કોઈના જવાથી ‘ન પૂરાય એવી ખોટ પડી’ એમ કહેવાનું બહુ સામાન્ય છે. આ શબ્દપ્રયોગ ઘસાઈ ઘસાઈને એટલો લપટો પડી ગયો છે કે એનો ખરો અર્થ ગુમાવી બેઠો છે. એ વાપરવામાં આવે ત્યાર પૂરતી એમાં સચ્ચાઈ પણ હશે, છતાં કોઈ પણ માટે અન્ય કોઈ પણ વ્યક્તિ આમ કહી દે ત્યારે એ સચ્ચાઈ હોવા છતાં હાસ્યાસ્પદ જણાય છે.
દરેક વ્યક્તિ કે વસ્તુનું પોતાનું એક આગવું સ્થાન હોય છે, અને એ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ મટી જાય એટલે ગમે એવી તોય એટલા પૂરતી તો જગા ખાલી પડે જ. પણ આ ખાલી જગા ‘ખોટ’ જણાય એવું કેટલા સંજોગોમાં બને? અને ઘણા બધાને આવું ક્યારે લાગે? છાપામાં આવતી સ્ટાન્ડર્ડ શ્રદ્ધાંજલિઓમાં લોકો ભલે લખે ‘ફૂલ ગયું ને ફોરમ રહી’, પણ ઘણી વાર તેમના મનમાં એમ હોય કે ‘ઝાડ પડ્યું ને જગ્યા થઈ.’ છાપામાં આવતી કોઈ એક જ વ્યક્તિ પર તેની અમુકમી પુણ્યતિથિએ ઠલવાયેલી થોકબંધ શ્રદ્ધાંજલિઓ શોકનો નહીં, હાસ્યનો વિષય છે, એના વિષે વધુ ફરી ક્યારેક.
આજે એવી એક ‘વસ્તુ’ ની અણધારી વિદાયની વાત કરવી છે, જેને લઈને ઉભા થયેલા ખાલીપાને કારણે મને અંગતપણે ખોટ મહેસૂસ થઈ રહી છે. અને છતાંય એને યાદ કરતાં મનમાં શોકનો નહીં, ખુશીનો ભાવ જાગે છે.
મારા આ સંબંધની શરૂઆત થયેલી લગભગ સાડા ત્રણ વરસ પહેલાં, કંઈક આ રીતે.
*** *** ***
“આપણો હવે પછીનો અંક ‘સ્મૃતિ વિશેષાંક’ છે. તમારે હોમાયબેન વિષે લખવાનું છે. દસેક દિવસમાં મોકલી શકાય? ”
“ ચોક્કસ. કેટલાં પાનાંમાં લખવાનું છે?”
“ આઠથી દસ પાનાં.”
આવા સંવાદો જાન્યુઆરી, ૨૦૦૮ની પહેલી કે બીજી તારીખે મારી અને દીપક સોલિયાની વચ્ચે થયા. દીપક ‘દિવ્ય ભાસ્કર’ જૂથના માસિક ‘અહા!જિંદગી’ના કાર્યકારી તંત્રી હતા. એ પહેલાંનો ‘અહા!જિંદગી’ સાથેનો મારો પરિચય બહુ મર્યાદિત. એમાં ઉર્વીશના હાસ્યલેખો નિયમીતપણે આવતા. ‘ગુર્જરરત્ન’ નામે કોલમમાં એણે હજી ડૉ. રતન માર્શલ, કે.લાલ અને નગેન્દ્ર વિજય વિષે લખ્યું કે તેને ‘ગુજરાત સમાચાર’માં જોડાવાનું થયું અને એ કોલમ બંધ પડી.
આવા સંવાદો જાન્યુઆરી, ૨૦૦૮ની પહેલી કે બીજી તારીખે મારી અને દીપક સોલિયાની વચ્ચે થયા. દીપક ‘દિવ્ય ભાસ્કર’ જૂથના માસિક ‘અહા!જિંદગી’ના કાર્યકારી તંત્રી હતા. એ પહેલાંનો ‘અહા!જિંદગી’ સાથેનો મારો પરિચય બહુ મર્યાદિત. એમાં ઉર્વીશના હાસ્યલેખો નિયમીતપણે આવતા. ‘ગુર્જરરત્ન’ નામે કોલમમાં એણે હજી ડૉ. રતન માર્શલ, કે.લાલ અને નગેન્દ્ર વિજય વિષે લખ્યું કે તેને ‘ગુજરાત સમાચાર’માં જોડાવાનું થયું અને એ કોલમ બંધ પડી.
