Friday, July 10, 2026

તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે

રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.

મુંબઈના એક સજ્જન હતા, એમનું નામ ગિરીશ દવે. વ્યવસાયે વકીલ અને રજનીભાઈના જબરા વાચક-ચાહક. રજનીભાઈ મુંબઈ આવે એટલે ગિરીશભાઈની કાયમી ઓફર હતી. તેઓ પોતાની કાર અને ડ્રાઈવર મોકલી આપતા. રજનીભાઈને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એક વાર અમે સાથે મુંબઈ ગયા ત્યારે પણ આ જ રીતે ગિરીશભાઈની કાર અને ડ્રાઈવર હાજર. મેં રજનીભાઈને કહ્યું, 'મુંબઈમાં કાર કરતાં ટ્રેન વધુ સરળ રહે' એમણે કહ્યું, 'આપણને બધા સ્થળ ઝટ જડે નહીં, એટલે સમય બગડે. એના કરતાં આ રીત સહેલી પડે.' આનો અનુભવ મેં કર્યો અને મને એમની વાત સાચી જણાઈ.
મુંબઈમાં રજનીભાઈનો ઊતારો એમના પરમ સ્નેહી બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા રહેતા. મોટે ભાગે હું મારા કાકા શૈલેષ પરીખને ત્યાં ઊતરતો. એક વાર હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. અત્યંત પ્રેમાળ સજ્જન. વાતરસિયા, અને કથનશૈલી ગજબની. એમના પિતાજી 'હબીબ ખાંભાવાળા'ના નામે પ્રસંગકથાઓ લખતા હતા. દિવસ દરમિયાન તો અમે અમારા કામે બધે ફરતા રહ્યા, પણ સાંજે અમે ભેગા હતા.
રજનીભાઈએ બોઘાણીસાહેબને કહ્યું, 'જુઓ, હું તો અહીં નિયમીત આવું છું, પણ બીરેન આજે પહેલી વાર તમારે ત્યાં આવ્યો છે. એટલે એને તમે પેલી વાતો કહો.' પછી મને કહે, 'બદરૂદ્દીનભાઈ ગજબ કથાઓ કહે છે. એમના વિશે હું એમની હાજરીમાં કશું નથી કહેતો, પણ તું સાંભળ. મારી બહુ ઈચ્છા છે કે તને એ સંભળાવું.' હું તૈયાર હતો, પણ મને સહેજે અંદાજ નહોતો કે બોઘાણીસાહેબ શેની કથા કહેવાના છે.
બોઘાણીસાહેબે એક પછી એક પ્રસંગો કહેવાના શરૂ કર્યા. શું એમનું વર્ણન! શી એમની શૈલી! ઘણા બધામાં એ પોતે જ કોઈક પાત્ર હોય. અને વાતનો મર્મ એવી સરસ રીતે મૂકે કે આપણે આફરીન થઈ જઈએ. શો પ્રતિભાવ આપવો એ મને ન સમજાય, પણ મારા મોં પરથી બોઘાણીસાહેબ પામી ગયા કે મને બહુ મજા આવે છે. ત્રણેક પ્રસંગો કહ્યા અને તેઓ અટક્યા. એટલે રજનીભાઈ કહે, 'અરે, પેલો કહો ને! હજી પેલોય બાકી રહ્યો.' એમ કહીને એમણે બે-ત્રણ પ્રસંગો યાદ કરાવ્યા. એ સાંજ મારા માટે યાદગાર બની રહી. મને અફસોસ થયો કે મેં એ રેકોર્ડ કેમ ન કરી લીધા! જો કે, એમના કથનપ્રવાહમાં હું એવો તણાઈ ગયેલો કે એવું યાદ જ ન આવ્યું.
