Showing posts with label Translation. Show all posts
Showing posts with label Translation. Show all posts

Wednesday, May 29, 2024

બાળવિશ્વમાં પા પા પગલી

 ઓશોના એક પુસ્તકનો સૌ પ્રથમ વાર અનુવાદ કરવાનું બન્યું ત્યારે પ્રકાશક રમેશભાઈ પટેલને પહેલવહેલી વાર મળ્યો. તેમનો પહેલો સવાલ: 'ઓશોનું તમે શું વાંચ્યું છે?' મેં કહ્યું, 'કશું જ નહીં. હું મારી ભાષાકીય સજ્જતાના જોરે અનુવાદ કરવાનો છું. એમાં ઓશોનું અગાઉ શું વાંચ્યું છે કે નહીં એનું મારા માટે કોઈ મહત્ત્વ નથી.' આ સાંભળીને તેઓ ઘડીક થોભ્યા. આથી મેં સૂચવ્યું, 'હું એમના કોઈ પણ લખાણના એક-દોઢ પાનનો ગુજરાતી અનુવાદ કરીને તમને મોકલું. તમે એ જુઓ. વાત બને તો આગળ વધીએ, નહીંતર પૂર્ણવિરામ.' એ મુજબ મેં એમને એક દોઢ પાનનો અનુવાદ કરીને મોકલ્યો. બસ, એ પછી ઓશોનાં કુલ ચાર પુસ્તકનો અનુવાદ તેમણે કરાવ્યો. તેમને તો બીજાં ઘણાંનો અનુવાદ કરાવવો હતો, પણ બીજી અનુકૂળતા ન ગોઠવાઈ.

આ વાત માંડવાનું કારણ એ કે, ઓશોના 'અઘરા' મનાતા અનુવાદની સરખામણીએ સાવ બાળકથાઓનો અનુવાદ વધુ મુશ્કેલ છે. છાયાબહેન ઉપાધ્યાય દ્વારા મોકલાવાયેલાં દિલ્હીની 'પ્રથમ બુક્સ' દ્વારા પ્રકાશિત ચાર અંગ્રેજી પુસ્તકો મળ્યાં. પુસ્તક શું, પુસ્તિકાઓ પણ ન કહેવાય. એક પાન પર 70-75 % જેટલી જગ્યામાં ચિત્ર, અને બાકીની જગ્યામાં બાળકોના પુસ્તકમાં હોય છે એવા મોટા ફોન્ટમાં થોડી લીટીઓ. મારે એનો અનુવાદ કરવાનો હતો. આ પુસ્તકને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા- એમ વાંચનના ચાર તબક્કા અનુસાર જે તે તબક્કામાં વર્ગીકૃત કરાયા હતાં. આથી એ કયા વયજૂથ માટે છે એનો પણ ખ્યાલ આવે. અનુવાદનો ગમે એટલો અનુભવ હોય, મા વાંચે અને બાળક સમજી શકે, અથવા તો બાળક જાતે વાંચે અને એ ખુદ સમજી શકે એવી ભાષામાં એને અનુવાદિત કરવાનું. એ કરવાની મઝા તો આવી, પણ પછી આ અનુવાદિત પુસ્તકો બીજા એક રીવ્યૂઅરને મોકલવામાં આવે, અને એમને કશી પૃચ્છા હોય તો એને સંતોષવી પડે. એક પુસ્તકનું મૂળ નામ હતું Pishi and me', જેનો સીધો અનુવાદ થાય 'પીશી અને હું.' વાત તો એક ફોઈ અને એમના નાનકડા ભત્રીજા વચ્ચેના સંબંધની હતી. શબ્દ બાબતે વધુ ખાંખાખોળાં કરતાં ખ્યાલ આવ્યો કે 'પીશી' બંગાળી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'ફોઈ'. આથી મેં શિર્ષક રાખ્યું 'ફઈબા અને હું.' એ પછી છાયાબહેન સાથે ચર્ચા ચાલી. એમાં એ તારણ નીકળ્યું કે હવે 'ફઈબા' શબ્દ ઓછો ચલણમાં છે, અને હજી એ ઘટતો જાય છે. 


