Friday, July 31, 2026

'સૂત્રિતનું મંચન: મંચ પર ગાંધીયુગને જીવંત કરવાનો ઉપક્રમ

 - રાજેશ દાણી 


(વડોદરામાં વસતા મિત્ર રાજેશ દાણીના રસ બહુવિધ છે. ફોન પર કે રૂબરૂમાં અમે સમયના રેશનિંગ વિના વાતો કરી શકીએ છીએ. ઓર્ગેનિક આહાર પ્રત્યેના પોતાના પ્રેમને તેમણે વ્યવસાયમાં તબદીલ કર્યો છે, અને 'સાત્ત્વિક' નામે ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણકેન્‍દ્ર ચલાવે છે. જૂનાં ગીતસંગીતના પણ પ્રેમી. જો કે, તેમનો મુખ્ય રસ નાટકનો, એમાંય ભવાઈ સ્વરૂપ પ્રિય. આધુનિક યુગના વિવિધ વિષયો કે સમસ્યાઓને તેઓ ભવાઈસ્વરૂપે રજૂ કરતા રહે છે, જેનો એક આગવો ચાહકવર્ગ ઊભો થયો છે. થોડા સમય અગાઉ તેમણે 'સૂત્રિત' નામના એક નાટકનું મંચન કર્યું. આ એક વિશિષ્ટ પ્રયોગ હતો. તેની નિર્માણપ્રક્રિયાની વાત તેમના જ શબ્દોમાં.) 

મુંબઈસ્થિત લેખિકા મેધા ત્રિવેદીએ 2019માં લખેલી પોતાની લઘુ નવલકથા 'સૂત્રિત' મને મોકલેલી. ગાંધીજીના ચરખા અંદોલનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તામાં મને રસ પડ્યો અને રસપૂર્વક હું એ વાંચી ગયો. વાંચીને મને વિચાર આવ્યો કે આજ કાલ વાંચનની પ્રવૃત્તિ આમેય ઘટતી ગઈ છે. આવા સંજોગોમાં સાહિત્યમાં રસ ધરાવનાર સિવાય અન્ય કોઈ સુધી આ અદ્‍ભુત વાર્તા શી રીતે પહોંચશે? મારો જીવ મૂળભૂત રીતે નાટકનો. તેથી વિચાર્યું કે નાટક સ્વરૂપે રજૂ કરીએ તો વધારે લોકો સુધી આ વાતને પહોંચાડી શકાય, અને વધુ અસરકારક રીતે પણ!  મે મેધાબ્હેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે મારે 'સૂત્રિત'નું નાટ્યરૂપાંતર કરવું છે. મેધાબહેને પૂછ્યું, “આનું નાટ્ય રૂપાંતર શક્ય છે ખરું?" મે કહ્યું કે મને પ્રયત્ન કરવા દો.  



મેં હવે બીજી વાર વાર્તા વાંચવાનું શરુ કર્યું. આ વખતે કેટલીક જગ્યા પર મારી નોંધ પણ હું મૂકતો ગયો. મેધાબહેન સાથે એ અંગે ચર્ચા પણ કરી અને પછી શરૂ કરી નાટ્ય રૂપાંતરની પ્રક્રિયા. ક્યાંક ક્યાંક અડચણ પડી. વાર્તામાં હતી, એનાથી અલગ ક્રમમાં ઘટનાઓને મૂકી, ક્યાંક ઉમેરો કર્યો, કશુંક બાદ કર્યું. આખરે પહેલો ડ્રાફ્ટ તૈયાર કરીને મેધાબહેનને મેઈલ દ્વારા  મોકલી આપ્યો. એ પછી અમે સામસામે લેપટોપ લઈને બેસી નાટ્ય રૂપાંતર પર લંબાણપુર્વક ચર્ચા કરી. એ પછી કેટલાક ફેરફાર સાથેની સ્ક્રીપ્ટ નવેસરથી મેધાબહેનને મોકલી. એમને એ ગમી. આ રીતે તૈયાર થયેલી સ્ક્રીપ્ટ મેં મારી સાથે હંમેશા કદમ મિલાવીને કામ કરતી અને મારા માટે પ્રેરણારૂપ કલાકાર મોક્ષદા દેસાઈ અને જયશ્રી દાણીને સામે બેસાડીને વાંચી. બંને તરફથી હકારાત્મક પ્રતિસાદ તેમજ પ્રોત્સાહન મળ્યું. મારા બીજા બે કલાકારને બોલાવીને  એમની સામે પણ સ્ક્રીપ્ટ વાંચી. એમના તરફથી ખાસ પ્રોત્સાહિત પ્રતિસાદ ન મળ્યો. તેમણે કહ્યું કે આમાં બહુ ફેરફાર કરવાની જરૂર છે, આ સ્ક્રિટ ખૂબ જ વાચાળ છે, એમાં ઘટનાઓ ઓછી છે. જો કે, મારી પ્રતીતિ દૃઢ હતી. હું જયારે જ્યારે આ સ્ક્રીપ્ટ વાંચતો ત્યારે અમુક દૃશ્યો વખતે ભાવુક થઇ જતો. મને વિશ્વાસ હતો કે પ્રેક્ષકોને પર પણ એની એવી જ અસર થશે. 

એક દિવસ પંદરેક કલાકારોને મેં મારા ઘરે ભેગા કર્યા. એમની સમક્ષ આખી સ્ક્રીપ્ટ વાંચી. બધાને ગમી. પછી એ કલાકારોને મેં કહ્યું કે તમે ઘરે ગયા પછી શાંતિથી વિચારીને મારા વ્યક્તિગત વ્હોટ્સસેપ પર મેં પૂછેલા સવાલના જવાબ જણાવજો. મે દરેકને પૂછેલા કેટલાક સવાલ આમ હતા.  

૧. આ સ્ક્રીપ્ટ તમને કેવી લાગી? 

૨. તમે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકો છો? 

૩. તેના પાત્રો સાથે સંબંધ સ્થાપી શકો છો? 

૪. આ નાટક આપણે કરવું જોઈએ? 

વ્યક્તિગત રીતે વિના સંકોચે આના જવાબ મને જણાવવા મેં કહેલું. લગભગ સૌનો રિસ્પોન્સ હકારાત્મક આવ્યો. મારું જોમ વધ્યું. થોડા દિવસ પછી ફરી એક વાર કલાકારોને ભેગા કરીને સ્ક્રીપ્ટ વાંચવાનું શરુ કર્યું. શરૂઆતમાં એક એક સીન વાંચતા ગયા. ધીમે ધીમે પાત્રો પ્રમાણે કલાકારોને ગોઠવતો ગયો. બધાં મળીને લગભગ ૩૫ પાત્ર થતા હતાં.  બને ત્યાં સુધી કોઈની પાસે ડબલ રોલ કરાવવાની મારી ઈચ્છા નહોતી. 

