Wednesday, February 11, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-28): ચાઉમાઉનો લોકશાહીપ્રેમ

ચાઉમાઉને વાચન બહુ ગમતું. આથી તેણે ચીનની દરેક શાળાઓમાં 'વાચનોત્સવ' ચાલુ કરાવ્યો હતો. આ ઉત્સવનું મહત્વ ભાવનાત્મક હતું, આથી શાળામાં આવતાં દરેક બાળકો પોતાની બન્ને હથેળીઓ હાથમાં પુસ્તક પકડ્યું હોય એવી મુદ્રામાં ખુલ્લી રાખતા. આશય એટલો કે લોકો વાચનના મહત્વને પિછાણે. નાનો હતો ત્યારથી ચાઉમાઉ કોલેજમાં જતો. કેમ કે, કોલેજમાં વડનાં ઝાડ બહુ હતા. અને એની પર વાંદરાં કૂદાકૂદ કરી મૂકતા. ચાઉમાઉના ખાસ કોઈ જોડીદાર હતા નહીં, આથી તે વાંદરાઓને જોયા કરતો. આગળ જતાં ચાઉમાઉ ચીનનો શાસક બન્યો ત્યારે તેણે અનેક વાર કહેલું કે પોતે નાનપણથી કોલેજ જતો હતો. ઘણા લોકો આ બાબતે શંકા કરતા, અને પૂછતા કે કોલેજનું કોઈ પ્રમાણપત્ર હોય તો બતાવો. પણ કોલેજમાં આવેલાં વડના ઝાડ પર કૂદાકૂદ કરતા વાંદરાં જોવાનાં કંઈ પ્રમાણપત્ર હોય? જો કે, ધીમે ધીમે ચાઉમાઉને આવા સવાલ પૂછનારા અદૃશ્ય થતા ગયા. ચીનની શાળાઓમાં ભણાવાતા ઈતિહાસનાં પ્રશ્નપત્રોમાં આ વાત સાત માર્કની ટૂંકનોંધ તરીકે પૂછાવા લાગી, એટલે ચીનનાં બચ્ચેબચ્ચાને ખબર પડી ગઈ કે ચાઉમાઉ નાનો હતો ત્યારથી કોલેજ જતો થઈ ગયેલો.

ચાઉમાઉ પોતે લોકશાહી વિચારધારામાં માનતો હતો. દરેક નિર્ણય તે સર્વાનુમતે લેતો. કોની મગદૂર હતી કે ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપે? પણ એક મહાશય હતા, જે વયોવૃદ્ધ હતા. તેઓ કહેતા, 'મને ચાઉમાઉની તો ઠીક, એના પિતાશ્રીનીય બીક નથી.' આમ કહેવાનું કારણ એ કે ચાઉમાઉના પિતાશ્રી વરસો અગાઉ ડ્રેગનલોકવાસી થયેલા. ચાઉમાઉએ વિવિધ બાબતે નિર્ણયો લેવા સમિતિઓ બનાવેલી. એમાં આંગળી ઊંચી કરીને મતદાન થતું. પેલા વયોવૃદ્ધ મહાશય સદાય ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપતા, જ્યારે બાકીનાઓ ચાઉમાઉની તરફેણમાં. બાકીનાઓને પછી ખબર પડેલી કે પેલા વયોવૃદ્ધ નેતાને ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપવા બદલ તગડા યેન મળતા હતા. કારણ એટલું જ કે ચાઉમાઉ માનતો કે તમામ નિર્ણયો લોકશાહી ઢબે જ લેવાવા જોઈએ અને ભિન્ન મતનો આદર કરવો જોઈએ. આદર આપવાની આનાથી વધુ બહેતર રીત શી હોઈ શકે!
આમ, લોકશાહી ઢબે ચાલતા ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર હતી.

Tuesday, February 10, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-27): ચાઉમાઉના દેશમાં રોકેટરમત

ચાઉમાઉ અતિ ગંભીર પ્રકૃતિનો શાસક હતો. પોતાના દેશમાં હોય ત્યારે તે એવો ઘુવડગંભીર રહેતો કે જોનારને એમ જ લાગે કે આ માણસ જન્મ પછી કદી હસ્યો જ નહીં હોય. પણ ચાઉમાઉ વિદેશયાત્રાએ જાય, અને વિદેશી શાસકો ને હળેમળે ત્યારે ખડખડાટ હસતો, ટુચકાઓ કહેતો, સામેવાળાને તાળીઓ મારતો. એ જોનારને એમ જ લાગે કે જન્મથી જ આ માણસ આવો ખડખડાટ હસતો હશે. ચીનાઓને મન આ એક ગંભીર કોયડો હતો. તેમને સતત એમ થતું કે શું પોતાની રમૂજવૃત્તિમાં કશી કસર છે? કે દેશવાસીઓની ભાષા એવી થઈ ગઈ છે કે સમ્રાટ સદાય ગીધગંભીર રહે છે!