હવે મોટે ભાગે લોકો 'ફોઈ' કહે છે. આથી અમે શિર્ષક રાખ્યું 'ફોઈ અને હું.' સાવ બે-ચાર લીટી હોય એવાં પૃષ્ઠોમાં પણ ઘણા શબ્દો બાબતે આવી 'બાલની ખાલ' પ્રકારની ચર્ચા થતી રહી, અને એક જુદા પ્રકારનો સંતોષ થયો.
આ પુસ્તકોમાં છેલ્લે લેખક, ચિત્રકાર અને અનુવાદકનો ત્રણ-ચાર લીટીમાં પરિચય મૂકાયેલો હોય છે. મેં 'વડોદરામાં નિવાસ કરતા બીરેન કોઠારી પૂર્ણ સમયના ચરિત્રકાર, અનુવાદક, સંપાદક છે' પ્રકારનો પરિચય લખી મોકલ્યો. છાયાબહેનનું સૂચન આવ્યું, 'આ રીતે નહીં, બાળકોને રસ પડે એ શૈલીએ પરિચય લખો.' અનુવાદ કરવા કરતાંય વધુ મૂઝવણ આ પરિચય બાબતે થઈ. છેવટે છાયાબહેનને કહ્યું, 'તમે જ કંઈક સૂચવો. મને ખ્યાલ નથી આવતો.' એ પછી છાયાબહેને જે પરિચય લખ્યો એ વાંચીને મને પણ મજા આવી ગઈ. એ પણ સમજાયું કે બાળકથાનાં પુસ્તકોમાં નાનામાં નાની બાબત પણ કેટલી મહત્ત્વની બની રહેતી હોય છે.
'પ્રથમ બુક્સ'નાં આ ચારે પુસ્તકો હવે પ્રકાશિત થઈ ગયાં છે.




સાવ જુદા વયજૂથ માટે અનુવાદ કરવાનો આ અનુભવ ઘણો પડકારજનક અને યાદગાર રહ્યો.
'પ્રથમ બુક્સ'નાં બીજાં અનેક પુસ્તકો વિવિધ વયજૂથનાં બાળકો માટે તેની વેબસાઈટ www.storyweaver.org.in પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

Monday, May 29, 2023

અનાયાસે સર્જાયેલી અનુવાદકાર્યની મૂડી

મારું ક્ષેત્ર ત્યારે સાવ અલગ હતું. શોખ ખાતર પણ લેખનને સ્થાન નહોતું. જે કંઈ લેખન થતું એ પત્રસ્વરૂપે, યા છૂટાછવાયા પ્રસંગોનું આલેખન. આમ છતાં, નિયમીત ધોરણે જે કંઈ કામ થતું એ હતુંં રજનીકુમાર પંડ્યા દ્વારા ઑડિયો કેસેટમાં લેવાયેલા વિવિધ લોકોના ઈન્ટરવ્યૂનું ટ્રાન્સ્ક્રીપ્શન. આમ તો, આ કામ અતિ યાંત્રિક કહી શકાય એવું, પણ મારી પાસે સમયની ખૂબ મોકળાશ હોવાથી એ હું એ રીતે કરતો કે રજનીકુમારનું કામ અતિશય સરળ બની જાય. એ માહિતી પરથી લખાતા લેખ પણ હું નિયમીત વાંચતો, એટલે મને લેખ શી રીતે લખાય, અને લેખમાં અમુક વિગતો મૂકવા માટે ઈન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવા એની તાલિમ પણ પરોક્ષ રીતે મળતી જતી. એ વખતે સ્થિર સરકારી નોકરીને કારણે કદી લેખનની કારકિર્દી અપનાવવાનું મનમાં હતું નહીં એટલે આ તાલિમનો ઉપયોગ રજનીકુમારને વધુ ને વધુ મદદરૂપ થવા માટે કરવો એવો ખ્યાલ મનમાં હતો. મારી બહુ જ આનાકાની છતાં રજનીકુમાર મને આ કામનું યોગ્ય મહેનતાણું પણ આપતા. હું કહેતો, 'એની કશી જરૂર નથી', ત્યારે રજનીકુમાર ચૅક મોકલે એની સાથે લખતા, 'આ સાથે 'ઈસકી ક્યા જરૂરત થી' યોજના હેઠળ ચૅક મોકલ્યો છે. એ તું વટાવજે, તારી પાસે મૂકી ન રાખતો.'

