Showing posts with label Purvi Modi Malkan. Show all posts
Showing posts with label Purvi Modi Malkan. Show all posts

Friday, October 13, 2017

સંસ્કૃતિની શોધમાં (૧)

- પૂર્વી મોદી મલકાણ
(પૂર્વી મોદી મલકાણે અગાઉ પાકિસ્તાનના પ્રવાસે  શ્રેણી લખેલી હતી. જેમાં તેમણે પાકિસ્તાનના પોતાના વિવિધ અનુભવોને આલેખ્યા હતા. હવે સંસ્કૃતિની શોધમાં શ્રેણી દ્વારા તેઓ ફરી એકવાર વિવિધ સ્થળોનાં પ્રવાસવર્ણનનું રસપ્રદ આલેખન કરશે.) 

વો ઘડી આયેગી...આયેગી...આ ગઈ....
આ સફરની શરૂઆત ક્યાંથી કરું?, જે વર્ષમાં મેં પાકિસ્તાન છોડયું હતું ત્યાંથી કરું? કારણ કે પાકિસ્તાનની એ ભૂમિને, એ વર્ષને, એ પળને હું  ક્યારેય ભૂલી જ નથી. તેથી અતીતમાંસ્થિર થયેલી એ જ પળોથી મારી બીજી સફરની શરૂઆત કરું છું.

મારી પ્રથમ પાકિસ્તાન ટૂર પૂરી થયા પછી, બીજી ટૂર કરવાનું મન વારંવાર થતું. પણ દર વર્ષે કોઈને કોઈ કારણસર એ પાછળ ઠેલાઈ જતું. આખરે ૨૦૧૬માં અમે ફરીથી જવાનું નક્કી કર્યું. અમે અમારા પાસપોર્ટ અને અન્ય ખાસ ડોકયુમેન્‍ટની તૈયારી કરવા લાગ્યાં. ૨૦૧૧નાં કેટલાક ડોકયુમેન્‍ટ્સ પણ કામ આવ્યાં. પછી વારો આવ્યો વિઝા મેળવવા માટે પાસપોર્ટ મોકલવાનો. અમે નક્કી કર્યું કે પાસપોર્ટ મોકલી દઈએ. જેથી બે-ત્રણ વીકમાં વિઝા મળી જાય. પણ કોણ જાણે અમને શું સૂઝયું કે અમે પાક એમ્બેસીમાં ફોન કર્યો તોજાણવા મળ્યું કે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે. અમને થયું કે અમારી પહેલી ટૂરમાં વિઝા માટે દોઢ મહિનો લીધેલો અને આ વખતે સીધા ત્રણ મહિના ?ને ય કેવળ વિઝા માટે ?આ પાકિસ્તાનને કોઈ બિઝનેસ જોઈએ છે કે નહીં?પણ ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો. આથી અમે વિચારવા લાગ્યાં કે હવે શું કરવું. કારણ કે એકવાર પાસપોર્ટને એમ્બેસીમાં મોકલી દઈએ તો અમે યુ.એસની બહાર ક્યાંય ન નીકળી શકીએ અને અમારે માટે બીજી ઓફિસ ટૂર લાઇનમાં ઊભી જ હતી. તેથી વિચાર કર્યો કે  પાકિસ્તાન એમ્બેસીને જ પૂછી જોઈએ. આથી અમે તેમને ફોન કર્યો તો તેઓએ કહ્યું કે તમે બીજો પાસપોર્ટ બનાવડાવો અને અમને એ મોકલી આપો. તેથી તમારી  વિઝા પ્રોસેસ શરૂ થઈ જાય અને મૂળ પાસપોર્ટ વડે તમે બીજી ટૂર કરી શકો.એ મુજબ અમે બીજા પાસપોર્ટ માટે યુ.એસ એમ્બેસીમાં અરજી આપી. બીજો પાસપોર્ટ અમને બીજે જ અઠવાડિયે મળી ગયો જે અમે પાક.એમ્બેસી માં મોકલ્યો.ત્યાંથી વિઝા સાથે આવે તે પહેલાં અમે અમારી બીજી ટૂરમાં નીકળી ગયાં. પહેલાં આ ટૂરમાં જર્મની, પાકિસ્તાન અને ચાઈના હતું; પણ આ વિઝા પ્રોબ્લેમને કારણે અમારી ટૂરનો માર્ગ બદલાઈ ગયો.

પાક એમ્બેસીમાં વિઝા માટે મોકલેલો અમારો પાસપોર્ટ પાછો આવે તે પહેલા અમેરિકામાં વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. ટ્રમ્પ સરકારનાં રોજ નવા નખરાં સામે આવતાં હતાં. અમે અમારી ૨૦૧૬ની એ ટૂરમાંથી પાછા આવી ગયાં પણ આ હજુ અમને પાસપોર્ટ મળ્યો ન હતો તેથીઅમે વિચાર્યું કે કદાચ ક્રિસમસ ગિફટ તરીકે અમને પાક વિઝા મળી જશે, પણ અમારી ક્રિસમસ પાકની ગિફટ વગર પસાર થઈ ગઈ. ક્રિસમસ દરમ્યાન ઈન્ડિયાથી મહેમાન આવેલાં. તેથી જાન્યુઆરીમાં તેમનીસાથે અમારો ફ્લોરિડાનો પ્રવાસ શરૂ થયો. આ પ્રવાસ દરમ્યાન અમને ખબર પડી કે પાકે અમારો પાસપોર્ટ વિઝા સાથે મોકલી આપ્યો છે. અમે બહુ ખુશ થયાં, પણ હવે સવાલ એ હતો કે વિઝા કેટલા મહિના માટે મળ્યો છે. અમે ઘરે જઈને ચેક કર્યું તો ખબર પડી કે વિઝા ત્રણ મહિનાનો છે, પણ આ દરમ્યાન પાક એમ્બેસીએ અમારો પાસપોર્ટ પકડી રાખ્યો હતો તેથી હવે આ ત્રણ મહિનામાંથી કેવળ ૨૦ દિવસ જ બચ્યાં હતા.હવે અમે સમયસર ન નિકળીએ તો આ વિઝા નકામો થઈ જાય. આથી અમે અમારા મહેમાનને જલ્દી જલ્દી બીજે ઘેર મોકલ્યાં અને અમે અમારી બેગ પેક કરી. ત્યાં અમેરિકન એમ્બેસીમાંથી અમને સૂચના મળી કે અમારે પાકિસ્તાન જવાનું રદ કરવું કારણ કે ટ્રમ્પ સરકાર નથી ઇચ્છતી કે પોતાના કોઈ નાગરિકો ત્યાં જાય. આ જાણીને અમારા મનમાં ઊછળતા કૂદતા વિચારોને જોરદાર બ્રેક લાગી ગઈ. અમને થયું,ગ્રહણ ટાણે આ સાપ ક્યાંથી નીકળ્યો? હવે શું કરવું? આ અંગે જેમ જેમ નજીકના લોકો સાથે વાત કરવા લાગી તેમ બધાંએઅમને આગળ વધવાની ના પાડી. આટલું ઓછું હોય તેમ ઓફિસવાળા પણ ડરી ગયા. છતાં અમે બંનેએ વિચાર કર્યો કે ગયે વખતે પણ આમ જ હતું, ને આવતી વખતે પણ આમ જ થશે. શું આપણે દરેક વખતે ડરીને બેસી રહીશું? ઘણા વિચારને અંતે અમને લાગવા લાગ્યું કે આપણે આપણા મૂળ પ્રોગ્રામને વળગી રહીએ. આમ વિચારી અમે નીકળી પડ્યાં અને અમારો આ વખતના પ્રવાસનો રૂટ બનાવ્યો જર્મની, પાકિસ્તાન, મસ્કત અને ઈન્ડિયા. આવવા જવાના સમય સાથે એક વીક જર્મની, બે વીક પાકિસ્તાન, ૩ દિવસ મસ્કત અને લગભગ બે વીક ઈન્ડિયા. આ પ્રોગ્રામમાંથી અમારો પ્રથમ હોલ્ટ હતો જર્મનીના લાડેનબર્ગટાઉનમાં.

