Wednesday, September 9, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (2)

આવું શિર્ષક જરા વધુ પડતું રોમેન્ટિક કે આદર્શ લાગી શકે. પણ આ બે દિવસમાં એનો બરાબર અનુભવ થયો. જાતને મેં સવાલ પૂછ્યો કે આ સહુ સાથેનો મારો સંબંધ બંધાયો શી રીતે? જવાબ આ હતો.

એમિટી સ્કૂલ, ભરુચથી અમારો મુકામ હતો વાપિ. પણ વચ્ચે એકાદ કલાક અમે પ્રિય બકુલાબહેનને મળવાનું નક્કી કરેલું. બકુલાબહેન સાથે આમ તો પરોક્ષ પરિચય ખરો, પણ પ્રત્યક્ષ પરિચય મહેન્દ્ર દેસાઈની જીવનકથા લખવા નિમિત્તે ભાનુબહેન દેસાઈ દ્વારા થયો. ત્યારથી લઈને આજ સુધી તેમની સાથે નિયમીતપણે અનિયમીત સંપર્ક રહ્યો છે. કામિની અને ઈશાન તેમને મળે એવી મારી ખાસ ઈચ્છા, કેમ કે, કામિનીએ તેમની સાથે ફોન પર વાત કરેલી છે, પણ મળવાના સંજોગો ઊભા થયા નહોતા.

બકુલાબહેન સાથે 
બકુલાબહેનને ત્યાં અનૌપચારિક ગોષ્ઠિ થઈ. તેમનું આતિથ્ય માણ્યું. એ જ સમયે મારે એક અરજન્ટ કામ આવી ચડતાં મેં એને ન્યાય આપ્યો. ત્યાં સુધી કામિનીએ અને બકુલાબહેને ગપ્પાંગોષ્ઠિ કરી. છેલ્લે છેલ્લે હું પણ જોડાયો. આ મુલાકાતની બહુ મધુર યાદગીરી લઈને અમે ત્યાંથી વાપિ જવા નીકળ્યાં.
****
આ લેખમાળાની પ્રથમ કડીમાં પ્રો. રાવજીભાઈ પટેલ 'મોટા'ના પુસ્તક અને તેના થકી થયેલા રણછોડભાઈ શાહના પરિચયની વાત લખી હતી. હવે આ જ પુસ્તકે મને કેવા સંબંધ સંપડાવી આપ્યા એની વધુ વાત.
કુકેરી ગામનાં ડાહીબહેન પરમાર વિશે મેં અગાઉ જણાવેલું, જેમનો પરિચય મને આ જ પુસ્તક થકી થયેલો. (ડાહીબહેન વિશેનો લેખ અહીં વાંચી શકાશે.)
માંડ ચારેક વરસના પરિચય અને ફક્ત એક જ વખતની રૂબરૂ મુલાકાત પછી ડાહીબહેને અણધારી વિદાય લીધી. પણ એ સંબંધનો અંત નહીં, સંબંધસૃષ્ટિનો આરંભ હતો. તેમની વિદાય પછી એક રિવાજ લેખે, તેમના પતિ ચંદ્રસિંહ પરમાર વર્ષમાં ચાર-પાંચ વખત, ખાસ કરીને તહેવારો પર નિયમિતપણે ફોન કરતા અને શુભેચ્છા પાઠવતા તેમજ બધાંની ખબરઅંતર પૂછતાં. 2020માં દીકરી શચિના લગ્નપ્રસંગે તેમના પુત્ર રાજેન્દ્રભાઈ દિલ્હીથી સીધા જ સુરત ઊતરીને ખાસ હાજરી આપવા આવેલા. તો તેમનાં દીકરી- જમાઈ પ્રતિભાબહેન અને પરિમલભાઈ પણ વચ્ચે વચ્ચે ફોન પર વાત કરતાં. એ અગાઉ 2019 માં મારું પુસ્તક 'ગુર્જરરત્ન' ડાહીબહેનને અર્પણ કર્યું ત્યારે તેમનાં સંતાનો- રાજેન્દ્રભાઈ, પ્રતિભાબહેન અને ઉર્વશીબહેન તો ખરાં જ, ડાહીબહેનના ભાઈઓ - રણછોડભાઈ અને ઉમેદસિંહભાઈનો પણ ફોન આવ્યો હતો. આમ, જાણે કે એ મારો જ વિસ્તૃત પરિવાર હોય એમ લાગેલું.
સિલવાસ ખાતે: (ડાબેથી) કાવ્યા, કુંતલબહેન, રાજેન્દ્રભાઈ,
કામિની, બીરેન અને ચંદ્રસિંહકાકા (તસવીર: ઈશાન)

હસીખુશીની પળો: (ઉભેલાં ડાબેથી) : રાજેન્દ્રભાઈ, કાવ્યા, કામિની,
 કુંતલબહેન, (બેઠેલાં ડાબેથી): બીરેન, ઈશાન, ચંદ્રસિંહકાકા
ચંદ્રસિંહકાકા હવે કુકેરી નહીં, પણ પુત્ર રાજેન્દ્રભાઈ સાથે સિલવાસ રહે છે. આથી વાપિના ટૂંકા રોકાણ દરમિયાન અમે તેમને મળવા જવાનું નક્કી કર્યું. રવિવારે સવારે અમે ત્યાં પહોંચ્યા અને બહુ ઉષ્માસભર રીતે મળ્યા. તેમને ત્યાં અમે કલાકેક ગાળ્યો, તેમનું આતિથ્ય માણ્યું અને જાતભાતની વાતો કરી. રાજેન્દ્રભાઈ, કુંતલબહેન અને દીકરી કાવ્યા સાથે ડાહીબહેન વિશે અને એ ઊપરાંત પણ ઘણી વાતો થઈ.
સાંજે અમારે કુકેરી પહોંચવાનું હતું, અને પ્રતિભાબહેન-પરિમલભાઈને ત્યાં ઊતરવાનું હતું. એ જ રીતે પછીના દિવસે એટલે કે સોમવારે નજીકના પ્રતાપનગર ખાતે રહેતા ડાહીબહેનના ભાઈ-ભાભી ઉમેદસિંહભાઈ અને ઉર્મિલાબહેનને મળવાનું હતું. ઉમેદસિંહભાઈના ખાસ આગ્રહ મુજબ અમારે એમને ત્યાં ભોજન લેવાનું હતું.
પ્રતિભાબહેન અને પરિમલભાઈની આ વિસ્તારમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી લખવા વિચાર છે, એટલે અહીં માત્ર એનો ઉલ્લેખ કરીને આગળ વધું છું. તેમની દીકરી માલવીએ બહુ રસપૂર્વક ડાહીબહેન વિશેની વાતો સાંભળી. સ્વાભાવિક રીતે જ, એક 'બહારની' વ્યક્તિના દૃષ્ટિકોણનો તેને ખ્યાલ ન જ હોય. માલવી એટલી સંવેદનશીલ અને લાગણીભીની છે કે 'દાદી' વિશેની વાત સાંભળતાં અનાયાસે જ એની આંખો અનેક વાર ભીંજાઈ.

કુકેરી ખાતે: (ઊભેલાં ડાબેથી): પ્રતિભાબહેન, માલવી, કામિની,
(બેઠેલાં ડાબેથી): પરિમલભાઈ, ઈશાન, બીરેન. (તસવીર: પ્રીતિ ઐયર)
પ્રતિભાબહેન અને પરિમલભાઈને ત્યાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે બપોરે ઉમેદસિંહભાઈને ત્યાં ઊપડ્યા. એ જ પ્રેમભર્યો આવકાર અને 'અઠવાડિયું રહેવા આવો'નો પ્રેમાગ્રહ. અમે રહેવા આવીએ તો અમારે કયા રૂમમાં ઊતરવાનું એ પણ તેમણે બતાવ્યું. ત્યાં પણ ચારેક કલાક અમે વીતાવ્યા અને અવનવી વાતો કરી. નેવુ વટાવી ચૂકેલા ઉમેદસિંહભાઈનું સ્વાસ્થ્ય એકદમ મજબૂત હતું.
ઉમેદસિંહભાઈ સાથે એક નાનકડા 'વહીવટ' વિશે વાત
બીજી તરફ વાંસદા રહેતાં ઉર્વશીબહેન સતત આગ્રહ કરતાં રહ્યાં કે અમે ત્યાં આવીએ. અમે ત્યાં જવા નીકળ્યા પણ ખરા. જો કે, એક નાનકડી અડચણ પેદા થતાં છેવટે અમારાથી જઈ ન શકાયું. અને અમે પાછા સુરતની વાટ પકડી.
આ બે દિવસનો અલગ અલગ સમય ડાહીબહેનનાં પરિવારજનો સાથે વીતાવ્યો. આ સંભારણું એટલું મધુર બની રહ્યું છે કે હજી મનમાં એની મિઠાશ પ્રસરેલી છે.
ફરી વાર એ જ સવાલ થાય છે. આ પરિવાર સાથે મારે સગપણ શું? અમે શી રીતે મળી શક્યાં? અને પહેલી મુલાકાતથી લઈને છેક આજ સુધી આટલો સ્નેહભાવ શી રીતે જળવાયેલો રહ્યો?
જવાબ એ જ. સગપણ શબ્દનું. અને સગાં શબ્દનાં. આવા સંપર્કો થતા રહ્યા છે, હજી થતા રહે છે, ત્યારે અનુભવાય છે કે લેખનક્ષેત્રે આવ્યો ન હોત તો શું આ શક્ય બન્યું હોત ખરું?