જે ચીનાઓ વિદેશમાં વસવાટ કરતા હતા એમણે નોંધ્યું કે ચાઉમાઉ વિદેશમાં આવે ત્યારે એણે દુભાષિયો રાખવો પડે છે. એનો મતલબ એવો કે વિદેશી ભાષાઓ ચાઉમાઉને સમજાતી નથી. પણ તેમણે એય નોંધ્યું કે ચાઉમાઉ કોઈ વિદેશી શાસક સાથે મળીને અટ્ટહાસ્ય કરે કે ટુચકાની આપ-લે કરે ત્યારે એમને કોઈ દુભાષિયાની જરૂર હોતી નથી. આનો એક અર્થ એવો કરી શકાય કે વિદેશી શાસકોને ચીની ભાષા આવડતી હોય એમ બને. પણ એ શક્ય નહોતું. કેમ કે, ચીની ભાષા હજી ચીનાઓને જ પૂરેપૂરી ન આવડી હોય તો વિદેશીઓને ક્યાંથી આવડવાની? આ જ કારણે ચીનાઓને ચાઉમાઉ માટે અહોભાવ હતો. તેઓ ગંભીરતાથી માનતા કે 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ.'
કેટલાક ઈતિહાસકારોએ શોધી કાઢ્યું કે અસલમાં ચાઉમાઉમાં રમૂજવૃત્તિ જન્મજાત હતી અને શાળાકાળથી તે પૂરેપૂરી ખીલેલી હતી. શાળામાં પણ તે કોઈ સહાધ્યાયીને આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જો, રોકેટ જાય.' બાજુવાળો આકાશ સામું જોઈને રોકેટ શોધવા ફાંફા મારે કે તેને ચાઉમાઉનું અટ્ટહાસ્ય સંભળાતું. આવી તો અનેક મૌલિક તરકીબો ચાઉમાઉએ વિકસાવેલી, જે તેને શાસક બન્યા પછી બહુ કામમાં આવી.
ક્યારેક કોઈક નિષ્ણાત મંત્રી જણાવે કે 'નામદાર, આપણે શિક્ષણનીતિ વિશે વિચારવું જોઈએ.' ત્યારે ચાઉમાઉ આકાશ તરફ આંગળી ચીંધીને તેને કહેતો, જો, પેલું રોકેટ જાય.' મંત્રીઓ શરૂ શરૂમાં ઠાવકા રહેતા અને આકાશ સામું જોયા વિના કહેતા, 'નામદાર, હજી રોકેટની શોધ થઈ જ નથી.' પણ એ વખતે ચાઉમાઉ આકાશમાં જોઈને ડાફોળિયાં મારતો અને બોલતો, 'અલ્યા, હમણાં તો જોયેલું. ક્યાં સંતાઈ ગયું પાછું? હા...આ...આ. પેલો હાથી વચ્ચે આવી ગયો લાગે છે.' મંત્રીઓ સપાટ સ્વરે કહેતા, 'નામદાર, આકાશમાં હાથી ન હોય.' ચાઉમાઉ તેમની સામે જોયા વિના આકાશમાં જ તાકી રહેતો અને કહેતો, 'હાથી ક્યાં જતો રહ્યો? પે...લ્લી એની પૂંછડી દેખા..આ..આ..ય! હત્તેરી કી. એય ગુલાબ પાછળ ઢંકાઈ ગઈ.' આમ, રોકેટ હાથી પાછળ, હાથી ગુલાબ પાછળ, ગુલાબ ગધેડા પાછળ અને ગધેડું સફેદ વાદળ પાછળ ખોવાઈ જતું. આટલી વાર સુધી પેલા મંત્રીઓ ઊભા રહી શકતા નહીં.
ધીમે ધીમે ચાઉમાઉએ એવા મંત્રીઓને જ તગેડી મૂક્યા. તેણે એવા મંત્રીઓની ભરતી કરી કે જે ચાઉમાઉનું કોરસ બની રહે. અર્થાત્ ચાઉમાઉ એક વાક્ય બોલે અને પેલા લોકો એને ઝીલે. જેમ કે, 'અલ્યા, જો પેલું રોકેટ!' એ સાથે જ પેલા મંત્રીઓ કહેતા, 'મારું બેટું કેટલું ફાસમફાસ જાય છે હેં! અહાહા, અને ધુમાડા તો જો! એકદમ સફેદ. જાણે વાદળમાં દેખાય જ નહીં!'
જો કે, હવે ચાઉમાઉને કોઈ સાચી વાત કહેનાર રહ્યું નહીં, એટલે 'જો, પેલું રોકેટ!'ની રમત રમવાની જરૂર નહોતી. પણ એક રમત લેખે લોકોને એ એટલી બધી ફાવી ગઈ હતી કે એકે એક ચીનાએ એને અપનાવી લીધેલી. જેમ કે, કોઈ ચીની પિતા પોતાના દીકરાને પૂછે, 'તારા ગણિતમાં કેટલા માર્ક આવ્યા?' જવાબમાં દીકરો આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જુઓ, પેલું રોકેટ જા..આ..આ..ય.' એ જ રીતે ક્યારેક દીકરો પોતાના પિતાને કહે, 'પપ્પા, સ્કૂલની ફી ભરવાની છે. આ વખતે નહીં ભરું તો એ લોકો મને કાઢી મૂકશે.' એ સાથે જ પિતા આકાશ તરફ આંગળી ચીંધીને કહેતા, 'જો, પેલું રોકેટ જા..આ...આ..ય.'
ધીમે ધીમે ચીનમાં એવી હવા જામી કે ચાઉમાઉએ 'જો, રોકેટ જાય' ફેસ્ટિવલ રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ કર્યું. આ ફેસ્ટીવલ ખાસ કરીને વિદેશમાં રહેતા ચીનાઓ માટે હતો. વિદેશમાં વસતા ચીનાઓ ખાસ આ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે ચીન આવતા. અને હોંશે હોંશે 'જો, રોકેટ જાય.' રમતનો હિસ્સો બનતા. એટલું જ નહીં, આ રમત માટે મેદાનો, સાધનો અને ખેલાડીઓ વિકસાવી શકાય એ માટે અઢળક નાણાં દાનરૂપે આપીને જતા.
આથી ચાઉમાઉને આઈડિયા મળ્યો કે આ જ રમત વિદેશોમાં ચાલુ કરાવી શકાય. એ રીતે ચીની સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાશે. એક નવાસવા રંગરુટ મંત્રીએ આ સાંભળીને ચાઉમાઉને ભોળેભાવે પૂછ્યું, 'પણ નામદાર, આપણી પાસે ચીનનો ઝંડો છે. ચીની સંસ્કૃતિનો ઝંડો આપણે નવો બનાવડાવવો પડે, હેં ને?' ચાઉમાઉએ કરુણામિશ્રિત હાસ્યથી તેની સામું જોયું. વિશાળ ખંડમાં ઊભે ઊભે તેણે છત તરફ આંગળી ચીંધી અને કહ્યું, 'જો, રોકેટ જા...આ...ય.'
કહેવાય છે કે રોકેટની શોધ થઈ એ પછી આ રમતનું સ્વરૂપ બદલાયું. રોકેટને સ્થાને એમાં 'હોડી' શબ્દ આવ્યો. પણ ચીનાઓની રમતવૃત્તિ એમની એમ જ રહી. અને જે પ્રજા રમતપ્રેમી હોય છે એને સદાય લીલાલહેર હોય છે.

