Showing posts with label cartoon. Show all posts
Showing posts with label cartoon. Show all posts

Wednesday, July 1, 2026

ઈતિશ્રી કાર્ટૂનકથા

'નવનીત સમર્પણ'નો જુલાઈ, 2026નો અંક પ્રકાશિત થઈ ગયો છે. આ અંકમાં મારી શ્રેણી 'કાર્ટૂનકથા'નો 36મો હપતો રજૂઆત પામ્યો. ઓગષ્ટ, 2023થી આરંભાયેલી આ શ્રેણીએ ત્રણ વર્ષ સંપન્ન કર્યાં, અને આ હપતો એમાંનો અંતિમ છે. 'નવનીત સમર્પણ'ના સંપાદક દીપકભાઈ દોશીએ આવી શ્રેણી શરુ કરવાનું સૂચન કર્યું ત્યારે અમારા બેમાંથી કોઈના મનમાં એના સ્વરૂપ વિશે સ્પષ્ટ ખ્યાલ નહોતો. જો કે, એટલું મેં નક્કી કરેલું કે આમાં કાર્ટૂનિસ્ટોનો પરિચય ન જ આપવો, કેમ કે, એ સૌથી સહેલું અને હાથવગું કામ છે, અને એને કરવું હોય તો પણ પછીના તબક્કામાં કરી શકાય. તો પછી શું? પહેલાં એમ વિચાર્યું કે દેશના સ્વાતંત્ર્યોત્તર ઈતિહાસને વિવિધ વડાપ્રધાનના કાળખંડ મુજબ વિભાજીત કરીને એને કાર્ટૂન દ્વારા જોવાનો પ્રયાસ કરવો. એ વિચાર પણ મનોમન હડસેલી દીધો, કેમ કે, એમાં મુખ્યત્વે રાજકીય સંદર્ભ વધુ હોય, અને કાર્ટૂનની કળા વિશે વાત કરવાનો અવકાશ ઓછો રહે. એટલે એમ નક્કી થયું કે કાર્ટૂનની કળા વિશે વાત કરવી. શી વાત કરવી એ ખૂલતું જશે એમ વિચારીને શ્રેણીનો આરંભ કર્યો.

દર મહિને તેમાં કાર્ટૂનકળાનો પોતાનો કે પછી તેના ઈતિહાસના કોઈક પાસાંનો આયામ લઈને તેના વિશે વાત થતી. આ લેખશ્રેણીને 'એકેડેમિક' બનાવવી નહોતી, કેમ કે, એ મને આવડતું નથી, અને એની જરૂર પણ નથી. કોઈ વસ્તુ એકેડેમિક બને એનો વાંંધો નથી, પણ નકરી એકેડેમિક બની રહે એ ન ગમે. એટલે સહુ કોઈને રસ પડે એ રીતે એનું આલેખન થતું ગયું. દર મહિને એવા એવા વિષય સૂઝતા ગયા અને આલેખાતા ગયા કે જે ધાર્યા પણ નહોતા.
'નવનીત'માં આ શ્રેણી આરંભાઈ એ જ અરસામાં અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે પણ 'કહત કાર્ટૂન' શ્રેણીનો આરંભ થયો, જેમાં દર મહિને કોઈ એક વિષય પર વિવિધ કાર્ટૂનોનો આસ્વાદ કરાવાતો. કબીરભાઈ અને નેહાબહેનની ઉલટને કારણે આ શ્રેણી પણ સાવ જુદી બની રહી.
દીપકભાઈએ જણાવેલું કે દસેક ચિત્રો દરેક હપતામાં સમાવી શકાશે. 'નવનીત'નું કદ અને તેમાં આવતી અન્ય સામગ્રીની સરખામણીએ આ ઘણું કહેવાય, પણ વિષયને ન્યાય તો જ મળી શકે. દીપકભાઈએ એ માટે મોકળું મેદાન પૂરું પાડ્યું.
કાર્ટૂનકળાની બારીકીઓ ઊપરાંત તેના ઈતિહાસ અને વર્તમાનની અનેક બાબતો આ શ્રેણીમાં આવરી શકાઈ. જરૂર પડી ત્યાં મેં પણ કેટલાંક કેરિકેચર ચીતર્યાં. સળંગ ત્રણ વર્ષ ચાલ્યા પછી એને વિરામ આપવાનું નક્કી કર્યું.


કાર્ટૂન વિશે હજી ઘણું લખી કહી શકાય એમ છે. આ પહેલું પગથિયું છે. આગળઉપર કંઈક ને કંઈક થતું રહેશે.
મઝાની વાત એ થઈ કે મૂળ તો મારી કાર્ટૂનપ્રીતિ અખબારોમાંથી ફાડીને સંઘરવાથી શરૂ થયેલી. એ પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમની રજૂઆત કરવાનું સૂઝ્યું, જેણે આગળ જતાં બીજા અનેક વિષયમાં પ્રવેશ કર્યો. નડિયાદની કોલેજમાં તેમજ નવજીવનમાં ચાલતા પત્રકારત્વના અભ્યાસક્રમમાં એક વિષય તરીકે કાર્ટૂનને ભણાવવાનું થયું. એ પછી રાજુ પટેલના આગ્રહથી 'વારેવા'માં કાર્ટૂન ચીતરવાનું શરૂ થયું. અને હવે આ લેખન. ગમતા શોખના વિવિધ આયામોમાં આ રીતે પ્રવેશ કરવા મળે એથી વધુ આનંદ શો!
હવે આ શ્રેણી પુસ્તકરૂપે પ્રકાશિત થશે, પણ એમાં માત્ર પૂંઠું નહીં બદલાય. એકે એક હપ્તાનું પુન:આયોજન અને પુનર્લેખન તેમજ ઊમેરા થઈ રહ્યા છે. આ વર્ષમાં પુસ્તક પ્રકાશિત કરવાની ધારણા છે.
બસ ત્યારે, વધુ એ પુસ્તકના પ્રકાશન સમયે.

Wednesday, May 27, 2026

રમૂજની પહેલી શરત એટલે જાત પર હસતાં શીખવું

ઊનાળુ વેકેશન દરમિયાન અમદાવાદના એ.એમ.એ. (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન) દ્વારા બાળકોને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે AMAzing Summer Camp તરીકે ઓળખાવાય છે. આ વર્ષે અહીં મારે બે વર્કશોપ કરવાની હતી. એક તો પેપર કોલાજની અને બીજી કાર્ટૂન સ્કેચની એટલે કે કાર્ટૂન દોરતાં શીખવવાની.

