો જોડાયો ત્યારે એના શારિરીક બંધારણથી અલગ પડી આવતો. ઊંચાઈ ઓછી, શ્યામ વર્ણ, અને ગોળમટોળ આકાર. કપાળે નાના 'યુ' આકારમાં ત્રણ ટપકાં ધરાવતું લાલ રંગનું તિલક. જે મળે એને પોતાની છાતીએ હથેળી અડકાડીને, સહેજ માથું નમાવીને 'જય પરમાત્મા'નું અભિવાદન કરતો. રમૂજીલાલ દ્વારા સ્થપાયેલા મોક્ષમાર્ગી સંપ્રદાયનો એ અનુયાયી હોવાની ખબર પછી પડી. જોતજોતાંમાં તે સૌ કોઈનો લાડકો બની ગયો. મુખ્ય કારણ એનો ભલોભોળો અને નિષ્કપટ સ્વભાવ. બહુ ઝડપથી સૌ એને 'રમેશ' કે 'ભોયા'ને બદલે 'પરમાત્મા' કહીને જ સંબોધવા લાગેલા.

રમેશ ભોયા (તસવીર સૌજન્ય: જસવંત દરજી) 


એની બોલી સાંભળીને રમૂજ થતી. દક્ષિણ ગુજરાતની છાંટવાળા 'આઈવો', 'ગિયો' જેવા ઉચ્ચારો ઊપરાંત મોટે ભાગે તુંકારે બોલાવવાની રીત. એ પોતાના પિતાજી વિશે વાત કરે તોય કહે, 'ફાધર હમણાં આઈવો છે.'
ધરમપુર પાસે પર્વતની ગોદમાં વસેલું લુહેરી ગામ એનું વતન. કેટલાક મિત્રો એના વતન ગયેલા. એક વાર હું પણ મારા પરિવાર સાથે એને ત્યાં ગયેલો. ધરમપુરથી બસ કે વાહન ન મળ્યું. તો એનો ભાઈ શાંતિલાલ 'સ્પ્લેન્ડર' બાઈક પર અમને ચાર અને એ પોતે એમ પાંચેને બેસાડીને પથરાળ રસ્તે લુહેરી લઈ ગયેલો. ગામ કે નગરમાં ફળિયાની વ્યાખ્યાથી સાવ વિપરીત આ પહાડી ગામનું ફળિયું. એક એક ઘર એકમેકથી કેટલુંય છેટું. ગામનું સ્થાન જાણે સીધું જ કોઈ ચિત્રપોથીમાંથી બહાર કાઢીને મૂકી દીધું હોય એવું. સહેજ દૂર પર્વત દેખાતા હોય. આગળ ખુલ્લી જગ્યા અને પાછળ વહેતું ઝરણું. રસ્તાની સામેની બાજુએ છાંયાદાર વૃક્ષો. મન ફાવે ત્યાં ફરો, બેસો. મારાથી બોલાઈ ગયું, 'યાર, આવી જગ્યા છોડીને તું નોકરી કેમ કરે છે?'

ભોયાને ગામ લુહેરી ગયો ત્યારે મેં બનાવેલો સ્કેચ

તાડનાં ઝાડ પુષ્કળ. ભોયાએ ગામમાંથી બે માણસોને બોલાવ્યા. તેઓ તાડના ઝાડ પર ચડ્યા અને ઊપરથી તાડનાં મોટાં મોટાં ફળ તોડીને નીચે પાડ્યાં. એમાંથી અમે સૌએ તાડફળી ખાધી. કોઈક સરકારી અધિકારી કશા કામે આવેલા એમનેય થાળીમાં તાડફળી ધરવામાં આવી એ જોઈને બહુ નવાઈ લાગી. ભોયાના પિતાજી ગામના સરપંચ હતા, અને ગામમાં એમની ઘંટી પણ ખરી. અમે સૌ આવેલાં એટલે ભોયાએ પેલા પર્વતો પર ચડવાનો કાર્યક્રમ બનાવેલો. ત્યાં એક ગુફા હતી, જેમાં વાઘની આવનજાવન રહેતી એમ કહેવાતું. મારાં બન્ને સંતાનો નાનાં હતાં એટલે જવાય ત્યાં સુધી જવું એમ વિચારેલું. પણ ભોયાએ ગામમાંથી બે ખાસ માણસોને તેડાવ્યા. એ લોકોએ મારાં સંતાનોને તેડીને પર્વત ચડાવેલો. પેલી ગુફા પણ અમે જોઈ. એ વખતે હું સ્કેચબુક પણ લઈ ગયેલો. ત્યાં મેં સ્કેચ પણ બનાવ્યા અને ઘેર આવીને તેને પૂરા કર્યા. અહીં ભોજનમાં ચોખાના રોટલા સામાન્ય. પણ અમે આવેલા એટલે ધરમપુરથી શિખંડ મંગાવવામાં આવેલો. બે દિવસના યાદગાર રોકાણ પછી અમે પાછા આવેલા.

લુહેરીમાં ભોયાના ઘરનો બનાવેલો સ્કેચ
નોકરી પર બીજી પાળી (બપોરના બેથી રાતના દસ સુધી)માં સાંજે સૌ ભેગા જમવા બેસતા. મોટા ભાગના લોકો ઘેરથી ટિફિન લઈને આવતા. એમાં ભોયાએ લાવેલા ચોખાના રોટલાની બહુ માંગ રહેતી. કેરીની સિઝન હોય એટલે ભોયા ખાસ રાજાપુરી કેરીઓ લઈ આવે. એ વખતે બીજી પાળીમાં કેરીની જયાફત હોય. રાજાપુરી કેરી આટલી મીઠી હોય એ એના દ્વારા જાણેલું. ક્યારેક એ ફણસ લાવતો. એની બહુ માંગ ન રહેતી, પણ મને એ ભાવતું. એટલે ક્યારેક એની થોડી પેશીઓ હું ઘેર પણ લેતો આવતો.
મને ખાસ ખ્યાલ નહોતો કે એ કયો સંપ્રદાય પાળે છે. પણ એને ઘેર ગયો ત્યારે જોયું તો એ સંપ્રદાયનું એ વિસ્તારમાં ઘણું ચલણ હતું. એટલે થોડી પૂછપરછ કરી. એમાંથી ખબર પડી કે એ સંપ્રદાયના સ્થાપક રમૂજીલાલ હતા. અત્યાર સુધી આ નામ મેં એક જ વાર સાંભળેલું, કેમ કે, એ નામે મણિનગર સ્ટેશન નજીક એક હૉલ છે. આથી મેં લાગલું પૂછ્યું, 'મણિનગર હૉલ છે એ જ આ?' એટલે ભોયા ખુશ થઈ ગયો. એણે એ પછી વધુ વિગત જણાવી. એ હૉલમાં રમૂજીલાલનું મંદિર પણ છે. ત્યાં એ ઘણી વાર જતો અને આવીને એના વિશે જણાવતો.
એ કૂંકણા જનજાતિનો હતો. એ વિસ્તારની કેટલીક સંસ્થાનું લેખનકાર્ય મેં કરેલું હોવાથી ત્યાંની કેટલીક જનજાતિઓનાં નામ વિશે મને ખ્યાલ હતો. આથી ક્યારેક સમય મળે ત્યારે એની બોલી અને એના શબ્દો વિશે વાત પણ નીકળતી.
તેની દીકરી જિગિષા અને દીકરા જિજ્ઞેશ વિશે પણ વાત થતી રહેતી. જો કે, 2007માં મેં મારું ક્ષેત્ર બદલ્યું એ પછી અમારું મળવાનું ઘટ્યું. કદી કોઈક પ્રસંગે કે સ્નેહમિલનમાં મળી જઈએ ત્યારે અલપઝલપ વાત થતી. હમણાં ઘણા વખતથી મળાયું નહોતું કે નહોતા કશા સમાચાર.