બોઘાણીસાહેબનાં સંતાનો અલગ રહેતાં હતાં. બોઘાણીસાહેબ એકલા જ રહેતા. એમણે કહેલું એક વાક્ય આજેય યાદ આવે છે અને હૈયે ચિરાડો પાડી દે છે. એમણે કહેલું, 'રોજ સાંજે ચાલવા માટે બહાર જાઉં છું, ત્યારે ખબર નથી હોતી કે પાછો આવીને તાળું ખોલી શકીશ કે નહીં.' આવા સમયે રજનીભાઈ જેવા મિત્ર આવે ત્યારે એમને કેટલો આનંદ થાય એ સમજી શકાય એમ છે.
બોઘાણીસાહેબે કહેલી એક વાત તો મને એટલી બધી ગમી ગઈ કે મેં એ એમના નામ સાથે બ્લોગ પર લખી. એ પછી તેમના ઘણી વાર ફોન આવતા. પહેલી વાર તેમનો ફોન આવ્યો ત્યારે એમનો નંબર મારી પાસે નહોતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મેં ઊપાડીને 'હેલો' કહ્યું કે સામેથી અવાજ આવ્યો, 'તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે.' મારાથી સહસા બોલાઈ ગયું, 'અરે! બોઘાણીસાહેબ!' તેઓ રાજી થઈને કહે, 'તમે મને ઓળખી કાઢ્યો.' મેં કહ્યું કે આ વાક્ય (ગીતની પંક્તિ) આ રીતે મને કહેનારા એક તમે જ છો. પછી ઓળખી જ કાઢું ને?' તેઓ ઓર રાજી થયા અને કહે, 'પણ તમને એ યાદ રહી ગઈ એ બહુ કહેવાય.' વાત એવી હતી કે તેમણે મને કહેલી એક કથામાં આ પંક્તિ કેન્દ્રસ્થાને હતી. શાળાકાળના પોતાના એક મિત્રને લાંબા સમય પછી મળતાં તેઓ એને આ 'કોડવર્ડ' કહીને પોતાની ઓળખ આપે છે એવી વાત હતી. એની બીજી કડીમાં 'દોસ્તી કી રાહોં મેં મિલકે ચલે થે' એમ ફેરફાર કરેલો. એ બહુ નાટ્યાત્મક વાત હતી. ખેર! વાત ત્યારે પૂરી થઈ અને મેં એમને કહ્યું કે તમને મન ફાવે ત્યારે મને ફોન કરજો. એ સિલસિલો બહુ લાંબો ન ચાલી શક્યો. એક દિવસ મને રજનીભાઈએ સમાચાર આપ્યા કે બોઘાણીસાહેબે વિદાય લીધી છે. અમે બન્નેએ એ દિવસે એમને, એમની વાતોને, એમના વ્યક્તિત્વને બહુ યાદ કરીને એમને અંજલિ આપી, પણ એકમેકને.
હવે તો રજનીભાઈ પણ ગયા, પણ તેમણે દેખાડેલી પાત્રસૃષ્ટિ મનોજગતમાં કોતરાઈ રહી છે.