(સંપૂર્ણ) 

Tuesday, September 8, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (1)

મનુષ્યની જેમ પુસ્તકની પણ એક નિયતિ હોય છે. એ લખાતું હોય ત્યારે જુદું હોય, પ્રકાશન થાય ત્યારે જુદું હોય, અને વાચકના હાથમાં પહોંચે ત્યારે પણ જુદું હોય. આમ તો, વાચકના હાથમાં પુસ્તક પહોંચે અને એ વાંચીને તેનો પ્રતિભાવ લેખક સુધી પહોંચે તો વર્તુળ પૂરું થયું ગણાય- એમ હોવું જોઈએ. એમ કેટલા કિસ્સામાં થાય છે એ ન જાણીએ તો 'સુહાના ભરમ' ટકી રહે.

જુલાઈ, 2010માં પ્રકાશિત થયેલું, વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મેં લખેલું પુસ્તક મને અનેક રીતે ફળ્યું. એક વાર એક ફોન આવ્યો. "હું રણછોડ શાહ બોલું છું, ભરુચથી." મેં કહ્યું, "હા, બોલો." એ પછી રણછોડભાઈ જે બોલ્યા એનું તાત્પર્ય એ કે 'મોટા'ના હાથ નીચે તેઓ ગણિત ભણ્યા હતા, પણ તેમને મોટાના આ પાસા વિશે ખ્યાલ નહોતો. હવે =ઘણાં વરસોથી ભરુચમાં એમિટી નામની એક સ્કૂલ ચલાવે છે. એ પછીના વરસે તેમણે મને એમિટી સ્કૂલમાં, બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં નિમંત્રણ આપ્યું. વક્તવ્યની મને ખાસ ફાવટ નહીં, અને એ વિકસાવવાની રુચિ પણ નહીં. એક વાર તો મને થયું કે ના પાડી દઉં. પછી બીજો વિચાર આવ્યો કે લેખક તરીકે આ અનિવાર્ય બાબત રહેશે. એમ કોને કોને હું ના પાડીશ? એટલે મેં એ આમંત્રણ સ્વીકાર્યું. એ વર્ષ લગભગ 2011નું. બસ, ત્યારથી શરૂ થયેલો રણછોડભાઈ અને એમિટી સ્કૂલ સાથેનો સંબંધ હવે એ સ્તરે પહોંચ્યો છે કે જાણે એમિટીના બૃહદ પરિવારનો હું હિસ્સો ન હોઉં. એમિટી સ્કૂલના દસ્તાવેજીકરણનું પુસ્તક 'કેળવણીના કર્મયોગો' 2023માં પ્રકાશિત થયું એ અગાઉ ચાર-પાંચ વર્ષ ચાલેલી તેની લેખનપ્રક્રિયા દરમિયાન સમગ્ર એમિટી પરિવારની વધુ નિકટ આવવાનું બન્યું.

આ વરસે આવતા શિક્ષક દિન નિમિત્તે એમિટીમાંથી આમંત્રણ આવ્યું કે અમારા શિક્ષકો સમક્ષ 'મોટા' વિશે વાત કરવી. આ તો ગમતી વાત. જો કે, મેં એમ પણ સૂચવ્યું કે હું મારી વાત કરું એ અગાઉ રણછોડભાઈ પોતે પોતાની નજરે 'મોટા' વિશે વાત કરીને પૂર્વભૂમિકા બાંધે અને એ પછી હું મારી વાત કરું.
એમ આખો ઉપક્રમ ગોઠવાયો.
આ વખતે મારી સાથે કામિની ઉપરાંત ઈશાન પણ હતો. નિયત દિવસે સવારે અમે એમિટી પહોંચી ગયા. અહીં અડધો કલાક વહેલા પહોંચવાની એક લાલચ કાયમ રહે છે. મસ્ત ચા-નાસ્તા સાથે એમિટીના 'કોર ગૃપ' (વિવિધ વિભાગોના વડા) સાથે ગપસપનું આકર્ષણ મને હંમેશાં રહે છે. સરોજબહેન સદાય હસતાં, આગતાસ્વાગતા માટે તૈયાર હોય. તો તોરલબહેન પટેલ, રીનાબહેન તિવારી, સુબી મેડમ, સુનિતા મેડમ, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય (આ વખતે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે આ ગપસપમાં નહોતાં, પણ કાર્યક્રમમાં હતાં) સાથે અનેક વિષયો છેડાય અને હાસ્યના અવાજ પણ સંભળાય. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ હાજર હતાં, તો પ્રમેશબહેન મહેતાની વિદાય પછી તેમના ખાલી પડેલા સ્થાનનો અહેસાસ પણ થતો હતો.
ચા- નાસ્તા દરમિયાન 'ચેનલ નર્મદા'વાળા ઋષિ દવે અને બકુલભાઈ પટેલ પણ આવી ગયા. ગપસપ પછી કાર્યક્રમના સ્થળે અમે આવી પહોંચ્યા. દરમિયાન ભરુચનિવાસી મિત્ર દેવેન્દ્રસિહ ગોહીલ અને કાનન પણ આવી ગયાં. તો વક્તવ્ય દરમિયાન મિત્ર નીતિન ભટ્ટ પણ આવ્યા.
પ્રાર્થના પછી રીનાબહેન તિવારીએ પરિચય આપ્યો અને પ્રકાશભાઈ મહેતાએ સંચાલન સંભાળ્યું.

રીનાબહેન તિવારી દ્વારા વક્તા પરિચય

રણછોડભાઈ પોતાના શિક્ષક 'મોટા'ની વાત કરી રહ્યા છે.

સંકુલ નિયામક પ્રકાશભાઈએ એક નિષ્ઠાવાન વિદ્યાર્થીની જેમ આ પુસ્તકનું 'રીવીઝન' કર્યું હતું, એનો અહેસાસ કાર્યક્રમ દરમિયાન થતો રહ્યો. સ્વાગતાદિની વિધિ પછી રણછોડભાઈએ 'મોટા' વિશે વાત કરી, સાથે એ વાત પર ખાસ ભાર મૂક્યો કે જે રીતે 'મોટા'ને ત્યાં વિદ્યાર્થીઓ મળવા જતા હતા, એમ વિદ્યાર્થીઓ પોતાની પાસે આવે એવું શિક્ષક કેમ ન કરી શકે? એ જ રીતે, શિક્ષકોએ પણ 'આવા' લોકોને મળવું જોઈએ.
મારા વક્તવ્યને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલું. એ મુજબ, પહેલાં 'મોટા' કોણ અને શું હતા એની વાત કરી, એ પછી પુસ્તકલેખનની પ્રક્રિયા અને મને એમાં નડેલી મૂંઝવણ વિશે જણાવ્યું, તેમજ છેલ્લે એ પુસ્તકની ડિઝાઈન અંગે પણ વિગતવાર વાત કરી. આ પુસ્તકલેખનનો યોગ જેમના થકી પ્રાપ્ત થયો એ બિપીનભાઈ શ્રોફને યાદ કર્યા.

મોટા વિશે અને પુસ્તક વિશે વાત
એકાદ કલાકમાં આટલી વાત કર્યા પછી સવાલજવાબનો દોર શરૂ થયો. વિવિધ શિક્ષકોએ અલગ અલગ પ્રકારના સવાલ કર્યા. સવાલજવાબ બહુ રસપ્રદ બની રહ્યા, કેમ કે, વક્તવ્યમાં ન આવરી શકાઈ હોય એવી વાતો એમાં સમાવાઈ ગઈ. પ્રકાશભાઈ પણ વચ્ચે યોગ્ય પાદપૂર્તિ કરતા હતા.
આમ, સમગ્રપણે એક સરસ ઉપક્રમનો હિસ્સો બનવાનું બન્યું. એ પછી ભોજન દરમિયાન પણ ગપસપનો દોર લંબાયો.
સવાલજવાબના રસપ્રદ દૌર દરમિયાન

આમ, મોટા નિમિત્તે રણછોડભાઈ સાથે થયેલા પરિચયથી શરૂ થયેલું વર્તુળ એમિટી સ્કૂલમાં મોટા વિશેની વાત કરવા સાથે પૂરું થયું હોય એમ લાગ્યું.
ભોજન પતાવીને અમારે હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાનું હતું, અને જેમને મળવાનું હતું એમાં યોગાનુયોગે 'મોટા'ના પુસ્તક થકી થયેલો અને વિસ્તરેલો પરિચય જ કારણભૂત હતો.

(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ, એમિટી સ્કૂલ)

Monday, August 24, 2026

દો દિન કે લિયે 'કોઈ' ઈકરાર કર લે....સચ્ચા હી સહી

ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં 21-8-26ને શનિવારની સવારે એક વિશિષ્ટ કાર્યશાળા યોજાઈ. આ કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક મહેશભાઈ અને અંગ્રેજીનાં હેતલબહેન દવે સાથે મૂળ વાત શરૂ થયેલી વક્તવ્ય માટેના નિમંત્રણથી, પણ વિદ્યાર્થીઓને વક્તવ્યના મૂઢ મારથી અધમૂઆ શું કામ કરવા? એમ વિચારીને અમે સૌએ ભેગા મળીને એવું કંઈક આયોજન વિચાર્યું કે જેમાં તેમની સાથે વાત અને વિચારવિમર્શ કરી શકાય. એ ચર્ચાની ફલશ્રુતિ એટલે આ કાર્યશાળા. મહેશભાઈએ આ વિષયની વાત થતાં જ એનું શિર્ષક આપી દીધું: "જીવનકથા લેખન: સ્વરૂપ, કાર્યપદ્ધતિ અને વ્યાવસાયિક તકો." સમય ફાળવાયો ત્રણેક કલાકનો. આમ તો, આટલો સમય ઓછો પડે, પણ વિદ્યાર્થીઓને આટલા સમયમાં આ ક્ષેત્ર વિશે જાણકારી મળે અને તેમના મનમાં જે સવાલો જાગે એના જવાબ આપી શકાય એટલા માટે આ સમયમર્યાદા નક્કી કરી. રસ ધરાવતા, વિવિધ કોલેજોના બત્રીસેક વિદ્યાર્થીઓ આમાં ઊપસ્થિત રહેવાના હતા. મારું એક સૂચન એવું હતું કે સ્થળ એવું પસંદ કરવું કે જ્યાં વર્તુળાકારે બેસી શકાય. એટલે કોલેજની લોનમાં જ એ ગોઠવાયું. અને મોરના ટહુકાના પાર્શ્વસંગીતની સમાંતરે આ કાર્યશાળા આરંભાઈ.

