Wednesday, July 9, 2025

રજનીકુમાર પંડ્યા (4): પેરડી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

જૂનાં, ખાસ કરીને પચાસના દાયકાનાં ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતો રજનીભાઈને અતિ પ્રિય. એમનું અનુસંધાન એની સાથે હતું. એમની વિશેષતા એ હતી કે એમને સેંકડો ગીતો આખાં ને આખાં કંઠસ્થ. 'સેંકડો' જરાય અતિશયોક્તિ વગર લખું છું. પોતાની યુવાનીના સમયગાળામાં સાંભળેલાં ગીતો એમના મનમાં છપાઈ જતાં હોવાનું એમણે લખ્યું પણ છે. આને કારણે કોઈ પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ એમને તરત જ સૂઝી આવે. ઘણી વાર એમ બને કે ગીત અમને ખબર હોય, પણ એની વચ્ચેની પંક્તિ તેઓ બોલે તો ખ્યાલ ન આવે કે આ કયું ગીત છે. એક પંક્તિનો તેઓ ખાસ ઉપયોગ કરતા. પોતાના મોબાઈલ ફોનમાં કે કમ્પ્યુટરમાં રહેલા કોઈ ફીચર વિશે તેમને જાણ ન હોય અને ક્યારેક એના વિશે હું કહું તો તેઓ તરત બોલે, 'આજ માલૂમ હુઆ, પહલે યે માલૂમ ન થા'. પહેલી વાર તેમણે આ પંક્તિનો ઉપયોગ કર્યો પછી મને પૂછ્યું, 'બોલ, કયું ગીત છે?' મેં કહ્યું, 'ગાઈને કહો તો કદાચ ખ્યાલ આવે.' એટલે એમણે એ ગાઈ બતાવ્યું અને મેં કહ્યું, 'આ તો જિંદગી ઈત્તેફાક હૈ'માં આવે છે.

એમનો બીજો રસ હતો પેરડીમાં. ફિલ્મના ગીતની પંક્તિ એમને સૂઝે એટલી જ ઝડપથી એની પેરડી પણ એ બનાવે. ફિલ્મના ગીત સિવાય પણ પેરડી બનાવે. એક વખતે તેઓ મારે ત્યાં વડોદરા આવેલા. મારા ઘરથી નજીક એક બહેનને ઘેર અમારે જવાનું હતું, જ્યાં એ બહેનના પતિ પોતાનો સંગ્રહ મૂકી ગયેલા. અમે બન્ને રજનીભાઈની કારમાં ત્યાં ગયા, ઘણી બધી વસ્તુઓ લીધી. કોથળા પણ ત્યાંથી જ મળ્યા એટલે એમાં બધું ભર્યું. બહેનને નાણાં ચૂકવ્યા. હવે સવાલ આવ્યો કે આ કોથળા પહેલે માળેથી ઊંચકીને નીચે કારમાં કેમના ગોઠવવા. એવામાં એક માણસ ઊપલા માળે ચડતો દેખાયો. એ કશુંક આપવા આવેલો. રજનીભાઈએ એને પૂછ્યું, 'બેટા, આ બે કોથળા ગાડીમાં મૂકી આપીશ?' પેલાએ હા પાડી અને બન્ને કોથળા વારાફરતી કારની ડીકીમાં ગોઠવી દીધા. એના હાથમાં પચાસેક રૂપિયા રજનીભાઈએ પકડાવ્યા. અમે કારમાં પાછા આવવા ગોઠવાયા. મેં કહ્યું, 'સારું થયું પેલો ભાઈ મળી ગયો. નહીંતર આ બધું ઊંચકીને મૂકવું અઘરું પડત.' એટલે રજનીભાઈએ તત્ક્ષણ પેરડી કરી, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' ઘાયલસાહેબના શેરના આ એક જ મિસરાની પેરડી સાંભળીને અમે બહુ હસ્યા.
મારે ઘેર પાછા આવ્યા અને કારમાંથી કોથળા ઊતાર્યા. એ જોઈને કામિની કહે, 'આટલા કોથળા તમે શી રીતે ઊંચક્યા?' એટલે રજનીભાઈએ ફરી કહ્યું, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' પછી તો 'દોડતા આવ્યા' વાળી પંક્તિઓની આગળ બીજા શબ્દો લગાડીને એ ચાલતું રહ્યું, પણ એના મૂળમાં આ પંક્તિ.

Tuesday, July 8, 2025

રજનીકુમાર પંડ્યા (3): તાલીબાન

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

રજનીભાઈનું મિત્રવર્તુળ અતિશય બહોળું. વિવિધ ક્ષેત્રના લોકો સાથે એમને અંગતતા. એમાંય જૂના ફિલ્મસંગીતની બિરાદરીની વાત જ અલગ.