નિવૃત્તિ વખતે રમેશ ભોયા (ડાબે)
અને જયંતિ મકવાણા

(તસવીર સૌજન્યઃ રાજેન્‍દ્ર પી. પટેલ) 

આજે બી.એસ.પટેલ અને આર.પી.પટેલને પૂછતાં જાણવા મળ્યું કે દોઢેક વર્ષ અગાઉ તે નિવૃત્ત થયો એ અરસામાં જ તેને આંતરડાના કેન્સરનું નિદાન થયેલું અને સર્જરી કરવામાં આવેલી. એ પછી કિમોથેરાપી શરૂ થયેલી. આથી તે અમદાવાદ હતો. અચાનક તેના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પૃથ્વીલોકમાંથી વિદાય લઈને ભોયા ચિત્રગુપ્ત આગળ ઊભો રહેશે અને કહેશે, 'જે પરમાત્મા! એમ જોયા ની કર. વહેલો આવી ગિયો તિમાં ચોપડામાં મારું નામ ની ઓહે.' ચિત્રગુપ્તે ચોપડો બાજુએ મૂકીને આ સરળ, સહૃદય માણસને પ્રવેશ આપવો જ પડશે.

Friday, June 6, 2025

યમરાજા વિશે તમે શું જાણો છો?

 - બીરેન કોઠારી

હિમાચલ પ્રદેશના પ્રવાસે હતો એ દરમિયાન મિત્ર સુધીરભાઈ દ્વારા મોદીભાઈના 29 મે, 2025ના રોજ થયેલા અવસાનના સમાચાર મળ્યા. બી.એન.મોદી એટલે કે બાબુભાઈ મોદીને યાદ કરતાં જ અનાયાસે હોઠ મલકી જાય એવી એમની પ્રકૃતિ.

આઈ.પી.સી.એલ.ના એલ.એ.બી. પ્લાન્ટમાં તેઓ વહીવટી વિભાગમાં હતા. હું 1984માં આ પ્લાન્ટમાં જોડાયો ત્યારે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકે એવી શક્યતા નહોતી. પણ નવા જોડાયેલા તાલિમાર્થીઓ શરૂઆતમાં જનરલ શિફ્ટમાં હોય ત્યારે મોદીભાઈના વિશાળ રૂમમાં બેસતા. એ જ રૂમમાં મોદીભાઈની સામે સ્ટેનો-ટાઈપિસ્ટ 'શિવો' (પી.કે. શિવકુમાર) બેસતો. પ્લાન્ટનું સંકુલ જેમણે જોયું ન હોય એમની જાણ માટે કે વિશાળ પ્લાન્ટમાં એક તરફ કન્ટ્રોલ રૂમનું બિલ્ડીંગ હોય છે. અમારા પ્લાન્ટમાં પણ એવું બે માળિયું મકાન હતું. એમાં પહેલા માળે ડેપ્યુટી મેનેજર, પ્રોડક્શન મેનેજર અને સિનીયર પ્રોડક્શન મેનેજરની કેબિન રહેતી. ઊપરાંત હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલ અને તેની બાજુમાં ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટેનો-ટાઈપિસ્ટનો રૂમ પણ હતો. મોદીભાઈ એ રૂમમાં બેસતા. એ વખતે તેઓ કદાચ ઓફિસ આસિસ્ટન્ટ હતા, એ પછી પ્રમોટ થયા હશે. પણ એમનું કાર્યસ્થળ એનું એ જ રહેલું.

પ્લાન્ટમાં કામ કરતા અધિકારી વર્ગના લોકોને દર મહિને નિયત ધોરણે મળતી સ્ટેશનરી (પેડ વગેરે..) આપવાનું કામ મોદીભાઈનું રહેતું. પ્લાન્ટ પર કામ કરનારા લોકો મોટે ભાગે શિફ્ટની નોકરીમાં હોવાથી તેઓ પોતાને અનુકૂળ સમયે મોદીભાઈ પાસે આવતા. આને કારણે મોદીભાઈની પાસે કાયમ કોઈ ને કોઈ બેઠેલું જ રહેતું.

જોડાયા પછીના થોડા મહિનામાં જ મને હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલમાં મૂકવામાં આવ્યો. તેને કારણે મને મોદીભાઈના સત્સંગનો લાભ મળતો થયો. તેમની બોલીમાં ભરૂચ-અંકલેશ્વરની દક્ષિણ ગુજરાતી છાંટ વરતાતી. આને કારણે તેમનું રમૂજી વ્યક્તિત્વ વધુ રમૂજી લાગતું, કેમ કે, તેઓ જે કમેન્ટ કરે એ પણ એવી હોય, અને પાછી એમની બોલીમાં હોય. એટલે સાંભળવાની બહુ મજા આવતી. તેમની રમૂજવૃત્તિ આગવી હતી. જાડી પણ ખરી, અને સૂક્ષ્મ પણ ખરી. અમારી બન્નેની રૂમ વચ્ચે લાકડાનું એક પાર્ટિશન જ હતું, આથી અમે એકમેકના રૂમમાં ગયા વિના પણ વાત કરી શકતા. જમીને તે છાપું વાંચતા હોય ત્યારે અચાનક જ કોઈ હેડલાઈન મોટેથી વાંચે. એમાં પણ એ કોઈ એવા શબ્દ પર ભાર મૂકે કે આપણાથી હસ્યા વિના રહેવાય જ નહીં. મોટા ભાગના લોકોના મનમાં એવી છાપ રહેતી કે મોદીભાઈ જલસા કરે છે, કામ કશું કરતા નથી અને છાપાં-મેગેઝીન વાંચ્યા કરે છે. હકીકત એવી હતી કે તેઓ કામ એવી હળવાશથી, મસ્તીમજાક સાથે કરતા કે કોઈને ખ્યાલ જ ન આવે કે એ કામ કરી રહયા છે.