કોલાજની વર્કશોપનું ત્રણ કલાકનું એક દિવસીય સેશન હતું, જ્યારે કાર્ટૂનની વર્કશોપનાં ત્રણ ત્રણ કલાકનાં કુલ બે સેશન, 16 અને 17 મે, એમ બે દિવસમાં હતાં. આમાં એકવીસ જેટલા વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતાં. આ વર્કશોપમાંં વયમર્યાદા 14થી 22 વર્ષની રખાયેલી હોવાથી એવા ઘણા વિદ્યાર્થીઓ આવેલા કે જેમને દોરવામાં રસ હોય.
બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. એકમેકના પરિચયથી આરંભ કર્યા પછી પહેલા દિવસે મોટા ભાગનો સમય કાર્ટૂન વિશેની ગેરસમજણ દૂર કરવામાં અને સમજણ સ્પષ્ટ કરવામાં ગયો. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તરત જ સવાલ પૂછે એમ રાખેલું. આને કારણે બહુ મજા આવી. મોટા ભાગના વિદ્યાર્થીઓએ ચર્ચામાં ભાગ લીધો. એ પછી પાંચેક વિષય પસંદ કરીને વિદ્યાર્થીઓને એમાંથી કોઈ પણ વિષય પર કાર્ટૂન દોરવા કહેવાયું. દોરેલાં કાર્ટૂન એક સાથે મૂકાતાં અને પોતે દોરેલા કાર્ટૂન વિશે વિદ્યાર્થી વાત કરતા. એ દિવસે સૌને ગૃહકાર્ય લેખે પોતાનું યા પોતાના કોઈ પરિવારજનનું કેરિકેચર દોરવાનું સોંપાયું.
કાર્ટૂન દોરવામાં રત વિદ્યાર્થીઓ

બીજા દિવસે કાર્ટૂન દોરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત થઈ. આમ તો એવી કશી નિર્ધારીત પદ્ધતિ નથી, છતાં શરૂઆત માટે ઊપયોગી થઈ પડે એ માટે એ જરૂરી હતું. બીજા દિવસના સેશનમાં 'નિરીક્ષણ' પર વધુ ભાર મૂકાયો અને એના વિશે ચર્ચા થઈ. કોઈ એક સ્થળ લઈને એમાં શી શી વસ્તુઓ હોય છે એ વિશે દરેક વિદ્યાર્થી એક એક વાત કરે. જેમ કે, ડૉક્ટરની ઓ.પી.ડી. દરેક વિદ્યાર્થીએ એવાં એવાં નિરીક્ષણો રજૂ કર્યાં કે નવાઈ લાગે. એ જ રીતે લગ્નપ્રસંગમાં ચાંલ્લો લખવાનું ટેબલ. આવાં બે-ચાર સ્થળો પરનાં નિરીક્ષણ વિશે વાત થયા પછી એમાં રમૂજ શી રીતે ભેળવી શકાય એની વાત થઈ. દરમિયાન બ્રેક પડ્યો, જેમાં સૌએ નીચેના માળે આવેલા એક ખંડમાં શરબત પીવા જવાનું હતું. આથી નીચે જતાં પહેલાં સૌને એ ખંડનું નિરીક્ષણ કરવાની સૂચના આપી.
શરબતવાળા રૂમનું નિરીક્ષણ બોર્ડ પર ચીતરાઈ રહ્યું છે

શરબતવાળા રૂમમાં આટલી આટલી વસ્તુઓ આ રીતે હતી

પાછા આવ્યા પછી એક પછી એક વિદ્યાર્થીઓ એ નિરીક્ષણ રજૂ કરવા લાગ્યા. અમુકે એ બોર્ડ પર ચીતરી બતાવ્યું. એ પછી એવી સ્થિતિમાં રમૂજ શી રીતે પેદા થાય એની વાત દરેક વિદ્યાર્થીઓએ આગવી રીતે કરી. છેલ્લે દરેકે એક કાર્ટૂન યા કેરિકેચર દોરવાનું હતું. સૌએ દોરેલાં કાર્ટૂનને એક સાથે મૂકીને એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી સહિત બીજા મિત્રોને એ જોવા માટે નિમંત્ર્યા. આ વખતે પણ દરેક વિદ્યાર્થીએ પોતે દોરેલા કાર્ટૂન વિશે વાત કરી.

પોતે કરી લાવેલું ગૃહકાર્ય દેખાડીને
એના વિશે થઈ રહેલી વાત
ત્રણ કલાક ક્યાં વીતી ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. છેલ્લે સૌએ સમૂહ તસવીર ખેંચાવી અને છૂટા પડ્યા.
સેશન પૂરું થયા પછી થઈ રહેલી અનૌપચારિક વાતચીત

વિદ્યાર્થીઓ સાથે સર્જનાત્મક રીતે સંવાદ સાધવાના આ પ્રયાસમાં મજા બહુ આવી, એમ મને પણ શીખવા મળ્યું.

Thursday, March 12, 2026

આજ ફિર જીને કી તમન્ના હૈ

'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર સાથે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં વાત થઈ. એ દરમિયાન તેમણે કહ્યું, 'મહિલા દિવસ નિમિત્તે અમે દર વરસે કંઈ ને કંઈ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમાં કશું થઈ શકે?' એમનો ઈશારો આ અંગેનાં કાર્ટૂન તરફ હતો. મેં તત્ક્ષણ હા ભણી દીધી. ત્યારે એમાં શું હશે એ વિચાર્યું નહોતું. એવો વિચાર કરવા બેસીએ તો કામ જ ન થાય! એટલે એ પછીના એકાદ બે દિવસમાં અમે કાર્યક્રમની તારીખ નક્કી કરી દીધી 11 માર્ચ, બુધવાર. હવે મારે 'ધંધે' લાગવાનું હતું.