લાડેનબર્ગ: આજ કલ મેં ઢલ ગયા

અમે ફિલાડેલ્ફિયાથી ફ્રેન્કફર્ટ એરપોર્ટ પહોંચ્યાં ત્યારે વરસાદ પડી ચૂક્યો હશે,તેથી ઠંડી સારી એવી હતી. અહીં સૌથી અજબ વાત એ લાગી કે એરપોર્ટ સ્ટાફ એરપોર્ટની અંદર અવરજવર કરવા માટે સાઇકલનો ઉપયોગ કરતો હતો. આ બાઇકરોને જોતાં જોતાં અમે ચાલવાનું શરૂ કર્યું. લગભગ ૨૦ -૨૫ મિનિટ ચાલ્યાં બાદ અમે રેન્ટલ કારના એરિયામાં પહોંચી ગયાં. અહીંથી અમે કાર ભાડે લીધી અને લાડેનબર્ગ જવા નીકળ્યાં. ફ્રેન્કફર્ટથી લાડેનબર્ગ પહોંચતાં લગભગ બે કલાક થાય. આમ તો અમેરિકાના ફાસ્ટ ડ્રાઇવિંગની અમને આદત છે, પણ અમેરિકાથી વધુ ફાસ્ટ ડ્રાઇવિંગનો અનુભવ મને અહીં થયો. ૨૧૦ માઈલની સ્પીડે જતી અમારી કાર જાણે હવા સાથે વાત કરતી હોય તેમ જર્મનીના હાઇવે પર દોડવા લાગી. માટે માટે આટલી સ્પીડ ડરની વાત હતી,પણ અમારી આજુબાજુમાંથી અને અમને ઓવરટેક કરીને દોડતી કારોની સરખામણીએ અમારી કારની સ્પીડ સૌથી ઓછી હતી.
લાડેનબર્ગનો નકશો (*)


લાડેનબર્ગ પહોંચ્યાં પછી અમારો ઉતારો હોટેલ લિયોનાર્ડમાં હતો. આમ તો આ ટાઉન જર્મનીનું સૌથી જૂનું ગામ છે. જેની સ્થાપના પહેલી સદીમાં થઈ હતી. સૌ પ્રથમ આ ટાઉનનું નામ સેલેસ્ટ કે સેલ્ટિક રાખવામાં આવ્યું હતું, પણ ૯૮ AD માં આ ટાઉન ઉપર રોમનોએ કબ્જો જમાવ્યો, તે પછી આ ટાઉનનું નામ “લોપોડુનુમ” ( Lopodunum) રાખવામાં આવ્યું. આ સમય દરમ્યાન રોમનોએ આ ટાઉનને કલાત્મક રૂપ આપ્યું અને અનેક સુંદર ઇમારતો બનાવી. રોમનોનો સમય પૂરો થયાં બાદ લગભગ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં આ ટાઉન ૭ થી ૮ વાર તૂટ્યું અને ઊભું થયું. પછી રશિયનોએ આ ટાઉન પર કબ્જો કર્યો ત્યારે તેમણે આ ટાઉનના રોમન ઇતિહાસ સમા બિલ્ડીંગો અને ઘરોમાં ખૂબ તોડફોડ કરી. ખાસ કરીને ટાઉનને બે ભાગમાં વહેંચતી એક દીવાલ પર રશિયનોએ કેથેડ્રલ (બેસેલિક) બનાવ્યું. વારંવાર તૂટ્યા બાદ આ ટાઉનનો છેલ્લો જિર્ણોધ્ધાર ૧૬૨૦ માં થયો.
રોમન અવશેષો 

સમયાંતરે રોમનોએ આપેલું આ 'લોપોડુનુમ' નામ પણ ખોવાઈ ગયું
, અને તેને લોકો “લાડેનબર્ગ” તરીકે ઓળખવા લાગ્યા. આ નામ જર્મન નાગરિક “એલ્બર્ટ લાડેનબર્ગ”પરથી આવ્યું, જેઓ કેમેસ્ટ્રીના ડો. પ્રોફેસર હતા. ( જન્મ: ૧૮૪૨, મૃત્યુ:- ૧૯૧૧=૬૯ વર્ષ ) પ્રો. એલ્બર્ટે ૧૮૯૬ માં કેટલાક પુસ્તકો લખ્યાં. આ પુસ્તકોમાંથી એક પુસ્તક આ ટાઉન પર પણ હતું. આ પુસ્તકમાં તેમણે આ ટાઉનનો ઉલ્લેખ કરતાંલખ્યું હતું કે “આ ટાઉન ઉપર જો પુરાતત્ત્વ વિભાગ ધ્યાન આપે તો અહીં રોમન સમયની અનેક નિશાનીઓ મળી આવે.”જર્મન સરકારે આ બાબત ઉપર ધ્યાન દેવાનું ચાલુ કર્યું ત્યાં સુધીમાં ઇતિહાસ ઘણો બદલાઈ ગયો હતો. એક પછી એક એમ બે વિશ્વયુધ્ધ વચ્ચે જર્મની ફસાઈ ગયું હતું જેથી ઇતિહાસને બાજુમાં મૂકી જર્મની તે સમયનાં વર્તમાનને સંભાળવામાં મગ્ન થઈ ગયું. ( આ વિશ્વયુધ્ધ દરમ્યાન એક મુખ્ય વાત એ બની હતી કે આ સમયગાળા દરમ્યાન જર્મન સરકારે આ ઐતિહાસિક ટાઉન પરથી લશ્કરી વિમાનો (પ્લેન) ઉડાડવાની મંજૂરી આપી ન હતી. ) પણ આ સમય દરમ્યાન જર્મન સૈનિકોની એક ટુકડી આવેલી. જેમણે ટાઉન બહાર રહેલાં ખેતરોમાં ડેરાતંબૂ જમાવેલ. ટેન્ટ બાંધવા માટે ખોદકામ કરતી વખતે તેમના હાથમાં વિવિધ યુગની અનેક વસ્તુઓ હાથમાં આવેલી. આ વસ્તુઓ તેમણે ટાઉનના એક જર્મનના ઘરમાં રાખેલી. પાછળથી તે જર્મન નાગરિકે આ બધી વસ્તુઓનું મ્યુઝિયમ બનાવ્યું. આજે આ હોમ મ્યુઝિયમ વીકમાં બુધવાર અને શનિવાર એમ બે દિવસ માટે ખૂલે છે.રહી વાત રોમન યુગના અન્ય અવશેષો માટેની.૧૯૫૨માં એટલે કે પ્રો લાડેનબર્ગના મૃત્યુનાં ૪૧ વર્ષ પછી જર્મન સરકારે અમેરિકન પુરાતત્ત્વવિદોની મદદથી રોમન સમયના અવશેષો શોધી કાઢવાનું કામ ચાલુ કર્યું,જે ૧૯૫૮ સુધી ચાલ્યું. 
ટાઉન વ્યૂ 
આ કાર્યમાં જર્મન સરકારને સ્થાનિક  લોકોનો પણ મોટો સહકાર મળ્યો.( જો કે, આજે પણ ખોદકામ દરમ્યાન વિવિધ સમયનાં સિક્કાઓ, પોટરી, વાસણો, ઈંટ, જ્વેલરી, રત્નો, શિલ્પ વગેરે મળતાં રહે છે, તેથી આ અવશેષો શોધવાનું કાર્ય અટક્યું નથી.અમેરિકન સર્વે પ્રમાણે અહીં મળતી વસ્તુઓમાં પ્રાચીન જર્મન અને રશિયન વસ્તુઓ પણ છે.) જર્મન પુરાતત્વવિદ્ ડો. બેર્ન્ડમાર્ક હ્યુકેમેસનાં મતે હજુ બીજા બે હજાર વર્ષ સુધીનું કામ પણ અત્યારે કરવામાં આવે તો પણ આ ટાઉનનો પ્રાચીનતમ ખજાનો પૂરો થાય તેમ નથી, કારણ કે આ ભૂમિ પોતાના પેટાળમાં અનેક સંસ્કૃતિને સંઘરીને બેઠી છે.
કોબલર સ્ટોનવાળા રસ્તા 
આજે આ ટાઉનનો વ્યૂ ઘણો જ અલગ છે. ટાઉનના રસ્તાઓનું નામ રોમન સમ્રાટોનાં નામ 
(ડોમીટીયન, ટ્રાજન અને વેલેન્ટિનિયન ) પરથી અપાયેલું છે. ટાઉનમાં જૂના સમયની યાદ સતત રહે તે માટે ટાઉનની સ્ટ્રીટ્સ અને રસ્તાઓ કોબલર સ્ટોનમાંથી બનાવવામાં આવેલા છે; જે આપણને વોલ્ટ ડિઝનીની બ્યુટી એન્ડ ધ બિસ્ટ’,‘સ્નોવ્હાઇટ જેવી ફેરીટેઇલ મુવીની યાદ અપાવી દે છે. કેવળ ગલીઓ અને રસ્તા જ નહીં પણ આ ટાઉનને બે નદીઓની વચ્ચે વહેંચાતું જોવાનો આનંદ અદ્‍ભુત છે;રોજ સાંજે નદીનાં પાણીમાં સંધ્યાસ્નાન માટે ઊતરતો સૂર્ય સોહી ઊઠે છે. આ ટાઉનનો જૂનો હિસ્સો રાઈન નદીને કિનારે અને નવો હિસ્સો નેકર નદીને કિનારે વસેલો છે. 

