Friday, January 30, 2026

ભાવનગરમાં ભૂપેન

ભૂપેન ખખ્ખરની જીવનકથાનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછીના દસ મહિનામાં યોજાયેલો છઠ્ઠો વાર્તાલાપ એટલે કલાભવન, ભાવનગર ખાતે 28 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત કાર્યક્રમ. આ છ પૈકીના ચાર કાર્યક્રમ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ યોજાયા છે. (વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર) અહીં શ્રી શૈલેષભાઈ ડાભી સાથે અમારો સંપર્ક સ્થપાયેલો. ભાવનગર પહોંચીને ગુજરાતી ભવન પર વાર્તાલાપ પછી અમે કલાભવન તરફ ઊપડ્યા. સાથે વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની પણ હતા. તેઓ અમને કલાભવન લઈ આવ્યા અને શૈલેષભાઈએ અમને ઊમળકાભેર આવકાર્યા. તેઓ વિદ્યાનગરની કોલેજમાંથી ફાઈન આર્ટ્સ ભણેલા છે. થોડી વાત આ અભ્યાસક્રમ વિશે થઈ અને પછી અમે કાર્યક્રમ યોજાયેલો એ હોલ તરફ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં પણ ઘણી વાતો થઈ. હોલ પર વડીલમિત્ર વિનોદભાઈ વ્યાસ આવી ગયેલા. તેમને મળીને ઘણો આનંદ થયો. ચા પીતાં પીતાં અમારા સમાન રસની- જૂના ફિલ્મસંગીતની વાતો ચાલી. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં. મહેન્દ્રસિંહ પરમાર પણ અહીં ઉપસ્થિત હતા. કાર્યક્રમ આરંભાયો.

(ડાબેથી) શ્રી ગાયજનસાહેબ, બીરેન કોઠારી
અને અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

વિશાળ ઈટાળિયાએ આરંભ કર્યા પછી મારે ભૂપેન ખખ્ખર વિશે, તેમજ પુસ્તકના લેખનની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. વાતો તો ઘણી હોય, પણ સમય અને શ્રોતાવર્ગને અનુરૂપ ચૂંટેલી વાત કરવી જરૂરી છે. ભૂપેનનાં ચિત્રો, તેમના જીવન, તેમનાં લખાણો, અમરીશભાઈ સાથેની મુલાકાત, પુસ્તકના આલેખનના તબક્કા એ બધા વિશે થોડી થોડી વાત કરી. આલેખનમાં નવ વરસ જેટલો લાંબો સમય કેમ લાગ્યો એ પણ જણાવ્યું. આ પુસ્તકમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ભાવનગરના જ ઉષાકાન્ત મહેતાને યાદ કર્યા.
મારી વાત પછી અમરીશભાઈએ બોલવાનું હતું. તેમણે આ પુસ્તક શા માટે લખાવડાવ્યું એની સંવેદનભીની વાત કરી અને જણાવ્યું કે પોતાના પિતા અને ભૂપેનકાકાની મૈત્રીના તર્પણરૂપે આ પુસ્તકનું આલેખન કરાવડાવ્યું છે.
સૌથી છેલ્લે એમ.બી.ગાયજનસાહેબે આભારવિધિ કરી અને આ ઉપક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પછી હળવામળવાનો દોર ચાલ્યો. નીકળતાં અમારી ઈચ્છા ઉષાકાન્તભાઈને ઘેર મળવા જવાની હતી. એટલે વિશાલ ઈટાળિયા, અક્ષર જાની અને ભાવેશ ચૌહાણ અમને ત્યાં લઈ ગયા. એક અરસામાં ઉષાકાન્તભાઈ સાથે ફોન પર વાતો થતી, પણ ઘણા સમયથી સંપર્ક રહ્યો નહોતો. તેમને ઘેર વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. ઉષાકાન્તભાઈ સાથે વાતો નીકળે એટલે એક વિષયની ગલીમાંથી બીજા વિષયની ગલીમાં ક્યારે પ્રવેશી જવાય એનો ખ્યાલ જ ન આવે. અમે નીકળ્યા ત્યારે તેઓ અમને બહાર સુધી મૂકવા આવ્યા તો ત્યાં ઊભા ઊભા પણ પંદરેક મિનીટ વાતો કરી.

ઉષાકાન્તભાઈ મહેતા સાથે એમના નિવાસસ્થાને

ઉષાકાન્તભાઈ સાથે (ડાબેથી) ભાવેશ ચૌહાણ,
વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની

એ પછી તેમની વિદાય લઈને અમે છૂટા પડ્યા. ભાવેશ, વિશાલ અને અક્ષરનો આભાર માનીને અમે વડોદરા પરત આવવા નીકળ્યા.
આખો દિવસ બહુ સરસ રીતે, સરસ વ્યક્તિઓ વચ્ચે, સરસ વાતો થકી પસાર થયો, જેની સ્મૃતિ ઘણા લાંબા સમય સુધી મનમાં તાજી રહેશે.
(તસવીર સૌજન્ય: વિશાલ ઈટાળિયા)

Thursday, January 29, 2026

'તમારી લીધેલી યાદગાર મુલાકાત કઈ?'