એમના એક મિત્ર પ્રભાકર વ્યાસ જૂના ફિલ્મસંગીતના ઝનૂની ચાહક. પહેલાં મુંબઈ રહેતા અને પછી તેઓ વડોદરા આવી ગયેલા. દિલના બહુ પ્રેમાળ, પણ ફિલ્મસંગીત અને અમુક ગીત, કલાકારો માટે એમનો ભાવ ઝનૂનની કક્ષાનો. રેડિયો સિલોનના અને એના ઉદઘોષક મનોહર મહાજનના એવા પ્રેમી કે ફોન પર કે રૂબરૂ મળે ત્યારે 'જય સિલોન' અને 'જય મહાજન'થી જ અભિવાદન કરે. એક સમયે તેઓ રેડિયો સિલોન માટે નાણાંકીય ભંડોળ એકઠું કરવાનું અભિયાન ચલાવવાનું વિચારતા હતા. વ્યાસસાહેબને એક ટેવ એવી કે તેઓ વાતે વાતે તાલી દેવા માટે પોતાનો હાથ ઊંચો કરે. સામેવાળાએ હથેળી ધરી તો મર્યો સમજવો, કેમ કે, પછી એણે સતત એમ જ કરતા રહેવું પડે. વ્યાસસાહેબની આ ટેવથી પ્રેરાઈને રજનીભાઈએ એમનું નામ પાડ્યું 'તાલી'બાન. એમના વિશેના એક લેખનું શિર્ષક રજનીભાઈએ આપેલું, 'આ તાલીબાન જબરો સંગીતપ્રેમી છે.' વ્યાસસાહેબ રજનીભાઈના પણ એવા પ્રેમી કે એમણે આ નામ જાણે કે તખલ્લુસ લેખે અપનાવી લીધું. ફોન આવે ત્યારે કહે, 'હેલો બીરેનભાઈ! પ્રભાકર બોલું!' પછી તરત જ ઉમેરે, 'અરે યાર, તાલીબાન..!' આ નામ એવું સ્વીકૃત થઈ ગયું કે (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ તેમને પૂછે, 'તાલીબાનભાઈ, તમે ચા લેશોને?' પ્રભાકરભાઈ પહેલી વાર મારે ઘેર આવ્યા ત્યારે મારી દીકરી શચિ નાની. એટલે મેં એને શીખવેલું કે આ કાકા આવે ત્યારે એમને 'જય સિલોન' કહેજે. પ્રભાકરભાઈ શચિના મોંએ એ અભિવાદન સાંભળીને એવા ભાવવિભોર થઈ ગયેલા અને એમ માની બેઠેલા કે એ પણ એમની જેમ જ 'રેડિયો સિલોન'ની પ્રેમી છે. છેક સુધી તેઓ શચિને એ રીતે યાદ કરતા, 'શું કરે છે સિલોનવાળી બેબલી?'

ધીમે ધીમે અમે સૌએ સંપીને પ્રભાકરભાઈને હાથ ધરવાનો બંધ કર્યો એટલે પ્રભાકરભાઈ સ્વાવલંબી બન્યા. તેઓ પોતાના જ હાથમાં તાલી મારતા.

એક સંસ્થાનું દસ્તાવેજી ચિત્ર બનાવવા માટે અમે સૌ સાથે ગયેલા. એ વખતે લતા મંગેશકરનું એક ગીત રજનીભાઈએ મોબાઈલ ફોન પર સંભળાવ્યું. તાલીબાને પોતાનો આખો હાથ અમને બતાવ્યો. એ ગીત સાંભળીને તેમના રુંવાડાં ઊભા થઈ ગયેલાં. એની મેં વિડીયો લીધેલી. એ જ બેઠકમાં કશીક વાતે પ્રભાકરભાઈએ પોતાના જ હાથ પર એટલા જોશથી તાલી આપી કે રૂમમાં બેઠેલાં તરુબહેન ચમકીને બહાર ધસી આવ્યાં. બહાર અમને ત્રણેને બેઠેલાં જોયા એટલે હાશકારો બતાવીને કહે, 'હં..તાલીબાનભાઈ છે! મને એમ કે કોણે કોને માર્યું?'

Monday, July 7, 2025

રજનીકુમાર પંડ્યા (2): હું આમાંય હાલું

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર એક જીવનકથાના લેખન માટે હું સંકળાયો. એમણે મને જોડાવા કહ્યું ત્યારે અમારા બન્નેમાંથી કોઈના મનમાં મારી ભૂમિકા બાબતે સ્પષ્ટતા નહોતી, પણ હું હોઈશ તો કામ લાગીશ એવી ખાત્રી. એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો ત્યાર પછી એમને મળતા જીવનકથાના દરેક પ્રોજેક્ટમાં હું હોઉં જ. એ પછી 2007થી મારી નોકરી મૂકીને હું પૂર્ણ સમયનો ચરિત્રકાર બન્યો અને મને સ્વતંત્રપણે કામ મળતાં થયાં, છતાં તેમના એકે એક પ્રોજેક્ટમાં મારી સામેલગીરી રહેતી.

