Friday, June 26, 2026

MAD પુરાણ (16): આઈ.ટી.રિટર્ન સરળ રીતે

આઈ.ટી.રિટર્નનો મહિનો છે. ગયા વર્ષની આવકજાવકનો હિસાબ કરીને તેને આવકવેરા વિભાગના નિર્ધારીત ફોર્મમાં ભરીને જમા કરાવવા માટે સહુ કોઈ દોડાદોડી કરતા હશે. મારા જેવા કેટલાય હશે કે જે વરસોથી નિયમીતપણે આ વિધિ કરે છે, પણ તે શાથી કરવી, શી રીતે કરવી એ જાણતા નથી. કોઈકને ત્યાં લગ્નપ્રસંગે જઈને ભોજન લીધા પછી વ્યવહાર કરીને આવી જઈએ એવી જ યાંત્રિકતાથી આ વિધિ પાર પાડવામાં આવે છે.

વચ્ચે ઘણા સમય સુધી આવકવેરા વિભાગ દ્વારા 'સરલ' નામનું ફોર્મ બહાર પાડેલું. મારા જેવાને એ પણ ભરતાં ફાવતું નહોતું. એવે વખતે મનમાં ઘણા કુવિચારો આવતા, પણ ભલું થજો અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું કે જે આવા વખતે અમારી વહારે ધાય છે.
ત્યારે એમ હતું કે આ 'સરલ'ની માથાકૂટ ભારતમાં જ હશે. પણ 'મેડ'નો જૂન, 1970નો આ અંક જોયો, અને તેમાં છપાયેલું 'સરળ-વાસ્તવિક ફોર્મ' જોયું ત્યારે સમજાયું કે આપણે ઘણા પાછળ છીએ.
અમેરિકન સરકારની, તેની વિવિધ નીતિઓની આવકવેરાના આ 'સરલ' ફોર્મમાં કેવી ખીલ્લી ઉડાડવામાં આવી છે એ ખાસ વાંચવા જેવું છે. અને રાબેતા મુજબ, ઈન્‍‍ટ્રો તો ખરો જ.
'મેડ'ના કલાકાર ડીક ડીબાર્તોલો દ્વારા આ આઈટમ તૈયાર કરવામાં આવી છે.
(Mad, June, 1970, issue no. 135)



Thursday, June 25, 2026

MAD પુરાણ (15): પરછાંંઈ દિખાયે સચ્ચાઈ


'મેડ'માં સચિત્ર હાસ્યનો જે મહિમા થયો છે એ ભાગ્યે જ બીજે જોવા મળ્યો છે. 'પંચ' મેગેઝીનમાં મોટે ભાગે લેખો આવતા. કાર્ટૂનનું પ્રમાણ મર્યાદિત રહેતું. 'મેડ'માં લખાણ હોય તો પણ તેને માણવા માટે ચિત્ર અનિવાર્ય બની રહે એવું મોટે ભાગે બનતું. સાવ શબ્દ વિના અનેક એવા વિષયો 'મેડ'માં જોવા મળતા, જેમાં એક એક ચિત્ર આખેઆખી પૂર્ણ કથાસમાન બની રહેતું.
વિવિધ પરિસ્થિતિઓમાં, વિવિધ વ્યક્તિઓના મનમાં ખરેખર શું ચાલતું હોય છે એ પડછાયા દ્વારા અહીં આબાદ વ્યક્ત કરાયું છે.
સર્જિયો એરેગોનસે કલ્પેલી અને ચીતરેલી એકે એક પરિસ્થિતિઓ ધ્યાનથી જોવા જેવી છે.
(Mad, Dec 1969)




Wednesday, June 24, 2026

MAD પુરાણ (14): સિમ્પસન્‍સ

 ઈમેજ બિલ્ડીંંગ, ઈમેજ મેકઓવર જેવા શબ્દો મોટે ભાગે સેલીબ્રીટીઓ માટે બનેલા હોય છે. પોતે કેવા દેખાશે એ બાબતે તેઓ બહુ સભાન હોય છે, અને પોતાના દેખાવને સરખો રાખવા માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને સૌંદર્યનિષ્ણાતોને રોકતા હોય છે.

