આંકડા
અને તારીખોના
યોગાનુયોગ
ભેગા થાય
એની અમુક
મઝા હોય
છે. આ
પોસ્ટ ‘પેલેટ’ નામના
મારા આ
બ્લૉગની
ચારસોમી
પોસ્ટ છે.
જો કે, ચારસોમા
આ મુકામે
પહોંચતાં
અગિયાર વર્ષ
જેટલો લાંબો
સમય લાગ્યો
છે, પણ
બ્લૉગ મુખ્યત્વે
નિજાનંદ
માટે શરૂ
કરેલો અને
આગળ વધાર્યો
હોવાથી મંઝીલની
નહીં, સફરની
મઝા લેવાનો
ઉપક્રમ રહ્યો
છે.
પ્રથમ
બે વર્ષ
એટલે કે
2011 અને 2012 દરમિયાન
હું જે
કંઈ લખતો
એ ખાસ
બ્લૉગ માટે
જ લખતો.
લખાણ નિયમિતપણે
મૂકાય એનું
ધ્યાન રાખતો.
આથી 2011માં
કુલ 45 પોસ્ટ
મૂકી શકાઈ.
જો કે, આ
જૂનથી ડિસેમ્બરના
સમયગાળા
દરમિયાન
હતી. 2012માં
50 પોસ્ટ બ્લૉગ
પર પ્રકાશિત
થઈ. આમાં
મહત્ત્વ
આંકડાનું
નથી, પણ
એ સમયે
અન્ય કોઈ
પણ જાહેર
માધ્યમમાં
લખાતું ન
હોવાથી અઠવાડિયે
એક પોસ્ટની
સરેરાશ જાળવી
રાખેલી.
2012ના
નવેમ્બરથી
ફેસબુક પર
હું સક્રિય
થયો. શરૂઆતમાં
બ્લૉગપોસ્ટની
લીન્ક
ત્યાં મૂકતો
અને એ
સિવાય ક્યારેક
કોઈક તસવીર.
પણ પુસ્તકોનું
કામ સતત
રહેતું હોવાથી
બ્લૉગ પરની
નિયમિતતા
ઘટવા લાગી.
2013ના વરસમાં
મૂકાયેલી
બ્લૉગપોસ્ટની
સંખ્યા ઘટીને
27, એટલે
કે લગભગ
અડધે પહોંચી
ગઈ. આ
વરસમાં બે
મુખ્ય બાબતો
બની. 6 એપ્રિલના
રોજ અમારા
સહિયારા
સાહસ ‘સાર્થક
પ્રકાશન’નો
આરંભ થયો.
અલબત્ત, તેમાં
અધિકૃત રીતે
હું સંકળાયેલો
નહોતો, પણ
ફક્ત એટલું
જ. એ
જ વરસે
ઑક્ટોબરથી ‘સાર્થક
જલસો’ સામયિકનો
પહેલવહેલો
અંક પ્રકાશિત
કરવાનું
નક્કી થયું.
આ બન્ને
આજે પણ
ચાલી રહ્યા
છે. 2014ની
7 ઑગષ્ટથી
સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં
દર ગુરુવારે
મારી કટાર ‘ફિર
દેખો યારોં’નો
આરંભ થયો.
નાગરિકધર્મના
સાંપ્રત
મુદ્દાઓ
વિશે મારે
લખવું એમ
સંપાદક બકુલભાઈ
ટેલરનો અનુરોધ
હતો. આ
જ કટારના
લેખો પછીના
સપ્તાહે ‘વેબગુર્જરી’ પર
મૂકાતા. આ
બધું ભેગું
થવાને કારણે
બ્લૉગલેખન
ઘટતું ચાલ્યું.
2014માં સાવ
14 પોસ્ટ અને
2015માં માત્ર
18 પોસ્ટ જ
મૂકી શકાઈ.