 ભૂપેન ખખ્ખરની જીવનકથા વિશે ખાસ કરીને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરવાનો ઉપક્રમ આ પુસ્તકના પ્રકાશન પછી આરંભાયો છે, જેમાં સક્રિય ભૂમિકા હીતેશ રાણા (સર્જન આર્ટ ગેલરી)એ ભજવી છે. તેઓ અમારો પરિચય કરાવી આપે એ પછી જરૂરી વાતચીત અને આયોજન અમરીશભાઈ કોન્ટ્રાક્ટર સંભાળી લે. એ મુજબ હીતેશભાઈએ ભાવનગરમાં અમૂલભાઈ પરમાર સાથે સંપર્ક કરાવી આપ્યો, એટલે અમૂલભાઈ અને અમરીશભાઈ જોડાયા. અમૂલભાઈએ કલા ભવનના શૈલેષભાઈ ડાભી સાથે અમરીશભાઈને જોડી આપ્યા. આના પરિણામરૂપે 28 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના કલાભવન ખાતે આ પુસ્તક વિશેના વાર્તાલાપનું આયોજન થયું. શૈલેષભાઈ વતી પ્રત્યાયનની જવાબદારી ઉત્સાહી વિદ્યાર્થી વિશાલ ઈટાળિયાએ સંભાળી. આમ, અમે 28મીએ બપોર સુધી ભાવનગર પહોંચવા સજ્જ થઈ ગયા. એવામાં આગલી રાત્રે સંવેદનશીલ મિત્ર અને સન્નિષ્ઠ અધ્યાપક એવા મહેન્દ્રસિંહ પરમારનો ફોન આવ્યો. અમારા આ કાર્યક્રમની તેમને જાણ થઈ એટલે તેમણે અમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માટે જરૂરી આયોજન પણ તેમણે કરી દીધું. આમ, અમે ભાવનગર પહોંચીએ કે સીધા જ ગુજરાતી ભવન પર પહોંચીએ એમ ગોઠવાયું. ભાઈ વિશાલ સતત અમારા સંપર્કમાં હતો. એ ગુજરાતીનો વિદ્યાર્થી પણ ખરો, અને કળાનો વિદ્યાર્થી પણ. આથી તે એક રીતે એ દિવસ પૂરતો અમારો ભોમિયો બની રહ્યો.

અમે બપોરે એક વાગ્યાની આસપાસ ભવન પહોંચ્યા. આ વિભાગના વિદ્યાર્થીઓએ મારા વિશેની સતસવીર વિગતો એકઠી કરીને એને આકર્ષક રીતે લગાવી હતી. એ જોઈને મજા આવી ગઈ. સહેજ ફ્રેશ થયા પછી ભોજનની ઔપચારિકતા પતાવી. એ પછી વિદ્યાર્થીઓ સાથે મારે વાર્તાલાપ કરવાનો હતો. મહેન્દ્રસિંહે સૂચવેલું કે મારે ઈન્ટરવ્યૂ લેવાની કળા વિશે વાત કરવી. કાર્યક્રમનું તેમણે આપેલું શીર્ષક હતું 'મુલાકાતનો મર્મ.'

વાર્તાલાપનો વિષય

વિદ્યાર્થીઓએ કરેલી તૈયારી

વાર્તાલાપ દરમિયાન

જીવનચરિત્રલેખન દરમિયાન ઈન્ટરવ્યૂ શી રીતે લેવાય છે, એમાં કેવી કેવી બાબતો બને છે, શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે અનેક પાસાંની વાત અને તેની સાથે સાથે અનુરૂપ પ્રસંગો. સામાન્ય રીતે આવી વાતો અંગત બેઠકમાં કદીક થાય, પણ વિદ્યાર્થીઓ સાથે કરીએ ત્યારે એના શાસ્ત્ર અને કળા વિશે પણ વાત કરવાની આવે. જરા જુદી રીતે કહીએ તો આપણા અનુભવને આપણે 'થિયરી' તરીકે મૂકી આપવાના થાય. અલબત્ત, એ થિયરી સાર્વત્રિક લાગુ ન પણ પડે. આમ છતાં, એ બહાને આપણે આપણી પોતાની કાર્યશૈલીને હેતુલક્ષી રીતે જોઈ શકીએ કે એ અંગે વિચારી શકીએ એમ બનતું હોય છે. કલાકેક વાત ચાલી. એ પછી સવાલજવાબ હતા. એમાં પણ મઝા આવી. એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમે લીધેલી પહેલવહેલી મુલાકાત કોની? અને તમે લીધેલી સૌથી યાદગાર મુલાકાત કોની?' આ બન્ને જવાબ આપતાં મારે માથું ખંજવાળવું પડે એવી સ્થિતિ આવી. પણ સાવ કાચી વયે અમે લીધેલી આશા ભોંસલેની મુલાકાત અને શમશાદ બેગમને એમના ઘેર જઈને મળવાના નિષ્ફળ પ્રયત્નની વાત કરી ત્યારે મને પોતાને એ વાત જુદી રીતે જોવા મળી. દરમિયાન પોતાનું કામ પતાવવા બહાર ગયેલા અમરીશભાઈ પણ આવી પહોંચ્યા એટલે તેમણે પણ ટૂંકમાં વાત કરી.

પછી જોડાયેલા અમરીશભાઈ
વાચક-વિદ્યાર્થીની મૌલિ

સમગ્રપણે એકદમ જીવંત વાતચીત રહી એમ મને લાગ્યું. વાર્તાલાપ પછી અમે સહેજ વાર અંદર બેઠેલા ત્યારે એક વિદ્યાર્થીની મૌલિ 'વીઝીટર્સ બુક' લઈને આવી અને મારી સમક્ષ ધરી. પણ એ ધર્યા પછી તેણે કહ્યું, 'મેં સાર્થક જલસોમાં તમે લખેલો કનુભાઈ માસ્તરવાળો લેખ વાંચેલો અને એની પરથી નોંધ પણ લખેલી.' આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. એનું અનુસંધાન સામે બેઠેલા મહેન્દ્રસિંહ પરમારના હાસ્યમાં મળ્યું. અભ્યાસક્રમ ઉપરાંતની બાબતો થકી વિદ્યાર્થીઓની રુચિ કેળવવા માટેના તેમના પ્રયત્નોનું આ પરિણામ હતું.
આમ, એક સુખદ સંભારણું લઈને હવે અમે કલા ભવન જવા માટે નીકળ્યા.
(તસવીર સૌજન્ય: મહેન્દ્રસિંહ પરમાર)

