Showing posts with label singer. Show all posts
Showing posts with label singer. Show all posts

Friday, April 14, 2023

આ કે ફિર ના જાના રે.....

સ્વપ્રસિદ્ધિના આ ઘોર યુગમાં એવા કલાકારોની કલ્પના કરવી અશક્ય લાગે કે જેઓ ખરેખરાં પ્રતિભાશાળી અને પોતાની કારકિર્દીની ટોચે હોવા છતાં પ્રયત્નપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહ્યાં હોય. ખ્યાતનામ ભજનગાયિકા જુથિકા રોયને આ શ્રેણીમાં મૂકી શકાય. એ ઉપરાંત આવાં બીજાં ગાયિકા એટલે શમશાદ બેગમ.

1940થી 1965નો સમયગાળો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ કહી શકાય. એ પછી પણ તેઓ સક્રિય રહેલાં. અનેક અદ્ભુત ગીતો પોતાની આગવી શૈલીએ ગાનાર આ ગાયિકાના અવાજની ધાર એટલી તીક્ષ્ણ છે કે એ કોઈ રમતિયાળ ગીત ગાય તો એમાં એમનો અંદાજ એકદમ નિરાળો હોય, પણ દર્દીલું ગીત ગાય તો રીતસર બરછીની જેમ એમનો અવાજ કાનની અને હૃદયની આરપાર નીકળી જાય. 1965 પછી ધીમે ધીમે તેમણે ગાવાનું ઓછું કર્યું, પણ કારકિર્દીની ટોચે હતાં ત્યારેય તેમની એકાદી તસવીર ભાગ્યે જ જોવા મળતી, અને ઇન્ટરવ્યૂ તો લગભગ નહીં. યોગ્ય સમયે ગાયનક્ષેત્રથી દૂર થઈ ગયા પછી તેમના વિશે ભાગ્યે જ કશું સાંભળવા મળતું. આમ છતાં, તેમના કંઠના ઘરેડ ચાહકોને તેમનાં ગીતો વ્યાકુળ કરી મૂકતાં. એક તબક્કો એવો આવ્યો કે તેઓ હયાત છે કે કેમ એ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું. પ્રસારમાધ્યમોમાં ન ચમકવાને કારણે એમ મનાતું કે હવે તેઓ વિદેહ થઈ ચૂક્યાં હશે. એવે સમયે રજનીકુમાર પંડ્યા તેમને તેમના મુમ્બઈના નિવાસસ્થાને મળ્યા. એ મુલાકાતનો હૃદયંગમ અહેવાલ તેમણે 'જન્મભૂમિ- પ્રવાસી'ની પોતાની કટાર 'શબ્દવેધ'માં આલેખ્યો ત્યારે એ ગાયિકા હજી હયાત છે એની જાણ થઈ. અલબત્ત, રજનીકુમારનો એ લેખ બહુ વિષાદપ્રેરક હતો. શમશાદ બેગમના અંગત જીવનની અને વ્યક્તિગત કારુણી એમાં છલકતી હતી. હું અને ઉર્વીશ આ જ અરસામાં રજનીકુમારના સંપર્કમાં આવેલા. સાથોસાથ અમે મુમ્બઈ જઈને જૂની ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને મળવા જવાનું વિચારતા હતા. રજનીકુમારની એક મુલાકાત દરમિયાન તેમણે અમને પોતે લીધેલી શમશાદ બેગમની એક તસવીર ભેટ આપી. એ સાથે જ અમને થયું કે બસ, ગમે એ થાય, શમશાદ બેગમને મળવું. મળીને શું કરીશું? કશું નહીં. બસ, એમનાં દર્શન થાય તો ઘણું. અમારે એમને કશું પૂછવું નહોતું કે નહોતું કશું જાણવું. બસ, તેમના દર્શન કરીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી. તેમનું સરનામું અમારી પાસે હતું એટલે મુમ્બઈની એક મુલાકાત દરમિયાન સાંજના સમયે અમે કોલાબામાં આવેલા તેમના એપાર્ટમેન્ટના ફ્લેટ પર પહોંચ્યાં. ડોરબેલ વગાડ્યો. મુમ્બઈના ફ્લેટની શૈલી અનુસાર ગ્રીલની પાછળ રહેલા બારણાની ડોકાબારી સરકી અને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, 'કૌન હૈ?' હું અને ઉર્વીશ આ સવાલનો જવાબ તરત નહોતા આપી શકતા, કેમ કે, શું કહેવું? અમે કહ્યું કે અમે શમશાદ બેગમના ચાહક છીએ અને એમને મળવા.... હજી આટલું કહીએ ત્યાં તો અંદરથી કડક અવાજમાં બોલાયું, 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી. આપ જાઈએ!' અને 'ધડામ!' દઈને ડોકાબારી બંધ. કલાકાર સાથે મુલાકાત ન થઈ શકે એવું અમને અપેક્ષિત હતું, પણ 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી' જેવું વાક્ય સાંભળવું અમારા માટે આકરું હતું. અમે નીચે