Thursday, July 9, 2026

'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી

રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.

વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.

Wednesday, July 8, 2026

પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?

રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.

એ પછીના અરસામાં 'સાગર મુવીટોન' પુસ્તકના કામ માટે મારે બેંગ્લોર જવાનું થયું. રજનીભાઈએ મને ભારપૂર્વક મીનાક્ષીબહેનને મળવા અનુરોધ કર્યો. તેમની વચ્ચેના સંબંધને હું જાણતો હોવાથી મેં પણ કહ્યું કે એમને હું ચોક્કસ મળીશ.
બેંગ્લોરમાં મારું કામ પતાવ્યા પછી રજનીભાઈના મિત્ર ધીરુભાઈને મેં ફોન કર્યો. ધીરુભાઈએ બે દિવસ એવો ક્રમ બનાવ્યો કે સવારે તે પોતાનું વાહન લઈને આવે, મને અને કામિનીને એમાં લઈ જાય, વિવિધ સ્થળે ફેરવે, અને પછી સાંજે અમારા ઉતારે મૂકી જાય. આમાં અમે એક દિવસ મીનાક્ષીબહેનને મળવાનું ગોઠવ્યું. પહેલાં તો ફોન કર્યો. તેમણે બહુ ઊમળકાપૂર્વક વાત કરીને મળવાનો સમય અને ઠેકાણું કહ્યાં. એ સમયે તેમની દીકરી- જમાઈ બહારગામ ગયેલાં હોવાથી મીનાક્ષીબહેન દીકરીના ઘેર રહેવા આવેલાં. રજનીભાઈએ તેમને મારા વિશે જણાવેલું. એ રજનીભાઈના સૌજન્યનો હિસ્સો હતો કે તેઓ બન્ને પક્ષને એકમેક વિશે જાણ કરે.
મીનાક્ષીબહેન રહેતાં હતાં એ વિસ્તાર ધીરુભાઈ માટેય નવો હતો. થોડું આમતેમ થયા પછી મીનાક્ષીબહેને કહ્યું કે પોતે મુખ્ય રસ્તા પર ઊભાં રહેશે. ખરી મૂંઝવણ એ હતી કે અમે કોઈ એકમેકને જોયે ઓળખીએ નહીં. પણ મીનાક્ષીબહેન કહે, 'ઓળખી જવાશે.' ખરેખર એમ જ થયું. રસ્તાની કોરે ગુજરાતી સાડી પહેરીને ઊભેલાં, ચશ્માવાળાં એક પ્રૌઢ બહેનને જોઈને મેં ઈશારાથી જ પૂછ્યું, 'તમે મીનાક્ષીબહેન?' તેમણે પણ માત્ર આંખથી 'હા'નો જવાબ આપ્યો. એ પછી અમે તેમની દીકરીને ઘેર ગયાં. કામિની અને ધીરુભાઈ સાથે હતા ખરાં, અને તેમને એટલી ખબર હતી કે રજનીભાઈના મિત્રનાં આ બહેન છે. પણ એ મૈત્રીનો આખો અધ્યાય સ્વાભાવિકપણે જ તેમને ખ્યાલ નહોતો.
