રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.
Palette
અનેક રંગોની અનાયાસ મેળવણી
Friday, July 10, 2026
તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે
Thursday, July 9, 2026
'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી
રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.
Wednesday, July 8, 2026
પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?
રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.
Tuesday, July 7, 2026
દોસ્તી ખરી, પણ સૌજન્યમાં મસ્તી નહીં
સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.
Monday, July 6, 2026
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના
રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!
Sunday, July 5, 2026
MAD પુરાણ (22): આંકડા
આંકડા કદી અસત્ય ન બોલે. વાત તો સાચી. અને આ કારણથી જ વિવિધ જાહેરખબરો એક યા બીજી રીતે આંકડાઓનો આશરો લઈને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. પણ આ આંકડા પાછળનું સત્ય સમજવા જેવું છે, જે અહીંં 'મેડ' સમજાવવા પ્રયત્ન કરે છે. સર્વેક્ષણના આંકડા સાચા તો હોય, પણ તે કઈ પરિસ્થિતિમાં લેવાયેલા હોય છે એ જાણવાની મઝા આવે એવું છે. મઝા તો ખરી જ, સાથે આપણે જે આંકડાઓ પર ભરોસો મૂકીને અમુક વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે કેવા મૂર્ખ બનીએ એ પણ ખ્યાલ આવે છે.
Saturday, July 4, 2026
MAD પુરાણ (21): ડેથ ઓન અરાઈવલ
D.O.A. એટલે કે Dead On Arrival શબ્દાર્થમાં કહીએ તો- આગમન વેળા જ મૃત્યુ પામેલું. એટલે કે દવાખાને આગમન થયું ત્યારે જ તેનું મૃત્યુ થઈ ચૂકેલું. કોઈ ચીજ આપણને મળે એ વખતે નકામી સ્થિતિમાં હોય ત્યારે પણ રૂઢ અર્થમાં તે વપરાય છે. પણ 'મેડ'ના આ વિભાગમાં તેનો ઉપયોગ એકદમ શબ્દાર્થમાં કરાયો છે. વાત છે 'મોર્ગ'ની, કે જ્યાં નવાગંતુક તરીકે માત્ર ને માત્ર શબનું જ આગમન થાય છે. 'એકથી બે ભલા' સાથે સામ્ય ધરાવતી અંગ્રેજી કહેવત 'The more the merrier'ને મરડીને આ વિભાગનું નામ 'The Morgue the merrier' રાખવામાં આવ્યું છે. આ વિભાગના સર્જક છે ડક એડવિંગ, જેમની સહી તરીકે અલગ અલગ મુદ્રાઓ ધરાવતા બતક (ડક)નું ચિત્ર હોય છે.