Showing posts with label વિદ્યાનાથ સેઠ. Show all posts
Showing posts with label વિદ્યાનાથ સેઠ. Show all posts

Saturday, June 18, 2022

વો હમેં તડપા રહે હૈં

ત્રીસી, ચાલીસી અને પચાસના દાયકામાં બિનફિલ્મી ગીતોનું આગવું મહત્ત્વ હતું. ફિલ્મો માટે ગાતા ગાયકો પણ બિનફિલ્મી ગીતો ગાતાં. હેમંતકુમાર, મન્નાડે, રફી, ચીતલકર જેવા ગાયકોનાં ફિલ્મી ઉપરાંત બિનફિલ્મી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. તો જગમોહન 'સૂરસાગર', જ્યુથિકા રોય જેવા ગાયકોની મુખ્ય લોકપ્રિયતા તેમનાં બિનફિલ્મી ગીતોને કારણે હતી.

બિનફિલ્મી ગીતો ગાનાર આવા જ એક ગાયક હતા વિદ્યાનાથ શેઠ, જે 'વી.એન.સેઠ' તરીકે પ્રસિદ્ધ હતા. મુખ્યત્વે પંજાબી ગીતો માટે જાણીતા વી.એન.સેઠે હિન્દી-ઉર્દૂની કેટલીક યાદગાર ગઝલો અને ગીતો ગાયાં છે.

'વો હમેં તડપા રહે હૈં ક્યા કરેં', 'ચદરીયા ઝીની રે ઝીની', 'આતા હૈ જબ બહાર પે મૌસમ શબાબ કા', 'સજની, ક્યું પ્યાર જગાયા થા', 'મૈં લગી દીલ કી બુઝા લૂં તો ચલે જાઈયેગા', 'આંખોં કો અશ્કબાર કિયે જા રહા હૂં મૈં' જેવાં અનેક ગીતો થકી તેમનો અવાજ સંગીતપ્રેમીઓના દિલમાં ગૂંજતો રહ્યો છે.
'રુપ રેખા' (૧૯૪૮)માં તેમણે પાંચ ગીતો પણ ગાયાં હતાં, જેમાંનાં અમુક તેમણે પોતે સ્વરબદ્ધ કર્યાં હતાં, તો અમુક સંગીતકાર રવિ રાય ચૌધરી તથા પં. અમરનાથે.
સંગીતપ્રેમીઓ માટે તદ્દન ગુમનામીમાં જીવતા આ ગાયકનો પત્તો કાનપુરના હરમંદીરસીંઘ 'હમરાઝે' 2011-12ની આસપાસ મેળવ્યો હતો, અને તેમની વિસ્તૃત મુલાકાત પોતાના ત્રિમાસિક 'લીસ્નર્સ બુલેટીન'માં પ્રકાશિત કરી હતી.
૧૮ જૂન, ૨૦૧૫ના રોજ તેમનું અવસાન દિલ્હી ખાતે, ૧૦૦ વર્ષની પાકટ વયે થયું. ટેકનોલોજી યુગની કમાલ એ છે કે જે ગાયકનાં ગીતો અતિ દુર્લભ મનાતા હતા, એમાંનાં ઘણા ગીતો આજે સહેલાઈથી યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
તેમનું અતિ જાણીતું ગીત 'મન ફુલા ફુલા ફિરે જગત મેં' સાંભળીને તેમની સ્મૃતિને તાજી કરીએ.

(નોંધ: આ પોસ્ટમાં લાલ અક્ષરઅ લખાણ પર ક્લીક કરવાથી એ ગીત સાંભળી શકાશે.