Friday, March 13, 2026

કુમુદસુંદરી, અના કરેનીના આણિ મંડળી વિદ્યાનગરમાં આવે છે

- બીરેન કોઠારી

મુંબઈ, અમદાવાદ અને ભૂજ પછી હવે ચોથી વખતની રજૂઆત વિદ્યાનગરમાં આવતી કાલે, 14મી માર્ચ ને શનિવારે સાંજના 8.30 વાગ્યે છે. એવું તે શું છે કે આ કાર્યક્રમ થયા પહેલાં એના વિશે લખવાની જરૂર પડે? પહેલાં તો આ કાર્યક્રમનો વિચાર શાથી અને શી રીતે જન્મ્યો?
2025નું વર્ષ 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ પૂર્ણ થયાનું સવાસોમું વર્ષ હતું. આની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી ન હોઈ શકે એવી દૃઢ પ્રતીતિ ગોવર્ધનરામ સંબંધિત વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા પ્રો. હસિત મહેતાની. નડિયાદની યુ.ટી.એસ.મહિલા કોલેજના પ્રાચાર્ય હસિતભાઈને એક વિચાર આવે એ પછી તેઓ સૂતા નથી અને સૂવા દેતા નથી. તેમણે અનેક લોકોને આમાં સાંકળ્યા, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા. સાથોસાથ પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું એટલે કે બીરેન કોઠારી હોય જ.
એટલે કુલ ત્રણ બાબતો નક્કી થઈ. એ પૈકીની એક એટલે 'તમે કલમ મ્યાન કરી' એકાંકી. બીજી 'ગોષ્ઠિ' અને ત્રીજું 'લાઈવ ગાયન'.
'સરસ્વતીચંદ્ર' અને 'તોલ્સ્તોય'ની નાયિકાઓ પોતાના લેખક સામે આરોપ મૂકે કે 'તમે સમાજને બોધ આપવા જતાં અમને અન્યાય કર્યો છે.' આ મૂળ વિચારને વીસેક મિનીટની ભજવણીમાં હસિતભાઈએ પોતે જ 'તમે કલમ મ્યાન કરી' શિર્ષકથી રૂપાંતરિત કર્યો. એનાં પાત્રો નક્કી થયાં. એ પછી તાલિમ અને પછી રીહર્સલ. પહેલી વાર તાલિમ લુણાવાડાના પ્રો. કમલ જોશી પાસે હતી, તો આ વખતે અમદાવાદના નિસર્ગ ત્રિવેદી પાસે. નાનામોટા ફેરફાર સ્ક્રિપ્ટમાં અને પાત્રોમાં પણ થતા ગયા.
ગોષ્ઠિ એ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે, જેનો આરંભ કુલીનચંદ્ર યાજ્ઞિકસાહેબે કરેલો. તેઓ નડિયાદમાં આવેલા ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન 'શ્રી ગોવર્ધનરામ સ્મૃતિમંદિર'માં દર ગુરુવારે સાંજે આવીને બેસે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. વિષય કોઈ પણ હોઈ શકે. યાજ્ઞિકસાહેબની વિદાય પછી આજેય આ પ્રવૃત્તિ નિયમીતપણે ચાલે છે. એટલે આ ગોષ્ઠિને ભજવણી તરીકે મંચ પર રજૂઆત કરવાનો વિચાર પ્રો. હસિત મહેતાને આવ્યો. પણ એકલી ગોષ્ઠિ શી કામની? એમાં કોઈક મુદ્દે કેન્દ્રિત ચર્ચા થાય તો મજા આવે. આ વખતે એમણે વિષય એવો રાખ્યો કે 'સરસ્વતીચંદ્ર' અને 'ભદ્રંભદ્ર' બન્નેનું આ સવા શતાબ્દિનું વર્ષ છે. તો એ બન્ને કેમ ક્લાસિક ગણાય છે એ વિશેની ચર્ચા.
ત્રીજી બાબત એ 'લાઈવ ગાયન'. 'સરસ્વતીચંદ્ર'માં અનેક ગીતો આવે છે, જે ગોવર્ધનરામે ખુદ લખેલાં છે. આ ગીતોનાં ચૂંટેલા અંશને મંચ પરથી રજૂ કરવાના.
એક વાર આ બધું નક્કી થયું અને એની રૂપરેખા તૈયાર થઈ એટલે પછી વાસ્તવિક તૈયારી શરુ થઈ.
'તમે કલમ મ્યાન કરી'માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તરીકે પૂજા અને નાઝનીન મુખ્ય ભૂમિકામાં અને અન્ય પાત્રોમાં દીપાલી, અલ્ફીના તેમજ જયને લેવામાં આવ્યા.
ગોષ્ઠિમાં તપન, કેતન, વૈદેહી, ફૈઝાન, નાઝનીન અને અલ્ફીના ઉપરાંત ગોષ્ઠિના સંચાલક તરીકે મારી ભૂમિકા નક્કી થઈ.
ઈપ્કોવાલા હોલમાં ગ્રાન્ડ રિહર્સલ પછી આખી મંડળી:
(ડાબેથી) જય, અલ્ફીના, બીરેન, હસિત મહેતા, નાઝનીન,
 વૈદેહી, તપન, કેતન, ફૈઝાન, પૂજા અને દીપાલી

તો લાઈવ ગાયન માટે અદ્ભુત સ્વર ધરાવતી વિદ્યાર્થીનીઓ અસ્થાના અને પૂજા નક્કી હતાં.
રિહર્સલ ક્યારેક મહિલા આર્ટ્સ કોલેજમાં યોજાય, તો ક્યારેક ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં. એકાંકીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી કોઈને અભિનયનો અનુભવ નહીં, પણ તેમની ગ્રહણશીલતા આશ્ચર્ય પમાડે. છેલ્લી ઘડીના સુધારાને પણ તેઓ એટલી સહજતાથી કરી દેખાડે કે મજા આવી જાય. આ તમામ રિહર્સલોમાં હળવી ક્ષણો આવે, એમ અકળાવનારી ક્ષણો પણ આવે. હસિતભાઈનું આશુતોષ અને આશુરોષ સ્વરૂપ પ્રગટ થાય એની મજા એ ખુદ લે અને બીજાને લેવડાવે. અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ આ કામ માટે સમય કાઢવો એ તો બરાબર, પણ સંકળાયેલા એકે એકની દરકાર લેવી એ એમની વિશેષતા. દરેક વિદ્યાર્થી પોતાને ઘેર સલામત પહોંચે ત્યાં સુધીની એ વ્યવસ્થા કરે.