આ ટાઉનની ઉત્તરપશ્ચિમમાં હાઈડલબર્ગ અને પૂર્વમાં મેન્નહૈમની નામનાં ટાઉન આવેલા છે. ઓલ્ડ ટાઉનની મધ્યમાં આવેલ આ કેથેડ્રલ જોવા જઈએ ત્યારે કેથેડ્રલ પરિસરની પાછળના ભાગમાં મૂળ દીવાલના અવશેષોની સાથે ખાસ મુદ્રાઓ અને સંજ્ઞાઓ તરફ નજર અચૂક જાય.
દિવાલમાં ચણાયેલી 1000 વર્ષ પુરાણી રોમન મુદ્રિકા

આ કેથેડ્રલ સિવાય પણ અનેક રોમનો અવશેષો પર નવા બિલ્ડીંગો બંધાયેલા જોવા મળે છે તેથી ઇતિહાસના અભ્યાસુઓ વારંવાર અહીં અભ્યાસ અર્થે આવતા રહે છે. તેમ છતાં આ ટાઉનને મુખ્ય ઓળખ મળી “કાર્લ ફેડરીક” નામના વિજ્ઞાની થકી. કાર્લ ફેડરીકનો પરિચય મેળવવા માટે આપણે મોટરકારના ઇતિહાસ તરફ જવું પડે. ધનિકોની માનીતી ગણાતી “મર્સીડીઝ બેન્ઝ કાર” ના ફાઉન્ડર અને વિજ્ઞાની “કાર્લ ફ્રેડરીક બેન્ઝ”નો અહીં જન્મ થયો હતો. ( જન્મ:- ૨૫ મી નવેમ્બર ૧૮૪૪ -મૃત્યુ :- એપ્રિલ ૪ ૧૯૨૯ = ૮૫ વર્ષ ) આજે પણ આ ટાઉનમાં કાર્લ બેન્ઝનું મ્યુઝિયમ કમ ઘર અને ગેરેજ અહીં જ છે. કાર્લ બેન્ઝની યાદમાં દર વર્ષે અહીં સપ્ટે થી નવે સુધીના વીકએન્ડમાં ઓટોમોબાઇલ્સ ફેસ્ટિવલ યોજાય છે ત્યારે વિશ્વભરની વિવિધ કાર અને ઓટોમોબાઇલ્સનું પ્રદર્શન અને હરીફાઈ યોજાય છે. ફેસ્ટિવલ અને ઉત્સવોની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના બીજા વીકમાં રાઈન નદીને કિનારે “ઓલ્ડ ટાઉન ફેસ્ટિવલ” ઉજવવામાં આવે છે ત્યારે ડ્રેગન બોટ રેસ યોજવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન અનેક આકર્ષણો સાથે ચાર ચાંદ લગાવે છે  ક્લાસિકલ જર્મન મ્યુઝિક બેન્ડ અને ઓરકેસ્ટ્રા છે. આ દિવસ એવો હોય છે જ્યારે બાળકો સહિત પૂરા ટાઉનમાં ઉત્સાહ છવાઈ જાય છે.
લાડેનબર્ગની એક સ્ટ્રીટ 
આવવા જવાના ગણીને અહીં કેવળ ત્રણ દિવસ હતા, જે મારે માટે પૂરતા હતા. અમે હોટેલ પર પહોંચ્યાં ત્યારે સાંજ પડવા આવેલી. તેથી અમે હોટેલ પર જ રહેવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ લેવા ગયાં,ત્યારે જોયું કે અહીં અનેક જાતની બ્રેડ હતી. આ ઉપરાંત વેજ નાસ્તામાં મુસળી, સિરિયલ, ફ્રૂટ્સ, હર્બ બટર અને પ્લેઇન બટર, પેનકેક,વોફલ્સ,ફ્રૂટ્સ અને એન્જલ કેક,સ્ટર ફ્રાઈડ પોટેટો હતાં અને નોનવેજમાં બોઈલ્ડ એગ્સ, એગ આમલેટ, હેમ, બેકન, ચિકન પેટી, પોર્ક ચિપ્સહતી અને ડ્રિંકમાં ઓરેન્જ, એપ્પલ જ્યુસ, પ્લેઇન યોગર્ટ અને ફ્રૂટ યોગર્ટ, ગરમ અને ઠંડુ દૂધ, બ્લેક કોફી, આઈસ કોફી, કોલ્ડ કોફી, એક્સપ્રેસો અને કેપૂચીનો કોફી હતી. આ ઉપરાંતકોમ્બુચા અને ગ્રીન ટી પણ ખરી. અહીં ઘણી જ વેજ વેરાયટી હતી. પણ મારે માટે સૌથી વધુ આકર્ષણ બની પેપરનીકલ બ્લેક બ્રેડ, સાવર ડોહ બ્રેડ અને કોમ્બુચા. કોમ્બુચા...ને સરળ ભાષામાં આથેલી ગ્રીન ટી તરીકે ઓળખી શકાય. આપણે ત્યાં જેમ બ્રેડ,નાન વગેરેમાં ઉપરના બેક્ટેરિયાની જરૂર પડે છે તેજ રીતે કોમ્બુચામાં પણ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ યીસ્ટ નાખેલી ગ્રીન -ટી ને જારમાં ૭ થી ૧૦ દિવસ રાખવામાં આવે છે, ત્યાર પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે શાંતિથી નાસ્તો કર્યા પછી થોડીવારમાં મી.મલકાણ ઓફિસે જવા નીકળી ગયા અને તેમના ગયાં બાદ હું પણ કેમેરો લઈને ટાઉન જોવા નીકળી પડી. 
**** **** ***** 
અમારી હોટેલ લિયોનાર્ડોથી બહાર નીકળતાં ૧૦ મિનિટના અંતરે રાઈન નદી વહેતી હતી. હોટેલથી નદી સુધીના રસ્તાની બંને બાજુએથી ઓક, પાઇન અને બ્રાઉન મેપલનાં ટ્રી હવામાં જે રીતે વાતો કરી રહ્યાં હતાં તે જોઈને મન અત્યંત પ્રસન્ન થઈ ગયું. અહીં જોયું કે મારી જેમ ચાલનારા ઘણા ઓછા હતા, પણ લાડેનબર્ગમાં સ્ત્રીઓ અને બાળકોનું કોઈ પ્રિય વાહન હોય તો તે સાઇકલ. સાઇકલની બાબતમાં નાના-મોટા બધાં જ અહીં સરખા હતા. સાઇકલની આગળ અને પાછળની બાજુ નાની ટોકરી (બાસ્કેટ) અને નાની લાઇટ લગાવેલી હોય, સાઇકલ સવારે હેલ્મેટ પહેરી હોય અને હેન્ડલ ઉપર બેલ રાખેલી હોય. દરેક ટ્રાફિક લાઇટ ઉપર સાઇકલ સવાર ઊભો રહે.ટ્રાફિક વધુ હોય તો તે લાલ લાઇટનું સિગ્નલ પાળે અન્યથા લાલ લાઇટને એ ક્રોસ કરીને જતો રહે.ટાઉનમાં ફરતાં બીજી એ વાત નોંધી કે મોટેભાગે સ્ત્રીઓ સવારે જોવામાં આવતી અને બાળકો સાંજે જોવામાં આવતાં.
(ક્રમશ:) 



Tuesday, July 31, 2012

પાકિસ્તાનના પ્રવાસે (૫)


                                                                   પૂર્વી મોદી મલકાણ 



ખાવ, પણ સરળ હપ્તે! 