દરમ્યાન મારી ટીમમાંથી કેટલાક કલાકારોનું સૂચન આવ્યું કે આપણે આ નાટક ચિત્રલેખા/ એલએલડીસીની હરીફાઈમાં મુકીએ. કોઈ હરીફાઈમાં ઉતરવાની મારી જરાય ઈચ્છા નહોતી. પરંતુ, સામે પક્ષે દલીલ એમ હતી કે એ બહાને ચોક્કસ સમયમાં નાટક તૈયાર થઇ જાય. મને આ વાત ગળે ઊતરી અને મેં સ્પર્ધાનાં ફોર્મ મંગાવ્યા. ફોર્મ આવ્યાં એટલે એને ભરીને મોકલ્યાં. એ પછી મેં ગણતરી કરી તો  મારે માટે આ નિર્માણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હતું.. પસંદ કરાયેલા નાટકોની પ્રાથમિક હરીફાઈ મુંબઈમાં હતી. આયોજક તરફથી કુલ ૨૦ કલાકારોનું ટ્રેન ભાડું અપાય. તેની સામે મારે ટેકનીકલ ટીમ સહિત લગભગ ૩૮ થી ૪૦ કલાકાર-કસબીઓને મુંબઈ લઇ જવા પડે. એનો અર્થ એ કે આશરે ૨૦ જણાનું  આવવા- જવાનું ટ્રેન ભાડું મારે ખિસ્સામાંથી કાઢવું પડે. ઉપરાંત, મુંબઈ રેલ્વે સ્ટેશનથી થીયેટર ૪૦ કલાકારોને લાવવા લઇ જવાની વ્યવસ્થાનો ખર્ચ. એ સિવાય ખાવા-પીવાનો જે પણ કાઈ ખર્ચ થાય તે મારે ભાગે આવે.  ગણતરી કરતા લાગ્યું કે આ ખર્ચ ઘણો મોટો છે. એના કરતાં એટલા નાણાં હું બચાવું તો એ મને વડોદરામાં આયોજન કરવામાં કામ લાગે. એટલે ફોર્મ ભર્યા પછી  મનમાં થતું હતું કે પ્રાથમિક હરીફાઈ માટે અમારું નાટક પસંદ ન થાય તો સારું. નસીબે જોર કર્યું અને અમારા નાટકની પસંદગી ન થઇ. અમારા કેટલાક કલાકારોને નવાઈ લાગી, તો કેટલાકને આનંદ પણ થયો. 

અમે અમારી તૈયારી ચાલુ રાખી. ધીમે ધીમે વિવિધ પાત્રો માટે કલાકારો ગોઠવાતા ગયાં. કેટલાક યુવાન કલાકારો મેળવવા માટે  મિત્ર કલાપી ધોળકિયાની મદદ લીધી. તેમણે સારા એવા સંપર્કો આપ્યા. એવામાં અચાનક એક મુશ્કેલી આવી. અમે રીહર્સલ કરતાં હતાં, એ સ્થળ બાબતે કેટલાક પ્રશ્ન ઉભા થયા અને અમને ત્યાં રિહર્સલ કરવાની નમ્રતાપૂર્વક ના પાડવામાં આવી. બીજી કોઈ વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે એક અઠવાડીયા માટે કલાપીની એક જગ્યામાં રીહર્સલ કર્યાં. મારા કરતાં વધુ તો કલાકારોની ધીરજની કસોટી થતી જતી હતી. એવામાં મુખ્ય પાત્ર ભજવનાર એક સ્ત્રી કલાકારને સીરીયલમાં કામ મળ્યું, એટલે તેણે કમને મારો પ્રોજેક્ટ છોડવો પડ્યો. બીજી પસંદગીમાં મારી પત્ની જયશ્રીને લેવાનું નક્કી કર્યું. મારી પત્ની હોવાને કારણે નહિ, પરંતુ એ એક સારી કલાકાર છે અને આ પાત્રને જીવંત કરશે એવા વિશ્વાસ સાથે એની સાથે અલગ રીડીંગ શરુ કર્યું. એનાં બધા સીન મોક્ષદા સાથે હતા. મોક્ષદા વધારાના સમયમાં ઘરે આવે અને જયશ્રી સાથે રીહર્સલ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ. ઉપરાંત, મોક્ષદાએ એક વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી. દરેક કલાકારને તેમના પાત્રની સમજણ, તેમનાં દૃશ્યો, તથા આખી વાર્તામાં એ પાત્ર અને તે કલાકારનું કનેક્શન સમજાવવાનું અઘરું કામ તેણે હોંશે હોંશે ઉપાડી લીધું. 

રિહર્સલ વખતે કલાકારોનો કાફલો 

હવે સમય હતો કે નાટક દરમિયાન કલાકારોને તેમણે ઉપયોગમાં લેવાની પ્રોપર્ટી સાથે પરિચિત કરાવવાનો. વડોદરામાં ચાલતા 'ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ'ના ખાદી ભંડારનો શ્રીમતી અરુણાબેન ચોકસી દ્વારા સંપર્ક કર્યો. ત્યાંના પ્રમુખ, સેક્રેટરી અને કર્મચારીઓનો સહકાર મળ્યો. ચરખો કેમ ચલાવવો, રૂની પૂણી, ખાદીનું કાપડ વગેરે સાથે પરિચય થયો, ઘણું જાણવા મળ્યું, અને રિહર્સલ માટે તેમજ શો માટે જરૂરી એવો ચરખો પણ એમણે આપ્યો.  

રિહર્સલ વેળાની મજા 
નાટકના પહેલા પ્રયોગ માટે મેં મનોમન 27 મી માર્ચ, વિશ્વ રંગભૂમિ દિનની આસપાસના દિવસનો વિચાર કરવા માંડ્યો. કલાકારો તરફથી મને વારેવારે પૂછવામાં આવતું કે નાટકની ભજવણીની તારીખ કઈ હશે. મેં માર્ચ અંતની આ તારીખની વાત કરી તો બે કલાકારોએ તરત ના પાડી દીધી, કેમ કે, એ દિવસોમાં તેમને પરીક્ષા આવતી હતી. એટલે ફરી પાછી રીપ્લેસ્મેન્ટની શોધ શરુ થઇ.  આ દરમ્યાન એમ. કે. હાઇસ્કુલના શ્રી સુભાષભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો અને તેમણે એમની સ્કૂલના પ્રાંગણમાં રીહર્સલની વ્યવસ્થા ગોઠવી આપી. બે કલાકારો શોધવા માટે ફરી પાછી કલાપીભાઈની હેરાનગતિ શરુ કરી. તેમના સહયોગથી યોગ્ય કલાકાર મળી પણ ગયા. આ આખી પ્રક્રિયામાં કલાકાર તરીકે એ સારા હોવા ઉપરાંત, ટીમ સાથે કામ કરી શકે, રાતનો સમય આપી શકે તેમજ માર્ચ અંત સુધી સાથે રહી શકે એ બધું જ જોવાનું હતું. 