રિહર્સલ વખતે: જય, પૂજા, નાઝનીન અને અલ્ફીના


સામેથી સૂચન આપતા હસિતભાઈ (પાછલી હરોળમાં વચ્ચે)
ડાબે કુમારભાઈ (ભૂરા ટીશર્ટમાં) અને જમણે તપન.
આગળની હરોળમાં વૈભવભાઈ.

સૌથી છેલ્લે ભોજન અને પછી પોતપોતાને ઘેર

આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે એ વિદ્યાનગરના 'ઈપ્કોવાલા ઓડિટોરિયમ'માં ગઈ કાલે, 12મી માર્ચે ત્રણેનું રિહર્સલ કરવામાં આવ્યું. મંચના વાસ્તવિક પરિમાણ અનુસાર ભજવણીની પદ્ધતિના ફેરફારો થયા અને બધું પાક્કું થઈ ગયું. હવે આવતી કાલે ફાઈનલ રજૂઆત.
મૂળ તો આ આયોજન 'ચરોતર સાહિત્ય ઉત્સવ 2026' અંતર્ગત થઈ રહ્યું છે, જેમાં દિવસ દરમિયાન બીજા અનેક કાર્યક્રમો છે. સૌથી છેલ્લે રાતના 8.30 થી 10.00 દરમિયાન કુલ દોઢેક કલાકની અવધિમાં આ ત્રણે કાર્યક્રમોની રજૂઆત હશે. 14 માર્ચની મોડી સાંજે યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભીનું આમંત્રણ. (ગરમી વધુ હોવાથી કદાચ 'ભીનું' સૂકાઈ જાય તોય 'ભાવ' તો છે જ.)
(નોંધ: આ કાર્યક્રમ કોઈ પોતાના સંકુલમાં યોજવા ઈચ્છે તો જરૂર યોજી શકાય. આ એક બિનવ્યાવસાયિક કાર્યક્રમ છે, અને તેનો મુખ્ય હેતુ આ વાતના પ્રસારનો છે.)

Thursday, March 12, 2026

આજ ફિર જીને કી તમન્ના હૈ

'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર સાથે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં વાત થઈ. એ દરમિયાન તેમણે કહ્યું, 'મહિલા દિવસ નિમિત્તે અમે દર વરસે કંઈ ને કંઈ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમાં કશું થઈ શકે?' એમનો ઈશારો આ અંગેનાં કાર્ટૂન તરફ હતો. મેં તત્ક્ષણ હા ભણી દીધી. ત્યારે એમાં શું હશે એ વિચાર્યું નહોતું. એવો વિચાર કરવા બેસીએ તો કામ જ ન થાય! એટલે એ પછીના એકાદ બે દિવસમાં અમે કાર્યક્રમની તારીખ નક્કી કરી દીધી 11 માર્ચ, બુધવાર. હવે મારે 'ધંધે' લાગવાનું હતું.

ઉર્વીશ અને બીજા અમુક મિત્રો સાથે આ કાર્યક્રમ અંગે વાત થઈ અને એમાં શું હોઈ શકે એની ચર્ચા થઈ. મારા મનમાં પણ ઘણી બધી વસ્તુઓ હતી. એટલે અનેક બાબતો વિચારાઈ. પણ એનાથી મારો ગૂંચવાડો વધતો ચાલ્યો. કેમ કે, બધું એક જ કાર્યક્રમમાં સમાવવા જઈએ તો કાર્યક્રમનું ફોકસ ખસી જાય. આ 'વિષાદયોગ' બહુ લાંબો ચાલ્યો. હું કાર્ટૂન એકઠાં કરતો જતો હતો, પણ હજી ફોકસ બનતું નહોતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હું મરણિયો બન્યો, કેમ કે, એ સિવાય છૂટકો ન હતો. જે થઈ રહ્યું હતું એની ચર્ચા છેલ્લે છેલ્લે દીકરા ઈશાન સાથે કરી. અને એને એ રજૂઆત દેખાડી પણ ખરી. છતાં એમાં વિવિધ ફેરફાર સૂઝતા ગયા. આખરે છેક આગલા દિવસે બધું ગોઠવાયું. એ મેં મારી જાતે જોયું અને મને થયું કે આ મેં ધાર્યું હતું એમ જ તૈયાર થયું છે. આ બધા વચ્ચે વિદ્યાનગરના કાર્યક્રમના નડિયાદમાં રિહર્સલ ચાલુ હતા. એની એક જુદી મજા હતી, અને આનીય જુદી મજા હતી. પણ બન્ને એકમેકમાં દખલ ન કરે એ જોવાનું હતું. આખરે તૈયાર થયેલી એ રજૂઆતમાંથી માનસિક રીતે હું બહાર નીકળ્યો. થોડા કલાક બ્રેક લીધો અને પછી આખી રજૂઆત જોઈ ત્યારે મને લાગ્યું કે આ બહુ અસરકારક બની રહેશે. મારાથી રહેવાયું નહીં એટલે કાર્યક્રમના દિવસે સવારે કબીરભાઈને ફોન કરીને જણાવ્યું કે કાર્યક્રમ મસ્ત બની આવ્યો છે.

પૂર્વભૂમિકા 

આખરે બુધવારે સાંજની ઘડી આવી ગઈ. સ્ક્રેપયાર્ડના મંજાયેલા પ્રેક્ષકવર્ગ સમક્ષ એક પછી એક કાર્ટૂન અને તેને સંલગ્ન મારી ટીપ્પણી આવતી ગઈ, અને ધાર્યા મુજબ જ એની ઘેરી અસર પણ વરતાતી રહી. અમુક કાર્ટૂન એવાં હતાં કે એમાં શી પ્રતિક્રિયા આપવી એ ન સમજાય. કેમ કે, એમાં આધાર વ્યંગ્યનો હતો, પણ એના થકી જે વાસ્તવિકતા ઉજાગર થતી હતી એ સ્તબ્ધ કરી મૂકનારી હતી. જોતજોતાંમાં સવા કલાકે કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઘડીભર સ્તબ્ધતા ફરી વળી હતી. એ પછી લાઈટો ચાલુ થઈ. સ્તબ્ધતામાંથી બહાર આવવા માટે ચર્ચા ચાલુ થઈ અને કેટલાક મિત્રોએ અમુક મુદ્દા, એને આધારિત પ્રસંગ વગેરે કહ્યાં. આ સહજ અને અણઆયોજિત ક્રમ અડધો કલાક જેટલો ચાલ્યો ત્યારે વાતાવરણનું ભારેપણું કંઈક ઘટ્યું.