એ નિમિત્તે અમારે અનેક વાર સાથે કારમાં પ્રવાસ કરવાના થતા. રાજકોટ, જૂનાગઢ, જેતપુર, સુરત, મુંબઈ, ભરૂચ, વીસનગર, ગાંધીનગર વગેરે અનેક સ્થળોએ અમે સાથે જતા. એ વખતે રસ્તે જતાં અવનવી વાતો થતી, પણ એમાં રમૂજ કેન્દ્રસ્થાને રહેતી. કોઈ વિખ્યાત અને અતિ ચવાઈ ગયેલી જોકનું તેઓ કે હું વિસ્તરણ કરીએ. એને તેઓ 'માળ ચણ્યો' કહેતા.
એમની અનેક વાર્તાઓ- ખાસ કરીને 'બિલોરી' શ્રેણીની-નો અમે સંદર્ભબિંદુ તરીકે ઊપયોગ કરતા. કેમ કે, એમાં દર્શાવેલાં લક્ષણો એવાં હતાં કે એ ગમે એમાં પ્રગટતાં દેખાય.
એવી એમની એક વાર્તા હતી 'મને તો એમ કે હું આમાં ચાલું.' રજનીભાઈ એમની કાઠિયાવાડી જબાનમાં બોલતા ''હું આમાં હાલું.' વાર્તાનો સાર એવો કે એક ગામમાં આવેલી નાટકમંડળીને મેકઅપમેનની જરૂર પડે છે. સાવ નાના ગામમાં એની વ્યવસ્થા ક્યાંથી કરવી? છેવટે ગામનો ટપુ નામે એક વાળંદ એ કામ કરી આપવા તૈયાર થાય છે. નાટકનો ખેલ ભજવાતો અને લોકોને તાળીઓ પાડતા જોઈને ટપુને એમ થાય છે કે ખરી કમાલ પોતાના મેકઅપની છે. દિગ્દર્શક પણ ખુશ હતા. આથી થોડા દિવસ પછી ટપુ દિગ્દર્શનમાં 'સલાહ' આપવા જાય છે. પણ બદલામાં અકળાયેલા દિગ્દર્શકની થપ્પડ એને પડે છે. ટપુને લાવનાર મિત્ર એને સમજાવે છે કે આ એની 'લેન' નહીં. ત્યારે ટપુને ભાન થાય છે અને મનમાં શબ્દો ઊગે છે, 'મને તો એમ કે હું આમાં ચાલું.'
પોતાની 'લેન' ન હોય છતાં એમાં ટાંગ અડાડવા જાય એવી વ્યક્તિના લક્ષણને અમે આ નામ આપેલું. બોલવામાં લાંબું, અને એનો ઊપયોગ વધુ જોઈને અમે એને ટૂંકાવીને કર્યું 'એચ.એ.એચ.' (હું તો આમાંય હાલું) પછી જુઓ મજા.
અમે હજી જીવનચરિત્રના લેખનની વાત કરતા હોઈએ અને સામેનું પાત્ર કદીક પોતાને સાહિત્યમાં કેવોક રસ હતો અને ધારે તો પોતે હજી પોતાની કથા લખી શકે એમ છે એમ કહે એટલે મારી અને રજનીભાઈની નજર એક થાય. તેઓ જરાય હાવભાવ બદલ્યા વિના કહે, 'એચ.એ.એચ.' એક તરફ મને હસવું આવે, સાથે સામેની વ્યક્તિને એવી ગંધ ન આવે કે એની વાત થઈ રહી છે એટલે હું ઠાવકાઈથી કહું, 'હા. બિલકુલ. આપણે ધાર્યું હતું એમ.' અથવા 'એમ જ હોય ને!' અથવા તો બીજું જે સૂઝે એ.
એ હદે કે ક્યારેક અમે બન્ને પણ એકબીજાને આમ કહીએ. તેઓ કદીક કશું ટેક્નિકલ કામ જાતે કરવા જાય તો હું કહું, 'ગુરુ, રહેવા દો. આમાં 'એચ.એ.એચ.' ન કરો.' એક વાર એમની એક નવલકથાનો બીજો ભાગ મેં લખવાની તૈયારી દેખાડી. અલબત્ત, તેઓ એ લખી શકે એમ ન હતા એટલે. તો એ મને કહે, 'તને 'એચ.એ.એચ.' તો નથી ને?'

Sunday, July 6, 2025

રજનીકુમાર પંડ્યા (1): કેળવનમાં ચીસાચીસ

(રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિન છે. 15 માર્ચ, 2025ના રોજ થયેલી તેમની વિદાય પછીનો પહેલો, એટલે ખરું જોતાં જન્મજયંતી કહી શકાય. પણ કેવળ શારિરીક વિદાય કંઈ ઓછું કોઈની સ્મૃતિને મિટાવી શકે? તેમની સાથેના સાડા ત્રણ દાયકાના લાંબા પટના પરિચય દરમિયાન અનેક અનેક બાબતો એવી હતી કે જે એક યા બીજા સમયે સતત યાદ આવતી રહે. તેમની સાથેનાં કેટલાંક છૂટાંછવાયાં સંભારણાં અહીં મૂકવાનો ઉપક્રમ છે.)

રજનીભાઈ આમ તો માનવમનના ઊંડા અભ્યાસી. ઊપરાંત એમની રમૂજવૃત્તિ બહુ નરવી. આથી પોતાનો અભ્યાસ તેઓ ગંભીરતાથી નહીં, બલકે રમૂજ સાથે જણાવે. એક લક્ષણ તરીકે તેને મૂકે. આથી બહુ મજા આવે.