Monday, February 9, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-26): ચાઉમાઉના રાજની વ્યાપારી કરારપ્રણાલિ

ચાઉમાઉ નીતનવિનતાનો પ્રેમી હતો. તેને એકવિધતા ગમતી નહીં. આથી એકવિધતાને તોડવા માટે તે અવનવી તરકીબો વિચારતો ને અમલ કરાવતો. ક્યારેક તે એવો આદેશ આપતો કે હવેથી સપ્તાહના દરેક વારને એના પછીના દિવસથી ઓળખવા. એટલે કે રવિવારને સોમવાર કહેવો, સોમવારને મંગળવાર, એમ અન્ય દિવસો. ક્યારેક તે દરેક મહિનાને એના આગલા મહિનાથી ઓળખવાનું ફરમાન કરતો. જાન્યુઆરીને ડિસેમ્બર, ડિસેમ્બરને નવેમ્બર, અને એ રીતે અન્ય. આવાં બધાં એલાન ચાઉમાઉ રાતના 11.35 મિનીટે કરતો, જેનો અમલ રાતના 12.00 વાગ્યાથી શરૂ થતો. આમ, પ્રજાજનોને પૂરી પચીસ મિનીટ મળતી, જેમાં એ લોકો જરૂરી પુનર્ગોઠવણ કરતા. આને કારણે ચીનમાં જ્યાં જુઓ ત્યાં લાંબી કતાર દેખાતી. લોકો અંદરોઅંદર ઝઘડતા રહેતા. ક્યારેક એમ પણ બનતું કોઈક કતાર ચચ્ચાર દિવસ સુધી રહી હોય, અને લોકો બીજા દિવસે સવારે પોતાનો નંબર આવે એવી આશામાં ઊભેલા હોય, પણ રાત્રે 11.35 મિનીટે ચાઉમાઉ કશીક નવી ઘોષણા કરે એટલે પોતાના નંબરની રાહ જોઈને ઊભેલા લોકો બીજે દોડે. ક્યારેક તો તે એમ પણ એલાન કરતો કે હવેથી કતારમાં જે છેલ્લો છે એ પહેલો ગણાશે. ચીનાઓ આ કારણે એટલા સલવાયેલા રહેતા કે તેમને કતારમાં પોતાનો નંબર ક્યારે આવે એ સિવાય બીજું વિચારી શકતા નહીં.