લગ્નવિધિમાં આમંત્રિતો માટે જેમ ભોજન મુખ્ય લક્ષ્ય હોય છે, છતાં અન્ય યંત્રવત વિધિઓમાં તેમણે હાજરી આપવી પડતી હોય છે. એ જ રીતે આ કાર્યશાળામાં મુખ્ય લક્ષ્ય સંવાદનું હોવા છતાં અમુક ઔપચારિકતાઓ નિભાવવાની હોય છે. એ ક્રમમાં પ્રાચાર્ય અમીતભાઈ સુતરીયા, સંયોજક ભદ્રેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ વિભાગધ્યક્ષ રમેશભાઈ દ્વારા ઔપચારિક વિધિ પછી વાતનો આરંભ થયો.
તમામ વિદ્યાર્થીઓ આર્ટ્સના હોવાથી ભાષાની બારીકીઓની વાત પણ એમના સુધી યોગ્ય રીતે પહોંચતી હતી. સાથોસાથ તેમના મનમાં જે પણ સવાલો થાય એ તેઓ પૂછતા જતા. આમ, ધીમે ધીમે રસ જામતો ગયો. વચ્ચે બ્રેક લીધો ત્યારે ખ્યાલ આવ્યો કે દોઢ કલાક વીતી ગયો છે.
બ્રેક પછી નવેસરથી વાતો ચાલુ થઈ. કેવા કેવા સવાલ ઊભા થાય, કેવા નાના પડકાર આવે, જે ત્યારે બહુ મોટા લાગે, મુશ્કેલીઓ, આગ્રહ અને દુરાગ્રહ કેવા કેવા થાય- આ બધી વાતો કહેવાતી ગઈ. આમાં મજા એ હતી કે મેં જ્યારે રજનીકુમાર પંડ્યા સાથે જીવનકથાલેખનનું કામ શરૂ કર્યું ત્યારે તેમની એક કાર્યપદ્ધતિ હતી. એ પછી અમે એમાં જરૂર મુજબ ફેરફાર કરતા ગયા. એટલે કોઈ તૈયાર, સેટ કરાયેલી થિયરીને બદલે અમે અમારી કાર્યપદ્ધતિમાંથી 'થિયરી ' (જો એમ કહેવાય તો) નિપજાવી હતી. એટલે વિદ્યાર્થીઓ કશો પણ સવાલ પૂછે તો એના જવાબમાં કોઈ ને કોઈ ઉદાહરણ લગભગ હોય જ. આને લીધે વાત વધુ સારી રીતે એમને સમજાતી. જીવનકથા લેખનની વિવિધ કાર્યપદ્ધતિઓ તો ખરી જ, સાથોસાથ એનો વ્યાવસાયિક દૃષ્ટિકોણ શો હોઈ શકે એની પણ વાત ઉદાહરણો સાથે થતી ગઈ.
હેતલબહેન દ્વારા 'ઔપચારિક' સ્વાગત
આમ તો મારો મુખ્ય કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો હતો, પણ પાછળ શ્રોતારૂપે બેઠેલા પ્રાધ્યપકમિત્રોને અનેક સવાલો થતા હતા. એટલે વિદ્યાર્થીઓના સવાલજવાબ પછી તેમણે પણ ઘણા સવાલ કર્યા, અને એના જવાબ આપવાના મેં પ્રયત્ન કર્યા.
હિન્દીના શ્રી મિરઝાસાહેબે વિસ્તારથી પ્રતિભાવ- કમ- પૂછપરછ કર્યાં. છેલ્લે શ્રી રતિલાલે આભારવિધિ કરીને કાર્યક્રમ સંપન્ન કર્યો. તેનો વધુ અનૌપચારિક દૌર એ પછી બગીચામાં જ આયોજિત ભોજન દરમિયાન ચાલ્યો.
છેલ્લે હું અમે નીકળતા હતા ત્યારે વિભાગાધ્યક્ષ રમેશભાઈ એક વિદ્યાર્થી સાથે કશીક વાત કરી રહ્યા હતા. એ વિદ્યાર્થીએ મને કંઈક પૂછવું હતું એમ કહીને તેમણે મને બોલાવ્યો. એમના હાથમાં એક નોટબુક હતી. એ નોટબુકમાં પેલા વિદ્યાર્થીએ આ બેઠક દરમિયાન ટપકાવેલી નોંધ હતી અને અમુક સવાલ. મને ઘડીભર થયું કે જે પૂછવું હોય એ વિદ્યાર્થી પૂછે ને? એમાં રમેશભાઈએ વચ્ચે રહેવાની ક્યાં જરૂર? પણ જરૂર હતી એ મને તરત જ સમજાઈ ગયું. એ વિદ્યાર્થીને વાચાની તકલીફ હતી. શ્રવણ એકદમ બરાબર હતું. આ કાર્યશાળાની ફળશ્રુતિરૂપે તેને એ પૂછવું હતું કે પોતાને વાચાની આવી મુશ્કેલી છે, તો પોતે જીવનકથાલેખન (વ્યવસાયલેખે) કરી શકે કે કેમ? તેની સાથે જરૂરી વાત કરી અને એ ચોક્કસ જ કરી શકે અને એના માટે અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય એમ જણાવ્યું. આ વિદ્યાર્થીનો ઉત્સાહ મારા મનમાં અંકિત થઈ ગયો. મારે તો એને કહેવું હતું કે ભાઈ, કેવા કેવા લોકો, પોતાને એ ફાવે છે કે નહીં એ જોયાજાણ્યા વિના જીવનકથાઓ લખવાનું કામ લઈ લે છે. એ જો કરી લેતા હોય તો તારા જેવા જિજ્ઞાસુ અને મહેનતુ વિદ્યાર્થી કેમ ન કરી શકે? પણ એ સંવાદ મનોમન જ રાખીને અમે નીકળ્યા.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન
આ આખા ઉપક્રમમાં કામિની મારી સાથે જ હતી. તો મિત્ર યોગેન્દુભાઈ ચૌહાણ ખાસ હાજરી આપવા અને મળવા આવેલા. તેઓ શરૂઆતથી લઈને છેક સુધી બેઠા હતા, એટલું જ નહીં, કાર્યક્રમ પછી ચંદુભાઈ મહેરિયાના ઘર સુધી મૂકવા આવવાની માર્ગદર્શકની ફરજ પણ બજાવી. ચંદુભાઈ સાથે અલકમલકની વાતો કરીને સાંજે અમે પાછા આવવા નીકળ્યા.
કાર્યશાળા દરમિયાન
આવી કાર્યશાળા અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદ પછી આંતરિક રીતે વધુ ને વધુ સમૃદ્ધ થવાતું હોય છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આવી કાર્યશાળાઓ વ્યાવસાયિક તેમજ બિનવ્યાવસાયિક ધોરણે વધુ ને વધુ યોજવાની નેમ છે, કેમ કે, જે રીતે જીવનકથાલેખનમાં 'ભેલાણ' થઈ રહ્યું છે એ જોતાં એમ લાગે છે કે આ ક્ષેત્રે કમ સે કમ, અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય તો બીજું તો ઠીક, એક વાંચનક્ષમ જીવનકથા તો મળે.
(તસવીર સૌજન્ય: ડૉ. મહેશકુમાર)

Sunday, August 2, 2026

આલ્કિલેશન કેન નોટ કોન્‍ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!

ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.