Sunday, January 25, 2026

કહત કાર્ટૂન, સુનો ભાઈ કીડ્સ

એમની સાથે પરોક્ષ પરિચય ફેસબુક પરનાં એમનાં લખાણો અને બે પાત્રો દ્વારા. એ પાત્રોમાંનું એક તે પશાકાકા, અને બીજું એ પોતે, એટલે કે સાજિદીયો એટલે કે સાજિદ સૈયદ પોતે. એ પછી તેમને રૂબરૂ મળવાનું બન્યું નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં. નડિયાદથી પચીસેક કિ.મી. દૂર આવેલા ગામ વિંઝોલથી સાજીદભાઈ થોડા વિદ્યાર્થીઓને લઈને સમયસર આવી જાય. એ વિદ્યાર્થીઓ દૂરથી હારબંધ આવતાં દેખાય એટલે અમારા સ્વયંસેવકોમાંથી કોઈક બોલે, 'સાજીદભાઈ આવી ગયા.' એ વિદ્યાર્થીઓને પુસ્તક પરના વાર્તાલાપમાં કેટલો રસ પડે એ મહત્ત્વનું નથી, પણ એ બહાને તેઓ નડિયાદ આવે, આવો કોઈક કાર્યક્રમ જુએ, હરેફરે એ વધુ મહત્ત્વનું. આના માટે એક શિક્ષકની દૃષ્ટિએ વિચારવું પડે. આ કાર્યક્રમમાં અમે મળ્યા. કાર્યક્રમ પછી સૌ જવાની ઉતાવળમાં હોય, પણ સાજિદભાઈ સાથે ઊભા ઊભાય થોડી વાત થાય. એમાં એમણે એક વાર કહ્યું, 'અમારે ત્યાં આવો.' મેં કહ્યું, 'ચોક્કસ. તમે કહો ત્યારે. પણ વક્તવ્ય નહીં. કાર્ટૂન વિશે વાત કરીશું.' એ પછી અમે ફોનથી સંપર્કમાં રહ્યા, પણ અનુકૂળતા ઠેલાતી જતી હતી. આખરે ગઈ કાલે, 24મી જાન્યુઆરીને શનિવારે એ શુભ મૂહુર્ત આવ્યું.

કહત કાર્ટૂન...

આ પ્રાથમિક શાળામાં કાર્ટૂનનો કાર્યક્રમ ચો. 6,7 અને 8નાં બાળકોને ધ્યાનમાં રાખીને કરવાનો હતો. અગાઉ મેં વિદ્યાર્થીઓની અને ગામની પૃષ્ઠભૂમિ વિશે પ્રાથમિક વિગતો પૂછી રાખેલી, જેથી કાર્ટૂનની પસંદગીમાં સરળતા રહે. એ મુજબ કામિની અને હું સવારના સાડા દસ આસપાસ પહોંચી ગયા.
ઉમરેઠથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું વિંઝોલ ગામ અને એમાં એક માત્ર પ્રાથમિક શાળા. પણ શાળામાં એક જીવંત આચાર્ય હોય તો કેવળ શાળાને જ નહીં, ગામ આખાને સામાજિક રીતે સાંકળે એ જોવું હોય તો અહીં જવું પડે.
આગલી મોડી રાતે મેં એમને કાર્યક્રમનું પોસ્ટર બનાવીને મોકલેલું, જેનું શિર્ષક હતું 'કહત કાર્ટૂન...'. સાજિદભાઈએ એ ત્રણ ટપકાંની પાદપૂર્તિ જાતે કરીને પોસ્ટર બનાવ્યું, 'કહત કાર્ટૂન, સુનો ભઈ કીડ્સ.'
શાળાએ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને, ગાઈને અમારું સ્વાગત કર્યું. લાલ જાજમ પર પગ મૂકીને અમે શાળામાં પ્રવેશ્યા. આરંભિક ઔપચારિકતા પછી અમે એ ખંડમાં ગયા, જ્યાં કાર્યક્રમ કરવાનો હતો. બહુ જ અનૌપચારિક રીતે સાજિદભાઈએ મારો પ્રાથમિક પરિચય આપ્યો, પણ હકીકતમાં હું કોથળામાંથી કેવું બિલાડું કાઢવાનો હતો એનો અંદાજ એમનેય નહોતો. એટલે વિદ્યાર્થીઓની સાથે જ, ભોંય પર તેઓ પલાંઠી વાળીને ગોઠવાઈ ગયા. અમસ્તોય આચાર્યપદનો ભાર તેમણે રાખ્યો નથી, એ તો આટલી વારમાં સમજાઈ ગયું હતું, કેમ કે, અમે બે દાદર ચડીને ઊપર પહોંચ્યા એ વખતે રસ્તામાં અનેક વિદ્યાર્થીઓ એમને 'સાજીદસાહેબ' કહીને કશીક ને કશીક વાત કરતા અને સામે સાજિદભાઈ પણ એ દરેકને નામથી સંબોધીને એનો યોગ્ય જવાબ વાળતા.

સાજીદભાઈ દ્વારા પરિચય અને પૂર્વભૂમિકા

આચાર્યપણું મૂકીને વિદ્યાર્થીઓ સાથે જ ગોઠવાઈ ગયેલા સાજીદભાઈ
કાર્ટૂનના કાર્યક્રમમાં મજા એ હોય છે કે એ કેવો 'જઈ રહ્યો છે' એ બાબતે ખાસ ચિંતા ન થાય. વક્તવ્ય હોય તો એ બાબતે અવઢવ રહે કે વાત પહોંચી રહી છે કે કેમ. પણ આમાં તો પડદે કાર્ટૂન દેખાય અને બે-પાંચ સેકન્ડમાં ખડખડાટ હસવાના અવાજ સંભળાય એ જ સંકેત. છોકરાં પોતાની મેળે જે રીતે કાર્ટૂન ઊકેલે એ જોઈ-સાંભળીને મજા આવી જાય. એક- સવા કલાક આ રીતે ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી.