દરમિયાન
30 જુલાઈ, 2015થી ‘દિવ્ય ભાસ્કર’માં
દર ગુરુવારે
મારી હાસ્યની
કટાર ‘સળી
નહીં, સાવરણી’ આરંભાઈ.
માંડ 350 શબ્દોની
આ કટાર
લખવામાં
સમય ઘણો
લાગતો. છતાં
વચ્ચે વચ્ચે
સમય મળે
એમ બ્લૉગ
પર કશુંક
લખતો. એમ
2016માં 23 અને
2017માં 32 પોસ્ટ
મૂકી શકાઈ.
જો કે, આ
દરમિયાન
ફેસબુક પર
મારી સક્રિયતા
ઉત્તરોત્તર
વધતી ચાલી.
ત્યાં રોજ
નિયમીતપણે
કશુંક ને
કશુંક લખાય
એવો મારો
આગ્રહ હતો.
ફેસબુક પર
અમુક શ્રેણીઓ
પણ શરૂ
કરેલી, જેમાં
હિન્દી
ફિલ્મોના
ટાઈટલ મ્યુઝિકને
લગતી શ્રેણી
ઉલ્લેખનીય
કહી શકાય.
આ શ્રેણીમાં
દોઢસો ફિલ્મોના
ટાઈટલ મ્યુઝીકની
ચર્ચા કરવામાં
આવી હતી.
સ્વાભાવિક
છે કે
મેં સાંભળેલાં
ટાઈટલ મ્યુઝીકની
સંખ્યા આનાથી
ત્રણ-ચાર
ગણી હોય.
આ બધાની
સીધી અસર
બ્લૉગલેખન
પર થઈ, અને
2018માં 5, તેમજ
2019 અને 2020માં
ત્રણ ત્રણ
જ પોસ્ટ
મૂકી શકાઈ.
કેટલાક મિત્રોની
ફરિયાદ પણ
હતી કે
બ્લૉગ પર
હું કશું
મૂકતો નથી.
ફેસબુક
પર નિયમીત
લખાતાં લખાણો
વિવિધ પ્રકારનાં
રહેતાં, જેમાંના
અમુક પ્રસંગોચિત
પણ ખરાં.
એ સંખ્યા
ઘણી બધી
થઈ અને
મને પોતાને
મારાં જૂનાં
લખાણ શોધવામાં
મુશ્કેલી
પડવા લાગી
ત્યારે મેં
નક્કી કર્યું
કે હવે
આ લખાણોને
બ્લૉગ પર
મૂકતા જવાં
અને તેને
યોગ્ય વિષયને
અનુરૂપ વિભાજીત
કરતા જવું.
એમ કરતાં
2021માં પોસ્ટનો
આંકડો સીધો
74 પર અને
2022માં આ
પોસ્ટ સહિત
106એ પહોંચ્યો.
આ ઉછાળો
ફેસબુકનાં
મારાં લખાણોને
ક્રમશ: બ્લૉગ
પર મૂકતા
જવાને કારણે
છે.
આમ, અગિયાર
વરસમાં મૂકાયેલી
ચારસોમી
પોસ્ટની
સાથે ચારસોનો
બીજો એક
આંકડો પણ
સંકળાયેલો
છે. ‘ગુજરાતમિત્ર’ની
મારી કટાર ‘ફિર
દેખો યારોં’નો
ચારસોમો
લેખ 2 જૂન, 2022ના
રોજ પ્રકાશિત
થયો. લગભગ
નવ વરસમાં
આ સફર
કાપી શકાઈ.
આંકડાનું
મહત્ત્વ
કેવળ દસ્તાવેજીકરણ
પૂરતું છે, એ
કોઈ પણ
રીતે ગુણવત્તાના
સૂચક નથી.
ચારસોમી
પોસ્ટ તરીકે, ‘ગુજરાતમિત્ર’ની
કટાર ‘ફિર
દેખો યારોં’નો
ચારસોમો
લેખ ‘માણસ
તાણે સ્વાર્થ
ભણી’ અહીં
મૂકી રહ્યો
છું,જે
2 જૂન, 2022ના
રોજ પ્રકાશિત
થયો હતો
. આ લેખ
આજે ‘વેબગુર્જરી’ પર
પણ મૂકાયેલો
છે.
