Sunday, December 24, 2023

કહત કાર્ટૂન- 3

 શુક્રવાર, 22 ડિસેમ્બર, 2023ની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં આ શ્રેણીની ત્રીજી કડીની પ્રસ્તુતિ કરવામાં આવી. બિનપરંપરાગત બાબતોની અભિવ્યક્તિ માટે પાલડીસ્થિત 'સ્ક્રેપયાર્ડ' એક પ્રોત્સાહક માધ્યમ બની રહ્યું છે. અહીં આવતા સજ્જ શ્રોતાઓ સમક્ષ વાત કરવાનો આનંદ જુદો હોય છે, કેમ કે, નાનામાં નાની વાત અહીં પકડાય છે અને પ્રતિભાવ મળે છે. શ્રોતાઓ તેમાં મૂલ્યવર્ધન પણ કરે છે.

ત્રીજી કડીનો વિષય હતો 'Inspiration- कल भी, आज भी'. સામાન્ય રીતે પ્રતીકો એક ચોક્કસ સમયગાળાને પ્રતિબિંબીત કરે છે અને એ સમયગાળાના લોકો સાથે અનુસંધાન સાધે છે. પરંતુ કાર્ટૂનમાં કેવાં કેવાં પ્રતીકો પેઢી દર પેઢી ચલણી બની રહે છે અને પ્રત્યેક પેઢીના કાર્ટૂનિસ્ટો- ભાવકોને તે જોડે છે એની વાત આ વાર્તાલાપમાં મુખ્ય હતી. આ પ્રતીકો ચાલીસ-પચાસ વર્ષના સમયગાળાથી લઈને બસો-અઢીસો વર્ષ પછી પણ એટલાં જ પ્રસ્તુત બની રહે છે. કેવળ વિદેશી નહીં, આવાં ભારતીય કાર્ટૂનોનો પણ આમાં સમાવેશ થાય છે.
એક-સવા કલાકના આ કાર્યક્રમમાં દૃશ્યાત્મક રજૂઆત પછી પ્રશ્નોત્તરી હોય છે. તેમાં પણ અનેક બાબતોની પૂર્તિ થતી રહે છે.
ગુજરાતમાં કદાચ અત્યાર સુધી ઉવેખાયેલા રહેલા કાર્ટૂનના રસાસ્વાદના આ ક્ષેત્રે આવી પહેલ બહુ પ્રોત્સાહક બની રહી છે. અગાઉના બન્ને કાર્યક્રમો 'From British Raj to Swaraj' અને 'Metamorphosis-કાયાપલટની કમાલ'માં પણ ખૂબ પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યા હતા.
આવા પ્રતિભાવ અને 'સ્ક્રેપયાર્ડ'નાં કબીર શાહ-નેહા શાહના મજબૂત પીઠબળને કારણે આ શ્રેણી આગળ વધારતા જવાની નેમ છે. અન્ય વિષય પરની આવી બીજી શ્રેણી પણ વિચારણા હેઠળ છે. આ પ્રકારના કાર્યક્રમ કોઈ પોતાની સંસ્થામાં યા વ્યક્તિગત વર્તુળમાં યોજવા ઈચ્છે (અલબત્ત, વાજબી વળતર સાથે) તો એ પણ આવકાર્ય છે. કેમ કે, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્ટૂનકળાના રસાસ્વાદનો અને તેની સાથે વણાયેલી કેટલીય સામાજિક-ઐતિહાસિક બાબતોને ઊજાગર કરવાનો છે. ખુસરોએ પ્રેમ માટે કહેલું કાર્ટૂનકળાને પણ લાગુ પાડી શકાય: 'જો ડૂબા વો પાર'.

કહત કાર્ટૂન- 3ની રજૂઆત દરમિયાન
(કમ્પ્યુટર પર કામિની કોઠારી)



ભારતીય કાર્ટૂનના સીમાસ્તંભ સમા કાર્ટૂન
અને તેની અનુકૃતિઓની વાત

સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ

શ્રોતાઓ સાથે વાતચીત



Sunday, December 3, 2023

કહત કાર્ટૂન...(2)

 આ કાર્યક્રમની બીજી કડી 1 ડિસેમ્બર, 2023ને શુક્રવારે સાંજે સાડા સાતે સ્ક્રેપ યાર્ડ ધ થિયેટરમાં દર્શાવાઈ. તેનો વિગતવાર, તલસ્પર્શી અહેવાલ સંજય ભાવે દ્વારા લખાયો છે, (આ અહેવાલ અહીં વાંચી શકાશે. https://www.facebook.com/sanjay.bhave.96/posts/3611855582361912 ) જે તેમણે ત્યાં ઉપસ્થિત રહીને એક ભાવકની જેમ માણતાં લખ્યો છે. મારે થોડી વાત મારી અનુભૂતિની કરવાની છે. આ શ્રેણીના કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્ટૂનકળાને માણવાનો છે. તેમાં રાજકીય સંદર્ભ આવે તો પણ તેનો મુખ્ય આશય રાજકીય સમજ કેળવવાનો કે ટીપ્પણીનો નહીં, બલ્કે કાર્ટૂનકળાની રીતે જ તેને મૂલવવાનો છે. રાજકારણમાં સમજ નહોતી પડતી ત્યારે પણ કાર્ટૂનમાં રસ પડતો હતો એ કદાચ ઘેર પપ્પા 'ઈન્ડિયા ટુડે' લાવતા એ અરસાથી. 1989-90ના અરસામાં 'ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા' (સંપાદક: પ્રીતીશ નાન્દી)નું લવાજમ ભર્યું અને એ ઘેર આવતું થયું ત્યારથી સભાનપણે કાર્ટૂન જોતા- માણતા થયા. એમાં દર સપ્તાહે આવતું National Lampoon શિર્ષકવાળું આખું પાનું જે તે સપ્તાહમાં ઠેકઠેકાણે પ્રકાશિત કાર્ટૂનોથી ભરેલું રહેતું. ત્યારે પણ મારો અને ઉર્વીશનો ઝોક કાર્ટૂનને ઊકેલવાની સાથેસાથે કાર્ટૂનિસ્ટની શૈલીને ઓળખવાનો હતો. એ પછી આઈ.પી.સી.એલ.ની નોકરી દરમિયાન અહીંની ટાઉનશીપની ક્લબમાં આવતાં વિવિધ હિન્દી-અંગ્રેજી અખબારોમાં આવતાં કાર્ટૂન મેળવવાનો મોકો મળ્યો. એ રીતે એ સંગ્રહ સમૃદ્ધ થતો ગયો. વચ્ચે વચ્ચે કાર્ટૂનને લગતાં પુસ્તકોની ખરીદી પણ થતી રહી. આ બધું આજે પણ સચવાયેલું છે. તેની પર નજર ફેરવ્યે વરસો થઈ ગયા છતાં આજે પણ એ કાર્ટૂનોના સંદર્ભ અમારી વાતચીતમાં આવતા રહે છે. આ સંગ્રહનું શું કરવું એ ખબર નહોતી અને એવી કશી મહત્ત્વાકાંક્ષા પણ નહીં. આમ છતાં અગાઉ ઉર્વીશને CEPT માટે એક સરસ તક મળી. તેના સમર વેકેશન કોર્સમાં ભારતીય સ્વાતંત્ર્યોતર સમયગાળાને કાર્ટૂનો દ્વારા દર્શાવતો એક કોર્સ તેણે તૈયાર કર્યો. બાકાયદા એ ભણાવ્યો. એ પછી નડિયાદમાં આરંભાયેલી 'અમૃત મોદી સ્કૂલ ઑફ જર્નાલિઝમ'માં કાર્ટૂનનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો, જેમાં દર ગુરુવારે હું એ ભણાવતો. આમ છતાં, એમ લાગતું કે એમાં પ્રત્યાયન થતું નથી. એ એકપક્ષી બની રહે છે. કદાચ વિદ્યાર્થીઓને એ 'કામનું' ન લાગતું હોય એમ બને. દરમિયાન 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ'ના કાર્યક્રમ માટે મને કહેણ મળતાં રહેતાં હતાં, જે હું સ્વીકારતો અને મોટે ભાગે શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનની વાત કરતો. એમાં પણ એવું જોવા મળ્યું કે કૉલેજના વિદ્યાર્થીઓની સરખામણીએ શાળાના વિદ્યાર્થીઓને એમાં વધુ રસ પડતો. કૉલેજના વિદ્યાર્થીઓને કદાચ એમ લાગતું હશે કે આમાંથી શું 'મળવાનું?'