વાઘા બોર્ડરથી પાછા ફરીને અમે રાતના અંધકારમાં રોશનીથી ઝળહળતા જૂના લાહોર શહેરના હૃદયમાં ખોવાઈ ગયાં અને લાહોરી બનીને લાહોરી લાલાઓ સાથે ભળી ગયાં. લાહોરના વિશાળ રસ્તાઓ પર લોકો ઘૂમી રહ્યાં હતાં. ચારે તરફ કોલાહલ અને શોરગુલ સાંભળતો હતો. કારનાં હોર્ન અને સાઇકલની ટ્રિંગ ટ્રિંગથી શહેરના મુખ્ય રસ્તાઓ ગુંજી રહ્યા હતા. ચારે તરફ ભીડ જ ભીડ નજરે પડતી હતી. આટલા બધા લોકોને આમ એકસાથે બહાર જોઈને મને ઘણું જ આશ્ચર્ય થયું. અમારા મિત્રે જણાવ્યું કે આ શહેરની ખાસિયત છે કે મોટા ભાગના લોકો લગભગ આખું અઠવાડિયું રાત્રે બહાર જ ભોજન લે છે. કોઈ ઘરમાં જમે તો સમાજ તેમને જુનવાણી ગણે છે. રેસ્ટોરન્ટમાં જમવા માટે દેવું કરવું પડે તો એ પણ કરીને, ઉધારી કરીને તેઓ રેસ્ટોરાંમાં જમે છે. મને થયું કે વાહ, રેસ્ટોરાંમાં જમવા માટે પણ લોન લેવાય છે. કહેવું પડે!
સોલ્ટ એન્ડ પેપર વીલેજ 
અમારા મિત્રનો પરિવાર અમને અહીં મળવાનો હતો. અમારે તેમની રાહ જોવાની હતી. તે આવે ત્યાં સુધી અમે માર્કેટમાં વિન્ડોશોપિંગ કરતા રહ્યા. લાહોરની અતિ પ્રખ્યાત પાપડ સ્ટ્રીટમાં અમે ગયાં, જ્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પાપડ બહુ જ પ્રખ્યાત છે. એક પ્લાસ્ટિકની બેગમાં પાપડ મૂકીને ફેરીયાઓ અહીં ફરતા રહે છે. વિવિધ મસાલાવાળા, વિવિધ ડ્રાય કરીવાળા કે ફ્રાઈડ ફિશવાળા પાપડ, બોઈલ્ડ ઈંડાના ટુકડાઓવાળા પાપડ તેઓ તૈયાર કરી આપે છે. અહીંના પ્લેન પાપડનો સ્વાદ લેતાં ખ્યાલ આવ્યો કે ચોખા, કોર્નના લોટમાં બટેટાનો માવો મિક્સ કરીને આ પાપડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાબુદાણા, નાચન, અડદ, મગ, કોર્ન,ચોખા તથા કાચી કેરીના પાપડ પણ જોવા મળ્યાં. અહીં થોડો સમય પસાર કર્યો એ દરમ્યાન અમારા મિત્રનો પરિવાર આવી પહોંચ્યો. તેમની સાથે અમે શહેરની ખૂબ પ્રખ્યાત એવી “Salt and Pepper Village” રેસ્ટોરાંમાં અમે ગયાં. આ રેસ્ટોરાં થિયેટર ટાઈમ પ્રમાણે ચાલે છે. તે ફક્ત સાંજના સમયે ખુલે છે, જેમાં થિયેટરના ટાઈમની જેમ શિફ્ટ ગોઠવેલી હોય છે, જેથી મહેમાનોએ પણ તે સમયમર્યાદામાં પોતાનું ભોજન પૂરું કરવું પડે છે. અહીં ડિનર લેવા માટે સામાન્ય રીતે એક અઠવાડિયા અગાઉ બુકિંગ થઈ જાય છે. બૂકિંગ વગર અહીં પ્રવેશ મળતો નથી. અમે લાહોર પહોંચ્યાં તે જ દિવસે અમારા મિત્રે રેસ્ટોરાંના મેનેજરને કહી રાખેલું કે અપના મુલ્ક દેખને કે લિયે ઈન્ડિયા સે ગેસ્ટ્સ આયે હૈ ઔર હમ ઉન્હે યહાં લેકે આના ચાહતે હૈ ઔર વો યહાં જ્યાદા રૂકનેવાલે નહીં હૈ, ક્યુંકી કલ વો વાપસ જા રહે હૈ. આ સાંભળીને મેનેજરે કહેલું કે હમારે મુલ્ક કે મહેમાન હમારે મહેમાન હૈ. તેણે તાત્કાલિક અમારા માટે સાંજે એક ટેબલ બૂક કરી આપ્યું હતું.

**** **** ****

અમે સોલ્ટ એન્ડ પેપર વિલેજ પહોંચ્યાં. અંદર પ્રવેશતાં જોયું તો શીંગચણા,મકાઇના ભૂટ્ટા અને નાના બાળકો માટે બલૂન લઈને હોટેલના ક્રૂ મેમ્બરો ફેરિયાની જેમ ગોઠવાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને મને અનાયાસે રાજકોટનું ગિરનાર થિયેટર યાદ આવી ગયું.
સોલ્ટ એન્ડ પેપર વિલેજની બાંધણી એકદમ વિશિષ્ટ હતી. અમુક હિસ્સો કોઈક નાનકડા, જૂના બંગલા જેવો લાગે, અમુક હિસ્સો જૂના જમાનામાં બનેલી માટીની હવેલીની યાદ દેવડાવે.
હોટેલનો મુખ્ય દરવાજો એકદમ જુનવાણી શૈલીની બાંધણીવાળો હતો. આ હોટેલની આંતરિક સજાવટ માટીનાં બનેલાં ઘરોની યાદ દેવડાવતી હતી.
 હોટેલની અંદરનો ભાગ અને વરંડો રંગબેરંગી લાઇટથી ઝળહળી રહ્યો હતો.
હોટેલની અંદરના ભાગમાં  બુફે માટે નાની નાની હાટડીઓ ઊભી કરવામાં આવેલી. અહીં અલાયદું ઓપન કિચન લઈને કૂક ઊભા હતા. બેગમ-એ-બિરયાની, ભલ્લા-એ-ખાસ, નાનેબહાર, બહારે લસ્સી,શામે કબાબ, પાયા મુર્ગ મુસ્સલમ, ગોશ્ત ખાના, મિલ્કી સેવૈયાં વગેરે જેવાં વિવિધ નામ આ હાટડીઓના આપવામાં આવેલા હતાં.
ભલ્લા-એ-ખાસ નામની હાટડીમાં વિવિધ પ્રકારની ચાટ મળતી હતી. જેમાં પાપડી પકોરા, બેદઈ, સમોસા, ભલ્લા, ગોલગપ્પા, બુંદી શીંગ, યામ,આલુ ટીક્કી વગેરે હતી.

લોકૂટનું ફળ 
ડિનરમાં લાહોરી ફૂડનો આનંદ માણ્યો. પછી મને ફ્રૂટ ચાટ સેન્ટરમાં નાની, લીલી સોપારી જેવુ દેખાતું પીળા રંગનું એક ફળ જોવા મળ્યું. જાણવા મળ્યું કે તેનું નામ લોકૂટ (Loquats) છે. તેની અંદર કથ્થાઇ રંગનું મોટું બી (ગોટલી) જોવા મળે છે. તેને ચાખ્યું તો છાલનો સ્વાદ થોડો તૂરો લાગ્યો, પણ અંદરનો ગર ખટમીઠો હતો. અમારા મિત્રને પૂછતાં તેમણે એ વિષે વધુ માહિતી આપી.  એ મુજબ આ ફળ અહીં એપ્રિલ-મેમાં જ જોવા મળે છે. કાચું હોય ત્યારે તેનો રંગ લીલો અને પાક્યા પછી પીળો થઈ જાય છે. અસલમાં આ ફળ જાપાનનું છે, ત્યાંથી એ ચીન ગયું અને ચીનથી તે પાકિસ્તાનમાં આવ્યું છે. આ ફળ બરાબર પાકી જાય એ પછી તેમાંથી હલવો બનાવવામાં આવે છે, જે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. મને તેનો હલવો ખાવાનો લાભ તો ન મળ્યો, પણ લાહોરમાં હતી ત્યાં સુધી મેં આ ફળનો સારો એવો લુત્ફ ઉઠાવ્યો. તેનો સ્વાદ મારા મોમાં એવો રહી ગયો હતો કે પાછા યુ એસ એ આવીને તેના વિષે વધુ જાણકારી મેળવી. મને જાણવા મળ્યું કે વિદેશી માર્કેટમાં આ ફળને જાપાનીઝ પ્લમ કહે છે. આ ફળનાં વૃક્ષ ૩૦ થી ૩૫ ફૂટ ઊંચાં હોય છે અને ફળમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, આર્યન, વિટામિન એ, વિટામિન સી તેમજ પોટેશિયમ વિશેષ પ્રમાણમાં હોય છે. માત્ર ફળ જ નહીં,લોકૂટ વૃક્ષના પાંદડાઓનો ઉપયોગ પણ ચા તરીકે થાય છે.
સોલ્ટ એન્ડ પેપરમાં રાતના જમણનો લુત્ફ ઉઠાવ્યા પછી અમે બહાર નીકળ્યા ત્યારે રાતના સાડા અગિયાર વાગ્યાં થયા હતા. રસ્તાઓ પર અવરજવર ઓછી થવા લાગી હતી. લાગતું હતું કે દિવસભર દોડતું રહેલું લાહોર શહેર હવે શાંત થઈને સુવાની તૈયારી કરતું હતું. બીજે દિવસે સવારે અગિયાર વાગે મળવાનું નક્કી કરીને અમે પણ અમારી હોટેલ તરફ પાછા વળ્યાં.

જરા સી આહટ હોતી હૈ તો....