![]() |
| જાન્યુઆરી '૦૬નો પહેલવહેલો અંક |
દીપકના આમંત્રણ પછી હું તૈયારી કરવા માંડ્યો. હોમાયબેનનું જીવન એટલું વિસ્તૃત અને વૈવિધ્યસભર કે એને શી રીતે આટલા પાનામાં સમાવવું એ મીઠી મૂંઝવણ. પણ પાનાંની ચિંતા કરવાને બદલે લખવાનું શરૂ કર્યું. દસેક પાનાંનો એ લેખ કુરીયર દ્વારા મોકલી આપ્યો. ફોટા પણ ઈ-મેલથી મોકલ્યા. થોડી અવઢવ હતી કે લેખ લાંબો તો નહીં પડે ને! પણ દીપકનો સંદેશો આવી ગયો કે ‘બરાબર છે.’ ફેબ્રુઆરી, ૨૦૦૮ના ‘અહા!જિંદગી’ના અંકનો હું ઈંતેજાર કરતો હતો. અંક આવ્યો એટલે સૌથી પહેલો એ લેખ શોધ્યો. જોયું તો આખો લેખ ‘અહા!જિંદગી’ના પૂરા સાત પાનામાં પથરાયો હતો. સાથે લખાણને અનુરૂપ ફોટા, બોક્સ વગેરે તો ખરું જ. આ જોઈને જ જલસો પડી ગયો. હોમાયબેન વિષેનું લખાણ જે રીતે યોગ્ય તસવીરો અને લેઆઉટ સાથે વિસ્તૃત રીતે પ્રસિદ્ધ થવું જોઈએ એ રીતે જ થયું હતું. મેં ખુશી વ્યક્ત કરવા માટે દીપકને ફોન કર્યો, તો દીપકે મને કહ્યું, “આવતો અંક ફિલ્મ વિષેનો છે. ફિલ્મની કોઈ ગુજરાતી પ્રતિભા વિષે લખશો?” મેં તત્ક્ષણ કહ્યું, “અજિત મર્ચન્ટ?” દીપકે તરત જવાબ આપ્યો, “કરો.” અજિત મર્ચન્ટ વિષે લખવામાં પણ એવી જ મીઠી મૂંઝવણ કે એમના સમગ્ર પ્રદાનને પૂરેપૂરો ન્યાય શી રીતે આપવો? એટલે લેખ ધાર્યા કરતાં લાંબો લખાયો. લેખ મોકલ્યો, એ મળ્યો કે વાંચીને તરત દીપકનો ફોન આવ્યો, “તમારી કોલમ ચાલુ કરીએ છીએ-‘ગુર્જરરત્ન’ નામે. ઉર્વીશ એ લખતો હતો. હવે એ નહીં તો એનો ભાઈ.” હિંદી ફિલ્મોમાં અત્યાર સુધી જોયું હતું કે હીરોને ઘેરે આવેલા વિલનના માણસોને જોઈતો માણસ ન મળે તો ‘વો નહીં તો ઉસકા ભાઈ’ને ઉઠાવી લાવતા. પણ લેખનમાં આવું બને? બન્યું . ‘અહા!જિંદગી’ સાથે આરંભાયેલો આ સંબંધ આમ આગળ વધ્યો.
![]() |
| પ્રથમ વાર્ષિક અંક |
બે પાનામાં કોઈ પણ વ્યક્તિવિશેષના સમગ્ર પ્રદાન વિષે લખવું પડકારજનક હતું. મારે જે તે વ્યક્તિના પ્રદાનની નક્કર વિગતોની સાથોસાથ તેના એ તબક્કા સુધી પહોંચવાની યાત્રાનોય અંદાજ આપવો હતો (મેકીંગ ઑફ રત્ન). ઘણી બધી વિગતો સમાવવાની લાલચને કારણે ક્યારેક શૈલીનો ભોગ લેવાતો, પણ શૈલી કરતાં નક્કર વિગતોનો અગ્રતાક્રમ નક્કી રાખેલો.
બીજી વાત એ કે બને તેટલા વૈવિધ્યવાળાં ક્ષેત્રોની વ્યક્તિઓ પસંદ કરવી. જાણીતાં, ઓછાં જાણીતાં કે અજાણ્યા કોઈનો પણ છોછ રાખવો નહીં. વિનોદ ભટ્ટ કે તારક મહેતા વિષે હું નવું શું લખવાનો? છતાંય એમને ખાસ આ હેતુથી રૂબરૂ મળ્યો અને સવાલજવાબ પણ કર્યા. કેટકેટલા યાદગાર અનુભવો થયા!
વિનોદભાઈ (ભટ્ટ)ને અનૌપચારીક રીતે અનેક વાર મળવાનું બન્યું છે. ધારીએ તો એમને મળ્યા વિના પણ લખી શકાય એવી અને એટલી માહિતી પણ હાથવગી ખરી. છતાં લખવાનું હતું એટલે ખાસ એ હેતુથી જ મળવા ગયો. સવાલ પૂછવાનું શરૂ કર્યું કે ટેપ રેકોર્ડર ખોટકાયું. સાથે સ્ટેન્ડ બાય તરીકે બીજું પ્લેયર રાખેલું, પણ એય રીસાયું. એટલે વિનોદબાબુએ એમની સદાબહાર શૈલીમાં કહ્યું, “વહાલા, તમે ચિંતા ન કરો. તમે કંઈ પણ લખશો તો હું એમ નહીં કહું કે આ મેં નહોતું કહ્યું.” વિનોદભાઈમાં સદાય જીવતા જીવંત હાસ્યકારની આવી ‘લાઈવ’ ઝલકનો પરીચય વધુ એક વાર થયો.
‘વિનોદની નજરે’ પહેલી વાર વાંચીને એ પુસ્તકનો જે પ્રભાવ પડ્યો, એની તાજી અસરમાં મેં મારા મિત્રોનાં વ્યક્તિચિત્રો લખેલાં. પચીસેક વરસ અગાઉની આ વાત. કારકિર્દી તરીકે લેખન તો ત્યારે સપનામાંય નહોતું. આ વાત વિનોદભાઈને જણાવી એટલે તેમણે એ વાંચવા માંગ્યા. મેં એમાંના એક મિત્ર મુકેશ પટેલ (મુકા) વિષેનું લખાણ એમને મોકલી આપ્યું. વિનોદભાઈએ લખેલા વ્યક્તિચિત્રો વાંચીને મારા મિત્રોના વ્યક્તિચિત્રો લખ્યા હોય અને એ લખાણ વિનોદભાઈ પોતે વાંચે એવી કલ્પનાય ક્યાંથી હોય એ લખતી વખતે? આમ, વધુ એક ચક્ર પૂરું થતું અનુભવાયું, એ આ નિમિત્તે મળેલું બોનસ.
ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરવાની પદ્ધતિને લઈને મારી સ્મૃતિ પર ભારણ બિલકુલ ન રહેતું અને પ્રશ્નો મોકળાશથી પૂછી શકાતા. એને લઈને ઈન્ટરવ્યૂ માત્ર શુષ્ક સવાલ-જવાબ બની રહેવાને બદલે જીવંત બની રહેતો, કેમ કે રેકોર્ડરનું અસ્તિત્વ જ વીસરાઈ જતું. રતિલાલ બોરીસાગર સાથે સાડા ત્રણ-ચાર કલાક ગોષ્ઠી કરી પછી એમણે પોતાની લાક્ષણિક શૈલીમાં કહેલું, “હું નથી જાણતો કે તમારે આમાંથી શું અને કેટલું કામ આવશે, પણ મને તો વાત કરવાની બહુ મઝા આવી.” જેમનાં લખાણો વાંચીને હાસ્યની સમજ વિકસી હોય એવા પ્રિય હાસ્યલેખક સાથે આવી કલાકોની અનૌપચારિક ગોષ્ઠિની કેવી મઝા આવે!
![]() |
| બીજો વાર્ષિક અંક |
પ્રકાશભાઈ શાહને એમણે ખાદી ક્યારથી અને શાથી પહેરે છે એમ પૂછ્યું ત્યારે એ કહે, “ આવું મેં સભાનપણે નથી વિચાર્યું, પણ તમે પૂછો છો એટલે પહેલી વાર એ વિષે ગંભીરતાથી વિચારું છું, જે કંઈક આમ છે.” તો પ્રકાશભાઈ વેગડ વિષેનો લેખ વાંચીને એમના કોલેજકાળના મિત્ર મોહનભાઈ ચાવડાનો ફોન આવ્યો. કહે, “ હું પ્રકાશ(વેગડ)ને કોલેજના સમયથી- ચાલીસેક વરસથી ઓળખું છું, પણ મને આમાંની ઘણી વાતો ખબર નહોતી. તમારો એમની સાથેનો પરિચય એટલો જૂનો તો નહીં જ હોય. છતાંય તમને શી રીતે આ ખબર પડી?” ગયે મહિને જ્યોતિભાઈ (ભટ્ટ)નો મેઈલ હતો. તેમણે લખેલું, “અમદાવાદના એક ભાઈ મારા પર દસ્તાવેજી ચિત્ર બનાવવા માંગે છે અને મારી વિગતો મંગાવી છે. તમે મારા વિષે લખેલો લેખ સ્ક્રીપ્ટ માટે લખ્યો હોય એવો જ છે. એની નકલ મોકલવા વિનંતી.” આવું થાય ત્યારે લખેલા લેખનો બેવડો પુરસ્કાર મળતો હોવાની લાગણી થતી. [આ કેવળ એ દર્શાવવા જ લખ્યું છે કે કેવી ઝીણીઝીણી વિગતો વિસ્તૃત રીતે લખી શકાય એવી જગા આ મેગેઝીનમાં મળતી.]
જો કે, એક વાત મારા મનમાં અનાયાસે ગોઠવાઈ હતી કે સામે ચાલીને પોતાના વિષે લખવાનું કહે એના વિષે લખવાનું બને ત્યાં સુધી ટાળવું. (‘રત્ન’ મુખસે ના કહે, લીખો હમારા મોલ.) એવું નહીં કે એ ખોટું છે, પણ મારે જાતે પસંદગી કરવાની હોય તો હું એવી વ્યક્તિને છેલ્લી પસંદગી આપું. અને અહીં પસંદગીની એવી મોકળાશ હતી. બાકી સંપાદક સામે ચાલીને કોઈનું નામ સૂચવે તો એમાં અંગત ધારાધોરણ ચાલે નહીં. ક્યારેક એમ બનતું કે અમુક જણ વિષે લખવું કે નહીં એની અવઢવમાં હોઉં ત્યાં જ એ વ્યક્તિ સામે ચાલીને કહે, “મારા વિષે લખો ને!” બસ, મારી અવઢવ ત્યાં જ સમાપ્ત થઈ જાય. મનમાં કહું પણ ખરો કે સામે ચાલીને તમે ‘રત્ન’ માટેની ઉમેદવારી રદ કરાવી દીધી. આવું, ઉમેદવારી રદ થવાના કિસ્સા, જો કે, એકાદ બે જ છે. ઘણી વાર તારીખ નજીક આવી ગઈ હોય અને કોના વિષે લખવું એ નક્કી થયું ન હોય ત્યારે ‘બાત બન જાયે’ ફિલ્મમાંના ઉત્પલ દત્તને દરેક સાધારણ માણસમાં ‘ગરીબ’ના દર્શન થતા એમ મને પણ સામે મળે એ બધા જ ‘સંભવિત રત્ન’ જણાતા. જો કે, તરત એ ફિલ્મી ઉત્પલ દત્તના ખોળિયામાંથી બહાર આવી જવાતું.