કાર્યક્રમ પછી પ્રતિભાવ આપી રહેલા તુષાર પરમાર 


કાર્યક્રમ પછી અનૌપચારિક મિલન

કબીરભાઈ દ્વારા પૂર્તિ

કબીરભાઈ સહિત ઘણા મિત્રોએ સૂચવ્યું કે આ રજૂઆત શક્ય એટલી વધુ જગ્યાએ યોજાવી જોઈએ. ખાસ કરીને યુવાવર્ગ હોય એવી શાળાઓ કે કોલેજોમાં તેમજ અન્યત્ર પણ. એ જ રીતે એવું પણ સૂચન આવ્યું કે આ કાર્ટૂનોને સંકલિત કરીને પુસ્તક કરવું.
જોઈએ હવે. એ તો થાય ત્યારે ખરું. પણ કાર્યક્રમે જે અસર છોડી એની પરથી એક વાત મનેય અનુભવાઈ ખરી કે આ કાર્યક્રમ વધુ સ્થળોએ યોજાવો જોઈએ. કેમ કે, સામાન્ય રીતે આવી સમસ્યાઓને જાજમ તળે છુપાવવાની માનસિકતા પ્રવર્તે છે ત્યારે એના વિશે ખુલીને વાત થાય, ચર્ચા થાય અને એ પણ કાર્ટૂન જેવા હાસ્યવ્યંગ્યના માધ્યમથી, એ વધુ જરૂરી છે.
આ બાબતે સામાજિક જાગૃતિ લાવવામાં આવા કાર્યક્રમ ઉપયોગી થઈ પડશે એમ ધારું છું. આ કાર્યક્રમના આયોજન બાબતે સંપર્ક કરી શકાશે.
'દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત અહેવાલ 

Tuesday, February 24, 2026

જેમ્સ હેડલી ચેઈઝ, ફોઈની દીકરીઓ અને પપ્પા

'હમણાં તારે આ ચોપડીઓ નથી વાંચવાની.' આવી સૂચના મારા પપ્પાએ હું આઠમા-નવમા ધોરણમાં હતો ત્યારે મને આપેલી. પપ્પાની સૂચના કડક હોય એવું અલગથી કહેવાનું ન હોય. પણ એવું તો શું હતું એ ચોપડીઓમાં?