ઉતરીને એક જગ્યાએ ઉભા રહ્યા. અમારો ગુસ્સો વ્યક્ત કર્યો, જેનો ભાવ હતો, 'ભલે ના પાડો, પણ સરખી રીતે ના નથી પડાતી?' બે-પાંચ મિનીટ પછી અમારો ગુસ્સો અને અપમાનબોધ ઓછો થયો એટલે અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમાં તારણ એ નીકળ્યું કે ગુસ્સામાં જે બહેન બોલેલાં એ એમની દીકરી ઉષા હોવાં જોઈએ, કેમ કે, એમનો અવાજ પણ શમશાદ બેગમના જેવો જ લાગતો હતો. આ તારણ પછી અમે કંઈક સ્વસ્થ થયા અને એટલું તો લાગ્યું કે અમે ખોટે ઠેકાણે નહોતા આવ્યા. પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે ધારી લીધું કે બસ, હવે શમશાદ બેગમને મળવાનું ભૂલી જઈએ!
પણ એમ આપણું ધારેલું ઓછું થાય છે! એ પછી વરસો વીત્યાં. ઉર્વીશ અને હું લેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યા. રજનીકુમારના સ્વજન સમા બન્યા. અમારું વર્તુળ પણ વિસ્તર્યું. એવે વખતે 2010માં અમદાવાદની 'ગ્રામોફોન ક્લબ'માં શમશાદ બેગમનું આગમન નક્કી થયું. આ ગોઠવણ પણ રજનીકુમાર દ્વારા જ કરવામાં આવેલી. 'ગ્રામોફોન ક્લબ'ના મહેશભાઈ શાહ, મિલન જોશી જેવા પ્રિય સ્વજનો પોતાને ત્યાં આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગલા દિવસે ભોજન યોજે છે. તેમણે અમને એમાં આમંત્રિત કર્યા. ઉર્વીશ અને હું તો બરાબર, પણ કામિની, શચિ, ઈશાન, સોનલ અને આસ્થા પણ એમાં સામેલ હતાં. જે શમશાદ બેગમને ઘેરથી અમને તગેડવામાં આવેલા એ શમશાદ બેગમ અમારી સામે જ વ્હીલચેરમાં હાજર હતાં. અમે સૌએ તેમની સાથે યાદગીરીરૂપે તસવીરો લીધી. પણ રજનીકુમારના મનમાં એ વાત સતત ખટકતી હતી કે અમે શમશાદ બેગમને મળી નહોતા શક્યા. શમશાદ બેગમની સાથે તેમના જમાઈ કર્નલ રાત્રા આવેલા. રજનીકુમારે કર્નલને વિનંતી કરીને બીજા દિવસે સવારે એમની હોટેલ પર અમારી મુલાકાત ગોઠવી આપી. આ શુભ પ્રસંગના સાક્ષી બનવા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. અમે એવી ધારણા બાંધેલી કે શમશાદ બેગમને હવે ભાગ્યે જ કશું યાદ હશે. અને કદાચ યાદ હોય તો પણ એ અમને જવાબ આપે કે કેમ! આમ છતાં, અમે ગૃહકાર્ય તરીકે આઠ-દસ સવાલ એક ચબરખીમાં લખી રાખેલા. બસ, એના જવાબ મળી જાય તો ગંગા નાહ્યા!
બીજા દિવસે અમે સૌ સમયસર શમશાદ બેગમના હોટેલના ઉતારે પહોંચ્યા. કર્નલે અમને આવકાર્યા અને એક ખૂણે બેઠેલાં શમશાદ બેગમ તરફ આંગળી ચીંધી. રજનીકુમાર કર્નલ સાથે વાતોમાં રોકાયા અને તેમણે અમને બન્નેને શમશાદ બેગમને મળવાની મોકળાશ કરી આપી. સવાલ ઉર્વીશે પૂછવાના હતા, અને મારે હાથમાં સ્થિર પકડી રાખેલા કેમેરામાં એનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. કેમેરા જોઈને કર્નલ ભડક્યા અને એમણે રેકોર્ડિંગની ના પાડી, એટલે મેં એક વાર કેમેરા બંધ કર્યો અને પછી ફરી ચાલુ કર્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે શમશાદ બેગમની સ્મૃતિ ટકોરાબંધ હતી. અમારા એકે એક સવાલના જવાબ તેઓ મોજથી આપતા હતા. વીસ-પચીસ મિનીટમાં આ વાર્તાલાપ પૂરો થયો અને અમે ખરા અર્થમાં 'ઘેર બેઠે ગંગા નાહ્યા'નું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એમ લાગ્યું.
શમશાદ બેગમ હવે તો હયાત નથી, પણ 14 એપ્રિલના રોજ તેમની જન્મતિથિ છે. શમશાદ બેગમની એ મુલાકાત સાથે જ રજનીકુમારની અમારા માટેની નિસ્બત પણ અભિન્ન રીતે સંકળાયેલી છે.
શમશાદ બેગમનાં ગીતોને યાદ કરવા ક્યાં કોઈ દિનવિશેષની જરૂર છે! અમારી એ મુલાકાતનો અહેવાલ ઉર્વીશના બ્લૉગ પર અહીં વાંચી શકાશે .