વિવિધ પાત્રો અને વિવિધ વેશભૂષા 

એવામાં અનાયાસે બે કલાકાર અમારી સાથે જોડાયા. એમાંની એક તે શાલીની પટેલ : મારો એક નાટકનો મિત્ર, પ્રદીપ ગઢવી (જે છેલ્લા ચારેક વર્ષથી સંપર્કમાં નહોતો) તેનો અચાનક ફોન આવ્યો અને કહ્યું, “એક છોકરી છે, એને થોડીક પ્રાથમિક તાલીમની જરૂર છે. તો તમારી પાસે ઓળખાણ કરાવવા લઇને આવું છું."  પ્રદીપ શાલિનીને મારી પાસે લઇ આવ્યો. શાલીની, ૨૨ વર્ષની ઉમર, અમેરિકામાં જન્મી અને ઉછરેલી. તેણે અમેરિકામાં ચાર વર્ષનો સાયકોલોજી અને થીયેટરનો કોર્સ કરેલો. ગુજરાતી વાંચતા, લખતા કે બોલતા જરાય ના આવડે. મારી પાસેથી તેને એ અપેક્ષા હતી કે પોતે થોડુંઘણું ગુજરાતી સમજે અને ગુજરાતી/ ભારતીય રંગભૂમિ તેમજ સંસ્કૃતિ વિષે જાણે. શાલીની મારી સાથે 'સૂત્રિત'માં જોડાઈ. મારા રિહર્સલમાં આવે, ગુજરાતી સ્ક્રીપ્ટ સમજવાનો પ્રયત્ન કરે, સમજ ન પડે તો મને પૂછે. એના પ્રશ્નો તો અઢળક.  ધીમે ધીમે ગુજરાતી નાટક, તેના સંવાદો, કલાકારોના હાવભાવ સમજવા માંડી, એટલું જ નહિ પણ તેનું મૂલ્યાંકન કરીને મારી સાથે ચર્ચા કરતી થઇ ગઈ. મારી સાથે વિવાદ કરે, મજાક પણ કરે. ટૂંકમાં રીહર્સલનો તે પૂરેપૂરો આનંદ લેવા માંડી. ઉપરાંત, મે એને 'ગાંધી' ફિલ્મ બતાવી, ગાંધીજીની આત્મકથા (અંગ્રેજી) વાંચવા આપી.  

ગંભીરતાપૂર્વક થતું રિહર્સલ 

જો કે, આખરે અમારા નાટકનો શો તા. ૨૯મી માર્ચના નક્કી થયો ત્યારે તેના પિતાજીએ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની પાછા જવાની ૨૨ મી માર્ચની ટીકીટ બુક કરાવી દીધી. એટલે કે તે હવે શો દરમ્યાન અમારી સાથે ન રહી શકે. તે ખુબ દુખી થઇ.  ૨૨ મીએ તે રિહર્સલમાં આવી અને બધાને મળી. બધાનું મોઢું મીઠું કરાવ્યું, સૌને ભેટી, શુભેચ્છા આપી અને અત્યંત ભારે હૈયે વિદાય લીધી. અમારા નાટકના આમંત્રણમાં સહાયક તરીકે તેનું નામ હતું, પણ એ સફળ પ્રયોગને, એ સફળતાનો આનંદ માણવા અમારી સાથે હાજર ન રહી શકી. દરેક વ્યક્તિનો પોતાનો પ્રવાસ હોય છે. કહેવાય છે કે 'People enter into our life for Reason, Season or Lifetime.'  

બીજી હતી અંશુ અગ્રવાલ. એકવાર પ્રદીપ ગઢવી અમારું રીહર્સલ જોવા આવ્યો. એની સાથે એક છોકરી હતી, અંશુ, જે એની સાથે કામ કરતી હતી. એને રિહર્સલમાં મજા પડી. બીજે દિવસે પ્રદીપનો ફોન આવ્યો કે અંશુને મારી ટીમમાં જોડવાની ઈચ્છા છે. મેં કહ્યું કે આજે પણ તેને રિહર્સલમાં લઇ આવ. તેની સાથે મેં વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેને થીયેટરનો અનુભવ હતો. તેણે નાટકના સંગીત સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી. 

પૂનમ મેવાડાએ મારી પરિકલ્પના મુજબ સેટ ડીઝાઈન તૈયાર કરી હતી. તેણે અર્પિત સોનીની સાથે મળીને પ્રકાશ સંયોજન અને સંચાલનની જવાબદારી ઊપાડી લીધી. પૂનમે નાટકની કેટલીક  સંવેદનશીલ પળોને વધુ અસરકારક રીતે રજૂઆત કરવામાં પણ મદદ કરી.   

વિવિધ વયના કલાકારો 

આ નાટકના રીહર્સલ દરમ્યાન નવ્યા, હિમાંસી, શ્લોકા અને અર્ચિત જેવા બાળ કલાકારો રીહર્સલના સમયને વધુ રસપ્રદ બનાવી દેતા. રીહર્સલમાં કેટલાક અનુભવી કલાકારો કહેતા કે આ નાના કલાકારોનો આત્મવિશ્વાસ ગજબનો છે. મને લાગતું કે કે એ તો બરાબર, પણ એમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અત્યાર સુધી હું માનતો હતો કે બાળકો સાથે કામ કરવા હું સક્ષમ નથી. પરંતુ, આ બાળકોએ મારામાં અનેરો આત્મવિશ્વાસ ઉભો કર્યો છે. 

**** 

મેં જે સન્નિવેશની પરિકલ્પના કરી હતી તેમાં અનેક મોટી પાટની જરૂરીયાત પડે તેમ હતું. વડોદરામાં સેટ ભાડેથી આપનારાઓએ કહ્યું કે આવી પાટ ફરાસખાનાવાળા પાસેથી જ લાવવી પડે. અને મને યાદ આવ્યો મારો 'દિવ્ય ભાસ્કર'નો સાથી અને મારો મિત્ર અંકુર ગોર, જે હાલ 'ટ્યૂલિપ ટચ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. અંકુર ગોર લગ્નના ડેકોરેશનના કામમાં ખુબ જ કીર્તિ કમાઈ ચૂક્યો છે તેમ જ અસંખ્ય એવોર્ડ પણ તેને મળ્યા છે.  તેનું પોતાનું મોટું ગોડાઉન છે અને એમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેની સાથે વાત કરતાં જ તેણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી બતાવી. મને વિચાર આવ્યો કે સ્ટેજ પર આટલા લેવલ્સ મૂકવાના હોય અને કલાકારોએ તેનો ઉપયોગ કરવાનો હોય તો રીહર્સલ દરમ્યાન પણ કેટલીક પાટ લાવવી જોઈએ. તેઓ સીધા સ્ટેજ પર જ પાટ આવે તો તેમને તકલીફ પડે. અંકુરે હા પાડી અને છેલ્લા ૧૫ દિવસ કલાકારોએ પાટ (લેવલ્સ) સાથે રીહર્સલ કર્યા. આ કવાયત ખૂબ જ કારગત નીવડી.  

મને ઈચ્છા હતી કે આ નાટકમાં વિશિષ્ટ ગીત – સંગીતનો ઉપયોગ કરવામાં આવે, તો નાટક વધારે દીપી ઉઠે.  આ કવાયત માટે સમય ઓછો પડે તેમ લાગ્યું. મારા વડીલમિત્ર વિહારભાઈએ નવો વિચાર આપ્યો. અને અમે મારા બીજા જીગરી મિત્ર મુકેશ ગાંધીને મળ્યા. મુકેશભાઈએ AI ની મદદથી પ્રત્યેક દૃશ્યને અનુરૂપ સંગીત તૈયાર કર્યું. 