પાકિસ્તાનના અત્યાર સુધી થયેલા સારા અનુભવની સામે અમારી હોટેલમાં આવતાં અમને જે અનુભવ થયો એ કંઈક વિચિત્ર હતો. થયેલું એવું કે મોડી બપોરેના સમયે અમે આ હોટેલમાં પ્રવેશ કર્યો ત્યારે ચેક-ઈન કરાવતી વખતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી તરીકે અમારે અમારી ઓળખનું પ્રમાણ અહીં બતાવવાનું હતું. અમે અમારા પાસપોર્ટ એ માટે આપ્યા ત્યારે બૂથ પરના ડ્યૂટી મેનેજરે અમને પાસપોર્ટ ત્યાં મૂકીને જવાનો આગ્રહ રાખ્યો. મારા પતિએ તેને જે તપાસ કરવી હોય એ કરીને પાસપોર્ટ પાછા લેવાનો આગ્રહ રાખ્યો. મેનેજર કહે કે તમે રાત્રે પાછા આવો ત્યારે પાસપોર્ટ પાછા મળી જશે. અમને આ વાત ગળે ન ઉતરી. અમે કહ્યું કે ભલે ગમે એટલી વાર લાગે, પણ પાસપોર્ટ અમે અમારી સાથે જ રાખીશું, કેમ કે અમારે શહેરમાં ફરવાનું છે અને ત્યાં તેની ગમે ત્યારે જરૂર પડી શકે. મેનેજરે છેવટે કટાણા મોંએ જરૂરી માહિતી નોંધીને અમને પાસપોર્ટ આપ્યા ખરા, પણ અણગમાનો ભાવ તેના મોં પર સ્પષ્ટ દેખાતો હતો. અમને ખ્યાલ ન આવ્યો કે આવો દુરાગ્રહ રાખવા પાછળનું કારણ શું હશે. પછી અમે બહાર જવા નીકળ્યા ત્યારે સાવચેતીના પગલારૂપે કમ્યુટર બેગ અને પાસપોર્ટ સાથે જ લઈને નીકળેલા. કોણ જાણે કેમ, પણ અમને થતું હતું કે આ હોટેલમાં સલામતી નથી.
અમારી શંકા સાચી પડી હતી. મોડી રાત્રે અમે હોટેલ પર આવ્યાં. અમારી રૂમમાં પહોંચ્યાં અને જોયું તો અમારી બેગોનાં તાળાં ખોલેલાં હતાં અને બેગો ખુલ્લી પડેલી હતી. રૂમમાં પણ તલાશી લેવાઈ હોવાનું જણાતું હતું.
અમારા ગયા પછી રૂમમાં કોઈક આવ્યું હતું એ સીધી વાત હતી.જો કે, રૂમમાં કપડાં સિવાય કંઇ ન હતું, એટલે મનમાં શાંતિ હતી, છતાંય આ હરકત ગમે તેવી નહોતી. કદાચ અમે ભારતીય હતાં તેથી કે અમેરિકન હતાં તેને કારણે તપાસ કરવામાં આવી હશે. એમ પણ બને કે હોટેલવાળાને અમે પ્રવાસીને બદલે જાસૂસ જેવા લાગ્યાં હોઈએ. રૂમના બારણાની આઈ વીન્ડોમાંથી અમારા રૂમ તરફ આવતા અને જતા અજાણ્યા લોકોને હું ઉભડક જીવે નિહાળી રહી હતી. સૂવા પડ્યા પછી પણ પગરવના અવાજ કાને પડતા રહ્યા.
આ બાબતે હોટેલની મેનેજમેન્ટને ફરિયાદ કરવાનો અમને અર્થ લાગ્યો નહીં. તેને બદલે અમે ત્યાં રહેવાનું માંડી વાળ્યું અને બીજે દિવસે નાસ્તો લઈ હોટેલ છોડવાનું નક્કી કરી લીધું.  

**** **** ****

સવારે આંખ ખૂલી ત્યારે શહેર હજુ શાંત હતું. માર્કેટો બંધ હતી. સફાઈ કામદારો રસ્તા સાફ કરી રહ્યા હતા. હોટેલના મુખ્ય રોડ પર શોરબકોર થઈ આવી રહ્યો હતો, જે સાંભળતાં લાગતું હતું કે કશીક પ્રવૃતિ થઈ રહી હતી. તૈયાર થઈને અમે બ્રેકફાસ્ટ રૂમમાં ગયા, ત્યારે રસ્તા પર નજર પડતાં જોયું કે થોડા યુવાનો રસ્તા પર ક્રિકેટ રમી રહ્યા હતા.
વેજ નાસ્તામાં ફક્ત બ્રેડ અને બટર એ બે જ વસ્તુઓ મળી. મારે માટે એ પૂરતી હતી. જો કે, એ ફરજિયાત મળેલો વિકલ્પ હતો, કેમ કે આ સિવાયનો તમામ નાસ્તો નોન-વેજ હતો.  
મેં જોયું કે અહીંના લોકો મોટા ભાગે અમેરીકનની જેમ બ્લેક કોફી, અને બ્રિટિશરોની જેમ બ્લેક ટી વધુ પીવે છે. પણ હવે ચીનની અસરમાં પાકિસ્તાનમાં અમેરીકન કોફીનું સ્થાન ગ્રીન ટી લેવા લાગી છે. આપણી ચા દૂધવાળી ચા) નો સમાવેશ ભારતીય પીણામાં થાય છે.
તદ્પરાંત ભારતીય ચા વિષે એક રસપ્રદ બાબત એ જોવા મળી કે તેમાં ગળપણ માટે ખાંડનો નહીં, ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મને અહીં જે પીણું સૌથી વધુ ગમ્યું તે હતું કાવો. તેને બનાવવાની રીત પૂછતાં જાણવા મળ્યું કે પાણીમાં લવિંગ, તજ, એલચી, જીરું, વરીયાળી, હળદર, અજમો, મેથીના દાણા, આખા ધાણા, તુલસી, ફૂદીનો, નાગરવેલના પાન, આદુ વગેરે નાંખીને તેને ખૂબ ઉકાળવામાં આવે છે. વેઇટરનું કહેવું હતું કે આ કાવો આરોગ્ય માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે કેફીન ફ્રી હોય છે અને સામાન્ય કિચનમાં આ બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે. આ કાવાનો સૌથી વધુ ઉપયોગ શિયાળામાં થાય છે.
નાસ્તાને પૂરો ન્યાય આપીને અમે બ્રેકફાસ્ટરૂમની બહાર નીકળ્યાં ત્યારે પણ રસ્તા પર મોર્નિંગ ક્રિકેટ મેચ ચાલુ હતી.

ઘટાયેં ફિર ભી છાયેગી,  મગર હમતુમ જુદા હોંગે 

આંખો જ જોઈ શકાય એવા 'આબાયા' 
અમારા મિત્ર સાથે સવારે અમે લાહોરની ટૂર શરૂ કરી એ અગાઉ અમે સામાન સાથે હોટેલ છોડી દીધી, કારણ કે પાકિસ્તાનમાં અમારો આ છેલ્લો દિવસ હતો. સફરની શરૂઆત જૂના લાહોરથી થઈ. લાહોર અને દિલ્હી આ બંને શહેર મોગલ બાદશાહોના હૃદયની વધુ નજીક હતાં. આ શહેરોનાં ઘણા વિસ્તારના નામ પણ એકબીજાને મળતા આવે છે. દિલ્હીમાં ચાંદની ચોક’/Chandni Chowk છે, તેમ ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ ચાંદની ચોક છે. દિલ્હીમાં લાહોરી ગેટ’/Lahore Gate છે, તો લાહોરમાં દિલ્હી ગેટ’/Delhi Gate આવેલો છે.
ગઇકાલે અમે જૂના લાહોરમાં ફરેલાં, પણ આજે લાહોરના જે વિસ્તારમાં ફર્યાં એ વધુ જૂનો લાગતો હતો. શહેરની અંદરનો આ ભાગ નાની અને સાંકડી ગલીઓ, અનેક દરવાજાઓની અંદર વહેંચાયેલો છે. અંદરના આ વિસ્તારનો મોટાભાગનો વિકાસ મોગલ બાદશાહ શાહજહાં, ઔરંગઝેબ અને તેમના વજીરો, હાકેમ તેમજ સુબાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, તેથી અહીં જૂનામાં જૂની બાંધણીવાળા મકાનો, દુકાનો અને ગલીઓ જોવા મળે છે. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અરેબિયન નાઇટ્સની અનેક વાર્તાઓ યાદ આવી રહી હતી. કેમ કે એ વાર્તાઓમાં આવે છે એમ અહીં રહેતી બાનુઓ પણ આખા ચહેરા અને આંખોને ઢાંકતાં આબાયા પહેરે છે. તેમાં આંખ પાસે જાળીવાળો ભાગ હોય, તેમાંથી જોવાનું. બે આંખોની વચ્ચે નાક પાસેથી પણ એ રીતે સિવેલું હોય કે આંખોની બે કીકી સિવાય કંઇ જ ન દેખાય. આ વિસ્તારની અન્ય સ્ત્રીઓ અને છોકરીઓએ પણ સલવાર કમીઝ પહેરેલાં હતાં અને તેમનાં ચહેરા દુપટ્ટાથી ઢાંકેલાં હતાં. મોટાભાગના પુરુષોએ પઠાણી પોષાક પહેરેલો હતો. તેમના માથા પર સાફો હતો કે મિયાં ટોપી પહેરેલી હતી. ખુલ્લા માથાવાળા મિયાં કે બીબી તો જવલ્લે જ જોવા મળતાં. આ જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંના લોકો ખૂબ રૂઢિચુસ્ત છે. આ રૂઢિચુસ્ત લોકો વચ્ચે અહીંના બજારમાં ફરવાનું મને જરા અજુગતું લાગતું હતું. એક તો મારો પહેરવેશ ભારતીય હતો અને બીજું મારો પગ. આ બંનેને કારણે લોકો મારી સામે ટીકીટીકીને જોઈ રહેતા હતા. આ વિસ્તારના ફોટા લેવાની મેં થોડીઘણી કોશીષ કરી, અહીંના લોકોને એ ગમ્યું નહીં. તેઓ ક્યારેક દેકારો બોલાવતા કે ટોળે વળી જતાં. તેમના મોં પર અણગમાનો  ભાવ સ્પષ્ટ દેખાતો. એટલે મેં ફોટા લેવાનું માંડવાળ જ કર્યું.