વાર્તા-કવિતા કે એવો કોઈ પ્રકાર ફાવતો નહોતો, આથી ટ્રાન્સ્ક્રીપ્શન કરવા સિવાયના સમયમાં શું કરવું એ સવાલ બહુ મૂંઝવતો. આથી વાંચન જ પૂરજોશમાં ચાલતું. એવે વખતે ઉર્વીશે કડી-4માં ઉલ્લેખ કર્યો છે એમ સ્વતંત્રતાના પચાસ વર્ષ નિમિત્તે 'વો ભૂલી દાસ્તાં' નામની એક શ્રેણી 'સંદેશ'માં લખી. આ ઉપરાંત કેપ્ટન લક્ષ્મી સહગલનો ઈન્ટરવ્યૂ કરવા તે કાનપુર ગયો ત્યારે નોકરી પરથી રજા લઈને હું પણ તેની સાથે જોડાયો.
કાનપુરથી પાછા આવ્યા પછી કેપ્ટન લક્ષ્મી સાથેની મુલાકાત પર આધારિત પાંચ હપ્તાની શ્રેણી 'ઉન્નત જોશ અવિરત સંઘર્ષ' 'સંદેશ'માં પ્રકાશિત થઈ, તેની સાથેની ફોટોલાઈનમાં 'તસવીર: બીરેન કોઠારી' છપાયું એ જોઈને માપસરનો આનંદ થયેલો.
એ વખતે સમયનો સદુપયોગ કરવાનો એક વિચાર આવ્યો. કેપ્ટન લક્ષ્મીને આ ગુજરાતી લેખશ્રેણી મોકલીએ તો એ કંઈ વાંચી શકે નહીં. આથી તેમને મોકલવા સારું આ શ્રેણીનો હિન્દી અનુવાદ કરવાનું મેં વિચાર્યું. એ દિવસો એવા હતા કે 'વિચારવું'નો અર્થ 'શરૂ કરી દીધું' જ થાય. મને મળતા સમયમાં મેં પાંચે હપતાનો હિન્દીમાં અનુવાદ કર્યો. ઉર્વીશે એ વખતે ઘણા કહેવાય એવા પૈસા ખર્ચીને એને હિન્દીમાં ટાઈપ કરાવ્યો.
આ રીતે ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કરવાની મઝા આવી અને એમ લાગ્યું કે એક જાતની પકડ આવી ગઈ છે. એટલે પછી 'વો ભૂલી દાસ્તાં'ના હપતાનો હિન્દી અનુવાદ શરૂ કર્યો અને જોતજોતાંમાં પૂરો કર્યો. જો કે, આ અનુવાદ ક્યાંય પ્રકાશિત કરવાની ધારણા નહોતી. એ માત્ર ને માત્ર આવડતની ધાર કાઢવા માટે જ કરેલો હતો. આગળ ઉપર પણ આવાં બે-ત્રણ કામ કરેલાં.
એ વાત અલગ છે કે આજે હું ગુજરાતીમાંથી હિન્દી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારતો નથી, પણ જે કેટલાક એવા કામ થયેલાં જોઉં ત્યારે બહુ ત્રાસ ઉપજે છે અને એમ થાય છે કે આના કરતાં તો મેં કર્યું હોત તો સારું થાત.
આગળ જતાં 2007થી મેં નોકરી મૂકીને લેખનને પૂર્ણ સમય માટે અપનાવ્યું ત્યારે રજનીકુમાર માટે કરેલાં ટ્રાન્સક્રીપ્શન ઉપરાંત તેમની સાથે કરેલા જીવનચરિત્રોના કામ અને આવા 'હાથ સાફ કરવા માટે' કરેલાં કામો જ મારી મુખ્ય અને મહત્ત્વની મૂડી બની રહ્યાં.