શું વાત કરવી એ સવાલ હતો. મારા મનમાં વસંત દેસાઈ, રજનીભાઈ, વીનેશ પટેલની મૈત્રીની કથા રિવાઈન્ડ થઈ રહી હતી. બહુ ભાવવાહી ક્ષણો હતી એ. પણ મીનાક્ષીબહેન અનુભવી હતાં. તેમણે જ વાત શરૂ કરી. ચા-નાસ્તો પીરસ્યો. ત્યાંથી મેં રજનીભાઈને ફોન જોડ્યો. આ પણ તેમની જ શૈલી! તેમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મીનાક્ષીબહેન સાથેય વાત કરી. અડધો- પોણો કલાક બેસીને અમે ઊભા થયાં. એ ક્ષણ બહુ ભારેખમ હતી. અમે ફરી મળીશું કે કેમ એ ખબર નહોતી. અને આમ જુઓ તો આખી વાતમાં સીધેસીધું મારું કોઈ જોડાણ પણ નહોતું, છતાં એ સમયગાળાનો હું સાક્ષી હોઉં એમ મને અનુભવાતું હતું. મીનાક્ષીબહેન પણ કદાચ આ વાત સમજી ગયેલાં. છેવટે તેમણે મૌન તોડતાં કહ્યું, 'સારું ભાઈ. આવજો. તમે આવ્યા તો બહુ ગમ્યું." મારી આંખોમાં ધસી આવેલાં પાણી મેં માંડ ખાળી રાખ્યાં. પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે રજનીભાઈની સંબંધસૃષ્ટિના કોઈ પાત્રને એમના કરતાં પહેલાં હું મળી રહ્યો હોઉં.
એ પછી અમે નીકળ્યા. ફરી મેં રજનીભાઈ સાથે વાત કરી ત્યારે તેમણેય કહ્યું, 'બેટા, મને બહુ જ ગમ્યું કે તેં સમય કાઢીને એમની મુલાકાત લીધી.' હજી હું બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો. કોઈ લેખકની પાત્રસૃષ્ટિમાં આપણે પ્રવેશ કરી જઈએ અને તેમાંના કોઈ પાત્રને મળી આવીએ એ પછી કેવી હાલત હોય!!
અને આ પાત્રો કાલ્પનિક નહીં, વાસ્તવિક હતાંં.
બેંગ્લોરથી હું પાછો આવી ગયો. વખત વીત્યો. એ પછી એક વાર રાબેતા મુજબ રજનીભાઈનો ફોન આવ્યો. કહે, 'મીનાક્ષીબહેન આવ્યાં છે. તારી સાથે વાત કરવા માગે છે.' મેં તત્ક્ષણ કહ્યું, 'બેંગ્લોરવાળાં?' ફોન કદાચ સ્પીકર પર હતો, એટલે મીનાક્ષીબહેને પણ એ સાંભળ્યું હશે. રજનીભાઈ એમને કહે, 'જોયું? હું નહોતો કહેતો કે એ તમને તરત ઓળખી જશે?' એમ કહીને તેમણે મીનાક્ષીબહેનને ફોન આપ્યો. અમે ઔપચારિક વાત કરી, પણ મારા મનમાં આખી ઘટનાઓ
રિવાઈન્ડ થતી ગઈ. ખરું કહું તો તેઓ અને રજનીભાઈ રૂબરૂ થઈ શક્યા એનો મને બહુ આનંદ હતો.
'ઝંઝાવાત'માં વસંત દેસાઈનો વિસ્તૃત ઊલ્લેખ વાંચતાં સમાંતરે મારા મનમાં આ ઘટના ચિત્રપટ્ટીની જેમ ચાલતી રહી હતી.

