‘જો હું વડાપ્રધાન હોઉં તો?’ જેવા વિષય પરના નિબંધ શાળામાં પૂછાય ત્યારે મૌલિક રીતે એ લખાય એવી આપણી સમજણ હોતી નથી, ને એવી સમજણ આવે ત્યારે લખવાનો મોકો જતો રહ્યો હોય છે. આ વિષય પર મારે હવે નિબંધ લખવાનો હોય તો મારો મુખ્ય મુદ્દો આ લખું.: “દરેક ગામ, નગર કે શહેરમાં જન્મ અને મરણની નોંધણી ફરજિયાત અને વિકેન્દ્રીત ધોરણે છે એ યોગ્ય છે, પણ હું વડાપ્રધાન હોઉં તો એવી જોગવાઈ કરું કે ફિલ્મક્ષેત્ર સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિનું જન્મ કે મરણ થાય તો એની નોંધણીની કેન્દ્રીય વ્યવસ્થા ગોઠવાય. અને એ વ્યવસ્થા બીજે ક્યાંય નહીં, પણ આપણા ગુજરાતના જ સુરત શહેરમાં ઉભી કરવામાં આવે. ફોન નંબર છે 93747 12322 (મો.) કે (0261) 222 5561.”
આ નંબરો નથી કોઈ સરકારી કચેરીના કે નથી એન.જી.ઓ.ના. બલ્કે ફિલ્મોમાં જીવંત રસ ધરાવતા, ફિલ્મના માધ્યમ સાથે સાચી અને પાયાની નિસ્બત ધરાવતા એક શોખીન સંશોધકના છે. એમનું નામ? મારા જેવા અનેક લોકો માટે સુરતની ઓળખ ત્યાંની ગાળ, ઘારી કે પોંક નહીં, પણ હરીશ રઘુવંશી છે. ફિલ્મસંગીત સાંભળવાના શોખની ચિનગારીમાંથી તેમણે પ્રગટાવેલા સંશોધનના મહાયજ્ઞની પ્રસાદીએ અનેક સંગીતરસિકોને ન્યાલ કર્યા છે.
હરીશભાઈએ કરેલાં ફિલ્મને લગતાં સંશોધનોની અને નક્કર પ્રદાનની વાત અગાઉ ‘અહા!જિંદગી’માં વિગતે લખી ચૂક્યો છું અને આ બ્લોગ પર પણ લખવાનો ઈરાદો છે. પણ આજે લખવું છે એમના વ્યક્તિત્વ તેમજ કાર્યપદ્ધતિ વિષે. તેમની સાથે વીસેક વરસ પહેલાં એક ચાહક લેખે થયેલો સંપર્ક, તેમાંથી પાંગરેલો પરિચય,પછી વિકસેલી મૈત્રી અને છેલ્લા ચારેક વરસમાં ઘનિષ્ટ પરિચય. આ બધાનો સરવાળો એટલે આજની પોસ્ટ.
**** **** ****
‘તપસ્વી’ શબ્દ કાને પડતાં જ આપણી સમક્ષ ‘અમર ચિત્ર કથા’માં ક્યાંક જોયેલું છાયાચિત્ર ઉપસી આવે. કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં પદ્માસન મુદ્રામાં બેઠેલા તપસ્વી, આસપાસ ફરતાં હરણાં, ઉગતો કે આથમતો સૂરજ વગેરે... અત્યારે વિચારતાં લાગે કે જંગલમાં જઈને તપ કરવાની રીત તો સહેલી છે. કેમ કે ત્યાં બધી અનૂકુળતા છે. મુશ્કેલ છે સંસારમાં રહીને તપ કરવાનું. અને એય પરમાર્થે.
આપણે ત્યાં અમસ્તુંય ફિલ્મના માધ્યમને ખાસ ગંભીરતાથી ઓછું લેવાય છે. એમાં થઈ થઈને શો અને કેવો અભ્યાસ થઈ શકે? અને એવો અભ્યાસ થાય તો એ શા કામનો? એનાથી શો ફાયદો? આવા સવાલો તો ફિલ્મના ઘરેડ શોખીનનેય પહેલી વાર થાય, તો બાકીનાને ન થાય એ જ નવાઈ કહેવાય. પણ હરીશભાઈનું કામ જેણે જોયું હોય, કામની પદ્ધતિથી પરિચીત હોય એ જાણે છે કે આની ગંભીરતા એમના મનમાં કેવીક છે! એમને મળીએ કે અનેક ઠેકાણે લખાયેલા એમના પરિચયમાં તસવીર જોઈએ ત્યારે એક ગંભીર વ્યક્તિ હોવાની પહેલી છાપ મનમાં પડે. એ માત્ર ગંભીર જ નહીં, અમારા સૌ મિત્રોના મતે દુરારાધ્ય પણ ખરા- ઝટ રીઝે નહીં એવા. એ કોઈ વસ્તુ માટે ‘બરાબર છે’નો અભિપ્રાય આપે તોય મોટું સર્ટિફીકેટ ગણાય.