અમે નવાસવા જોડાયા ત્યારે સુરાનીભાઈને પહેલી વાર મળતાં જ આપણી પાડોશમાં રહેતા કોઈ વડીલને મળતા હોઈએ એમ લાગેલું. માયાળુ અને મદદગાર પ્રકૃતિ ધરાવતા સુરાનીભાઈને કશું પણ પૂછી શકાય. ઔદ્યોગિક વાતાવરણ એવું હોય કે નવાસવા આવેલા લોકોને શરૂ શરૂમાં ફાવે નહીં. પછી ધીમે ધીમે ફાવતું જાય અને તેઓ રીઢા બનતા જાય. નવાસવા તાલીમાર્થીઓને અમુકતમુક સિનીયર માણસોને દૂરથી ચીંધીને તેમનો સાચોખોટો ડર દેખાડવામાં આવે. એવું ખરેખર ન હોય તો પણ અમુક સિનીયરોની ગંભીર મુખમુદ્રા જોઈને એ સાચું લાગ્યા વિના રહે નહીં. જો કે, સુરાનીભાઈ બાબતે ક્યારેય એમ ન લાગતું. તેઓ કદી કોઈ નવા આવેલાને કોઈ પણ જાતની હેરાનગતિ ન કરતા, એટલું જ નહીં, તેને શક્ય રીતે મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા.
અમે જોડાયા ત્યારે તેઓ 'ફિલ્ડ'માં હતા. પ્લાન્ટમાં મુખ્યત્વે બે કાર્યક્ષેત્ર હોય છે. ખરેખરો પ્લાન્ટ, જેમાં વિવિધ શ્રેણીના ઓપરેટર અને ચોથા વર્ગના કર્મચારી હોય, અને તેનો કન્ટ્રોલ રૂમ, જેમાં મુખ્યત્વે અધિકારી વર્ગના લોકો હોય. થોડા વખતમાં પ્રમોશન મેળવ્યા પછી સુરાનીભાઈ કન્ટ્રોલ રૂમમાં ગયા. કન્ટ્રોલ રૂમ પ્લાન્ટમાં જ હોય, જેમાં વિવિધ પેનલ રહેતી. ફિલ્ડના લોકો સાથે સંવાદ કરવા માટે અહીં લાઉડોફોન પદ્ધતિ હતી. એટલે કે કન્ટ્રોલ રૂમમાં લાઉડોફોન મૂકાયેલું હોય, જેના દ્વારા ફીલ્ડમાં મૂકાયેલા વિવિધ માઈક પર અવાજ સાંભળી શકાય. કોઈ ચોક્કસ વિભાગના ઓપરેટરને સંબોધવો હોય, તો કન્ટ્રોલ રૂમમાંથી જે તે વિભાગનું બટન દાબીને જરૂરી સૂચના બોલવામાં આવે. સામે પક્ષે ફિલ્ડના જે તે વિભાગમાં મૂકાયેલા લાઉડોફોન પરથી ઓપરેટર સ્વીચ દાબીને પ્રતિભાવ આપે. કન્ટ્રોલ રૂમમાંથી અપાતી સૂચનાને 'અનાઉન્સમેન્ટ' કહેવાય.
પ્રત્યાયનની આ પદ્ધતિનું આટલું વિવરણ આપવાનું કારણ એ કે તેની સાથે અમારા સૌના મનમાં સુરાનીભાઈની મુખ્ય ઓળખ સંકળાયેલી છે.
પ્રમોશન પામીને કન્ટ્રોલ રૂમમાં ગયેલા સુરાનીભાઈની ઓળખ તેમની અનાઉન્સમેન્ટ કરવાની પદ્ધતિથી ઊભી થઈ. તેઓ બહુ વિશિષ્ટ રીતે અનાઉન્સમેન્ટ કરતા. જેમ કે, પ્લાન્ટમાં 'આલ્કિલેશન' નામે એક વિભાગ હતો. સુરાનીભાઈ લાઉડોફોન પર લલકારે: 'આલ્કિલેશન પ્લીઝ કોન્ટેક્ટ કન્ટ્રોલ રૂમ, આલ્કિલેશ...અ.....ન.' છેલ્લો શબ્દ તેઓ લંબાવીને બોલે. એક તો એમનો પોતાનો અવાજ મોટો, અને એમાં લાઉડોફોન. તેમણે ભલે એક વિભાગની સ્વીચ દાબીને અનાઉન્સમેન્ટ કર્યું હોય, પણ તે સંભળાય બીજા વિભાગોમાં પણ. તેમની બીજી એક શૈલી. તેઓ 'કોન્ટેક્ટ કન્ટ્રોલરૂમ' શબ્દો બોલે ત્યારે એ શબ્દો એકમેકમાં ભળી જતા. ધીમે ધીમે સુરાનીભાઈની આ શૈલી એવી પ્રચલિત બની કે તેઓ પોતે પણ એની મજા લેવા લાગ્યા. ઘણી વાર એમ થતું કે અમારી ફર્સ્ટ શિફ્ટ સવારના છ વાગ્યે શરૂ થતી. અને સાત વાગ્યે ચા-નાતો આવે, જેનું અનાઉન્સમેન્ટ કન્ટ્રોલ રૂમમાંથી કરાતું. સુરાનીભાઈ ફર્સ્ટ શિફ્ટમાં હોય અને કશા કામે ચા-નાસ્તાના સમય પહેલાં અનાઉન્સમેન્ટ કરે એનાથી ઘણા લોકો એમની પર મનોમન અકળાતા, કેમ કે, અનાઉન્સમેન્ટ ભલે બીજા વિભાગનું હોય, પણ સુરાનીભાઈના બુલંદ સ્વરે કરાયેલા, લંબાણપૂર્વકના અનાઉન્સમેન્ટથી એવા લોકોની ઉંઘમાં ખલેલ પડતી. એકાદ વાર એવા એક અસરગ્રસ્ત સહકાર્યકરે એમની સાથે બોલાચાલી પણ કરેલી.
તેઓ સામાજિક એટલા કે પ્લાન્ટની બહાર પણ સંબંધ સાચવે. એક વાર મારા હાથમાં 'હેરલાઈન ક્રેક' થયેલી અને પ્લાસ્ટર હોવાથી ત્રણેક અઠવાડિયાં રજા પર હતો. એ વખતે સુરાનીભાઈ પોતાનાં પત્ની સાથે મારી ખબર જોવા આવેલા. મને બહુ નવાઈ લાગેલી, કેમ કે, મારા જેવા જુનિયરની ખબર જોવા તેઓ આવે એવા ગાઢ અમારા સંબંધ નહોતા. પણ તેમના માટે એ સહજ હતું.
સુરાનીભાઈની એ ખાસિયત હતી કે તેમના મનમાં કદી કોઈના માટે દુર્ભાવ ન મળે. પ્લાન્ટમાં સાથે કામ કરતાં, મોટે ભાગે કાર્યપદ્ધતિને લઈને ઘણી વાર ઉગ્ર અવાજે બોલાચાલી થાય કે અભાવ પેદા થાય એમ બને. પણ સુરાનીભાઈ એવું કશું યાદ ન રાખે. પોતે કન્ટ્રોલ રૂમમાં હોવા છતાં 'અધિકારીપણું' તેમનામાં પ્રવેશ્યું નહોતું. આથી 'ફિલ્ડ'માં કશું કામ હોય તો તેઓ પોતે જ કન્ટ્રોલ રૂમની બહાર નીકળે જતા અને જે તે વિભાગમાં રહેલી, જરૂરી સાઈઝની લોખંડની 'વાલ્વ કી' (અંગ્રેજી F આકારનું સાધન) શોધીને જ એ વિભાગના ઓપરેટરનો સંપર્ક કરતા. કામ કરવાનું હોય એ સ્થળે તેઓ પહોંચતા, અને મોટે ભાગે તેઓ આગળ રહીને ઓપરેટરને દોરતા હોય એમ બનતું. ઘણી બધી વાર એમ બનતું કે પાઈપલાઈન પર વાલ્વ કી ઠોકવાની હોય, એટલે કે 'હેમરિંગ' કરવાનું હોય તો એમાંય સુરાનીભાઈની આગેવાની. ઘણા મજાકમાં એમ કહેતા કે જે પાઈપલાઈનમાં 'ચૉક' (જામી ગયેલું) હોય ત્યાં સુરાનીભાઈ 'વાલ્વ કી'થી 'હેમરિંગ' કરે એટલે એ નીકળ્યે જ છૂટકો.
અસલમાં સુરાનીભાઈ જૂનું મેટ્રિક ભણેલા. કેમિકલ એન્જિનિયરીંગનું વિધિવત શિક્ષણ એમણે લીધેલું નહોતું. આથી એક મત એવોય હતો કે સુરાનીભાઈને 'કેમિકલ પ્રોસેસ' વિશે સમજણ નથી, બસ, ક્યાંય 'હથોડા મારવાના' હોય તો જ એમને ફાવે. અમુક આખાબોલાઓ એમને મોં પર પણ આમ જણાવીને એમની મજાક કરતા. હકીકત શી હતી? સુરાનીભાઈ નિવૃત્ત થઈ ગયા એ સમયે પ્લાન્ટમાં ઘણા જુનિયર એન્જિનિયરો જોડાયેલા. તેઓ કોઈ પણ બાબતે મૂંઝાય, કઈ લાઈન ક્યાં જાય છે એની સમજણ ન પડે, તો તેઓ અડધી રાતે પણ સુરાનીભાઈને ફોન કરતા. અને સુરાનીભાઈ એવા સહૃદયી કે તેઓ ઘેર બેઠાં બેઠાં માર્ગદર્શન આપતા. એ હદે તેમણે પ્લાન્ટ અને તેના કાર્યક્ષેત્રને આત્મસાત કરેલું.
મેં 2007માં કંપની છોડ્યા પછી સ્વાભાવિકપણે જ તેમને મળવાનું સાવ ઓછું થયું. એ પછી તેઓ પણ નિવૃત્ત થયા. ક્યારેક સુધીરભાઈ (શાહ) જેવા મિત્ર પાસેથી જાણવા મળતું કે ધીમે ધીમે સુરાનીભાઈની દૃષ્ટિ સાવ ઝાંખી થઈ રહી છે અને તેઓ નહીંવત્ જોઈ શકે છે. એક વખત યોજાયેલા સ્નેહમિલનમાં તેઓ આવેલા. ત્યારે આ અમે અનુભવ્યું. તેમની પાસે જઈને ઊભા રહીએ અને 'કેમ છો, સુરાનીભાઈ?' કહીએ કે તરત જ તેઓ અવાજ ઓળખી જાય અને ઉષ્માપૂર્વક જવાબ આપે. એ સ્નેહમિલનમાં અમીષ ભાવસાર પણ હાજર હતા, જેઓ બહુ લોકપ્રિય એન્જિનિયર હતા. તેઓ સુરાનીભાઈને 'સુરાનીકાકા' કહેતા. એ સ્નેહમિલન પતવા આવ્યું અને સૌ છૂટા પડી રહ્યા હતા ત્યારે અમીષે એમને એક વિશિષ્ટ ફરમાઈશ કરી. કહે: 'કાકા, એક વાર અનાઉન્સમેન્ટ કરો ને!' મતલબ કે પ્લાન્ટમાં તેઓ જે શૈલીએ લાઉડોફોન પર અનાઉન્સમેન્ટ કરતા એ જ શૈલીએ અનાઉન્‍સ કરે. (કોઈ ગાયકને તેના કોઈ લોકપ્રિય ગીતની ફરમાઈશ કરવામાં આવે એ રીતે) સુરાનીભાઈ એટલા સરળ અને સહજ પ્રકૃતિના કે તેમણે આ વિનંતી સહર્ષ સ્વીકારી લીધી, કેમ કે, એ કરી હતી અમીષે, પણ એ સૌની લાગણીનો પડઘો હતો. દૃષ્ટિ લગભગ નહીં જેવી, પણ ખુરશીમાં બેઠે બેઠે જ સુરાનીભાઈએ એ જ લહેકાથી 'આલ્કિલેશન, પ્લીઝ કોન્ટેક્ટ, આલ્કિલેશ.....અ..અ..ન.' લલકાર્યું એ સાથે જ સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા. એક સાથે સૌના મનમાં પોતે પ્લાન્ટમાં વીતાવેલો સમયગાળો સજીવન થઈ ઉઠ્યો.
બસ, સુરાનીભાઈ સાથેની એ કદાચ મારી છેલ્લી મુલાકાત હશે. મારું ક્ષેત્ર સાવ બદલાઈ ગયેલું હોવાથી મળવાનું બનતું નહીં. તેમનું બહાર નીકળવાનું પણ લગભગ બંધ થઈ ગયેલું.
ગઈ કાલે તેમનું અવસાન થયાના સમાચાર જાણ્યા કે મનમાં સૌથી પહેલું કશું યાદ આવ્યું હોય તો એમના અવાજમાં થતું અનાઉન્સમેન્ટ. આવા નિષ્પાપ, મદદગાર અને સરળ પ્રકૃતિ ધરાવતા મુકુંદભાઈ સુરાની સ્વર્ગમાં પણ પોતાની ભૂમિકા શોધી લેશે. સ્વર્ગના દરવાજાની બહાર પ્રતીક્ષામાં ઉભેલા લોકોને તેઓ માઈક પર કહેશે, 'લાઈનમાં ઊભા રહો, પ્લી...ઈ...ઈ...ઝ, લાઈનમાં.'