![]() |
| ત્રીજો વાર્ષિક અંક |
ઈન્ટરવ્યૂની કેસેટની શબ્દશ: સ્ક્રીપ્ટ બનાવવામાં સમય જતો. એના પરથી લેખ લખવામાં સમય જાય એ અલગ. આમ, મજૂરી ખાસ્સી થતી. લેખ મોકલવાની ડેડલાઈન શરૂમાં દર મહિનાની દસમી તારીખ હતી, જે પછી આઠમી થયેલી. કોના વિષે લખવું એ કદી હું અગાઉથી નક્કી કરતો નહીં. આઠમીએ લેખ મોકલવાનો હોય તો પહેલી-બીજી તારીખે સળવળું, કોના વિષે લખવું એ વિચારું, એક વાર યોગ્ય નામ મનમાં આવે એટલે પહેલાં તેની યોગ્યતા વિષે મારી જાતને જ સવાલજવાબ કરું, જરૂર લાગે તો ઉર્વીશની કે બીજા કોઈ મિત્રની મદદ લઉં. મારી પ્રાથમિક પરીક્ષામાં પાસ થાય એ પછી દીપકની પરવાનગી લેવાની ‘વિધિ’ થાય, જે પાંચેક મિનીટથી લઈને એકાદ કલાકમાં પતી જાય. કોઈ જાણીતું નામ હોય તો હું એસ.એમ.એસ. કરું, “ હાઉ અબાઉટ પ્રકાશ ન.શાહ?” વધુમાં વધુ પાંચ મિનીટમાં દીપકનો વળતો જવાબ આવે, જે એમના લેખ જેવો જ લાઘવયુક્ત હોય: “ઓ.કે.”, અથવા “સ્યોર.” ક્યારેક એમની પાસે સમય હોય તો એ લંબાણથી લખે: “ગો અહેડ.” આ ગાળો બહુ ઈંતેજારીભર્યો હોય. મને લગભગ ખાતરી હોય કે ના નહીં આવે, છતાંય..! એમ પણ બનતું કે ક્યારેક મારે કોઈકનો બાયોડેટા મોકલવો પડે, જે મેઈલથી મોકલતો. સાથે મારી અંગત ટીપ્પણી પણ હોય. આવા લાંબાલચક બાયોડેટાની દીપક પર કશી અસર ન થાય. એમનો વળતો જવાબ ઉપર લખ્યા મુજબનો જ આવે ત્યારે પેલી કહેવત ઉંધી રીતે યાદ આવે- ‘સૌ તેરી રામદુહાઈ ઔર એક મેરી ‘હાં’.’
શરૂમાં લેખોની લંબાઈ નક્કી નહોતી, એટલે જરા છૂટથી લખવાનું બનતું. પણ પછી બે પાનાંની મર્યાદા નક્કી થઈ. છતાંય ક્યારેક લાગે કે કોઈક વ્યક્તિનું પ્રદાન બે પાનાંમાં સમાવવું મુશ્કેલ છે ત્યારે હું આગોતરી પરવાનગી માગી લેતો, જે આસાનીથી મળી જતી. રતિલાલ ‘અનિલ’, હરીશ રઘુવંશી, રૂસ્વા મઝલૂમી, રમેશ ઠાકર, જ્યોતિ ભટ્ટ જેવી વ્યક્તિઓના જબરદસ્ત પ્રદાન માટે ‘અહા!જિંદગી’ની સાઈઝનાં ત્રણ પાનાં ફાળવાય એટલે લખવાની કેવી મઝા આવે? પ્રકાશભાઈ વેગડના લેખમાં તો એમના કામ વિષે વાંચીને સામે ચાલીને એમણે પ્રકાશભાઈનો ફોન નંબર પણ છાપવાની તૈયારી બતાવી.
*** *** ***
કેટકેટલા મિત્રો-સ્નેહીઓનો કેવો સહકાર મળ્યો આ કામમાં! એમની અપેક્ષા શી? ફક્ત એટલી જ કે યોગ્ય વ્યક્તિઓ વિષે અહીં આ રીતે લખાઈ રહ્યું છે, એ લખાતું રહે.
મારા લખાણની ડેડલાઈન નજીક આવે એટલે મારા કરતાં વધુ ચિંતા સુરતના હરીશ રઘુવંશીને થાય. હરીશભાઈ ચોકસાઈના પદ્મભૂષણ. એમને કશુંય સમયસર થાય એ ન ગમે, સમય કરતાં વહેલું જ થવું જોઈએ. એટલે વીસમી તારીખ જાય ન જાય કે એ મને આડકતરો ધક્કો મારવાનું શરૂ કરી દે, “આ વખતે કોના વિષે લખવાના છો?” હું (ખરેખરી) બેફિકરાઈથી કહું, “હજુ નક્કી નથી.” એટલે એ પ્રેમથી અને ચિંતાથી કહે, “થોડું વહેલું કરી રાખ્યું હોય તો સારું, જેથી છેલ્લી ઘડીએ કંઈ પ્રોબ્લેમ થાય તો વાંધો ન આવે.” મુંબઈ જવાનું થાય તો હરીશભાઈ બે-ચાર એવી વ્યક્તિઓનાં ફોન નંબર અને સંપર્ક વગર માગ્યે આપી રાખે, જેમના વિષે લખી શકાય. આવી રીતે તેમણે એક વાર વનરાજ ભાટીયાનો ફોન આપેલો. મુંબઈની એ મુલાકાતમાં અમારા પ્રિય સંગીતકારને મળવાનું બન્યું અને એમના વિષે દીલથી લખવાનુંય બન્યું, એ હરીશભાઈને કારણે. વનરાજ ભાટિયાનાં ગીતો મેં છૂટાછવાયા સાંભળેલા, પણ હરીશભાઈને થયું કે મારે એ એકસાથે સાંભળવા જોઈએ. લેખ લખવામાં કદાચ એ મદદરૂપ થાય. લેખ મોકલવા આડે બે-ત્રણ દિવસ બાકી હતા. હરીશભાઈએ પોતાના ખર્ચે વનરાજ ભાટિયાનાં ગીતોની સી.ડી. બનાવડાવી અને તાત્કાલિક કુરિયરથી મોકલી આપી. એ સી.ડી.મોકલતા હોય તો મેં લેખ એક દિવસ મોડો મોકલવાની પરવાનગી આગોતરી માગી લીધી, જે દીપકે તરત જ આપી દીધી.