એમની સાથે પહેલવહેલી મુલાકાત હિંદી ફિલ્મ ગીતકોશના સમારંભમાં લગભગ ૧૯૯૧માં થયેલી, બલ્કે અમે સામે ચાલીને કરેલી- કેવળ એક ચાહક લેખે. ત્યારે તો હું કે ઉર્વીશ કોઈ જ લેખનક્ષેત્ર સાથે સંકળાયેલા નહોતા, એટલે એમના મનમાં અમારી નોંધણી થઈ હશે કે કેમ એય શંકા હતી, પણ અમને એની ચિંતા નહોતી. એ પછી ૧૯૯૫માં ઉર્વીશને પત્રકારત્વમાં આવવાનું બન્યું. ત્યાં સુધીમાં જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રવાહોથી અમે ઘણા માહિતગાર થઈ ગયેલા. રજનીકુમાર પંડ્યા સાથે પરિચયનો પાયો એક વાચક લેખે નંખાયેલો, પણ એની પર ઈમારત ચણાઈ જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રેમને કારણે. આ પ્રક્રિયામાં પહેલાં ઉર્વીશનો પરિચય હરીશભાઈ સાથે વિકસ્યો, વિકસતો ગયો.
ફિલ્મ વિષે કોઈક લખી શકે એમ છે અથવા તો કોઈને એના વિષે લખવામાં રસ છે, એની જાણ થાય એટલે હરીશભાઈ સામે ચાલીને મદદ કરવાની તત્પરતા દાખવે. પહેલાં તો સૂચન કરે, આંગળી ચીંધે, અને પોતાની પાસેની વરસોથી સંઘરાયેલી માહિતી દેખાડે અને આપે પણ ખરા. એમની પાસેની અધધ સામગ્રી જોઈને ભલભલા વાલ્મિકીને પાછા વાલિયો લૂંટારો બનવાનું મન થઈ જાય. ફિલ્મ વિષે શ્રેણી લખતા એક જાણીતા લેખક વાલ્મિકી બનીને એમની પાસે આવ્યા, એમની પાસેની ઢગલો સામગ્રી લઈ ગયા, ને વાલિયો બની ગયા. હરીશભાઈએ એ વખતે એમની બ્રાન્ડ હ્યુમરની શૈલીમાં કહેલું, “ (એ બિચારા લેખક પાસે આટલી સામગ્રી પાછી મોકલવા માટે) કુરીયરના પૈસા હોવા જોઈએ ને!”
હરીશભાઈ અને હ્યુમર? એમને દૂરથી ઓળખનારને કદાચ આ બન્ને બાબતો વિરોધાભાસી લાગે. પણ એમની હ્યુમર બહુ વિશિષ્ટ- કોઈ ખાનામાં ગોઠવવી હોય તો ‘ડાર્ક હ્યુમર’ના ખાનામાં ગોઠવી શકાય. સમજાય તો આરપાર નીકળી જાય. ને મોટે ભાગે જેની પર અજમાયશ થઈ હોય એના સિવાય બધાને સમજાય. એક જ દાખલો પૂરતો થઈ પડશે.
![]() |
| (ડાબેથી) હમરાઝ, હરીશભાઈ, મુકેશચન્દ્ર મહેતા, સલીલ દલાલ |
થોડા સમય અગાઉ સંગીતકાર શ્યામસુંદરનાં ગીતોનું આલ્બમ એચ.એમ.વી.એ બહાર પાડેલું. એના જેકેટ પર ભૂલમાં સંગીતકાર શ્યામસુંદરને બદલે અભિનેતા શ્યામનો ફોટો છપાઈ ગયો. એક વરિષ્ઠ સંગીતપ્રેમીએ આ બાબતે હરીશભાઈને ફરીયાદ કરી, કેમ જાણે સંગીતના ક્ષેત્રમાં કશું ખોટું થાય એની નૈતિક જવાબદારી હરીશભાઈની ન હોય ! આનો શું જવાબ આપવાનો? પણ હરીશભાઈએ આપ્યો. એમણે ઠંડકથી કહ્યું, “તમને ખબર છે? હવે શ્યામસુંદરના આલ્બમનો બીજો ભાગ બહાર પડવાનો છે. આ વખતે એના જેકેટ પર એ લોકો (હાસ્ય અભિનેતા) સુંદરનો ફોટો મૂકવાના છે. (તમે એ વસાવી લેજો, એટલે શ્યામસુંદરનો ફોટો બની જશે.)” એમની મુખમુદ્રા અને બોલવાની શૈલી જોઈને સામેવાળાને અંદાજ જ ન આવે કે આ ગમ્મત છે.
બીજી વાત જરા જુદા પ્રકારની છે.