ઉર્વીશ અને બીજા અમુક મિત્રો સાથે આ કાર્યક્રમ અંગે વાત થઈ અને એમાં શું હોઈ શકે એની ચર્ચા થઈ. મારા મનમાં પણ ઘણી બધી વસ્તુઓ હતી. એટલે અનેક બાબતો વિચારાઈ. પણ એનાથી મારો ગૂંચવાડો વધતો ચાલ્યો. કેમ કે, બધું એક જ કાર્યક્રમમાં સમાવવા જઈએ તો કાર્યક્રમનું ફોકસ ખસી જાય. આ 'વિષાદયોગ' બહુ લાંબો ચાલ્યો. હું કાર્ટૂન એકઠાં કરતો જતો હતો, પણ હજી ફોકસ બનતું નહોતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હું મરણિયો બન્યો, કેમ કે, એ સિવાય છૂટકો ન હતો. જે થઈ રહ્યું હતું એની ચર્ચા છેલ્લે છેલ્લે દીકરા ઈશાન સાથે કરી. અને એને એ રજૂઆત દેખાડી પણ ખરી. છતાં એમાં વિવિધ ફેરફાર સૂઝતા ગયા. આખરે છેક આગલા દિવસે બધું ગોઠવાયું. એ મેં મારી જાતે જોયું અને મને થયું કે આ મેં ધાર્યું હતું એમ જ તૈયાર થયું છે. આ બધા વચ્ચે વિદ્યાનગરના કાર્યક્રમના નડિયાદમાં રિહર્સલ ચાલુ હતા. એની એક જુદી મજા હતી, અને આનીય જુદી મજા હતી. પણ બન્ને એકમેકમાં દખલ ન કરે એ જોવાનું હતું. આખરે તૈયાર થયેલી એ રજૂઆતમાંથી માનસિક રીતે હું બહાર નીકળ્યો. થોડા કલાક બ્રેક લીધો અને પછી આખી રજૂઆત જોઈ ત્યારે મને લાગ્યું કે આ બહુ અસરકારક બની રહેશે. મારાથી રહેવાયું નહીં એટલે કાર્યક્રમના દિવસે સવારે કબીરભાઈને ફોન કરીને જણાવ્યું કે કાર્યક્રમ મસ્ત બની આવ્યો છે.

પૂર્વભૂમિકા 

આખરે બુધવારે સાંજની ઘડી આવી ગઈ. સ્ક્રેપયાર્ડના મંજાયેલા પ્રેક્ષકવર્ગ સમક્ષ એક પછી એક કાર્ટૂન અને તેને સંલગ્ન મારી ટીપ્પણી આવતી ગઈ, અને ધાર્યા મુજબ જ એની ઘેરી અસર પણ વરતાતી રહી. અમુક કાર્ટૂન એવાં હતાં કે એમાં શી પ્રતિક્રિયા આપવી એ ન સમજાય. કેમ કે, એમાં આધાર વ્યંગ્યનો હતો, પણ એના થકી જે વાસ્તવિકતા ઉજાગર થતી હતી એ સ્તબ્ધ કરી મૂકનારી હતી. જોતજોતાંમાં સવા કલાકે કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઘડીભર સ્તબ્ધતા ફરી વળી હતી. એ પછી લાઈટો ચાલુ થઈ. સ્તબ્ધતામાંથી બહાર આવવા માટે ચર્ચા ચાલુ થઈ અને કેટલાક મિત્રોએ અમુક મુદ્દા, એને આધારિત પ્રસંગ વગેરે કહ્યાં. આ સહજ અને અણઆયોજિત ક્રમ અડધો કલાક જેટલો ચાલ્યો ત્યારે વાતાવરણનું ભારેપણું કંઈક ઘટ્યું.

કાર્યક્રમ પછી પ્રતિભાવ આપી રહેલા તુષાર પરમાર 


કાર્યક્રમ પછી અનૌપચારિક મિલન

કબીરભાઈ દ્વારા પૂર્તિ

કબીરભાઈ સહિત ઘણા મિત્રોએ સૂચવ્યું કે આ રજૂઆત શક્ય એટલી વધુ જગ્યાએ યોજાવી જોઈએ. ખાસ કરીને યુવાવર્ગ હોય એવી શાળાઓ કે કોલેજોમાં તેમજ અન્યત્ર પણ. એ જ રીતે એવું પણ સૂચન આવ્યું કે આ કાર્ટૂનોને સંકલિત કરીને પુસ્તક કરવું.
જોઈએ હવે. એ તો થાય ત્યારે ખરું. પણ કાર્યક્રમે જે અસર છોડી એની પરથી એક વાત મનેય અનુભવાઈ ખરી કે આ કાર્યક્રમ વધુ સ્થળોએ યોજાવો જોઈએ. કેમ કે, સામાન્ય રીતે આવી સમસ્યાઓને જાજમ તળે છુપાવવાની માનસિકતા પ્રવર્તે છે ત્યારે એના વિશે ખુલીને વાત થાય, ચર્ચા થાય અને એ પણ કાર્ટૂન જેવા હાસ્યવ્યંગ્યના માધ્યમથી, એ વધુ જરૂરી છે.
આ બાબતે સામાજિક જાગૃતિ લાવવામાં આવા કાર્યક્રમ ઉપયોગી થઈ પડશે એમ ધારું છું. આ કાર્યક્રમના આયોજન બાબતે સંપર્ક કરી શકાશે.
'દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત અહેવાલ 

Wednesday, February 18, 2026

એવા ગાંધી નવજીવને ઊતર્યા રે

રવિવાર, 15 ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યે નવજીવન, અમદાવાદમાં 'નવજીવન ટૉક્સ' અંતર્ગત ગાંધીજીનાં વ્યંગ્યચિત્રોની રજૂઆતનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનું શિર્ષક હતું 'Gandhi: Between the lines (વ્યંગ્યચિત્રોમાં ગાંધી)'. આ પ્રકારનો કાર્યક્રમ પહેલવહેલી વાર મેં 2016માં કરેલો. અગાઉ આવો કોઈ કાર્યક્રમ થયેલો ધ્યાનમાં ન હોવાથી તેનું માળખું પણ જાતે જ બનાવેલું અને એ વખતે એક ભાવકની દૃષ્ટિએ વિચારીને એ બનાવેલું. ત્યારથી લઈને આજ સુધીના અનેક કાર્યક્રમોમાં એ મૂળભૂત માળખું એમનું એમ રહ્યું છે. અંદરની સામગ્રીમાં સ્થળ અને શ્રોતાઓ મુજબ ફેરફાર થતા રહે એ વાત અલગ છે.