શબ્દોને તોડમરોડ કરવામાં, સાવ સામાન્ય બાબત વડે હાસ્ય ઊપજાવવામાં તેમને બહુ મજા આવતી. જેમ કે, તેમનું મુખ્ય કામ વિવિધ પ્રકારનાં કાગળિયાંનું 'ફાઈલિંગ' કરવાનું રહેતું. બીજી તરફ, પ્લાન્ટના ઊપરી અધિકારી ક્યારેક કોઈકને 'ફાયરિંગ' આપે એમ બનતું. મોદીભાઈ 'ફાયરિંગ'ને બદલે ધરાર 'ફાઈલિંગ' શબ્દનો ઊપયોગ કરતા. હિન્દીમાં કહે, 'આજ તો ઉસકો બહોત ફાઈલિંગ મિલા.' એ વખતે હાઈડ્રોકાર્બન સેલમાં નવાસવા મૂકાયેલા એક ઈજનેર આ સાંભળીને ચોંકી ગયા. તેમને થયું કે આટલાં બધાં કાગળિયાં પ્લાન્ટમાં શી રીતે હોય કે એને 'ફાઈલિંગ' આપવું પડે? પણ પછી સાચો અર્થ ખબર પડતાં એ મોદીભાઈના એ હદે ફેન થઈ ગયા કે મોદીભાઈના જ શબ્દોનો ઊપયોગ કરવા લાગ્યા. કોઈ પૂછે, 'મોદીભાઈ, કેવું છે?' તો પહેલાં કહેતા, 'રબારબ (બરાબર).' ધીમે ધીમે એમાંથી 'રબેક્સ' કહેવા લાગ્યા. પછી એ જ કોઈને પૂછતા, 'વેકુ છે? રબેક્સ વેજુ ને?' 'રબેક્સ' પછી તેઓ 'ડેન્‍ટોબેક' શબ્દનો ઉપયોગ કરતા.

મોદીભાઈના 'કોઈન' કરેલા શબ્દોનો સૌથી વધુ ઊપયોગ 'શિવો' કરતો. તમિળભાષી શિવકુમારનું આવું ટૂંકું નામ કદાચ મોદીભાઈએ જ પાડેલું. શિવો 'ટાઈમ્સ' વાંચતો, પણ ગુજરાતી પૂરેપૂરું સમજતો, અને મોદીભાઈની બોલી એ વિશેષ સમજતો. મોદીભાઈને મળવા આવનારા મોટા ભાગે શિવા સાથે હિન્દીમાં વાત કરવા પ્રયાસ કરતા, પણ શિવો મોદીભાઈની બોલીમાં ગુજરાતીમાં જ વાત કરતો. તમિળભાષી શિવાના મોંએ બોલાયેલા અંકલેશ્વરી બોલીના શબ્દો સામાવાળાને પહેલાં તો સમજાતા નહીં, અને સમજાય એ પછી આશ્ચર્યનો આઘાત લાગતો.

અમે બાજુબાજુની કેબિનમાં બેસતા ત્યારે અચાનક મોદીભાઈના અવાજમાં મોટેથી કોઈ વાક્ય કે શબ્દો કાને પડતા. જેમ કે, 'નેટે નુસ?', તો ક્યારેક 'ડુગ નોમરિગ', તો કદીક કોઈકને કહે, 'એય ડુગડુગીયા'. એ એટલું ચેપી રહેતું કે કોઈ પણને એનો પડઘો પાડવાનું મન થઈ જાય, અને લોકો એમ કરતા પણ ખરા. બહુ મોડેથી ખબર પડી કે તેમને એ રીતે શબ્દો ફેરવીને બોલવાની આદત હતી. '(તે)ટેને શું?'ને ફેરવીને તેઓ 'નેટે નુસ' બોલતા, તો 'ગુડ મોર્નિંગ'ને તે 'ડુગ નોમરિગ' કહેતા- દિવસના કોઈ પણ સમયે. ક્યારેક તે અચાનક અમારી રૂમમાં આવી ચડતા અને કોઈ પણના કાનની બૂટ પકડીને, તેને પંપાળતા અને કશો પણ સવાલ કરતા. એ સવાલનો મુદ્દો કોઈ પણ હોઈ શકે. જેમ કે, અત્યારના સમયમાં તેઓ પૂછી શકે, 'સફારી વિશે તમે શું જાણો છો?' અથવા તો 'સર્જિકલ એરસ્ટ્રાઈક વિશે પાંચ વાક્યો બોલો.' કલ્પના કરો કે એક માણસ તમારા કાનની બૂટને પંપાળે છે, સહેજ વિચિત્ર મુદ્રામાં ઊભો છે, અને અતિશય ગંભીરતાથી, સાવ નિર્દોષપણે આ સવાલ પૂછી રહ્યો છે! જો કે, એમનો આશય જવાબ મેળવવાનો જરાય નહીં. તેમની આ ગતિવિધિ એટલી રમૂજપ્રેરક હતી કે હસવું આવ્યા વિના રહે જ નહીં, અને એ પણ ખડખડાટથી ઓછું જરાય નહીં. આ ચેપ તેમની આસપાસમાં રહેતા સહુ કોઈને લાગતો. મને પણ લાગેલો. કોઈ પણ વિષય બાબતે, કોઈ પણ સ્થાને અચાનક ગંભીરતાથી પૂછી બેસવાનું, 'ફલાણાઢીંકણા વિશે તમે શું જાણો છો?' અથવા 'ફલાણાઢીંકણા વિશે પાંચ વાક્યો બોલો.' આની ધારી અસર થતી. ક્યારેક ગંભીર કે એકવિધ બનવા જઈ રહેલું વાતાવરણ સાવ હળવું બની જતું.

મોદીભાઈના ભાગે ટાઈપરાઈટર વાપરવાનું ભાગ્યે જ આવતું. પણ એકાદ બે વાર મેં તેમને ટાઈપ કરતા જોયા અને તેમની ઝડપ તેમજ શૈલી જોઈને હું દંગ રહી ગયેલો. એ વખતે ત્યાં હસમુખ પરમાર નામનો એક ખલાસી હતો, જે મોટે ભાગે સૌના માટે ચા-નાસ્તો લાવવાનું કામ કરતો. મોદીભાઈના શબ્દપ્રયોગો હસમુખ ભરપૂર ઊપયોગમાં લેતો- એના આગવા ઉચ્ચારો સાથે.

સદાય હસતા-હસાવતા મોદીભાઈને કોઈ કામ બદલ યા અન્ય કારણોસર ધમકાવે એ શક્ય નહોતું. એમનું એવું રૌદ્ર સ્વરૂપ એકાદ બે વાર મને જોવા મળેલું. મોદીભાઈને ખખડાવવાનો પ્રયત્ન કરનાર અમારા પ્લાન્ટના સર્વોચ્ચ અધિકારીનો ઊધડો મોદીભાઈએ જે રીતે લઈ નાખ્યો એ પાર્ટીશનની પેલે પાર સાંભળીને અમારા વિભાગમાં સોપો પડી ગયેલો, કેમ કે, સામાન્ય સંજોગોમાં એ અધિકારીને આ રીતે જવાબ આપવાની હિંમત કોઈ કરે એમ નહોતું.