Friday, July 31, 2026

'સૂત્રિતનું મંચન: મંચ પર ગાંધીયુગને જીવંત કરવાનો ઉપક્રમ

 - રાજેશ દાણી 


(વડોદરામાં વસતા મિત્ર રાજેશ દાણીના રસ બહુવિધ છે. ફોન પર કે રૂબરૂમાં અમે સમયના રેશનિંગ વિના વાતો કરી શકીએ છીએ. ઓર્ગેનિક આહાર પ્રત્યેના પોતાના પ્રેમને તેમણે વ્યવસાયમાં તબદીલ કર્યો છે, અને 'સાત્ત્વિક' નામે ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણકેન્‍દ્ર ચલાવે છે. જૂનાં ગીતસંગીતના પણ પ્રેમી. જો કે, તેમનો મુખ્ય રસ નાટકનો, એમાંય ભવાઈ સ્વરૂપ પ્રિય. આધુનિક યુગના વિવિધ વિષયો કે સમસ્યાઓને તેઓ ભવાઈસ્વરૂપે રજૂ કરતા રહે છે, જેનો એક આગવો ચાહકવર્ગ ઊભો થયો છે. થોડા સમય અગાઉ તેમણે 'સૂત્રિત' નામના એક નાટકનું મંચન કર્યું. આ એક વિશિષ્ટ પ્રયોગ હતો. તેની નિર્માણપ્રક્રિયાની વાત તેમના જ શબ્દોમાં.) 

મુંબઈસ્થિત લેખિકા મેધા ત્રિવેદીએ 2019માં લખેલી પોતાની લઘુ નવલકથા 'સૂત્રિત' મને મોકલેલી. ગાંધીજીના ચરખા અંદોલનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તામાં મને રસ પડ્યો અને રસપૂર્વક હું એ વાંચી ગયો. વાંચીને મને વિચાર આવ્યો કે આજ કાલ વાંચનની પ્રવૃત્તિ આમેય ઘટતી ગઈ છે. આવા સંજોગોમાં સાહિત્યમાં રસ ધરાવનાર સિવાય અન્ય કોઈ સુધી આ અદ્‍ભુત વાર્તા શી રીતે પહોંચશે? મારો જીવ મૂળભૂત રીતે નાટકનો. તેથી વિચાર્યું કે નાટક સ્વરૂપે રજૂ કરીએ તો વધારે લોકો સુધી આ વાતને પહોંચાડી શકાય, અને વધુ અસરકારક રીતે પણ!  મે મેધાબ્હેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે મારે 'સૂત્રિત'નું નાટ્યરૂપાંતર કરવું છે. મેધાબહેને પૂછ્યું, “આનું નાટ્ય રૂપાંતર શક્ય છે ખરું?" મે કહ્યું કે મને પ્રયત્ન કરવા દો.  



મેં હવે બીજી વાર વાર્તા વાંચવાનું શરુ કર્યું. આ વખતે કેટલીક જગ્યા પર મારી નોંધ પણ હું મૂકતો ગયો. મેધાબહેન સાથે એ અંગે ચર્ચા પણ કરી અને પછી શરૂ કરી નાટ્ય રૂપાંતરની પ્રક્રિયા. ક્યાંક ક્યાંક અડચણ પડી. વાર્તામાં હતી, એનાથી અલગ ક્રમમાં ઘટનાઓને મૂકી, ક્યાંક ઉમેરો કર્યો, કશુંક બાદ કર્યું. આખરે પહેલો ડ્રાફ્ટ તૈયાર કરીને મેધાબહેનને મેઈલ દ્વારા  મોકલી આપ્યો. એ પછી અમે સામસામે લેપટોપ લઈને બેસી નાટ્ય રૂપાંતર પર લંબાણપુર્વક ચર્ચા કરી. એ પછી કેટલાક ફેરફાર સાથેની સ્ક્રીપ્ટ નવેસરથી મેધાબહેનને મોકલી. એમને એ ગમી. આ રીતે તૈયાર થયેલી સ્ક્રીપ્ટ મેં મારી સાથે હંમેશા કદમ મિલાવીને કામ કરતી અને મારા માટે પ્રેરણારૂપ કલાકાર મોક્ષદા દેસાઈ અને જયશ્રી દાણીને સામે બેસાડીને વાંચી. બંને તરફથી હકારાત્મક પ્રતિસાદ તેમજ પ્રોત્સાહન મળ્યું. મારા બીજા બે કલાકારને બોલાવીને  એમની સામે પણ સ્ક્રીપ્ટ વાંચી. એમના તરફથી ખાસ પ્રોત્સાહિત પ્રતિસાદ ન મળ્યો. તેમણે કહ્યું કે આમાં બહુ ફેરફાર કરવાની જરૂર છે, આ સ્ક્રિટ ખૂબ જ વાચાળ છે, એમાં ઘટનાઓ ઓછી છે. જો કે, મારી પ્રતીતિ દૃઢ હતી. હું જયારે જ્યારે આ સ્ક્રીપ્ટ વાંચતો ત્યારે અમુક દૃશ્યો વખતે ભાવુક થઇ જતો. મને વિશ્વાસ હતો કે પ્રેક્ષકોને પર પણ એની એવી જ અસર થશે. 

એક દિવસ પંદરેક કલાકારોને મેં મારા ઘરે ભેગા કર્યા. એમની સમક્ષ આખી સ્ક્રીપ્ટ વાંચી. બધાને ગમી. પછી એ કલાકારોને મેં કહ્યું કે તમે ઘરે ગયા પછી શાંતિથી વિચારીને મારા વ્યક્તિગત વ્હોટ્સસેપ પર મેં પૂછેલા સવાલના જવાબ જણાવજો. મે દરેકને પૂછેલા કેટલાક સવાલ આમ હતા.  

૧. આ સ્ક્રીપ્ટ તમને કેવી લાગી? 

૨. તમે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકો છો? 

૩. તેના પાત્રો સાથે સંબંધ સ્થાપી શકો છો? 

૪. આ નાટક આપણે કરવું જોઈએ? 

વ્યક્તિગત રીતે વિના સંકોચે આના જવાબ મને જણાવવા મેં કહેલું. લગભગ સૌનો રિસ્પોન્સ હકારાત્મક આવ્યો. મારું જોમ વધ્યું. થોડા દિવસ પછી ફરી એક વાર કલાકારોને ભેગા કરીને સ્ક્રીપ્ટ વાંચવાનું શરુ કર્યું. શરૂઆતમાં એક એક સીન વાંચતા ગયા. ધીમે ધીમે પાત્રો પ્રમાણે કલાકારોને ગોઠવતો ગયો. બધાં મળીને લગભગ ૩૫ પાત્ર થતા હતાં.  બને ત્યાં સુધી કોઈની પાસે ડબલ રોલ કરાવવાની મારી ઈચ્છા નહોતી. 

દરમ્યાન મારી ટીમમાંથી કેટલાક કલાકારોનું સૂચન આવ્યું કે આપણે આ નાટક ચિત્રલેખા/ એલએલડીસીની હરીફાઈમાં મુકીએ. કોઈ હરીફાઈમાં ઉતરવાની મારી જરાય ઈચ્છા નહોતી. પરંતુ, સામે પક્ષે દલીલ એમ હતી કે એ બહાને ચોક્કસ સમયમાં નાટક તૈયાર થઇ જાય. મને આ વાત ગળે ઊતરી અને મેં સ્પર્ધાનાં ફોર્મ મંગાવ્યા. ફોર્મ આવ્યાં એટલે એને ભરીને મોકલ્યાં. એ પછી મેં ગણતરી કરી તો  મારે માટે આ નિર્માણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હતું.. પસંદ કરાયેલા નાટકોની પ્રાથમિક હરીફાઈ મુંબઈમાં હતી. આયોજક તરફથી કુલ ૨૦ કલાકારોનું ટ્રેન ભાડું અપાય. તેની સામે મારે ટેકનીકલ ટીમ સહિત લગભગ ૩૮ થી ૪૦ કલાકાર-કસબીઓને મુંબઈ લઇ જવા પડે. એનો અર્થ એ કે આશરે ૨૦ જણાનું  આવવા- જવાનું ટ્રેન ભાડું મારે ખિસ્સામાંથી કાઢવું પડે. ઉપરાંત, મુંબઈ રેલ્વે સ્ટેશનથી થીયેટર ૪૦ કલાકારોને લાવવા લઇ જવાની વ્યવસ્થાનો ખર્ચ. એ સિવાય ખાવા-પીવાનો જે પણ કાઈ ખર્ચ થાય તે મારે ભાગે આવે.  ગણતરી કરતા લાગ્યું કે આ ખર્ચ ઘણો મોટો છે. એના કરતાં એટલા નાણાં હું બચાવું તો એ મને વડોદરામાં આયોજન કરવામાં કામ લાગે. એટલે ફોર્મ ભર્યા પછી  મનમાં થતું હતું કે પ્રાથમિક હરીફાઈ માટે અમારું નાટક પસંદ ન થાય તો સારું. નસીબે જોર કર્યું અને અમારા નાટકની પસંદગી ન થઇ. અમારા કેટલાક કલાકારોને નવાઈ લાગી, તો કેટલાકને આનંદ પણ થયો. 