કાર્ટૂનનાં પુસ્તકોની પહેલવહેલી ખરીદી 1988-89 આસપાસ કરેલી, જેમાં બે મુખ્ય હતાં. એક અબુ અબ્રાહમ દ્વારા સંપાદિત 'પેંગ્વિન બુક ઓફ ઈન્ડિયન કાર્ટૂન્સ' અને બીજી દુર્ગાદાસ સંપાદિત 'ગાંધી ઈન કાર્ટૂન્સ'. યાદ છે ત્યાં સુધી આ બન્ને પુસ્તકો અમદાવાદ રેલ્વે સ્ટેશનના બુકસ્ટોલ પરથી ખરીદેલા. 'ગાંધી ઈન કાર્ટૂન્સ' એક અદભુત પુસ્તક છે, જેમાં ગાંધીજીના હયાતિના ગાળા દરમિયાન પ્રકાશિત વિવિધ કાર્ટૂનોનો સંચય છે. મારા કાર્યક્રમના એક હિસ્સામાં હું જે કાર્ટૂનનો ઉપયોગ કરું છું તેમાં આ પુસ્તકમાંથી કાર્ટૂનની પસંદગી કરું છું. પણ આ વખતે વિચાર્યું કે એ પુસ્તકમાંથી એકાદ બે કાર્ટૂન જ લેવાં અને એ વિભાગ માટે થોડાં નવાં કાર્ટૂન સામેલ કરવાં. સાથોસાથ પશ્ચિમી જગતના કાર્ટૂનિસ્ટો ગાંધીજીને એ સમયે શી રીતે જોતા એ પણ બતાવવું હતું.


કાર્યક્રમની જાહેરાત માટે મેં અમુક કાર્ટૂનો રામ મોરીને મોકલ્યાં, પણ તેમણે જે પોસ્ટર બનાવડાવીને મોકલ્યું એ એવું મજાનું હતું કે પછી બીજો વિચાર કરવાનો આવ્યો જ નહીં. ભાઈ ભૌમિક સુથારે એવું કેરિકેચર બનાવેલું કે જેમાં મારા ખભે હાથ મૂકીને ગાંધીજી ઊભેલા હોય. આમાં મારી આકૃતિ પ્રમાણમાં મોટી અને ગાંધીજી સહેજ નાના હતા. સ્વાભાવિકપણે જ ગાંધીપ્રેમી હોય એમને આ અજુગતું લાગે કે મારી આકૃતિ ગાંધીજી કરતાં મોટી કેમ! પણ આ કેરિકેચર બરાબર જોઈએ અને ઊપક્રમ વિશે જાણીએ તો આનો ખુલાસો મળી જાય. કાર્યક્રમની રજૂઆત હું કરવાનો છું એટલે કેરિકેચર મારું મૂકાય, કે જેમ અન્ય વક્તાઓના કાર્યક્રમમાં એમની તસવીર હોય છે. એટલે જાણે કે હું ફોટો પડાવવા બેઠો હોઉં એવું કેરિકેચર, અને ગાંધીજી જાણે કે મારી મસ્તી કરતા હોય એમ પાછળથી આવીને મારા ખભે હાથ મૂકીને ઊભા રહી ગયા હોય એવી એમની મુદ્રા. એટલે આનાથી કાર્યક્રમમાં રહેલી મસ્તીનો આંતરપ્રવાહ છતો થઈ જાય અને એ અંદાજ મળી રહે કે કાર્યક્રમ હળવાશયુક્ત હશે.

કાર્યક્રમના આરંભ રામ મોરી દ્વારા


ખેર! નવજીવનના સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ વાત કરવાની બહુ મજા આવી. આરંભ રામ મોરીએ કર્યા પછી બહુ ઝડપથી તેમણે મને સુકાન સોંપી દીધું. એક પછી એક વિભાગ અને એના મુજબ કાર્ટૂનોની રજૂઆત, સાથોસાથ એનો સંદર્ભ તેમજ દૃશ્યકળાનાં પરિમાણોની પણ વાત થતી રહી.
છેલ્લે સવાલજવાબનો ઉપક્રમ પણ મજાનો રહ્યો. સવાલજવાબ પછી હળવામળવાનું ચાલ્યું. એકંદરે ગાંધીજીના સાન્નિધ્યમાં એક મજાની સાંજ ગાળવાનો આનંદ આવ્યો.
આ કાર્યક્રમ માટે સંયોજન કરનાર રામ મોરી, કેરિકેચર બનાવનાર ભૌમિક સુથાર, સંકલન માટે મિલન ઠક્કર, તસવીરો અને વિડીયોગ્રાફી માટે કેયુર ભટ્ટ- મન્વિતા, વિજય પરમાર અને આ ઊપક્રમના યજમાન સદાના મિત્ર એવા વિવેક દેસાઈ- શિલ્પાબહેન સૌનો આભાર.

Monday, December 1, 2025

સ્મૃતિનાં આલ્બમ અને તેમાં રહેલી તસવીરો

- યેસુદાસન

એક વાર કેટલાક મિત્રો ફિલ્મ અભિનેતા મધુના ઉમા ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે આવ્યા. સ્ટુડિયોની પાછળ દૂર દેખાતી ટેકરીઓ અને ખેતરો તરફ આંગળી ચીંધીને એમણે મધુને પૂછ્યું, 'આ બધો પણ સ્ટુડિયોનો હિસ્સો છે?' મધુએ પોતે મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન'માં પોતે ભજવેલા પાત્ર પરીકુટ્ટીની શૈલીએ વ્યંગ્યમાં મલકાઈને કહ્યું, 'હા, હા. એ બધું જ મારું છે, જો તમે એને ઝૂમ લેન્સથી જુઓ તો.'
આપણા નેતાઓ ઝૂમ લેન્સ જેવા જ હોય છે. તેઓ દૂરની ચીજોને પોતાને માટે ફોકસમાં લઈ આવે છે. તેમને સતત લાઈમલાઈટમાં રહેવું હોય છે, તેઓ સતત પોતાની તસવીરો લેવાય તેમજ પોતાને વિશે લખાય એમ ઝંખે છે. તેઓ માને છે કે કેમેરાનું ફોકસ તેમની પર નહીં રહે તો પોતે 'આઉટ ઓફ ફોકસ' થઈ જશે. તેઓ રામ ઐયર સરની જેમ માનતા નથી કે તસવીરો લેવાથી પોતાનું આયુષ્ય ટૂંકાઈ જશે. એથી વિપરીત, જ્યારે પણ તસવીરો લેવાય ત્યારે એ નાનકડા સમૂહના રાજા છે, અને પોતે દીર્ઘ, પ્રભાવશાળી જીવન જીવશે.
ફોટો આલ્બમ આપણી પ્રગતિની જેમ આપણી પીછેહઠના દસ્તાવેજનું કામ પણ કરે છે. લોકો મોહનલાલ, મમ્મૂટી કે જયરામ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની સાથે પોતાની તસવીરો આલ્બમમાં કે બેઠકખંડના ટેબલ પર પ્રદર્શિત કરીને આનંદ માણે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના ઉચ્ચતમ સમય દરમિયાન પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેની પોતાની તસવીરો દેખાડતા હોય છે, પણ જ્યારે પોતાનો ખરાબ સમય હોય ત્યારે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ કે, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારની, કે કેરળના વિત્ત મંત્રી શ્રી શિવદાસ મેનનની શૈક્ષણિક કારકિર્દી વખતની તસવીર, કે પછી બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા એ વખતની યા (અભિનેતા) ઈન્દ્રન્સ સિવણકામ કરતા હતા ત્યારની એમની સાથેની તસવીરો. એ સહુ અત્યારે બહુ લોકપ્રિય છે. એથી વિરુધ્ધ, ચન્દ્રાસ્વામી, નરસિંહરાવ અને જયલલિતાનું હવે કોઈ મૂલ્ય નથી, કેમ કે, પાવર અને પ્રભાવની તેમની ઊતરતી કળા છે. કેટલાક લોકો તો એમની સાથેની પોતાની તસવીરો આલ્બમમાંથી હટાવી લેવાની હદ સુધી જાય છે.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