તેમની સાથે જીવનકથાના એક પ્રકલ્પમાં હું પહેલી વાર જોડાયો. એ અનુભવ બહુ વિશિષ્ટ બની રહેલો. એમાં જીવનકથા માટે જરૂરી કૌશલ્ય શીખાતું ગયું, એમ એ પણ શીખવા મળ્યું કે કેવળ એટલું પૂરતું નથી. આ કામમાં માણસો સાથે સંકળાવાનું હોય છે, અને એ એવડું મોટું પાસું છે કે જેને અવગણી શકાય નહીં. એ સમયગાળા દરમિયાન રજનીભાઈ મને આગ્રહ કરતા કે હું કંઈક લખું. પણ શું લખવું એ મને સમજાતું નહોતું.
એ પ્રકલ્પ પૂરો થયા પછી દિવસો સુધી તેના અનુભવો મનમાં રમતા રહ્યા. એ ખબર હતી કે એ સમયે જે બારીકીઓ યાદ રહી છે એ સમય જતાં ભૂંસાતી જશે, અને લાંબે ગાળે કેવળ જાડી, બાહ્ય રેખાઓ જ મનમાં રહેશે. આથી મેં એ સ્મરણો લખવાનું શરૂ કર્યું. એકે એક બાબતને ઝીણવટપૂર્વક આલેખી. ત્યારે હજી લખવા માટે કમ્પ્યુટરનો ઊપયોગ નહોતો કરતો. આથી ફૂલસ્કેપ પાનાંમાં એ લખતો ગયો. બધું તાજું હોવાથી એ વિગતવાર આલેખાયું. એમાં અમુક પ્રકરણનાં શિર્ષક કે અન્ય અમુક બાબતો મેં મૂળ પુસ્તકની પેરડી તરીકે પણ લખેલી. આખું લખાયા પછી એ મેં ઉર્વીશને વાંચવા આપ્યું. એને બહુ મજા પડી. એ પછી એણે એ રજનીભાઈને આપ્યું. રજનીભાઈ એ આખું વાંચી ગયા, એટલું જ નહીં તેમણે એમાં જરૂરી પરામર્શન પણ કર્યું અને મને મોકલ્યું. આ અનુભવકથાનું નામ શું આપવું?
રજનીભાઈએ અગાઉ એક વાર પોતાની વાર્તાની સર્જનકથા લખેલી, જેનું શિર્ષક હતું 'કેળવનમાં ચીસ'. આથી એમણે તત્ક્ષણ કહ્યું, 'આ તો 'કેળવનમાં ચીસાચીસ' છે.' બસ, એ શિર્ષક ફાઈનલ.
રજનીભાઈએ અને ઉર્વીશે એ લખાણ વાંચીને જોયું કે મારી મૂળભૂત 'લેન' હાસ્યની છે. એ પછી રજનીભાઈએ 'ગુજરાતમિત્ર'માં ચં.પુ. (ચંદ્રકાન્ત પુરોહિત)ને મારા વિશે વાત કરી. ચં.પુ.એ મને ફોન કરીને નમૂનારૂપે એકાદ બે હાસ્યલેખ મોકલવા જણાવ્યું. મેં એ મોકલ્યા, એમને પસંદ આવ્યા અને 'ગુજરાતમિત્ર'માં મારી પહેલવહેલી કોલમ શરૂ થઈ. કુલ પંચોતેર હપતા એટલે કે પોણા બે વરસ જેટલું એ ચાલી. મને ખ્યાલ નહોતો આવતો કે કોલમ કેવી જાય છે! પણ કેટલીક મૂળભૂત બાબતો મનમાં બરાબર ગોઠવાઈ, જે આગળઊપર બહુ કામ આવી. ખાસ તો, કોલમલેખનની શિસ્તથી પરિચીત થવાયું. તેમણે કદી એ બાબતે જશ ખાટવા પ્રયત્ન નથી કર્યો કે મારું કોલમલેખન એમણે શરૂ કરાવ્યું.
અમારા સંયુક્ત રીતે લખાયેલા કોઈ પુસ્તકના સર્જન વિશે ક્યારેક વાત થાય ત્યારે 'કેળવનમાં ચીસાચીસ'નાં પણ ઘણાં વર્ઝન અમે ઉપયોગમાં લેતાં, જેમ કે, કેળવનમાં રાડારાડ, કેળવનામાં બૂમબરાડા...વગેરે. પણ એ કેવળ વાતચીત પૂરતાં જ રહ્યાં.

Friday, July 4, 2025

આપ સૌનું અહીં સ્વાગત છે

રાજનેતાઓ ઘડિયાળના કાંટાને ઊંધી દિશામાં ફેરવવા માટે ઉસ્તાદ હોય છે. ચાહે એ ગમે એ દેશના હોય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં જન્મથી મળતા નાગરિકત્વ બાબતે ડંડો ઊગામવાની ચેષ્ટા કરી છે. અમેરિકા દેશ જ દેશાગત લોકોનો છે. પોતાને અમેરિકન મૂળના ગણાવતા લોકો પણ બહારથી આવીને વસેલા છે. આ અગાઉ ટ્રમ્પે અમેરિકાના મૂળ નિવાસી સિવાયનાઓએ માપમાં રહેવું એ મતલબનું નિવેદન કરેલું. ટ્રમ્પ જેવા પ્રમુખ હોય તો કાર્ટૂનિસ્ટો ને કદી વિષયની ખોટ ન પડે.

એક અમેરિકન સામયિકની કવર સ્ટોરી

મુશ્કેલી જુદી છે. કાર્ટૂનિસ્ટો જે હાસ્યાસ્પદ કલ્પના કરીને વ્યંગ્ય ચીતરે છે એ હવે સમાચાર બનીને, એટલે કે વાસ્તવિકતા બનીને સામે આવે છે. આથી ઘણા સારા કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન પણ ફીક્કાં લાગે એમાં નવાઈ નથી. અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઈન્ડિયન તરીકે ઓળખાય છે. ટ્રમ્પના આવા વલણ સાથે રેડ ઈન્ડિયનોને સાંકળતાં કાર્ટૂન અહીં આપેલાં છે.

ટ્રમ્પ: આવું થશે એ ખ્યાલ નહોતો.
Cartoonist: : Bill Bramhall


રેડ ઈન્ડિયન: એ કહે છે કે આપણે આવ્યા ત્યાં એ આપણને
પાછા મોકલવા માગે છે. 
Cartoonist: Mike Luckovich