મહેમદાવાદના અમારા જૂના ઘરમાં ત્રીજે માળે (આજની જબાનમાં જી પ્લસ ટુ) એક લાકડાનું ભીંતકબાટ હતું, જેનાં બન્ને બારણાં પર સામસામે બેઠેલા મોરનાં ચિત્ર હતાં. આ કબાટમાં એક મોટું ખાનું અને ઊપર તેમજ નીચે નાનાં ખાનાં. મોટું ખાનું એવું હતું કે ઊભે ઊભે એમાંથી ચોપડીઓ કાઢી શકાય. હું હજી આઠમા- નવમા ધોરણમાં ભણતો હતો. એ સમયે પપ્પા વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતા. વાંચવાના તેઓ જબરા શોખીન, અને વાંચવાની ઝડપ પણ ઘણી. પણ તેમનો મુખ્ય રસ પોકેટ બુક્સ વાંચવાનો. આથી અઠવાડિયે બે- ત્રણ વાર એવું બનતું કે તેઓ વડોદરા સ્ટેશને આવેલા એ.એચ.વ્હીલરના સ્ટોલ પરથી એક પુસ્તક ખરીદે અને મહેમદાવાદ આવે ત્યાં સુધીમાં એ વાંચી લે. ત્યારે વડોદરાથી મહેમદાવાદ પેસેન્જર ટ્રેનમાં અઢીથી પોણા ત્રણ કલાક લાગતા. તેમણે ખરીદેલાં મોટા ભાગનાં પુસ્તકો જેમ્સ હેડલી ચેઈઝનાં રહેતાં. ક્યારેક હેરોલ્ડ રોબિન્સ કે ઈઆન ફ્લેમિંગ પણ આવી જાય. આ પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત હતાં. જેમ્સ હેડલી ચેઈઝનાં મોટા ભાગનાં પુસ્તકોનો અનુવાદ બકુલ વોરા દ્વારા થતો. ક્યારેક તેઓ અંગ્રેજી પોકેટ બુક્સ પણ ખરીદતા અને વાંચતા.
મારા માટે આ પુસ્તકો નવીનવાઈનાં હતાં. કેમ કે, દરેક પુસ્તક પર લેખકનું નામ મોટા અક્ષરે મસ્ત ટાઈપોગ્રાફીમાં લખાયેલું રહેતું, જ્યારે પુસ્તકનું નામ નીચે સાદી ટાઈપોગ્રાફીમાં. આવાં બીજાં કોઈ પુસ્તકો મેં જોયાં નહોતાં. આ પુસ્તકો મુંબઈથી આવતા મારા પિતરાઈ ભાઈઓ કિસનભાઈ અને મયુરભાઈ, તેમજ અમદાવાદથી આવતી ફોઈની દીકરીઓ રન્નાબહેન, ઉષ્માબહેન, પારુલબહેન તેમજ બેલાબહેન હોંશે હોંશે વાંચતાં. ફોઈની દીકરીઓ તો આવે એટલે સીધી જ ત્રીજે માળે કબાટે પહોંચી જતી અને મામા કઈ નવી બુક્સ લાવ્યા છે એ જોતી. ક્યારેક પપ્પા તેમને કહેતા પણ ખરા કે આમાં મજા આવશે. મને નવાઈ લાગતી કે એમને એમાં આટલો બધો શો રસ પડતો હશે?
મને વાંચવાનો શોખ લાગુ પડેલો, અને મારા માટે તેઓ 'અમર ચિત્રકથા' તેમજ અન્ય કિશોર સાહિત્ય લાવતા. એ પુસ્તકો મારા મહેમદાવાદના મિત્રવર્તુળના મિત્રોએ દરેક વેકેશનમાં અનેક વાર વાંચ્યા હશે. પણ પેલી પોકેટ બુક્સ મારે ન વાંચવાની પપ્પાની સૂચના. મને ખાસ કુતૂહલ નહોતું કે એમાં શું હશે. પપ્પા કે મમ્મીનો એવો કશો ચોકીપહેરો પણ નહીં, એટલે કદી ચોરીછૂપીથી વાંચવાની ઈચ્છા કદાચ નહીં થયેલી.
દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પાએ મને સામેથી કહ્યું, 'તું વેકેશનમાં આ બધી ચોપડીઓ વાંચજે.' પપ્પાએ પરવાનગી આપી ત્યારે પુસ્તકોની સંખ્યા ઘટી ગયેલી. ફોઈની દીકરીઓ ઘણાં પુસ્તકો વાંચવા લઈ જતી. તેમની પાસે પણ ઘણાં પુસ્તકો હતાં. ક્યારેક તેઓ યાદ રાખીને પપ્પાનાં પુસ્તકો પાછાં લાવતી, તો ક્યારેક ભૂલથી એમનાં પોતાનાં પુસ્તકો પણ આવી જતાં. પણ પપ્પાએ એક વાર એ વાંચી લીધાં હોય પછી ફરી વાંચવાનું રહેતું નહીં. આથી એવી કશી નોંધ રાખવાનો રિવાજ નહોતો.
પપ્પાએ કહ્યા પછી મેં એકાદું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. પણ મને એમાં આવતા અંગ્રેજી નામ અને વાતાવરણ બહુ ફાવ્યાં નહીં. આથી મેં એ અધૂરું મૂક્યું. પણ મારા મિત્ર વિપુલ રાવલે એક પછી એક પુસ્તકો વાંચવા માંડ્યા. તેણે મનેય કહ્યું કે એક વાર તું ટેવાઈ જઈશ પછી બહુ જ મજા આવશે. તેની આવી હિદાયતથી મેં ફરી એક વાર એ પુસ્તક હાથમાં લીધું અને પૂરું કર્યું. ખરેખર મજા આવી ગઈ. બસ, હવે તો સામે ખજાનો હતો.
દસમાનું વેકેશન હતું એટલે એક વાર મમ્મીને મેં કહ્યું કે તેઓ ફોઈને ત્યાં જાય અને ફોઈની દીકરીઓ પાસેથી પુસ્તકો લેતાં આવે. મમ્મી ખાસ એ કામ માટે અમદાવાદ ગયાં અને ઘણાં પુસ્તકો લેતા આવ્યાં. ફોઈની દીકરીઓએ પણ એ વાંચી લીધેલાં. ઘણાં બધાં પુસ્તકો બદલાઈ ગયેલાં, તેમણે પોતાનાં હોય એવાં આપેલાં, પણ મહત્ત્વ સંખ્યાનું હતું. ધીમે ધીમે કરતાં અમે એ તમામ પુસ્તકો વાંચી નાખ્યાં. એ પછી તો દર વેકેશનમાં આ પોકેટ બુક્સ વાંચવાનો અમારો ક્રમ બની ગયો. 'વેલ નાઉ માય પ્રીટી', 'ધેર ઈઝ અ હીપ્પી ઓન ધ હાઈવે', 'કેન ઓફ વોર્મ્સ', 'વારી ટ્રાન્સગ્રેસર', 'કેડ', 'એન ઈઅર ટુ ધ ગ્રાઉન્ડ', 'ધ જોકર ઈન ધ પેક', 'નો ઓર્કિડ્સ ફોર મિસ બ્લેન્ડીશ' 'શોક ટ્રીટમેન્ટ', 'ડબલ શફલ', 'હેવ ધીસ વન ઓન મી', 'ફીગર ઈટ આઉટ' હેરોલ્ડ રોબિન્સની 'સ્ટીલેટો', ઈઆન ફ્લેમિંગની 'ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ' વગેરે જેવાં અનેક નામ આજેય મને કશા આયાસ વગર યાદ છે. એક આખી સૃષ્ટિ જાણે કે ખુલી ગઈ.
હવે ઘણાં વખતથી એ પુસ્તકો તરફ નજર કરાઈ નથી. પણ વાંચનની આદતને વિકસાવવામાં આ પુસ્તકોનું ઘણું પ્રદાન રહ્યું. પપ્પા દર વેકેશનમાં બાળ અને કિશોરસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો લાવતાં એમાંનાં ઘણાં બધાં પુસ્તકો અમારાં સંતાનોએ પણ વાંચ્યાં. એમાંનાં ઘણા હજી સચવાયાં છે, અને એમાંની કેટલીક વાર્તાઓનાં પાત્રો કે પરિસ્થિતિઓ અમારા માટે સંદર્ભબિંદુ બની રહ્યાં છે.
પપ્પાની વિદાયને આજની તારીખે અઢાર વર્ષ વીત્યાં. સ્વજનોની સ્મૃતિ કંઈ તિથિતારીખ પૂરતી મર્યાદિત નથી હોતી. ભૌતિક અને માનસિક સ્મૃતિઓ થકી તેઓ આપણા મનમાં જીવંત રહેતાં હોય છે. હવે આપણી વય વધતી જાય અને વ્યસ્તતા તેમજ પ્રાથમિકતાઓ બદલાતી જાય ત્યારે મનમાં રહેલા સ્મૃતિના આંતરપ્રવાહને આ રીતે બહાર લાવવો પણ જરૂરી છે.

Wednesday, February 18, 2026

એવા ગાંધી નવજીવને ઊતર્યા રે

રવિવાર, 15 ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યે નવજીવન, અમદાવાદમાં 'નવજીવન ટૉક્સ' અંતર્ગત ગાંધીજીનાં વ્યંગ્યચિત્રોની રજૂઆતનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનું શિર્ષક હતું 'Gandhi: Between the lines (વ્યંગ્યચિત્રોમાં ગાંધી)'. આ પ્રકારનો કાર્યક્રમ પહેલવહેલી વાર મેં 2016માં કરેલો. અગાઉ આવો કોઈ કાર્યક્રમ થયેલો ધ્યાનમાં ન હોવાથી તેનું માળખું પણ જાતે જ બનાવેલું અને એ વખતે એક ભાવકની દૃષ્ટિએ વિચારીને એ બનાવેલું. ત્યારથી લઈને આજ સુધીના અનેક કાર્યક્રમોમાં એ મૂળભૂત માળખું એમનું એમ રહ્યું છે. અંદરની સામગ્રીમાં સ્થળ અને શ્રોતાઓ મુજબ ફેરફાર થતા રહે એ વાત અલગ છે.