એક વખત રજનીભાઈએ તેમની ‘જન્મભૂમિ પ્રવાસી’ની કોલમ ‘શબ્દવેધ’માં હરીશભાઈના ‘મુકેશ ગીત કોશ’ વિષે લેખ લખ્યો. લેખના અંતે એમણે હરીશભાઈનું આખું સરનામું લખ્યું. એ અગાઉ સમાપન કરતાં એમણે લખેલું કે ઓછાબોલા હરીશભાઈ લો પ્રોફાઈલમાં રહે છે. આ લેખ વાંચીને એક વાચકનો હરીશભાઈ પર પત્ર આવ્યો. એ પત્રના સરનામામાં લખેલું, “શ્રી હરીશ રઘુવંશી, લો પ્રોફાઈલ, વિઝન હાઉસ, પૂતળી સામે, સગરામપુરા, સુરત- ૨. ” બીજું બધું તો બરાબર હતું, પણ ‘લો પ્રોફાઈલ’ શું? હરીશભાઈએ લેખમાંનું વાક્ય ફરી વાંચ્યું ત્યારે રહસ્ય ખૂલ્યું. આ વાત પહેલી વાર સાંભળીને ભયાનક હસવું આવેલું. એ પછી તો કોઈ પણ ‘લો પ્રોફાઈલ’ વ્યક્તિ વિષે વાત થાય એટલે અમારે એટલું જ કહેવાનું, “એ તમારા એરીયામાં રહે છે.” જવાબમાં એ ગંભીરતાથી કહે, “હવે મારા એરીયામાં ભીડ વધવા લાગી છે.”
ઉર્વીશ પત્રકારત્વમાં આવ્યો એ પછી હરીશભાઈ એને ફિલ્મવિષયક અનેક વિષયો કે વ્યક્તિઓ સૂચવતા. એ વખતે તો ઈ-મેલ નહોતા,
![]() |
| રવાના: હરીશ રઘુવંશી, સુરત |
પણ પોસ્ટકાર્ડનો એ ભરપૂર ઉપયોગ કરતા. અઠવાડિયે એક પોસ્ટકાર્ડ વિગતોથી ઠાંસોઠાંસ આવ્યું જ હોય. એમની ખાસિયત એ કે એમણે પોતે કંઈક પૂછાવવું હોય તો સાથે સરનામાવાળું રીપ્લાય પોસ્ટકાર્ડ અચૂક હોય જ. પણ પત્રવ્યવહાર અંગેની એમની એક ચીવટ તો બેજોડ છે ! જેની સાથે એમને થોકબંધ પત્રવ્યવહાર થતો હોય એના નામ-સરનામાનો રબર સ્ટેમ્પ અને પછી એડ્રેસ સ્ટીકર હરીશભાઈ પોતે જ બનાવડાવી લે.
![]() |
| મૌલિક ચોકસાઈ |
અન્યોને મદદરૂપ થવા માટે તત્પર હરીશભાઈએ પોતે લખવાનું હોય તો?
એ નક્કર માહિતીના માણસ. એમના લેખોમાં લેખકની સ્ટાઈલબાજી જોવા ન મળે. પણ અજાણી, ઓછી જાણીતી સંબંધિત આંકડાની સાથે એવી રીતે પીરસી હોય કે જે તે વ્યક્તિના પ્રદાન અંગે એક નવી જ દૃષ્ટિ આપણી સમક્ષ ખૂલે. એમની પદ્ધતિ સીધીસાદી. લેખ હોય કે ફિલ્મોગ્રાફી- જે વ્યક્તિ વિષેની વાત હોય એના જીવનના આરંભથી લઈને સમગ્ર કારકિર્દીની વાત તબક્કાવાર આવવી જોઈએ. ઘણી વાર તો એમની આંકડાકીય માહિતી એવાં રહસ્યો ખોલે કે દંગ રહી જવાય. (જેમ કે- અવિનાશ વ્યાસની હિંદી ફિલ્મોની સંખ્યા નૌશાદ કરતાં ત્રણ જ ફિલ્મ ઓછી અને રોશન તથા હેમંતકુમારની ફિલ્મોની સંખ્યા કરતાં વધારે છે.) આંકડાકીય માહિતીનું એમનું ધોરણ એવું કે એ તદ્દન નક્કર હોવી જોઈએ, અનુમાન કે યાદશક્તિ આધારિત નહીં. જે સ્રોતમાંથી એ મળી હોય, એના સિવાયના બે-ત્રણ સ્થાને એનો તાળો મળવો જોઈએ. શક્ય હોય તો જેના વિષે લખાયું હોય એ વ્યક્તિ ખુદ પણ આ માહિતીને બહાલી આપે તો સારું. આમ છતાં, એને આખરી નહીં ગણવાનું, પોતાની વિવેકબુદ્ધિ વાપરવાની. જેમ કે, કેમેરામેન પ્રવિણ ભટ્ટ વિષે લખવાનું હતું ત્યારે હરીશભાઈએ એમને ફોન પર વિગત પૂછી. પ્રવિણભાઈએ પોતાની ફિલ્મોનો જે આંકડો કહ્યો, એ હરીશભાઈને વિશ્વાસપાત્ર ન લાગ્યો. એમણે પોતે ફિલ્મોગ્રાફી તૈયાર કરીને જે આંકડો કહ્યો એમાં ઘણો ફરક હતો, પણ કોઈ જ ફિલ્મ બાકાત નહોતી.