(કેપ્ટન લક્ષ્મી સહગલની અહીં ઉલ્લેખાયેલી મુલાકાત વર્ણવતો દીર્ઘ લેખ 'સાર્થક જલસો'ના અંક નં.18માં છે.)

Saturday, May 14, 2022

બસ, એમ જ...

 ભારતનો એક જાસૂસ પાકિસ્તાન-ભારત વચ્ચે આવનજાવન કરે છે. બીજા આવા ઘણા જાસૂસો છે. પોતાના એક સાથીએ જ કરેલી ચુગલીથી આ જાસૂસ પકડાઈ જાય છે. તેને પાકિસ્તાનની જેલમાં પૂરવામાં આવે છે. એક જેલમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ તેને ફેરવવામાં આવે છે. સતત મોતના ખોફ નીચે જીવતો આ ભારતીય જાસૂસ પોતાની આ હેરફેર દરમિયાન પાકિસ્તાની જેલોનો અનુભવ લે છે, ત્યાંની સૃષ્ટિને જુએ છે. તેનું સદ્નસીબ એ છે કે આખરે તેનો જેલવાસ પૂરો થાય છે અને તે ભારત પરત ફરે છે.

ભારત પરત ફર્યા પછી તેને વરવા અનુભવ થાય છે. સરકાર તેમની કોઈ જાતની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દે છે. ખિન્ન અને હતાશ થયેલા એ જાસૂસે લખ્યું છે: 'તે વખતે મારી પાસે પિસ્તોલ હોત તો તેની ચેમ્બર ખાલી થઈ જાય ત્યાં સુધી હું એમાંથી ગોળીઓ છોડ્યા કરત.'
આ જાસૂસનું નામ મોહનલાલ ભાસ્કર અને તેમના પુસ્તકાકારે લખાયેલા અનુભવો એટલે 'મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા'. 1985-86ની આસપાસ 'જનસત્તા'માં સાપ્તાહિક ધારાવાહિક તરીકે તે પ્રકાશિત થતા હતા, જે મારા વાંચવામાં છૂટકછૂટક આવેલા. અતિશય રોમાંચક વાંચન હતું.