પણ આ અમેરિકામાં આશરે દોઢસો વર્ષ પહેલાં શી સ્થિતિ હતી એ પણ એ સમયના કાર્ટૂન દ્વારા જ જાણવા જેવું છે.
જાણીતા અમેરિકન કાર્ટૂનિસ્ટ જોસેફ કેપ્લરે ચીતરેલું આ કાર્ટૂન ઈ.સ.1880માં અમેરિકન વ્યંગ્ય સામયિક 'PUCK'માં પ્રકાશિત થયું હતું. પહેલાં કાર્ટૂનને ઊકેલીએ અને પછી તેનો સંદર્ભ ચકાસીએ.
કાર્ટૂનમાં એક જહાજ બતાવ્યું છે અને તેની પર સૌને આવકારતા અન્કલ સેમ (અમેરિકાનું પ્રતીક) ઊભેલા છે. કાર્ટૂનનું શિર્ષક છે 'welcome to all' અર્થાત્ સહુનું સ્વાગત છે. જહાજ પર લખ્યું છે 'US Ark of Refuge' એટલે કે 'આશ્રય માટેનું અમેરિકન જહાજ.' જહાજમાં ચડી રહેલા મુસાફરો જોડીમાં છે, એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી એ રીતે. આગળ જ વંચાય એવું પાટિયું માર્યું છે, જેમાં જહાજનાં આકર્ષણ જણાવ્યાં છે. જેમ કે, 'દમનકારી વેરા નહીં, ખર્ચાળ રાજાઓ નહીં, ફરજિયાત લશ્કરી સેવા નહીં, કોરડા કે અંધારકોટડીની સજા નહીં.' એ જ રીતે જહાજના દ્વારે બીજું પાટિયું છે, જેમાં લખેલું છે, 'નિ:શુલ્ક શિક્ષણ, નિ:શુલ્ક જમીન, મુક્ત વાણી, મુક્ત ચૂંટણી, નિ:શુલ્ક ભોજન.' મતલબ સ્પષ્ટ છે કે અમેરિકા વિવિધ લોકોને પોતાને ત્યાં આવકારતાં કહે છે કે અમારે ત્યાં આ નહીં હોય, અને આ હશે.

અન્કલ સેમ: આપ સૌનું સ્વાગત છે.
Cartoonist: Joseph Keppler

આટલું તો એક નજરમાં જ સમજાય એવું છે. કાર્ટૂનિસ્ટની કમાલ આ પ્રતીકમાં અને તેને અનુરૂપ બતાવેલી મુસાફરોની જોડીમાં છે. 'Noah's ark' એટલે કે નોઆના જહાજની પુરાણકથા યહૂદી, ઈસ્લામ અને ખ્રિસ્તી જેવા અબ્રાહમિક ધર્મોમાં બહુ જાણીતી છે. એ મુજબ આદમ અને ઈવના સર્જનનાં કેટલાય વરસો પછી ઈશ્વરને લાગે છે કે લોકો એમનામાં માનતા નથી. આથી હવે પ્રવર્તમાન સૃષ્ટિનો નાશ કરીને નવેસરથી સૃષ્ટિનું સર્જન કરવું પડશે. આ માટે તૈયારી કરવાની જવાબદારી તે નોઆને સોંપે છે. સૌ પ્રથમ તો નોઆ એક વિશાળ જહાજ બનાવે છે. એ પછી તે દરેક જીવની એક એક જોડી (નર-માદા) એમાં ચડાવે છે, જેથી પ્રલય ઓસર્યા પછી નવેસરથી સૃષ્ટિ રચાય ત્યારે પ્રત્યેક જીવ એમાં જન્મીને પાંગરી શકે. (એનું એક કાર્ટૂન પણ મૂકેલું છે)

નોઆ: હવે સાંભળો. આપણે જહાજમાં કક્કાવારી
મુજબ ચડવાનું છે.
(આ સાંભળીને ઝેબ્રા નિ:સાસો નાખે છે)

Cartoonist: Gary Larson

મૂળ પૌરાણિક કથાની આટલી પૂર્વભૂમિકા પછી પાછા કાર્ટૂન પર આવીએ તો અહીં પણ અન્કલ સેમ નર-માદાની જોડીને જહાજમાં આવકારે છે. એનો અર્થ એ કે આવો, અમારે ત્યાં વસો, અને તમારા પરિવારનો વિસ્તાર કરો.

કોને ખબર, કાકા ટ્રમ્પના પૂર્વજો પણ આવી જ હોડીમાં ચડીને આવ્યા હોય! પણ હવે એ જ ટ્રમ્પ અમેરિકામાં જન્મેલા બાળકોના નાગરિકત્વના હક બાબતે બૂમબરાડા કરે ત્યારે લાગે કે ઘડિયાળના કાંટા તેઓ ઊંધા ફેરવવાની કોશિશ કરી રહ્યા છે.

Thursday, July 3, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (15): એક આંખ બીજી આંખને ક્યાં જોઈ શકે છે?

કોઈ પણ પ્રદેશમાં ફરીને પાછા આવીએ એ પછી એની સ્મૃતિઓ થોડો સમય તાજી રહેતી હોય છે. પણ હિમાલયના પ્રદેશની વાત અલગ છે. એની પ્રકૃતિ, હિમશીખરો, પહાડી સંસ્કૃતિ, નદીનાળાં- આ બધાનું આકર્ષણ એવું હોય છે કે એ મનમાંથી ખસે નહીં. હિન્દી સાહિત્યકાર-પ્રવાસી કૃષ્ણનાથે પોતાના પુસ્તક 'સ્પિતી મેં બારીશ'ના આમુખમાં લખ્યું છે: 'હિમાલયનો પ્રત્યેક ભાગ પોતાની રીતે પૂર્ણ છે, છતાં વાસ્તવમાં અપૂર્ણ. હિમાલયને આખેઆખો કોણ જાણી શક્યું છે? હિમાલય જ હિમાલયને ઓળખી શકે. કે પછી કદાચ એ પણ નહીંં. એક આંખ બીજી આંખને ક્યાં જોઈ શકે છે?'

કાલપાના એક મંદિરના દરવાજાનો એક હિસ્સો 

મેદાની પ્રદેશમાં રહેતા આપણા જેવા લોકોને પહાડી ભૂગોળનું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે, પણ પહાડી જનજીવન દૂરથી જેટલું રોમેન્ટિક લાગે એટલું હોતું નથી. મધ્ય હિમાલયમાં વસેલો સ્પિતી ખીણનો પ્રદેશ વર્ષાછાયાનો પ્રદેશ છે. અહીં વરસાદ ઓછો પડે છે એમ નહીં, બિલકુલ પડતો જ નથી. પડે છે કેવળ હિમ. આ કારણે અહીંનું ખાનપાન અને રહનસહન સાવ અલગ છે.