Monday, February 6, 2023

કુછ યાદ ઉન્હેં ભી કર લો

 આજે રામચંદ્ર દ્વિવેદીની જન્મજયંતિ છે એમ કહીએ તો કદાચ એમની ઓળખાણ ઝટ ન પડે, પણ 'કવિ પ્રદીપ' કહેતાં જ અનેક ગીતો યાદ આવી જાય. 'પ્રદીપ' તખલ્લુસથી હિન્દી ફિલ્મોમાં તેમણે આગવી શૈલીએ ગીતો લખ્યાં. હિન્દી શબ્દાવલિ, સરળ શબ્દો તેમજ વિશિષ્ટ અંત્યાનુપ્રાસ તેમનાં ગીતોની ઓળખ બની રહ્યો. સરળમાં સરળથી ગહન ભાવવાળા ગીતો તેમણે લખ્યાં. પ્રદીપજી સાથે મારી એક વારની અને ઉર્વીશની બે-ત્રણ વારની મુલાકાત અત્યંત વિશિષ્ટ અને યાદગાર બની રહી છે. આજે પણ એ યથાતથ યાદ છે.

1989-90ના અરસામાં અમે મુંબઈ જઈને મનગમતા કલાકારોને મળવાનો ઉપક્રમ આરંભેલો. એ વખતે મારી વય ચોવીસ-પચીસની અને ઉર્વીશની સત્તર-અઢારની. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યત્વે જૂની ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાનો હતો. પ્રદીપજી એસ.વી.રોડ પર 'પંચામૃત' બંગલામાં રહેતા હતા. અમે સીધા જ એમને ઘેર ઊપડ્યા. પાર્લાની આસપાસ જઈને અમે એક દાણાવાળા (કરિયાણાવાળા)ને 'પંચામૃત'નું સરનામું પૂછ્યું. તેણે અમને સાચું સરનામું ચીંધ્યું અને અમે ત્યાં પહોંચી ગયા. ઝાંપો ખોલીને અમે અંદર પ્રવેશ્યા અને બેલ માર્યો. ઘણી વાર થઈ પણ કોઈ દેખાયું નહીં આથી અમે સહેજ ખચકાતાં ખચકાતાં અમે બંગલાના પાછળના ભાગમાં ગયા. ત્યાં સ્ટુડિયો જેવું દેખાયું, જેમાં થોડા વિદ્યાર્થીઓ ચિત્રકામ કરી રહ્યા હતા. અને એક બહેન ત્યાં ઉભેલા હતાં. અમને જોઈને તેઓ નજીક આવ્યાં અને અમારા આગમનનો હેતુ પૂછ્યો. અમે એમને હેતુ જણાવ્યો. તેમણે કહ્યું કે પ્રદીપજી બહારગામ ગયા હોવાથી એ મળી શકશે નહીં અને અમે ફરી મુંબઈ આવીએ ત્યારે શક્ય હોય તો અગાઉથી જાણ કરીને મળવાનો પ્રયત્ન કરવો. તેમનો આભાર માનીને અમે બહાર નીકળ્યા. બહાર નીકળીને જે પહેલી લાગણી થઈ તે એ કે ભલે પ્રદીપજી ન મળ્યા, પણ એ બહેને અમારી સાથે વાત બહુ સૌમ્યતાથી અને સરસ રીતે કરી. પછી ખબર પડી કે તેઓ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ હતાં.
પછીના વરસે અમે મુંબઈનો કાર્યક્રમ બનાવ્યો ત્યારે અગાઉથી અમે પ્રદીપજીને એક પોસ્ટકાર્ડ લખ્યું અને જણાવ્યું કે અમે અમુક દિવસોમાં મુંબઈ આવવાના છીએ અને તમને મળવાનો પ્રયત્ન કરીશું. એ મુજબ અમે મુંબઈ પહોંચ્યા અને એક દિવસ સવારે એમને ઘેર ફોન કર્યો. પ્રદીપજીએ જ ફોન ઉપાડ્યો. અમે કહ્યું એટલે એમણે જણાવ્યું કે અમારું પોસ્ટકાર્ડ એમને મળ્યું છે. એમણે અમને મળવા આવવાનો સમય ફાળવ્યો. નિયત દિવસે સાંજે અમે એમને ત્યાં પહોંચ્યા. અમારી સાથે મારા મુંબઈ રહેતા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ હતા.
દરવાજો પ્રદીપજીનાં પત્ની ભદ્રાબહેને ખોલ્યો અને અમને આવકાર્યા. અમે અંદરના રૂમમાં ગયા જ્યાં પ્રદીપજી બેઠેલા હતા. સાવ સુકલકડી દેહ, અને પલંગ પર પણ પગ સંકોચીને વિશિષ્ટ મુદ્રામાં બેઠેલા. એમની પાસે પડેલી બે-ત્રણ વસ્તુઓએ ધ્યાન ખેંચ્યું. એક તો 'જન્મભૂમિ પ્રવાસી' પલંગ પર પડેલું. એની બાજુમાં મોટો બિલોરી કાચ હતો, જેમાં બલ્બ લગાવેલો. અને ત્રીજું એક હોલ્ડર, જેમાં સીગારેટ ભરાવેલી.
પ્રદીપજીના નિવાસસ્થાને તેમની સાથે ઉર્વીશ અને બીરેન 