કાર્ટૂનનાં પુસ્તકોની પહેલવહેલી ખરીદી 1988-89 આસપાસ કરેલી, જેમાં બે મુખ્ય હતાં. એક અબુ અબ્રાહમ દ્વારા સંપાદિત 'પેંગ્વિન બુક ઓફ ઈન્ડિયન કાર્ટૂન્સ' અને બીજી દુર્ગાદાસ સંપાદિત 'ગાંધી ઈન કાર્ટૂન્સ'. યાદ છે ત્યાં સુધી આ બન્ને પુસ્તકો અમદાવાદ રેલ્વે સ્ટેશનના બુકસ્ટોલ પરથી ખરીદેલા. 'ગાંધી ઈન કાર્ટૂન્સ' એક અદભુત પુસ્તક છે, જેમાં ગાંધીજીના હયાતિના ગાળા દરમિયાન પ્રકાશિત વિવિધ કાર્ટૂનોનો સંચય છે. મારા કાર્યક્રમના એક હિસ્સામાં હું જે કાર્ટૂનનો ઉપયોગ કરું છું તેમાં આ પુસ્તકમાંથી કાર્ટૂનની પસંદગી કરું છું. પણ આ વખતે વિચાર્યું કે એ પુસ્તકમાંથી એકાદ બે કાર્ટૂન જ લેવાં અને એ વિભાગ માટે થોડાં નવાં કાર્ટૂન સામેલ કરવાં. સાથોસાથ પશ્ચિમી જગતના કાર્ટૂનિસ્ટો ગાંધીજીને એ સમયે શી રીતે જોતા એ પણ બતાવવું હતું.


કાર્યક્રમની જાહેરાત માટે મેં અમુક કાર્ટૂનો રામ મોરીને મોકલ્યાં, પણ તેમણે જે પોસ્ટર બનાવડાવીને મોકલ્યું એ એવું મજાનું હતું કે પછી બીજો વિચાર કરવાનો આવ્યો જ નહીં. ભાઈ ભૌમિક સુથારે એવું કેરિકેચર બનાવેલું કે જેમાં મારા ખભે હાથ મૂકીને ગાંધીજી ઊભેલા હોય. આમાં મારી આકૃતિ પ્રમાણમાં મોટી અને ગાંધીજી સહેજ નાના હતા. સ્વાભાવિકપણે જ ગાંધીપ્રેમી હોય એમને આ અજુગતું લાગે કે મારી આકૃતિ ગાંધીજી કરતાં મોટી કેમ! પણ આ કેરિકેચર બરાબર જોઈએ અને ઊપક્રમ વિશે જાણીએ તો આનો ખુલાસો મળી જાય. કાર્યક્રમની રજૂઆત હું કરવાનો છું એટલે કેરિકેચર મારું મૂકાય, કે જેમ અન્ય વક્તાઓના કાર્યક્રમમાં એમની તસવીર હોય છે. એટલે જાણે કે હું ફોટો પડાવવા બેઠો હોઉં એવું કેરિકેચર, અને ગાંધીજી જાણે કે મારી મસ્તી કરતા હોય એમ પાછળથી આવીને મારા ખભે હાથ મૂકીને ઊભા રહી ગયા હોય એવી એમની મુદ્રા. એટલે આનાથી કાર્યક્રમમાં રહેલી મસ્તીનો આંતરપ્રવાહ છતો થઈ જાય અને એ અંદાજ મળી રહે કે કાર્યક્રમ હળવાશયુક્ત હશે.

કાર્યક્રમના આરંભ રામ મોરી દ્વારા


ખેર! નવજીવનના સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ વાત કરવાની બહુ મજા આવી. આરંભ રામ મોરીએ કર્યા પછી બહુ ઝડપથી તેમણે મને સુકાન સોંપી દીધું. એક પછી એક વિભાગ અને એના મુજબ કાર્ટૂનોની રજૂઆત, સાથોસાથ એનો સંદર્ભ તેમજ દૃશ્યકળાનાં પરિમાણોની પણ વાત થતી રહી.
છેલ્લે સવાલજવાબનો ઉપક્રમ પણ મજાનો રહ્યો. સવાલજવાબ પછી હળવામળવાનું ચાલ્યું. એકંદરે ગાંધીજીના સાન્નિધ્યમાં એક મજાની સાંજ ગાળવાનો આનંદ આવ્યો.
આ કાર્યક્રમ માટે સંયોજન કરનાર રામ મોરી, કેરિકેચર બનાવનાર ભૌમિક સુથાર, સંકલન માટે મિલન ઠક્કર, તસવીરો અને વિડીયોગ્રાફી માટે કેયુર ભટ્ટ- મન્વિતા, વિજય પરમાર અને આ ઊપક્રમના યજમાન સદાના મિત્ર એવા વિવેક દેસાઈ- શિલ્પાબહેન સૌનો આભાર.

Saturday, February 14, 2026

મૃદુભાષી, મિતભાષી, છતાં મક્કમ વ્યક્તિત્વની વિદાય

પ્રમેશબહેન મહેતા 
ગઈ કાલે એમિટી સ્કૂલ, ભરુચના પૃષ્ઠ પર પ્રમેશબહેન મહેતાના અવસાનના સમાચાર જાણવા મળ્યા. પ્રમેશબહેન સાથે છેલ્લી મુલાકાત 22 નવેમ્બર, 2025ના રોજ એમિટી સ્કૂલમાં જ થયેલી. ઘણા સમયથી નાદુરસ્ત તબિયત છતાં હું આવવાનો હોવાથી તેઓ ખાસ મળવા આવેલાં. વ્હીલચેર પર બેઠેલાં, પણ જાણે કે ક્યારે એની પરથી ઊભા થઈ જવું એમ જ મનમાં હોય એમ લાગે. તેમની સાથે પહેલવહેલો પરિચય 26 ફેબ્રુઆરી, 2011ના રોજ થયેલો. એમિટી સ્કૂલના બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન હતું અને મારે તેમાં વક્તવ્ય આપવાનું હતું. પ્રમેશબહેનને સૌ પ્રથમ વાર મળવાનું ત્યારે બનેલું. એમિટીના રણછોડભાઈએ તેમનો અને પ્રકાશભાઈનો પરિચય કરાવ્યો. એ વખતે પ્રમેશબહેન સાવ ખપ પૂરતું બોલતાં હોય એવી છાપ પડેલી. એ પછી એમિટી પર જ્યારે જવાનું થાય ત્યારે તેઓ મળે, હસીને ખબરઅંતર પૂછે અને વાતોમાં જોડાય ખરાં, પણ વાતોમાં ભાગ ખાસ ન લે.