બીજી તરફ ચાઉમાઉના દરબારીઓ ચાઉમાઉના એકે એક પગલાને રાષ્ટ્રહિતનું પગલું ગણાવવા તત્પર રહેતા. જો કે, હવે એ લોકો પણ થાકી ગયેલા, કેમ કે, ચાઉમાઉએ એમને સૌને પણ હંફાવી દીધેલા. ચાઉમાઉના બધા તરંગોમાં રાષ્ટ્રહિત શોધવું તેમને અઘરું પડતું જતું હતું, પણ એમ ન કરે તો પોતાની નોકરી ખોવાની આવે. આથી તેઓ ભલભલા હાસ્યાસ્પદ અને ગળે ન ઊતરે એવાં બહનાં પણ આગળ ધરતા. ચાઉમાઉને એની સાથે કશી લેવાદેવા નહોતી, તો લોકોય પોતે રાષ્ટ્રદ્રોહી ન ગણાઈ જાય એ બીકે આ બધું વેઠતા.
એક વાર ચાઉમાઉએ રાત્રે 11.35 વાગ્યે કહ્યું કે હવેથી દરેક પર્વતને આપણે દરિયો કહીશું, દરેક દરિયાને પર્વત કહીશું. 'ચીનની દિલગીરી' તરીકે ઓળખાતી હો આંગ હો નદીને 'બાપાનો બગીચો' કહીશું. બાકીનાં નામ જે તે વિષયના નિષ્ણાતો જણાવશે અને પાઠ્યપુસ્તકોમાં પણ એ ફેરફાર કરી દેવાશે.
નિષ્ણાતો આ સાંભળીને મૂંઝાઈ ગયા. ચાઉમાઉએ કોઈને કશું પૂછ્યું નહોતું. એટલે પહેલાં તો નવાં નામ શાં રાખવાં એ નક્કી કરવાનું, એની પાછળનું કારણ સમજાવવાનું હતું. કોઈકે સૂચવ્યું કે કારણ આપણે સમ્રાટ ચાઉમાઉને જ પૂછીએ. જો કે, એ હકીકત હતી કે સમ્રાટને કોઈ કશું પૂછી શકતું નહોતું. અરે, ખુદ સમ્રાટ પોતે જ પોતાના પૂછ્યામાં નહોતા. આવા સંજોગોમાં નિષ્ણાતોએ એક કાયમી કારણ, તર્ક, દલીલ કે જે કહો એ નક્કી કરી રાખેલું, જેનો ભાવાનુવાદ કંઈક આવો થતો. 'ચાઉમાઉ હૈ, તો ચીંગપીંગ હૈ.' 'ચીંગપીંગ'ની સૌથી નજીકનો ભારતીય શબ્દ 'મુમકિન' ગણાવી શકાય.
બસ, આ કારણ આગળ ધરતાં જ સૌ કોઈની બોલતી બંધ થઈ જતી. બલ્કે પૂછનાર સામેથી જ, વગર પૂછ્યે સૂત્રોચ્ચારની જેમ પોકારી ઉઠતો, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'.
ચાઉમાઉના આ સૂત્રની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરવા લાગી. વિશ્વના અન્ય દેશના, ચાઉમાઉથી પ્રભાવિત નેતાઓ ચીન સાથે વિવિધ કરાર કરવા માટે હડી કાઢવા લાગ્યા. ચીની ભાષામાં લખાયેલા, દસ દસ પાનામાં પથરાયેલા આ કરારની શરતોમાં એક જ વાક્ય લખાયેલું રહેતું, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'. અન્ય દેશોના નેતાઓ આ બન્ને શબ્દોની જગ્યાએ પોતપોતાના દેશમાં પ્રચલિત નામ મૂકી દેતા. આમ, ચાઉમાઉ મોડેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારપ્રણાલિમાં ઘણું વ્યાપક બની રહ્યું.
રોજેરોજ નીતનવાં કારણોસર લાઈનમાં ઊભેલા ચીનાઓ આ બધું જોઈ, સાંભળી, વાંચીને હરખાતા અને મનોમન બોલતા, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'. આમ, ચાઉમાઉના રાજમાં ચીનાઓને તકલીફ બહુ હતી, પણ એકંદરે લીલાલહેર હતી.

Friday, January 30, 2026

ભાવનગરમાં ભૂપેન

ભૂપેન ખખ્ખરની જીવનકથાનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછીના દસ મહિનામાં યોજાયેલો છઠ્ઠો વાર્તાલાપ એટલે કલાભવન, ભાવનગર ખાતે 28 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત કાર્યક્રમ. આ છ પૈકીના ચાર કાર્યક્રમ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ યોજાયા છે. (વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર) અહીં શ્રી શૈલેષભાઈ ડાભી સાથે અમારો સંપર્ક સ્થપાયેલો. ભાવનગર પહોંચીને ગુજરાતી ભવન પર વાર્તાલાપ પછી અમે કલાભવન તરફ ઊપડ્યા. સાથે વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની પણ હતા. તેઓ અમને કલાભવન લઈ આવ્યા અને શૈલેષભાઈએ અમને ઊમળકાભેર આવકાર્યા. તેઓ વિદ્યાનગરની કોલેજમાંથી ફાઈન આર્ટ્સ ભણેલા છે. થોડી વાત આ અભ્યાસક્રમ વિશે થઈ અને પછી અમે કાર્યક્રમ યોજાયેલો એ હોલ તરફ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં પણ ઘણી વાતો થઈ. હોલ પર વડીલમિત્ર વિનોદભાઈ વ્યાસ આવી ગયેલા. તેમને મળીને ઘણો આનંદ થયો. ચા પીતાં પીતાં અમારા સમાન રસની- જૂના ફિલ્મસંગીતની વાતો ચાલી. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં. મહેન્દ્રસિંહ પરમાર પણ અહીં ઉપસ્થિત હતા. કાર્યક્રમ આરંભાયો.

(ડાબેથી) શ્રી ગાયજનસાહેબ, બીરેન કોઠારી
અને અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