હવે, સંગીત તેમજ પ્રકાશની સાથે રિહર્સલ્સ ચાલુ થયાં. રોજ રાત્રે 12 વાગ્યા સુધી 25 થી 30 કલાકારોનો કાફલો મારી સાથે હોય, મારા ગાંડપણને વધાવવા. શોની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ મારી તેમજ કલાકારોની આતુરતા સાથે ચિંતા વધતી જાય. ક્યારેક ક્યારેક કેટલાક (નજીકના) કલાકારો સાથે ઉગ્ર ચર્ચા પણ થતી. પાછા એકબીજાને મનાવી લઇ, અમે એકમેકનો આત્મવિશ્વાસ વધારતા જતા. ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ, અમારા એક સિનિયર કલાકારનાં માતુશ્રી ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા. ઘણી અનિશ્ચિતતા હતી. એ કલાકારે મને જણાવ્યું કે ગમે ત્યારે કંઇ પણ થઈ શકે. એટલે એ પાત્રની તૈયારી મેં પોતે કરવા માંડી. એક સીનમાં એવું ગોઠવ્યું હતું કે આ કલાકારનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે અને સ્ટેજ પર પ્રવૃત્તિ હોય. અમે આ વિભાગ અમારા બંનેના અવાજમાં રેકોર્ડ કરી રાખ્યો. શો વખતે જેણે પાત્ર ભજવવાનું થાય, તેનો અવાજ વાપરવો એમ નક્કી કર્યું. જો કે, આખરે એ સિનિયર કલાકાર  એ પાત્ર ભજવી શક્યા, અને તેમણે ખૂબ જ સરસ રીતે ભજવ્યું.

નાટકના અપેક્ષિત પ્રેક્ષકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની વી.એન.એમ. ચેનલ તરફથી રીહર્સલની કલીપ તથા અમારો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરાયો. 'દિવ્ય ભાસ્કર'માં રીહર્સલના ફોટા સાથે આવનાર નાટકની માહિતી આપવામાં આવી. આને કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાતું ગયું. 

**** 

આ નાટકના આયોજન દરમિયાન બીજો એક ચમત્કારિક કહી શકાય એવો અનુભવ થયો. મારે આ નાટકનો શો 22મી માર્ચના રોજ ગોઠવવાની ઈચ્છા હતી. પરંતુ, સી. સી. મહેતા ઓડીટોરીયમ એ દિવસે અગાઉથી બુક થયેલું હતું. 29 મીનું બુકિંગ કોઈ અન્ય પાર્ટી તરફથી મૌખિક રીતે કરાયેલું હતું, પણ તેણે પૈસા ભર્યા નહોતા. મેં મેડીકલ કોલેજનો હોલ બુક કરવાનું વિચાર્યું, એ પણ 22 અને 29માટે અગાઉથી બુક હતો. પછી મને સી.સી. મહેતા હોલમાંથી ફોન આવ્યો કે 29મી એ હોલ સુલભ છે. મેં તક ઝડપી લીધી અને હોલ બુક કરાવી દીધો. મનમાં થયું કે 22મી મળી હોત તો વધુ સારું થાત. પછી ખબર પડી કે મેડીકલ હોલ જેમણે 22મી મે માટે બુક કર્યો હતો તેમનું બુકિંગ બે કે ત્રણ દિવસ પહેલાં જ કેન્સલ કરવામાં આવ્યું, કારણ કે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના હતા. મને થયું કે કુદરતે મને બચાવી લીધો.  મારે ત્રણ દિવસ પહેલાં હોલ કેન્સલ કરીને અન્ય વ્યવસ્થા કરવાની આવી હોત તો કેટલી અનહદ મુશ્કેલી પડત.!  ( જો કે, હોલના આયોજકોને તેની કોઈ ચિંતા હોતી નથી)

****

રિહર્સલ ટાણે 
અન્ય એક પૂરક માહિતી અને મારો અનુભવ અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. વડોદરામાં, વડોદરાના કલાકારોનું નાટક ટિકિટ શોથી કરવું ઘણું અઘરું છે. તેમજ નાટકના કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ મળવી પણ એટલી જ અઘરી. આથી અમે ડોનેશન કાર્ડ રાખ્યાં હતાં. મારા પરિચયના અનેક મિત્રો, શુભેચ્છકોએ ડોનેશન કાર્ડ લઈને સીટ બુક કરાવવા માંડી. એને લઈને અમારો ઉત્સાહ વધ્યો. અમારા નાટકનાં એક મિત્ર અનસૂયા પટેલને અમારું નાટક જોવાની ખૂબ જ ઇચ્છા હતી. પરંતુ, તેમને એક અકસ્માત નડ્યો અને તે નાટક જોવા આવી શકે તે શક્ય નહોતું. તો પણ તેમણે બે સીટ બુક કરાયેલી રાખીને પૈસા મોકલી આપ્યા. તો આની સામા છેડાનો બીજો એક એવો અનુભવ પણ થયો કે એક મિત્રને વોટ્સએપ પર અમારું પોસ્ટર મોકલ્યું, તેમણે ચાર સીટ બુક કરવા કહ્યું. મેં એમને ડોનેશન કાર્ડનો ચાર્ટ મોકલ્યો તો તેમણે કહ્યું કે 'If I have to pay, then leave it.' 

મને મારા વ્યક્તિગત સંબંધ દ્વારા કેટલાક શુભેચ્છકોએ આર્થિક મદદ કરી. આ એક આનંદની વાત. પરંતુ, દુઃખની વાત એ કે એ મદદ વ્યક્તિગત સંબંધને કારણે હતી, નાટ્ય પ્રવૃતિને મદદ નહોતી. કેટલાક મિત્રો શુભેચ્છકોએ નાટક જોયા પછી આર્થિક સહાય આપી. આ વાતને હું નાટકની સફળતા માનું છું. અમારાં મિત્ર અને કાયમી શુભેચ્છક શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું. અવારનવાર તેઓ મને રિહર્સલના સમાચાર પણ પૂછતા રહેતાં. 

છેલ્લા બે દિવસમાં મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધી ગયો. 

**** 

આખરે શોનો દિવસ આવ્યો. મેધાબહેન અને તેમના પતિ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી મુંબઈથી ખાસ નાટક જોવા આવ્યા હતા.  મેધાબહેનના ચાર મિત્રો પોતાના કુટુંબ સાથે અમદાવાદથી આવ્યા હતા. મેધાબહેન અને ગોપાલભાઈએ નાટક પૂરું થયા પછી, નાટકના તમામ કલાકારો, અને વિશિષ્ટ આમંત્રિતો (કુલ 60 વ્યક્તિ) માટેનો ભોજનખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.  