આ અરસામાં રજનીકુમાર પંડ્યાએ લખેલા પ્રદીપજી વિશેના બેએક લેખ 'મિસ કમલ બી.એ.ની પત્ની પઠાણ' અને 'સંતોષીમાનું એરકન્ડીશનર' અમે વાંચેલા હતા. જો કે, અમારી એ મુલાકાત જોઈએ એવી જામતી નહોતી. પ્રદીપજી વળીવળીને રાજકીય મુદ્દા પર જતા રહેતા. મારા પિતરાઈ કિશનભાઈ એમાં ટાપશી પુરાવે એટલે એ વાત આગળ ચાલતી. પ્રદીપજી વયમાં એટલા મોટા, અમે એટલા નાના કે એમની વાત કાપવાની હિંમત થતી નહીં. પ્રદીપજીએ જણાવ્યું કે પોતે 'જન્મભૂમિ પ્રવાસી'ના નિયમીત વાચક છે અને બિલોરી કાચ વડે એ વાંચે છે. અમે તેમની તસવીરો લેવા પ્રયત્ન કર્યો તો તેમણે સહેજ અનિચ્છા બતાવી. આથી અમે ખચકાતાં ખચકાતાં થોડી તસવીરો લીધી. રજનીભાઈએ પ્રદીપજી વિશેના લેખમાં લખેલું, 'એ કંઈ ખજૂરીનું ઝાડ નહોતા. ફટાકડાની સેર હતા. તરત તડ્ તડ્ થઈ ગયા.' આ વાક્ય અમારા મનમાં સતત રમતું હોવાથી એ અંદેશો પણ ખરો કે તેઓ અમારી આગળ તડ્ તડ્ ન થઈ જાય. પોણો કલાક જેટલો સમય વીત્યો. અમને લાગ્યું કે હવે અમારે નીકળવું જોઈએ. આથી અમે તેમની સમક્ષ ઑટોગ્રાફ બુક ધરી અને એમાં ઑટોગ્રાફ આપવા વિનંતી કરી. પ્રદીપજીએ કહ્યું, 'એવું બધું આપવામાં હું માનતો નથી.' અમે તેમને આગ્રહ કરી ન શક્યા. તેમની રજા લઈને અમે ઉઠ્યા. તેઓ અમને છેક બારણા સુધી વળાવવા આવ્યા અને 'આવજો' કહ્યું. અમે લોકો બહાર નીકળ્યા અને પાછા સાન્તાક્રુઝ આવવા નીકળ્યા. પ્રદીપજીના ઑટોગ્રાફ ન મળી શક્યા એ અફસોસ રહ્યો, પણ તેમની તસવીર લઈ શકાઈ હતી એ આશ્વાસન હતું.