સુનો ભઈ કીડ્સ
કાર્યક્રમ પછી સાજિદભાઈ સાથે આ શાળા, ગામ અને એની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે વાતો થઈ. જે સંવેદનશીલતાથી સાજિદભાઈએ અનેક વાતો ઉઘાડી આપી એ ગજબ હતી. નીકળતાં એક ફળિયામાં અમે એક પરિવારને મળવા ગયા. એ ફળિયામાં પ્રવેશતાં જે રીતે લોકો સાજિદભાઈ સાથે વાત કરતા હતા એ એમના દિલમાં સાજિદભાઈનું શું સ્થાન છે એ સૂચવતું હતું. બહુ હેતુલક્ષિતાથી સાજિદભાઈએ અમને વિગત જણાવી. એ અલગ આલેખનનો વિષય છે, અને એ આલેખન સાજિદભાઈ કરે એ જ બહેતર.
સાડા બાર આસપાસ અમે વિદાય લીધી અને એક મધુર સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ.

Wednesday, January 21, 2026

એ કાળા સાઈનબોર્ડ પર લાલ અને સફેદ અક્ષરે લખાયેલું છે 'રામસે'

 

'રામસિંઘાણી રેડિયો એન્ડ ઈલેક્ટ્રિક કમ્પની' 1947 પહેલાં કરાચીમાં એક સફળ સાહસ હતું. એના ઓફિસ-કમ-શો રૂમના માલિક હતા ફતેહચંદ ઉત્તમચંદ રામસિંઘાણી. પરિવારના સભ્યોમાંથી કોઈ જણાવી શકતું નથી કે એને ચૌદ (અમુક અગિયાર કહે છે) બારણાં કેમ હતાં. એફ.યુ.નું લગ્ન કિશ્ની સાથે થયેલું અને એમનાં નવમાંથી છ સંતાનો કરાચીમાં જન્મેલાં. સૌથી મોટી કમલા. છઠ્ઠા ક્રમના અર્જુનનો જન્મ આ પરિવાર વિભાજન પછી મુંબઈ આવ્યો ત્યાં થયેલો.
એ સમયે આ બાજુનો કે પેલી બાજુનો પ્રદેશ છોડીને હિજરત કરનારા બીજા અનેકોની જેમ રામસિંઘાણી પરિવારે પણ પોતાની મોટા ભાગની સંપત્તિ છોડીને આવી જવું પડેલું. આમ છતાં, એક ચકોર સિંધી વ્યાપારી હોવાને કારણે એફ.યુ. પાસે એટલું તો બચેલું કે મુંબઈ પહોંચ્યા પછી તેઓ કંઈક નવી શરૂઆત કરી શકે. ત્યાં સુધીમાં, તેમણે કરાચીમાં મુખ્યત્વે પોતાના અંગ્રેજ ગ્રાહકોને બોલતાં ફાવે એટલા માટે રામસિંઘાણીને ટૂંકાવીને રામસે કરી દીધું હતું. આથી મુંબઈમાં લેમિંગ્ટન રોડ પર એફ.યુ.એ દુકાન શરૂ કરી ત્યારે તેનું નામ 'રામસે સ્ટુડિયો' રખાયું. એમાં ત્યારની ઘણી લોકપ્રિય બ્રાન્ડ મરફીના એ ડીલર હતા.
એફ.યુ. સંભવત: એક એન્જિનિયર હતા- તુલસી માને છે કે એ રેડિયો એન્જિનિયર હતા.. અર્જુન કહે છે, 'એ દિવસોમાં રેડિયો બહુ મોટી ચીજ ગણાતો. એ બ્રિટીશ દિવસો હતા. પંદર ફીટના મોટાં ડબલાં બનાવાતાં. રેડિયોગ્રામ. મારા પિતાજી એ બનાવવામાં નિષ્ણાત હતા. એમના બધા ગ્રાહકો અંગ્રેજ હતા. એ લોકો 'મિસ્ટર રામસે, મિસ્ટર રામસે' કહીને બોલાવતા, કારણ કે એમને 'રામસિંઘાણી' બોલવામાં મુશ્કેલી પડતી. આથી બની ગયું 'રામસે'. મને નથી લાગતું કે ભારતભરમાં બીજો કોઈ રામસે પરિવાર હોય. દાદાએ વિભાજન પહેલાં જ પોતાની અટક અધિકૃત રીતે બદલી નાખી હતી, પણ અમારી દુકાન હજી 'રામસિંઘાણી' તરીકે ઓળખાતી. અમે બધા જ ભાઈઓ 'રામસે' હતા, અમારા જન્મ પ્રમાણપત્રમાં પણ. આથી અમે મુંબઈ આવ્યા ત્યારે દુકાનનો આરંભ રામસિંઘાણીના નામે નહીં, પણ'રામસે'ના નામે થયો. ખરેખર તો 'રામસે' એક હુલામણું નામ છે, જેમ 'સીપ્પી' એ સિપાહીમાલાણીનું ટૂંકું નામ છે.


એ કલ્પના કરવી સહેલી છે કે લેમિંગ્ટન રોડ પરનું એ ત્રણ મજલી મકાન પર એક સમયે ઘણી ચહલપહલ રહેતી હશે. 'આ બધાની શરૂઆત ત્યાંથી થઈ.' તુલસી કહે છે. ઘરના આગળના ભાગમાં એક મોટું વૃક્ષ છે. રામસેની ફિલ્મોમાં દેખાડાયેલાં મકાનો જેટલું જ એ જૂનું. 1994થી અર્જુનના પરિવાર સિવાય કોઈ ત્યાં રહ્યું નથી. અને એ લોકો પણ એક જ માળ વાપરતા- પહેલો માળ. બાકીનું મકાન તાળાબંધ છે. આસપાસ નવાં બાંધકામ થઈ ગયાં છે, જેની વચ્ચે આ મકાન સાવ જૂનુંપુરાણું જણાય છે. ભોંયતળિયે આવેલી ઓફિસે તાળું છે અને પ્રોપ, માસ્ક તેમજ કોસ્ટ્યુમ જેવાં સાધનો મલાડના જૂના ગોડાઉનમાં ખસેડાઈ ગયાં છે. લેમિંગ્ટન રોડ પરની આ ઈમારતનાં બંધ બારણાં પાછળ કશું થઈ શકે એવો અવકાશ જ નથી. મોટા ભાગની ચીજવસ્તુઓ ઢગલામાં ખડકાયેલી છે.
બે મોટાં સાઈનબોર્ડ પૈકીના એક પર - કાળા પર લાલ અને સફેદ અક્ષરે- લખાયેલું છે 'રામસે'. બીજામાં 'રામસે ફિલ્મ્સ' લખાયેલું છે. 'અહીં ખાસ કશું નથી. કેવળ અર્જુન અને તેનો પરિવાર. બધા ચાલ્યા ગયા છે. બધું અસ્તવ્યસ્ત છે. આમતેમ વિખરાયેલું.' તુલસી નાટ્યાત્મક પોઝ લઈને કહે છે, 'ફિલ્મ સમાપ્ત થઈ ગઈ છે.'
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

Tuesday, January 20, 2026

રામસેને ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટની જરૂર નહોતી.