આ અગાઉ મિત્ર રાજુ પટેલ દ્વારા મને અનેક વાર ધક્કા મારવામાં આવતા કે મારે કાર્ટૂનના વિવિધ આયામો અંગે ટિકિટવાળો શો કરવો. રાજુ મને કબીર ઠાકોર-નેહા શાહના સ્ક્રેપયાર્ડમાં એ યોજવા જણાવતા. મને એમ લાગતું કે હું એ કરવા જઈશ તો મારું ફોકસ સાવ બદલાઈ જશે. એવામાં અનાયાસે એક સુયોગ ઊભો થયો. મુમ્બઈની મુલાકાત દરમિયાન 'નવનીત સમર્પણ'ના કાર્યાલયે જવાનું બન્યું. તેના સંપાદક દીપકભાઈ દોશી સાથે અનૌપચારિક ગપ્પાંગોષ્ઠિ ચાલી રહી હતી કે એમણે 'નવનીત' માટે કશુંક 'આપવા' સૂચવ્યું. 'કશુંક'નું નામ પણ એમણે પાડી આપ્યું અને કહ્યું, 'કાર્ટૂન વિશે લખો.' આ સૂચન મને ગમતું હતું એટલે ત્યારે તો હા પાડી, પણ એના સ્વરૂપ વિશે કશું વિચારેલું નહીં. એ પછી નક્કી થયું.
અત્યાર સુધી કાર્ટૂનના ઈતિહાસને જાણતો હતો, પણ એ લખવાનો પ્રયાસ કદી કરેલો નહીં. એ કામ 'નવનીત સમર્પણ'થી આરંભાયું. જો કે, એમાં પણ મારો ઉદ્દેશ્ય તેના ઈતિહાસના આલેખનનો નથી. છતાં કાર્ટૂન માણવાની પૃષ્ઠભૂમિ તરીકે એટલું જરૂરી લાગ્યું. એ દરમિયાન કબીરભાઈ સાથે વાત થઈ. તેમણે મને 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ યોજવા જણાવ્યું ત્યારે મેં સહેજ ખચકાટ સાથે કહ્યું, 'એ સિવાય પણ ઘણું બતાવી શકાય એવું છે.' કબીરભાઈએ તત્ક્ષણ એની શ્રેણી યોજવા સૂચવ્યું, એટલું જ નહીં, તેનો અમલ પણ કરાવી દીધો. દર મહિનાના ચોથા શુક્રવારે એ યોજવી એમ નક્કી થયું.
એ શ્રેણીની બે કડી યોજાઈ. અત્યાર સુધી મેં આપેલા કાર્યક્રમ કરતાં સાવ જુદો જ અનુભવ અહીં થઈ રહ્યો છે. સામે એકદમ સજ્જ એવા પ્રેક્ષકો બેઠેલા હોય, અને એમાંના ઘણા મારા માટે સાવ અજાણ્યા હોય. અનેક સજ્જ સ્નેહીઓથી લઈને કૉલેજના યુવકયુવતીઓ સુધીનું વૈવિધ્ય ધરાવતા વયજૂથના પ્રેક્ષકો સમક્ષ કાર્ટૂનકળાની વાત ડુંગળીના પડની જેમ ઉખળતી જાય અને એનો ક્ષણોચિત પ્રતિસાદ પ્રેક્ષકોમાંથી મળે ત્યારે એમ લાગે કે પ્રત્યાયન બરાબર અને યોગ્ય રીતે થઈ રહ્યું છે. અત્યાર સુધી એકઠા કરેલા મારા અને ઉર્વીશના આ સંગ્રહને કદાચ સ્ક્રેપયાર્ડ જેવા પ્લેટફોર્મની તલાશ હતી. બે કાર્યક્રમની સફળતાપૂર્વક રજૂઆત પછી મારો ઉત્સાહ વધ્યો છે અને આ કાર્યક્રમને દર વખતે એક પાયરી ઉપર શી રીતે લઈ જવો એ વિચાર સતત આવતો રહે છે.
આ કાર્યક્રમનું આર્થિક પાસું પણ રસપ્રદ, જણાવવા જેવું છે. હું અને કામિની વડોદરાથી બસો કિ.મી.નું પરિવહન કરીને, સ્વખર્ચે આ કાર્યક્રમ માટે ખાસ અમદાવાદ આવીએ છીએ. કબીરભાઈ સ્વખર્ચે પોતાના સંસાધન પૂરાં પાડે છે. પ્રેક્ષકો પણ સ્વખર્ચે સ્ક્રેપયાર્ડ આવી પહોંચે છે. ટૂંકમાં કોઈ કોઈને કશું આપતું નથી કે કોઈની પાસેથી કશું લેતું નથી.
આ પ્રકારનું પ્લેટફોર્મ હોય, તેની સાથે સંકળાયેલાં સંવેદનશીલ મિત્રો હોય ત્યારે ખરી મજા આ કાર્યક્રમથી મળતા સંતોષની હોય છે. (અલબત્ત, નાણાંની મજા પણ હોય જ) 'કહત કાર્ટૂન' કાર્યક્રમની શ્રેણી જે રીતે મજા આપે છે એ જોતાં અન્ય અમુક વણખેડાયેલા વિષય પર પણ કાર્યક્રમ કરવાનો કીડો સળવળી રહ્યો છે.
સાર એટલો કે દેખનેવાલે કી જય, દેખને કી વ્યવસ્થા કરનેવાલે કી જય, ઔર દિખાનેવાલે કી ભી જય.




(તસવીરો: પરેશ પ્રજાપતિ)

Monday, October 30, 2023

કહત કાર્ટૂન....આનંદ ભયો હૈ!

અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ-થિયેટર ખાતે 27 ઑક્ટોબર, 2023ના શુક્રવારની સાંજે સાડા સાતે કાર્યક્રમનું આયોજન હતું, જેનું નામ હતું 'કહત કાર્ટૂન'. કાર્યક્રમની વિગતમાં જણાવેલું 'એપિસોડ 1: બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી'. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક હતો, ફ્ક્ત રજિસ્ટ્રેશન કરાવવાની ઔપચારિકતા હતી. 'સ્ક્રેપયાર્ડ'નાં નેહા શાહ દ્વારા જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે, અને એ કારણે બંધ કરવું પડ્યું છે. આ જાણીને આનંદ થયો, અને સાથે પેટમાં ગલગલિયાં પણ. અહીં આવતા સજ્જ અને ઘડાયેલા શ્રોતાવર્ગ સમક્ષ કાર્ટૂનો દ્વારા આ સમયગાળાની ઘટનાઓ દર્શાવવાનો મારો આ પહેલો પ્રયોગ કેવોક રહેશે?