વિશાળ ઈટાળિયાએ આરંભ કર્યા પછી મારે ભૂપેન ખખ્ખર વિશે, તેમજ પુસ્તકના લેખનની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. વાતો તો ઘણી હોય, પણ સમય અને શ્રોતાવર્ગને અનુરૂપ ચૂંટેલી વાત કરવી જરૂરી છે. ભૂપેનનાં ચિત્રો, તેમના જીવન, તેમનાં લખાણો, અમરીશભાઈ સાથેની મુલાકાત, પુસ્તકના આલેખનના તબક્કા એ બધા વિશે થોડી થોડી વાત કરી. આલેખનમાં નવ વરસ જેટલો લાંબો સમય કેમ લાગ્યો એ પણ જણાવ્યું. આ પુસ્તકમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ભાવનગરના જ ઉષાકાન્ત મહેતાને યાદ કર્યા.
મારી વાત પછી અમરીશભાઈએ બોલવાનું હતું. તેમણે આ પુસ્તક શા માટે લખાવડાવ્યું એની સંવેદનભીની વાત કરી અને જણાવ્યું કે પોતાના પિતા અને ભૂપેનકાકાની મૈત્રીના તર્પણરૂપે આ પુસ્તકનું આલેખન કરાવડાવ્યું છે.
સૌથી છેલ્લે એમ.બી.ગાયજનસાહેબે આભારવિધિ કરી અને આ ઉપક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પછી હળવામળવાનો દોર ચાલ્યો. નીકળતાં અમારી ઈચ્છા ઉષાકાન્તભાઈને ઘેર મળવા જવાની હતી. એટલે વિશાલ ઈટાળિયા, અક્ષર જાની અને ભાવેશ ચૌહાણ અમને ત્યાં લઈ ગયા. એક અરસામાં ઉષાકાન્તભાઈ સાથે ફોન પર વાતો થતી, પણ ઘણા સમયથી સંપર્ક રહ્યો નહોતો. તેમને ઘેર વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. ઉષાકાન્તભાઈ સાથે વાતો નીકળે એટલે એક વિષયની ગલીમાંથી બીજા વિષયની ગલીમાં ક્યારે પ્રવેશી જવાય એનો ખ્યાલ જ ન આવે. અમે નીકળ્યા ત્યારે તેઓ અમને બહાર સુધી મૂકવા આવ્યા તો ત્યાં ઊભા ઊભા પણ પંદરેક મિનીટ વાતો કરી.

ઉષાકાન્તભાઈ મહેતા સાથે એમના નિવાસસ્થાને

ઉષાકાન્તભાઈ સાથે (ડાબેથી) ભાવેશ ચૌહાણ,
વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની

એ પછી તેમની વિદાય લઈને અમે છૂટા પડ્યા. ભાવેશ, વિશાલ અને અક્ષરનો આભાર માનીને અમે વડોદરા પરત આવવા નીકળ્યા.
આખો દિવસ બહુ સરસ રીતે, સરસ વ્યક્તિઓ વચ્ચે, સરસ વાતો થકી પસાર થયો, જેની સ્મૃતિ ઘણા લાંબા સમય સુધી મનમાં તાજી રહેશે.
(તસવીર સૌજન્ય: વિશાલ ઈટાળિયા)

Thursday, January 29, 2026

'તમારી લીધેલી યાદગાર મુલાકાત કઈ?'

 ભૂપેન ખખ્ખરની જીવનકથા વિશે ખાસ કરીને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરવાનો ઉપક્રમ આ પુસ્તકના પ્રકાશન પછી આરંભાયો છે, જેમાં સક્રિય ભૂમિકા હીતેશ રાણા (સર્જન આર્ટ ગેલરી)એ ભજવી છે. તેઓ અમારો પરિચય કરાવી આપે એ પછી જરૂરી વાતચીત અને આયોજન અમરીશભાઈ કોન્ટ્રાક્ટર સંભાળી લે. એ મુજબ હીતેશભાઈએ ભાવનગરમાં અમૂલભાઈ પરમાર સાથે સંપર્ક કરાવી આપ્યો, એટલે અમૂલભાઈ અને અમરીશભાઈ જોડાયા. અમૂલભાઈએ કલા ભવનના શૈલેષભાઈ ડાભી સાથે અમરીશભાઈને જોડી આપ્યા. આના પરિણામરૂપે 28 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના કલાભવન ખાતે આ પુસ્તક વિશેના વાર્તાલાપનું આયોજન થયું. શૈલેષભાઈ વતી પ્રત્યાયનની જવાબદારી ઉત્સાહી વિદ્યાર્થી વિશાલ ઈટાળિયાએ સંભાળી. આમ, અમે 28મીએ બપોર સુધી ભાવનગર પહોંચવા સજ્જ થઈ ગયા. એવામાં આગલી રાત્રે સંવેદનશીલ મિત્ર અને સન્નિષ્ઠ અધ્યાપક એવા મહેન્દ્રસિંહ પરમારનો ફોન આવ્યો. અમારા આ કાર્યક્રમની તેમને જાણ થઈ એટલે તેમણે અમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માટે જરૂરી આયોજન પણ તેમણે કરી દીધું. આમ, અમે ભાવનગર પહોંચીએ કે સીધા જ ગુજરાતી ભવન પર પહોંચીએ એમ ગોઠવાયું. ભાઈ વિશાલ સતત અમારા સંપર્કમાં હતો. એ ગુજરાતીનો વિદ્યાર્થી પણ ખરો, અને કળાનો વિદ્યાર્થી પણ. આથી તે એક રીતે એ દિવસ પૂરતો અમારો ભોમિયો બની રહ્યો.

અમે બપોરે એક વાગ્યાની આસપાસ ભવન પહોંચ્યા. આ વિભાગના વિદ્યાર્થીઓએ મારા વિશેની સતસવીર વિગતો એકઠી કરીને એને આકર્ષક રીતે લગાવી હતી. એ જોઈને મજા આવી ગઈ. સહેજ ફ્રેશ થયા પછી ભોજનની ઔપચારિકતા પતાવી. એ પછી વિદ્યાર્થીઓ સાથે મારે વાર્તાલાપ કરવાનો હતો. મહેન્દ્રસિંહે સૂચવેલું કે મારે ઈન્ટરવ્યૂ લેવાની કળા વિશે વાત કરવી. કાર્યક્રમનું તેમણે આપેલું શીર્ષક હતું 'મુલાકાતનો મર્મ.'