 - શ્યામ રામસે

'હું એક્ટરોનો ડિરેક્ટર છું.' શ્યામ (રામસે) તદ્દન વાસ્તવિક ઢબે કહે છે.
બધું ધ્યાને લેતાં, પોતાની ફિલ્મોના મૂલ્યાંકન સુદ્ધાંને ધ્યાનમાં રાખીને શ્યામ અને તેમના ભાઈઓ અભિનયને ખાસ મહત્ત્વ આપતા નથી. તેઓ ઈચ્છે તો પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી રીટેક નહીં લેવાની નીતિ જાળવી રાખી છે. તેનો અર્થ એ કે ક્યારેક કોઈ અભિનેતાને લાગે કે પોતે હજી બહેતર કરી શકે એમ છે, તો પણ એના માટેનો અવકાશ નહોતો.
શ્યામ માને છે કે બિનઅભિનેતાઓ પાસેથી પોતાના ભાઈઓ જે કંઈ (અભિનય) કરાવી શક્યા એ મોટે ભાગે તેમને અભિનય શીખવવાના પોતાના પ્રયાસોને લઈને. ખરેખર મુંબઈમાં કોઈ બહારથી આવે તો એ કંઈ તૈયાર કે તાલીમ લઈને ન આવ્યા હોય. એ દિવસોમાં મોટા ભાગે થિયેટર હોલના અંધારામાં બચ્ચન, ધર્મેન્દ્ર અને મિથુન ચક્રવર્તીને જોઈ જોઈને તેઓ પ્રેરાયા હોય. ઊપરાંત ગ્લેમરના વિશ્વનું આકર્ષણ, પેલા લોકો મુંબઈ આવી ગયા અને સફળતાને વર્યા વગેરે જેવી જાણકારી. સફળતાની આ ગાથાઓ સામે નિષ્ફળતાની અનેક કથનીઓ તેમણે અવગણી હોય. મોટા ભાગે આવા લોકો મુંબઈ આવે ત્યારે તેમની પાસે ખાસ નાણાં પણ ન હોય, આથી એક્ટિંગ ક્લાસ તેમને પોસાય નહીં. એવા બહુ વર્ગો હતા પણ નહીં એ અલગ વાત છે. આથી કોઈ પણ ભોગે તેમને આરંભ માટે એક તક જોઈતી હોય.
'મને હંમેશાં અભિનયનું આકર્ષણ રહ્યું છે.' શ્યામ કહે છે, ' પછી હું ઉર્દૂ પણ શીખ્યો, જેથી હું અભિનેતાઓને સંવાદોમાં મદદ કરી શકું. મારું ફોકસ એ હતું. હું અભિનેતાઓને અભિનય કરાવતો. શૂટના એ દિવસોમાં હું નવા અભિનેતાઓ સાથે રોજેરોજ બેસતો અને પછીના દિવસની સિક્વન્સ સમજાવતો. દૃશ્યો હું ભજવી બતાવતો; તેમના વતી હું ભાવ પ્રગટ કરતો. મને લાગે છે કે એનાથી એમનું કામ સરળ થઈ જતું. તેમણે પોતે શું કરવાનું છે, શી રીતે કરવાનું છે એનો તેમને બરાબર ખ્યાલ આવી જતો.
આ એટલા માટે પણ જરૂરી હતું કે રામસેને ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટની જરૂર નહોતી.
ગંગુ (રામસે) સમજાવે છે: 'યુવાન અભિનેતાઓનો દેખાવ કેવો હોવો જોઈએ એ બાબતે અમારા મનમાં ચોક્કસ ખ્યાલ હતો. તેઓ આવા કે તેવા દેખાવા જોઈએ, તેમનું ફીગર કે શરીર અમુક રીતનું હોવું જોઈએ. એટલું જ મહત્ત્વ હતું. આથી સ્ક્રીન ટેસ્ટ ખરું જોતાં તો પડદા પર તેઓ કેવા દેખાશે એ કેમેરામાંથી જોવા પૂરતી જ કવાયત હતી.'
સુરેન્દ્ર કુમાર હોય કે મોહનીશ બહલ, ઓડિશન પણ હોઈ શકે એટલા પ્રાથમિક સ્તરના રહેતા. મુખ્યત્વે તુલસી અને બીજા નવાં છોકરા છોકરીઓને લાવતા, અને કુમાર તેમજ ગંગુ બેસીને નિર્ણય લેતા. 'ક્યારેક હું તેમને કેમેરામાંથી જોતો, પણ કદી તેમને શૂટ કરતો નહીં.' ગંગુ કહે છે. (આરતી) ગુપ્તાની ઘઉંવર્ણી ત્વચાને કારણે તેમને કેવી ચિંતા થઈ હતી એ સમજાવે છે. પુરુષો માટે એ સમસ્યા નહોતી, પણ હિન્દી ફિલ્મોમાં સ્ત્રીઓ માટે એ મુશ્કેલી હતી. 'પણ તે બહુ સુંદર હતી. પૂર્ણ હતી.'
એ પછી શ્યામ તેમના કૌશલ્યને ચકાસતા અને તેમને કામ શીખવતા. 'હું એની પર કેન્દ્રિત કરતો, અને અમે આગલી રાતે શૂટિંગ પહેલાં, એ સિક્વન્સનું પ્રાથમિક રિહર્સલ કરતા. '
તો શ્યામજી, તમે જેમની સાથે કામ કર્યું હોય એ પૈકી તમને સૌથી વધુ ગમતું કોણ?
જવાબ આપતાં અગાઉ શ્યામ પોતાના હોઠ પર જીભ ફેરવે છે. આ જવાબ તેમણે અનેક વાર વિચારેલો છે. 'સચીનથી શરૂઆત થાય. 'ઔર કૌન?'માં હજી તે પોતાની જાતને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તે એટલો આત્મવિશ્વાસુ હતો, અને તેથી નિયંત્રણમાં હતો. તેણે અમારા માટે મોટું કામ કર્યું. ઈમ્તિઆઝ માટે પણ મારે આવું કહેવાનું થાય. એ જાણીતો અભિનેતા નહોતો, પણ અભિનય તેના ડી.એન.એ.માં હતો. બિચારો વધુ ફિલ્મો ન કરી શક્યો, પણ તે બહુ સરસ હતો, પોતે જે કરવાનું છે એ ઝડપભેર સમજી જતો હતો, અને એની સ્ક્રીન પ્રેઝન્સ જબરી હતી.
'ઓમ શિવપુરી સૌથી ઉત્તમ પૈકીના એક. એ મંજાયેલા અભિનેતા હતા; થિયેટરનો અનુભવ હતો, અને એક ધુરંધર કલાકાર હતા. હિન્દી સિનેમાના શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા પૈકીના એક. એવા જ 'વીરાના'માં કુલભૂષણ ખરબંદા. શું એમનું વ્યક્તિત્વ! 'વીરાના'માં રાજેશ વિવેક પણ હતા, એ પણ અદ્ભુત કલાકાર. જો કે, તેમને બહુ તક ન મળી. વિદ્યાસિંહાએ પણ 'સબૂત'માં સરસ કામ કરેલું. એ સાવ અલગ હતાં.
(વિષ્ણુવર્ધનને ચમકાવતી રામસે બ્રધર્સની
 ફિલ્મ 'ઈન્સ્પેક્ટર ધનુષ'નું પોસ્ટર)