'મેડ' આનો એક સસ્તો અને કિફાયત તરીકો ચીંધે છે. તે કહે છે, 'હે સેલીબ્રીટીઓ! સંગઠિત થાવ! અને નાણાં વેડફવાનું બંધ કરો.' કયો છે એ નવો તરીકો?
મૅટ ગ્રેનિંગ/Matt Groening નું સર્જન એવી એનિમેટેડ શ્રેણી 'ધ સિમ્પસન્સ' એક જમાનામાં અતિ લોકપ્રિય બનેલી. આ પાત્રોનું ચિત્રણ સહેજ અલગ પ્રકારે હતું. તેમની આંખો, વાળ, મોં વગેરે બાહ્ય રેખાઓથી ચીતરાયેલા. તેમાં ઝાઝું ડિટેઈલિંગ કરવામાં નહોતું આવ્યું. ડિઝનીનાં એનિમેટેડ પાત્રોની સરખામણીએ આ પાત્રો જરા રફ જણાય. (એ કારણે તે મારી અંગત પસંદગીમાં સ્થાન નથી પામતાં) આ તમામ પાત્રો વિવિધ વયજૂથ, લિંગ કે પ્રજાતિનાં હોવા છતાં તેમના ચિત્રણમાં અમુક સામ્ય જણાય છે. સેલીબ્રીટીઓની પસંદગી પણ ખાસ જોવા જેવી છે.
બસ, 'મેડ' હવે સેલીબ્રીટીઓને 'સિમ્પસન્સ લૂક' અપનાવવાનું કહે છે. એ અપનાવ્યા પછી તેઓ કેવા દેખાશે એના નમૂના....!
સ્ટેન હાર્ટ/Stan Hart ના વિચારને કલાકાર ગ્રેગ થીક્સ્ટન/Greg Theakston દ્વારા ચિત્રાંકિત કરવામાં આવ્યું છે.
અસલ સીમ્પસન્સ કેવા દેખાતાં હશે? આ સવાલ કોઈને ન થાય એ માટે બાજુના ચિત્રમાં તેમને સંદર્ભ માટે મૂક્યાં છે.



અસલ સિમ્‍પસન્સ 

Tuesday, June 23, 2026

MAD પુરાણ (13) : પ્રવાસની જાહેરખબરો

 વિવિધ સ્થળોની સુંદર તસવીરો જોઈને આપણે ઉદ્ગાર કાઢતા હોઈએ છીએ કે આ એકદમ 'પિક્ચર પોસ્ટકાર્ડ' જેવી છે! 'પિક્ચર પોસ્ટકાર્ડ' જેવી પરફેક્ટ તસવીરો મોટે ભાગે ટ્રાવેલને લગતાં બ્રોશર કે જાહેરખબરોમાં મૂકવામાં આવે છે.

હરેક ક્ષેત્રની જેમ 'મેડ' આ ક્ષેત્રને પણ બાકી શું કામ રાખે? અહીં આપણને ટ્રાવેલની વિવિધ જાહેરખબરો વાંચવાની 'સાચી' રીત 'મેડ' બતાવે છે.
હવે પછી કોઈ પણ ટ્રાવેલની જાહેરખબર વાંચીને લલચાવ અને તેમાં બુકિંગ કરાવવાનું વિચારો ત્યારે તેનો સાચો અર્થ પણ સમજી લેજો. આ લેખના ઈન્ટ્રોમાં આવો એક નમૂનો છે જ.
('મેડ'ના જૂના અંકોમાંથી ચૂંટેલી સામગ્રી પસંદ કરીને વિશેષાંકો નીકળતા હતા. આ આવો જ એક વિશેષાંક છે, જેનું નામ છે 'Biggest Greatest Cracked Annual', 1984)