Friday, November 28, 2025

કીડી- હાથીની સમાન મૂંઝવણ અને બીજું બધું

કાર્ટૂન જોવા-માણવામાં રસ હજી કોઈકને પડે, પણ એને ચીતરવામાં? હા, ઘણા ટી.વી.પરનાં કાર્ટૂન કેરેક્ટરને ચીતરે છે અને માને છે કે પોતેય કાર્ટૂન બનાવે છે. એટલે પહેલાં એ ગેરમાન્યતાનો ભંગ, એ પછી સાચા 'ગેગ' કાર્ટૂનની સમજ, અને છેલ્લે એ શી રીતે દોરાય એની વાત. આ બધું કલાક બે કલાકમાં ન થઈ શકે. આ કારણે કોઈ શૈક્ષણિક સંસ્થાને આમાં ભાગ્યે જ રસ પડે. અલબત્ત, કાર્ટૂન દોરતાં શીખવવાની પહેલવહેલી કાર્યશાળા શિક્ષકમિત્ર પારસ દવે (ગુતાલ) દ્વારા જ યોજાઈ હતી. પણ એ શાળાનાં બાળકો. કોલેજવાળાને આવા બધામાં રસ પડે?

નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના દૃષ્ટિવંત પ્રાચાર્ય ડૉ. હસિત મહેતાએ કહ્યું કે એમની કોલેજની વિદ્યાર્થીનીઓ માટે કાર્ટૂનની કાર્યશાળા કરવી છે. ખરેખર તો કાર્ટૂનની નહીં, પણ કેરિકેચર ચીતરતાં શીખવવાની. આવી વિશિષ્ટ માગણી પહેલવહેલી વાર આવી એટલે મારે 'ધંધે લાગવું' પડ્યું. (ડૉ. હસિત મહેતાનો એ જ આશય હતો, જે સફળ થયો) અમે ચર્ચા કરી અને તારણ કાઢ્યું કે એક વખતમાં એ શક્ય ન બને. એના માટે ઓછામાં ઓછી ત્રણ વર્કશોપ કરવી પડે. એમણે કહ્યું, "તો કરો." એટલે કેરિકેચર દોરતાં શીખવવાના ભાગરૂપે પહેલી વર્કશોપ 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન યોજાઈ. ચીતરવાનો શોખ હોય કે ન હોય એવી, પણ કશુંક નવું શીખવામાં રસ ધરાવતી પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ એમાં સામેલ થઈ.

કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા

કેવાં કેવાં દૃશ્યમાધ્યમો કાર્ટૂન નથી એનું નિદર્શન

માનવાકૃતિ દોરવાની સરળ રીતનું નિદર્શન

આ બે દિવસમાં ચીતરવાની વાત ખાસ નહોતી કરવાની, પણ કાર્ટૂન એટલે શું? અથવા તો કાર્ટૂન સાથે ભેળસેળ કરાતી કઈ કઈ ચીજો હકીકતમાં કાર્ટૂન નથી એની વાત થઈ. એ પછી કાર્ટૂનના વિવિધ વિષય, એની વિવિધ શૈલીઓ વગેરેની રજૂઆત કરવામાં આવી. સહભાગિતા વિના આવી કાર્યશાળા અધૂરી ગણાય. એટલે બોર્ડ પર કોઈ એક વસ્તુનું ચિત્ર દોરીને એની પરથી કાર્ટૂન બને એ રીતે શું શું ઉમેરતા જવાય એ કવાયત બહુ મજાની રહી. જેમ કે, એક ખુરશી ચીતર્યા પછી દરેક જણ એમાં એક એક વસ્તુ એવી ઉમેરે કે એનાથી રમૂજ પેદા થાય. એક વિદ્યાર્થીનીએ હાથી દોરવાનું સૂચન કર્યું. અને બીજીએ કીડી. હાથી અને કીડીની બન્નેની મૂંઝવણ એક સરખી હતી. 'આ ખુરશી પર બેસવું શી રીતે?' આ રીતે વિવિધ ચીજો દોરીને અવનવી ટીપ્પણીઓ થઈ. બે દિવસ દરમિયાન મુખ્ય આશય એ હતો કે કાર્ટૂન એટલે શું અને શું નહીં એ બરાબર સમજી લેવું. બીજું એ પણ સમજી લેવું કે કાર્ટૂન માટે સૌથી મહત્ત્વનો છે વિચાર. ચીતરવાની આવડત પછીના ક્રમે આવે. આવી અનેક બાબતોની ચર્ચા આ બે દિવસમાં થઈ અને સહુએ એનો આનંદ માણ્યો.
આ કાર્યશાળાનો હવે પછીનો બીજો અને સઘન તબક્કો થોડા દિવસ પછી યોજાશે, જેમાં કેરિકેચર મહત્ત્વનો મુદ્દો રહેશે. ત્યાં સુધી તેઓ વિવિધ ટેક્નિકનો મહાવરો કરે એ માટે અમુક ટીપ્સ પણ આપવામાં આવી. આ સમગ્ર ઉપક્રમમાં પ્રો. નેન્સી મેકવાને સંયોજકની ભૂમિકા ભજવી. હવે આગામી તબક્કા માટે અધુ તૈયારી મારે કરવાની છે. વિદ્યાર્થીનીઓ તો એ ઝીલવા તત્પર જ છે.
(તસવીર સૌજન્ય: પ્રો. નેન્‍સી મેકવાન)

Thursday, November 20, 2025

સ્માઈલ પ્લીઈઈઈઝ....અને સાહેબની દોટ

- યેસુદાસન

ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.

મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.

એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.

(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

Monday, November 17, 2025

મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી તેઓ જરાય કમ નહોતા

- યેસુદાસન

શંકરને ઘેર રોજેરોજ રાજકારણીઓનો મેળાવડો થતો. મેં સાંભળેલું કે તેઓ સ્કેચ બનાવવા માટે કાગળ લઈને લોકોની વચ્ચે ફરતા. પછી મને ખ્યાલ આવ્યો કે એ સાચું નહોતું. તેઓ બરાબર સાડા આઠે ઓફિસ પહોંચી જતા, તમામ અખબારો વાંચતા અને પોતાને ગમ્યા હોય એવા સમાચારનાં કટિંગ કરતા. બહુ ઝીણવટપૂર્વક તેઓ લોકોનું નિરીક્ષણ કરતા.
પોતાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોના વિશાળ સંગ્રહ બાબતે શંકર બહુ ગૌરવ અનુભવતા. મારા માટે તેઓ- મારા બીજા ગુરુ- મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી કમ નહોતા. પહેલા દિવસનો એક બનાવ મને યાદ આવે છે. એ કદાચ એટલો મહત્ત્વનો ન લાગે, પણ તેણે મારા વિચારો અને દૃષ્ટિકોણ પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.
એમની ઓફિસમાં મારા પહેલા જ દિવસે તેમણે મને જાણીતા બ્રિટીશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોનાં ત્રણ પુસ્તકો લાવવાનું કહ્યું. મને એ જડ્યાં નહીં. જો કે, તેમણે એક જ મિનીટમાં એ શોધી કાઢ્યાં. પોતાના પુસ્તકાલયમાંથી તેમને જણાવ્યા વિના પુસ્તકો લઈ જવાની તેમણે મને ના પાડેલી. ઘણા કાર્ટૂનિસ્ટો એમની પાસેથી લઈ ગયેલાં પુસ્તકો પરત કરતા નહોતા એ બાબતે તેઓ નારાજ હતા.
તેમણે મને શેરીઓમાં ભટકીને ભિક્ષુકો, કાર મિકેનીકો અને બૂટપાલિશ કરતા છોકરાઓનો અભ્યાસ કરતાં શીખવ્યું. સાથોસાથ મિલનસ્થાનોની મુલાકાત, વક્તવ્યમાં ભાગ લેવો તેમજ લોકોની રીતભાતને ઝીણવટથી અવલોકતાં શીખવ્યું.
તેમની પાસેથી હું શીખ્યો કે જગજીવન રામની અને મોરારજી દેસાઈની લાકડી ભલે એક સરખી જણાય, પણ એક કાર્ટૂનિસ્ટની દૃષ્ટિએ એમાં ફરક જણાવો જ જોઈએ.
કાર્ટૂનિંગ બાબતે તેમણે મને (કાર્ટૂનિસ્ટ) ઓ.વી.વિજયનની કે અબુ (અબ્રાહમ)ની શૈલીને ન અનુસરવાની સલાહ આપી. એક કાર્ટૂન એ હદનું બૌદ્ધિક ન હોવું જોઈએ કે એક સરેરાશ માણસ એને માણી ન શકે. જેમ કે, વિજયનનું 'યુ ટૂ, બ્રુટસ' શિર્ષકવાળું કાર્ટૂન કોઈક જુએ તો એ બ્રિટીશ લાયબ્રેરીમાં જાય, સવારે દસ વાગ્યે એ ખૂલે ત્યાં સુધી રાહ જુએ, સીઝર પરનું પુસ્તક ફંફોસે અને પછી પાછો આવીને કાર્ટૂનનું વિશ્લેષણ કરીને હસે એ અશક્ય છે. શંકર માનતા કે એક જ લસરકામાં કોઈકને હસાવી શકે એ સફળ કાર્ટૂન.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: The Alcove publishers, Gurgaon, 2025)
(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)
(આ સાથે અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, શંકર અને યેસુદાસનનાં એક એક કાર્ટૂન તેમની શૈલીનો અંદાજ આવે એ હેતુથી મૂક્યાં છે.)

અબુ અબ્રાહમનું કાર્ટૂન

ઓ.વી.વિજયનનું કાર્ટૂન
શંકરનું કાર્ટૂન

યેસુદાસનનું કાર્ટૂન (રાજ્યસભાની બેઠક માટે સોનિયા ગાંધી સામે
ઊમેદવારી માટે કરુણાકરણ જૂથ અને કે.એમ.મણિ આગળ આવ્યા)

Sunday, November 16, 2025

તેં વેશ્યાગૃહ જોયું છે?

- યેસુદાસન

એક દિવસ તેમણે મને પૂછ્યું, 'તેં વેશ્યાગૃહ જોયું છે?' આ સવાલથી હું દિગ્મૂઢ થઈ ગયો અને મેં ના પાડી. એટલે તે અકળાઈ ગયા. મારું જ્ઞાન તો મેં ફિલ્મોમાં જે જોયેલું એના પૂરતું સીમિત હતું. તેમણે તરત પોતાના ઓફિસ સહાયક રાધેલાલને બોલાવ્યા અને મને જી.બી.રોડ પરના રેડ લાઈટ એરિયામાં લઈ જવાની એમને સૂચના આપી. સવારના સાડા નવ આસપાસ એમની લીલા રંગની એમ્બેસેડર કારમાં મને લઈ જવામાં આવ્યો. એ સાંકડી ગલીઓમાં નાના નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરતા હતા અને ઊપરના માળે મહિલાઓ કતારબંધ પોતાના દેહવિક્રય માટે ઊભેલી હતી.
સાડા અગિયાર સુધી હું પાછો આવ્યો કે એમણે પૂછ્યું, 'તેં બધું બરાબર જોયું?'
એ પછી શંકરે એ દિવસનું પોતાનું કાર્ટૂન પૂરું કર્યું અને એનો વિષય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોંગ્રેસના તત્કાલીન વડા યુ.એન.ઢેબરે એક નિવેદન આપેલું કે કોંગ્રેસ તરફ વધુ લોકોને આકર્ષિત કરવા માટે પક્ષે પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ. આ નિવેદનના આધારે શંકરે કાર્ટૂન બનાવેલું, જેમાં તેમણે નહેરુ, વી.કે.કૃષ્ણમેનન, કરણસિંઘ, જગજીવનરામ, ગુલઝારીલાલ નંદા, અને લાલ બહાદુર શાસ્ત્રીને રેડ લાઈટ એરિયામાં પોતાનું દેહપ્રદર્શન કરતા ઊભા રહેલા ચીતરેલા. કૃષ્ણમેનનને બહુ કામુક રીતે બસો રૂપિયા માંગી રહેલા બતાવેલા. મને નવાઈ લાગી કે મારા એ ગુરુએ સવારના મારા નિરીક્ષણને યથાતથ કાગળ પર ઊતારેલું. કાર્ટૂન દોરતી વખતે તેઓ કહીસુની વાતને બદલે જાતઅનુભવમાં માનતા. આર.શંકરની દેહમુદ્રાને બરાબર ન બતાવીએ કે પી.ટી.પિલ્લાઈના નાક પરના મસાને બરાબર ન ચીતરીએ તો શંકર અકળાઈ જતા. નેતાઓના નિરીક્ષણ માટે તેમણે મને સંસદ ભવનમાં નિયમીતપણે જવાની સૂચના આપેલી. 'મનોરમા'માંથી હું 2008માં નિવૃત્ત થયો ત્યાં સુધી મેં આ સીલસીલો ચાલુ રાખેલો.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)