અમે અમારી તૈયારી ચાલુ રાખી. ધીમે ધીમે વિવિધ પાત્રો માટે કલાકારો ગોઠવાતા ગયાં. કેટલાક યુવાન કલાકારો મેળવવા માટે  મિત્ર કલાપી ધોળકિયાની મદદ લીધી. તેમણે સારા એવા સંપર્કો આપ્યા. એવામાં અચાનક એક મુશ્કેલી આવી. અમે રીહર્સલ કરતાં હતાં, એ સ્થળ બાબતે કેટલાક પ્રશ્ન ઉભા થયા અને અમને ત્યાં રિહર્સલ કરવાની નમ્રતાપૂર્વક ના પાડવામાં આવી. બીજી કોઈ વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે એક અઠવાડીયા માટે કલાપીની એક જગ્યામાં રીહર્સલ કર્યાં. મારા કરતાં વધુ તો કલાકારોની ધીરજની કસોટી થતી જતી હતી. એવામાં મુખ્ય પાત્ર ભજવનાર એક સ્ત્રી કલાકારને સીરીયલમાં કામ મળ્યું, એટલે તેણે કમને મારો પ્રોજેક્ટ છોડવો પડ્યો. બીજી પસંદગીમાં મારી પત્ની જયશ્રીને લેવાનું નક્કી કર્યું. મારી પત્ની હોવાને કારણે નહિ, પરંતુ એ એક સારી કલાકાર છે અને આ પાત્રને જીવંત કરશે એવા વિશ્વાસ સાથે એની સાથે અલગ રીડીંગ શરુ કર્યું. એનાં બધા સીન મોક્ષદા સાથે હતા. મોક્ષદા વધારાના સમયમાં ઘરે આવે અને જયશ્રી સાથે રીહર્સલ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ. ઉપરાંત, મોક્ષદાએ એક વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી. દરેક કલાકારને તેમના પાત્રની સમજણ, તેમનાં દૃશ્યો, તથા આખી વાર્તામાં એ પાત્ર અને તે કલાકારનું કનેક્શન સમજાવવાનું અઘરું કામ તેણે હોંશે હોંશે ઉપાડી લીધું. 

નાટકના મંચન વખતે કલાકારોનો કાફલો 

હવે સમય હતો કે નાટક દરમિયાન કલાકારોને તેમણે ઉપયોગમાં લેવાની પ્રોપર્ટી સાથે પરિચિત કરાવવાનો. વડોદરામાં ચાલતા 'ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ'ના ખાદી ભંડારનો શ્રીમતી અરુણાબેન ચોકસી દ્વારા સંપર્ક કર્યો. ત્યાંના પ્રમુખ, સેક્રેટરી અને કર્મચારીઓનો સહકાર મળ્યો. ચરખો કેમ ચલાવવો, રૂની પૂણી, ખાદીનું કાપડ વગેરે સાથે પરિચય થયો, ઘણું જાણવા મળ્યું, અને રિહર્સલ માટે તેમજ શો માટે જરૂરી એવો ચરખો પણ એમણે આપ્યો.  

નાટકનું એક દૃશ્ય  
નાટકના પહેલા પ્રયોગ માટે મેં મનોમન 27 મી માર્ચ, વિશ્વ રંગભૂમિ દિનની આસપાસના દિવસનો વિચાર કરવા માંડ્યો. કલાકારો તરફથી મને વારેવારે પૂછવામાં આવતું કે નાટકની ભજવણીની તારીખ કઈ હશે. મેં માર્ચ અંતની આ તારીખની વાત કરી તો બે કલાકારોએ તરત ના પાડી દીધી, કેમ કે, એ દિવસોમાં તેમને પરીક્ષા આવતી હતી. એટલે ફરી પાછી રીપ્લેસ્મેન્ટની શોધ શરુ થઇ.  આ દરમ્યાન એમ. કે. હાઇસ્કુલના શ્રી સુભાષભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો અને તેમણે એમની સ્કૂલના પ્રાંગણમાં રીહર્સલની વ્યવસ્થા ગોઠવી આપી. બે કલાકારો શોધવા માટે ફરી પાછી કલાપીભાઈની હેરાનગતિ શરુ કરી. તેમના સહયોગથી યોગ્ય કલાકાર મળી પણ ગયા. આ આખી પ્રક્રિયામાં કલાકાર તરીકે એ સારા હોવા ઉપરાંત, ટીમ સાથે કામ કરી શકે, રાતનો સમય આપી શકે તેમજ માર્ચ અંત સુધી સાથે રહી શકે એ બધું જ જોવાનું હતું. 

વિવિધ પાત્રો અને વિવિધ વેશભૂષા 

એવામાં અનાયાસે બે કલાકાર અમારી સાથે જોડાયા. એમાંની એક તે શાલીની પટેલ : મારો એક નાટકનો મિત્ર, પ્રદીપ ગઢવી (જે છેલ્લા ચારેક વર્ષથી સંપર્કમાં નહોતો) તેનો અચાનક ફોન આવ્યો અને કહ્યું, “એક છોકરી છે, એને થોડીક પ્રાથમિક તાલીમની જરૂર છે. તો તમારી પાસે ઓળખાણ કરાવવા લઇને આવું છું."  પ્રદીપ શાલિનીને મારી પાસે લઇ આવ્યો. શાલીની, ૨૨ વર્ષની ઉમર, અમેરિકામાં જન્મી અને ઉછરેલી. તેણે અમેરિકામાં ચાર વર્ષનો સાયકોલોજી અને થીયેટરનો કોર્સ કરેલો. ગુજરાતી વાંચતા, લખતા કે બોલતા જરાય ના આવડે. મારી પાસેથી તેને એ અપેક્ષા હતી કે પોતે થોડુંઘણું ગુજરાતી સમજે અને ગુજરાતી/ ભારતીય રંગભૂમિ તેમજ સંસ્કૃતિ વિષે જાણે. શાલીની મારી સાથે 'સૂત્રિત'માં જોડાઈ. મારા રિહર્સલમાં આવે, ગુજરાતી સ્ક્રીપ્ટ સમજવાનો પ્રયત્ન કરે, સમજ ન પડે તો મને પૂછે. એના પ્રશ્નો તો અઢળક.  ધીમે ધીમે ગુજરાતી નાટક, તેના સંવાદો, કલાકારોના હાવભાવ સમજવા માંડી, એટલું જ નહિ પણ તેનું મૂલ્યાંકન કરીને મારી સાથે ચર્ચા કરતી થઇ ગઈ. મારી સાથે વિવાદ કરે, મજાક પણ કરે. ટૂંકમાં રીહર્સલનો તે પૂરેપૂરો આનંદ લેવા માંડી. ઉપરાંત, મે એને 'ગાંધી' ફિલ્મ બતાવી, ગાંધીજીની આત્મકથા (અંગ્રેજી) વાંચવા આપી.  

અનેક કલાકારોને સાંકળતું નાટકનું એક દૃશ્ય  

જો કે, આખરે અમારા નાટકનો શો તા. ૨૯મી માર્ચના નક્કી થયો ત્યારે તેના પિતાજીએ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની પાછા જવાની ૨૨ મી માર્ચની ટીકીટ બુક કરાવી દીધી. એટલે કે તે હવે શો દરમ્યાન અમારી સાથે ન રહી શકે. તે ખુબ દુખી થઇ.  ૨૨ મીએ તે રિહર્સલમાં આવી અને બધાને મળી. બધાનું મોઢું મીઠું કરાવ્યું, સૌને ભેટી, શુભેચ્છા આપી અને અત્યંત ભારે હૈયે વિદાય લીધી. અમારા નાટકના આમંત્રણમાં સહાયક તરીકે તેનું નામ હતું, પણ એ સફળ પ્રયોગને, એ સફળતાનો આનંદ માણવા અમારી સાથે હાજર ન રહી શકી. દરેક વ્યક્તિનો પોતાનો પ્રવાસ હોય છે. કહેવાય છે કે 'People enter into our life for Reason, Season or Lifetime.'  

બીજી હતી અંશુ અગ્રવાલ. એકવાર પ્રદીપ ગઢવી અમારું રીહર્સલ જોવા આવ્યો. એની સાથે એક છોકરી હતી, અંશુ, જે એની સાથે કામ કરતી હતી. એને રિહર્સલમાં મજા પડી. બીજે દિવસે પ્રદીપનો ફોન આવ્યો કે અંશુને મારી ટીમમાં જોડવાની ઈચ્છા છે. મેં કહ્યું કે આજે પણ તેને રિહર્સલમાં લઇ આવ. તેની સાથે મેં વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેને થીયેટરનો અનુભવ હતો. તેણે નાટકના સંગીત સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી. 

પૂનમ મેવાડાએ મારી પરિકલ્પના મુજબ સેટ ડીઝાઈન તૈયાર કરી હતી. તેણે અર્પિત સોનીની સાથે મળીને પ્રકાશ સંયોજન અને સંચાલનની જવાબદારી ઊપાડી લીધી. પૂનમે નાટકની કેટલીક  સંવેદનશીલ પળોને વધુ અસરકારક રીતે રજૂઆત કરવામાં પણ મદદ કરી.   