નાટક શરૂ થયું. કલાકારો ગજબના આત્મવિશ્વાસથી અભીનય કરી રહ્યા હતા. પ્રેક્ષકો પુરા રસપૂર્વક નાટક માણી રહ્યા હતા. બે અંકમાં વહેચાયેલું નાટક 20 કરતાં વધારે દૃશ્યોમાં ભજવાઈ રહ્યું હતું. પ્રેક્ષકો દરેક દૃશ્ય પછી કલાકારોને તાળીઓથી વધાવી, પછીના દૃશ્યની આતુરતાપૂર્વક રાહ જોતા. આખરે બીજા અંક પછી જ્યારે પડદો પડ્યો, કલાકારોની ઓળખાણ આપવા કર્ટન કોલ સમયે પ્રેક્ષકોએ સૌને તાળીઓથી વધાવી લીધા. વિવિધ લોકોએ આવા વિષયની પસંદગીને દાદ આપી, કેટલાક નાટકના જાણકારોએ ભજવણીને દાદ આપી. 

(ઊભેલાં - ડાબેથી) યતીન ત્રિપાઠી, નિક અયલાની , શ્લોક શાહ,
નિત્ય વકીલ, તેજસ ત્રિવેદી, વિદ્યા પરમાર, રાજેશ દાણી
મોક્ષદા દેસાઈ, જયશ્રી દાણી, ઉર્વશી નાયક, શેફાલી ત્રિપાઠી,
રૂપા લખલાણી, નેહા ડાભી, માનસી ઝાલા, 
(બેઠેલા) ધવલ પટેલીયા, હિમાંસી ઝાલા, હર્ષલ કાતરિયા,
હિમાક્ષી પીઠડીયા, શ્લોકા ત્રિવેદી, ભવ્યા પંચાલ, પ્રવિણ કાળે,
વિરેન્દ્ર રાવલ, અલભ્યા ત્રિપાઠી, અર્ચિત રાજદેવ, 
આ ઊપરાંત તસવીરમાં નથી એવા- 
અખિલેશ નાણાવટી, જલ્પેશ પાઠક, નિત્ય પાઠક ,
કેશા શાહ, ક્ષિતિજ સુપેકર, ધર્મિલ ,


આ સમગ્ર ઊપક્રમમાં સહયોગ આપનાર કસબીઓનાં નામ આ મુજબ છે. 
સેટ ડિઝાઇન : પૂનમ મેવાડા, સેટ : ટ્યૂલિપ ટચ, પ્રકાશ આયોજન : પૂનમ મેવાડા, પ્રકાશ સંચાલન : પૂનમ મેવાડા અને અર્પિત સોની, સંગીત આયોજન : મુકેશ ગાંધી, સંગીત સંચાલન : અંશુ અગ્રવાલ, વેશભૂષા: મુકેશ ડ્રેસવાલા, પ્રોડક્શન સહાયક : શાલિની પટેલ, સહાયક : પ્રદીપ ગઢવી, સુજલ વકીલ
સમગ્રપણે એક અદભુત અનુભવ થયો, ઘણું શીખવા મળ્યું. રંગમંચ માટે મારું ભાથું બંધાયું. મારા ઉપર વિશ્વાસ રાખીને મહેનત કરનાર કલાકારોનો, મારી ઉપર વિશ્વાસ મૂકતા પ્રેક્ષકગણનો તેમજ મારા શુભેચ્છકોનો આભાર.

Friday, July 10, 2026

તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે

રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.

મુંબઈના એક સજ્જન હતા, એમનું નામ ગિરીશ દવે. વ્યવસાયે વકીલ અને રજનીભાઈના જબરા વાચક-ચાહક. રજનીભાઈ મુંબઈ આવે એટલે ગિરીશભાઈની કાયમી ઓફર હતી. તેઓ પોતાની કાર અને ડ્રાઈવર મોકલી આપતા. રજનીભાઈને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એક વાર અમે સાથે મુંબઈ ગયા ત્યારે પણ આ જ રીતે ગિરીશભાઈની કાર અને ડ્રાઈવર હાજર. મેં રજનીભાઈને કહ્યું, 'મુંબઈમાં કાર કરતાં ટ્રેન વધુ સરળ રહે' એમણે કહ્યું, 'આપણને બધા સ્થળ ઝટ જડે નહીં, એટલે સમય બગડે. એના કરતાં આ રીત સહેલી પડે.' આનો અનુભવ મેં કર્યો અને મને એમની વાત સાચી જણાઈ.
મુંબઈમાં રજનીભાઈનો ઊતારો એમના પરમ સ્નેહી બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા રહેતા. મોટે ભાગે હું મારા કાકા શૈલેષ પરીખને ત્યાં ઊતરતો. એક વાર હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. અત્યંત પ્રેમાળ સજ્જન. વાતરસિયા, અને કથનશૈલી ગજબની. એમના પિતાજી 'હબીબ ખાંભાવાળા'ના નામે પ્રસંગકથાઓ લખતા હતા. દિવસ દરમિયાન તો અમે અમારા કામે બધે ફરતા રહ્યા, પણ સાંજે અમે ભેગા હતા.
રજનીભાઈએ બોઘાણીસાહેબને કહ્યું, 'જુઓ, હું તો અહીં નિયમીત આવું છું, પણ બીરેન આજે પહેલી વાર તમારે ત્યાં આવ્યો છે. એટલે એને તમે પેલી વાતો કહો.' પછી મને કહે, 'બદરૂદ્દીનભાઈ ગજબ કથાઓ કહે છે. એમના વિશે હું એમની હાજરીમાં કશું નથી કહેતો, પણ તું સાંભળ. મારી બહુ ઈચ્છા છે કે તને એ સંભળાવું.' હું તૈયાર હતો, પણ મને સહેજે અંદાજ નહોતો કે બોઘાણીસાહેબ શેની કથા કહેવાના છે.
બોઘાણીસાહેબે એક પછી એક પ્રસંગો કહેવાના શરૂ કર્યા. શું એમનું વર્ણન! શી એમની શૈલી! ઘણા બધામાં એ પોતે જ કોઈક પાત્ર હોય. અને વાતનો મર્મ એવી સરસ રીતે મૂકે કે આપણે આફરીન થઈ જઈએ. શો પ્રતિભાવ આપવો એ મને ન સમજાય, પણ મારા મોં પરથી બોઘાણીસાહેબ પામી ગયા કે મને બહુ મજા આવે છે. ત્રણેક પ્રસંગો કહ્યા અને તેઓ અટક્યા. એટલે રજનીભાઈ કહે, 'અરે, પેલો કહો ને! હજી પેલોય બાકી રહ્યો.' એમ કહીને એમણે બે-ત્રણ પ્રસંગો યાદ કરાવ્યા. એ સાંજ મારા માટે યાદગાર બની રહી. મને અફસોસ થયો કે મેં એ રેકોર્ડ કેમ ન કરી લીધા! જો કે, એમના કથનપ્રવાહમાં હું એવો તણાઈ ગયેલો કે એવું યાદ જ ન આવ્યું.
બોઘાણીસાહેબનાં સંતાનો અલગ રહેતાં હતાં. બોઘાણીસાહેબ એકલા જ રહેતા. એમણે કહેલું એક વાક્ય આજેય યાદ આવે છે અને હૈયે ચિરાડો પાડી દે છે. એમણે કહેલું, 'રોજ સાંજે ચાલવા માટે બહાર જાઉં છું, ત્યારે ખબર નથી હોતી કે પાછો આવીને તાળું ખોલી શકીશ કે નહીં.' આવા સમયે રજનીભાઈ જેવા મિત્ર આવે ત્યારે એમને કેટલો આનંદ થાય એ સમજી શકાય એમ છે.
બોઘાણીસાહેબે કહેલી એક વાત તો મને એટલી બધી ગમી ગઈ કે મેં એ એમના નામ સાથે બ્લોગ પર લખી. એ પછી તેમના ઘણી વાર ફોન આવતા. પહેલી વાર તેમનો ફોન આવ્યો ત્યારે એમનો નંબર મારી પાસે નહોતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મેં ઊપાડીને 'હેલો' કહ્યું કે સામેથી અવાજ આવ્યો, 'તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે.' મારાથી સહસા બોલાઈ ગયું, 'અરે! બોઘાણીસાહેબ!' તેઓ રાજી થઈને કહે, 'તમે મને ઓળખી કાઢ્યો.' મેં કહ્યું કે આ વાક્ય (ગીતની પંક્તિ) આ રીતે મને કહેનારા એક તમે જ છો. પછી ઓળખી જ કાઢું ને?' તેઓ ઓર રાજી થયા અને કહે, 'પણ તમને એ યાદ રહી ગઈ એ બહુ કહેવાય.' વાત એવી હતી કે તેમણે મને કહેલી એક કથામાં આ પંક્તિ કેન્દ્રસ્થાને હતી. શાળાકાળના પોતાના એક મિત્રને લાંબા સમય પછી મળતાં તેઓ એને આ 'કોડવર્ડ' કહીને પોતાની ઓળખ આપે છે એવી વાત હતી. એની બીજી કડીમાં 'દોસ્તી કી રાહોં મેં મિલકે ચલે થે' એમ ફેરફાર કરેલો. એ બહુ નાટ્યાત્મક વાત હતી. ખેર! વાત ત્યારે પૂરી થઈ અને મેં એમને કહ્યું કે તમને મન ફાવે ત્યારે મને ફોન કરજો. એ સિલસિલો બહુ લાંબો ન ચાલી શક્યો. એક દિવસ મને રજનીભાઈએ સમાચાર આપ્યા કે બોઘાણીસાહેબે વિદાય લીધી છે. અમે બન્નેએ એ દિવસે એમને, એમની વાતોને, એમના વ્યક્તિત્વને બહુ યાદ કરીને એમને અંજલિ આપી, પણ એકમેકને.
હવે તો રજનીભાઈ પણ ગયા, પણ તેમણે દેખાડેલી પાત્રસૃષ્ટિ મનોજગતમાં કોતરાઈ રહી છે.