'અમે સદાશિવ અમરાપુરકર સાથે પણ ફિલ્મો કરી. કેટલા અદ્ભુત અભિનેતા! અમારું ટ્યુનિંગ મસ્ત હતું- અમે સાથે સરસ કામ કર્યું. સુરેશ ઓબેરોય, ગુલશન ગ્રોવર, રણજીત, શક્તિ કપૂર- આ બધા સરસ અભિનેતાઓ હતા. નવિન નિશ્ચલ અને વિનોદ મહેરા પણ.
'પણ જે સર્વશ્રેષ્ઠ અભિનેતા સાથે મેં કામ કર્યું એ છે વિષ્ણુવર્ધન. એ માણસ માસ્ટર હતો. કન્નડ સિનેમામાં એમનું સ્થાન દંતકથારૂપ, અને એ બહુ બ્રિલીઅન્ટ હતા. અભિનયનો કક્કો એમને ખબર. એમને સિકવન્સ જણાવીએ એ જ ઘડીએ એમને ખ્યાલ આવી જાય કે પોતે શું કરવાનું છે. અને એ કદી એમાં પાછીપાની ન કરે. મેં જોયેલાઓમાં એ સર્વોત્તમ છે.'
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

Monday, January 19, 2026

દૈત્ય કંઈ ચાર પગવાળો ન હોય, પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ.

- શ્યામ રામસે

રામસેની ફિલ્મોના દૈત્ય તરીકે સૌથી જાણીતું નામ એટલે અજય અગ્રવાલ. ફિલ્મ બનાવનારા અને પ્રેક્ષકો બન્નેમાં એ પ્રિય. પણ રામસેની ફિલ્મોમાં કામ કરનાર એ એક જ એવા હતા એમ નહોતું.
એક શમસુદ્દીન હતા, જે સામાન્ય રીતે મુખ્ય ધારાની ફિલ્મોમાં વીલનના સાગરીતની ભૂમિકા કરતા. તે 'તહખાના', ડાક બંગલા', 'વીરાના' અને 'શૈતાની ઈલાકા'માં દૈત્ય તરીકે જોવા મળ્યા. (ક્રિસ્ટોફર) ટકરે બનાવેલા માસ્ક પહેરીને એ અક્કડપણે ચાલતા અને સૌને ધ્રુજાવી દેતા. રામસેની ફિલ્મોમાં દેવકુમારે કરેલું એ જ રીતે. દેવકુમારની એ પ્રકારની શ્રેષ્ઠ ફિલ્મ એટલે 'દહશત'. એ ફિલ્મમાં દેવકુમારનું પાત્ર એક ભયાનક દેખાવવાળા, મૂંગા માણસનું હતું, જે હત્યારો નીકળે છે.
"દરેક ફિલ્મમાં અમે એની એ વ્યક્તિને લઈ શકીએ નહીં. અજય અગ્રવાલ અદ્ભુત હતા, તો દેવકુમાર અને શમસુદ્દીન પણ એવા જ હતા. અમે 'વીરાના' ફિલ્મમાં ગોરીલા (વાનર નહીં, એ નામના અભિનેતા)ને પણ લીધેલા." શ્યામ (રામસે) કહે છે: "પૃથ્વીરાજ કપૂર ખાસ્સા ભારેખમ હતા. ક્રિસ્ટોફર ટકર પાસેથી અમે ખરીદેલો માસ્ક પહેરીને તેમણે 'એક નન્હીં મુન્ની લડકી થી' ફિલ્મ કરેલી. ક્રિસ્ટોફર લી કે બોરિસ કાર્લોફ જેવા અભિનેતાઓ પણ લાંબા અને પડછંદ હતા. મમી કરેલા દેહ બધા મોટા રહેતાં. એ અલગ જ તરી આવે. બિહામણાં દેખાય, વિશાળ કાયા, ઊંચા...ડબલ્યુ, ડબલ્યુ.એફ.ના કુસ્તીબાજોને જુઓ; એમનું વ્યક્તિત્ત્વ મહત્ત્વનું છે, એ એકદમ ઘાતક દેખાય છે. પણ બધાં જ ખરાબ પાત્રો ભારેખમ હોય એ જરૂરી નથી. દૂબળુંપાતળું હાડપિંજર પણ બિહામણું હોઈ શકે. વિષય પર આધાર. દૈત્ય કંઈ ચાર પગ ધરાવતો ન હોય. પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ."
રામસે બંધુઓએ પોતાના દૈત્યોના પ્રયોગોને વિશાળ કાયા પૂરતા મર્યાદિત ન રાખ્યા. એવા લોકોની અભિનયક્ષમતાનો કદી યોગ્ય ઉપયોગ થયો નહીં. 1970 અને 1980ના દાયકામાં વીલન તેમજ ચરિત્ર અભિનેતા તરીકે અદ્ભુત અભિનય કરનાર ઓમ શિવપુરીને પણ લેવામાં આવેલા. 1981ની ફિલ્મ 'દહશત'માં તેઓ ડૉ. વિશાલની ભૂમિકામાં હતા- એક એવા વિજ્ઞાની કે જેમની પત્ની એમને વિષનું દ્રાવણ પાય છે, અને વિષની અસર થતાં ઓમ શિવપુરીનો ચહેરો અને શરીર વિકૃત થવા લાગે છે, રૂપાંતર પામે છે, અને છેલ્લે ક્લોઝ અપમાં ટકરે બનાવેલા પ્રાણીના માસ્કવાળો ચહેરો બતાવાય છે. એમની પત્નીની ભૂમિકા નાદિરાએ કરેલી. આવું સ્વરૂપાંતર (મેટામોર્ફોસિસ) ગુણવત્તાની દૃષ્ટીએ ઉતરતું કહીને કાઢી નાખી શકાય, પણ રામસે બંધુઓએ પોતાની જુગાડ શૈલીએ એને બહુ જટિલ અને નોંધપાત્ર બનાવેલું. ઓમ શિવપુરીના વ્યાવસાયિક અભિગમની પ્રશંસા કરવી પડે. એમના જેવા મંજાયેલા અને લોકપ્રિય અભિનેતા આવું બધું દર્દ વેઠવાની ના પાડી શક્યા હોત.