1997-98ની આસપાસ આ મૂળ હિન્દી પુસ્તક મેં ખરીદ્યું. અત્યંત રસપ્રદ એ પુસ્તક મેં ઝડપથી પૂરું કર્યું. પણ એટલેથી મને સંતોષ થયો નહીં. મને થયું કે આનો મારે ગુજરાતી અનુવાદ કરવો જોઈએ. શા માટે? એ સવાલ મનમાં ઉગ્યો જ નહોતો. બસ, કરીએ. એને પ્રકાશિત કરવાનો કશો વિચાર હતો જ નહીં. રતિલાલ સાં.નાયક દ્વારા સંપાદિત 'બડા કોશ' (હિન્દી-ગુજરાતી કોશ) ખરીદી લીધો અને અનુવાદ શરૂ કર્યો. પુસ્તક તાજું જ વાંચેલું હતું, અને તેની ભાષા પ્રમાણમાં સરળ હતી. આથી અનુવાદ ઝડપથી થવા લાગ્યો. જોતજોતાંમાં એ પૂરો પણ થઈ ગયો. હવે શું કરવું? કશું નહીં. એક ગમતું કામ કર્યાનો રાજીપો મેં અને ઉર્વીશે માણ્યો, અને એ અનુવાદ ફાઈલમાં મૂકી દીધો.
પ્રથમ પ્રકરણનો અનુવાદ
એ પછી 2002માં પહેલવહેલી વાર રજનીકુમાર પંડ્યાએ મને એક વ્યાવસાયિક કામમાં સાંકળ્યો. (એ વખતે હું અન્યત્ર નોકરી કરતો હતો) અમે ચોવીસે કલાક ભેગા રહેતા. કામ વચ્ચે બ્રેક લેતાં અનેક વાતો થતી. એક વાર તેમણે મને પૂછ્યું, 'તું કશું સ્વતંત્ર કેમ લખતો નથી?' આનો જવાબ મારા માટે મુશ્કેલ હતો, કેમ કે, સ્વતંત્રપણે શું લખવું એ મને સમજાતું નહોતું. એ વખતે મને મોહનલાલ ભાસ્કરનો મેં કરેલો અનુવાદ યાદ આવ્યો. મેં તેના વિશે રજનીકુમારને વાત કરી. તેમણે મને એ લઈ આવવા કહ્યું. વચ્ચે એક વાર હું વડોદરા આવ્યો ત્યારે યાદ રાખીને એ અનુવાદવાળી ફાઈલ સાથે લીધી. રજનીકુમાર કામ કરતાં કંટાળે ત્યારે બ્રેક લેવા માટે કામનો પ્રકાર બદલતા. આવા એક 'બ્રેક' દરમિયાન તેમણે કહ્યું, 'લાવ, તારી પેલી ફાઈલ. મને જોવા દે.' મેં ખચકાતાં ખચકાતાં તેમને ફાઈલ આપી. કેમ કે, મેંં માત્ર નિજાનંદ માટે કરેલો અનુવાદ તેમના જેવી વ્યક્તિને કેવો લાગશે એ વિચારતો હતો.

તેમણે એ વાંચવાનું શરૂ કર્યું અને રસ પડતો ગયો. વચ્ચે વચ્ચે 'વાહ!', 'બહુ સરસ' જેવા ઉદ્ગારો કાઢતા. થોડાં પાનાં વાંચીને તેમણે મને પૂછ્યું, 'આ તેં ક્યાંય પ્રકાશન માટે મોકલ્યો છે?' મને મનમાં હસવું આવ્યું. એ બાબતે કશું કદી વિચાર્યું જ નહોતું. મેં ના પાડી. આવી બાબતે 'શુભસ્ય શીઘ્રમ'નો અભિગમ ધરાવતા રજનીકુમારે તરત જ મુંબઈ 'ચિત્રલેખા'ને ફોન જોડ્યો. (એ વખતે મોબાઈલ ફોનમાં ઈનકમિંગ ચાર્જ પણ લાગતા) એક તરફ મને બહુ સંકોચ થતો, પણ રજનીકુમારે મુંબઈ ફોન લગાડવામાં સહેજે વિલંબ કર્યો નહીં. અલબત્ત, એ સમયે 'ચિત્રલેખા'ના માળખામાં તે બંધબેસતું ન હોવાથી તેનું આગળ કંઈ થયું નહીં. એ અનુવાદ ફાઈલમાં જ ધરબાયેલો રહ્યો.
અંતિમ પ્રકરણનો અનુવાદ 
એ પછી ઉર્વીશ 'આરપાર'માં જોડાયો. એ સમયે આ અનુવાદ તેમાં પ્રકાશિત કરવો એમ તેણે સૂચવ્યું. અલબત્ત, એમાં કૉપીરાઈટ વગેરે મુદ્દાઓ હતા. આથી એ મારા નામને બદલે કોઈક એજન્સીના નામે તેમાં ધારાવાહિકરૂપે પ્રકાશિત કરાયો. જો કે, આઠ-દસ હપતા માંડ છપાયા અને કોઈક કારણસર એ અટક્યું.
વધુ એક વાર તે ફાઈલમાં રહી ગયું.
આગળ જતાં અંગ્રેજીની સાથેસાથે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારવાનું શરૂ કર્યું ત્યારે આ અનુભવ બહુ કામમાં લાગ્યો. 'કરેલું કશું નિષ્ફળ જતું નથી' એ વચનમાં હું આ રીતે ઘણી શ્રદ્ધા ધરાવતો થયો.
આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયેલો છે. 'જનસત્તા'માં તેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થતો એ કોણે કરેલો એ ખ્યાલ નથી, પણ એનું પુસ્તક થયું હોવાનું જાણમાં નથી.
મનમાં જે આવે એ લખી દેવું, લખેલું બધું પ્રકાશિત કરી દેવું, કે ખુદના લખાણના પ્રેમમાં પડી જવું- આનાથી બચવાના પાઠ આવા અનુભવ પરથી ઘડાતા જાય છે, જે અત્યારના સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમ પર મગજને ઠેકાણે રાખવામાં ઘણે અંશે મદદરૂપ બને છે.