મારી ભરુચની એક મુલાકાત દરમિયાન 'કોર ગૃપ'
સાથેની બેઠકમાં પ્રમેશબહેન (જમણેથી પહેલાં)

જો કે, એમિટી સ્કૂલ વિશેનું પુસ્તક 'કેળવણીનો કર્મયોગ'નું આલેખન કરવાનું શરૂ થયું ત્યારે સાવ આરંભિક મુલાકાતોમાંની એક તેમની હતી. એ વખતે મને તેમના વિશે વધુ જાણ થઈ. તેઓ પોતે પોતાના વિશે ખાસ બોલવા ઈચ્છે નહીં, પણ રણછોડભાઈએ તેમને કહ્યું, 'પ્રમેશબહેન, તમારે તમારી વાત કહેવી પડશે. નહીંતર એ લખશે શી રીતે?' પ્રમેશબહેને વાત કરી, પણ જાણે કે પોતાના વિશે વાત કરતાં સંકોચ થતો હોય એ સ્પષ્ટપણે દેખાય.

અમારી છેલ્લી મુલાકાત વખતે કાર્યક્રમમાં
ઉપસ્થિત પ્રમેશબહેન (સામેની હરોળમાં જમણેથી બીજા ક્રમે)

પ્રમેશબહેનની કૌટુંબિક પૃષ્ઠભૂમિ સાવ જુદી હતી. કરાચીમાં જન્મ્યા પછી સાવ દોઢ બે વર્ષની વયે, દેશના વિભાજનને કારણે માતાપિતા સાથે તેમણે સ્થળાંતર કરીને મુંબઈ આવી જવું પડેલું. મેટ્રિક અને ત્યાર પછી મોન્ટેસરી કોર્સ તેમણે મુંબઈમાં જ કરેલો, અને વાલકેશ્વર ખાતે ‘ભગિની કલામંદીર’માં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. લગ્ન પછી પ્રમેશબેનને સુરત સ્થાયી થવાનું બન્યું, પણ એ અગાઉ ‘ભગિની કલા મંદીર’નાં આચાર્યા વિમળાબહેને પોતાની પિતરાઈ પુષ્પાબહેનને પ્રમેશબેનના નામની ભલામણ કરી હતી. પુષ્પાબહેન ત્યારે ભરૂચમાં ‘રુંગટા વિદ્યાભવન’નાં મેનેજિંગ ટ્રસ્ટી હતાં. પ્રમેશબહેન પરણીને સુરત આવ્યાં ત્યારે તેમના પતિ આઝાદભાઈ મહેતાની નોકરી ખેતીવાડી વિભાગમાં કીમ ખાતે હતી. પ્રમેશબહેન ભરૂચ ખાતે ‘રુંગટા વિદ્યાભવન’માં જોડાયાં. વહેલી સવારે પતિપત્ની બન્ને સુરતથી ટ્રેનમાં નીકળી જતાં, અને સાંજે ઘરભેગા થતાં. આ ક્રમ બહુ લાંબું ચાલે એમ નહોતો, કેમ કે ટ્રેન દ્વારા અપડાઉન કરવામાં ઘણો સમય વેડફાતો હતો. બહુ ઝડપથી તેમણે ભરૂચમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો.
રણછોડભાઈએ આચાર્ય તરીકે ‘રુંગટા’નો કાર્યભાર સંભાળ્યો ત્યારે પ્રમેશબહેન ત્યાં પૂર્વ પ્રાથમિક વિભાગના વડાની જવાબદારી સંભાળી રહ્યા હતાં. ભૂલકાંઓમાં પ્રમેશબહેન અતિશય પ્રિય બની રહેલાં. તેમની સાદગીભરી રહેણીકરણી અને એવા જ સાદગીસભર વ્યક્તિત્વને કારણે સૌ કોઈને તેમની સાથે આત્મીયતા અનુભવાતી. પ્રકૃતિએ પ્રેમાળ અને મિતભાષી પ્રમેશબહેનના મનમાં શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધબકતી હતી.
આમ, એક સમયે 'રુંગટા વિદ્યાભવન' સાથે સંકળાયેલાં રણછોડભાઈ, પ્રમેશબહેન, શૈલાબહેન અને પ્રવિણસિંહ રાજ 'એમિટી સ્કૂલ'ની સ્થાપનામાં નિમિત્ત બન્યાં. શિક્ષણના પોતાના ખ્યાલ અનુસાર તેમણે સૌએ આ શાળાને સીંચી અને એક આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ત્યારથી પ્રમેશબહેન જીવનપર્યંત એમિટી સાથે જ સંકળાયેલાં રહ્યાં. બાળકો પ્રત્યેના તેમના પ્રેમની છાલક સૌ કોઈને ભીંજવતી. આથી જ છેક પૂર્વ પ્રાથમિકમાં ભણી ચૂક્યાં હોય એવાં અનેક બાળકો મોટાં થાય અને તેમનાં પોતાનાં સંતાનોને પૂર્વ પ્રાથમિકમાં મૂકવાનો વારો આવે ત્યારે 'પ્રમેશ ટીચર'ને યાદ કરતાં.
પુસ્તકના આલેખન દરમિયાન એક આખો અરસો મારે 'એમિટી'ની મુલાકાતે જવાનું થતું રહ્યું. દરેક મુલાકાત વખતે પ્રમેશબહેન સસ્મિત હાજર હોય. તેઓ વાલી સાથે કે સહકાર્યકરો સાથે વાત કરે ત્યારે જાણે કે જુદી જ વ્યક્તિ હોય. બાળઉછેર તેમજ શૈક્ષણિક પદ્ધતિ વિશેની તેમના મનમાં રહેલી પાયાની સ્પષ્ટતાઓ આ વાતચીતમાં જોઈ શકાય. અને આ તેમને સૌથી ગમતું કામ એ તેમને જોઈને આપણને સમજાઈ જાય.
નવેમ્બરમાં બુક લવર્સ મીટ નિમિત્તે સાંજે મારે ભરૂચનો કાર્યક્રમ હતો. ત્યારે સવારે એમિટી સ્કૂલમાં મારે હોમાય વ્યારાવાલા વિશે વાત કરવાનું રણછોડભાઈ અને પ્રકાશભાઈએ આયોજન કર્યું. ત્યાં હવે પરિચીત બનેલા સૌ કોઈને મળવાનું આકર્ષણ મને હોય એ સ્વાભાવિક છે. મેં સાંભળેલું કે પ્રમેશબહેનની તબિયત નાદુરસ્ત રહે છે. પણ તેઓ એ જ હસતા ચહેરે આવ્યાં ત્યારે સાનંદાશ્ચર્ય થયું. એટલું જ નહીં, તેઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બેઠાં રહ્યાં. ત્યારે ખ્યાલ નહોતો કે તેમની સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પ્રમેશબહેન જેવી વ્યક્તિ સદેહે ભલે વિદાય લે, પણ તેમની સ્મૃતિઓની મહેક એવી હોય છે કે રજનીગંધાનાં ફૂલોની સુગંધની જેમ તે મનને સદાય મહેકતું રાખે.