લગભગ પોણા આઠે કાર્યક્રમ શરૂ થયો. પંચોતેર-એંસી શ્રોતાઓ સામે હતા. સૌ પ્રથમ 'કહત કાર્ટૂન...' અંતર્ગત 'કાર્ટૂન એટલે શું?'ને બદલે 'કાર્ટૂન એટલે શું નહીં?'થી વાત શરૂ કરી. પાંચ-સાત મિનીટની પૂર્વભૂમિકા પછી મુખ્ય કાર્યક્રમની વિગતનો આરંભ થયો. 1857ના સૌ પ્રથમ સ્વાતંત્રસંગ્રામથી લઈને છેક 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધીના, 90 વર્ષના દીર્ઘ સમયગાળાની મુખ્ય ઘટનાઓને લગતાં ચૂંટેલાં કાર્ટૂન એક પછી એક દર્શાવાતાં ગયાં. સાથે જે તે ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ, જેને કારણે કાર્ટૂનનો વ્યંગ્ય બરાબર માણી શકાય. વચ્ચે વચ્ચે ક્યાંક કશીક વિગત સવાલરૂપે પૂછીએ કે શ્રોતાવર્ગમાંથી બરાબર પ્રતિસાદ ઝીલાય. હસવાના અવાજ પણ સંભળાય. નાનીમોટી અનેક વાતો કાર્ટૂનની આસપાસ થઈ.

આશરે સવા કલાકના કાર્યક્રમ પછી સવાલજવાબ હતા. એમાં પણ શ્રોતાઓએ કાર્ટૂનકળાને લગતા વિવિધ સવાલ પૂછીને મજા કરાવી. રાતના સવા નવની આસપાસ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર થયો. એ પછી પણ ઊભા ઊભા વાતો ચાલી.
હવે નક્કી એવું થયું છે કે દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનને કેન્દ્રમાં રાખીને એક કાર્યક્રમ કરવો. અલબત્ત, દરેક વખતે તેનું સ્વરૂપ અને વિષય જુદાં હશે, પણ કેન્દ્રમાં કાર્ટૂન જ હશે.
આ અગાઉ મેં મોટે ભાગે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ કરેલા છે, પણ આ પ્રકારનો મારા માટે આ પહેલો કાર્યક્રમ હતો. છેક બાવીસ-પચીસની ઉંમરથી લાગેલા આ શોખના ચસકાને આટલા વરસે યોગ્ય દિશા મળી એમ લાગે છે અને જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોવાનું અનુભવાય છે.
આવતા મહિને કયો કાર્યક્રમ હશે? હજી મેં વિચાર્યું નથી. ના, વિચાર્યું તો છે, પણ હજી ફાઈનલ કર્યું નથી. યોગ્ય સમયે એની પણ જાહેરાત કરીશું.
કબીર ઠાકોર અને નેહા શાહ તેમજ ભાઈ સાવનનો સહયોગ સમગ્ર કાર્યક્રમ પહેલાં, દરમિયાન અને પછી પણ રહ્યો.)

કાર્યક્રમના આરંભે નેહાબહેન દ્વારા સ્વાગત


વાત સાંભળવામાં મગ્ન શ્રોતાઓ

કાર્યક્રમનો આરંભ

કાર્યક્રમ સમાપન પછી વાતચીત

કાર્યક્રમ કેવો રહ્યો? નેહાબહેન, સોનલ શાહ, અને શૃંગીબહેન

 

(તસવીર સૌજન્ય: પારસ દવે)

Monday, October 23, 2023

કસ્તૂરબા અધ્યાપન મંદિરમાં કાર્ટૂન વિશે વાર્તાલાપ

આયોજન માટે આમંત્રણ ઘણા વખતથી હતું, પણ પરસ્પર અનુકૂળ તારીખો ગોઠવાતી નહોતી. આખરે બન્ને પક્ષે એક તારીખ નક્કી થઈ, અને એ હતી 21 ઑક્ટોબર, 2023ને શનિવાર. વાલોડનાં તરલાબહેન શાહના સંકલન થકી બોરખડીના 'કસ્તૂરબા અધ્યાપન મંદિર'ના પ્રતીકભાઈ વ્યાસ અને સંગીતાબહેન વ્યાસ આ પી.ટી.સી.કૉલેજની બહેનો માટે કાર્ટૂન વિશેનો કાર્યક્રમ ગોઠવવા ઈચ્છતા હતા.

એકાદ બે વખત તારીખો નક્કી થઈ, રદ થઈ, પણ આખરે એ ગોઠવાઈ ખરી. દક્ષિણ ગુજરાતના સાવ છેવાડાના કહી શકાય એવા આ ગામે જઈને અહીંની વિદ્યાર્થીનીઓ સમક્ષ શી રીતે વાત કરવી એની મીઠી મૂંઝવણ હતી, પણ સાથે કાર્ટૂન જેવી, સાર્વત્રિક અપીલ ધરાવતી વિષયવસ્તુ હોવાને કારણે નિરાંત પણ હતી.
કામિની અને હું બન્ને આગલા દિવસે સાંજે બોરખડી પહોંચી ગયા. અત્યંત રમણીય અને મનોહર રસ્તો, મોટા ભાગે શેરડીની ખેતી ધરાવતા આ વિસ્તારમાં થઈને સાડા છની આસપાસ બોરખડીના સંકુલે આવ્યા. પ્રતીકભાઈ, સંગીતાબહેન અને તેમની દીકરી વિધિ આ પરિસરમાં જ વસવાટ કરે છે. સંગીતાબહેન પ્રાચાર્યા છે, અને પ્રતીકભાઈ અહીં જ શિક્ષક તરીકે ફરજરત છે. ઔપચારિક પરિચય કરીને, ફ્રેશ થયા પછી અમે બહાર ખુલ્લામાં જ બેઠક જમાવી. અહીં જ વાતોનો દોર ચાલ્યો. આજુબાજુ અનેક વિદ્યાર્થીનીઓ વસવાટ કરતી હોવાથી તેમની આવનજાવન સતત ચાલતી હતી. રાતના નવની આસપાસ બહેનો એક સ્પીકર લઈ આવી, અને તેની પર તેમણે ગરબા રમવાના શરૂ કર્યા. દોઢેક કલાક સુધી તેઓ ગરબા રમી. દરમિયાન અમે બહાર ખુલ્લા આકાશ નીચે જ ભોજન લીધું.
બીજા દિવસે સવારે નવેક વાગ્યે કાર્યક્રમનો આરંભ કર્યો. નક્કી એવું કરેલું કે હું મારો બને એટલો સમય અહીં આપું. આથી અમે ત્રણ સેશનમાં કાર્યક્રમ વિભાજીત કરી દીધો હતો. સૌથી પહેલાં 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ હતો. તેમાં કાર્ટૂનની અગત્ય, તેના વિવિધ પ્રકાર અને અલગ અલગ પ્રકારનાં કાર્ટૂનને માણવા વિશે વાત થઈ. સવા-દોઢ કલાક જેટલા આ કાર્યક્રમ પછી નાનકડો બ્રેક રાખવામાં આવ્યો.
'આવો, કાર્ટૂન માણીએ'... 
વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી વિશે વાર્તાલાપ 