![]() |
| ચોથો વાર્ષિક અંક |
રતિલાલ ‘અનિલ’ અને કૃષ્ણકાન્ત (કે.કે.) વિષે લખવાનું હતું ત્યારે એક દિવસનો સુરતનો કાર્યક્રમ બનાવેલો. મારા સમયનો સદુપયોગ થઈ શકે અને હું નિર્ધારીત સમયમાં કામ પતાવી શકું એ માટે હરીશભાઈએ મને રેલવે સ્ટેશનેથી જ ઉપાડી લીધો અને મારા કાર્યક્રમ મુજબ બધે લઈ ગયા. કામ પત્યે સાંજે પાછા સ્ટેશને પણ મૂકી ગયા. નહીંતર આખીય વાતમાં એમની જરૂર ક્યાંય નહોતી.
‘સન્ડે-ઈ-મહેફિલ’ દ્વારા અને ફક્ત એટલો જ પરિચય ત્યારે સુરતના ઉત્તમભાઈ ગજ્જર સાથે. કદી રૂબરૂ મળેલા નહીં. એમના મેઈલથી ખબર પડી કે એ વડોદરાના નિસર્ગોપચાર કેન્દ્રમાં મધુકાકી સાથે દસેક દિવસ માટે આવવાના છે. એ આવ્યા પછી ફોન કરીને એમને મળવા ગયો. પહેલી વાર અમે મળ્યા અને ‘હાહાહીહી’ કરતાં કરતાં દુનિયાભરની વાતો કરી. મારા ગયા પછી એમને થયું કે ‘ગુજરાતી લેક્સીકોન’વાળા રતિલાલ ચંદરયા (રતિકાકા) વિષે મારે ‘ગુર્જરરત્ન’ માં લખવું જોઈએ. એમણે મને ફોનથી આ વાત જણાવી. રતિકાકા વિષે લખવાનું પ્રલોભન કોને ન હોય? પણ સતત પ્રવાસમય રહેતા હોવાથી એમનો સંપર્ક શી રીતે કરવો? ઉત્તમભાઈએ રતિકાકાની મંજૂરી મેળવી આપવાની તૈયારી બતાવી. દરમ્યાન મેં દીપક પાસેથી પરવાનગી મેળવી લીધી અને ઉત્તમભાઈને મુલાકાત ગોઠવી આપવા કહ્યું. રતિકાકા ઈન્ટરવ્યૂ આપવા માટે ભાગ્યે જ કોઈને મળે. ઈન્ટરવ્યૂમાંય પોતાના વિષે તો વાત કરે જ શેના? અને પોતાના વિષે વાત કરી હોય એ પણ નહીં લખવાની આકરી શરત. મેઈલવ્યવહારમાં રતિકાકાએ મને પ્રશ્નોત્તરી મોકલી આપવા કહ્યું. મેં જણાવ્યું કે મારી પાસે કોઈ પ્રશ્નોત્તરી નથી, હું તો તમારી સાથે વાતચીત કરવા ઈચ્છું છું. અમારા બન્નેના મેઈલ વ્યવહારની નકલ ‘સી.સી.’ તરીકે ઉત્તમકાકાનેય જતી. આરંભે સહેજ ખચકાટ અનુભવતા રતિકાકાને ઉત્તમકાકાએ લખ્યું: “ભાઈ બીરેનને પત્રકાર ન ગણશો. તમારો દીકરો ગણીને એની સાથે ખુલ્લા દિલે વાત કરજો.” બસ, રતિકાકાએ તરત મંજૂરી આપી દીધી અને હું ઊપડ્યો મુંબઈ. રતિકાકા સાથે મુંબઈમાં આખો દીવસ ગાળવાનું બન્યું. કાને નહીંવત સાંભળતા રતિકાકા માટે હું ૪૮ની સાઈઝના ફોન્ટમાં મારા લેપટોપ પર સવાલ ટાઈપ કરતો જતો અને રતિકાકા જે જવાબ આપે એને વૉકમેનમાં રેકોર્ડ કરતો. આમ, બહુ વિશિષ્ટ રીતે એ મુલાકાત લેવાઈ. એમણે ખૂલીને વાતો કરી. અંગત વાતો પણ કરી. અલબત્ત, એનો ઉલ્લેખ નહીં કરવાની શરતે. ઉત્તમકાકાને આમાં શું મળ્યું? એક કામ સારી રીતે થયાનો સંતોષ!
રતિલાલ ‘અનિલ’ વિષે લેખ લખાઈ ગયો, પણ અમુક વિગતો ખૂટતી હતી. મેં બકુલભાઈ (ટેલર)ને વાત કરી. ‘કંકાવટી’ના એક અંકમાં આ વિગતો પ્રકાશિત થયેલી. બકુલભાઈએ ધાર્યું હોત તો મને ફોન પર આપી શક્યા હોત. બે-ચાર દિવસમાં એ વડોદરા આવવાના હતા, પણ થોડા કલાક માટે. છતાંય યાદ રાખીને ‘કંકાવટી’નો અંક મારા માટે લેતા આવ્યા, એટલું જ નહીં, એ આપવા મારા ઘેર આવ્યા. તેમનું પ્રવચન હતું, એમને હું હોલ પર મૂકવા ગયો, છતાંય મને એમાં હાજરી આપવા દુરાગ્રહ કર્યો નહીં, કેમ કે મારે લેખ મોકલવાની ડેડલાઈન નજીક હતી. બકુલભાઈ પોતે સતત ‘ડેડલાઈન’ વચ્ચે ‘જીવતા’ માણસ. ડેડલાઈનનું મહત્વ એમનાથી વધુ સારી રીતે કોણ સમજી શકે?