શિવકુમાર સાથે મારી દોસ્તી વિકસી અને 1986-87માં તેનું લગ્ન થયું ત્યારે અહીંથી એક માત્ર હું જ મેટ્ટુર ગામે ગયેલો. શિવાના લગ્ન નિમિત્તે મેટ્ટુર-તિરુપતી-મદ્રાસનો મારો એ પ્રવાસ હજી આજેય મને યથાતથ યાદ છે, અને એની ઝીણીઝીણી વિગતો હજીય- શિવાનાં બન્ને સંંતાનોનાં લગ્ન થઈ ગયા પછી પણ સંદર્ભબિંદુ તરીકે હું વાપરું છું. એ પ્રવાસેથી આવ્યા પછી તેનું વૃતાંત મોદીભાઈને મેં કહી સંભળાવેલું. ભાષાને લીધે નડતી સમસ્યા, શિવાનાં સગાંનું કૂતુહલ, મારી જિજ્ઞાસા, લગ્નપ્રસંગે ઊભી થતી સામાન્ય ગૂંચવણ, એ બાબતનું મારું મૌલિક અર્થઘટન- આ બધાનું મિશ્રણ એવું હતું કે સરવાળે રમૂજ સર્જાતી. મોદીભાઈએ એ એટલા રસથી સાંભળેલું કે પછી તેઓ પણ આમાંથી કોઈક સંવાદ કે પ્રસંગની એકાદ લીટી કહેતા રહેતા, અને અમે નવેસરથી હસતા.
શિવકુમારની દીકરી વૈશાલીના લગ્ન નિમિત્તે જ મોદીભાઈ દંપતિને છેલ્લી વાર મળવાનું બનેલું. કોવિડના સમયગાળામાં વાતાવરણ સહેજ હળવું થયા પછી એ લેવાયેલું. સંખ્યાની મર્યાદા હોવાથી શિવાએ પ્રસંગો મુજબ નિમંત્રિતોને વિભાજીત કરી દીધેલા. મોદીભાઈ અને હું એક જ પ્રસંગમાં હોવાથી અમે સાથે જમ્યા. એ વખતે ફરી એક વાર અમે શિવાના લગ્નની અમુક વાતો યાદ કરી અને નવેસરથી હસ્યા.

તેઓ વયનિવૃત્ત થયા એ પહેલાં મેં ક્ષેત્રપરિવર્તન કરી લીધેલું, છતાં કદીક મળવાનું થઈ જતું. વચ્ચે એકાદ વાર તે બિમાર હોવાના અને પ્લાન્ટના કેટલાક મિત્રો તેમની ખબર જોવા ગયા હોવાના સમાચાર મળેલા. એ પછી સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા.

કદી ગંભીર, તંગ કે ઠાવકા મોડમાં એમને જોયા નથી. તેમને કશું દુ:ખ હોઈ શકે એ કલ્પનાતીત બાબત છે. મોદીભાઈ એવી જણસ છે કે ઊપર ગયા પછી ચોપડામાં તેમની વિગતો તપાસતા ચિત્રગુપ્તના કાનની બૂટ પકડીને એને પંપાળતાં પંપાળતાં પૂછશે, 'યમરાજા વિશે તમે શું જાણો છો?' પૃથ્વી પરથી આવનારા આ જીવની ગુસ્તાખી જોઈને અકળાયેલો ચિત્રગુપ્ત કશું કહેવા જાય ત્યાં મોદીભાઈ ફરી પૂછશે, 'સ્વર્ગ અને નર્ક વચ્ચેના તફાવત વિશે પાંચ વાક્યો બોલો.' ચિત્રગુપ્ત જોશથી ચોપડો બંધ કરશે અને કહેશે, 'મિસ્ટર મોદી! યુ આર ઈન.' અને મોદીભાઈ જોરથી કહેશે, 'નેટે નુસ?'

Thursday, January 9, 2025

પરોક્ષપણે રસરુચિનું ઘડતર કરનાર પ્રીતિશને અલવિદા

પ્રીતિશ નંદીના અવસાનના સમાચાર આજે (9 જાન્યુઆરી, 2025) સવારે જાણ્યા ત્યારે કોઈક જૂના પરિચીતના અવસાનના સમાચાર જાણીને જે અનુભવાય એવું જ લાગ્યું. એવા પરિચીત જેની સાથે પરિચય હોય, પણ ઘણા અરસાથી એ જીવંત ન રહ્યો હોય. સાંજે ઉર્વીશ સાથે વાત થઈ અને એ પછી એ સમયના 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'ને યાદ કર્યું. કળા કે કાર્ટૂન પ્રત્યેની અભિરુચિનું અમારું ઘડતર કરવામાં પ્રીતિશ નંદીનો કેવડો મોટો ફાળો હતો! 'વીકલી'ને ઘણા તેના તંત્રીઓ ખુશવંતસીંઘ કે એમ.વી.કામથ થકી યાદ કરે છે, પણ અમારા માટે 'વીકલી' એટલે પ્રીતિશ નંદી.

1985માં હું વીસ વર્ષની વયે નોકરીમાં જોડાયો એ અગાઉ 'વીકલી'ના નામથી પરિચીત હતો, કેમ કે, પપ્પા ક્યારેક રેલ્વેના સ્ટૉલ પરથી તે લઈ આવતા. એ અંગ્રેજીમાં હોવાથી વાંચવાનું ખાસ બનતું નહીં, પણ તેનું કદ અને એમાં છપાયેલી તસવીરો ઉપરાંત તેના કાગળ અને શાહીની વિશિષ્ટ ગંધને કારણે તેનાં પાનાં ઊથલાવવા ગમતા. એમાં દેશની નદીઓમાં વિવિધ જળચરો અંગેનો એક વિશેષાંક અમે ઘણા અરસા સુધી સંઘરી રાખ્યો હતો. મારી કંપનીમાં 'વીકલી' આવતું હતું. તે વાંચનારા ઓછા હતાં. મોટે ભાગે મને જૂના અંક વાંચવા મળતા. તેમાં ક્યારેક રાજુ ભારતનના જૂનાં ફિલ્મી ગીતો વિશેના લેખ વાંચીને નવાઈ લાગતી કે આવા વિષય પર પણ લેખ હોઈ શકે? હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશેનો રાજુનો લેખ 'The sardar of songs' એમાં જ વાંચેલો. એક 'વીકલી'માં આવેલો, વડાપ્રધાનના નિકટના ગણાતા સ્વામી ચંદ્રાસ્વામીને ખુલ્લા પાડતો લેખ 'Exposed' પણ એમાં જ વાંચીને બહુ રોમાંચિત થયેલા.