કાલપા નજીકના ખડક 
આ સમગ્ર વિસ્તારમાં મકાનની બાંધણી બાબતે એક ખાસ બાબત એ જોઈ કે અહીં મકાનોના સ્લેબ સિમેન્ટથી ભરેલા નથી હોતા. છત વળીઓની બનેલી, એની ઉપર ઘાસ ઢંકાયેલું હોય. વરસાદ ન હોય તો સ્લેબની શી જરૂર? જો કે, માત્ર હિમવર્ષા થાય છે, છતાં છત ઢોળાવવાળી નથી એ જોઈને નવાઈ લાગી. પૂછતાં સંતોષકારક જવાબ ન મળ્યો, જે પછી કૃષ્ણનાથના પ્રવાસવર્ણનમાં મળ્યો. અહીં તડકાનું, તડકામાં વસ્તુઓ સૂકવવાનું બહુ મહત્ત્વ છે. બરફ તો સાફ કરી શકાય, પણ વસ્તુઓ સૂકવવા માટે જગ્યા અને તડકો જોઈએ. એ કારણે આવી છત રખાય છે. પીવાનું પાણી હિમ પીગળવાથી જે મળે એ. સતત સૂકી અને ઠંડી હવા ત્વચાના રંગ અને સુંવાળપ પર પણ અસર કરે
છે.

છતને અંદરના ભાગે નીચેથી જોતાં

સમગ્ર સ્પિતી ખીણમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે, જે સદીઓથી તિબેટ સાથે રહેલા વ્યવહારનું પરિણામ હશે. આક્રમણખોરો, ધર્મગુરુઓ, પશુઓ વગેરેનો અહીંના લોકોને અનુભવ હશે, પણ પ્રવાસી નામની પ્રજાતિ એમના માટે પ્રમાણમાં નવી છે. જે રીતે પ્રવાસીઓનો ધસારો અહીં થઈ રહ્યો છે, જે પ્રમાણમાં એમના માટે સુવિધાઓ ઊભી કરાઈ રહી છે એ જોતાં પ્રવાસીઓની આખી અલાયદી સંસ્કૃતિ અહીં ઊભી થશે એમ લાગે છે. હિમાચલ પ્રદેશમાં એમ બન્યું હોવા છતાં ત્યાંના લોકોમાં હજી સરળતા ટકી રહી હોય એમ લાગે. નવાઈ લાગે એવી વાત એ છે કે લદાખના કે સ્પિતીના આ પ્રદેશમાં દરેક ઠેકાણે વેસ્ટર્ન ટોઈલેટ જોવા મળ્યાં- તંબૂઓમાં સુદ્ધાં. આ વિકસતી જતી પ્રવાસન સંસ્કૃતિ છે.
તાબોમાં એક ચાની લારીએ
મિત્ર ઋતુલ જોશીએ ટ્રાફિકસમસ્યા વિશેના એક લેખમાં લખેલું એમ આપણે જ્યારે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હોઈએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આપણે પોતે પણ ટ્રાફિક જ છીએ. એવું જ પ્રવાસીઓ માટે કહી શકાય. આપણે જ્યારે પ્રવાસીઓના ધસારાની વાત કરીએ ત્યારે એમાં આપણે સામેલ જ હોઈએ છીએ.

લથબથ ફૂલો સ્થળ જોયા વિના ઊગે
પ્રવાસી માનસિકતા સામાન્ય રીતે 'પૈસા ફેંંકીને' પોતાને ફાવતી સુવિધા મેળવવાની છે. આને કારણે દરેક પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ માટેનું જુદું બજાર ઊભું થાય છે. એક સમયના અતિ દુર્ગમ ગણાતા આ પ્રદેશોમાં હવે નકરી ભીડ ઠલવાવા લાગી છે, જેની પોતાની વિપરીત અસરો હોય જ. ભીડને રોકી શકાય એમ નથી, પણ સ્થાનિક સંસ્કૃતિનો પરિચય કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, તેને જે તે સ્થળના ભૌગોલિક સ્થાનના પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવે તો કદાચ ઘણો ફરક પડી શકે.
સ્પિતી ખીણમાં નાસ્તાનાં લાલપીળા પડીકાં ખાસ જોવા ન મળ્યા. કારણ ખબર નથી, પણ એ મનમાં નોંધાયું અને ગમ્યું પણ ખરું. પહાડી સ્થળે, અને એ પણ આટલા ઊંચા, નિર્જળ વિસ્તારની સ્વચ્છતાની આગવી સમસ્યાઓ અને ઊકેલ હોય છે, જે પ્રવાસીઓના ધસારાને કારણે ખોરવાઈ જાય છે.
ગ્યુ મોનેસ્ટ્રીનો એક હિસ્સો


કાઝામાં 'ઈકોસ્ફીયર' નામની એક સંસ્થા પણ હતી, જેમાં સ્વયંસેવક તરીકે જોડાઈને સ્થાનિકોને મદદરૂપ બની શકાય છે. બદલામાં આપણા રહેવાની વ્યવસ્થા એ લોકો કરી આપે. આવા ઉપક્રમ બહુ ઉપકારક નીવડતા હોય છે, કેમ કે, સ્થાનિકોની સાથે જઈને રહીએ નહીં ત્યાં સુધી એમના જીવનનો અંદાજ આવવો મુશ્કેલ છે.