Thursday, July 9, 2026

'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી

રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.

વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.

Wednesday, July 8, 2026

પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?

રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.

એ પછીના અરસામાં 'સાગર મુવીટોન' પુસ્તકના કામ માટે મારે બેંગ્લોર જવાનું થયું. રજનીભાઈએ મને ભારપૂર્વક મીનાક્ષીબહેનને મળવા અનુરોધ કર્યો. તેમની વચ્ચેના સંબંધને હું જાણતો હોવાથી મેં પણ કહ્યું કે એમને હું ચોક્કસ મળીશ.
બેંગ્લોરમાં મારું કામ પતાવ્યા પછી રજનીભાઈના મિત્ર ધીરુભાઈને મેં ફોન કર્યો. ધીરુભાઈએ બે દિવસ એવો ક્રમ બનાવ્યો કે સવારે તે પોતાનું વાહન લઈને આવે, મને અને કામિનીને એમાં લઈ જાય, વિવિધ સ્થળે ફેરવે, અને પછી સાંજે અમારા ઉતારે મૂકી જાય. આમાં અમે એક દિવસ મીનાક્ષીબહેનને મળવાનું ગોઠવ્યું. પહેલાં તો ફોન કર્યો. તેમણે બહુ ઊમળકાપૂર્વક વાત કરીને મળવાનો સમય અને ઠેકાણું કહ્યાં. એ સમયે તેમની દીકરી- જમાઈ બહારગામ ગયેલાં હોવાથી મીનાક્ષીબહેન દીકરીના ઘેર રહેવા આવેલાં. રજનીભાઈએ તેમને મારા વિશે જણાવેલું. એ રજનીભાઈના સૌજન્યનો હિસ્સો હતો કે તેઓ બન્ને પક્ષને એકમેક વિશે જાણ કરે.
મીનાક્ષીબહેન રહેતાં હતાં એ વિસ્તાર ધીરુભાઈ માટેય નવો હતો. થોડું આમતેમ થયા પછી મીનાક્ષીબહેને કહ્યું કે પોતે મુખ્ય રસ્તા પર ઊભાં રહેશે. ખરી મૂંઝવણ એ હતી કે અમે કોઈ એકમેકને જોયે ઓળખીએ નહીં. પણ મીનાક્ષીબહેન કહે, 'ઓળખી જવાશે.' ખરેખર એમ જ થયું. રસ્તાની કોરે ગુજરાતી સાડી પહેરીને ઊભેલાં, ચશ્માવાળાં એક પ્રૌઢ બહેનને જોઈને મેં ઈશારાથી જ પૂછ્યું, 'તમે મીનાક્ષીબહેન?' તેમણે પણ માત્ર આંખથી 'હા'નો જવાબ આપ્યો. એ પછી અમે તેમની દીકરીને ઘેર ગયાં. કામિની અને ધીરુભાઈ સાથે હતા ખરાં, અને તેમને એટલી ખબર હતી કે રજનીભાઈના મિત્રનાં આ બહેન છે. પણ એ મૈત્રીનો આખો અધ્યાય સ્વાભાવિકપણે જ તેમને ખ્યાલ નહોતો.
શું વાત કરવી એ સવાલ હતો. મારા મનમાં વસંત દેસાઈ, રજનીભાઈ, વીનેશ પટેલની મૈત્રીની કથા રિવાઈન્ડ થઈ રહી હતી. બહુ ભાવવાહી ક્ષણો હતી એ. પણ મીનાક્ષીબહેન અનુભવી હતાં. તેમણે જ વાત શરૂ કરી. ચા-નાસ્તો પીરસ્યો. ત્યાંથી મેં રજનીભાઈને ફોન જોડ્યો. આ પણ તેમની જ શૈલી! તેમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મીનાક્ષીબહેન સાથેય વાત કરી. અડધો- પોણો કલાક બેસીને અમે ઊભા થયાં. એ ક્ષણ બહુ ભારેખમ હતી. અમે ફરી મળીશું કે કેમ એ ખબર નહોતી. અને આમ જુઓ તો આખી વાતમાં સીધેસીધું મારું કોઈ જોડાણ પણ નહોતું, છતાં એ સમયગાળાનો હું સાક્ષી હોઉં એમ મને અનુભવાતું હતું. મીનાક્ષીબહેન પણ કદાચ આ વાત સમજી ગયેલાં. છેવટે તેમણે મૌન તોડતાં કહ્યું, 'સારું ભાઈ. આવજો. તમે આવ્યા તો બહુ ગમ્યું." મારી આંખોમાં ધસી આવેલાં પાણી મેં માંડ ખાળી રાખ્યાં. પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે રજનીભાઈની સંબંધસૃષ્ટિના કોઈ પાત્રને એમના કરતાં પહેલાં હું મળી રહ્યો હોઉં.
એ પછી અમે નીકળ્યા. ફરી મેં રજનીભાઈ સાથે વાત કરી ત્યારે તેમણેય કહ્યું, 'બેટા, મને બહુ જ ગમ્યું કે તેં સમય કાઢીને એમની મુલાકાત લીધી.' હજી હું બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો. કોઈ લેખકની પાત્રસૃષ્ટિમાં આપણે પ્રવેશ કરી જઈએ અને તેમાંના કોઈ પાત્રને મળી આવીએ એ પછી કેવી હાલત હોય!!
અને આ પાત્રો કાલ્પનિક નહીં, વાસ્તવિક હતાંં.
બેંગ્લોરથી હું પાછો આવી ગયો. વખત વીત્યો. એ પછી એક વાર રાબેતા મુજબ રજનીભાઈનો ફોન આવ્યો. કહે, 'મીનાક્ષીબહેન આવ્યાં છે. તારી સાથે વાત કરવા માગે છે.' મેં તત્ક્ષણ કહ્યું, 'બેંગ્લોરવાળાં?' ફોન કદાચ સ્પીકર પર હતો, એટલે મીનાક્ષીબહેને પણ એ સાંભળ્યું હશે. રજનીભાઈ એમને કહે, 'જોયું? હું નહોતો કહેતો કે એ તમને તરત ઓળખી જશે?' એમ કહીને તેમણે મીનાક્ષીબહેનને ફોન આપ્યો. અમે ઔપચારિક વાત કરી, પણ મારા મનમાં આખી ઘટનાઓ
રિવાઈન્ડ થતી ગઈ. ખરું કહું તો તેઓ અને રજનીભાઈ રૂબરૂ થઈ શક્યા એનો મને બહુ આનંદ હતો.
'ઝંઝાવાત'માં વસંત દેસાઈનો વિસ્તૃત ઊલ્લેખ વાંચતાં સમાંતરે મારા મનમાં આ ઘટના ચિત્રપટ્ટીની જેમ ચાલતી રહી હતી.