એ પછીના અરસામાં ઉર્વીશને ગુજરાત રિફાઈનરી તરફથી છએક મહિના માટે મુંબઈ જવાનું થયું. એ વખતે નલિન શાહ સાથે તેનો નિયમિત સંપર્ક રહ્યો. એક વાર નલિનભાઈ પ્રદીપજીને મળવા જઈ રહ્યા હતા અને તેમણે ઉર્વીશને સાથે લીધો. ઉર્વીશે આગોતરી તૈયારીરૂપે ઑટોગ્રાફ બુક સાથે રાખી. તેઓ 'પંચામૃત' પહોંચ્યા. ભદ્રાબહેન મળ્યાં એટલે નલિનભાઈએ પૂછ્યું, 'શું કરે છે શેઠ?' આ સવાલથી તેમની આત્મીયતા અને અનૌપચારિકતાનો ખ્યાલ આવતો હતો. પ્રદીપજી દાઢી કરી રહ્યા હતા એ જોઈને નલિનભાઈ ઉર્વીશને એમનો ફોટો લેવા કહ્યું. પણ ઉર્વીશ ખચકાયો એ જોઈને નલિનભાઈએ એની પાસેથી કેમેરા માંગ્યો અને ફોટો લીધો.
પ્રદીપજીના હસ્તાક્ષર 
નલિનભાઈએ ઉર્વીશનો પરિચય કરાવતાં કહ્યું, 'એને જૂનાં ગીતોમાં બહુ રસ છે.' આ સાંભળતાં જ પ્રદીપજી કહે, 'એમ? 'મોરે બાલાપન કે સાથી' ગાઈને બતાવો.' નલિનભાઈએ હસીને કહ્યું, 'એને કંઈ ગાતાં થોડું આવડે છે?' નલિનભાઈ હોય એટલે વાતનો દોર એમના હાથમાં જ હોય એ સ્વાભાવિક છે. આવી મુલાકાતમાં મૂક શ્રોતા બની રહેવાના લાભ હોય છે એ ઉર્વીશ સારી પેઠે જાણતો હતો. પ્રદીપજી પણ નલિનભાઈ સાથે બરાબરના ખીલ્યા હતા. આખરે જવાનો સમય આવ્યો. આ વખતે પ્રદીપજીએ આસાનીથી ઓટોગ્રાફ આપ્યા.
એ પછી ઉર્વીશને બેએક વખત પ્રદીપજીને મળવાનું બન્યું. નલિનભાઈ સાથે એમને ત્યાં લીધેલી વધુ એક મુલાકાત વેળા ઉર્વીશે 'કિસ્મત' અને 'બંધન'ની રેકોર્ડ સાથે રાખેલી. જતી વખતે એ રેકોર્ડ એણે પ્રદીપજી સામે ઑટોગ્રાફ માટે ધરી. પ્રદીપજીએ રેકોર્ડ હાથમાં લીધી. આમતેમ ફેરવી અને પાછી આપતાં કહ્યું, 'આમાં મારું નામ નથી. (એટલે હું સહી નહીં કરું)' આ વખતે નલિનભાઈ સાથે હતા એટલે એમણે પ્રદીપજીને કહ્યું, 'એમાં એ શું કરે? એણે કંઈ ઓછી રેકોર્ડ બનાવી છે? કરી આપો એને.' પ્રદીપજીએ એ રેકોર્ડ પર હસ્તાક્ષર આપ્યા.