ઉપરાંત કોઈ પણ ફિલ્મનું વરસ કૌંસમાં લખાય એવો એમનો આગ્રહ, પણ કેવળ (’૭૮) નહીં, (૧૯૭૮) તરીકે એ લખાવું જોઈએ. આનું કારણ? ભવિષ્યમાં કોઈ કશી માહિતી મેળવવા માંગે તો એને શી રીતે ખ્યાલ આવે કે વાત ૧૯૭૮ની છે કે ૨૦૭૮ની ? એ પૂરી ગંભીરતાથી બસો-પાંચસો વરસ પછીનું વિચારે. બાપ રે ! સારું છે કે કાનૂની રાહે લેખકો માટે આવી આચારસંહિતા અમલી થાય એવી શક્યતા નથી. એમ થાય તો કેટલા બધા લેખકોએ લખવામાંથી બાકાત થઈ જવું પડે.
![]() |
| (ડાબેથી) હરીશભાઈ, એ.એસ.કોહલી, અનીલ બિશ્વાસ, હમરાઝ |
આવી કડક, કઠોર અને કઠિન કાર્યશૈલી એમની આપકમાઈ છે. એમને આપણે સહજ રીતે કશી વિગત પૂછીએ તો પણ એ કશુંય ‘લગભગ’ કહે નહીં. ફોન પર ‘એક જ મિનીટ ચાલુ રાખો ને’ કહીને એક મિનીટથીય ઓછા સમયમાં ચોક્કસ જવાબ આપે. આવી ઝડપ અને ચોકસાઈને લઈને ઘણાના મનમાં એવી છાપ છે કે હરીશભાઈ પાસે અમુક તૈયાર પુસ્તકો છે, જેમાંથી જોઈને એ તમે માંગો એ માહિતી આપે છે.
કશીય અપેક્ષા વિના, ફિલ્મને લગતું કામ કરનારને સામે ચાલીને માહિતી આપવા સદાય તત્પર હોવાને કારણે એમનો ગેરલાભ પણ લેવાય. હરીશભાઈની મદદ વિના ફિલ્મવિષયક લેખનનું કોઈ કામ થયું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ હોવાનો પૂરો સંભવ. આમાં જરાય અતિશયોક્તિ નથી.
એમની મદદ લેનારમાંથી જૂજ લોકો એવા નીકળે કે એમના નામનો સૌજન્યસ્વીકાર કરે. બાકી તો નામોલ્લેખ સુદ્ધાં ટાળે. એમના ‘મુકેશ ગીતકોશ’ના થોડા વરસ પછી એક મહાશયે મુકેશ વિષે આવું જ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. હરીશભાઈના પુસ્તકમાંથી જ વિગતો લેવામાં આવી અને તેમના નામનો સૌજન્યસ્વીકાર ટાળવામાં આવ્યો. એટલું જ નહીં, ભારતભરમાં આ કામ પોતે જ સૌ કર્યું હોવાનો દાવો એમણે કરેલો. આવું બને ત્યારે હરીશભાઈ એમની લાક્ષણિક શૈલીમાં કહી દે, “એ તો સૂકા મગજનો માણસ છે. એની સાથે શું ઝઘડવું? ” કોઈ એમને માહિતી ન આપે ત્યારે પણ એમને ખીજ ચડે.
આની સામે પ્રમાણમાં ઓછા, છતાં સુખદ અપવાદ જેવા માણસો પણ મળતા રહે છે. વડોદરા આકાશવાણીના તત્કાલીન નિયામક અને કવિ યજ્ઞેશ દવેએ હિંદી ફિલ્મોના ગીતકારો પર આધારીત બોંત્તેર હપ્તાની અભૂતપૂર્વ શ્રેણી ‘ગીત તમારા હોઠો પર’નું નિર્માણ કર્યું. ગીતકારોને વિવિધ લેખકોમાં વહેંચી દેવાયેલા. પણ હરીશભાઈ સતત આ શ્રેણી વિષે અપડેટ રાખે. હવે કોના વિષેનો હપ્તો છે એ પ્રસ્તુતકર્તા અભિષેકને કે મને પૂછી લે અને સંબંધિત સામગ્રી મોકલી આપે. આ શ્રેણીના છેલ્લા હપ્તામાં લેખકોના ઈન્ટરવ્યૂનો ઉપક્રમ હતો. ત્યારે હરીશભાઈની પડદા પાછળની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં લઈને લેખકોની સાથોસાથ તેમનો પણ ઈન્ટરવ્યૂ લઈને તેમના પ્રદાનને બીરદાવાયું.