Saturday, May 7, 2022

ગોળીબારની મુસાફરી

 કિશોરાવસ્થા એટલે કુતૂહલ, જિજ્ઞાસાવૃત્તિ, સાહસવૃત્તિ વગેરેનો ઉદભવ થવો અને ક્રમિક વિકાસ થવો. બાળક બાલ્યાવસ્થામાં અનેક બાબતોથી પરીચીત થાય ત્યાર પછી એ બાબતો અંગે તેની જિજ્ઞાસા વધતી જાય. આ કારણે કિશોરસાહિત્યનું મહત્ત્વ એટલું જ છે કે હતું. અને આ પ્રકારમાં ખેડાણ પણ ઘણું થયું છે. વાંચન દ્વારા એક બાબત એ બનતી કે વાચકના મન:ચક્ષુ સમક્ષ આખી કથા ભજવાતી, જે સરવાળે બાળકની કલ્પનાશક્તિ ખીલવવામાં સહાયરૂપ બનતી. આ અવસ્થામાં રહસ્યકથાઓ વાંચવી પણ ખૂબ ગમે. કિશોરાવસ્થામાં મળેલો આવો માનસિક ખોરાક તેનું જીવનપાથેય બની રહે એવી ક્ષમતા આ સામગ્રીમાં હતી.

હવે સમય બદલાયો છે અને દૃશ્ય માધ્યમનો પ્રચંડ પ્રભાવ છે ત્યારે લાગે છે કે જાણે આખેઆખી કિશોરાવસ્થા જ લુપ્ત થઈ ગઈ છે. અને તેને પગલે કિશોરસાહિત્ય પણ! દ્રશ્યમાધ્યમે કલ્પનાશક્તિને મર્યાદિત કરી દીધી હોય એમ લાગે છે. આવા સમયમાં આપણે કિશોરાવસ્થામાં વાંચેલા અનેક પુસ્તકોની તીવ્ર ખોટ સાલે છે.
અહીં મૂકેલું જેકેટ ‘ગોળીબારની મુસાફરી’ નામના પુસ્તકનું છે, જે જોનાથન સ્વીફ્ટની વિશ્વવિખ્યાત કૃતિ ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’નો અનુવાદ છે. હંસા મહેતાએ તે કર્યો છે, અને તેની પહેલી આવૃત્તિ 1940માં પ્રકાશિત થયા પછી 1951માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી.
મઝાની વાત એ છે કે આ સીધેસીધો અનુવાદ નથી. મૂળ કથાને એમની એમ રાખીને તેમણે આખો પરિવેશ ભારતીય, બલ્કે ગુજરાતી કર્યો છે. સુરતમાં વસતા ‘ગોળીબાર’ પરિવારની આ અટક શી રીતે પડી એની તાર્કિક વાત લખવાની સાથે બીજા ભાગમાં તેમણે એક આખું પ્રકરણ સાવ નવું લખ્યું છે. અનુવાદ અસાધારણ સારો કહી શકાય એવો નથી, છતાં ઘણે અંશે સારો છે.
હંસાબેને આ રીતે ‘બાવલાનાં પરાક્રમો’ (કાર્લો કલોડી ની કૃતિ ‘પીનોકિયો’નો અનુવાદ, જેનાં ચિત્રો રવિશંકર રાવળે બનાવ્યાં હતાં), ‘વેનિસનો વેપારી’ અને ‘હેમ્લેટ’ (બંને શેક્સપિયરની કૃતિઓ) જેવી અનુવાદિત કૃતિઓ આપી હતી. આ ઉપરાંત ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ તેમજ ‘રુકિમણી’ જેવાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ પ્રવાસવર્ણન હતું એવો ખ્યાલ છે.