Friday, July 4, 2025

આપ સૌનું અહીં સ્વાગત છે

રાજનેતાઓ ઘડિયાળના કાંટાને ઊંધી દિશામાં ફેરવવા માટે ઉસ્તાદ હોય છે. ચાહે એ ગમે એ દેશના હોય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં જન્મથી મળતા નાગરિકત્વ બાબતે ડંડો ઊગામવાની ચેષ્ટા કરી છે. અમેરિકા દેશ જ દેશાગત લોકોનો છે. પોતાને અમેરિકન મૂળના ગણાવતા લોકો પણ બહારથી આવીને વસેલા છે. આ અગાઉ ટ્રમ્પે અમેરિકાના મૂળ નિવાસી સિવાયનાઓએ માપમાં રહેવું એ મતલબનું નિવેદન કરેલું. ટ્રમ્પ જેવા પ્રમુખ હોય તો કાર્ટૂનિસ્ટો ને કદી વિષયની ખોટ ન પડે.

એક અમેરિકન સામયિકની કવર સ્ટોરી

મુશ્કેલી જુદી છે. કાર્ટૂનિસ્ટો જે હાસ્યાસ્પદ કલ્પના કરીને વ્યંગ્ય ચીતરે છે એ હવે સમાચાર બનીને, એટલે કે વાસ્તવિકતા બનીને સામે આવે છે. આથી ઘણા સારા કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન પણ ફીક્કાં લાગે એમાં નવાઈ નથી. અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઈન્ડિયન તરીકે ઓળખાય છે. ટ્રમ્પના આવા વલણ સાથે રેડ ઈન્ડિયનોને સાંકળતાં કાર્ટૂન અહીં આપેલાં છે.

ટ્રમ્પ: આવું થશે એ ખ્યાલ નહોતો.
Cartoonist: : Bill Bramhall


રેડ ઈન્ડિયન: એ કહે છે કે આપણે આવ્યા ત્યાં એ આપણને
પાછા મોકલવા માગે છે. 
Cartoonist: Mike Luckovich

પણ આ અમેરિકામાં આશરે દોઢસો વર્ષ પહેલાં શી સ્થિતિ હતી એ પણ એ સમયના કાર્ટૂન દ્વારા જ જાણવા જેવું છે.
જાણીતા અમેરિકન કાર્ટૂનિસ્ટ જોસેફ કેપ્લરે ચીતરેલું આ કાર્ટૂન ઈ.સ.1880માં અમેરિકન વ્યંગ્ય સામયિક 'PUCK'માં પ્રકાશિત થયું હતું. પહેલાં કાર્ટૂનને ઊકેલીએ અને પછી તેનો સંદર્ભ ચકાસીએ.
કાર્ટૂનમાં એક જહાજ બતાવ્યું છે અને તેની પર સૌને આવકારતા અન્કલ સેમ (અમેરિકાનું પ્રતીક) ઊભેલા છે. કાર્ટૂનનું શિર્ષક છે 'welcome to all' અર્થાત્ સહુનું સ્વાગત છે. જહાજ પર લખ્યું છે 'US Ark of Refuge' એટલે કે 'આશ્રય માટેનું અમેરિકન જહાજ.' જહાજમાં ચડી રહેલા મુસાફરો જોડીમાં છે, એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી એ રીતે. આગળ જ વંચાય એવું પાટિયું માર્યું છે, જેમાં જહાજનાં આકર્ષણ જણાવ્યાં છે. જેમ કે, 'દમનકારી વેરા નહીં, ખર્ચાળ રાજાઓ નહીં, ફરજિયાત લશ્કરી સેવા નહીં, કોરડા કે અંધારકોટડીની સજા નહીં.' એ જ રીતે જહાજના દ્વારે બીજું પાટિયું છે, જેમાં લખેલું છે, 'નિ:શુલ્ક શિક્ષણ, નિ:શુલ્ક જમીન, મુક્ત વાણી, મુક્ત ચૂંટણી, નિ:શુલ્ક ભોજન.' મતલબ સ્પષ્ટ છે કે અમેરિકા વિવિધ લોકોને પોતાને ત્યાં આવકારતાં કહે છે કે અમારે ત્યાં આ નહીં હોય, અને આ હશે.