Monday, June 22, 2026

MAD પુરાણ(12): એપ્ટિટ્યુડ ટેસ્ટ

કઈ કારકિર્દી તમને માફક આવશે એ નક્કી કરવા માટે જાતજાતના એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે. એ ટેસ્ટના પરિણામના આધારે તમે જે તે કારકિર્દી પસંદ કરો તો એમાં સફળ જવાશે કે નહીં એની કોઈ ખાત્રી હોતી નથી. આ સમસ્યાનો ઉકેલ 'મેડ' બતાવે છે. ડૉક્ટર તરીકેની કારકિર્દીમાં તમે સફળ થશો કે નહીં, તે આ સવાલના જવાબ મુજબ નક્કી કરવાનું છે.

ફ્રાન્ક જેકબ દ્વારા લખાયેલા આ સવાલો અને જ્યોર્જ વુડબ્રીજનું ચિત્રાંકન- વાંચીને હસતાં કે ગંભીર રીતે વિચારતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આ 'મેડ'ના 1984ના અંકમાં પ્રકાશિત થયેલું હતું.


Sunday, June 21, 2026

MAD પુરાણ (11): પગ

પગ યાનિ કી ચરણકમળ. પગનો આગવો મહિમા આપણે ત્યાં જોવા મળે છે. એમાંય 'આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈ..' જેવો સંંવાદ અને 'પાંવ છૂ લેને દો ફૂલોં કો ઈનાયત હોગી..' જેવી શાયરી તેમાં અનોખું રોમેન્ટિસીઝમ ઉમેરે છે. પણ 'મેડ' હંમેશાં બીજે જ નિશાન તાકે છે. રોમેન્ટિસીઝમને રીતસર ભડાકે દઈને તે એવું રીએલીઝમ દેખાડે છે કે એ જોયા પછી લાગે કે ખરી મઝા આની જ છે.

ઈતિહાસમાં અનેક હસ્તિઓ થઈ ગઈ. તેમની લાક્ષણિકતાઓ અને પ્રસંગો લોકોના દિલોદિમાગમાં એ રીતે અંકાઈ ગયેલાં હોય છે કે ભવિષ્યમાં કશી સાચી માહિતી મળે તો પણ મન એ માનવાનો ઈન્કાર કરી દે. જગતના એકે એક વિષયને 'સળી' કરનાર 'મેડ' માટે ઈતિહાસ અતિ પ્રિય વિષય બની રહે સ્વાભાવિક જ છે.
ઈતિહાસનાં ચોપડે કેટલાંય feats (પરાક્રમો) નોંધાયેલા છે, પણ 'મેડ' અહીં વાત કરે છે 'feets' (પગ)ની. feet પોતે બહુવચન છે, અને તેને sની જરૂર નથી, એ ભૂલી જવાનું છે. પણ કેટલાંક ઐતિહાસિક પરાક્રમોમાં 'પગ'ની શી સ્થિતિ હતી કે ભૂમિકા હતી એ અહીં જણાવવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખાયેલાં પાત્રો, સ્થળો વિશે પ્રાથમિક જાણકારી ન હોય તો ગૂગલ પરથી મેળવીને પછી આ ચિત્ર જોશો, તો મઝા આવશે.
આ વખતે પૉલ પીટર પોર્જિસના વિચારોને બૉબ જોન્સ દ્વારા ચીતરવામાં આવ્યા છે. રાબેતા મુજબ, ડાબે મથાળે 'Footnotes' ને બદલે 'Foot-nuts' લખવામાં આવ્યું છે. જમણે મથાળે સર્જિયોની હાંસિયાપટ્ટી પણ છે.
(Mad, winter 1984 super special)



Saturday, June 20, 2026

કળાને સમર્પિત કળાશિક્ષક, કળાકારની વિદાય

શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.