Monday, April 18, 2022

નિજાનંદ માટે..

 'સમયનો સદુપયોગ' શ્રેણીનાં પુસ્તકો લખવાં એ સમયનો સદુપયોગ છે, અને વાંચવાં એ સમયનો વેડફાટ છે. આથી એ પ્રકારનાં પુસ્તકો વાંચવાનું મન થતું જ નહોતું. એક તરફ ઉર્વીશ પોતાની પત્રકાર તરીકેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો હતો, ત્યારે મને એ ક્ષેત્રે રસ હોવા છતાં કદી લાગતું નહોતું કે મારે કશું પણ લેખન કરવું જોઈએ. કેમ કે, મારો મુખ્ય રસ વાંચનમાં હતો, અને ઉર્વીશના ક્ષેત્રમાં એ મુખ્ય પરિબળ હતું. ઘણી બધી વાતો અમારે થતી રહેતી. તે ડાયરી લખતો, જેની આદત મને નહોતી. કારણ કે, ડાયરીમાં લખી શકાય એવું કશું હતું જ નહીં. પણ અમે જ્યારે મળીએ ત્યારે એ ડાયરી અને તેના સંદર્ભો વિશે વિગતે વાત થતી.

હું કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો હતો, જેમાં મારી નોકરીની પાળી દર બે દિવસે બદલાતી. પ્લાન્ટ સામાન્ય હોય ત્યારે રોજિંદું કામ પતાવ્યા પછી નોકરીના કલાકોમાં પુષ્કળ સમય મળતો. આ સમયમાં ઘણું વાંચન થતું, જે મુખ્યત્વે ગુજરાતી અને હિંદી પુસ્તકોનું રહેતું. એ સમયે મને ચાર્લી ચેપ્લિનની ફિલ્મોમાં બહુ રસ પડેલો, અને ચાર્લી મારો પ્રિય કલાકાર બની રહેલો. એ સમયે વિવિધ સામયિકોમાં તેમની જે કંઈ તસવીરો કે લખાણ જોવા મળે એ હું સંઘરતો. એ ફાઈલ હજી સચવાયેલી છે. એક વાર ઉર્વીશ મુંબઈથી ચાર્લીની આત્મમકથા 'માય ઑટોબાયોગ્રાફી' ખરીદી લાવેલો. એ ઘેર પડી રહેલી. એક તો અત્યંત ઝીણા અક્ષર, પ્રમાણમાં દળદાર પુસ્તક (477 પાનાં) અને એ પણ અંગ્રેજીમાં! આથી બહુ ઈચ્છા હોવા છતાં તે વાંચવાનું શક્ય બનતું નહોતું. એ કલાકારના જીવન વિશે તેની પોતાની જબાનમાં લખાયેલું વાંચવાની કેવી મઝા આવે! આખરે મેં નક્કી કરી લીધું કે જે થાય એ, પણ આ પુસ્તક વાંચવું અને વાંચવું જ. કંપનીમાં મળતા સમયનો સદુપયોગ કરવાનું વિચાર્યું, સાથે એ પણ વિચાર્યું કે એને ઝીણવટથી વાંચવું. એક શબ્દ પણ સમજાય નહીં તો આગળ ન વધવું. એ સમયે મારી શોલ્ડર બૅગમાં ત્રણ વસ્તુઓ અવશ્ય રહેવા લાગી. એક તો ચાર્લીની આત્મકથા, બીજી અંગ્રેજી- ગુજરાતી ડિક્શનેરી અને ત્રીજી ક્લચ પેન્સિલ. જ્યાં પણ સહેજ ફાજલ સમય મળે કે હું આત્મકથા ખોલીને બેસી જતો. ટ્રેનમાં કે એવે સ્થળે ડિક્શનેરી જોવાની ન ફાવે. એવે સમયે હું પુસ્તકમાં જે પણ શબ્દો અઘરા લાગે એની નીચે પેન્સિલથી લીટી દોરી દેતો. એ પછી સમય મળે કે ડિક્શનેરીમાંથી તેના અર્થ લખી દેતો. આમ એક પ્રકરણનું કામ થઈ જાય એટલે હું તેને સળંગ વાંચતો.
આમ છતાં, પહેલા જ પ્રકરણમાં મને લાગ્યું કે જોઈએ એવી મઝા આવતી નથી. તો શું કરવું? આના ઉકેલરૂપે નક્કી કર્યું કે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવો. કારણ એટલું જ કે, પ્રિય કલાકારનું આત્મકથન આપણને શબ્દશ: વાંચવા મળે. એ જ મોટી પ્રાપ્તિ. આ અનુવાદ કોઈક જુએ, વાંચે, પ્રકાશિત કરે એવી કશી ઈચ્છા મનના ઊંડા ખૂણે પણ નહોતી. ફરહાદની જેમ થોડો થોડો પહાડ ખોદવાનું શરૂ કર્યું. મઝા બહુ આવવા લાગી. આને કારણે ઉત્સાહ વધ્યો. ઉર્વીશ મળે ત્યારે હું એને આ કામની પ્રગતિ વિશે જણાવતો અને અમે જે તે પ્રકરણમાં શું આવ્યું એની પણ વાત કરતા.
આ કામ લાંબા પટ્ટાનું હતું, પણ આપણે ક્યાં ઉતાવળ હતી! એમ એમ કરતાં કુલ 477 પાનાંમાંથી 300 પાનાં પૂરાં થયાં. પુસ્તકનાં કુલ 31 પ્રકરણ છે, એમાંથી 19 પ્રકરણનો, એટલે કે અડધાથી વધુનો અનુવાદ થઈ શક્યો.
જો કે, આ કામ પૂરું ન થયું. આટલે જ અટકી ગયું, જે હજી એમનું એમ છે.
એ પછી ઘણા વખતે રવીન્દ્ર ઠાકોરે આ પુસ્તકનો અનુવાદ કર્યો, જે સંક્ષેપ હતો, એ મારા જોવામાં આવ્યો. તેમની શૈલી સાવ અલગ હતી, અને મારી પણ સાવ અલગ. અનુવાદ કરવા પાછળનું મારું મુખ્ય ચાલકબળ ચાર્લીના ભાવક હોવાનું હતું. ખરા અર્થમાં 'નિજાનંદ' કહેવાય એના માટે. આ કામ મેં કર્યું છે એ પણ મારા ઉપરાંત ઉર્વીશ, રજનીકુમાર પંડ્યા કે કામિની સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે.
એ ફાઈલ જળવાયેલી છે. હવે આટલા વરસે એમ થાય છે કે એની પર ફરી એક નજર કરું, પરામર્શન કરું અને બાકીનું કામ પૂરું કરું. જોઈએ હવે એ શક્ય બને છે કે કેમ.
હાથે લખેલો એ અનુવાદ, પુસ્તકમાં લખેલા શબ્દોના અર્થ અહીં સંદર્ભ તરીકે મૂક્યાં છે.

ચેપ્લિનની આત્મકથાનો અનુવાદ 

ચેપ્લિનની આત્મકથાનો અનુવાદ 

આત્મકથાનું પૃષ્ઠ 

આત્મકથાનું પૃષ્ઠ