કોમિકની મોનેસ્ટ્રી 
મુદ સહિત અનેક વિસ્તારમાં અમે ઈંધણાંના ઢગ ગોઠવાયેલા જોયા. આ વૃક્ષવિહીન વિસ્તારમાં ઝાડનાં કાપેલાં લાકડાં ક્યાંથી આવ્યાં? જાણવા મળ્યું કે સરકાર એને રાહત દરે પૂરાં પાડે છે. આવા દુર્ગમ સ્થળે ગેસલાઈન કે ગેસ સિલીન્ડર પહોંચાડવાં કેવાં મુશ્કેલ છે એ તો ગયા વિના પણ સમજાય!
આવી તો અનેક બાબતો હશે, જેનો આપણને અંદાજ સુદ્ધાં આવવો મુશ્કેલ છે. દયા કે સહાનુભૂતિથી નહીં, કેવળ કુતૂહલથી વિચારીએ તો પણ આ જાણવામાં રસ પડે એવો છે.

કોમિકમાં 
હિમાચલ પ્રદેશમાં સમગ્રપણે સ્થાનિકોનો અનુભવ ઘણો સારો રહે છે. તેઓ હસમુખા, સરળ અને મદદગાર જણાય. અલબત્ત, આપણને મળેલા છૂટાછવાયા અને ગણતરીના લોકો પરથી આખા પ્રદેશના લોકોનું સામાન્યીકરણ ન કરી શકાય. છતાં પ્રવાસી તરીકે જોઈએ તો આમ લાગ્યું છે.

છિતકુલની શેરીમાં 

પંડિત રાહુલ સાંકૃત્યાયન અને કૃષ્ણનાથ જેવા પૂર્વસૂરિઓએ આ પ્રદેશને એ સમયગાળે ખેડેલો જ્યારે અહીં આવાગમનની સુવિધા પાંખી હતી અને આ પ્રદેશ વર્ષના ચારેક મહિના સુધી જ સંપર્કમાં રહેતો. આથી જ તેમનાં નિરીક્ષણો અને અભ્યાસ બહુ મહત્ત્વનાં અને આજેય એટલા રસપ્રદ જણાય છે.

પંદર હજાર ફીટની ઊંચાઇએ 'વનસ્પતિ' 

સ્પિતી ખીણનો અમારો આ પ્રવાસ પૂરો થયો, પણ મનમાં એ એક સુખદ સ્મૃતિ તરીકે અંકાયેલો રહેશે એ નક્કી.

Wednesday, July 2, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (14): આ અબ લૌટ ચલે

સાંગલાથી નીચે ઊતરી કરછમ બંધવાળા રસ્તે અમારે આગળ વધવાનું હતું. ચંડીગઢથી મુસાફરી શરૂ કરતી વખતે શીલારૂ ગામની હોટેલમાં રોકાયેલા ત્યાં જ અમારે વળતાં પણ રોકાવાનું હતું. આ નેશનલ હાઈવે પાંચ હતો. રોડ ઘણો સારો, અને પર્વતની ધારે ધારે હતો, છતાં વાહનની ઝડપ સારી કહી શકાય એવી હતી. સતલજ નદીની એકદમ સાંકડી ખીણ ક્યાંક વધુ સાંકડી થતી, તો ક્યાંક સહેજ પહોળી. વચ્ચે નાનાં ઝરણાં દેખાતાં. એકાદ સ્થળે થોડોઘણો વરસાદ પણ પડ્યો. તેને કારણે પાછળ પહાડોમાં મેઘધનુષ જોવા મળ્યું. સૂર્ય સંતાકૂકડી રમતો હતો. વચ્ચે પર્વત આવી જાય તો એ સંતાઈ જતો અને એટલા વિસ્તારમાં જાણે કે સાંજ પડી ગઈ હોય એમ જણાતું. વળી પર્વત હટી જાય તો સાંજનું અજવાળું બરાબર દેખાતું. સાંજના સાડા છ- સાત થયા હશે, અને અમારા અંદાજ મુજબ અમારે પહોંચતાં સહેજે સાડા દસ થવાના હતા.

સૂર્ય ધીમે ધીમે સાવ ઢળી ગયા પછી પણ અજવાળું હતું. આથી દૃશ્યો બરાબર જોઈ શકાતાં હતાં.
ઠીક ઠીક લાંબું અંતર કાપ્યા સહેજ બ્રેક લેવા માટે એક હોટેલ પાસે વાહન ઊભું રખાયું. સાદી ચા- લેમન ટી- કૉફી- લેમન જિંજર હની ટી જેવા વિકલ્પમાંથી હજી અમે કશું નક્કી કરીએ એ પહેલાં તો ડ્રાઈવરે ચા પતાવી દીધી હતી. હોટેલની સામે એક ભાઈ પ્લમ લઈને વેચવા બેઠા હતા. કદમાં થોડા નાનાં, રંગ પણ હજી લીલાશ પડતો હતો, છતાં તેની મિઠાશ અને રસાળતા ગજબ હતી. રસ્તામાં ખાવા માટે સૌએ થોડાં થોડાં ખરીદ્યાં. છેલ્લે એ ભાઈ કહે કે આ બાકી રહ્યાં છે એ પણ લઈ લો, તો મારે પાછા લઈ જવા ન પડે. એટલે એ પણ લીધાં.