આ શ્રેણી સાથે સંકળાયેલો એક અન્ય કિસ્સો પણ હરીશભાઈની નિસ્બતનો ઉત્તમ નમૂનો છે. શ્રેણીના એક લેખક હતા સુરતના જ બકુલ ટેલર. અતિ વ્યસ્ત અને કામના બોજથી સતત દબાયેલા રહેતા બકુલભાઈના ફાળે ગીતકાર નક્શ લાયલપુરીનો હપ્તો લખવાનો આવેલો. હરીશભાઈને ક્યાં તકલીફ દેવી એમ વિચારીને બકુલભાઈએ જાતે જ નક્શસાહેબની ફિલ્મોગ્રાફી બનાવવાની ચેષ્ટા કરી. (પણ હરીશભાઇની મદદ વિના ફિલ્મોગ્રાફી શી રીતે પૂરી થઇ શકે?) હરીશભાઈ આ જાણીને લગભગ ગુસ્સે થઈ ગયેલા કે આટલા બધા બીઝી હોવા છતાં ફિલ્મોગ્રાફી બનાવવાનું વધારાનું કામ કરે છે તે મને નથી કહેવાતું?”
હરીશભાઈનો આવો ગુસ્સો પામવાય આત્મીયતા જોઈએ. નહીં તો એ જેને ‘સૂકા મગજના માણસ’ની શ્રેણીમાં મૂકી દે એની સાથે વિવાદ જ ટાળે.
બીજો એક કિસ્સો પણ નોંધપાત્ર છે. પોતાની કોલમમાં હરીશભાઈએ લેખક-દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર વિષે વિસ્તૃત લેખ લખેલો. વિગતો માટે ઠાકુરસાહેબના પરિવારજનો પાસે મિત્ર અજિંક્ય સંપટને પ્રશ્નો સહિત મોકલેલો. લેખ છપાયા પછી અજિંક્ય એ દિવસનું છાપું પણ પહોંચાડી આવ્યો. યોગાનુયોગે એ સપ્તાહે જ ઠાકુરસાહેબની પુણ્યતિથી આવતી હતી. ઠાકુરસાહેબની પુણ્યતિથી નિમિત્તે એમનાં કુટુંબીજનોએ પ્રસિદ્ધ કરેલી અખબારી જાહેરખબરમાં એમણે હરીશભાઈનો નામોલ્લેખ કરીને સૌજન્ય દાખવ્યું હતું.
હરીશભાઈને સૌથી વધુ આનંદ કલાકારોની ફિલ્મોગ્રાફી તૈયાર કરવામાં આવે. આ ફિલ્મોગ્રાફી એવી અધિકૃત કે વીતેલા જમાનાના વિખ્યાત કવિ-ગાયક પ્રદીપ, અભિનેતા ચંદ્રશેખર જેવા પોતાને લગતી માહિતી માટે પણ તેનો જ આધાર લેતા. તો નવા જમાનાના ગુલશન ગ્રોવર કે જહોની લીવરે સામે ચાલીને હરીશભાઈ પાસે પોતાની ફિલ્મોગ્રાફી તૈયાર કરાવડાવેલી. ફિલ્મોગ્રાફી વિષેના એમના પ્રેમને લઈને કોઈ પણ વ્યક્તિ વિષેના લેખમાં એની જન્મતારીખ, અવસાનતારીખ અને જન્મસ્થળ જાણવા ન મળે તો એ નારાજ થઈ જાય, અને નારાજગી વ્યક્ત પણ કરે. તેમ એ વિગત જાણવા મળે તો એ રાજી થઈ જાય. ખ્યાતનામ ગીતકાર કમર જલાલાબાદીની વેબસાઈટ એમની દીકરી સુભાષિની શિવપુરીએ તૈયાર કરી છે. (જેની લીન્ક આ બ્લોગની જમણી બાજુએ છે.) હરીશભાઈએ જોયું તો એમાં કમરસાહેબની જન્મતારીખ ખોટી લખાઈ હતી. એમણે સુભાષિનીનું ધ્યાન દોર્યું. પિતાજીની સાચી જન્મતારીખ એના સંતાનને ખબર હોય કે સંશોધકને? હરીશભાઈએ પુરાવારૂપે કમરસાહેબનો પોતાના પરનો પત્ર પણ મોકલ્યો, અને આમ એ ભૂલ સુધારી લેવામાં આવી.
અહીં એક વિશિષ્ટ યુતિનો ઉલ્લેખ પણ કરવો જરૂરી, બલ્કે અનિવાર્ય છે. રાજકારણમાં યુતિઓ થતી આપણે જોઈ છે, જેમાં બન્ને પક્ષોનો સત્તાનો સ્વાર્થ હોય. પણ ફિલ્મસંશોધનના ક્ષેત્રે જે યુતિ સર્જાઈ અને એ પછી જે સ્તરે,જે પ્રકારે, જે વ્યાપમાં કામ થયું એના થકી બોલતી ફિલ્મોના આખા ઈતિહાસનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. આ યુતિ એટલે કાનપુરના હરમંદિરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશીની. આ બન્ને મિત્રો ચોકસાઈમાં એકબીજાને ટપે એવા. એક ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ કરું.