Wednesday, February 11, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-28): ચાઉમાઉનો લોકશાહીપ્રેમ

ચાઉમાઉને વાચન બહુ ગમતું. આથી તેણે ચીનની દરેક શાળાઓમાં 'વાચનોત્સવ' ચાલુ કરાવ્યો હતો. આ ઉત્સવનું મહત્વ ભાવનાત્મક હતું, આથી શાળામાં આવતાં દરેક બાળકો પોતાની બન્ને હથેળીઓ હાથમાં પુસ્તક પકડ્યું હોય એવી મુદ્રામાં ખુલ્લી રાખતા. આશય એટલો કે લોકો વાચનના મહત્વને પિછાણે. નાનો હતો ત્યારથી ચાઉમાઉ કોલેજમાં જતો. કેમ કે, કોલેજમાં વડનાં ઝાડ બહુ હતા. અને એની પર વાંદરાં કૂદાકૂદ કરી મૂકતા. ચાઉમાઉના ખાસ કોઈ જોડીદાર હતા નહીં, આથી તે વાંદરાઓને જોયા કરતો. આગળ જતાં ચાઉમાઉ ચીનનો શાસક બન્યો ત્યારે તેણે અનેક વાર કહેલું કે પોતે નાનપણથી કોલેજ જતો હતો. ઘણા લોકો આ બાબતે શંકા કરતા, અને પૂછતા કે કોલેજનું કોઈ પ્રમાણપત્ર હોય તો બતાવો. પણ કોલેજમાં આવેલાં વડના ઝાડ પર કૂદાકૂદ કરતા વાંદરાં જોવાનાં કંઈ પ્રમાણપત્ર હોય? જો કે, ધીમે ધીમે ચાઉમાઉને આવા સવાલ પૂછનારા અદૃશ્ય થતા ગયા. ચીનની શાળાઓમાં ભણાવાતા ઈતિહાસનાં પ્રશ્નપત્રોમાં આ વાત સાત માર્કની ટૂંકનોંધ તરીકે પૂછાવા લાગી, એટલે ચીનનાં બચ્ચેબચ્ચાને ખબર પડી ગઈ કે ચાઉમાઉ નાનો હતો ત્યારથી કોલેજ જતો થઈ ગયેલો.

ચાઉમાઉ પોતે લોકશાહી વિચારધારામાં માનતો હતો. દરેક નિર્ણય તે સર્વાનુમતે લેતો. કોની મગદૂર હતી કે ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપે? પણ એક મહાશય હતા, જે વયોવૃદ્ધ હતા. તેઓ કહેતા, 'મને ચાઉમાઉની તો ઠીક, એના પિતાશ્રીનીય બીક નથી.' આમ કહેવાનું કારણ એ કે ચાઉમાઉના પિતાશ્રી વરસો અગાઉ ડ્રેગનલોકવાસી થયેલા. ચાઉમાઉએ વિવિધ બાબતે નિર્ણયો લેવા સમિતિઓ બનાવેલી. એમાં આંગળી ઊંચી કરીને મતદાન થતું. પેલા વયોવૃદ્ધ મહાશય સદાય ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપતા, જ્યારે બાકીનાઓ ચાઉમાઉની તરફેણમાં. બાકીનાઓને પછી ખબર પડેલી કે પેલા વયોવૃદ્ધ નેતાને ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપવા બદલ તગડા યેન મળતા હતા. કારણ એટલું જ કે ચાઉમાઉ માનતો કે તમામ નિર્ણયો લોકશાહી ઢબે જ લેવાવા જોઈએ અને ભિન્ન મતનો આદર કરવો જોઈએ. આદર આપવાની આનાથી વધુ બહેતર રીત શી હોઈ શકે!
આમ, લોકશાહી ઢબે ચાલતા ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર હતી.

Tuesday, February 10, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-27): ચાઉમાઉના દેશમાં રોકેટરમત

ચાઉમાઉ અતિ ગંભીર પ્રકૃતિનો શાસક હતો. પોતાના દેશમાં હોય ત્યારે તે એવો ઘુવડગંભીર રહેતો કે જોનારને એમ જ લાગે કે આ માણસ જન્મ પછી કદી હસ્યો જ નહીં હોય. પણ ચાઉમાઉ વિદેશયાત્રાએ જાય, અને વિદેશી શાસકો ને હળેમળે ત્યારે ખડખડાટ હસતો, ટુચકાઓ કહેતો, સામેવાળાને તાળીઓ મારતો. એ જોનારને એમ જ લાગે કે જન્મથી જ આ માણસ આવો ખડખડાટ હસતો હશે. ચીનાઓને મન આ એક ગંભીર કોયડો હતો. તેમને સતત એમ થતું કે શું પોતાની રમૂજવૃત્તિમાં કશી કસર છે? કે દેશવાસીઓની ભાષા એવી થઈ ગઈ છે કે સમ્રાટ સદાય ગીધગંભીર રહે છે!