બ્રેક પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી'નો કાર્યક્રમ હતો. અગાઉ કાર્ટૂનોને ઉકેલવા વિશેની પ્રાથમિક માહિતી હોવાને કારણે ગાંધીજી વિશેનાં વિવિધ વ્યંગ્યચિત્રો માણવાની વિશેષ મજા આવી. બન્ને વખતે કામિની કમ્પ્યુટર પર સહયોગમાં રહી.
આ કાર્યક્રમ દરમિયાન તરલાબહેન શાહ પણ આવી પહોંચ્યાં. 
કામિની કોઠારી અને તરલાબહેન શાહ 
સવા-દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ભોજનવિરામ હતો. એ પછી મુક્ત વાતચીત રાખી હતી. વિવિધ વિષયોને આવરી લેતી વાતચીત, જેમાં શોખનું મહત્ત્વ, તેમાં પડતો રસ, જીવનમાં તે શી રીતે કામ લાગી શકે વગેરે મુખ્ય બાબતોની આસપાસ વાત કરી. વિદ્યાર્થીનીઓએ પણ સવાલો કર્યા. સરવાળે સમયનો પૂરેપૂરો ઉપયોગ થયો. હવે આગામી બેઠકમાં મારે 'રમૂજી વાતો' કરવી એવો એક બહેનનો અનુરોધ હતો. જોઈએ હવે, એ ગોઠવાય ત્યારે ખરું, પણ કાર્ટૂન જેવા, તેમના માટે સાવ નવા માધ્યમમાં તેમને જે રસ પડ્યો એ જોઈને બહુ આનંદ થયો.
બપોરના સાડા ત્રણની આસપાસ બોરખડીથી નીકળીને વાલોડમાં તરલાબહેનને ઘેર ગયાં. તેમની સાથે કલાકેક સત્સંગ કરીને વડોદરા પાછા આવવા નીકળ્યાં. આ બે દિવસ જાણે કોઈક જુદી જ અનુભૂતિ થઈ. આપણા જ રાજ્યના એક અલાયદા વિસ્તારની મુલાકાત લેવાનું બન્યું. આમ ભલે અજાણ્યા હતાં, પણ હૃદયની ઉષ્માથી સૌ ભીંજાયાં અને યાદગાર સમય સાથે ગાળ્યો.
પ્રાચાર્યા સંગીતાબહેન વ્યાસ 


(તસવીર સૌજન્ય: પ્રતીકભાઈ વ્યાસ, કામિની કોઠારી) 

Sunday, October 22, 2023

સંતૂરને સ્થાપિત કરવાનું એકલક્ષ્ય


- પં. શિવકુમાર શર્મા

અન્ય ઘણા લોકોની જેમ વસંત દેસાઈએ સંતૂર સાંભળ્યું તો ઠીક, જોયું સુદ્ધાં ન હતું. તેમણે મને એક અંશ વગાડવા જણાવ્યું. એકાદ કલાક સુધી મેં સંતૂરવાદન કર્યું (રાગ અત્યારે યાદ નથી) ત્યારે એમણે કહ્યું, 'હું તમારા માટે સંગીતની રચના નહીં કરું. ફિલ્મ જુઓ અને તમે જાતે જ નિર્ણય લો કે તમારા દૃશ્ય માટે શું યોગ્ય રહેશે. મને ખાત્રી છે કે તમે ઉત્તમ રીતે વગાડશો.' એક સરોવરમાં નાવનું રોમેન્ટિક દૃશ્ય હતું, જેનો મૂડ સંતૂરના સૂરોએ બહુ સુંદર રીતે ઝીલ્યો હતો. મેં જે ધૂન વિચારેલી એ ચાંદનીમાં વહી રહેલા પાણીના બિમ્બ માટે એકદમ સુયોગ્ય હતી. તરત જ મને વધુ કેટલીક સંગીતરચના તૈયાર કરવા માટે જણાવાયું. સ્ટુડિયોમાં એક સપ્તાહમાં મેં આ કામ સંપન્ન કરી દીધું.
એ સમયે શાન્તારામજી પારસ મનાતા- એમની તમામ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ થયેલી. ફિલ્મજગત એમની પૂજા કરતું, એમની વાત સહુ કોઈ સાંભળતું. એમની સફળતાનાં અનેક કારણો પૈકીનું એક એ હતું કે ફિલ્મનિર્માણનાં તમામ પાસાંમાં તેમની સક્રિય રુચિ હતી. જેમ કે, વસંત દેસાઈએ એમને જણાવ્યું કે મેં જાતે જ સંગીતરચના કરી છે, તો શાન્તારામજીએ એ સાંભળી, અમુક નાના ફેરફાર સૂચવ્યા અને એ જ વખતે ધૂનને રેકોર્ડ કરી લીધી. હું જવા માટે નીકળ્યો એટલે એમણે મને મારી ભાવિ યોજના વિશે પૂછ્યું. મેં પ્રામાણિકતાપૂર્વક જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં હું બી.એ.પાસ થવાની રાહ જોઈ રહ્યો છું.
આથી એમણે સહેજ અધીરાઈથી પૂછ્યું, 'બી.એ. પાસ કર્યા પછી?' મેં કહ્યું કે હું સંંગીતસાધનામાં રચ્યોપચ્યો રહીશ.' એમણે કહ્યું, 'હમણાં કેમ નહીં? હું મારી આગામી ફિલ્મના સંગીત નિર્દેશક બનવાનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકું છું. અને બની શકે કે તમે એમાં અભિનય પણ કરો.'
ત્યારે હું યુવાન હતો. પાછું વળીને જોતાં લાગે છે કે એ સ્થિતિમાં કોઈ વ્યક્તિ માટે આ ઘણું મોટું પ્રલોભન હતું. શાન્તારામજીનું નામ બહુ મોટું હતું અને એ સમયે મારા જીવનમાં એક ફિલ્મ મને પ્રસિદ્ધિના શિખરે લઈ જઈ શકે એમ હતી. પણ આ પ્રસ્તાવને હું સ્વીકારી શકું એમ નહોતો, કેમ કે, મારું લક્ષ્ય કંઈક બીજું હતું. મારે મારા પિતાજીના વિશ્વાસને સાચો ઠેરવવાનો હતો અને સંતૂરને એક શાસ્ત્રીય વાદ્ય તરીકે સ્થાપિત કરવાનું હતું. મારે મારું આ સ્વપ્ન પૂર્ણ કરવાનું હતું અને બીજા કશાનું એની આગળ મહત્વ નહોતું. સંતૂર સાથેની મારી સફર હજી તો શરૂ જ થઈ હતી.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

નોંધ: વી. શાંતારામની ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'માં શિવકુમાર શર્માના સંતૂરવાદનના ઘણા અંશ સમાવાયેલા હતા. તેમણે અહીં જે વર્ણન લખ્યું છે એ અંશ નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 56.42 થી 59.07 સુધીના દૃશ્યનો હોય એમ જણાય છે.

All reacti

Saturday, October 21, 2023

દોસ્તનવાઝી બધા કરે, દુશ્મનનવાઝી કરનારા કેટલા?