માનો કે, ‘હમરાઝે’ હરીશભાઈ પાસેથી બારસો રૂપિયા લેવાના નીકળતા હોય અને હરીશભાઈએ ‘હમરાઝ’ પાસેથી હજાર રૂપિયા લેવાના હોય, તો સામાન્ય સંજોગોમાં અન્ય વ્યક્તિઓ ઉપરના બસો રૂપિયાની લેવડદેવડ કરીને હિસાબ પતાવે. પણ આ બન્ને કાયદેસર હજાર અને બારસો રૂપિયાની લેવડદેવડ કરે. ભૂલ થવાની કશી શક્યતા જ નહીં. સહેજે કલ્પી શકાશે કે માહિતીમાં કઈ હદની ચોકસાઈ એમના દ્વારા રખાતી હશે. એકબીજાની કાર્યપદ્ધતિ માટે બન્નેને આદર, પણ ચોકસાઈમાં કોઈ એકબીજાને ન ગાંઠે.
હરીશભાઈનો ચોકસાઈપ્રેમ નાનામાં નાની બાબતોમાંય જોઈ શકાય. આ ચોકસાઈ સંશોધનમાં ભળે એટલે ગજબનાં પરિણામ લાવે. પણ રોજિંદા વ્યવહારમાંય એ ઝળકતી જોવા મળે.
મારે એમની સાથે વિશેષ પરિચય ચારેક વરસથી થયો. દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વાર એમનો ફોન હોય જ. બીજી બધી વાતોની સાથોસાથે એમની સાચુકલી નિસ્બત પણ છતી થયા વિના રહે નહીં. મારે ક્યાંય બહાર જવાનું હોય તો એ પ્રેમથી મારો કાર્યક્રમ પૂછી લે અને જણાવે, “સહેજ વહેલા નીકળવું સારું.” ચીવટ અને દરકાર એવી કે સામાન્ય રીતે રાતના નવ પછી ફોન ન કરતા હરીશભાઈ ક્યારેક હું બહારથી મોડો ઘેર આવું ને હજી તો ઘરમાં પગ મૂકું ત્યાં જ ફોન રણકે. ફોન ઉપાડું એટલે પૂછી લે, “આવી ગયા?” બસ, આટલું પૂછીને મૂકી દે. આ કારણે એક સ્નેહાળ વડીલની છાયામાં હોવાની અનુભૂતિ થતી રહે.
![]() |
| સમસુખીયાઓની મહેફિલ: (વચ્ચે) હમરાઝ, હરીશભાઈની સાથે સંગીતપ્રેમી મિત્રો રાજકોટમાં |
રજનીભાઈ સાથે પણ લગભગ રોજ સવારે ફોન પર એમની વાતચીત થાય જ. એ જ રીતે સુરતના કે.કે. સાથે પણ એમને રોજેરોજ ફોન વ્યવહાર. વાત પતાવતી વખતે ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ એમ બોલીને ફોન મૂકે. પણ અમને ખબર કે એ કહેવા ખાતર આવું નથી કહેતા. અમારા સૌના માટેની દરકાર અને નિસ્બતને લઈને એ જે પ્રશ્નો પૂછે અને અમે જવાબ આપીએ એને કારણે મોટે ભાગે એવું બને કે હરીશભાઈને અમારી દિવસભરની ગતિવિધીની જાણ હોય. આને લઈને રજનીભાઈએ એમને મજાકમાં ‘ખબરી’નું બિરુદ આપ્યું છે. ક્યારેક એ રજનીભાઈને મારા સમાચાર આપતાં કહે, “(બીરેનભાઈ સાથે) હમણાં જ વાત થઈ. બહારથી આવી ગયા. અત્યારે જમવા બેઠા છે.” ત્યારે રજનીભાઈ પોતાને ‘સવાયા ખબરી’ સાબિત કરવા ગમ્મતમાં કહે, “એ જમવા બેઠો છે એ તો હુંય જાણું છું. એણે શેનું શાક ખાધું એ કહો તો ખરા.” ટૂંકમાં, એમના ધ્યાનબહાર કશુંય ન હોય.
સુરત જ્યારે પણ જવાનું થાય ત્યારે અમારી મિનીટે મિનીટનો સદુપયોગ થઈ શકે એ રીતે એમણે આયોજન કરી રાખ્યું હોય, જેમાં અમારા કામને લગતી બાબતોની સાથેસાથે હર્ષવદન ભગતજી અને રોહીતભાઈ મારફતિયા જેવા રસિક અને જ્ઞાની મિત્રોને મળવાનું પણ સામેલ હોય.