****
માણસ
તાણે સ્વાર્થ
ભણી
- બીરેન
કોઠારી
સંયુક્ત
કુટુંબોને
સ્થાને વિભક્ત
કુટુંબની
સંખ્યામાં
વૃદ્ધિ થવા
લાગી, તેમજ
શહેરીકરણ
સતત વધતું
રહ્યું તેને
પગલે માણસમાં
પાલતૂ પશુઓ
રાખવાનું
પ્રમાણ પણ
વધતું ચાલ્યું
છે. એમાંય
કોવિડની
મહામારી
દરમિયાન
આ સંખ્યામાં
અનેકગણો
ઉછાળો આવ્યો
હોવાનું
કહેવાય છે. આનું
કારણ સ્પષ્ટ
છે. માણસને
કોઈક સાથની
જરૂર હંમેશાં
રહેતી હોય
છે. પાલતૂ
પશુઓ- ખાસ
કરીને વિવિધ
પ્રજાતિનાં
કૂતરાં આ
સંજોગોમાં
લગભગ આદર્શ
સંગાથી બની
રહે છે. તે
કહ્યાગરાં
હોય છે, તેમની
પર પ્રેમ
ઢોળી શકાય
છે, બદલામાં
તે બહુ
ઓછી અપેક્ષા
રાખે છે. કૂતરાંની
વિવિધ પ્રજાતિઓ, અલબત્ત, આગવી
લાક્ષણિકતાઓ
ધરાવતી હોય
છે. જેમ
કે, રોટવાઈલર
પ્રકારનાં
કૂતરાં ખતરનાક
ગણાય છે. લાબ્રાડોર
કૂતરાં પારિવારિક
માહોલમાં
સમાઈ જાય
એવાં હોય
છે. જર્મન
શેફર્ડ સંરક્ષણ
કરવાનો ગુણ
ધરાવે છે. આમ
અસંખ્ય પ્રજાતિનાં
આગવાં લક્ષણ
હોય છે. કેટલાક
કિસ્સામાં
ચોક્કસ પ્રજાતિના
કૂતરાને
વિશેષ હેતુપૂર્વક
ઉછેરવામાં
આવે છે. જેમ
કે, ગુનાશોધન, બૉમ્બ
શોધવા, શિકાર, રાહતકામગીરી
વખતે બચાવ
માટે વગેરે...ખાનદાની
લક્ષણના
આધારે કૂતરાંની
પ્રજાતિઓને
સારી કે
ખરાબ ગણવામાં
આવે છે, પણ
એ દૃષ્ટિકોણ
માનવનો પોતાનો
છે. કૂતરાંની
ઉપયોગિતાને
આધારે એ
તેને સારા
કે ખરાબની
શ્રેણીમાં
મૂકે છે.
અમેરિકાની
મેસેચ્યુસેટ્સ
યુનિવર્સિટીની
યુમેસ ચેન
મેડિકલ સ્કૂલના
ડૉ. ઈલીનોર
કાર્લસન
દ્વારા સંયુક્તપણે
કરવામાં
આવેલા એક
અભ્યાસમાં
જાણવા મળ્યું
છે કે
કૂતરાં તેમના
જાતિગત લક્ષણો
અનુસાર વર્તે
એ જરૂરી
નથી. બીજા
શબ્દોમાં
કહીએ તો ‘સારા
કૂતરાં કે
ખરાબ કૂતરાં
જેવું કશું
હોતું નથી.’ હા, સારા
કે ખરાબ
માલિક હોઈ
શકે, અને
એમ જ
હોય છે. આશરે
અઢાર હજાર
કૂતરાંના
અભ્યાસ પછી
નીકળેલું
મહત્ત્વનું
તારણ એ
છે કે
કૂતરાંની
પ્રજાતિગત
લક્ષણો અને
તેમની વર્તણૂક
વચ્ચેનો
સંબંધ સાવ
લઘુત્તમ
છે. એટલે
કે કૂતરું
તેની પ્રકૃતિ
મુજબ વર્તે
ખરું, પણ
એથી વધુ
તેને જે
પ્રકારનો
ઉછેર મળ્યો
હોય તે
પ્રમાણે
વર્તે છે.