વાર્તાલાપનો વિષય

વિદ્યાર્થીઓએ કરેલી તૈયારી

વાર્તાલાપ દરમિયાન

જીવનચરિત્રલેખન દરમિયાન ઈન્ટરવ્યૂ શી રીતે લેવાય છે, એમાં કેવી કેવી બાબતો બને છે, શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે અનેક પાસાંની વાત અને તેની સાથે સાથે અનુરૂપ પ્રસંગો. સામાન્ય રીતે આવી વાતો અંગત બેઠકમાં કદીક થાય, પણ વિદ્યાર્થીઓ સાથે કરીએ ત્યારે એના શાસ્ત્ર અને કળા વિશે પણ વાત કરવાની આવે. જરા જુદી રીતે કહીએ તો આપણા અનુભવને આપણે 'થિયરી' તરીકે મૂકી આપવાના થાય. અલબત્ત, એ થિયરી સાર્વત્રિક લાગુ ન પણ પડે. આમ છતાં, એ બહાને આપણે આપણી પોતાની કાર્યશૈલીને હેતુલક્ષી રીતે જોઈ શકીએ કે એ અંગે વિચારી શકીએ એમ બનતું હોય છે. કલાકેક વાત ચાલી. એ પછી સવાલજવાબ હતા. એમાં પણ મઝા આવી. એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમે લીધેલી પહેલવહેલી મુલાકાત કોની? અને તમે લીધેલી સૌથી યાદગાર મુલાકાત કોની?' આ બન્ને જવાબ આપતાં મારે માથું ખંજવાળવું પડે એવી સ્થિતિ આવી. પણ સાવ કાચી વયે અમે લીધેલી આશા ભોંસલેની મુલાકાત અને શમશાદ બેગમને એમના ઘેર જઈને મળવાના નિષ્ફળ પ્રયત્નની વાત કરી ત્યારે મને પોતાને એ વાત જુદી રીતે જોવા મળી. દરમિયાન પોતાનું કામ પતાવવા બહાર ગયેલા અમરીશભાઈ પણ આવી પહોંચ્યા એટલે તેમણે પણ ટૂંકમાં વાત કરી.

પછી જોડાયેલા અમરીશભાઈ
વાચક-વિદ્યાર્થીની મૌલિ

સમગ્રપણે એકદમ જીવંત વાતચીત રહી એમ મને લાગ્યું. વાર્તાલાપ પછી અમે સહેજ વાર અંદર બેઠેલા ત્યારે એક વિદ્યાર્થીની મૌલિ 'વીઝીટર્સ બુક' લઈને આવી અને મારી સમક્ષ ધરી. પણ એ ધર્યા પછી તેણે કહ્યું, 'મેં સાર્થક જલસોમાં તમે લખેલો કનુભાઈ માસ્તરવાળો લેખ વાંચેલો અને એની પરથી નોંધ પણ લખેલી.' આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. એનું અનુસંધાન સામે બેઠેલા મહેન્દ્રસિંહ પરમારના હાસ્યમાં મળ્યું. અભ્યાસક્રમ ઉપરાંતની બાબતો થકી વિદ્યાર્થીઓની રુચિ કેળવવા માટેના તેમના પ્રયત્નોનું આ પરિણામ હતું.
આમ, એક સુખદ સંભારણું લઈને હવે અમે કલા ભવન જવા માટે નીકળ્યા.
(તસવીર સૌજન્ય: મહેન્દ્રસિંહ પરમાર)

Sunday, January 25, 2026

કહત કાર્ટૂન, સુનો ભાઈ કીડ્સ

એમની સાથે પરોક્ષ પરિચય ફેસબુક પરનાં એમનાં લખાણો અને બે પાત્રો દ્વારા. એ પાત્રોમાંનું એક તે પશાકાકા, અને બીજું એ પોતે, એટલે કે સાજિદીયો એટલે કે સાજિદ સૈયદ પોતે. એ પછી તેમને રૂબરૂ મળવાનું બન્યું નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં. નડિયાદથી પચીસેક કિ.મી. દૂર આવેલા ગામ વિંઝોલથી સાજીદભાઈ થોડા વિદ્યાર્થીઓને લઈને સમયસર આવી જાય. એ વિદ્યાર્થીઓ દૂરથી હારબંધ આવતાં દેખાય એટલે અમારા સ્વયંસેવકોમાંથી કોઈક બોલે, 'સાજીદભાઈ આવી ગયા.' એ વિદ્યાર્થીઓને પુસ્તક પરના વાર્તાલાપમાં કેટલો રસ પડે એ મહત્ત્વનું નથી, પણ એ બહાને તેઓ નડિયાદ આવે, આવો કોઈક કાર્યક્રમ જુએ, હરેફરે એ વધુ મહત્ત્વનું. આના માટે એક શિક્ષકની દૃષ્ટિએ વિચારવું પડે. આ કાર્યક્રમમાં અમે મળ્યા. કાર્યક્રમ પછી સૌ જવાની ઉતાવળમાં હોય, પણ સાજિદભાઈ સાથે ઊભા ઊભાય થોડી વાત થાય. એમાં એમણે એક વાર કહ્યું, 'અમારે ત્યાં આવો.' મેં કહ્યું, 'ચોક્કસ. તમે કહો ત્યારે. પણ વક્તવ્ય નહીં. કાર્ટૂન વિશે વાત કરીશું.' એ પછી અમે ફોનથી સંપર્કમાં રહ્યા, પણ અનુકૂળતા ઠેલાતી જતી હતી. આખરે ગઈ કાલે, 24મી જાન્યુઆરીને શનિવારે એ શુભ મૂહુર્ત આવ્યું.