ધીમે ધીમે હું રેલ્વે સ્ટેશનેથી ખરીદતો થયો. દર અઠવાડિયે તે પ્રકાશિત થતું અને નિયમીતપણે સ્ટૉલ પર આવી જતું. કિંમત પણ કદાચ દસેક રૂપિયા જેટલી હતી. સ્ટેશનેથી 'વીકલી' ખરીદીને ઘેર લાવતો અને ઉર્વીશ સાથે પણ એની વાત થતી રહેતી. એક વાર એમ થયું કે આનું લવાજમ ભરી દઈએ તો? કદાચ પાંચસોની આસપાસ લવાજમ હશે. એ અમે ભરી દીધું એટલે હવે 'વીકલી' ઘેર આવતું થયું. એ સમયગાળો એવો હતો કે મારી નોકરી શરૂ થયેલી, લગ્ન થવાને વાર હતી, અને વાંચન ઊપરાંતની વિવિધ બાબતોમાં રસરુચિ કેળવાતાં જતાં હતાં. બિલકુલ આ સમયગાળામાં પ્રીતિશ સંપાદિત 'વીકલી' અમને મળ્યું. અમારા માટે જાણે એક નવી જ સૃષ્ટિ ખૂલવા લાગી. કળા, કલાકારો, કાર્ટૂન, ફિલ્મ, મગજને કસતા કોયડા, ટૂંકી વાર્તા, પત્રકારત્વની વિશિષ્ટ મુલાકાતો....દર સપ્તાહે 'વીકલી'ના થાળમાં આ બધું પીરસાતું. 'વીકલી'નું કદ ઘણું મોટું, એટલે એમાં છપાતા શ્વેતશ્યામ ફોટાનો પ્રભાવ જ જુદો. ઝાઝો શ્રમ કર્યા વિના નામ ગણાવું તોય કેટકેટલું પહેલા ઝપાટે જ યાદ આવી જાય એવું છે:
ઉન્નીએ ચીતરેલું પ્રીતિશનું કેરિકેચર

હેમંત મોરપરીયા અને મારીઓ મીરાન્ડા તેમજ બ્રિજેન ઠક્કરની કાર્ટૂન કોલમ, આ જ કાર્ટૂનિસ્ટોનાં કોઈ એક વિષય પરનાં ડબલ સ્પ્રેડ આવતાં. (યોગાનુયોગે કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે પણ તેમના કાર્ટૂનપ્રેમ વિશે લખ્યું છે) દર સપ્તાહનાં ચૂંટેલાં કાર્ટૂનો માટે 'National Lampoon' નામનું આખું પાનું ફાળવાતું, જે જોઈને વિવિધ કાર્ટૂનિસ્ટોની શૈલી ઓળખવાની કવાયત અમે કરતા. કાર્ટૂનિસ્ટ ઉન્નીએ એમને શ્રદ્ધાંજલિ આપતાં યોગ્ય રીતે જ લખ્યું છે કે '(કાર્ટૂનિસ્ટ) શંકર પછીના સૌથી વધુ કાર્ટૂનિસ્ટ ફ્રેન્ડલી એડિટર.'

કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યની અંજલિ
'માય આર્ટ' કોલમમાં દર વખતે અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ 'પોતાની કળા' વિશે લખતા. એમાં સચીન તેંડુલકર પણ હોય, અને હુસેન પણ! મુકુલ શર્માનું 'માઈન્ડ સ્પોર્ટ્સ' પાનું, જેમાં અનેક પ્રકારની શબ્દરમતો અને કોયડા રહેતા. સમીર મોંડલનાં વૉટર કલર ચિત્રોથી શોભતાં અનેક મુખપૃષ્ઠ, 'એડીટર્સ ચોઈસ'નામનું છેલ્લું પાનું, જેમાં ફિલ્મ, પુસ્તક, ચિત્ર પ્રદર્શન વગેરેથી લઈને કોઈ પણ વિષય અંગે લખાણ હોય. 'રીઅલ ઈશ્યૂઝ' ટાઈટલવાળી એક કવર સ્ટોરી તો પ્રીતિશ જ વિચારી શકે એવી હતી. એમાં દેશની તત્કાલીન મુખ્ય સમસ્યાઓ વિશે ટૂંકમાં લખાણ હતું, અને એ દરેક સમસ્યાઓ અંગે જાણીતા ચિત્રકારોએ દોરેલાં ચિત્રો. માનસ કમલ બિશ્વાસ નામનો ચિત્રકાર સાવ ઝૂંપડામાં રહેતો હતો, પણ પ્રીતિશે એને પોંખેલો, અને અવારનવાર તેનાં ચિત્રો 'વીકલી'માં દેખા દેતાં. આવું તો કેટકેટલું યાદ આવે!

'નેશનલ લેમ્પૂન'

વીસરાયેલા ફિલ્મ કલાકારો વિશેની 'વીકલી'ની કવરસ્ટોરી 'Fade Out' વાંચ્યા પછીના અરસામાં અમે કે.એન.સિંઘ, ભગવાન જેવા કલાકારોને મળ્યા ત્યારે એ સ્ટોરીના સંદર્ભ સાથે વાત કરવાની મજા આવી હતી. (કે.એન.સિંઘની દૃષ્ટિ નહીંવત રહેલી, પણ યાદશક્તિ ટકોરાબંધ. તેમણે કહેલું, 'ઉસને ટાઈટલ ભી અચ્છા દિયા થા- ફેડ આઉટ. હમ 'ફેડ આઉટ' હી તો હો ગયે હૈ)

એક અંગત અનુસંધાન તો ભૂલાય નહીં એવું છે.

ક્રિકેટર સચીનનો ત્યારે ઉદય થઈ રહ્યો હતો. એ વખતે તેમનું સમીર મોંડલે દોરેલું વૉટર કલર ચિત્ર 'વીકલી'ના ટાઈટલ પેજ પર હતું. એ જ રીતે ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે સમીર જ ચીતરેલું વૉટર કલર ટાઈટલ પર હતું.

'માય આર્ટ' અંતર્ગત સચીનનો લેખ

1991ના અરસામાં ચાલુ નોકરીએ મેં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશપરીક્ષા આપેલી અને મારે પેઈન્ટિંગ શાખામાં પ્રવેશ લેવો હતો. એમાં એક પેપર થિયરીનું હતું. એક સવાલ એવો પૂછાતો કે તમને ગમતા કોઈ એક ચિત્રનું વિવરણ કરો. મને ખ્યાલ નથી, કેવળ ધારણા છે કે સામાન્ય રીતે લોકો મોનાલીસા કે વાન ગોગના કોઈ ચિત્ર કે એ પ્રકારે જાણીતાં ચિત્રો વિશે લખતાં હશે. તેને બદલે મેં 'વીકલી'ના કવર પેજ પર સમીરે ચીતરેલા ચંદ્રશેખરના વૉટર કલર ચિત્રનું વિવરણ લખેલું. એને કારણે મારા થિયરીમાં વધુ માર્ક્સ આવ્યા અને મારી ઈચ્છા ડિપ્લોમામાં પ્રવેશ લેવાની હતી તેને બદલે મને ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા સૂચવાયું. અને મેં એમાં પ્રવેશ લીધો. (જો કે, પછી એ પૂરો ન થઈ શક્યો એ અલગ વાત છે)