કૂતરાંની
પ્રજાતિઓ
વિકસાવવાનો
અને તેના
વ્યાપારનો
આખો ઉદ્યોગ
ધમધમે છે. પોતાની
ધૂન અનુસાર
કે જરૂરિયાત
મુજબ લોકો
કુદરત સાથે
છેડછાડ કરીને
અનેકવિધ
પ્રજાતિઓ
વિકસાવતા
રહ્યા છે. પોતાના
ખાનદાન વિશે
જાણતા હોય
એથી વધુ
વિગતો તેઓ
કૂતરાના
ખાનદાન વિશે
જાણવા માંગે
છે, જે
તેમને મળી
પણ રહે
છે. ભારતનાં
શેરી-કૂતરાંની
પ્રજાતિઓ
શ્વાનપ્રેમીઓમાં
ખાસ ચલણી
નથી તેનું
મુખ્ય કારણ
એ છે
કે તેમના
ખાનદાનનો
કોઈ અતોપતો
હોતો નથી. આથી
તેઓ ગમે
ત્યારે અણધાર્યું
વર્તન કરી
બેસે તો? કમનસીબે
કૂતરાં પાસે
માલિકની
પસંદગી માટે
આવો વિકલ્પ
હોતો નથી. કૂતરાં
પાસે પોતાને
અનુકૂળ વર્તણૂકની
અપેક્ષા
રાખનાર માલિકો
ઘણા કિસ્સામાં
તદ્દન મતલબી
કે સ્વાર્થી
પુરવાર થતા
હોય છે. ખાસ
કરીને પોતાનું
કૂતરું બીમારીનો
ભોગ બને
ત્યારે તેના
ઈલાજને બદલે
તેઓ તેને
ત્યાગી દે
છે. અતિ
સુરક્ષિત
માહોલમાં
જીવન વીતાવ્યું
હોય એવા
કૂતરાની
આવી સ્થિતિ
અત્યંત દયનીય
બની રહે
છે, કેમ
કે, તે
આત્મરક્ષણ
માટે સક્ષમ
હોતું નથી.
માણસો
ઘણી વખત
સોબત માટે
અને ઘણી
વખત પોતાના
મોભા માટે
થઈને કૂતરાં
પાળે છે. અલબત્ત, કૂતરાંનો
પોતાના માણસ
પ્રત્યેનો
પ્રેમ એકધારો
રહે છે.
ભલે સંજોગો
બદલાય, માણસના મિત્રો
કે પ્રિયજનો
યા સહકર્મીઓ
સાથેના સંબંધમાં
ચડાવઉતાર
આવતા રહે, તેના
પ્રેમમાં
ઓટ આવતી
નથી. એટલે
જ કોઈ
જાણીતી વ્યક્તિએ
ત્યાં સુધી
કહ્યું છે
કે જ્યાં
સુધી તમે
કોઈ પ્રાણીને
ચાહ્યું
નથી ત્યાં
સુધી તમારા
આત્માનો
એક હિસ્સો
અજાગ્રત
રહે છે.