Tuesday, July 7, 2026

દોસ્તી ખરી, પણ સૌજન્‍યમાં મસ્તી નહીં

સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.

નિર્ધારીત દિવસે અને સમયે હું એમને ત્યાં મણિનગર પહોંચી ગયો. તેઓ તૈયાર જ બેઠા હતા. અમે થોડી ઔપચારિક વાતચીત કરી. એ પછી એમણે એક ફોન જોડ્યો. સામેથી ફોન લેવાયો એટલે મને રજનીભાઈ બોલતા હતા એ સંભળાયું, "મને ખબર છે કે તું બહુ વ્યસ્ત હોઈશ. અને તને ફોન ન થાય. હું ત્યાં આવું જ છું. પણ મારો મિત્ર જેને તુંય ઓળખે છે એ આવેલો છે અને મારી સાથે આવે છે. તો તું એને આમંત્રણ આપ." આમ કહી એમણે મને ફોન આપ્યો. સામે આપણા જાણીતા નવલકથાકાર મહેશ યાજ્ઞિક હતા. એમની દીકરીનું લગ્ન હતું, જેમાં રજનીભાઈએ હાજરી આપવાની હતી. તેઓ મને એમ જ સાથે લઈ જાય તો કંઈ મહેશભાઈ ના ઓછા પાડવાના? પણ ના, સૌજન્ય જળવાવું જ જોઈએ. મહેશભાઈએ મને બહુ પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. એ પછી અમે બન્ને કારમાં નીકળ્યા. લગ્નપ્રસંગમાં હાજરી આપી, સાથે ભોજન લીધું, અને પછી રજનીભાઈ મને રમેશ ઠાકરને ત્યાં મૂકવા આવ્યા.
****
રમેશ ઠાકર અને રજનીભાઈ જૂના મિત્રો. (એમનો ઉલ્લેખ 'ઝંઝાવાત' પુસ્તકમાં છે.) રમેશભાઈ ત્યારે 75 આસપાસના. કદ નાનું, પણ એવા ચંચળ અને જિજ્ઞાસુવૃત્તિ અકબંધ. તેઓ અમારી રાહ જ જોતા હતા. અમને જોઈને કહે, 'એક વસ્તુ તમને બતાવવાની છે અને મારેય જોવાની છે. તમે આવો એટલે ખોલું એમ કહીને મૂકી રાખી છે. હજી આજે જ આવી છે.' આમ કહીને તેઓ એક મોટું પેકેટ અંદરથી લઈ આવ્યા. એમાં અનિયમીત આકાર ધરાવતી કોઈક વજનદાર વસ્તુ હતી. અમને નવાઈ લાગી કે આ છે શું? રમેશભાઈ બહુ ઉત્સાહથી એની ઉપરનું આવરણ હટાવવા લાગ્યા. એ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે તે કશાકનો વજનદાર પથ્થર છે. આખું પેકિંગ ખૂલ્યું એટલે રમેશભાઈએ વારાફરતી એ અમારા હાથમાં મૂક્યો. કહે, 'આ લાવાનો પથ્થર છે. લાવા જામી જાય એ પછી બનતો પથ્થર. મેં જીવનમાં કદી જોયો નહોતો, એટલે કેદારને કહ્યું કે મારા માટે બીજું કશું નહીં, પણ એ મોકલી આપજે.' કેદાર ઠાકર એટલે રમેશભાઈના દીકરા, જેઓ સૈન્યમાં હતા અને તેમનું પોસ્ટિંગ કોંગો દેશમાં થયેલું. એમણે રમેશભાઈને પોતે શું મોકલે એમ પૂછાવ્યું હશે એટલે રમેશભાઈએ આવો જવાબ આપેલો, અને કેદારભાઈએ એમની ઈચ્છા પૂરી કરેલી.
જિજ્ઞાસા અને નવિન ચીજો જાણવાની કેવી ગજબ પેશન! બસ, એ પછી રજનીભાઈ પાછા જવા નીકળ્યા. મારે લેવાના ઈન્ટરવ્યૂની પણ કેવી ગજબ પૂર્વભૂમિકા ઊભી થઈ ગઈ!