 

એક જમાનામાં જ્યારે સરદાર દીવાનસિંહ મફ્તૂન ('રિયાસત' સામયિકના સંપાદક-પ્રકાશક) રફી એહમદ કિડવાઈની વિરુદ્ધ બરાબર લખી રહ્યા હતા ત્યારે સરદારની આર્થિક સ્થિતિ બેહદ ખરાબ હતી. તેમની મુફલિસીનો અંદાજ લગાવીને હું સીધો કિડવાઈસાહેબ પાસે ગયો અને કહ્યું કે, કિડવાઈસાહેબ, તમે મિનિસ્ટર નથી, આ યુગના ઉદારદિલ નેતા છો. 'તમારી દોસ્તનવાઝી (દોસ્તની કદરનો ગુણ)ના ડંંકા વાગે છે; પણ દોસ્તનવાઝી કંઈ મોટો ગુણ ન કહેવાય. હલાકૂ, નીરો, ચંગેઝ અને યઝીદ પણ પોતાના દોસ્તોની કદર કરતા હતા. અલબત્ત, દુશ્મનનવાઝી એક એવો ગુણ છે કે જે માણસને પૈગમ્બરના સ્તરે પહોંચાડી દે છે. તમે હલાકૂના સ્તરે રહેવાનું પસંદ કરશો કે પૈગમ્બરીના સ્તરે પહોંચવાનું?' તેમણે મલકાઈને કહ્યું, 'ઉખાણાં ન કહો. તમારો મુદ્દો જણાવો.' મેં કહ્યું, 'દીવાનસિંહ આજકાલ બહુ પરેશાન છે.'
આટલું સાંભળતાં જ તેમણે ઘંટડી વગાડી. સેક્રેટરી આવ્યો. તેમણે એના કાનમાં કંઈક કહ્યું. એ અંદર ગયો અને પાંચ મિનીટમાં ચેક લઈને આવ્યો. ચેક પર સહી કરીને કિડવાઈસાહેબે કહ્યું, 'આ ચેક દીવાનસિંહને પહોંચાડી દેજો.' દસ હજારનો એ ચેક લઈને હું દીવાનસિંહ પાસે ગયો. ચેક વટાવાઈ ગયો એટલે તેઓ આગ્રહ કરવા લાગ્યા કે અડધી રકમ હું રાખી લઉં. મેં એનો ઈન્કાર કર્યો તો તેઓ ઝઘડવા લાગ્યા અને હું ત્યાંથી ભાગ્યો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Friday, October 20, 2023

મુફલિસીમાં મિજબાની

સરદાર દીવાનસિંહ મફ્તૂને પોતાના સામયિક 'રિયાસત'ના જમાનામાં પુષ્કળ કમાણી કરી. પણ પોતાની પાસે કદી કંઈ ન રાખ્યું. ખાધું-પીધું અને ખવડાવ્યું-પીવડાવ્યું. આ કારણે તેમણે વારંવાર મુફલિસી અને કડકાપણાનો ભોગ બનવું પડતું. પણ એવી મુફલિસીમાંય કોઈ દોસ્ત કે મહેમાન આવી જાય તો તેઓ છાનેછપને પોતાના ઘરની ચીજવસ્તુઓ વેચીને મિજબાની કરાવતા. એ વખતે કોઈ એમની મુફલિસી જાણીને મિજબાની માટે ઈન્કાર કરે તો તેઓ એની સાથે ઝઘડી પડતા.

મજાઝ (લખનવી)એ એક દિવસ મને કહ્યું કે કાલે તો સરદારસાહેબે કમાલ કરી દીધી. હું સાંજે એમને ત્યાં પહોંચેલો. તેમણે નોકરને કહ્યું કે સોડાની બાર ડઝન બોટલ લઈ આવે. એમના મહોલ્લામાં એમનો દબદબો હતો. થોડી વારમાં બોટલો આવી ગઈ. એમાંથી એક ડઝન બોટલ એમણે રાખી લીધી અને નોકરને હુકમ કર્યો કે બાકીની બોટલોમાંથી સોડા કાઢી નાખીને ખાલી થયેલી બોટલો અમુકતમુક દુકાન પર વેચી આવે (એ દિવસોમાં લખોટી સોડાની ખાલી બોટલ બાર આનામાં વેચાતી હતી) અને એના જે રૂપિયા આવે એમાંથી એક વ્હીસ્કીની બોટલ અને ખાવાનો સામાન લેતો આવે. આ હતી એમની મહેમાનનવાઝીની શાન!
આ વાત લગભગ 1937ની છે, જ્યારે હું દિલ્હીથી 'કલીમ' પ્રકાશિત કરી રહ્યો હતો અને કામધંધો તેમજ ઈશ્ક બન્ને તરફથી પરેશાન હતો. આટલું ઓછું હતું તે મારી દીકરીનું લગ્ન માથે આવી પહોંચ્યું હતું. એવામાં એક સાંજે સરદારસિંહ મારે ઘેર આવી પહોંચ્યા. સાથે બ્રાન્ડીની બોટલ લેતા આવેલા. (તેઓ વ્હીસ્કી કરતાં બ્રાન્ડી વધુ પસંદ કરતા)
અમારી બેઠક પૂરી થઈ એટલે તેમણે મને કહ્યું, 'ભાભીને મારે એક વાત કહેવી છે.' મેં નોકરને કહ્યું કે સરદારસાહેબને ઉપર લઈ જા. મારી પત્ની ત્યાં સુધી પર્દાની પાબંદ હતી, પણ એમનાથી જરાતરા પર્દો રાખતી. તેઓ મારી પત્ની સાથે વાત કરીને નીચે આવ્યા અને બે જ મિનીટમાં વિદાય લીધી. હું ઉપર ગયો તો મારી પત્નીએ મને કહ્યું, 'સરદારસાહેબ નોટોનું આ બંડલ આપી ગયા છે. કહેતા હતા કે આ રકમ એમણે એમના દોસ્ત નવાબ બહાવલપુર પાસે પત્ર લખીને મંગાવી હતી. જોઈ ને દીવાનસિંહની શરાફત અને દોસ્તી!'

(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Thursday, October 19, 2023

કવિતાબવિતા (25) : નવરાત્રિવિશેષ

 આ પાસ મળ્યો તે કાનજી ને આઈ.ડી.પ્રૂફ તે રાધા રે,

આ ડી.જે.ધ્વનિ તે કાનજી ને શ્રવણેન્દ્રિય તે રાધા રે,
આ ટોળેટોળાં તે કાનજી ને સમયમર્યાદા રાધા રે,
આ યૌવનધન તે કાનજી ને પ્રસ્વેદધન તે રાધા રે,
આ સ્ટૉલ મળ્યો તે કાનજી ને ટિંક્ચર ભાવ તે રાધા રે,
આ લૂંટફાટ તે કાનજી ને હોંશ લૂંટાવાની રાધા રે,
આ પરંપરા તે કાનજી ને ઘોંઘાટ થાય તે રાધા રે,
આ નવરાત્રિ તે કાનજી ને પંક થયું તે રાધા રે.

(કવિ પ્રિયકાંત મણિયારની મૂળ રચનાને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 29-9-2019)

Wednesday, October 18, 2023

કવિતાબવિતા (24) : નવરાત્રિવિશેષ

 પાસ રેઢો જોયો ને તમે યાદ આવ્યાં

જાણે ભર નવરાત્રે વરસાદ પડ્યો રામ
સ્ટૉલે પીત્ઝા ખાધો ને તમે યાદ આવ્યાં
ક્યાંક ડી.જે.ગર્જ્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનમાં પડી ગઈ ધાક જબરી રામ
એક 'ગરબો' સાંભળ્યો ને તમે યાદ આવ્યાં
જરા કીચડ થયો ને તમે યાદ આવ્યાં
જાણે ડિઝાઈનર ડ્રેસ તૈયાર મળ્યો રામ
સહેજ છાંટો ઊડ્યો ને તમે યાદ આવ્યાં
કોઈએ કકળાટ કર્યો ને તમે યાદ આવ્યાં
જાણે મોગેમ્બોના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ ગળે પડ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ ગાતાં અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે સ્વરની દુનિયામાં કલશોર થયો રામ
એક આલાપ છેડ્યો ને તમે યાદ આવ્યાં

(કવિ હરીન્દ્ર દવેને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 7-10-2019)