*** *** ***
દીપક સોલિયા ‘અહા!જિંદગી’ના સંપાદક અને આમ પાછા મિત્ર. પણ એમની દૃષ્ટિની સ્પષ્ટતા એમનાં લખાણો જેવી જ. એટલે લેખનમાં મૈત્રી વચ્ચે ન લાવે. ક્યારેક બોલીવુડના હીરોની જેમ ‘ટાઈપ્ડ’ થઈ જતો હોઉં એમ મને પોતાને લાગે. એવે વખતે કોઈક અન્ય વ્યક્તિ કે વિષય પર લખવાની પરવાનગી હું માંગું નહીં, પણ સીધો લેખ જ લખીને દીપકને વાંચવા મોકલી આપું. ક્યારેક દીપક એ જે તે અંકમાં લઈ લે, તો ક્યારેક કહે, “આ રાખી લઊં છું. એને ફલાણા વિશેષાંકમાં વાપરીશું.” યોગ્ય ન લાગે તો પાછું પણ વાળે.
કંઈક આ રીતે જ હોમાય વ્યારાવાલાના તેમની ફિયાટ કાર સાથેના સંબંધ વિષેનો લેખ લખાયેલો. હોમાયબેન સાથે ગાઢ રીતે સંકળાયેલો હોવાને લઈને તેમનાં ઘણાં કામ કરવાનાં થાય, જેમાંનું એક હતું તેમની જૂની ફિયાટ કાર અંગેનું. આ કાર માટે મિકેનીકની નિષ્ફળ તલાશ પછી હોમાયબેને તેને પોતાના એક સગાને સુપરત કરી દીધી. અડધી સદી કરતાંય વધારે સમયથી આ કાર તેમના જીવનનો હિસ્સો બની રહેલી. તેમના જીવનમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એટલે એક વાર મેં ખાસ આ કાર વિષે જ તેમની સાથે વાત કરવાનો ઉપક્રમ રાખ્યો, જેમાં કાર ખરીદી ત્યારથી એ કાર વેચી ત્યાં સુધીના તબક્કાની તમામ વાતો આવી જાય. આ સંબંધને કેન્દ્રમાં રાખીને લખેલો લેખ દીપકને વાંચવા મોકલ્યો. દીપકે તરત જ મંજૂરી આપી દીધી અને એ લેખ ‘કારનામા’ શીર્ષકથી પ્રકાશિત થયો. ‘અહા!જિંદગી’માંથી એ લેખ સમાચારસ્વરૂપે ‘ગુજરાત સમાચાર’માં લેવાયો. એના પરથી એ અંગ્રેજી છાપાંઓમાં ગયો. અને પછી તો દેશ આખામાં હોમાય વ્યારાવાલાને લોકો ‘નેનો’થી ઓળખતા થઈ ગયા. અલબત્ત, આખી વાતને વિચારહીન રીતે મરડીને છાપાંઓએ ચગાવી, જેને કારણે હોમાયબેનને ખાસ્સી હેરાનગતિ પહોંચેલી.
દીપક સાથે કંઈ પણ વાત પેટછૂટી થઈ શકે એની ખાતરી. નહીંતર ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક વ્યક્તિ વિષે લખવા જેવું હોય, પણ આપણે તેના અંગત પરીચયમાં હોઈએ અને સંપાદકને એની જાણ હોય તો એ ના પાડે. કારણ? કોઈને એમ લાગે કે આ તો ઓળખે છે એટલે એના વિષે લખ્યું. આમાંને આમાં યોગ્ય વ્યક્તિ વિષે લખાય જ નહીં. એનો ગુનો એટલો જ કે એ આપણને કે આપણે એને ઓળખીએ છીએ. પણ દીપકના મનમાં આવી કશી ગાંઠ કે ગૂંચવણ નહીં. રજનીભાઈ વિષે લખવાનું સૂચન તેમણે જ મને સામે ચાલીને કર્યું હતું. એમ કહીને કે, “ તમે એમને ઓળખો છો એટલે વધુ સારી રીતે ન્યાય આપી શકશો.” આવાં અનેક કારણો યાદ આવે ‘અહા!જિંદગી’ સાથેના લગાવનાં.
‘અહા!જિંદગી’માં લખવાની જ એટલી મઝા આવતી કે તેના પ્રતિભાવ કેવા અને કેટલા મળે છે એ જાણવાની ઈચ્છા જ ન થતી. જો કે, કૃષ્ણદેવ આર્ય વિષે લખ્યા પછી જે પ્રતિભાવો મળ્યા ત્યારે પહેલી વાર મને ખ્યાલ આવ્યો કે આ મેગેઝીન આપણે ધારીએ છીએ એના કરતાં વધારે લોકો, વિવિધ શહેરોમાં વાંચે છે.
આણંદના કૃષ્ણદેવ આર્ય વિષે મને મિત્ર એસ.કે.ઉપાધ્યાય દ્વારા ખબર પડી કે એ ૧૪૨૮ ડાયાલિસીસ કરાવી ચૂક્યા છે. સ્થાનિક પ્રચાર માધ્યમોમાં એમના વિષે ઘણું લખાયેલું. એમને મળીને એમના વિષે લખ્યું. દીપકે આવી વ્યક્તિ વિષે એક અલગ મથાળું (સ્લગ) બાંધી આપ્યું: ‘મળવા જેવા માણસ’. એ લેખ પ્રકાશિત થયા પછી લગભગ ચાર-પાંચ મહિના સુધી કૃષ્ણદેવ આર્યના સંપર્ક માટે પૂછપરછના ફોન આવતા રહ્યા. પૂછનાર વાચક પહેલાં ‘અહા!જિંદગી’ની ઑફિસે ફોન કરે, ત્યાંથી મારો નંબર મેળવીને મને પૂછે. આવી લાંબી વિધી છતાંય લોકો હોંશે હોંશે ફોન જોડતા. એ પછી ૧૬૦૬ મા ડાયાલિસીસે કૃષ્ણદેવ આર્યે ચીરવિદાય લીધી ત્યારે પુસ્તક વિમોચનના કાર્યક્રમ સાથે યોજાયેલી એમની વિશિષ્ટ શ્રદ્ધાંજલિસભાનો હેવાલ પણ ‘અહા!જિંદગી’માં લખવાનું બન્યું.