સમીર મોંડલ સાથે પરોક્ષ નાતો એવો બંધાયેલો કે તેમનાં ચિત્રો જોવાં કે તેના વિશે વાંચવું બહુ ગમતું. આગળ જતાં ચિત્રકાર વૃંદાવન સોલંકી અને ચિત્રાબહેન સોલંકી સાથે દોસ્તી બંધાઈ. તેમને પણ અમારા સમીર પ્રત્યેના અનુરાગ વિશે જાણ. ચિત્રાબહેનને એક પાર્ટીમાં સમીર મોંડલ મળ્યા ત્યારે તેમણે એક વીઝીટીંગ કાર્ડની પાછળ સમીર પાસે ખાસ ઉર્વીશને ઉદ્દેશીને સંદેશ લખાવેલો અને સમીરે નાનકડા ચિત્ર સાથે પ્રેમપૂર્વક એ લખી આપેલો. (એ કાર્ડ મહેમદાવાદના ઘરની દિવાલ પર ફ્રેમમાં શોભે છે)

આજે વિચારતાં એમ લાગે છે કે બહુ યોગ્ય વયે, સમયે પ્રીતિશનું 'વીકલી' અમને મળ્યું. એ વાત આજે ત્રણ સાડા ત્રણ દાયકા જૂની થઈ. પણ આજે લાગે છે કે આજીવન ચાલે એવા બહુવિધ શોખના ઘડતરમાં પ્રીતિશના 'વીકલી'એ પાયાનું પ્રદાન કર્યું.

એ પછી કદાચ પોતાની કંપની શરૂ કરવા તેમણે 'ટાઈમ્સ' ગૃપ છોડ્યું, અને અનિલ ધારકરે 'વીકલી'ની જવાબદારી સંભાળી. આખરે 1993માં એનું પ્રકાશન અટક્યું.

પ્રીતિશ સાથે અમારું એકપક્ષી જોડાણ 'વીકલી' થકી જ હતું. એ પછી તેમણે શું કર્યું, શું નહીં એમાં અમને રસ નહોતો. સિવાય કે તેઓ પ્રકાશન ક્ષેત્રે રહ્યા હોત! તેમણે ફિલ્મનિર્માણ શરૂ કરેલું અને અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું.

જીવનકાળમાં કેટલીક વ્યક્તિઓ, વસ્તુઓ યોગ્ય સમયે મળી જાય તો એ જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી શકે! કેવી કેવી વસ્તુઓ કેળવી શકે! એનું ઉદાહરણ એટલે પ્રીતિશ નંદી અને એમના સંપાદકપદ હેઠળનું 'વીકલી'.A

Saturday, July 27, 2024

કુલીનકાકા: કેન્‍દ્રમાંથી હવે પરિઘમાં

 નિવૃત્ત સનદી અધિકારી, વિદ્યાવ્યાસંગી, ઉ.ગુ.યુનિ.ના સ્થાપક-કુલપતિ, 'વહીવટની વાતો'ના લેખક અને અસંખ્ય સુભાષિતોનો પ્રાસાદિક ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્યાપુરુષ કુલીનચંદ્ર યાજ્ઞિકનું આજે સવારે છના સુમારે ૯૭ વર્ષની વયે અવસાન થયું.

તેમની સાથેનો પરિચય હસિત મહેતા થકી થયેલો. નડિયાદ જવાનું થાય ત્યારે વખતોવખત તેમને મળવાનું બને. તેમને આંખે સાવ ઓછું દેખાતું હોવાથી તેમની સમક્ષ જઈને નામ બોલતાં જ તેઓ ઉષ્માપૂર્વક હાથ પકડી લે અને વાત શરૂ કરે. આવો અનુભવ મારા જેવા અનેકને થયો હશે.
હસિત મહેતાને લઈને ઉર્વીશ અને હું પણ તેમને 'કુલીનકાકા' કહીને સંબોધતા. દોઢેક વર્ષથી નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે સંકળાવાનું બન્યું, જે કુલીનકાકાના નિવાસસ્થાનની બિલકુલ પાસે. એ પછી તેમની સાથેનો પરિચય વધુ ગાઢ થતો ગયો. એનું એક કારણ એટલે 'સ્ટડી સર્કલ' યાનિ 'ગૃપ ડિસ્કશન', જેને અમારા મિત્રો 'જી.ડી.'ના ટૂંકા નામે ઓળખે છે.
એનો પરિચય આપવાથી કુલીનકાકાની દૃષ્ટિનો પરિચય મળી રહેશે. કુલીનકાકાનું નિવાસસ્થાન નાગરવાડામાં આવેલી 'અચાભાઈની ખડકી'માં. બસોએક વરસ જૂનું, અસલ નાગરી શૈલીનું મકાન. વચ્ચોવચ્ચ ચોક, જેમાં તેઓ ખુરશી નાખીને બેઠા હોય. પણ ખુરશી પર બેસી રહેવું તેમને ગમે?
2013થી તેમણે 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર'માં દર ગુરુવારે સાંજના છ વાગ્યે નિયમીતપણે આવવાનું શરૂ કર્યું. તેમની વય ત્યારે ૮૭ની આસપાસ. આશય એ જ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવો. અગાઉ તેઓ 'ઉ.ગુ.યુનિ.'ના કુલપતિ હતા ત્યાં તેમણે 'બુધવારિયું'નો સફળ પ્રયોગ કરેલો. તેઓ પોતે વિદ્યાર્થીઅવસ્થામાં મુમ્બઈ હતા ત્યારે એક પ્રાધ્યાપક પોતાને ઘેર વિદ્યાર્થીઓને બોલાવતા. અમદાવાદમાં 'કુમાર'નું 'બુધવારિયુંં' બહુ જાણીતું. કુલીનકાકાના મનમાં આ મોડેલ બરાબર બેસી ગયેલું. એ કોઈ પણ વારે યોજાય, તેનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખીને સંવાદ સાધતા રહેવાનો. આવી એક પરંપરા આરંભવી કેટલી અઘરી રહી હશે! ક્યારેક બે વિદ્યાર્થીઓ પણ આવે, તો ક્યારેક દસ-પંદર પણ આવે! વિદ્યાર્થીઓ ગમે એટલા આવે, કુલીનકાકા અચૂક ગુરુવારના સાંજના છ વાગ્યે હાજર હોય, અને જેટલા વિદ્યાર્થીઓ આવેલા હોય એમની સાથે સંવાદ સાધે. ધીમે ધીમે, ખાસ કશા પ્રચાર વિના આ પ્રવૃત્તિ પ્રસરતી ચાલી. અહીં આવતા વિદ્યાર્થીઓને કશું પણ પૂછવાની આઝાદી. વક્તવ્ય હરગીઝ નહીં, અને કોઈનું નહીં. ઉર્વીશ કોઠારીએ લખ્યું છે એમ એ એક આખા યુગનું પ્રતિનિધિત્વ કરતા હતા.