**** **** ****

વિલીયમ કારપેન્ટરની પીંછીએ વઝીરખાન મસ્જિદ 
આ શહેરની ગીચ, જુનવાણી અને નાની નાની ગલીઓની અંદર શાહજહાંના વજીરે  બનાવેલી મસ્જિદ વઝીરખાન/ Wazirkhan Mosque આવેલી છે. ત્યાં સમારકામ ચાલી રહ્યું હતું. પાકિસ્તાન સરકારે અમુક ઇમારતોને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવી છે, તેમાં આ મસ્જિદનો પણ સમાવેશ થાય છે. શાહજહાંના વજીર શેખ ઈલ્મ-ઉદ-દ્દિન-અન્સારી, જે લાહોરના વજીરે આલા (ગવર્નર) હતા, તેમણે આ મસ્જિદ ૧૬૩૪માં બનાવડાવેલી. સાત વર્ષના સમયગાળામાં તે પૂરી થઈ હતી. બાદશાહના વજીરે આ મસ્જિદ બનાવેલી હોવાથી આ મસ્જિદને વઝીરેખાન મસ્જિદ નામ અપાયું. (તેને વઝીરેશાહ મસ્જિદ પણ કહે છે.) મોગલકાળની ઈમારતોમાં પથ્થરનો ઉપયોગ વધુ જોવા મળે છે, પણ ક્યારેક પથ્થરની અવેજીમાં લાલ ઈંટનો ઉપયોગ કરવામાં આવે છે. કાં પથ્થર પ્રાપ્ય નહીં હોય કાં તેની કિંમત વધી ગઈ હોય- ગમે તે કારણ હોય. આ મસ્જિદના બાંધકામમાં મોટેભાગે લાઈમ સ્ટોન, લાલ ઈંટ, ટેરાકોટા અને બહુ થોડા પ્રમાણમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરસ અને ટાઇલ્સનો પણ થોડોઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મસ્જિદમાં રહેલી ઈંટો પર ખાસ લાલ રંગ મંગાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
અહીં ફૂલપાનની ગૂંથણીવાળી ડિઝાઇન, અબ્રાસ્ક અને ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે બસ તેને જ જોયા કરવાનું મન થાય. મસ્જિદની જમણી અને ડાબી તરફ ૧૦૦ ફૂટ ઊંચા બે મિનારા છે. આ મિનારાની ડિઝાઇન અને તેમાં પૂરવામાં આવેલા રંગને કારણે આ મિનારા દિવસ દરમ્યાન અત્યંત સુંદર અને મનમોહક લાગે છે. મસ્જિદની દીવાલો પર અરબી ભાષામાં કુરાનની આયાત લખવામાં આવી છે. ઉપરાંત આ ચારે દિશાની વિવિધ બાજુએ મોહંમદ પયગંબરનો પણ સંદેશો લખવામાં આવ્યો છે. આ મસ્જિદની અંદરની બાજુના ભોંયતળીયામાં ૧૪મી સદીના ઈરાનના સંત બાદશાહ મીરાન શાહની કબર આવેલી છે. કહેવાય છે કે આ કબર મસ્જિદ બની તે પહેલાંની છે. વઝીરશાહે મસ્જિદ બનાવડાવવાની શરૂઆત કરી ત્યારે કબરને યથાવત્ રાખીને તેની આજુબાજુ મસ્જિદ ચણી લીધી હતી. આ કબરની મુલાકાતે પણ ઘણા લોકો આવે છે..
અહીં ગરમી ઘણી હતી, પણ ઇમારતની અંદરના ભાગમાં ઘણી ઠંડક હતી. આ ઇમારતમાં પ્રવેશતાં જ એકસાથે એકાદ હજાર માણસો નમાઝ કરવા બેસી શકે એટલું વિશાળ કોર્ટયાર્ડ છે.
વઝીરખાન મસ્જિદ 
આ કોર્ટયાર્ડની ચારે દિશાએ લાકડાના બનેલા નાના નાના ૩૫ દરવાજાઓ છે, જેમાંના મોટાભાગના બંધ છે. બે- ત્રણ દરવાજા ખુલ્લા હતા તેમાંથી મેં કૂતુહલવશ જોયું તો ખ્યાલ આવ્યો કે તે નાના નાના રૂમ હતાં. આ મસ્જિદની ચારે દિશામાં ચાર દરવાજા છે, જે અલગ અલગ બજાર તરફ લઈ જાય છે. ઉત્તરનો દરવાજો કાશ્મીરી બજાર તરફ ખૂલે છે, તો પશ્ચિમનો દરવાજો દિલ્લી ગેટ તરફ લઈ જાય છે. કોર્ટયાર્ડની મધ્યમાં નાનો એવો ફુવારો છે. તેની પાસે નાનકડો ચોક છે, જ્યાં પગ ધોવાની વ્યવસ્થા છે. મસ્જિદમાં જનારાના પગ સ્વચ્છ હોય તે વાતનું ખાસ ધ્યાન રખાય છે.
આ કોર્ટયાર્ડ પાસે બે વૃધ્ધ ચોકીદાર બેઠેલા હતા. તેણે અમને જૂતાં બહાર કાઢીને મસ્જિદમાં જવા જણાવ્યું. અમને એમાં કશો વાંધો નહોતો, પણ મારા પગની તકલીફને કારણે મારા માટે એ મુશ્કેલ હતું. તેમને મેં વિનંતી કરી એટલે એક ચોકીદારે કહ્યું, "આ અલ્લાહની જગ્યા છે, તેથી અદબ રાખીને અલ્લાહ પાસે જઈએ તો વધુ સારૂં. પણ આપના પગમાં તકલીફ છે અને આ આપનો પગ......." એમ કહી તે થોડો વિચાર કરવા લાગ્યો. પછી વચલો રસ્તો કાઢતાં કહ્યું,“બીબીજી યે લિફાફે કો આપ આપકે બૂટ કે આસપાસ લગા દો. ઉસકે બાદ આપ મસ્જિદ મેં જાયેગી તો આપકી ઔર હમારી દોનોં કી બાત રહ જાયેગી.મારે બૂટ પણ ન કાઢવા પડે અને અલ્લાહના ઘરમાં તેની આમાન્યા જળવાય તેવો ઉપાય તેણે બતાવ્યો હતો. અમે એ રીતે અંદર પ્રવેશ્યાં ત્યારે કોર્ટયાર્ડમાં અનેક કબૂતરો અમારું સ્વાગત કરતાં હોય એમ ઊડી રહ્યાં હતા.
મસ્જિદનો દરવાજો ઘણો જ મોટો અને ઊંચો છે. વિશાળ દરવાજાના સ્તંભ પર બે છત્રીઓ છે. બહારની તરફની આખી ઇમારતનો રંગ લાલ અને કથ્થાઇ છે.
કોર્ટયાર્ડમાં વિશાળ કાર્પેટ બિછાવવામાં આવેલી છે, જેથી મસ્જિદના મુખ્ય ભાગમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં ભીના પગ કોરા થઈ જાય. મસ્જિદના વિશાળ કોર્ટયાર્ડની બહારની બાજુની દિવાલોને અડીને અનેક વસાહતો ઊભી છે. મસ્જિદની ડાબી અને જમણી બાજુ ૧૦૦ ફૂટ ઊંચા મિનારાઓ ઊભા છે, જેના પર આછા વાદળી, ઘેરો બ્લૂ , લાલ, લીલા અને પીળા રંગની ગૂંથણીઓરૂપી ડિઝાઇન છે. કહેવાય છે કે જ્યારે વઝીરખાને મસ્જિદ બનાવી ત્યારે આ ગૂંથણીના અમુક ભાગમાં રત્નો (gemstones) લગાવડાવેલાં,જે બ્રિટિશ રાજ દરમ્યાન ચોરાઇ ગયાં અને તેની જગ્યાએ માર્બલમાં બનેલી ગૂંથણી અને રંગો આવી ગયાં. મોટાભાગની આ મસ્જિદમાં સુંદર રીતે કરેલું ટાઇલ વર્ક છે, જે આ મસ્જિદની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. આ ટાઇલ્સ વર્કમાં ખાસ કરીને પીળો, ઘાટો બ્લૂ, અને કથ્થાઇ રંગને ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. દરવાજાના ગુંબજની દિવાલોમાં કરેલી ગૂંથણીમાં ફળોથી ઝૂલી રહેલા વૃક્ષો છે જેમાં કેસરી, લીલા અને પીળા રંગનું પ્રાધાન્ય જણાય છે. ગુંબજની ઉપર તરફ ગેલેરી પણ છે, પરંતુ બિસ્માર હાલતમાં હોવાથી ત્યાં જવાની પરવાનગી અપાતી નથી. મુખ્ય નમાઝખાનાની ગુંબજની દિવાલો પર 3D ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર છે કે તેનાથી આખો ખંડ સુશોભિત થઈ જાય છે.