![]() |
| પાંચમો વાર્ષિક અંક |
‘મળવા જેવા માણસ’ સિવાય પણ અનેક મહત્વની વ્યક્તિઓના પ્રદાન વિષે અહીં લખવાનું બન્યું. વિખ્યાત ગાયિકા જૂથિકા રોયની આત્મકથાનું વિમોચન થવાનું હતું, એ વખતે તેમના વિષેનો પૂર્ણ લંબાઈનો લેખ ‘અહા!જિંદગી’માં લખી શકાયો.
એ જ રીતે કાનપુરના હરમંદીરસીંઘ ‘હમરાઝ’નું પ્રદાન એવું પ્રચંડ કે એમ થાય કે એમના વિષે હવે નવેસરથી લખાવું જોઈએ. ‘અહા!જિંદગી’ના પાનાંઓ પર તેમના કામને પૂરતો ન્યાય આપી શકાયો.
‘કુમાર’નો ૧૦૦૦મો અંક પ્રકાશિત થયો એ નિમિત્તે ‘કુમાર’ની ૮૭ વરસની સફર વિષે પણ અહીં જ વિસ્તૃત રીતે લખવાનું બન્યું.
સંગીતશાસ્ત્રજ્ઞ પ્રો. આર.સી.મહેતા વિષે લેખ લખ્યો એ પછીના મહિને એમને પદ્મવિભૂષણ મળ્યાની ઘોષણા કરવામાં આવી. સૌથી પહેલું હોમાયબેન વિષે લખેલું અને એમનેય પછી પદ્મવિભૂષણ મળ્યો. એને લઈને દિલ્હીના ધીરુભાઈ શેઠ મજાકમાં કહેતા કે રાષ્ટ્રપતિ ભવનવાળા તમારી ‘ગુર્જર રત્ન’ કોલમના આધારે પદ્મવિભૂષણ નક્કી કરતા લાગે છે. ધીરુભાઈ શેઠ વિષે લખ્યું એ પછી આ મજાકને આગળ વધારતાં મેં કહેલું, “હવે તમનેય પદ્મવિભૂષણ મળે તો આશ્ચર્ય ન પામતા.”
મહેન્દ્રભાઈ મેઘાણીની તસવીરો સાથેની જીવનયાત્રા ‘અહા!જિંદગી’માં આવી, ત્યારે મહેન્દ્રભાઈને ઓળખનારા સૌને આશ્ચર્ય થયેલું કે ઈન્ટરવ્યૂ માટે એ શી રીતે રાજી થયા. જો કે,એમને રાજી કરવામાં મારી કશી કમાલ નહોતી.
લંડનથી પ્રકાશિત થતા ‘ઓપીનિયન’માં પણ વિપુલભાઈ કલ્યાણી ક્યારેક ‘અહા!જિંદગી’ના ગુર્જરરત્નને પરવાનગી લઈને સૌજન્યસ્વીકાર સહિત પ્રેમથી પુનર્મુદ્રીત કરતા હતા, જે વળી એક અલાયદા વાચકવર્તુળમાં પહોંચતા. તો અમેરીકાના સુરેશ જાની પરવાનગી લઈને પોતાના બ્લોગ પર આમાંના અમુક લેખો મૂકતા. અમુક બ્લોગર વગર પરવાનગીએ પણ મૂકતા હશે. એમને એમ હોય કે લેખકને એના નામની ક્રેડીટ આપીએ એટલે એની પરવાનગી મેળવવાની જરૂર નહીં.
આ લેખની ડીજીટલ આવૃત્તિ દેશવિદેશના અનેક વાચકો સુધી પહોંચતી. દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પર આ લેખો મૂકાતા. આ વેબસાઈટ પર એક વાર અમેરિકાના એક વાચક બહેને માનસિંહ માંગરોલા વિષેનો લેખ વાંચ્યો. એમણે માહિતીના ત્રણ-ચાર અટપટા કોઠા વીંધીને મારો સંપર્ક મેળવ્યો અને ફોન કર્યો. મેં એમણે માંગેલી તમામ માહિતી ઉપરાંત લેખમાં નહોતી સમાવી શકાઈ એવી વધારાની મહત્વની માહિતી પૂરી પાડી. એમને વિશ્વાસ બેઠો કે મેં સ્થળ પર જઈને લેખ લખ્યો છે. એમણે આ સંસ્થાને આર્થિક મદદ આપવાની તૈયારી દેખાડી. આમ, દેશમાં તેમજ વિદેશમાં વસતા અનેક ગુજરાતી વાચકો સાથે આ લેખો થકી જ જીવંત સંપર્કસેતુ સ્થપાયો.