Monday, July 6, 2026

જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના

રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!

એક વખત અમે તેમને ઘેર બેઠેલા અને (તેમનાં પત્ની) તરુબહેને એક કથાકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પોતાને એમની શૈલી બહુ ગમે છે. એટલે રજનીભાઈએ તત્ક્ષણ કહ્યું, 'એ કથાકાર તલત મહેમૂદ છે. અને પેલા (અન્ય એક કથાકાર) મહમ્મદ રફી છે.' આમ બોલીને તેમણે પોતાની સરખામણી વધુ સ્પષ્ટ કરી: 'પેલા કથાકાર કથા કહે ત્યારે શ્રોતાઓને રડવું આવે, તલત મહેમૂદનાં ગીતોની જેમ. અને આ કથાકાર તો કથા કહેતાં કહેતાં પોતે જ રડવા લાગે, મહમ્મદ રફીની જેમ.' તેમની સાવી સચોટ સરખામણી સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. (ઉર્વીશ પણ ત્યારે સાથે હતો) જો કે, તરુબહેને સહેજ નારાજગીના સૂરે કહેલું, 'તમને બધી વાતમાં ફિલમ જ દેખાય છે.'
રજનીભાઈ સાથે મારે ક્યારેક કોઈ સંસ્થાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જવાનું બનતું. તેમની શૈલી સાવ નિરાળી. પહેલાં તેઓ શૂટ કરાવતા. પછી અમે બન્ને સાથે બેસીને એકે એક દૃશ્યના કાઉન્ટર નંબર અને વર્ણન લખતા. અને એના પરથી છેલ્લે હું સ્ક્રિપ્ટ લખતો. ('હેલ્લારો', 'ઊંબરો, 'ધબકારો' ફેઈમ) અભિષેક સાથે પરિચય થયો એ પછીના ગાળામાં મેં તેને આ પદ્ધતિ વિશે વાત કરી તો એનું હસવું કેમે કરીને માય નહીં. મને કહે, 'તમે ઊંધું કરો છો. પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય.' મૂળ મુદ્દો એ નથી. સ્ક્રિપ્ટ પછી લખાતી હોવાને કારણે શૂટ વેળા રજનીભાઈના મનમાં એમને ગમતા ઘણા બધા ફિલ્મદિગ્દર્શકો ઉભરતા. તેઓ કામનાં, નકામાં એવાં અનેક દૃશ્યો શૂટ કરાવતા. અને કહેતા, 'રાજ કપૂર કેટલાં બધાં દૃશ્યો કેમેરામાં લઈ લેતા. પછી એમાંથી અમુક જ પસંદ કરતા.' ડોક્યુમેન્ટરીના કામમાં બહુ સમય જતો, અને છેવટે ફાઈનલ એડિટીંગ વખતે રજનીભાઈ સુકાન પોતાના હાથમાં લઈ લેતા. આ બાબતે પછી અમને જ્ઞાન લાધતાં ઉર્વીશે અને મેં એમને સમજાવ્યું કે રાજ કપૂર, બીમલ રોય વગેરે કંઈ ડોક્યુમેન્ટરી નહોતા બનાવતા. તમે એમના વાદે ન ચડો. એમની પાછળ તો મોટા ફાઈનેન્સર હતા. તેમણે હસતાં હસતાં અમારી વાત સ્વીકારી. પણ ડોક્યુમેન્ટરીના એડિટિંગમાં તેમનાં સૂચનોમાંય એમનો ફિલ્મપ્રેમ ઝળકે. એવાં નાના નાના ગ્રાફિક મૂકાવે, અમુકમાં તો એ કેટલીક ફિલ્મોના શોટ મૂકાવે.
સારી યા ખરાબ કે મધ્યમ, કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કશા આયાસ વિના જ જે તે પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ યાદ આવી જતી. અને એ ગીતનું મુખડું ન પણ હોય, બલ્કે એના અંતરામાંથી કોઈક લીટીય હોય. અને એવું નહીં કે એમને પોતાના પ્રિય ગાયક કે પ્રિય ગીતની જ પંક્તિ યાદ આવે. પોતે સાંભળેલા કોઈ પણ ગીતની પંક્તિ તેમને સૂઝી જતી. તેમના અનન્ય પુસ્તક 'શબ્દઠઠ્ઠા'માં મોટા ભાગની વાર્તાઓમાં તેમણે કોઈ ને કોઈ ગીતની પંક્તિ કે તેની પેરડી મૂકી છે. જેમ કે, 'મેરી કહાની સુનનેવાલે, તેરા ટી.વી.આબાદ રહે', 'હમેં ઈન રાહોં પે ચલના હૈ, જહાં ઉલ્ટે સબક સિખાના હૈ', 'પ્યાર બાંટતે ચલો, એવોર્ડ બાંટતે ચલો' વગેરે.
તેમની આવી ક્ષમતાથી પરિચીત એવા સલીલ દલાલ પોતાના કોઈ પારિવારિક મુદ્દે કશુંક લખવા માગતા હતા ત્યારે એમણે રજનીભાઈને ટૂંકમાં પરિસ્થિતિ જણાવીને યોગ્ય પંક્તિ સૂચવવા જણાવેલું. સલીલભાઈ ખુદ ફિલ્મી ગીતોના ઘાયલ, છતાં એમને આ કામ માટે રજનીભાઈ વધુ યોગ્ય લાગેલા.
પ્રિય વ્યક્તિની વિદાય પછી સર્જાયેલો ખાલીપો ભાગ્યે જ ભરી શકાતો હોય છે, આપણે અન્ય કામ કે પ્રવૃત્તિમાં ડૂબી જઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એ ખાલી સ્થાન વખતોવખત પોકારીને પોતાની ઉપસ્થિતિની જાણ કરતું રહે છે.
'શબ્દઠઠ્ઠા' પુસ્તક તેમણે ઉર્વીશને અને મને અર્પણ કરેલું છે. અમારા નામની નીચે તેમણે જહીર ગાજીપુરનો એક શેર ટાંક્યો છે:
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના,
વાસી અખબારોં કે અનમોલ તરાશે હૈં હમ.
2003માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ટાંકેલો આ શેર આજે, તેવીસ વર્ષ પછી કેટલો બંધબેસતો લાગે છે!