ઈન્ટરનેટ આવ્યા પછી પોસ્ટકાર્ડનો ઉપયોગ હરીશભાઈએ ઘટાડ્યો છે, પણ ચોકસાઈ? ફિલ્મોની-ગીતોની અવનવી સાઈટ્સ, લીન્ક્સ, માહિતી એ શોધતા રહે. જરૂર હોય ત્યાં સુધારો સૂચવતા રહે. અમારા જેવા મિત્રોને મોકલતા રહે. અનેક મિત્રોને એમની રસરુચિ મુજબના મેલ મોકલતા રહે. મેલને સીધેસીધા ફોરવર્ડ કરવાને બદલે ભૂલ હોય ત્યાં સુધારી લે, જેથી એ આગળ વધતી અટકે. આપણે ત્યાં તો ઈ-મેલ મળ્યાની જાણ પણ બહુ ઓછા લોકો કરતા હોય છે. હરીશભાઈનો મેલ મળ્યાની જાણ આપણે ‘થેન્ક્સ ફોર ધ મેલ’ લખીને કરીએ તો વળતો મેલ ‘થેન્ક્સ ફોર ધ એક્નોલેજમેન્ટ’નો એમનો આવ્યો જ હોય. રસીદ મળ્યાની રસીદ આપતી બીજી વ્યક્તિ હજી મારે જોવાની બાકી છે.
અમારા માટે એમની પાસે અનેક સૂચનો હોય, વિષયો હોય અને એ અમને અવારનવાર કહેતા રહે. એવુંય બને કે અમારાથી એનો અમલ શક્ય ન પણ બને. છતાંય એ નારાજગી ન દેખાડે. એનો ઉલ્લેખ કરીને અમને શરમિંદા પણ ન કરે. અને બીજી વખત પાછા એ જ સજ્જતા સાથે મદદ માટે તૈયાર હોય.મેં બ્લોગ શરૂ કર્યો એ પછી કદાચ મારા કરતાં વધુ ફિકર એમને રહેતી હશે કે અહીં શું નવું નવું મૂકી શકાય.
એમની સાથેના આવા પરિચય પછી સ્વાભાવિક છે કે ફિલ્મ વિષેનો કોઈ પણ લેખ અમે લખીએ ત્યારે શૈલી અને વિષયપસંદગી ભલે અમારાં હોય, પણ વિગતોનો ઉલ્લેખ કરતી વખતે મનમાં હરીશભાઈ જ હોય.
ક્યારેક એમ લાગે કે ફિલ્મજગતનું કેટલું મોટું ઋણ હરીશભાઈએ અદા કર્યું છે. એની નોંધ તો ઠીક, અહેસાસ સુદ્ધાં કોઈને હશે ખરો? એમના આવા પ્રદાનને શી રીતે સન્માની શકાય? એ પોતે તો ‘નેકી કર કૂએંમેં ડાલ’ની ભાવનાથી કામ કર્યે જાય છે.
**** **** ****
જન્મતારીખ પ્રત્યેના પોતાના લગાવને કારણે હરીશભાઈને બીજો એક શોખ છે. વિવિધ લોકોને એમના જન્મદિને ફોન કરીને શુભેચ્છા પાઠવવાનો. એમનો આ ક્રમ એકદમ નિયમીત. એનો કિસ્સો જુઓ. સુરતના વરિષ્ઠ ગઝલકાર, હાસ્યકાર રતિલાલ ‘અનિલ’ને પોતાનો સાચો જન્મદિન હવે અવસ્થાને કારણે યાદ નથી, પણ એમને પૂછીએ તો એ કહેશે, “હરીશભાઈને પૂછી લેજો. કેમ કે દર વરસે એમનો મારા પર નિયમીત ફોન આવે છે. એ કહે એ સાચું.”
આની સામે એમના પોતાના જન્મદિને કોઈ ફોન કરે કે ન કરે એની બહુ પરવાય નહીં. એમને પરવા ન હોય એ બરાબર, પણ આપણે એ યાદ રાખવું જ જોઈએ. એ યાદ કરતાં આનંદ થાય છે કે આજે ૧૫મી ઓક્ટોબરે ૧૯૪૯માં જન્મેલા હરીશભાઈ ૬૨ વર્ષ પૂરાં કરીને ૬૩મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
હરીશભાઈના ૬૩મા જન્મદિને એમને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ. એમના ફોન નંબર લેખના આરંભે લખેલા છે. ઈ-મેલ પર એમનો સંપર્ક harishnr51@gmail.com દ્વારા થઈ શકે.
**** **** ****
હરીશભાઈ માટે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ને એટલો ભાવ અને આદર છે કે મારી વિનંતીને માન આપીને એમણે ખાસ આ પોસ્ટ માટે પોતાનું લખાણ મોકલી આપ્યું. જે અહીં શબ્દશ: મૂક્યું છે.
मेरे अभिन्न साथी हरीश रघुवंशी
हरीश रघुवंशी का नाम लेते ही मेरे ज़ेहन में एक ऐसी शख़्सियत की तस्वीर उभरती है जिसे मैं सही मायनों में अपना प्रतिद्वन्द्वी नहीं बल्कि अपने से बेहतर इन्सान मानता हूँ. अनगिनत पारिवारिक समस्याओं से जूझते रहने के बावजूद, जो शायद उनकी नियति बन गई हैं, उनका जुनून देखकर मुझे लगता है कि वे मुझसे कई क़दम आगे हैं. उनके जन्मदिन पर उन्हें याद करना एक सुखद एहसास दिलाता है.