"માનવનું પશુમાં થતું સ્વરૂપાંતર- અમારે એ પ્રક્રિયા દેખાડવાની હતી. એ પાછળ ફરે અને પછી એનો ચહેરો બદલાઈ જાય એવું અમે દેખાડી ન શકીએ. ઘણી ફિલ્મોમાં અમે દૈત્યો, ચિત્રવિચિત્ર પ્રાણીઓ દેખાડેલાં, પણ આ કિસ્સામાં અમારે એક સામાન્ય માણસનો ચહેરાનો દેખાવ વિષની અસરને લીધે બદલાઈ જતો બતાવવાનો હતો. એનો ચહેરો જ, શરીર નહીં." તુલસી (રામસે) સમજાવે છે.
આરંભથી લઈને છેક સુધીનો મેક અપ કરતાં પાંત્રીસ કલાક થયા. મેક અપ કે માસ્ક કરી દેવાથી કામ પૂરું નહોતું થઈ જતું. પણ સ્વરૂપાંતરનો એકે એક તબક્કો બતાવવાનું (રામસે) ભાઈઓએ નક્કી કરેલું. આથી ઓમ શિવપુરીએ આટલા સમય માટે સળંગ એક ટેબલ પર ચત્તા સૂઈ રહેવું પડતું. એ પછી ગંગુ (રામસે) અને કેશુ (રામસે) સીંગલ ફ્રેમ શૂટ કરતા, દરેક ફિલ્મને પ્રતિ સેકંડ ચોવીસ ફ્રેમથી એક્સપોઝ કરતા.' ગંગુએ યાદ કરતાં કહ્યું. એ મુવી કેમેરાથી કરાતું, પણ 'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' થતું. તુલસીએ ઉમેરણ કરતાં કહ્યું. "અમે ટપકાં કરતા અને શૂટ કરતા. કોઈ ગ્રાફિક્સ નહીં. ચહેરાનો એકે એક ઈંચ સ્પોટ બાય સ્પોટ બદલાતો. અમે એ હાથે જ કરેલું.'
'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' - એ વાત સાચી. કેમ કે, એમ ન થાય તો કેમેરાના આંચકા આવે અને આખી વાત બગડી જાય.



('દહશત'ના સેટ પર દૈત્ય બનેલા ઓમ શિવપુરી સાથે રામસે બંધુઓ)


છેક છેલ્લે માસ્ક આવે. તુલસીએ આ પ્રક્રિયા અને તેમાં લાગેલા સમયની વાત કરી ત્યારે આખો પ્રોજેક્ટ માન્યામાં ન આવે એવો જણાયો. "માસ્ક વિશેષ હતા." અર્જુન (રામસે) જણાવે છે. "સ્પેશ્યલ લેટેક્સના. આથી ચહેરાના હાવભાવ પડદા પર બરાબર દેખાય. એ માસ્ક જેવું ન લાગે. પાત્રનો જ એ ચહેરો છે એમ જણાય."
અને ઓમ શિવપુરી? 'એ વિશેષ અભિનેતા હતા, એક મહાન અભિનેતા.' તુલસીએ કહ્યું.
બધું જ વિશેષ હતું. તમે 'દહશત' ન જોઈ હોય તો ફક્ત દેવ કુમારના રૂપાંતર માટે જોજો. શમસુદ્દીને પોતાનો ભાગ મસ્ત રીતે કર્યો છે, છતાં એવી દલીલ કરી શકાય કે એના ભાગે અગ્રવાલની જેમ ખાસ કશું કરવાનું નહોતું. અગ્રવાલ થકી રામસે બંધુઓએ જાદુ કર્યો હતો. એમનો એ સૌથી મહાન દૈત્ય- માનવ. એ એક જ એવા હતા કે જેને ટકરની મદદની જરૂર નહોતી.