બ્રેક પછી મુસાફરી પાછી શરૂ કરી. એવામાં અમને યાદ આવ્યું કે આ સમગ્ર મુસાફરી દરમિયાન અમે અંતાક્ષરી રમ્યા જ નથી. આથી અમને પ્રવાસી ગણવામાં આવશે કે કેમ! બહાર અંધારું હોવાથી આમ પણ કશું જોઈ શકાતું ન હતું એટલે અમે અંતાક્ષરી રમવાનું ચાલુ કર્યું. જોતજોતાંમાં સવા દસ આસપાસ અમે ઊતારે આવી પહોંચ્યા. ભોજન પછી થોડું બેસીને છૂટા પડ્યા. આજની રાત આ પ્રદેશની અમારી છેલ્લી રાત હતી.

બીજા દિવસે અમારે અહીંથી ચંડીગઢનો વળતો પ્રવાસ શરૂ કરવાનો હતો. સવારે ચા-નાસ્તો કરીને અમે સૌએ અમારા ડ્રાઈવર દિનેશકુમાર સાથે સમૂહ ફોટો લેવડાવ્યો. એ પછી મુસાફરી શરૂ કરી. ટ્રેન સાંજની હોવાથી અમારા મનમાં એમ હતું કે બપોર આસપાસ ચંડીગઢની નજીકમાં ક્યાંક ભોજન લઈશું અને કલાકેક પહેલાં સ્ટેશને ઊતરીશું.

પ્રવાસમંડળી: (ડાબેથી): શૈલી, સુજાત, ઈશાન, પરેશ,
ડ્રાઈવર દિનેશકુમાર, બીરેન, કામિની, પ્રતિક્ષા અને મલક
(જોઈ શકાય છે કે કોઈએ ગરમ કપડું પહેર્યું નથી)

વળતાં અમારે શીમલા બાયપાસનો રસ્તો લેવાનો હતો. એ પહેલાં રસ્તામાં નાના સ્ટોલ લગાવીને વિવિધ ફળ વેચનારા બેઠેલા હતા. આ ઊપરાંત મધ વેચનારા પણ હતા. અમે વિવિધ ફળો અને મધ ખરીદ્યાં. અહીંનાં એકે એક ફળો અહીંના વાતાવરણને લઈને એટલાં રસાળ હોય છે કે મોંમાં મૂકતાં જ એ અનુભવાય. બીજું કે એ ફળ અહીંના વાતાવરણમાં ખાવાની મજા જ જુદી છે.
વળતી મુસાફરી શરૂ થઈ એમ ગીચતા વધવા લાગી. હિમશીખરો જાણે દૂર સરકી ગયાં. હરિયાળી પુષ્કળ હતી. રસ્તા પણ એકંદરે સારા હતા. શિમલા નજીક આવતું ગયું એમ ગીચતા ઓર વધી.
એ પછી એ ઘટતી જણાઈ. બાયપાસવાળા રસ્તે ટ્રાફિક પણ ઓછો હતો. ગરમી લાગવા માંડી હતી. એક જગ્યાએ બે જણે રોડની વચ્ચોવચ્ચ ઊભા રહીને અમારું વાહન થોભાવ્યું. વાહન ઊભું રાખતાં તેઓ બારી પાસે આવ્યા અને પૂછ્યું, 'આપ કિતને લોગ હૈ જી?' બે જણા હાથમાં 'ફ્રૂટી'નાં પેકેટ લઈને નજીક આવ્યા. અમે પૂછ્યું, 'યે કિસલિયે?' તો એમણે કહ્યું, 'લંગર હૈ જી.' અમે રાજીખુશીથી 'ફ્રૂટી' સ્વીકારીને એમની સેવાભાવનાની કદર કરી. એ લોકો દરેક વાહનમાં 'ફ્રૂટી' આપતા હતા. અહીં પર્વતો હતા, ઠંડક હતી, છતાં તડકો એવો હતો કે 'ફ્રૂટી'ની જરૂર પડતી હતી.

પાછા વળતાં રસ્તે...

છેલ્લો છેલ્લો પર્વતીય નજારો
વચ્ચે એકાદ જગ્યાએ અમે ભોજન માટે ઊભા રહ્યા. એ પછી ચારેક વાગ્યે ચંડીગઢ સ્ટેશને ઊતર્યા. રસ્તામાં ડ્રાઈવર દિનેશકુમાર પર એમનાં બૉસમેડમનો ફોન આવ્યો કે અમારો વિડીયો પ્રતિભાવ એમણે લઈ લેવો. દિનેશકુમાર સહેજ અકળાઈને કહે, 'સબ ખુશ હૈ જી. આપ હમ કો ગાડી ચલાને દો.' છેવટે ચંડીગઢ સ્ટેશને એમણે કહ્યું, 'સર, આપકા ફોટૂ લે લેતે હૈ. મેડમ કો ભેજના હૈ.' અમે પૂછ્યું, 'વિડીયો લેવો છે? તો અમે કંઈક બોલીએ.' એ હસીને કહે, 'ફોટૂ હી ઠીક હૈ.' એમ એમણે અમારો ફોટો લીધો. એમની સાથે 'આભાર-મજા આવી'ની આપલે કરીને અમે ચંડીગઢ સ્ટેશનમાં પ્રવેશ્યા.

અહીં કોઈક બીજી જ દુનિયામાં આવી પડ્યા હોઈએ એમ લાગતું હતું. કાલે દેખાતાં પેલા પહાડ, હિમશીખરો, દેવદારનાં જંગલો બધું જાણે કે ગયા જનમની વાત હોય એમ લાગતું હતું. અને સ્પિતીના પીળા પહાડ? એની મુલાકાત લેનારા અમે જ હતા? કે કોઈ સ્વપ્ન હતું?
હવે એ બધું અમારા સ્મૃતિઆલબમમાં કાયમ માટે સચવાઈ રહેવાનું હતું. 'અમે સ્પિતી ગયેલા ત્યારે...' થી શરૂ થતી વાર્તા બની રહેવાનું હતું.