સ્મૃતિમંદીરમાં સ્ટડી સર્કલની એક બેઠક

હસિત મહેતા અને કુલીનકાકા બન્નેને એકમેક માટે અનન્ય પ્રેમ. એ બન્નેના સંવાદ સાંભળવાની મજા આવે. હસિત અવનવાં આયોજનો વિચારે, અમલી કરે, અને એમાં કુલીનકાકાની સક્રિય સંમતિ તેમજ સમર્થન હોય.
કોવિડના સમયગાળાને બાદ કરતાં આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલતી રહી. વચગાળામાં તેઓ અનેક વખત ઉપરના દરવાજે દસ્તક દઈ આવ્યા, અને દરેક બિમારી પછી ફિનિક્સ પંખીની જેમ નવેસરથી બેઠા થતા.
2022ના અંતથી મારું જોડાણ 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે થયું ત્યારે હસિતભાઈએ 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવા અને આગળ વધારવાની વાત કરી. કારણ એ કે કુલીનકાકાની તબિયત નરમગરમ રહેવા લાગી હતી. ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં હું દાખલ થયો. એ વખતે હસિત મહેતા, કુલીનકાકાના દીકરા નીરજભાઈ તેમજ પ્રો. આશિષ શાહ સંકળાયેલા જ હતા. (પ્રો. આશિષ શાહ કુલીનકાકાના કુલપતિકાળના 'બુધવારિયા'ના સભ્ય) શરૂમાં અમે સૌએ ગુરુવારના વારા બાંધ્યા, પણ ઝડપથી એ વારા ભૂલાવા લાગ્યા. અલબત્ત, કુલીનકાકા પોતે હાજર અવશ્ય રહે. તેઓ હાજર પણ રહે, અને શ્રોતા પણ બની રહે. તેઓ પોતે ગુરુવારની સાંજની રાહ જોતા હોય, ઝાંખી દૃષ્ટિ છતાં ક્યારેક ચાલતા ચાલતા 'સ્મૃતિમંદીર' આવી જાય તો ક્યારેક અમારો કોઈક સભ્ય તેમને પોતાના ટુવ્હીલર પર લઈ આવે. સૌ યુવાન સભ્યોના એ પ્રિય 'દાદા', અને કુલીનકાકા પણ સૌને નામથી બોલાવે.
આ ઉપરાંત દર મહિનાના પહેલા રવિવારે ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં યોજાતા 'ગ્રંથના પંથ'માં હાજર રહેવાતું ત્યાં સુધી કુલીનકાકા હાજર રહ્યા. પણ આ કાર્યક્રમમાં આવનાર વક્તાને તેમને મળવાનું આકર્ષણ અવશ્ય હોય. ભરૂચથી મીનલબહેન દવે આવેલાં ત્યારે, કે રતિલાલ બોરીસાગર આવ્યા ત્યારે તેમને કુલીનકાકાને મળવા લઈ જવાની અને તેમની વાતોના સાક્ષી બનવાની ભૂમિકા મારે ભાગે આવેલી. વધુમાં અન્ય કોઈ પણ મુલાકાતી 'સ્મૃતિમંદીર'ની મુલાકાતે આવે એટલે શક્ય હોય ત્યાં સુધી કુલીનકાકાને મળવાનું ગોઠવાયું જ હોય. હવે સરસ મિત્ર બની રહેલા નીતિનભાઈ પટેલ અને નવિનભાઈ પટેલ તેમજ ભરૂચથી આવેલા રણછોડભાઈ શાહ કે વડોદરાથી આવેલાં ભાનુબહેન દેસાઈ, અમદાવાદથી આવેલા પિયૂષભાઈ પંડ્યા અને સંજીવનભાઈ પાઠક સહિત સૌ કોઈ મુલાકાતીને તેઓ હોંશથી મળે, અનેક વાતો ઉખેળે. તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન અનેક લોકોના પરિચયમાં તેઓ આવેલા હોય એટલે ક્યાંંક ને ક્યાંક ઓળખાણો નીકળે જ. તેમની મુલાકાતે આવનાર ઊભા થાય એટલે નાદુરસ્તી છતાં કુલીનકાકા ઊભા થાય અને થોડું ચાલીને એમને વિદાય આપે. આ તમામ મુલાકાત દરમિયાન નીરજભાઈ હાજર જ હોય. ક્યાંક કુલીનકાકાની વાતનો તંતુ સ્મૃતિને કારણે તૂટે તો નીરજભાઈ એ તરત જ સાંધી આપે.
બેએક મહિના અગાઉ તેમની તબિયત વધુ બગડી ત્યારે સૌએ વિચાર્યું કે 'સ્ટડી સર્કલ' પહેલો અડધો-પોણો કલાક 'સ્મૃતિમંદીર'માં કરીએ અને એ પછી કલાકેક એમને ઘેર જઈને કરીએ. ગુરુવારની એ બે સાંજ બહુ યાદગાર બની ગઈ. વચ્ચોવચ્ચ ચોકમાં ખુરશી નાખીને બેઠેલા કુલીનકાકા અને તેમને વીંટળાઈ વળેલા યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું દૃશ્ય આંખ ઠારે એવું હતું. આ તેમની કમાણી હતી.

કુલીનકાકાને ઘેર યોજેલી 'સ્ટડીસર્કલ'ની બેઠક

'સ્ટડી સર્કલ'નો આરંભ તેમણે કર્યો એટલા પૂરતા એમ કહી શકાય કે એના કેન્દ્રમાં તેઓ હતા. હવે વિદાય સાથે તેઓ કેન્દ્રમાંથી ખસીને પરિઘમાં આવી ગયા. આજે તેમના અંતિમ સંસ્કાર પછી એક સ્થળે ભેગા થયેલા સૌ મિત્રોએ નક્કી કર્યું કે 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવી, આગળ વધારવી એ જ એમને અપાયેલી સાચી અંજલિ હોઈ શકે.