અમે મુખ્ય નમાઝ ખંડમાં પહોંચ્યાં, ત્યારે એક માણસ ત્યાં નમાઝ પઢી રહ્યો હતો. અલ્લાહ પાસે દુઆ માંગવામાં તેને પરેશાની ન થાય તે હેતુથી અમે જરાપણ વાતચીત કર્યા વગર મસ્જિદ જોઈ રહ્યા હતા. પરંતુ થોડીવારમાં જ તે ઊભો થયો અને બહાર ચાલ્યો ગયો. અમને લાગ્યું કે તેની નમાઝ પૂરી થઈ ગઈ છે. અમે મસ્જિદ જોવાનું ચાલુ જ રાખ્યું. મસ્જિદના પ્રત્યેક ખૂણાને મન ભરીને જોયા પછી અમે પાછા કોર્ટયાર્ડ તરફ આવ્યા.
કોર્ટયાર્ડનું આકાશ કબૂતરોથી છવાયેલું હતું. તડકાનું સામ્રાજ્ય વધી ગયેલું હતું. ગરમીનો પારો ઉપર ચઢી ગયેલો હતો અને બપોરની નમાઝનો સમય થવા આવ્યો હતો. અમે વઝીરશાહ મસ્જિદ જોયા પછી લાહોરનાં બીજાં સ્થળો જોવા માટે ઉત્સુક હતાં.
મસ્જિદમાંથી બહાર આવતાં જોયું કે ગલી એકદમ સાંકડી હતી, પરંતુ ચોક પહોળો હતો અને આસપાસની ઇમારતો એકદમ જૂની હતી. એ ગલીના એક છેડે યુવાનો અને બાળકો ક્રિકેટ ખેલી રહ્યા હતા. તો બીજી તરફ ખૂણામાં થોડા યુવાનો ટોળે વળી રહ્યા હતા. તેમની વાતચીતનો અવાજ ખાસ્સો મોટો હોઈ મારું ધ્યાન તેમના તરફ ખેંચાયું પહેલી નજરે લાગ્યું કે ક્રિકેટ માટે જ કોઈ બોલચાલ ચાલી રહી હતી. પણ તેમના ચહેરા પરના હાવભાવ કંઈક બીજું કહી રહ્યા હતા. તેમના અવાજમાં ગુસ્સો અને ઉગ્રતા જણાતાં હતાં. ટોળામાંના એક માણસને હું ઓળખી ગઈ. અમે મસ્જિદમાં ફરતાં હતાં ત્યારે એ નમાઝ પઢી રહ્યો હતો. એ માણસ લોકોને કંઈક કહી રહ્યો હતો અને તેના કહેવાથી ટોળામાં રહેલા લોકો વધુ ને વધુ ગુસ્સામાં આવી રહ્યા જણાતા હતા. જો કે, ખરેખર એ ટોળામાં શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ નહોતો આવતો. એટલામાં અંદરથી પેલા ચોકીદાર બહાર આવ્યા અને ટોળા આગળ જઈને કશુંક કહ્યું. એ પછી ચોકીદાર અંદર જઇને અમારા સ્થાનિક મિત્ર સાથે વાત કરવા લાગ્યા. થોડી ક્ષણો વીતે ત્યાં જ અંદરથી મારા પતિ દોડતા બહાર આવ્યા અને કહે,“ચાલ જલ્દીથી. અહીંથી નીકળી જવું છે.
મેં નવાઈથી કહ્યું,“એમ જલ્દી કેવી રીતે કરાય? તમે જરા ધીરેથી ચાલો. આપણું ગૃપ પણ પાછળ છે.પણ એ કહે,“હમણાં તું એમની ચિંતા ન કર. એ લોકો પોતાની જાતે આવી જશે. પણ આપણે અહીંથી બને તેટલા ઝડપથી નીકળી જવાનું છે.તેમની ઉતાવળ જોઈને મને આશ્ચર્ય થતું હતું,  પણ હું તેમની જેમ ઝડપથી ચાલી શકું એમ ન હતી. તેથી મેં હળવાશથી કહ્યું,“અરે! જરા આરામથી ચાલો. તમારી ઝડપથી હું ચાલી શકું એમ નથી.તેમણે કહ્યું,“તારો પગ ભલે દુઃખે,  તું કારમાં બેસીને પછી પગને આરામ આપજે. પણ અહીંથી આપણે એક વાર બને તેટલી ઝડપથી નીકળી જવાનું છે. આ લાહોરનો જૂનો અને રૂઢિચુસ્ત વિસ્તાર છે,અને હવે નમાઝનો સમય થવા આવ્યો છે. માટે આપણે બને તેટલી જલ્દી આ વિસ્તારની બહાર નીકળી જઈએ.હજીય મને તેમની ઉતાવળ સમજાતી નહોતી. મેં કહ્યું,“આપણને ખબર જ છે ને કે આ વિસ્તાર એવો છે.પણ મારા પતિ કંઇ જ સાંભળવા માંગતા જ ન હતા. મને તેમનું વર્તન સમજાતું નહોતું. અમે બને તેટલી ઝડપથી આ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળી ગયા.
બહાર નીકળી ગયા પછી મારા પતિને હાશ થઈ. આખો મામલો મને પછી ખબર પડી. થયેલું એવું કે અમે મસ્જિદમાં ગયાં ત્યારે જે માણસ અંદર નમાઝ પઢી રહ્યો હતો તેને અમારું આવવું ગમ્યું ન હતું. બહાર નીકળીને ચોકમાં જઈને તેણે દેકારો મચાવ્યો અને પોતાના જેવા લોકોને એકઠા કરી દીધા. તેમના મનમાં કદાચ અમારું શું કરવું એ નક્કી હશે, પણ અમારા સ્થાનિક મિત્રને આ વાતની અણસાર આવી ગયો. એમણે અમને બને તેટલા ઝડપથી નીકળી અહીંથી બહાર નીકળી જવા માટે મારા પતિને કહ્યું. એ મિત્રે પેલા માણસને અને એકઠા થયેલા ટોળાને થોડા રૂપિયા ધરેલા અને તેમનું મોં બંધ કરાવેલું. (આ લખતી વખતે વિચારું છું કે અમે વધુ સમય ત્યાં રહ્યાં હોત તો કદાચ અમારું રામનામ સત્ય હૈ થઈ ગયું હોત.)
આ સાંભળીને મને કટાસરાજમાં થયેલો આવો જ અનુભવ યાદ આવી ગયો. મને આશ્ચર્ય થયું કે એક તરફ પાકિસ્તાન સરકાર અહીં પર્યટકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ સ્થાનિક લોકો સરકારના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી રહ્યા છે. પાકિસ્તાનની આ તાસીર પણ અમને જોવા- અનુભવવા મળી. આ પણ એક યાદગાર અનુભવ હતો.
અતિ સુંદર એવી વઝીરખાન મસ્જિદને પાછળ મૂકીને અમારી કાર નાની મોટી ગલીઓમાંથી પસાર થતી થતી બાદશાહી મસ્જિદ તરફ જઈ રહી હતી. બપોરનો લગભગ દોઢ વાગવા આવેલો અને ગરમી પણ ખાસ્સી હતી. ગરમીમાં રાહત મેળવવા માટે અમે એક ફાલૂદા કેફેની નાનકડી મુલાકાત લીધી. જાણવા મળ્યું કે આ કેફે ઈ.સ.૧૯૦૦માં શરૂ થયેલી. એ પછી અમે બાદશાહી મસ્જિદ તરફ આગળ વધ્યા.
બાદશાહી મસ્જિદ/Badshahi Mosque મોગલ બાદશાહ ઔરંગઝેબે બનાવેલી. ઈ.સ.૧૬૭૧માં તેનું બાંધકામ શરૂ થયેલું, જે ૧૬૭૩માં પૂરું થયેલું. આ મસ્જિદ પાકિસ્તાનની તેમજ સાઉથ એશિયાની બીજા નંબરની મસ્જિદ છે. અહીં એક સાથે ૫0,૦૦૦ માણસો બેસીને નમાઝ પઢી શકે છે. આ મસ્જિદ પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદનું બાંધકામ ચાલુ થયું ત્યારે રાવી નદીનો એક પ્રવાહ અહીંથી પસાર થતો હતો, જે આજે લગભગ લુપ્ત થઈ ગયો છે.