વિવિધ વયના કલાકારો 

આ નાટકના રીહર્સલ દરમ્યાન નવ્યા, હિમાંસી, શ્લોકા અને અર્ચિત જેવા બાળ કલાકારો રીહર્સલના સમયને વધુ રસપ્રદ બનાવી દેતા. રીહર્સલમાં કેટલાક અનુભવી કલાકારો કહેતા કે આ નાના કલાકારોનો આત્મવિશ્વાસ ગજબનો છે. મને લાગતું કે કે એ તો બરાબર, પણ એમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અત્યાર સુધી હું માનતો હતો કે બાળકો સાથે કામ કરવા હું સક્ષમ નથી. પરંતુ, આ બાળકોએ મારામાં અનેરો આત્મવિશ્વાસ ઉભો કર્યો છે. 

**** 

મેં જે સન્નિવેશની પરિકલ્પના કરી હતી તેમાં અનેક મોટી પાટની જરૂરીયાત પડે તેમ હતું. વડોદરામાં સેટ ભાડેથી આપનારાઓએ કહ્યું કે આવી પાટ ફરાસખાનાવાળા પાસેથી જ લાવવી પડે. અને મને યાદ આવ્યો મારો 'દિવ્ય ભાસ્કર'નો સાથી અને મારો મિત્ર અંકુર ગોર, જે હાલ 'ટ્યૂલિપ ટચ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. અંકુર ગોર લગ્નના ડેકોરેશનના કામમાં ખુબ જ કીર્તિ કમાઈ ચૂક્યો છે તેમ જ અસંખ્ય એવોર્ડ પણ તેને મળ્યા છે.  તેનું પોતાનું મોટું ગોડાઉન છે અને એમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેની સાથે વાત કરતાં જ તેણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી બતાવી. મને વિચાર આવ્યો કે સ્ટેજ પર આટલા લેવલ્સ મૂકવાના હોય અને કલાકારોએ તેનો ઉપયોગ કરવાનો હોય તો રીહર્સલ દરમ્યાન પણ કેટલીક પાટ લાવવી જોઈએ. તેઓ સીધા સ્ટેજ પર જ પાટ આવે તો તેમને તકલીફ પડે. અંકુરે હા પાડી અને છેલ્લા ૧૫ દિવસ કલાકારોએ પાટ (લેવલ્સ) સાથે રીહર્સલ કર્યા. આ કવાયત ખૂબ જ કારગત નીવડી.  

મને ઈચ્છા હતી કે આ નાટકમાં વિશિષ્ટ ગીત – સંગીતનો ઉપયોગ કરવામાં આવે, તો નાટક વધારે દીપી ઉઠે.  આ કવાયત માટે સમય ઓછો પડે તેમ લાગ્યું. મારા વડીલમિત્ર વિહારભાઈએ નવો વિચાર આપ્યો. અને અમે મારા બીજા જીગરી મિત્ર મુકેશ ગાંધીને મળ્યા. મુકેશભાઈએ AI ની મદદથી પ્રત્યેક દૃશ્યને અનુરૂપ સંગીત તૈયાર કર્યું. 

હવે, સંગીત તેમજ પ્રકાશની સાથે રિહર્સલ્સ ચાલુ થયાં. રોજ રાત્રે 12 વાગ્યા સુધી 25 થી 30 કલાકારોનો કાફલો મારી સાથે હોય, મારા ગાંડપણને વધાવવા. શોની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ મારી તેમજ કલાકારોની આતુરતા સાથે ચિંતા વધતી જાય. ક્યારેક ક્યારેક કેટલાક (નજીકના) કલાકારો સાથે ઉગ્ર ચર્ચા પણ થતી. પાછા એકબીજાને મનાવી લઇ, અમે એકમેકનો આત્મવિશ્વાસ વધારતા જતા. ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ, અમારા એક સિનિયર કલાકારનાં માતુશ્રી ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા. ઘણી અનિશ્ચિતતા હતી. એ કલાકારે મને જણાવ્યું કે ગમે ત્યારે કંઇ પણ થઈ શકે. એટલે એ પાત્રની તૈયારી મેં પોતે કરવા માંડી. એક સીનમાં એવું ગોઠવ્યું હતું કે આ કલાકારનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે અને સ્ટેજ પર પ્રવૃત્તિ હોય. અમે આ વિભાગ અમારા બંનેના અવાજમાં રેકોર્ડ કરી રાખ્યો. શો વખતે જેણે પાત્ર ભજવવાનું થાય, તેનો અવાજ વાપરવો એમ નક્કી કર્યું. જો કે, આખરે એ સિનિયર કલાકાર  એ પાત્ર ભજવી શક્યા, અને તેમણે ખૂબ જ સરસ રીતે ભજવ્યું.

નાટકના અપેક્ષિત પ્રેક્ષકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની વી.એન.એમ. ચેનલ તરફથી રીહર્સલની કલીપ તથા અમારો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરાયો. 'દિવ્ય ભાસ્કર'માં રીહર્સલના ફોટા સાથે આવનાર નાટકની માહિતી આપવામાં આવી. આને કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાતું ગયું. 

**** 

આ નાટકના આયોજન દરમિયાન બીજો એક ચમત્કારિક કહી શકાય એવો અનુભવ થયો. મારે આ નાટકનો શો 22મી માર્ચના રોજ ગોઠવવાની ઈચ્છા હતી. પરંતુ, સી. સી. મહેતા ઓડીટોરીયમ એ દિવસે અગાઉથી બુક થયેલું હતું. 29 મીનું બુકિંગ કોઈ અન્ય પાર્ટી તરફથી મૌખિક રીતે કરાયેલું હતું, પણ તેણે પૈસા ભર્યા નહોતા. મેં મેડીકલ કોલેજનો હોલ બુક કરવાનું વિચાર્યું, એ પણ 22 અને 29માટે અગાઉથી બુક હતો. પછી મને સી.સી. મહેતા હોલમાંથી ફોન આવ્યો કે 29મી એ હોલ સુલભ છે. મેં તક ઝડપી લીધી અને હોલ બુક કરાવી દીધો. મનમાં થયું કે 22મી મળી હોત તો વધુ સારું થાત. પછી ખબર પડી કે મેડીકલ હોલ જેમણે 22મી મે માટે બુક કર્યો હતો તેમનું બુકિંગ બે કે ત્રણ દિવસ પહેલાં જ કેન્સલ કરવામાં આવ્યું, કારણ કે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના હતા. મને થયું કે કુદરતે મને બચાવી લીધો.  મારે ત્રણ દિવસ પહેલાં હોલ કેન્સલ કરીને અન્ય વ્યવસ્થા કરવાની આવી હોત તો કેટલી અનહદ મુશ્કેલી પડત.!  ( જો કે, હોલના આયોજકોને તેની કોઈ ચિંતા હોતી નથી)

****

નાટકનું એક સંવેદનશીલ દૃશ્ય 
અન્ય એક પૂરક માહિતી અને મારો અનુભવ અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. વડોદરામાં, વડોદરાના કલાકારોનું નાટક ટિકિટ શોથી કરવું ઘણું અઘરું છે. તેમજ નાટકના કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ મળવી પણ એટલી જ અઘરી. આથી અમે ડોનેશન કાર્ડ રાખ્યાં હતાં. મારા પરિચયના અનેક મિત્રો, શુભેચ્છકોએ ડોનેશન કાર્ડ લઈને સીટ બુક કરાવવા માંડી. એને લઈને અમારો ઉત્સાહ વધ્યો. અમારા નાટકનાં એક મિત્ર અનસૂયા પટેલને અમારું નાટક જોવાની ખૂબ જ ઇચ્છા હતી. પરંતુ, તેમને એક અકસ્માત નડ્યો અને તે નાટક જોવા આવી શકે તે શક્ય નહોતું. તો પણ તેમણે બે સીટ બુક કરાયેલી રાખીને પૈસા મોકલી આપ્યા. તો આની સામા છેડાનો બીજો એક એવો અનુભવ પણ થયો કે એક મિત્રને વોટ્સએપ પર અમારું પોસ્ટર મોકલ્યું, તેમણે ચાર સીટ બુક કરવા કહ્યું. મેં એમને ડોનેશન કાર્ડનો ચાર્ટ મોકલ્યો તો તેમણે કહ્યું કે 'If I have to pay, then leave it.' 

મને મારા વ્યક્તિગત સંબંધ દ્વારા કેટલાક શુભેચ્છકોએ આર્થિક મદદ કરી. આ એક આનંદની વાત. પરંતુ, દુઃખની વાત એ કે એ મદદ વ્યક્તિગત સંબંધને કારણે હતી, નાટ્ય પ્રવૃતિને મદદ નહોતી. કેટલાક મિત્રો શુભેચ્છકોએ નાટક જોયા પછી આર્થિક સહાય આપી. આ વાતને હું નાટકની સફળતા માનું છું. અમારાં મિત્ર અને કાયમી શુભેચ્છક શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું. અવારનવાર તેઓ મને રિહર્સલના સમાચાર પણ પૂછતા રહેતાં. 

છેલ્લા બે દિવસમાં મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધી ગયો. 

**** 

આખરે શોનો દિવસ આવ્યો. મેધાબહેન અને તેમના પતિ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી મુંબઈથી ખાસ નાટક જોવા આવ્યા હતા.  મેધાબહેનના ચાર મિત્રો પોતાના કુટુંબ સાથે અમદાવાદથી આવ્યા હતા. મેધાબહેન અને ગોપાલભાઈએ નાટક પૂરું થયા પછી, નાટકના તમામ કલાકારો, અને વિશિષ્ટ આમંત્રિતો (કુલ 60 વ્યક્તિ) માટેનો ભોજનખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.  