Tuesday, October 17, 2023

કવિતાબવિતા (23) : નવરાત્રિવિશેષ


કોક કહે આર.જે.ને
આર.જે. વાત વહે પ્રસારણમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
ખાબોચિયાના જલ પર ઝૂકી પૂછે ઓઢણી આળી
યાદ તને તૂટી'તી અહીંયાં દિવાલ તણી એ પાળી
ગારો કપચીને કહે,
કપચી એ વાત સ્મરે થનથનમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
કોઈ ન માગે પાસ, નથી કોઈ આઈ.ડી. ચેક કરતું,
આવડા મોટા પાર્ટીપ્લોટમાં ચકલું નથી ફરતું,
સ્ટૉલવાળો કહે આયોજકને,
આયોજક ભાંંડે મનમાં,
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
થશે નહીં હવે કોઈ કમાણી
તાણી ગયું એને પાણી
અબ તક ખેલૈયો એક ન ફરક્યો
ભાગ્યકોથળી થઈ કાણી
મેકઅપ કહે ચહેરાને
ચહેરો વાત વહે કવનમાં
કાદવ ક્યાંંય નથી ઉપવનમાં
(ઉપવન= પાર્ટીપ્લોટ)
(હરીન્દ્ર દવેને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 1-10-2019)

Monday, October 16, 2023

કવિતાબવિતા (22): નવરાત્રિવિશેષ

 હે...

ક્યારે પડશે આ ફાફડાનો તોડ,
કે સાહ્યબા, હવે તું ગરબાને છોડ
ફળફળતી કઢીમાં માખ્યું છલકાય છે
માખ્યુંને જોઈને ફાફડા લાંબા મલકાય છે
જલેબીને જોઈ ગરોળી ઝૂલે છે ગેલમાં
ચાસણીનો તાંતણો જઈ લારીએ લહેરાય છે
હે.. માખને ગરોળી થવાના જાગ્યા કોડ
કે સાહ્યબા… હવે તું ગરબાને છોડ
પેટની વાત હવે જીભડા પર લાવીએ
લારીની પાસ જઇ વિના ફાફડે આવીએ
રોપીને આસપાસ ફાફડાના છોડને
ચાસણીના કુંડામાં જલેબી ઉગાડીએ
હે.. હવે હમણાં તો ગરબા છોડ
કે સાહ્યબા, હવે તું ગરબાને છોડ
હો...લેને પૂરા કીયા મનના કોડ
કે રાજવંત પડીકું તું ફાફડાનું છોડ...

(કૈલાસ પંડિતને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 8-10-2019)

Sunday, October 15, 2023

કવિતાબવિતા (21): નવરાત્રિવિશેષ

આજ મંડી પડવું છે પેરડીના કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
નોકરી નથી કે મળે અલગારી છુટ્ટી,
ચાને જ માની લેવી જાદુઈ જડીબુટ્ટી,
આજ બસ મહેરબાન થાવું ઝુકરના ગામ પર....અલ્યા ધીંગા વરસાદ...
કીચડની પરવા વિના કૂદાકૂદ કરો તમે,
કપડે ઉપસેલી છાંટાની ભાત બહુ ગમે,
સ્ટૉલ પર ઊભીને લોટ પાપડીનો જમે,
આજ મને આવી છે ઊલટ પેરડી પર...અલ્યા ધીંગા વરસાદ...
ગોરંભાયેલું આભ અને અજવાળું પાંખું,
છત્રી ને રેઈનકોટને ઝોળીમાં નાખું,
ગ્રાઉન્ડ છે ચોખ્ખું પણ દેખાય છે ઝાંખું.
આજે હું તરસ્યો છું ગરબાના ધામ પર.
રાગ હો મલ્હાર અગર દીપક કે મારુ,
આપણને ગાતા ક્યાં આવડે છે સારું,
માની ધજાને કહીશું વારુ વારુ,
આજે હું આફરીન મારી જ આ પેરડી પર....
આજ લાગવું છે બસ પેરડીના કામ પર....

(વેણીભાઈ પુરોહિતને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 30-9-2019)
(પેરડી/Parody= પ્રતિરચના)

Saturday, October 14, 2023

'શકુંતલા' પાસે એકાદ ગીત ગવડાવી લઉં

 

- વી. શાંતારામ
ફિલ્મ સમાપ્ત થઈ અને હું બહાર આવ્યો. પરસાળમાં અનેક લોકો અમારી રાહ જોઈ રહ્યા હતા. એમને મેં કહ્યું, 'ફિકર કરવા જેવું નથી. 'શકુંતલા' ઓછામાં ઓછાં પચીસ સપ્તાહ અવશ્ય ચાલશે!' મારી વાતથી સૌને હાશ થઈ.
થિયેટરની બહાર જે લોકો ખોટ ખાઈને ઓછી કિંમતે ટિકીટો કાળા બજારમાં વેચતા હતા એ કોણ હતા એ જાણવા માટે મેં મારા કેટલાક માણસોને મોકલ્યા. એ બધાંને ચાપાણી કરાવ્યાં. એ પછી જે માહિતી મળી એ આંચકો આપનારી હતી. એક સમયે મારા સહયોગી રહી ચૂકેલા બાબુરાવ પૈની 'ફેમ્સ પિક્ચર્સ'ના માણસો જ આ વાહિયાત કામમાં લાગેલા.
'શકુંતલા' બીજા સપ્તાહમાં પ્રવેશી. શરૂ શરૂમાંનું તોફાન હવે ઓસરવા લાગ્યું હતું. 'શકુંતલા' હાઉસફૂલ ભીડ જમાવી રહ્યું હતું. અમારી કંપનીમાં જે ચિંતાજનક વાતાવરણ હતું એ ધીમે ધીમે હળવું થવા લાગ્યું હતું. ફરી એક વાર મેં પ્રેક્ષકો વચ્ચે બેસીને 'શકુંતલા' જોઈ. મને એ વખતે લાગ્યું કે મધ્યાન્તર પછી ફિલ્મની ગંભીર ઘટનાઓને લઈને દર્શકો મનમાં કદાચ સહેજ વધુ પડતી તાણ અનુભવે છે. એને ઘટાડવા માટે મેં નક્કી કર્યું કે શકુંતલા પાસે એકાદ ગીત ગવડાવી દઉં. એ માટેનું યોગ્ય સ્થાન પણ મને ફિલ્મના ઉત્તરાર્ધમાં મળી ગયું: શકુંતલાએ ભરતને જન્મ આપ્યો છે. સુદૃઢ બાંધાનો ભરત ઘૂંટણીયાં ભરી રહ્યો છે અને શકુંતલા પોતાના બાળકની બાળલીલા તૃપ્ત નજરે નિહાળી રહી છે. વસંત દેસાઈએ અગાઉના એક પ્રસંગે આપેલા પાર્શ્વસંગીતની એક ધૂન મને બહુ ગમી હતી. તેની સંગીતરચના બહુ સરસ હતી. એ જ ધૂન પર કવિએ શબ્દરચના કરી:
જીવન કી નાવ ના ડોલે
હાં યહ હૈ તેરે હવાલે.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: દીવાન શરરે લખેલું, જયશ્રી પર ચિત્રીત આ ગીત અહીં સાંભળી શકાશે.

Friday, October 13, 2023

વિભિન્ન ભાષા છતાં એકતા શક્ય ખરી?