Sunday, July 5, 2026

MAD પુરાણ (22): આંકડા

આંકડા કદી અસત્ય ન બોલે. વાત તો સાચી. અને આ કારણથી જ વિવિધ જાહેરખબરો એક યા બીજી રીતે આંકડાઓનો આશરો લઈને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. પણ આ આંકડા પાછળનું સત્ય સમજવા જેવું છે, જે અહીંં 'મેડ' સમજાવવા પ્રયત્ન કરે છે. સર્વેક્ષણના આંકડા સાચા તો હોય, પણ તે કઈ પરિસ્થિતિમાં લેવાયેલા હોય છે એ જાણવાની મઝા આવે એવું છે. મઝા તો ખરી જ, સાથે આપણે જે આંકડાઓ પર ભરોસો મૂકીને અમુક વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે કેવા મૂર્ખ બનીએ એ પણ ખ્યાલ આવે છે.

'મેડ'ના લેખક ડીક ડીબાર્તોલો/Dick De Bartolo અને કલાકાર પૉલ કોકર/Paul Coker દ્વારા તૈયાર કરાયેલો આ વિભાગ જુઓ. આ વિભાગનું નામ Poll-ish Jokes Dept. રાખ્યું છે, જે 'Polish Jokes'ને મરડીને રાખવામાં આવ્યું છે. આપણે જેમ સરદારજી કે મારવાડીઓના લક્ષણગત ટુચકાઓ કહેતા ફરીએ છીએ એમ પૉલેન્ડના પૉલીશ લોકોના લક્ષણગત ટુચકા બહુ ચલણી છે. પૉલીશને બદલે અહીં સર્વેક્ષણ/Poll શબ્દ મૂકીને શ્લેષ તરીકે Pollish લખવામાં આવ્યો છે.

(Mad, Fall 1988, Super Special)




Saturday, July 4, 2026

MAD પુરાણ (21): ડેથ ઓન અરાઈવલ

 D.O.A. એટલે કે Dead On Arrival શબ્દાર્થમાં કહીએ તો- આગમન વેળા જ મૃત્યુ પામેલું. એટલે કે દવાખાને આગમન થયું ત્યારે જ તેનું મૃત્યુ થઈ ચૂકેલું. કોઈ ચીજ આપણને મળે એ વખતે નકામી સ્થિતિમાં હોય ત્યારે પણ રૂઢ અર્થમાં તે વપરાય છે. પણ 'મેડ'ના આ વિભાગમાં તેનો ઉપયોગ એકદમ શબ્દાર્થમાં કરાયો છે. વાત છે 'મોર્ગ'ની, કે જ્યાં નવાગંતુક તરીકે માત્ર ને માત્ર શબનું જ આગમન થાય છે. 'એકથી બે ભલા' સાથે સામ્ય ધરાવતી અંગ્રેજી કહેવત 'The more the merrier'ને મરડીને આ વિભાગનું નામ 'The Morgue the merrier' રાખવામાં આવ્યું છે. આ વિભાગના સર્જક છે ડક એડવિંગ, જેમની સહી તરીકે અલગ અલગ મુદ્રાઓ ધરાવતા બતક (ડક)નું ચિત્ર હોય છે.

સામાન્ય સંજોગોમાં શબ એટલે કરુણતા, ગમગીની, શોક, ઉદાસી, સંવેદના જેવા ઘેરા ભાવ. પણ શબ સાથે જેને રોજેરોજ નિપટવાનું બનતું હોય, શબ જેની રોજિંદી નોકરીનો જ એક ભાગ હોય એ લોકો આ બાબતને શી રીતે જુએ છે?
દેખીતી રીતે 'ડાર્ક હ્યુમર'નો આ પ્રકાર છે, જેમાં ક્યારેક જુગુપ્સા પણ ભળેલી જણાય, છતાં તેમાં રહેલું હાસ્ય અને તેનો આંતરપ્રવાહ માણવા જેવાં છે.
(Mad, April, 1991, issue no. 302)