જે ચીનાઓ વિદેશમાં વસવાટ કરતા હતા એમણે નોંધ્યું કે ચાઉમાઉ વિદેશમાં આવે ત્યારે એણે દુભાષિયો રાખવો પડે છે. એનો મતલબ એવો કે વિદેશી ભાષાઓ ચાઉમાઉને સમજાતી નથી. પણ તેમણે એય નોંધ્યું કે ચાઉમાઉ કોઈ વિદેશી શાસક સાથે મળીને અટ્ટહાસ્ય કરે કે ટુચકાની આપ-લે કરે ત્યારે એમને કોઈ દુભાષિયાની જરૂર હોતી નથી. આનો એક અર્થ એવો કરી શકાય કે વિદેશી શાસકોને ચીની ભાષા આવડતી હોય એમ બને. પણ એ શક્ય નહોતું. કેમ કે, ચીની ભાષા હજી ચીનાઓને જ પૂરેપૂરી ન આવડી હોય તો વિદેશીઓને ક્યાંથી આવડવાની? આ જ કારણે ચીનાઓને ચાઉમાઉ માટે અહોભાવ હતો. તેઓ ગંભીરતાથી માનતા કે 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ.'
કેટલાક ઈતિહાસકારોએ શોધી કાઢ્યું કે અસલમાં ચાઉમાઉમાં રમૂજવૃત્તિ જન્મજાત હતી અને શાળાકાળથી તે પૂરેપૂરી ખીલેલી હતી. શાળામાં પણ તે કોઈ સહાધ્યાયીને આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જો, રોકેટ જાય.' બાજુવાળો આકાશ સામું જોઈને રોકેટ શોધવા ફાંફા મારે કે તેને ચાઉમાઉનું અટ્ટહાસ્ય સંભળાતું. આવી તો અનેક મૌલિક તરકીબો ચાઉમાઉએ વિકસાવેલી, જે તેને શાસક બન્યા પછી બહુ કામમાં આવી.
ક્યારેક કોઈક નિષ્ણાત મંત્રી જણાવે કે 'નામદાર, આપણે શિક્ષણનીતિ વિશે વિચારવું જોઈએ.' ત્યારે ચાઉમાઉ આકાશ તરફ આંગળી ચીંધીને તેને કહેતો, જો, પેલું રોકેટ જાય.' મંત્રીઓ શરૂ શરૂમાં ઠાવકા રહેતા અને આકાશ સામું જોયા વિના કહેતા, 'નામદાર, હજી રોકેટની શોધ થઈ જ નથી.' પણ એ વખતે ચાઉમાઉ આકાશમાં જોઈને ડાફોળિયાં મારતો અને બોલતો, 'અલ્યા, હમણાં તો જોયેલું. ક્યાં સંતાઈ ગયું પાછું? હા...આ...આ. પેલો હાથી વચ્ચે આવી ગયો લાગે છે.' મંત્રીઓ સપાટ સ્વરે કહેતા, 'નામદાર, આકાશમાં હાથી ન હોય.' ચાઉમાઉ તેમની સામે જોયા વિના આકાશમાં જ તાકી રહેતો અને કહેતો, 'હાથી ક્યાં જતો રહ્યો? પે...લ્લી એની પૂંછડી દેખા..આ..આ..ય! હત્તેરી કી. એય ગુલાબ પાછળ ઢંકાઈ ગઈ.' આમ, રોકેટ હાથી પાછળ, હાથી ગુલાબ પાછળ, ગુલાબ ગધેડા પાછળ અને ગધેડું સફેદ વાદળ પાછળ ખોવાઈ જતું. આટલી વાર સુધી પેલા મંત્રીઓ ઊભા રહી શકતા નહીં.
ધીમે ધીમે ચાઉમાઉએ એવા મંત્રીઓને જ તગેડી મૂક્યા. તેણે એવા મંત્રીઓની ભરતી કરી કે જે ચાઉમાઉનું કોરસ બની રહે. અર્થાત્ ચાઉમાઉ એક વાક્ય બોલે અને પેલા લોકો એને ઝીલે. જેમ કે, 'અલ્યા, જો પેલું રોકેટ!' એ સાથે જ પેલા મંત્રીઓ કહેતા, 'મારું બેટું કેટલું ફાસમફાસ જાય છે હેં! અહાહા, અને ધુમાડા તો જો! એકદમ સફેદ. જાણે વાદળમાં દેખાય જ નહીં!'
જો કે, હવે ચાઉમાઉને કોઈ સાચી વાત કહેનાર રહ્યું નહીં, એટલે 'જો, પેલું રોકેટ!'ની રમત રમવાની જરૂર નહોતી. પણ એક રમત લેખે લોકોને એ એટલી બધી ફાવી ગઈ હતી કે એકે એક ચીનાએ એને અપનાવી લીધેલી. જેમ કે, કોઈ ચીની પિતા પોતાના દીકરાને પૂછે, 'તારા ગણિતમાં કેટલા માર્ક આવ્યા?' જવાબમાં દીકરો આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જુઓ, પેલું રોકેટ જા..આ..આ..ય.' એ જ રીતે ક્યારેક દીકરો પોતાના પિતાને કહે, 'પપ્પા, સ્કૂલની ફી ભરવાની છે. આ વખતે નહીં ભરું તો એ લોકો મને કાઢી મૂકશે.' એ સાથે જ પિતા આકાશ તરફ આંગળી ચીંધીને કહેતા, 'જો, પેલું રોકેટ જા..આ...આ..ય.'
ધીમે ધીમે ચીનમાં એવી હવા જામી કે ચાઉમાઉએ 'જો, રોકેટ જાય' ફેસ્ટિવલ રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ કર્યું. આ ફેસ્ટીવલ ખાસ કરીને વિદેશમાં રહેતા ચીનાઓ માટે હતો. વિદેશમાં વસતા ચીનાઓ ખાસ આ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે ચીન આવતા. અને હોંશે હોંશે 'જો, રોકેટ જાય.' રમતનો હિસ્સો બનતા. એટલું જ નહીં, આ રમત માટે મેદાનો, સાધનો અને ખેલાડીઓ વિકસાવી શકાય એ માટે અઢળક નાણાં દાનરૂપે આપીને જતા.
આથી ચાઉમાઉને આઈડિયા મળ્યો કે આ જ રમત વિદેશોમાં ચાલુ કરાવી શકાય. એ રીતે ચીની સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાશે. એક નવાસવા રંગરુટ મંત્રીએ આ સાંભળીને ચાઉમાઉને ભોળેભાવે પૂછ્યું, 'પણ નામદાર, આપણી પાસે ચીનનો ઝંડો છે. ચીની સંસ્કૃતિનો ઝંડો આપણે નવો બનાવડાવવો પડે, હેં ને?' ચાઉમાઉએ કરુણામિશ્રિત હાસ્યથી તેની સામું જોયું. વિશાળ ખંડમાં ઊભે ઊભે તેણે છત તરફ આંગળી ચીંધી અને કહ્યું, 'જો, રોકેટ જા...આ...ય.'
કહેવાય છે કે રોકેટની શોધ થઈ એ પછી આ રમતનું સ્વરૂપ બદલાયું. રોકેટને સ્થાને એમાં 'હોડી' શબ્દ આવ્યો. પણ ચીનાઓની રમતવૃત્તિ એમની એમ જ રહી. અને જે પ્રજા રમતપ્રેમી હોય છે એને સદાય લીલાલહેર હોય છે.