અન્કલ સેમ: આપ સૌનું સ્વાગત છે.
Cartoonist: Joseph Keppler

આટલું તો એક નજરમાં જ સમજાય એવું છે. કાર્ટૂનિસ્ટની કમાલ આ પ્રતીકમાં અને તેને અનુરૂપ બતાવેલી મુસાફરોની જોડીમાં છે. 'Noah's ark' એટલે કે નોઆના જહાજની પુરાણકથા યહૂદી, ઈસ્લામ અને ખ્રિસ્તી જેવા અબ્રાહમિક ધર્મોમાં બહુ જાણીતી છે. એ મુજબ આદમ અને ઈવના સર્જનનાં કેટલાય વરસો પછી ઈશ્વરને લાગે છે કે લોકો એમનામાં માનતા નથી. આથી હવે પ્રવર્તમાન સૃષ્ટિનો નાશ કરીને નવેસરથી સૃષ્ટિનું સર્જન કરવું પડશે. આ માટે તૈયારી કરવાની જવાબદારી તે નોઆને સોંપે છે. સૌ પ્રથમ તો નોઆ એક વિશાળ જહાજ બનાવે છે. એ પછી તે દરેક જીવની એક એક જોડી (નર-માદા) એમાં ચડાવે છે, જેથી પ્રલય ઓસર્યા પછી નવેસરથી સૃષ્ટિ રચાય ત્યારે પ્રત્યેક જીવ એમાં જન્મીને પાંગરી શકે. (એનું એક કાર્ટૂન પણ મૂકેલું છે)

નોઆ: હવે સાંભળો. આપણે જહાજમાં કક્કાવારી
મુજબ ચડવાનું છે.
(આ સાંભળીને ઝેબ્રા નિ:સાસો નાખે છે)

Cartoonist: Gary Larson

મૂળ પૌરાણિક કથાની આટલી પૂર્વભૂમિકા પછી પાછા કાર્ટૂન પર આવીએ તો અહીં પણ અન્કલ સેમ નર-માદાની જોડીને જહાજમાં આવકારે છે. એનો અર્થ એ કે આવો, અમારે ત્યાં વસો, અને તમારા પરિવારનો વિસ્તાર કરો.

કોને ખબર, કાકા ટ્રમ્પના પૂર્વજો પણ આવી જ હોડીમાં ચડીને આવ્યા હોય! પણ હવે એ જ ટ્રમ્પ અમેરિકામાં જન્મેલા બાળકોના નાગરિકત્વના હક બાબતે બૂમબરાડા કરે ત્યારે લાગે કે ઘડિયાળના કાંટા તેઓ ઊંધા ફેરવવાની કોશિશ કરી રહ્યા છે.

Saturday, May 3, 2025

છિપકલી કે નાના હૈ, છિપકલી કે હૈ સસુર

'કહત કાર્ટૂન' ની સીઝન 2 અંતર્ગત 30 એપ્રિલ, 2025ને બુધવારની સાંજના સાડા સાતથી અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે આ શ્રેણીના બીજા હપતાની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું શિર્ષક હતું: 'We, the dinosaurs: छिपकली के नाना, छिपकली के ससुर'. 

કાર્યક્રમનું આ પેટાશિર્ષક મૂળ તો ગુલઝારસાહેબે લખેલા 'ધ લાસ્ટ ડાયનોસોર' નામની એનિમેટેડ કાર્ટૂન શ્રેણીના શિર્ષક ગીતના છે. ડાયનોસોર પરનાં કાર્ટૂન શા માટે? આનો જવાબ છે, આ શ્રેણીનો સૌ પ્રથમ હપતો હતો 'Creation of Universe' એટલે કે બ્રહ્માંડના સર્જન વિશેનાં કાર્ટૂનો વિશેનો. એ જ ક્રમમાં હવે ડાયનોસોરનો વારો.

'દિવ્ય ભાસ્કર' તા. 30-4-25 

ડાયનોસોર વિશેનાં ભાતભાતનાં કાર્ટૂન ઊપલબ્ધ છે અને હવે જેમ ફિલ્મોમાં ડાયનોસોરનો અતિરેક થઈ ગયો એમ કાર્ટૂનમાં પણ છે. આમ છતાં, કેવાં કેવાં પ્રકારનાં કાર્ટૂન આ વિષય પર હોઈ શકે એ જાણવાની મજા આવે એવું છે.

કાર્યક્રમની રજૂઆત દરમિયાન (કમ્પ્યુટર પર કામિની)
ડાયનોસોરને લગતાં કાર્ટૂનોનું વિવિધ વિભાગોમાં વર્ગીકરણ કરીને દેખાડવાથી તેના વૈવિધ્યનો બરાબર ખ્યાલ આવે છે. અલબત્ત, માત્ર સવા દોઢ કલાકના કાર્યક્રમ માટે કાર્ટૂનોની પસંદગી કરવી અઘરી છે. એ એક જુદો પડકાર છે, અને એને પહોંચી વળવાની પણ અલગ મજા છે.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ સમક્ષ ડાયનોસોરને લગતાં વિવિધ કાર્ટૂન રજૂઆત પામતાં ગયાં એમ તત્ક્ષણ એનો પ્રતિસાદ પણ મળતો જતો હતો. અમુક કાર્ટૂન દર્શાવતો હોય પ્રાગૈતિહાસિક કાળ, પણ સંદર્ભ વર્તમાનનો હોય એટલે વધુ ચોટદાર અને રમૂજપ્રેરક બની રહે.
આ વખતે વિષયને લઈને કેટલાંક બાળકોએ પણ હાજરી આપી હતી. જો કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાળકોના વાલીઓ તરફથી આવતી પૃચ્છામાં જણાવવામાં આવે છે કે બાળકોને કદાચ બહુ મજા ન આવે, કેમ કે, આ એનિમેટેડ કાર્ટૂન નથી. બાળકોના વયજૂથ મુજબ અલાયદો કાર્યક્રમ કરવો પડે.
આ કાર્યક્રમમાં વડોદરાથી મિત્ર પરેશ ઊપરાંત અમારી સાથે જ ભાનુબહેન દેસાઈ પણ જોડાયેલાં. ઘણા વખતથી આ કાર્યક્રમમાં હાજરી આપવાની તેમની ઈચ્છા અને સંજોગોની પ્રતિકૂળતા પછી આખરે તેમણે મન મક્કમ કરીને આવવાનું ગોઠવ્યું. વડોદરાથી અમદાવાદ જતાં અને પાછા આવતાં રસ્તામાં જે સત્સંગ થયો એ વધારાની ઉપલબ્ધિ.
સરવાળે સવા- દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ડાયનોસોર સમાજનું ઠીકઠીક અંતરદર્શન થયું એમ કહી શકાય. આ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ મેના મધ્યમાં યોજાશે, જેની ઘોષણા અહીં કરીશું.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી)

ડાયનોસોરની સમસ્યાઓ (Cartoonist: Andres’)

ડાયનોસોર મ્યુઝીયમમાં (Cartoonist: Trevor

ડાયનોસોર લુપ્ત શી રીતે થયાં એ અંગેની
અનેક થિયરીઓમાંની એક (Cartoonist: Gary Larson)

ડાયનોસોર અને માનવ (Cartoonist: Jerry King)