1991-92માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં મેં પેઈન્ટિંગ વિભાગમાં પ્રવેશ મેળવેલો. એ વખતે બન્ને ટર્મમાં અલગ અલગ વિભાગોમાં એક એક મહિનો (કે પંદર દિવસ- ચોક્કસ યાદ નથી) જવાનું બનતું. એ રીતે શિલ્પ વિભાગમાં બે વખત જવાનું થયું. અમારા અગાઉના વરસે સ્કલ્પચર વિભાગના હેડ રાઘવ કનેરિયાસાહેબ આ રીતે આવનારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને શિલ્પકળાના પ્રાથમિક પાઠ ભણાવતા. અમારી વખતે પહેલી વાર જ શિલ્પકળામાં તાજા જ એમ.એ. થયેલા એક શિક્ષક આવ્યા. તેમણે નવો જ અભિગમ અપનાવ્યો. સામાન્ય રીતે પહેલા વર્ષના પેઈન્ટિંગના વિદ્યાર્થીઓને ક્લે મોડેલિંગ શીખવાડાતું. તેને બદલે આ નવા સાહેબે સૌને 'પેપર સ્કલ્પચર' કરાવવાનું નક્કી કર્યું. પણ એથીય પહેલાં તેમણે સૌને કોઈ ને કોઈ 'ઓબ્જેક્ટ' શોધીને એનું આબેહૂબ ત્રિપરિમાણીય લાગે એવું પેન્સિલ ડ્રોઈંગ કરી લાવવાનું સોંપ્યું. તેમણે પોતાની ઓળખ આપતાં નામ જણાવ્યું, પણ તે એવા લહેજામાં બોલતા કે મોટા ભાગના બિનગુજરાતી વિદ્યાર્થીઓને એ ન સમજાયું, ખાસ કરીને એમની અટક. તેઓ પોતાનું નામ 'રતિલાલ કાન્સોદરિયા' તરીકે ઉચ્ચારતા. જો કે, તેમને સૌનાં નામ યાદ રહી ગયેલાં. તેઓ બહુ ધીમેથી બોલતા, ભાગ્યે જ અકળાતા, અને ધીરજપૂર્વક વિવિધ વિદ્યાર્થીઓએ દોરેલાં ડ્રોઈંગને નકારતાં. મેં એક અડધો ખવાયેલો મકાઈડોડો દોરવાનો શરૂ કરેલું. તેમણે એના એકે એક દાણામાં પેન્સિલ વડે રેન્ડરીંગ કરવાનો આગ્રહ રાખેલો, અને એમ કરતાં એમાંથી થોડા દાણા પણ છોલીને કાઢી નાખેલા. જેનું ચિત્ર તૈયાર થઈ જાય એને તેઓ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનું કહેતા. આ રીતે આખા વર્ગના વિદ્યાર્થીઓનાં ચિત્રો એક સાથે જોઈ શકાતા.
એ વખતે એમ લાગેલું કે રતિલાલભાઈની આકરી કસોટીમાંથી પસાર થવું 'મુશ્કિલ હી નહીં, નામુમકિન' છે. ડ્રોઈંગ પછી આવ્યો પેપર સ્કલ્પચરનો વારો. તેમણે સૌને પહેલાં ચિત્ર તૈયાર કરવા જણાવ્યું અને એ પછી તેનું કાગળશિલ્પ. સામાન્ય રીતે 'ટીન્ટેડ શીટ' (રંગીન જાડો કાગળ)માંથી તે બનાવાતું. મેં જે ચિત્ર દોર્યું એમાં જાંબલી રંગ પસંદ કરેલો. એ જોઈને રતિલાલભાઈ કહે, 'આ રંગનો કાગળ તમને ભાગ્યે જ મળશે.' મને એવી કશી ખબર નહીં, એટલે મેં નિર્દોષભાવે દુકાનમાં