બાદશાહી મસ્જિદ 
ઈ.સ.૧૯૮૬ સુધી આ મસ્જિદ પાકિસ્તાનની સૌથી મોટી મસ્જિદ હોવાનું બહુમાન ધરાવતી હતી, જે હવે ઇસ્લામાબાદની ફૈઝલ મસ્જિદ ધરાવે છે. આ મસ્જિદના સંકુલમાં બીજી ચાર ઇમારતો આવેલી છે.મસ્જિદની સામે અને મુખ્ય દ્વારમાંથી પ્રવેશતાં ડાબી બાજુએ લાહોર ફોર્ટ આવેલો છે. લાહોર ફોર્ટ અને બાદશાહી મસ્જિદની વચ્ચે પાકિસ્તાની કવિ ઇકબાલની કબર આવેલી છે. લાહોર ફોર્ટની જમણી બાજુ શીખોનું ગુરુદ્વારા છે. શીખ મહારાજા રણજીતસિંઘે લાહોરનો કબ્જો ૧૭૯૯માં કરેલો. આ ઇમારતનું કોર્ટયાર્ડ સૌથી વિશાળ હોવાને કારણે તેમણે આ ઇમારતનો ઉપયોગ મિલીટરી બેઝ તરીકે કર્યો હતો. આ વિશાળ કોર્ટયાર્ડમાં શીખ સૈન્યના ઘોડા બાંધવામાં આવતા. તે વખતે આ મસ્જિદને થોડા ઘણા અંશે નુકશાન પહોંચેલું.

જો કે, બ્રિટિશરોએ લાહોરનો કબ્જો પોતાને હસ્તક લીધો એ પછી થયેલું નુકસાન અનેકગણું વધારે હતું.
ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યા પછી બ્રિટિશરોએ લાહોર પર પણ કબ્જો કર્યો હતો. શીખોની જેમ તેમણે પણ આ વિશાળ ઇમારતનો મિલીટરી બેઝ તરીકે ઉપયોગ કરેલો અને ખાસ્સું નુકસાન પહોંચાડેલું. પરંતુ મુસ્લિમ ધર્મની પવિત્ર ઇમારત તરીકે બ્રિટિશરોએ તેની જાળવણી ન કરતાં લાહોરના મુસ્લિમો ઘણા જ ક્રોધિત થયેલા. આને કારણે બ્રિટિશરો અને ત્યાં રહેતી આમ મુસ્લિમ પ્રજા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો. આખરે બ્રિટિશ સરકારે આ ઇમારતનું સમારકામ ચાલુ કર્યું હતું.
લાહોર ફોર્ટ 
પાકિસ્તાની સરકારે હાલમાં આ મસ્જિદને રોજીંદી નમાઝ માટે તેમજ પ્રવાસીઓ માટે ખુલ્લી રાખી છે. અહીં નમાઝરૂમને સાત ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને આખા નમાઝરૂમમાં આરસ તેમજ  રેડ સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આરસ ઈરાનથી મંગાવવામાં આવેલો અને રેડ સેન્ડ સ્ટોન જયપુરથી મંગાવવામાં આવેલો. અહીં અનેક કમાન્ડો અને પોલીસો ફરજ પર તૈનાત જોવા મળ્યા. બાદશાહી મસ્જિદ જોયા પછી લાહોર ફોર્ટ અને શીખ ગુરુદ્વારા જોવાની મારી ઈચ્છા અધૂરી જ રહી કારણ કે મસ્જિદ જોતાં જોતાં જ મારા પગ જવાબ દઈ રહ્યા હતા. ઉપરાંત અમારે પાછું ઇસ્લામાબાદ પહોંચવાનો પણ સમય થઈ ચૂક્યો હતો.
લાહોરથી ફક્ત ચાર કલાકના અંતરે આવેલા હરિપુર હરપ્પાની મુલાકાત લેવાનો વિચાર આવ્યો,  પણ સમયના અભાવને કારણે તેમજ મારા પગની તકલીફને લઈને એ પડતું મૂકવું પડેલું. યુ એસ એ થી નીકળી ત્યારે મારા પગની કહાણી પણ આટલી લાંબી થઈ જશે તેનો ખ્યાલ ન હતો. છતાં આ અનોખા પ્રવાસને મેં માણ્યો હતો.

વો સુબહા કભી તો આયેગી 

લાહોર અને ઇસ્લામાબાદમાં ફર્યા પછી એ વિચાર પણ આવ્યો કે હું પાકિસ્તાન ન આવી હોત તો સિંધની આ સંસ્કૃતિને જાણવાનો મોકો મને ન મળ્યો હોત. જો કે, એક બાબતે અફસોસ થયો કે આજે પણ ભારતમાં કેટલાય ધર્મો એક સાથે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે પાકિસ્તાનમાં એક પણ હિન્દુ ધર્મસ્થાન એવું જોવા મળ્યું નથી જે પોતાની રીતે સ્વતંત્ર હોય. થોડા સમય પહેલાં સમાચાર વાંચવામાં આવેલા કે હજુ પણ ત્યાં રહેતા હિન્દુ લોકો માટે સ્મશાનની વ્યવસ્થા નથી તેથી તેઓને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર મુસ્લિમોની જેમ જ શબ દાટીને કરવા પડે છે. ક્યારેક એવું પણ બને છે કે સામાન્ય પ્રજામાં સહેલાઇથી ભળી જવાના આશયે અને પોતાની સલામતીના અર્થે પણ હિન્દુ લોકો બદલાઈ જાય છે. જે દેશની ધરતી પર રહીએ ત્યાંના રંગે રંગાવામાં કશું ખોટું નથી. પણ બીજી રીતે જોઈએ તો આપણા દેશમાં હિન્દુઓ સિવાયના અન્ય ધર્મોનો સહજપણે સ્વીકાર થયેલો છે એવું પાકિસ્તાનમાં થયું હોય એમ લાગ્યું નહીં. જો કે, પાકિસ્તાન સરકાર હિન્દુ ધર્મસ્થળો અને જૂની હિન્દુ સંસ્કૃતિ ધરાવતા સ્થળોને નવજીવન આપવા માટે પૂરો પ્રયત્ન કરી રહી છે અને થોડાઘણા અંશે તેમાં સફળતા મળી છે તે ખુશીની વાત છે. આશા રાખીએ કે હિન્દુ સંસ્કૃતિ માટે પાકિસ્તાનમાં આવતીકાલની સવાર કદાચ થોડી વધુ સારી અને સુરક્ષિત હશે.
આમ પાકિસ્તાનનો આ પ્રવાસ મારે માટે અતિ વિસ્મરણીય રહ્યો હતો, છતાં આ દેશને વધુ ને વધુ જોવાની, સમજવાની અને બાકી રહી ગયેલી સિંધ સંસ્કૃતિ તથા ગુરૂ ચાણક્યની તક્ષશિલાના ભગ્ન અવશેષો જોવાની મહેચ્છા જાગી ઉઠી હતી. મનમાં એ જ આશા સાથે પાછાં ફર્યાં કે નીકળી કે ફરી એકવાર આ દેશની ધરતીને નજીકથી જોવા મળી જાય. હજી હમણાં સુધી વર્તમાન હતી એ ક્ષણો હવે ભૂતકાળનું પાનું બની ગઈ હતી અને તે ભવિષ્ય બનશે કે નહીં એનો વિચાર કરતાં હું મારા પતિ સાથે એરપોર્ટ તરફ આગળ વધી ગઈ.


(સંપૂર્ણ)