કહત કાર્ટૂન...

આ પ્રાથમિક શાળામાં કાર્ટૂનનો કાર્યક્રમ ચો. 6,7 અને 8નાં બાળકોને ધ્યાનમાં રાખીને કરવાનો હતો. અગાઉ મેં વિદ્યાર્થીઓની અને ગામની પૃષ્ઠભૂમિ વિશે પ્રાથમિક વિગતો પૂછી રાખેલી, જેથી કાર્ટૂનની પસંદગીમાં સરળતા રહે. એ મુજબ કામિની અને હું સવારના સાડા દસ આસપાસ પહોંચી ગયા.
ઉમરેઠથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું વિંઝોલ ગામ અને એમાં એક માત્ર પ્રાથમિક શાળા. પણ શાળામાં એક જીવંત આચાર્ય હોય તો કેવળ શાળાને જ નહીં, ગામ આખાને સામાજિક રીતે સાંકળે એ જોવું હોય તો અહીં જવું પડે.
આગલી મોડી રાતે મેં એમને કાર્યક્રમનું પોસ્ટર બનાવીને મોકલેલું, જેનું શિર્ષક હતું 'કહત કાર્ટૂન...'. સાજિદભાઈએ એ ત્રણ ટપકાંની પાદપૂર્તિ જાતે કરીને પોસ્ટર બનાવ્યું, 'કહત કાર્ટૂન, સુનો ભઈ કીડ્સ.'
શાળાએ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને, ગાઈને અમારું સ્વાગત કર્યું. લાલ જાજમ પર પગ મૂકીને અમે શાળામાં પ્રવેશ્યા. આરંભિક ઔપચારિકતા પછી અમે એ ખંડમાં ગયા, જ્યાં કાર્યક્રમ કરવાનો હતો. બહુ જ અનૌપચારિક રીતે સાજિદભાઈએ મારો પ્રાથમિક પરિચય આપ્યો, પણ હકીકતમાં હું કોથળામાંથી કેવું બિલાડું કાઢવાનો હતો એનો અંદાજ એમનેય નહોતો. એટલે વિદ્યાર્થીઓની સાથે જ, ભોંય પર તેઓ પલાંઠી વાળીને ગોઠવાઈ ગયા. અમસ્તોય આચાર્યપદનો ભાર તેમણે રાખ્યો નથી, એ તો આટલી વારમાં સમજાઈ ગયું હતું, કેમ કે, અમે બે દાદર ચડીને ઊપર પહોંચ્યા એ વખતે રસ્તામાં અનેક વિદ્યાર્થીઓ એમને 'સાજીદસાહેબ' કહીને કશીક ને કશીક વાત કરતા અને સામે સાજિદભાઈ પણ એ દરેકને નામથી સંબોધીને એનો યોગ્ય જવાબ વાળતા.

સાજીદભાઈ દ્વારા પરિચય અને પૂર્વભૂમિકા

આચાર્યપણું મૂકીને વિદ્યાર્થીઓ સાથે જ ગોઠવાઈ ગયેલા સાજીદભાઈ
કાર્ટૂનના કાર્યક્રમમાં મજા એ હોય છે કે એ કેવો 'જઈ રહ્યો છે' એ બાબતે ખાસ ચિંતા ન થાય. વક્તવ્ય હોય તો એ બાબતે અવઢવ રહે કે વાત પહોંચી રહી છે કે કેમ. પણ આમાં તો પડદે કાર્ટૂન દેખાય અને બે-પાંચ સેકન્ડમાં ખડખડાટ હસવાના અવાજ સંભળાય એ જ સંકેત. છોકરાં પોતાની મેળે જે રીતે કાર્ટૂન ઊકેલે એ જોઈ-સાંભળીને મજા આવી જાય. એક- સવા કલાક આ રીતે ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી.

સુનો ભઈ કીડ્સ
કાર્યક્રમ પછી સાજિદભાઈ સાથે આ શાળા, ગામ અને એની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે વાતો થઈ. જે સંવેદનશીલતાથી સાજિદભાઈએ અનેક વાતો ઉઘાડી આપી એ ગજબ હતી. નીકળતાં એક ફળિયામાં અમે એક પરિવારને મળવા ગયા. એ ફળિયામાં પ્રવેશતાં જે રીતે લોકો સાજિદભાઈ સાથે વાત કરતા હતા એ એમના દિલમાં સાજિદભાઈનું શું સ્થાન છે એ સૂચવતું હતું. બહુ હેતુલક્ષિતાથી સાજિદભાઈએ અમને વિગત જણાવી. એ અલગ આલેખનનો વિષય છે, અને એ આલેખન સાજિદભાઈ કરે એ જ બહેતર.
સાડા બાર આસપાસ અમે વિદાય લીધી અને એક મધુર સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ.