જઈને તપાસ કરી, અને મને એ મળી પણ ગયો એટલે મેં કામ ચાલુ કર્યું. એ જોયું એટલે રતિલાલભાઈ કહે, 'મળી ગયો આ કાગળ? સારું કહેવાય. નહીંતર આ રંગ નથી મળતો.' ખેર! મેં કાગળશિલ્પ બનાવ્યું, જે ઈલસ્ટ્રેશન જેવું વધુ હતું. અમે કામ કરતા ત્યારે જોતા કે તેમના સહાધ્યાયીઓ રહી ચૂકેલા કે તેમનાથી જુનિયર લોકો તેમને મળવા આવતા.
એ જ અરસામાં તેમનાં કાષ્ઠશિલ્પોનું પ્રદર્શન મુંબઈ ખાતે યોજાવાનું હતું. કોલેજની એક લોબીમાં એ શિલ્પો મૂકાયેલાં. જતાંઆવતાં અમે એ જોતા પણ ખરા. એમાંનું એક શિલ્પ બરાબર યાદ છે. તેમણે ચોતરા સહિતનો એક વડ બનાવેલો. વડમાં વિવિધ વસ્તુઓ- ડાળીપાંદડા તો ખરા જ, એ ઉપરાંત ટેટા, પંખીના માળા, ભમરીના ઘર વગેરે...સિમેન્ટના બનેલા ચોતરા પર તોફાની છોકરાં જે 'ગ્રાફિટી' લખી જતાં એ પણ તેમણે લાકડામાંથી કોતરેલા એ ચોતરા પર બનાવેલી, જેમાં લખેલું 'રમલાની મા મરે.' બીજા વિદ્યાર્થીઓ આવું લખાય કે નહીં એની પણ ફાઈન આર્ટ્સ સહજ ચર્ચા કરતા.
પહેલી ટર્મમાં શિલ્પકળા વિભાગમાં અમારો સમય પૂરો થયો એટલે અમે સૌ નીકળ્યા. એ પછી વારો આવ્યો બીજી ટર્મનો. આ વખતે અમારે બે ક્લે મોડેલ બનાવવાનાં હતાં. એટલે પહેલાં તો રતિલાલભાઈએ સૌને શિલ્પ જેવી જણાતી વિવિધ ચીજો શોધી લાવવાની સૂચના આપી. આ જાણીને ઘણા સિનીયર વિદ્યાર્થીઓને નવાઈ લાગી, કેમ કે, આ ચીજોમાં તેમણે 'કોઈ પણ' એટલે કે - કુદરતી કે માનવસર્જિત- ચીજ શોધવા જણાવેલું, જ્યારે અગાઉ કનેરિયાસાહેબ ફક્ત ને ફક્ત કુદરતી ચીજોનો જ આગ્રહ રાખતા.
મેં બે વસ્તુ શોધેલી. એમાંનું એક હતું પોર્સેલિનના બોર્ડનો તૂટેલો ટુકડો. એની અંદરના ભાગ જે રીતે ઊપસાવાયેલા એ મને રસપ્રદ જણાયા. રતિલાલભાઈને બતાવતાં કહ્યું, 'આ શિલ્પ જ છે. બનાવો' બીજી વસ્તુ તે સળીઓનું બંડલ હોય એવો દેખાવ ધરાવતું કશાકનું ફળ. રતિલાલભાઈ પાસે એ લઈ ગયો એટલે તેમણે કહ્યું, 'આ છે સરસ, પણ હજી એને ઈન્ટરેસ્ટિંગ બનાવીએ.' આમ કહીને એમણે એને વચ્ચેથી તોડ્યું અને મરડ્યું. કહે, 'જુઓ, હવે મજાનું થયું. આ બનાવો.' એટલે મેં એને બનાવવા માંડ્યું. કહેવામાં આવેલું કે પ્રમાણમાપ મુજબ બનાવવાનું. એ શું એ સમજતાં વાર લાગી. બન્યા પછી રતિલાલભાઈને જણાવ્યું એટલે તેઓ આવ્યા. હાથમાં પાતળો, મઠિયાં તળવામાં વપરાય એવો સળિયો હતો. પૂછ્યું, 