Monday, April 8, 2024

'સાગર'ની છેલ્લી બુંદ પણ વિલીન

આજે વડીલમિત્ર ચંદ્રશેખર વૈદ્ય તરફથી સમાચાર મળ્યા કે અમર દેસાઈનું અવસાન થયું. અમર દેસાઈ એટલે 'સાગર મુવીટોન'ના માલિક ચીમનલાલ દેસાઈના પૌત્ર અને ચીમનલાલના દીકરા સુરેન્દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલભાઈના પુત્ર. આમ છતાં, અમર દેસાઈને 'સાગર' સાથે સીધેસીધી નહીં, પરોક્ષ લેવાદેવા હતી. 'સાગર મુવીટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું એ પછી થોડા જ સમયમાં ચીમનલાલ તેનાથી અલગ થઈ ગયા. તેમણે પોતાની આગવી ફિલ્મકંપનીનો આરંભ કર્યો અને તેનું નામ પોતાના પૌત્ર અમરના નામે 'અમર પિક્ચર્સ' રાખ્યું. મારા 'સાગર મુવીટોન' પુસ્તકમાં આ આખું પ્રકરણ 'અંત પહેલાંનો વધુ એક આરંભ'ના નામે વિગતે આલેખાયું છે. 'અમર પિક્ચર્સ' દ્વારા 1942થી 1946ના અરસામાં બધું મળીને છ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાં નામ આ મુજબ છે: આંખમિચૌલી (1942), ખિલૌના (1942), આદાબ અર્ઝ (1943), પૈગામ (1943), રત્નાવલી (1945) અને ગ્વાલન (1946). 'ખિલૌના'ની કથા વજુ કોટકે લખી હતી, જેમણે પછી એ જ વાર્તા પરથી 'રમકડાં વહુ' નામે નવલકથા લખી. 'રત્નાવલી' એક 'પિરીયડ ફિલ્મ' હતી, જેને 'ફિલ્મ ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે 'સમય અને નાણાંનો બગાડ' ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુરાવ પટેલ ચીમનલાલના ખાસ મિત્ર હતા અને 'અમર પિક્ચર્સ'ની 'ગ્વાલન'નું દિગ્દર્શન તેમણે કરેલું. એ ફિલ્મમાં બાબુરાવનાં પત્ની સુશીલારાણી પટેલની મુખ્ય ભૂમિકા હતી. અમરભાઈના મોટાભાઈ સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર વૈદ્ય સાથે અમે સુશીલારાણી પટેલને મળવા તેમના 'ગિરનાર' બંગલે ગયાં ત્યારે તેઓ રીતસર આજીજીપૂર્વક 'ગ્વાલન'ની એકાદી રીલ સુદ્ધાં મળી જાય તો અમને વ્યવસ્થા કરવા કહેતાં હતાં.

અમર દેસાઈને ન ફિલ્મ બનાવવામાં રસ હતો કે ન પોતાના દાદાની ફિલ્મકંપની વિશેનું પુસ્તક લખાય એમાં. પુસ્તકના આલેખન દરમિયાન એક વખત અમે મુમ્બઈ ગયેલાં. સુકેતુ દેસાઈ અમર દેસાઈને ત્યાં ઊતરેલા. સાંજે એક વાર સુકેતુભાઈ મને પોતાના ઉતારે લઈ ગયા. અમર દેસાઈ ઘેર જ હતા. સુકેતુભાઈએ મારો પરિચય આપીને તેમને જરૂરી વિગત પૂરી પાડવા કહ્યું. હું હજી પહેલો જ સવાલ પૂછું કે અમર દેસાઈએ કહ્યું, 'આ સવાલને પુસ્તક સાથે શો સંબંધ?' મેં કહ્યું, 'તમને પુસ્તકની રૂપરેખાની ખબર નથી એટલે આમ કહો છો.' બસ, એ પછી અમારી વાતચીત આગળ વધી ન શકી અને તેમણે જરાય અફસોસ વિના કહી દીધું:'મને એ બાબતે વાત કરવામાં રસ નથી કે પુસ્તકમાંય રસ નથી.' પુસ્તક એ વખતે એ તબક્કે આવી ગયું હતું કે અમર દેસાઈ વાત ન કરે તોય કશો ફેર પડવાનો નહોતો. આથી મેં પણ તેમનો આભાર માનીને વાત પૂરી કરી.
એ પછી થોડા સમયમાં પુસ્તકનું વિમોચન ખાર જીમખાના ખાતે યોજાયું, જેમાં મુખ્ય મહેમાન આમીર ખાન હતા. આમીર દેસાઈ પરિવારના જૂના પાડોશી હોવાને નાતે આવવાના હતા. આ કાર્યક્રમમાં અમર દેસાઈ પણ આવેલા. આમીર ખાને પોતાના વક્તવ્યમાં દેસાઈ પરિવાર સાથેના દિવસો યાદ કરતાં કહ્યું, 'સુકેતુ અંકલ કે એક બડે ભાઈ થે- બડી બડી મૂછોંવાલે. ઉનકો દેખ કે હમેં બહોત ડર લગતા થા. વો હમ કો ધમકાતે થે.' આમ કહીને તેમણે આસપાસ નજર કરી, એટલે અમર દેસાઈ પોતાની બેઠક પરથી ઊભા થયા. એમનો દેખાવ એવો જ રહેલો. ફક્ત મૂછોનો રંગ સફેદ થયેલો.


કાર્યક્રમ પત્યો. હજી અમે સૌ જાણે કે માની શકતા નહોતા કે આ બધું વાસ્તવિક છે કે સ્વપ્ન! ધીમે ધીમે સૌ વિખરાયા. અમર દેસાઈ પુસ્તકના કાઉન્ટર પર પહોંચ્યા અને એક પુસ્તક લઈને ચાલવા લાગ્યા. કાઉન્ટર પર બેઠેલા (કાર્તિકભાઈના ભાઈ)અમીતભાઈ તેમને ઓળખતા નહોતા. એટલે તેમણે 'ઓ ભાઈ!' કહીને બૂમ પાડીને એમને પુસ્તક પાછું મૂકવા જણાવ્યું. ખેર! એ પછીની વાતમાં ખાસ કશું નથી, પણ આ પુસ્તકમાં મેં 'સાગર પરિવાર' નામનું અલાયદું પ્રકરણ લખ્યું છે. એમાં તમામ પરિવારજનો તો ઠીક, દેસાઈ પરિવારને ત્યાં બે પેઢીથી કામ કરનાર 'બાઈ' સુમન વાતારે, તેમના પારિવારિક મિત્ર રમેશ માવાણી અને (સ્વ.) ટોની ફર્નાન્ડિસ સુદ્ધાં વિશે અલગથી લખ્યું છે, પણ અમર દેસાઈ વિશે ગણીને દસ લીટી છે. એમાંની અડધી તો એમનાં પત્ની, પુત્ર અને પૌત્ર વિશે છે. કારણ? પુસ્તક બાબતે તેઓ એટલા ઉદાસીન હતા કે પોતાની વિગતો પૂરી પાડવાનું પણ તેમણે ટાળેલું.
તેમનાં પત્ની આમતાએ 2003માં જ વિદાય લીધેલી. તેના બે દાયકા પછી અમર દેસાઈ પણ ગયા. 'સાગર મુવીટોન' સાથેનો આછોપાતળો અને છેલ્લો તંતુ પણ એ રીતે તૂટ્યો. હવે તો આખી ગાથા પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે જ રહી છે, જે માત્ર પરિવારની ન બની રહેતાં સૌ કોઈ સિનેમાપ્રેમીઓની, ઈતિહાસપ્રેમીઓની બની રહી છે.