लगभग 30 वर्ष पूर्व वे मेरे सम्पर्क में जब आए थे तो उन दिनों वे मुकेश के गाए गीतों की तलाश में दर-दर भटक रहे थे. उस वक़्त भी उनका उत्साह और जुनून देखकर मैं आश्चर्यचकित रह गया था क्योंकि वे सैकड़ो किलोमीटर दूर जा-जा कर मुकेश के गाए गीतों की रिकॉर्डिंग इकट्ठा करने के कठिन काम में लगे हुए थे.उल्लेखनीय है कि उन्होंने मुकेश के दुर्लभ गीतों की खोज-संकलन-रिकॉर्डिंग आदि का कार्य जब किया तब तक गीत कोश का खण्ड-3 ही प्रकाशित हो पाया था. फरवरी 1984 में जब खण्ड-2 का विमोचन हुआ, तब तक वे 95 प्रतिशत कार्य पूरा कर चुके थे जो कि अपने आप में एक बहुत बड़ी उपलब्धि थी.
ख़ुशी तो है कि सीमित साधनों के कारण हिन्दी भाषा में जब मुकेश गीत कोश की छपाई उनके अपने शहर बड़ौदा में न हो पाई तो वह कार्य मैंने कानपुर में कराने का प्रयास किया लेकिन उसमें गुणवत्ता (छपाई की) नहीं आ पाई जिसका मलाल मुझे ज़िन्दगी भर रहेगा क्योंकि ऐसे कार्य करने-कराने का सुअवसर बार-बार नहीं मिलता.
![]() |
दो सितारों का मिलन
|
बाद के वर्षों में उनका जो सहयोग मुझे मिलता रहा, उन्हें शब्दों में बयान कर पाना मुश्किल है.1980 में गीत कोश, खण्ड-3 के प्रथम संस्करण के प्रकाशन के साथ ही उनसे हर तरह की सहायता मिलनी शुरू हो गई थी. उनका व्यक्तित्व बहु-आयामी कहा जाए तो अतिश्योक्ति न होगी.बाद के वर्षों में उन्होंने विभिन्न कलाकारों की फ़िल्म-सूचियां संकलित-प्रकाशित करने का दुरूह कार्य किया. किसी भी एक गायक – मुकेश - के गीतों के पूरे-पूरे बोलों के साथ संग्रह को सर्वप्रथम प्रस्तुत करने का तो श्रेय उन्हें मिला ही,हिन्दी फ़िल्म गीत कोश की देखा-देखी किसी भी अन्य भाषा – गुजराती - में निर्मित फ़िल्मों एवं उनके गीतों की जानकारी को लेकर गुजराती फ़िल्म गीत कोश नामक प्रामाणिक ग्रन्थ प्रस्तुत करने वाले भी वे प्रथम संगीत-प्रेमी बने. इन्हें ना भुलाना उनके गहन शोध-कार्य का ज्वलन्त उदाहरण है जिसमें अनेक भूली बिसरी फ़िल्मी हस्तियों से सम्बन्धित जानकारी को उन्होंने प्रस्तुत किया है.
हिन्दी फ़िल्म गीत कोश के विभिन्न प्रकाशित खण्डों को परिपूर्णता के साथ प्रस्तुत करने में उनका लगातार सहयोग मिलता रहा, इसे मैं अपना परम सौभाग्य मानता हूँ. वर्ष 2004 में अमर गायक कुन्दन लाल सैगल को लेकर हम दोनों के संयुक्त प्रयास से जब दिल ही टूट गया का प्रकाशन सम्भव हो पाया, इसका एहसास ही मुझे रोमांच पैदा कर देता है क्योंकि सैगल साहब को लेकर कोई भी प्रामाणिक ग्रन्थ तब तक उपलब्ध ही नहीं था.
संयुक्त प्रयासों के साथ अब हिन्दी फ़िल्मों के संगीतकार – 1931 से 2010 – पुस्तक के प्रकाशन पर हम दोनों मिलकर जो कार्य कर रहे हैं, उसे वर्ष 2012 में हर हाल में प्रकाशित कर देने के प्रयास किए जा रहे हैं.
उनके 63 वें जन्मदिन पर मैं उन्हें हार्दिक बधाई देता हूँ और अपने स्वार्थ को ध्यान में रखते हुए उनकी लम्बी आयु की कामना भी इसलिए करता हूँ ताकि उनसे सहयोग मिलता रहे और गीत कोश के,1980 से बाद की हिन्दी फ़िल्मों की जानकारी को लेकर, शेष खण्ड भी प्रकाशित हो सकें. नवम्बर 2011 में स्टेट बैंक से सेवानिवृत्ति के पश्चात् अब शेष संकलन-कार्य हरीश भाई के सहयोग से सम्भव हो सकें, ऐसी मेरी कामना है वरना मेरी आत्मा भी अधूरे कार्य को पूरा करने के लिए भटकती रहेगी.
हर मन्दिर सिंह हमराज़ (कानपुर)