'કેટલા ગણું બનાવ્યું છે?' હું મૌન રહ્યો. તેમણે સળિયા પર અંગૂઠા વડે મૂળ વસ્તુનું માપ લીધું. પછી એના વડે બનાવેલા માટીના શિલ્પનું માપ કાઢ્યું. અને દરેક બાજુએથી એ માપ એટલા ગણું છે કે નહીં એ ચકાસ્યું. મને ખબર નહીં કે શિલ્પમાં આ હદનું પરફેક્શન જોઈએ. એકાદ જગ્યાએ એ માપ ઓછું નીકળ્યું એટલે તેમણે એટલો ભાગ ફરી બનાવવા જણાવ્યો. એ મેં કર્યો. હવે વાત હતી મોડેલને વચ્ચેથી મરડવાની. એ મને ન ફાવ્યું એટલે તેમને બોલાવ્યા. તેમણે એ મરડ્યું તો ખરું,પણ પછી એ મોડેલ સ્વતંત્રપણે ઊભું રહેતું ન હતું, જે શિલ્પ માટેની પ્રાથમિક જરૂરિયાત ગણાય. તેમણે અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા એટલે કહે, 'આને હું ભારે હૈયે તોડી કાઢું છું.' એમ કહીને તેમણે એ મોડેલ તોડી નાખ્યું. અલબત્ત, તેમણે એ માન્ય રાખેલું, એટલે મારે નવું બનાવવાનું નહોતું.
બસ, એ પછી અમે પાછા પેઈન્ટિંગ વિભાગમાં આવ્યા. એક વર્ષ પછી મેં અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછી એ કોલેજ અને એના અધ્યાપકો સાથેનો સંપર્ક તૂટ્યો. એ પછી સોળ સત્તર વરસે નોકરી છોડીને પૂર્ણ સમયના લેખનક્ષેત્રે પ્રવેશ્યો. રજનીકુમાર પંડ્યા સાથેનો સંપર્ક વધુ ગાઢ બનતો રહેલો અને અમે સંયુક્તપણે કામ કરતા હતા. રજનીભાઈની દીકરી તર્જનીએ અમદાવાદની સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં શિલ્પકળામાં પ્રવેશ લીધેલો. આથી મેં સહજ પૂછ્યું, 'ત્યાં તને કોણ ભણાવે છે?' તેણે કહ્યું, 'રતિલાલ કાંસોદરિયા.' આથી મેં એમનું મારી સાથેનું કનેક્શન તર્જનીને જણાવ્યું. દરમિયાન તર્જનીની પરીક્ષા આવી. તેને લેવા મૂકવા રજનીભાઈ કોલેજે જતા અને તર્જનીની પરીક્ષા ચાલે ત્યાં લગી એટલામાં બેસીને પોતાનું કામ કરતા. એક વાર તેમનો ફોન આવ્યો અને કહે, 'લે, તારા મિત્ર સાથે વાત કર.' મેં 'મિત્ર'નું નામ પૂછ્યું તો રતિલાલ કાંસોદરિયા. અમે ફોન પર ઔપચારિક વાત કરી. મને ખબર હતી કે આટલાં વરસો પછી હું તેમને યાદ હોઉં એવી શક્યતા જરાય નહોતી. પણ મારા બેચમેટ્સના નામ આપ્યાં, વરસ કહ્યું. મેં એમને 'રમલાની મા મરે' વાળું શિલ્પ યાદ કરાવ્યું એ જાણીને એમને બહુ આશ્ચર્ય થયું. એ બધી વાતોનો આનંદ આવ્યો. પણ પરિચય એકપક્ષી જ રહ્યો એમ કહી શકાય.