(વિશેષ નોંધ: મુંબઈસ્થિત ફિલ્મઈતિહાસકાર મિત્ર શિશિરકૃષ્ણ શર્માએ લીધેલી અનિરુદ્ધ અગ્રવાલની મુલાકાત અહીં ક્લિક કરીને વાંચી શકાશે. અનિરુદ્ધ અગ્રવાલ અજય અગ્રવાલ તરીકે પણ ઓળખાય છે.)
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

(તસવીરો નેટ પરથી) 




Friday, January 16, 2026

મુર્દે ને પકડ લિયા

 ફિલ્મના નિર્માણ વિશે તુલસી અને અર્જુન સાવ અલગ, પણ એકસરખી બિહામણી કથાઓ જણાવે છે. બન્ને કથાઓ યોગ્ય રીતે જ મહાબળેશ્વરના કબ્રસ્તાનમાં આકાર લે છે. એ કબ્રસ્તાનનો હવાલો સંભાળતા ચર્ચના ફાધર પાસેથી તેમણે પરવાનગી લીધેલી. એક દૃશ્યાવલિ માટે તેમણે જમીનમાં ખોદવાનું હતું. વટેમાર્ગુઓને કે બીજા કોઈને એટલે કે જમીનમાંના મૃતદેહોને કશી હાનિ ન પહોંચે એવું ખોદવાનું સ્થળ શોધવામાં તેમને સ્થાનિકોએ મદદ કરી. 'ડોન્ટ ડિસ્ટર્બ ધ ડેડ'- અર્જુને નાટ્યાત્મક રીતે પોતાની આંખો પહોળી કરીને કહ્યું. અમારી વાતચીતમાં ઘણી વાર તેમણે આવું કરેલું.

તુલસીના જણાવ્યા અનુસાર: 'લોકો ખોદકામ કરી રહ્યા હતા, અને અચાનક તેમને એક અડધો મૃતદેહ મળ્યો. હાડપિંજર નહીં, પણ શરીર.' ત્યાં ઉપસ્થિત સહુ કોઈ ગભરાઈ ગયા એ તો ખરું જ, પણ જોતજોતાંમાં ગામવાળાઓ આના વિરોધમાં ઊભા થઈ ગયા. અમારા માટે મુસીબત ઊભી કરવાની અને શૂટિંગમાં અવરોધ નાખવાની તેમણે ધમકીઓ આપી. 'એમને અમે ટાઢા પાડ્યા, ફાધર સાથે મળીને અમે પ્રાર્થના કરી અને એ કબર પર મીણબત્તીઓ સળગાવીને મૃતદેહને પાછો કબરમાં મૂકીને તેને યોગ્ય રીતે દફનાવ્યો.'
અર્જુનની વાત શૂટિંગના પછીના દિવસની છે. તેમણે કહેલું, 'એ દિવસે અમે પેક અપ કરી દીધેલું. મને યાદ છે ત્યાં સુધી વહેલી સવારના ત્રણ વાગેલા. બાકીના બધા જતા રહેલા, પણ ક્રૂના સભ્યો વાયર, કેબલ અને બીજી સામગ્રી ભેગી કરી રહ્યા હતા. અર્જુન (એ પોતાની જાતને ત્રીજા પુરુષમાં સંબોધે છે) આ બધી કામગીરી પર નજર રાખી રહ્યો હતો. તેણે કારની ડીકીમાં મૂકેલા આઈસ બોક્સમાંથી બીઅર કાઢ્યો અને પીવા બેઠો. વાતાવરણ સહેજ ડરામણું હતું. એમ લાગવું એ માનવસહજ પ્રકૃતિ છે. રાતનાં પંખીઓ જાતભાતના અવાજ કાઢી રહ્યા હતા અને ઠંંડો પવન વાતો હતો. અચાનક મારા કાને ચીસાચીસ પડી. એક જણ બૂમાબૂમ કરી રહ્યો હતો, 'મુર્દે ને પકડ લિયા, મુર્દે ને પકડ લિયા.' હું એ સ્થળે દોડ્યો. હું બહુ ડરી ગયો હતો. પણ કંઈ થયું નહોતું. એ માણસના હાથમાં એક ભારેખમ લાઈટ હતી- પચીસેક કિલોની. એ હાથમાંથી સરકી ગઈ હતી, અને એનો પગ કબરમાં પડ્યો હતો. એમાં એક શબપેટી હતી, પણ જૂની. એ માણસના પોતાના વજનને કારણે તેનો પગ એ પેટીમાં પેસી ગયો હતો અને તેને લાગ્યું કે શબે તેને ઝાલ્યો છે.'
તુલસી અને અર્જુન સાથે વાત અલગ અલગ થઈ, પણ વાત કરતાં કરતાં સાઉન્ડ ઈફેક્ટ સાથે કહેવાની તેમની શૈલી એક સમાન હતી. અર્જુન કરતાં તુલસીની વધુ.
તુલસી વાત કહે, ખાસ કરીને ડરામણી વાત, ત્યારે તેમની આંખો ઉષ્માસભર અને મલકાતી રહેતી. 'શ....શ...' એમ એ બોલે ત્યારે એમના હોઠ સંકોચાતા. વૃક્ષોમાંથી કે પાંદડામાંથી પસાર થતા પવન વિશે તેઓ કહે ત્યારે એમના હાથ ધીમે ધીમે ફેલાતા. અર્જુન પણ આમ જ કરતા. ઠક..ઠક..ઠક. તુલસી પગરવનું વર્ણન કરતાં અવાજ કરતા. વ્હૂ....વ્હૂ...વ્હૂ...- ભારેખમ શ્વાસનો અવાજ, એ શ્વાસ લેતા અને પછી છોડતા. તેમના હાથ લયબદ્ધ રીતે હાલતા અને આંખો સંકોચાતી, ને પહોળી થતી. એમાં ખેંચાઈ જ જવાય. તેઓ જાણતા હતા કે યોગ્ય વાતાવરણ શી રીતે ખડું કરવું- પડદા ઊપર તેમજ પડદાની બહાર પણ.

(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)