 

- વી. શાંતારામ
એ દિવસોમાં 'ભાષાવાર પ્રાંતરચના થઈને રહેશે'ના નારાને કારણે વાતાવરણ ગરમ હતું. સ્વાર્થી રાજકારણીઓ દ્વારા ઉશ્કેરણીને લઈને વિભિન્ન પ્રાંતના લોકોમાં તણાવ વધી ગયેલો. આવા સમયમાં મારી ફિલ્મ દ્વારા હું એ બાબતનો ખુલ્લેઆમ સમર્થક બનું કે દેશનું આ વધુ વિભાજન બરાબર નથી, તો લોકોને મારી ફિલ્મ ન ગમે. આથી મેં આ ફિલ્મમાં વ્યંગ્ય અને વિનોદની રીતે વિકસીત કરવાનો નિર્ણય કર્યો. ભાવના એવી કે હસતાંરમતાં લોકોને મારી વાત સમજાવું અને એ પણ એવી રીતે કે આસાનીથી હજમ થઈ શકે.
આ સમસ્યાની સાથે શ્યામવણી છોકરીઓના લગ્નની સમસ્યા પણ આ વાર્તામાં સાંકળી લીધી. મારું હંમેશાં માનવું રહ્યું છે કે વિભિન્ન ભાષાઓ બોલનારાઓને મનથી નજદીક લાવવા માટે એક સર્વસામાન્ય ભાષા હોવી અત્યંત જરૂરી છે, અને મારી માન્યતા છે કે આવી ભાષા કેવળ હિન્દી જ હોઈ શકે. દુનિયાની તમામ ભાષાઓના શબ્દોને અંગ્રેજીમાં સમાવીને તેને ખરા અર્થમાં એક સંપન્ન ભાષા બનાવીને અંગ્રેજીના વિદ્વાનો જેવું કરી રહ્યા હતા એ જ રીતે રાષ્ટ્રભાષા હિન્દીને પણ આપણી અન્ય ભાષાઓના શબ્દોથી આપણે સંપન્ન કરીએ તો થોડા સમય પછી એવી હિન્દીનો વધુ વિરોધ ક્યાંય નહીં થાય- એમ પણ હું માનતો હતો. પણ કટ્ટરપંથી હિન્દી ભાષાભિમાની પંડિતો શુદ્ધ હિન્દીના એટલા પ્રચંડ સમર્થક હતા કે એમનો આગ્રહ રહેતો કે હિન્દીને સહેજ પણ દૂષિત ન કરવી અને તેને શુદ્ધરૂપે જ વાપરવી. આ જ કારણે દક્ષિણ ભારતના એવા કેટલાક લોકો જે હિન્દીને આત્મસાત કરી ચૂક્યા હતા તેઓ પણ હિન્દીનો બરાબર વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધને ધ્યાને લઈને મેં મારી આ ફિલ્મમાં નાયકને હિન્દીનો એક વ્યાપક શબ્દકોશ તૈયાર કરવાના કામ સાથે સંકળાયેલો હોવાનું નક્કી કર્યું. નાયક પર આવો શબ્દકોશ બનાવવાનું ભૂત સવાર હોય છે. તેના ઘરનું વાતાવરણ પણ આના માટે પૂરક હોય છે. ફિલ્મની શ્યામવર્ણી નાયિકા ભારતની વિભિન્ન ભાષાઓથી સારી રીતે પરિચીત છે, પરિણામે તેઓ પરસ્પર આકર્ષિત થાય છે. આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પોતાની ભાષા અને રીતરિવાજો, વેશભૂષા વગેરેનું વધુ પડતું વળગણ હોય છે, આથી દરેક વાત પર મતભેદ ઊભા થાય છે. તેને કારણે બહુ રોચક નાટ્યાત્મક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દીવાન શરર ઘડાયેલા લેખક હતા. તેમણે મારી તમામ કલ્પનાઓને મૂર્ત કરી આપતી વાર્તા લખી દીધી. આ ફિલ્મનું નામ પણ મજાનું રાખ્યું: 'તીન બત્તી ચાર રાસ્તા'. મુંબઈના એક રસ્તાનું આ નામ છે. વિભિન્ન પ્રાંતની મહિલાઓની ભૂમિકા માટે જે તે પ્રાંતની અભિનેત્રીઓની પસંદગી કરી. હવે મને એક જ પ્રશ્ન સતાવતો હતો કે પેલી શ્યામવર્ણી યુવતીના પાત્રમાં કોની પસંદગી કરવી. પરંતુ સંધ્યાએ ખુશીથી પોતે જ એ કામ કરવાનું સ્વીકાર્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Thursday, October 12, 2023

તાકિ હંસતે હુએ નિકલે દમ


- વી. શાંતારામ
કેદીઓના મન પર સારા સંસ્કાર પાડવા માટે આદિનાથ રોજ કામ શરૂ કરતી વખતે અને ભોજન પહેલાં તેમને પ્રાર્થના કરવાની આદત પાડે છે. મારો મત હતો કે પ્રાર્થનાનું આ ગીત ન ભજન જેવું હોય કે ન 'આમ કરો, આવું આચરણ કરો' જેવા આદેશવાળું હોય. પંડિત ભરત વ્યાસ અને વસંત દેસાઈ બન્ને આ પ્રાર્થના-ગીત મંજૂર કરાવવા માટે કોલ્હાપુર આવ્યા. ભરતજી રચિત ગીત પરમાત્માની સ્તુતિ કરતું હતું. એક ગીત તરીકે એ સરસ હતું, પણ પ્રાર્થના-ગીતની મારી જે કલ્પના હતી એ તેમાં વ્યક્ત થતી ન હતી.
મેં ભરતજીને કહ્યું, 'જુઓ, જીવન બાબતે મારા અમુક આદર્શ છે કે 'માણસે જીવનભર સત્કર્મો કરતાં રહેવું જોઈએ કે જેથી મૃત્યુ વેળા તેના ચહેરા પર સંતોષની લહેર આવી જાય. આ જ વાત પ્રાર્થના-ગીતમાં આવવી જોઈએ. એમ ન લાગવું જોઈએ કે આ પ્રાર્થના કોઈ એક ધર્મની છે. દરેકને લાગવું જોઈએ કે એ એના પોતાના ઈશ્વરની- તમામ ધર્મના શ્રેષ્ઠ મૂલ્યની- એટલે કે માનવધર્મની પ્રાર્થના હોય.
ભરતજી આ સાંભળીને ગંભીર થઈ ગયા. તેમના મનમાં ચાલી રહેલી મથામણ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
બીજા દિવસે ભરતજીએ નવી પ્રાર્થના સંભળાવી:
'એ માલિક તેરે બન્દે હમ.'
'વાહ! ભરતજી વાહ! કહેવું પડે! 'માલિક' અને 'બન્દે' શબ્દ એટલા અદ્ભૂત છે કે શું કહું! બસ, તમારા કાવ્યની આ પહેલી પંક્તિથી જ મારું મન સંતુષ્ટ થઈ ગયું.'
ભરત વ્યાસના ચહેરા પર ઉત્સાહ જણાયો. તેમણે કહ્યું, 'કાલે તમે મને કહ્યું ત્યારથી મન બેચેન હતું, તરફડી રહ્યો હતો. આખી રાત કશું લખી ન શક્યો અચાનક મને જમીન મળી ગઈ. આગળ સાંભળો:
એ માલિક તેરે બન્દે હમ!
ઐસે હોં હમારે કરમ!
નેકી પર ચલેં, ઔર બદી સે ટલેંં,
તાકિ હંસતે હુએ નીકલે દમ.
કવિના માનસની શી રીતે પ્રશંસા કરું એ મને સમજાતું નહોતું. મને જે અર્થ અભિપ્રેત હતો એ તેમણે એટલા અદ્ભૂત શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે મેં તત્ક્ષણ કહી દીધું, 'તમારું આ ગીત અમર થનારું છે.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: આ ગીત ફિલ્મ 'દો આંખે બારહ હાથ'માં લતા મંગેશકરના કંઠે ગવાયું હતું. જો કે, અંગત રીતે માત્ર કોરસમાં ગવાયેલું વર્ઝન વધુ પસંદ છે. અહીં એ સાંભળી શકાશે.