પછીના સમયમાં 'અહા!જિંદગી'માં મારી કોલમ 'ગુર્જરરત્ન' શરૂ થઈ, જેમાં હું દર મહિને એક એક વ્યક્તિની દીર્ઘ મુલાકાત લઈને તેના વિશે લેખ લખતો. એ ક્રમમાં એક વાર મેં તસવીરકાર પ્રાણલાલ પટેલ વિશે લખ્યું. ચારેક પાનામાં પથરાયેલો લેખ અને સુયોગ્ય તસવીરો. એ વાંચીને ફોન આવ્યો: 'હું રતિલાલ કાંસોદરિયા બોલું છું.' તેઓ મને ઓળખતા નહોતા, પણ લેખ વાંચીને ફોન કરેલો, કેમ કે, તેઓ પ્રાણલાલના સગા થતા હતા. (તેમના કૌટુંબિક જમાઈ હતા એવો ખ્યાલ છે.) લેખ બદલ તેમણે રાજીપો વ્યક્ત કર્યો ત્યારે મેં ફરી વાર વડોદરાનું જોડાણ યાદ કર્યું. બસ, એ પછીનો અમારો પરિચય દ્વિપક્ષી બની રહ્યો. એક વાર અમદાવાદમાં તેમનાં શિલ્પોનું પ્રદર્શન હતું. અમે સપરિવાર જોવા ગયા ત્યારે રૂબરૂ મુલાકાત થઈ. કોલેજ છોડ્યા પછીની એ પહેલી અને કદાચ છેલ્લી પણ ખરી. કેમ કે, એ પછી ફોન પર નિયમીત વાત થતી, પણ મળવાનું ન બન્યું. 'સાર્થક જલસો' માટે તેઓ લખે એવી મારી બહુ ઈચ્છા. કેમ કે, તેમનાં શિલ્પોમાં ગ્રામ્યજીવન જે રીતે દેખાતું એ તેમનું અસલ જીવન હતું. ઘણીબધી વાતો હતી તેમની સાથે. જેમ કે, તેઓ ભેંસ પર ચોક વડે લખીને કક્કો શીખતા, તેમના કુટુંબના એક વડીલ વસ્ત્રોમાંથી દોરડાં બનાવીને તેનાથી ખાટલાની પાટી ભરતા (એમનું તેમણે શિલ્પ પણ બનાવેલું) વગેરે. જો કે, લખવા બાબતે તેમની ઉદાસીનતા હતી, સાથોસાથ વ્યસ્તતાનો પણ પ્રશ્ન હતો. આમ છતાં, મારો આગ્રહ ચાલુ રહેલો. ઘણી વાર મન થાય ત્યારે અચાનક તેમનો ફોન આવતો કે હું ફોન કરતો. અને વિવિધ વિષય પર વાત થતી. છેલ્લે તેમના સ્ટુડિયો પર આવવાનું કાયમી આમંત્રણ હોય જ. 'આવીશું ક્યારેક' કહીને અમે વાત પૂરી કરતા. અમદાવાદ આવવાનું બને ત્યારે કાર્યક્રમ એટલો સજ્જડ હોય કે એની બહાર જઈને ભાગ્યે જ કશું વિચારી શકાય. આથી તેમના સ્ટુડિયોની મુલાકાત લેવાની રહી જ.
આવામાં અચાનક સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે સમજાયું કે ઘણા વખતથી અમારી વાત થઈ નથી. સંપૂર્ણપણે કળાને સમર્પિત, આવા પ્રેમાળ માણસ ભાગ્યે જ જોવા મળે. અમદાવાદ શહેર તેમને અખા અને દલપતરામની પ્રતિમાઓના શિલ્પકાર તરીકે કદાચ યાદ રાખશે, પણ મને રતિલાલ કાંસોદરિયા એક કળાશિક્ષક તરીકે, તેમજ એક મિત્ર તરીકે- એમ બન્ને ભૂમિકામાં યાદ રહેશે.

(તસવીર સૌજન્ય: Aura Art)