નાટક શરૂ થયું. કલાકારો ગજબના આત્મવિશ્વાસથી અભીનય કરી રહ્યા હતા. પ્રેક્ષકો પુરા રસપૂર્વક નાટક માણી રહ્યા હતા. બે અંકમાં વહેચાયેલું નાટક 20 કરતાં વધારે દૃશ્યોમાં ભજવાઈ રહ્યું હતું. પ્રેક્ષકો દરેક દૃશ્ય પછી કલાકારોને તાળીઓથી વધાવી, પછીના દૃશ્યની આતુરતાપૂર્વક રાહ જોતા. આખરે બીજા અંક પછી જ્યારે પડદો પડ્યો, કલાકારોની ઓળખાણ આપવા કર્ટન કોલ સમયે પ્રેક્ષકોએ સૌને તાળીઓથી વધાવી લીધા. વિવિધ લોકોએ આવા વિષયની પસંદગીને દાદ આપી, કેટલાક નાટકના જાણકારોએ ભજવણીને દાદ આપી. 

(ઊભેલાં - ડાબેથી) યતીન ત્રિપાઠી, નિક અયલાની , શ્લોક શાહ,
નિત્ય વકીલ, તેજસ ત્રિવેદી, વિદ્યા પરમાર, રાજેશ દાણી
મોક્ષદા દેસાઈ, જયશ્રી દાણી, ઉર્વશી નાયક, શેફાલી ત્રિપાઠી,
રૂપા લખલાણી, નેહા ડાભી, માનસી ઝાલા, 
(બેઠેલા) ધવલ પટેલીયા, હિમાંસી ઝાલા, હર્ષલ કાતરિયા,
હિમાક્ષી પીઠડીયા, શ્લોકા ત્રિવેદી, ભવ્યા પંચાલ, પ્રવિણ કાળે,
વિરેન્દ્ર રાવલ, અલભ્યા ત્રિપાઠી, અર્ચિત રાજદેવ, 
આ ઊપરાંત તસવીરમાં નથી એવા- 
અખિલેશ નાણાવટી, જલ્પેશ પાઠક, નિત્ય પાઠક ,
કેશા શાહ, ક્ષિતિજ સુપેકર, ધર્મિલ ,


આ સમગ્ર ઊપક્રમમાં સહયોગ આપનાર કસબીઓનાં નામ આ મુજબ છે. 
સેટ ડિઝાઇન : પૂનમ મેવાડા, સેટ : ટ્યૂલિપ ટચ, પ્રકાશ આયોજન : પૂનમ મેવાડા, પ્રકાશ સંચાલન : પૂનમ મેવાડા અને અર્પિત સોની, સંગીત આયોજન : મુકેશ ગાંધી, સંગીત સંચાલન : અંશુ અગ્રવાલ, વેશભૂષા: મુકેશ ડ્રેસવાલા, પ્રોડક્શન સહાયક : શાલિની પટેલ, સહાયક : પ્રદીપ ગઢવી, સુજલ વકીલ
સમગ્રપણે એક અદભુત અનુભવ થયો, ઘણું શીખવા મળ્યું. રંગમંચ માટે મારું ભાથું બંધાયું. મારા ઉપર વિશ્વાસ રાખીને મહેનત કરનાર કલાકારોનો, મારી ઉપર વિશ્વાસ મૂકતા પ્રેક્ષકગણનો તેમજ મારા શુભેચ્છકોનો આભાર.

Friday, July 10, 2026

તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે

રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.

મુંબઈના એક સજ્જન હતા, એમનું નામ ગિરીશ દવે. વ્યવસાયે વકીલ અને રજનીભાઈના જબરા વાચક-ચાહક. રજનીભાઈ મુંબઈ આવે એટલે ગિરીશભાઈની કાયમી ઓફર હતી. તેઓ પોતાની કાર અને ડ્રાઈવર મોકલી આપતા. રજનીભાઈને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એક વાર અમે સાથે મુંબઈ ગયા ત્યારે પણ આ જ રીતે ગિરીશભાઈની કાર અને ડ્રાઈવર હાજર. મેં રજનીભાઈને કહ્યું, 'મુંબઈમાં કાર કરતાં ટ્રેન વધુ સરળ રહે' એમણે કહ્યું, 'આપણને બધા સ્થળ ઝટ જડે નહીં, એટલે સમય બગડે. એના કરતાં આ રીત સહેલી પડે.' આનો અનુભવ મેં કર્યો અને મને એમની વાત સાચી જણાઈ.
મુંબઈમાં રજનીભાઈનો ઊતારો એમના પરમ સ્નેહી બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા રહેતા. મોટે ભાગે હું મારા કાકા શૈલેષ પરીખને ત્યાં ઊતરતો. એક વાર હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. અત્યંત પ્રેમાળ સજ્જન. વાતરસિયા, અને કથનશૈલી ગજબની. એમના પિતાજી 'હબીબ ખાંભાવાળા'ના નામે પ્રસંગકથાઓ લખતા હતા. દિવસ દરમિયાન તો અમે અમારા કામે બધે ફરતા રહ્યા, પણ સાંજે અમે ભેગા હતા.
રજનીભાઈએ બોઘાણીસાહેબને કહ્યું, 'જુઓ, હું તો અહીં નિયમીત આવું છું, પણ બીરેન આજે પહેલી વાર તમારે ત્યાં આવ્યો છે. એટલે એને તમે પેલી વાતો કહો.' પછી મને કહે, 'બદરૂદ્દીનભાઈ ગજબ કથાઓ કહે છે. એમના વિશે હું એમની હાજરીમાં કશું નથી કહેતો, પણ તું સાંભળ. મારી બહુ ઈચ્છા છે કે તને એ સંભળાવું.' હું તૈયાર હતો, પણ મને સહેજે અંદાજ નહોતો કે બોઘાણીસાહેબ શેની કથા કહેવાના છે.
બોઘાણીસાહેબે એક પછી એક પ્રસંગો કહેવાના શરૂ કર્યા. શું એમનું વર્ણન! શી એમની શૈલી! ઘણા બધામાં એ પોતે જ કોઈક પાત્ર હોય. અને વાતનો મર્મ એવી સરસ રીતે મૂકે કે આપણે આફરીન થઈ જઈએ. શો પ્રતિભાવ આપવો એ મને ન સમજાય, પણ મારા મોં પરથી બોઘાણીસાહેબ પામી ગયા કે મને બહુ મજા આવે છે. ત્રણેક પ્રસંગો કહ્યા અને તેઓ અટક્યા. એટલે રજનીભાઈ કહે, 'અરે, પેલો કહો ને! હજી પેલોય બાકી રહ્યો.' એમ કહીને એમણે બે-ત્રણ પ્રસંગો યાદ કરાવ્યા. એ સાંજ મારા માટે યાદગાર બની રહી. મને અફસોસ થયો કે મેં એ રેકોર્ડ કેમ ન કરી લીધા! જો કે, એમના કથનપ્રવાહમાં હું એવો તણાઈ ગયેલો કે એવું યાદ જ ન આવ્યું.
બોઘાણીસાહેબનાં સંતાનો અલગ રહેતાં હતાં. બોઘાણીસાહેબ એકલા જ રહેતા. એમણે કહેલું એક વાક્ય આજેય યાદ આવે છે અને હૈયે ચિરાડો પાડી દે છે. એમણે કહેલું, 'રોજ સાંજે ચાલવા માટે બહાર જાઉં છું, ત્યારે ખબર નથી હોતી કે પાછો આવીને તાળું ખોલી શકીશ કે નહીં.' આવા સમયે રજનીભાઈ જેવા મિત્ર આવે ત્યારે એમને કેટલો આનંદ થાય એ સમજી શકાય એમ છે.
બોઘાણીસાહેબે કહેલી એક વાત તો મને એટલી બધી ગમી ગઈ કે મેં એ એમના નામ સાથે બ્લોગ પર લખી. એ પછી તેમના ઘણી વાર ફોન આવતા. પહેલી વાર તેમનો ફોન આવ્યો ત્યારે એમનો નંબર મારી પાસે નહોતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મેં ઊપાડીને 'હેલો' કહ્યું કે સામેથી અવાજ આવ્યો, 'તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે.' મારાથી સહસા બોલાઈ ગયું, 'અરે! બોઘાણીસાહેબ!' તેઓ રાજી થઈને કહે, 'તમે મને ઓળખી કાઢ્યો.' મેં કહ્યું કે આ વાક્ય (ગીતની પંક્તિ) આ રીતે મને કહેનારા એક તમે જ છો. પછી ઓળખી જ કાઢું ને?' તેઓ ઓર રાજી થયા અને કહે, 'પણ તમને એ યાદ રહી ગઈ એ બહુ કહેવાય.' વાત એવી હતી કે તેમણે મને કહેલી એક કથામાં આ પંક્તિ કેન્દ્રસ્થાને હતી. શાળાકાળના પોતાના એક મિત્રને લાંબા સમય પછી મળતાં તેઓ એને આ 'કોડવર્ડ' કહીને પોતાની ઓળખ આપે છે એવી વાત હતી. એની બીજી કડીમાં 'દોસ્તી કી રાહોં મેં મિલકે ચલે થે' એમ ફેરફાર કરેલો. એ બહુ નાટ્યાત્મક વાત હતી. ખેર! વાત ત્યારે પૂરી થઈ અને મેં એમને કહ્યું કે તમને મન ફાવે ત્યારે મને ફોન કરજો. એ સિલસિલો બહુ લાંબો ન ચાલી શક્યો. એક દિવસ મને રજનીભાઈએ સમાચાર આપ્યા કે બોઘાણીસાહેબે વિદાય લીધી છે. અમે બન્નેએ એ દિવસે એમને, એમની વાતોને, એમના વ્યક્તિત્વને બહુ યાદ કરીને એમને અંજલિ આપી, પણ એકમેકને.
હવે તો રજનીભાઈ પણ ગયા, પણ તેમણે દેખાડેલી પાત્રસૃષ્ટિ મનોજગતમાં કોતરાઈ રહી છે.

Thursday, July 9, 2026

'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી

રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.

વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.