Wednesday, January 21, 2026

એ કાળા સાઈનબોર્ડ પર લાલ અને સફેદ અક્ષરે લખાયેલું છે 'રામસે'

 

'રામસિંઘાણી રેડિયો એન્ડ ઈલેક્ટ્રિક કમ્પની' 1947 પહેલાં કરાચીમાં એક સફળ સાહસ હતું. એના ઓફિસ-કમ-શો રૂમના માલિક હતા ફતેહચંદ ઉત્તમચંદ રામસિંઘાણી. પરિવારના સભ્યોમાંથી કોઈ જણાવી શકતું નથી કે એને ચૌદ (અમુક અગિયાર કહે છે) બારણાં કેમ હતાં. એફ.યુ.નું લગ્ન કિશ્ની સાથે થયેલું અને એમનાં નવમાંથી છ સંતાનો કરાચીમાં જન્મેલાં. સૌથી મોટી કમલા. છઠ્ઠા ક્રમના અર્જુનનો જન્મ આ પરિવાર વિભાજન પછી મુંબઈ આવ્યો ત્યાં થયેલો.
એ સમયે આ બાજુનો કે પેલી બાજુનો પ્રદેશ છોડીને હિજરત કરનારા બીજા અનેકોની જેમ રામસિંઘાણી પરિવારે પણ પોતાની મોટા ભાગની સંપત્તિ છોડીને આવી જવું પડેલું. આમ છતાં, એક ચકોર સિંધી વ્યાપારી હોવાને કારણે એફ.યુ. પાસે એટલું તો બચેલું કે મુંબઈ પહોંચ્યા પછી તેઓ કંઈક નવી શરૂઆત કરી શકે. ત્યાં સુધીમાં, તેમણે કરાચીમાં મુખ્યત્વે પોતાના અંગ્રેજ ગ્રાહકોને બોલતાં ફાવે એટલા માટે રામસિંઘાણીને ટૂંકાવીને રામસે કરી દીધું હતું. આથી મુંબઈમાં લેમિંગ્ટન રોડ પર એફ.યુ.એ દુકાન શરૂ કરી ત્યારે તેનું નામ 'રામસે સ્ટુડિયો' રખાયું. એમાં ત્યારની ઘણી લોકપ્રિય બ્રાન્ડ મરફીના એ ડીલર હતા.
એફ.યુ. સંભવત: એક એન્જિનિયર હતા- તુલસી માને છે કે એ રેડિયો એન્જિનિયર હતા.. અર્જુન કહે છે, 'એ દિવસોમાં રેડિયો બહુ મોટી ચીજ ગણાતો. એ બ્રિટીશ દિવસો હતા. પંદર ફીટના મોટાં ડબલાં બનાવાતાં. રેડિયોગ્રામ. મારા પિતાજી એ બનાવવામાં નિષ્ણાત હતા. એમના બધા ગ્રાહકો અંગ્રેજ હતા. એ લોકો 'મિસ્ટર રામસે, મિસ્ટર રામસે' કહીને બોલાવતા, કારણ કે એમને 'રામસિંઘાણી' બોલવામાં મુશ્કેલી પડતી. આથી બની ગયું 'રામસે'. મને નથી લાગતું કે ભારતભરમાં બીજો કોઈ રામસે પરિવાર હોય. દાદાએ વિભાજન પહેલાં જ પોતાની અટક અધિકૃત રીતે બદલી નાખી હતી, પણ અમારી દુકાન હજી 'રામસિંઘાણી' તરીકે ઓળખાતી. અમે બધા જ ભાઈઓ 'રામસે' હતા, અમારા જન્મ પ્રમાણપત્રમાં પણ. આથી અમે મુંબઈ આવ્યા ત્યારે દુકાનનો આરંભ રામસિંઘાણીના નામે નહીં, પણ'રામસે'ના નામે થયો. ખરેખર તો 'રામસે' એક હુલામણું નામ છે, જેમ 'સીપ્પી' એ સિપાહીમાલાણીનું ટૂંકું નામ છે.


એ કલ્પના કરવી સહેલી છે કે લેમિંગ્ટન રોડ પરનું એ ત્રણ મજલી મકાન પર એક સમયે ઘણી ચહલપહલ રહેતી હશે. 'આ બધાની શરૂઆત ત્યાંથી થઈ.' તુલસી કહે છે. ઘરના આગળના ભાગમાં એક મોટું વૃક્ષ છે. રામસેની ફિલ્મોમાં દેખાડાયેલાં મકાનો જેટલું જ એ જૂનું. 1994થી અર્જુનના પરિવાર સિવાય કોઈ ત્યાં રહ્યું નથી. અને એ લોકો પણ એક જ માળ વાપરતા- પહેલો માળ. બાકીનું મકાન તાળાબંધ છે. આસપાસ નવાં બાંધકામ થઈ ગયાં છે, જેની વચ્ચે આ મકાન સાવ જૂનુંપુરાણું જણાય છે. ભોંયતળિયે આવેલી ઓફિસે તાળું છે અને પ્રોપ, માસ્ક તેમજ કોસ્ટ્યુમ જેવાં સાધનો મલાડના જૂના ગોડાઉનમાં ખસેડાઈ ગયાં છે. લેમિંગ્ટન રોડ પરની આ ઈમારતનાં બંધ બારણાં પાછળ કશું થઈ શકે એવો અવકાશ જ નથી. મોટા ભાગની ચીજવસ્તુઓ ઢગલામાં ખડકાયેલી છે.
બે મોટાં સાઈનબોર્ડ પૈકીના એક પર - કાળા પર લાલ અને સફેદ અક્ષરે- લખાયેલું છે 'રામસે'. બીજામાં 'રામસે ફિલ્મ્સ' લખાયેલું છે. 'અહીં ખાસ કશું નથી. કેવળ અર્જુન અને તેનો પરિવાર. બધા ચાલ્યા ગયા છે. બધું અસ્તવ્યસ્ત છે. આમતેમ વિખરાયેલું.' તુલસી નાટ્યાત્મક પોઝ લઈને કહે છે, 'ફિલ્મ સમાપ્ત થઈ ગઈ છે.'
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)