મારો મુખ્ય વહેવાર દીપક સાથે રહ્યો. શિશિર રામાવત જોડાયા ત્યારે દીપકે મને જાણ કરીને મેટરની નકલ શિશિરને પણ મોકલવા જણાવેલું. એ મુજબ બન્નેને હું લેખ મોકલતો. લેખ મળ્યા પછી શિશિરનો કશીક પૃચ્છા કે સ્પષ્ટતા કરવા પૂરતો એસ.એમ.એસ. આવે ત્યારે મનમાં આનંદ થતો કે જાગરૂક સંપાદક તરીકે એ લેખ વાંચે છે, એટલું જ નહીં, કશાય ઘોંચપરોણા વગર કશીક પૂછપરછ પણ કરે છે યા યોગ્ય સૂચન આપે છે. લેખ મોકલતાં પહેલાં અને મોકલ્યા પછી કશો લાંબો વ્યવહાર નહીં. અપવાદરૂપ સંજોગોમાં જ ફોન પર વાત થઈ હશે, બાકી એસ.એમ.એસ.થી જ પતી જાય. એસ.એમ.એસ. પણ ટૂંકા જ. (લાંબા હોય એને એલ.એમ.એસ. કહેવાય?)
*** *** ***
‘અહા!જિંદગી’માં આવતી જાહેરખબરોનું ઓછું પ્રમાણ ચિંતાજનક હતું. એને લઈને એવી ફડક પણ રહેતી કે કદાચ આ મેગેઝીન લાંબું ન ચાલે. વધારાની મુલાકાતો લઈ રાખવાને બદલે જે તે મહિનાના અંક માટે જ મુલાકાત લેવા પાછળ મનમાં ઊંડે ઊંડે કદાચ આ કારણ પણ હોય. અલબત્ત, મેગેઝીનનું પ્રકાશન બંધ થવાનાં કશા સ્પષ્ટ ચિહ્નો જણાતાં નહોતાં. પણ એ દિવસ આવી જ ગયો.
*** *** ***
“થોડી વાર પહેલાં જ મીટીંગમાં નક્કી થયું છે. ‘અહા! જિંદગી’ હવે બંધ કરીએ છીએ.”
“એટલે?”
“એટલે કે ઓગસ્ટનો જે અંક આવે એ છેલ્લો હશે. પછી પ્રકાશન બંધ.”
![]() |
| ઓગસ્ટ '૧૧નો આખરી અંક |
દીપક અને મારા વચ્ચે ઓગસ્ટ, ૨૦૧૧ના પહેલા અઠવાડિયામાં થયેલી આ વાત. ઘડીભર તો શું બોલવું એ સૂઝ્યું નહીં. શો પ્રતિભાવ આપવો? ત્યારે તો વાત પૂરી થઈ.
જો કે, એવું લાગ્યું કે મેગેઝીન બંધ થયાનો ઠાલો શોક કરવાને બદલે તેની સાથેના આપણા જોડાણને યાદ રાખીને આનંદ લેવો વધુ યોગ્ય ગણાય. કેમ કે, કોઈ પણ મેગેઝીન બંધ થાય એની પછવાડે દેખીતાં, ન દેખાતાં અનેક કારણ અને પરીબળો જવાબદાર હોય છે. બંધ થયા પછી એ મેગેઝીન કેવું હતું અને કેવું નહીં, એની ચર્ચાનો કે વિશ્લેષણનોય અર્થ નથી. એ મેગેઝીનમાં આપણને જે જગા મળી અને જે કામ કર્યું એ સંતોષકારક રીતે થયું કે નહીં, એ વાત આપણા પૂરતી વધુ મહત્વની છે. આનો જવાબ ‘હા’માં જ છે.
મોટી સાઈઝ, બહુરંગી મુદ્રણ, તસવીરો તેમજ કળાત્મક લે આઉટને લઈને આ મેગેઝીનમાં છપાતા લેખનું આગવું મહત્વ હતું. આ મેગેઝીનમાં કોના કોના વિષે લખાયું એની અહીં આપેલી યાદી પર નજર ફેરવવાથી ખ્યાલ આવશે કે કેવા અને કેટલા ક્ષેત્રની વ્યક્તિઓના પ્રદાન વિષે તેમના જીવતેજીવ અહીં વિસ્તૃતપણે લખાયું છે, જે મુખ્ય ધારાના અન્ય મેગેઝીનમાં લખાત કે કેમ એ સવાલ છે! ‘જીવતેજીવ’ શબ્દ સભાનપણે જ વાપર્યો છે, કેમ કે જીવતી યોગ્ય વ્યક્તિઓ વિષે લખાયેલું પ્રકાશિત કરવામાં મોટા ભાગનાં પ્રકાશનોને ‘વિવાદ ઉભો થવાની’ બીક નડે છે, કાં પોતાના પ્રકાશન થકી ‘એ લોકોને પ્રસિદ્ધી મળી જવાની’ બીક રહે છે. એમના વિષે લખાય તોય બાયોડેટાના સ્વરૂપમાં, જીવનચિત્ર તરીકે તો નહીં જ. આ બાબતને ધ્યાનમાં લેતાં ‘અહા!જિંદગી’માં પ્રકાશિત થયેલા આ જીવનચિત્રોનું મારે મન ઘણું મૂલ્ય છે. આ લેખો પુસ્તકાકારે પ્રકાશિત થાય ત્યારે ખરા, પણ જે વ્યક્તિઓ વિષે લખ્યું એમાંના મોટા ભાગના સાથે અંતરંગ સંબંધસેતુ બંધાયો એ વધારાની ઉપલબ્ધિ ગણી શકાય. આવું મેગેઝીન બંધ થવાથી પડેલી ખાલી જગા મારા માટે ‘ખોટ’ સમાન બની રહે એ સ્વાભાવિક છે અને છતાંય એની સાથેના જોડાણને યાદ કરતાં ખુશી જ અનુભવાય છે.