Tuesday, July 7, 2026

દોસ્તી ખરી, પણ સૌજન્‍યમાં મસ્તી નહીં

સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.

નિર્ધારીત દિવસે અને સમયે હું એમને ત્યાં મણિનગર પહોંચી ગયો. તેઓ તૈયાર જ બેઠા હતા. અમે થોડી ઔપચારિક વાતચીત કરી. એ પછી એમણે એક ફોન જોડ્યો. સામેથી ફોન લેવાયો એટલે મને રજનીભાઈ બોલતા હતા એ સંભળાયું, "મને ખબર છે કે તું બહુ વ્યસ્ત હોઈશ. અને તને ફોન ન થાય. હું ત્યાં આવું જ છું. પણ મારો મિત્ર જેને તુંય ઓળખે છે એ આવેલો છે અને મારી સાથે આવે છે. તો તું એને આમંત્રણ આપ." આમ કહી એમણે મને ફોન આપ્યો. સામે આપણા જાણીતા નવલકથાકાર મહેશ યાજ્ઞિક હતા. એમની દીકરીનું લગ્ન હતું, જેમાં રજનીભાઈએ હાજરી આપવાની હતી. તેઓ મને એમ જ સાથે લઈ જાય તો કંઈ મહેશભાઈ ના ઓછા પાડવાના? પણ ના, સૌજન્ય જળવાવું જ જોઈએ. મહેશભાઈએ મને બહુ પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. એ પછી અમે બન્ને કારમાં નીકળ્યા. લગ્નપ્રસંગમાં હાજરી આપી, સાથે ભોજન લીધું, અને પછી રજનીભાઈ મને રમેશ ઠાકરને ત્યાં મૂકવા આવ્યા.
****
રમેશ ઠાકર અને રજનીભાઈ જૂના મિત્રો. (એમનો ઉલ્લેખ 'ઝંઝાવાત' પુસ્તકમાં છે.) રમેશભાઈ ત્યારે 75 આસપાસના. કદ નાનું, પણ એવા ચંચળ અને જિજ્ઞાસુવૃત્તિ અકબંધ. તેઓ અમારી રાહ જ જોતા હતા. અમને જોઈને કહે, 'એક વસ્તુ તમને બતાવવાની છે અને મારેય જોવાની છે. તમે આવો એટલે ખોલું એમ કહીને મૂકી રાખી છે. હજી આજે જ આવી છે.' આમ કહીને તેઓ એક મોટું પેકેટ અંદરથી લઈ આવ્યા. એમાં અનિયમીત આકાર ધરાવતી કોઈક વજનદાર વસ્તુ હતી. અમને નવાઈ લાગી કે આ છે શું? રમેશભાઈ બહુ ઉત્સાહથી એની ઉપરનું આવરણ હટાવવા લાગ્યા. એ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે તે કશાકનો વજનદાર પથ્થર છે. આખું પેકિંગ ખૂલ્યું એટલે રમેશભાઈએ વારાફરતી એ અમારા હાથમાં મૂક્યો. કહે, 'આ લાવાનો પથ્થર છે. લાવા જામી જાય એ પછી બનતો પથ્થર. મેં જીવનમાં કદી જોયો નહોતો, એટલે કેદારને કહ્યું કે મારા માટે બીજું કશું નહીં, પણ એ મોકલી આપજે.' કેદાર ઠાકર એટલે રમેશભાઈના દીકરા, જેઓ સૈન્યમાં હતા અને તેમનું પોસ્ટિંગ કોંગો દેશમાં થયેલું. એમણે રમેશભાઈને પોતે શું મોકલે એમ પૂછાવ્યું હશે એટલે રમેશભાઈએ આવો જવાબ આપેલો, અને કેદારભાઈએ એમની ઈચ્છા પૂરી કરેલી.
જિજ્ઞાસા અને નવિન ચીજો જાણવાની કેવી ગજબ પેશન! બસ, એ પછી રજનીભાઈ પાછા જવા નીકળ્યા. મારે લેવાના ઈન્ટરવ્યૂની પણ કેવી ગજબ પૂર્વભૂમિકા ઊભી થઈ ગઈ!

Monday, July 6, 2026

જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના

રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!