Wednesday, October 11, 2023

એ ફિલ્મ અને તેની ટીકાનું કાળું ટપકું

 

- વી. શાંતારામ
સિનેમાઘરમાં એકે દર્શક એવો નહોતો કે જેની આંખો ભિંજાઈ ન હોય. ફિલ્મના અંતિમ પ્રસંગમાં પુનરુક્તિ કરવા છતાં લોકોને જકડી રાખવામાં હું સફળ થયો હતો. મારી જીત થઈ હતી. કેટલાય દર્શકો સુન્ન થઈને પોતાની બેઠક પર જ બેસી રહ્યા. ધીમે ધીમે ભીડ ઓસરવા લાગી. અનેક પરિચીતો ગળું રુંધાઈ જવાને કારણે બોલી શકતા ન હતા, પણ કેવળ ઈશારાથી જણાવતા હતા કે ફિલ્મ એકદમ ઉત્કૃષ્ટ બની છે.
અન્ય દર્શકોની સાથોસાથ 'રણજિત ફિલ્મ કંપની'ના માલિક ચંદુલાલ શાહ અને ગૌહરબાઈ પણ બહાર આવ્યાં. મને જોઈને ગૌહરબાઈએ ભરાયેલા કંઠે કહ્યું, 'ફિલ્મ કેવી છે એ આની પરથી સમજી જાવ.' આમ કહીને તેમણે રડી રડીને લાલચોળ થઈ ગયેલી પોતાની આંખો તરફ ઈશારો કર્યો. મેં જોયું કે એમની આંખોમાં ફરીથી આંસું ધસી આવ્યાં હતાં.
'ડૉ. કોટનીસ કી અમર કહાની' ભારતભરમાં પ્રદર્શિત થઈ અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી. પત્રકારો અને સમીક્ષકોએ આ ફિલ્મને ખૂબ વખાણી. ફક્ત બાબુરાવ પટેલ એવા હતા કે જેમણે પોતાના માસિક 'ફિલ્મ ઈન્ડિયા'માં અધમ ટીપ્પણી કરતાં લખેલું, 'ડૉ. કોટનીસ કી અમર કહાની' ફિલ્મ ઊભી બજારે સળગાવી દેવા જેવી છે.'
આ ટીપ્પણી તેમના માસિકમાં પ્રકાશિત થઈ. 'ડૉ. કોટનીસ..' લાહોરમાં પ્રદર્શિત થઈ ચૂક્યું હતું અને ત્યાંના લોકોને એટલું પસંદ પડ્યું હતું કે ત્યાંના યુવકોએ લાહોરમાં આવેલા એ માસિકના તમામ અંક ભરબજારે સળગાવી માર્યા. લાહોરમાં તો 'ડૉ. કોટનીસ...' જોવા આવેલા લોકોએ ભારતના તમામ સિનેમાઘરોની ભીડ અને આવકના વિક્રમ તોડી દીધા. એટલું જ નહીં, લાહોર એન્જિનિયરીંગ કૉલેજના પચાસ-સાઠ વિદ્યાર્થીઓએ મને એક પત્ર પણ મોકલેલો. એમાં લખેલું:
'એન્જિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ લેતાં અગાઉ અમે તમારી આ ફિલ્મ જોઈ હોત તો આજે અમે સહુ વિદ્યાર્થીઓ મેડીકલ કૉલેજમાં જ હોત, ડૉક્ટર બનત અને ડૉક્ટર કોટનીસની જેમ માનવોની સેવામાં લાગી ગયા હોત.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Tuesday, October 10, 2023

એમાં શરમ શાની?


- વી. શાંતારામ
બીજા દિવસે દિલ્હીના રીગલ થિયેટરમાં 'તૂફાન ઔર દિયા'નો પહેલો શો શરૂ થયો. નારાજ દર્શકોનો સામનો શી રીતે કરીશું એમ વિચારીને અમારા દિલ્હીના વિતરક ઘેર જ બેસી રહ્યા. થોડા થોડા સમયે તેઓ થિયેટર પર ફોન કરીને ફિલ્મની સ્થિતિ પૂછી લેતા:
"ભીડ કેવી છે?"
"હાઉસફૂલ." થિયેટરના મેનેજરે કહ્યું.
મધ્યાંતર વખતે વિતરકનો વધુ એક ફોન.
"લોકોએ ધમાલબમાલ કરી?"
"હજી સુધી તો નહીં."
ફિલ્મ પૂરી થઈ એટલે ફરી ફોન.
'લોકો શું કહે છે? ગાળો ભાંડે છે?"
"જરાય નહીં."
'શું વાત કરો છો! સાચું કહો છો ને?"
"હા, સાહેબ. થિયેટરમાંથી બહાર નીકળતાં બધા એમ જ કહે છે કે શાંતારામે કેવી સુંદર ફિલ્મ બનાવી છે!"
થોડી મિનીટોમાં વિતરકની ગાડી ઠાઠમાઠથી રીગલની પોર્ચમાં આવી. અગાઉ થયેલી વાતોનો કશો અણસાર તેમના ચહેરા પર નહોતો. રામ હજારેએ તેમની તરફ જોઈને તોફાની હાસ્ય કર્યું. વિતરકે સંકોચાઈને તેમની સાથે હાથ મિલાવ્યા.
આ ફિલ્મની એક બહુ હૃદયસ્પર્શી યાદ: લિબર્ટી સિનેમાના માલિક મહેબૂબ ખાનને મળવા ગુજરાતના બીલીમોરા ગયેલા. મહેબૂબની 'મધર ઈન્ડિયા'નું ફિલ્માંકન ત્યાં ચાલતું હતું. બીલીમોરા સ્ટેશને ઉતરતાં જ આઠ-નવ વર્ષનો એક સ્ફૂર્તિલો છોકરો દોડીને એમની પાસે આવ્યો અને કહ્યું, 'સાહેબ, હું તમારી બેગ લઈને તમને સ્ટેશનની બહાર લઈ જાઉંં?' હબીબે એની પ્રશંસા કરતાં કહ્યું, 'અરે! તું તો બહુ નાનો છો! તું આવી જાતનું કામ શું કામ કરે છે?'
'સાહેબ, અમે ગરીબ છીએ. મારા બાપ ગુજરી ગયા. મારી બા પણ કંઈ ને કંઈ કામકાજ કરે છે. મને જે થોડુંઘણું મળે એ હું મારી માને આપી દઉં છું.'
'પણ દીકરા, તું તો સારા ઘરનો લાગે છે અને તમને આવું હલકું કામ કરવામાં શરમ નથી આવતી?'
આ સાંભળીને છોકરાએ ગર્વભેર કહ્યું, 'એમાં શરમ શાની? તમે વી. શાંતારામની 'તૂફાન ઔર દિયા' ફિલ્મ જોયેલી છે? એમાં પણ મારા જેવો એક નાનો છોકરો પોતાની બહેન માટે કેટલી બધી મહેનત કરે છે. એને જોઈને મારી હિંમત વધી ગઈ. કોઈ પણ કામ ઈમાનદારીથી કરવામાં શરમ શાની?'
મુંબઈ આવીને મને ફોન પર આ આખો કિસ્સો કહેતાં હબીબનું ગળું ભરાઈ આવ્યું. મને પણ એ સાંભળીને સારું લાગ્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)