શ્વાનની
આધુનિક મનાતી
પ્રજાતિઓ ‘બનાવવાનો’ આરંભ
વિક્ટોરિયન
યુગમાં થયો, જેમાં
મોટા ભાગના
કૂતરાં પોતાના
શારીરિક
બાંધાથી
અલગ પડે
છે. એક
પ્રદેશવિશેષની
પ્રજાતિને
વિપરીત હવામાન
ધરાવતા પ્રદેશમાં
લઈ જવાથી
તેને થતી
હેરાનગતિનો
અંદાજ માનવને
આવવો મુશ્કેલ
છે. કોઈ
પણ પ્રજાતિનું
હોય, કૂતરું
પ્રકૃતિએ
માણસવલું
હોય છે, આથી
માનવ સાથેનો
સહવાસ અને
તેની સાથેનું
અનુકૂલન
તેનું જનીનગત
લક્ષણ છે
એમ કહી
શકાય. ડૉ. કાર્લસને
એ બાબત
પર ખાસ
ભાર મૂક્યો
છે કે
શ્વાનમાલિકોએ
પોતે પાળેલા
શ્વાનની
વર્તણૂક
અંગે તેના
વડવાઓ અને
ખાનદાનને
લગતી કથાઓ
પર ધ્યાન
આપવાને બદલે
પોતાની સામે
જે કૂતરું
રહેલું છે
તેની પર
ધ્યાન આપવું
જોઈએ.
આ અભ્યાસ
સાથે નહીં
સંકળાયેલાં, યુનિવર્સિટી
ઑફ કેલિફોર્નિયાનાં
સંશોધક એમ્મા
ગ્રીગે આ
જ વાત
જુદી રીતે
જણાવતાં
કહ્યું: ‘તમને
ગમતા શ્વાનને
પસંદ કરો, નહીં
કે તેની
પ્રજાતિને.’એ
યાદ રાખવું
અગત્યનું
છે કે
ચાહે કોઈ
પણ પ્રજાતિનું
હોય, પ્રત્યેક
શ્વાનનું
આગવું વ્યક્તિત્વ હોય
છે. મનુષ્યની
જેમ જ
તેની પોતાની
ખૂબીઓ અને
ખામીઓ, ગમાઅણગમા
હોય છે.’
ઓસ્ટ્રેલિયાની
યુનિવર્સિટી
ઑફ મેલ્બોર્નનાં
સંશોધક મીઆ
કોબ આમાં
સૂર પૂરાવતાં
કહે છે: ‘વિશ્વના
વિવિધ ખૂણે
થયેલા કૂતરા
અંગેના અભ્યાસ
સૂચવે છે
કે કૂતરાંની
પ્રજાતિ
અંગેની વિવિધ
પ્રચલિત
પૂર્વધારણાઓ
અને તેને
આધારે ચોક્કસ
પ્રજાતિ
માટે ઘડાયેલા
નિયમો વિજ્ઞાન
આધારિત નથી. કોઈ
પણ શ્વાનને
તેના દેખાવ
કે પ્રજાતિના
આધારે ખતરનાક
માનવો ભૂલભરેલું
છે. વ્યક્તિગત
રીતે જ
તેનું મૂલ્યાંકન
થવું જોઈએ.’
શ્વાનનો
મનુષ્ય સાથેનો
સહવાસ, માનવની
તેની પાસેની
અપેક્ષાઓ, એ
અપેક્ષા
અનુસાર શ્વાન
સાથે તેનું
વર્તન વગેરે
પરિબળો એવાં
છે કે
તેમાં સરવાળે
જવાબદારી
માણસની જ
બને છે. અલબત્ત,આ
જવાબદારી
નૈતિક છે, કાનૂની
નહીં, આથી
મન ફાવે
ત્યારે માણસ
તેનો ઉલાળિયો
કરી દે
છે. જો
કે, પશ્ચિમી
દેશોમાં
આ જવાબદારીને
કાનૂની ઠેરવવામાં
આવી છે. કૂતરાંની
પ્રજાતિ
અને વર્તણૂક
પર થયેલા, થઈ
રહેલા અને
થનારા તમામ
અભ્યાસમાં
લઘુત્તમ
સાધારણ અવયવ
તરીકે માણસની
આ વિશેષતા
અચળ રહેશે
એમ માનવની
વૃત્તિ જોતાં
લાગે છે.
(પૂરક
માહિતી: ક્ષમા
કટારિયા)