એક વખત અમે તેમને ઘેર બેઠેલા અને (તેમનાં પત્ની) તરુબહેને એક કથાકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પોતાને એમની શૈલી બહુ ગમે છે. એટલે રજનીભાઈએ તત્ક્ષણ કહ્યું, 'એ કથાકાર તલત મહેમૂદ છે. અને પેલા (અન્ય એક કથાકાર) મહમ્મદ રફી છે.' આમ બોલીને તેમણે પોતાની સરખામણી વધુ સ્પષ્ટ કરી: 'પેલા કથાકાર કથા કહે ત્યારે શ્રોતાઓને રડવું આવે, તલત મહેમૂદનાં ગીતોની જેમ. અને આ કથાકાર તો કથા કહેતાં કહેતાં પોતે જ રડવા લાગે, મહમ્મદ રફીની જેમ.' તેમની સાવી સચોટ સરખામણી સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. (ઉર્વીશ પણ ત્યારે સાથે હતો) જો કે, તરુબહેને સહેજ નારાજગીના સૂરે કહેલું, 'તમને બધી વાતમાં ફિલમ જ દેખાય છે.'
રજનીભાઈ સાથે મારે ક્યારેક કોઈ સંસ્થાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જવાનું બનતું. તેમની શૈલી સાવ નિરાળી. પહેલાં તેઓ શૂટ કરાવતા. પછી અમે બન્ને સાથે બેસીને એકે એક દૃશ્યના કાઉન્ટર નંબર અને વર્ણન લખતા. અને એના પરથી છેલ્લે હું સ્ક્રિપ્ટ લખતો. ('હેલ્લારો', 'ઊંબરો, 'ધબકારો' ફેઈમ) અભિષેક સાથે પરિચય થયો એ પછીના ગાળામાં મેં તેને આ પદ્ધતિ વિશે વાત કરી તો એનું હસવું કેમે કરીને માય નહીં. મને કહે, 'તમે ઊંધું કરો છો. પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય.' મૂળ મુદ્દો એ નથી. સ્ક્રિપ્ટ પછી લખાતી હોવાને કારણે શૂટ વેળા રજનીભાઈના મનમાં એમને ગમતા ઘણા બધા ફિલ્મદિગ્દર્શકો ઉભરતા. તેઓ કામનાં, નકામાં એવાં અનેક દૃશ્યો શૂટ કરાવતા. અને કહેતા, 'રાજ કપૂર કેટલાં બધાં દૃશ્યો કેમેરામાં લઈ લેતા. પછી એમાંથી અમુક જ પસંદ કરતા.' ડોક્યુમેન્ટરીના કામમાં બહુ સમય જતો, અને છેવટે ફાઈનલ એડિટીંગ વખતે રજનીભાઈ સુકાન પોતાના હાથમાં લઈ લેતા. આ બાબતે પછી અમને જ્ઞાન લાધતાં ઉર્વીશે અને મેં એમને સમજાવ્યું કે રાજ કપૂર, બીમલ રોય વગેરે કંઈ ડોક્યુમેન્ટરી નહોતા બનાવતા. તમે એમના વાદે ન ચડો. એમની પાછળ તો મોટા ફાઈનેન્સર હતા. તેમણે હસતાં હસતાં અમારી વાત સ્વીકારી. પણ ડોક્યુમેન્ટરીના એડિટિંગમાં તેમનાં સૂચનોમાંય એમનો ફિલ્મપ્રેમ ઝળકે. એવાં નાના નાના ગ્રાફિક મૂકાવે, અમુકમાં તો એ કેટલીક ફિલ્મોના શોટ મૂકાવે.
સારી યા ખરાબ કે મધ્યમ, કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કશા આયાસ વિના જ જે તે પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ યાદ આવી જતી. અને એ ગીતનું મુખડું ન પણ હોય, બલ્કે એના અંતરામાંથી કોઈક લીટીય હોય. અને એવું નહીં કે એમને પોતાના પ્રિય ગાયક કે પ્રિય ગીતની જ પંક્તિ યાદ આવે. પોતે સાંભળેલા કોઈ પણ ગીતની પંક્તિ તેમને સૂઝી જતી. તેમના અનન્ય પુસ્તક 'શબ્દઠઠ્ઠા'માં મોટા ભાગની વાર્તાઓમાં તેમણે કોઈ ને કોઈ ગીતની પંક્તિ કે તેની પેરડી મૂકી છે. જેમ કે, 'મેરી કહાની સુનનેવાલે, તેરા ટી.વી.આબાદ રહે', 'હમેં ઈન રાહોં પે ચલના હૈ, જહાં ઉલ્ટે સબક સિખાના હૈ', 'પ્યાર બાંટતે ચલો, એવોર્ડ બાંટતે ચલો' વગેરે.
તેમની આવી ક્ષમતાથી પરિચીત એવા સલીલ દલાલ પોતાના કોઈ પારિવારિક મુદ્દે કશુંક લખવા માગતા હતા ત્યારે એમણે રજનીભાઈને ટૂંકમાં પરિસ્થિતિ જણાવીને યોગ્ય પંક્તિ સૂચવવા જણાવેલું. સલીલભાઈ ખુદ ફિલ્મી ગીતોના ઘાયલ, છતાં એમને આ કામ માટે રજનીભાઈ વધુ યોગ્ય લાગેલા.
પ્રિય વ્યક્તિની વિદાય પછી સર્જાયેલો ખાલીપો ભાગ્યે જ ભરી શકાતો હોય છે, આપણે અન્ય કામ કે પ્રવૃત્તિમાં ડૂબી જઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એ ખાલી સ્થાન વખતોવખત પોકારીને પોતાની ઉપસ્થિતિની જાણ કરતું રહે છે.
'શબ્દઠઠ્ઠા' પુસ્તક તેમણે ઉર્વીશને અને મને અર્પણ કરેલું છે. અમારા નામની નીચે તેમણે જહીર ગાજીપુરનો એક શેર ટાંક્યો છે:
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના,
વાસી અખબારોં કે અનમોલ તરાશે હૈં હમ.
2003માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ટાંકેલો આ શેર આજે, તેવીસ વર્ષ પછી કેટલો બંધબેસતો લાગે છે!

Sunday, July 5, 2026

MAD પુરાણ (22): આંકડા

આંકડા કદી અસત્ય ન બોલે. વાત તો સાચી. અને આ કારણથી જ વિવિધ જાહેરખબરો એક યા બીજી રીતે આંકડાઓનો આશરો લઈને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. પણ આ આંકડા પાછળનું સત્ય સમજવા જેવું છે, જે અહીંં 'મેડ' સમજાવવા પ્રયત્ન કરે છે. સર્વેક્ષણના આંકડા સાચા તો હોય, પણ તે કઈ પરિસ્થિતિમાં લેવાયેલા હોય છે એ જાણવાની મઝા આવે એવું છે. મઝા તો ખરી જ, સાથે આપણે જે આંકડાઓ પર ભરોસો મૂકીને અમુક વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે કેવા મૂર્ખ બનીએ એ પણ ખ્યાલ આવે છે.

'મેડ'ના લેખક ડીક ડીબાર્તોલો/Dick De Bartolo અને કલાકાર પૉલ કોકર/Paul Coker દ્વારા તૈયાર કરાયેલો આ વિભાગ જુઓ. આ વિભાગનું નામ Poll-ish Jokes Dept. રાખ્યું છે, જે 'Polish Jokes'ને મરડીને રાખવામાં આવ્યું છે. આપણે જેમ સરદારજી કે મારવાડીઓના લક્ષણગત ટુચકાઓ કહેતા ફરીએ છીએ એમ પૉલેન્ડના પૉલીશ લોકોના લક્ષણગત ટુચકા બહુ ચલણી છે. પૉલીશને બદલે અહીં સર્વેક્ષણ/Poll શબ્દ મૂકીને શ્લેષ તરીકે Pollish લખવામાં આવ્યો છે.

(Mad, Fall 1988, Super Special)