'કિસ્મત' અને બંધન'ના એલ.પી.કવર પર પ્રદીપજીના હસ્તાક્ષએ 

પ્રદીપજી હવે હયાત નથી, પણ તેમનાં લખેલાં-ગાયેલાં અનેક ગીતો થકી તેમની સ્મૃતિ સતત તાજી રહે છે. અમારા માટે એ ગીતોની સાથોસાથ અમારી એ મુલાકાતનો રોમાંચ પણ ભળેલો છે.

Monday, August 15, 2022

બુરા ક્યા હૈ અગર, યે દુ:ખ યે હૈરાની મુઝે દે દો...

ગાયિકા જગજીત કૌરનું 15 ઑગષ્ટ, 2021ની સવારે અવસાન થયું. તેમના અવાજમાં એક કશિશ હતી. સંગીતકાર ખય્યામનાં પત્ની તરીકે એમની એક ઓળખ ખરી, અને ખય્યામના સંગીત નિર્દેશન સિવાય ભાગ્યે જ તેમણે ગાયું.
'તુમ અપના રંજ-ઓ- ગમ, અપની પરેશાની મુઝે દે દો' (શગુન), 'ગોરી સસુરાલ ચલી' (શગુન), 'લડી રે લડી તુઝ સે આંખ જો લડી' (શોલા ઔર શબનમ), 'ફિર વો હી સાવન આયા' (શોલા ઔર શબનમ), 'પહલે તો આંખ મિલાના' (મ.રફી સાથે/શોલા ઔર શબનમ), 'કાહે કો બ્યાહી બિદેસ' (ઉમરાવજાન), 'સુનો ના ભાભી' (સુલક્ષણા પંડિત સાથે/થોડી સી બેવફાઈ), 'દેખ લો આજ હમકો જી ભરકે' (બાઝાર), 'ચલે આઓ સૈયાં' (બાઝાર), 'હરિયાલા બન્ના આયા રે' (રઝિયા સુલતાન) જેવાં ગીતો તેમણે ગાયાં હતાં.
સાવ શરૂઆતના ગાળામાં 'ખામોશ જિંદગી કો એક અફસાના મિલ ગયા' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'ચન્દા ગાયે રાગની' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'મેરે ચંદા, મૈં તેરી ચાંદની' (ખોજ/નિસાર બઝમી) જેવાં ગીતો તેમણે અન્ય સંગીતકારોના નિર્દેશનમાં ગાયાં હતાં. જો કે, તેમની ઓળખ સમું ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ, અપની પરેશાની મુઝે દે દો' બની રહ્યું. તેમનો અવાજ કદાચ લોકગીત પ્રકારનાં ગીતો માટે વધુ અનુરૂપ હતો.
1989-90ની અમારી મુંબઈ મુલાકાત દરમિયાન અમે ખય્યામસાહેબને મળવા માટે તેમને ઘેર ફોન કર્યો. એક મહિલાએ ફોન ઉપાડ્યો અને બહુ વિવેકથી જણાવ્યું કે ખય્યામસાહેબની તબિયત સારી નથી, એટલે તેમને મળવું અનુકૂળ નથી. તેમનો આભાર માનીને ફોન મૂકતાં એકદમ જ બત્તી થઈ એટલે મેં પૂછ્યું, 'આપ જગજિત કૌર બોલ રહીં હૈ?' એમણે હસીને હા પાડી. એકાદ વાક્યની આપ-લે થઈ હશે, પણ એમને એ પછી મળવાનું કદી બન્યું નહીં.
93 વર્ષની પાકટ વયે તેમણે વિદાય લીધી. આટલી જૈફ વયે થયેલી વિદાયનું દુ:ખ હોય, પણ શોક ન હોય.
તેમના સ્વરમાં ગવાયેલા, સાહિર દ્વારા લખાયેલા અને ખય્યામ દ્વારા સ્વરબદ્ધ અતિ પ્રિય ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ' સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપવા જેવી છે. 


જગજીત કૌર વિશિષ્ટ સ્વર ધરાવતાં ગાયિકા હતાં એ જાણીતી વાત છે. પણ ખય્યામ અને જગજિત કૌરે સાથે કોઈ ફિલ્મમાં ગાયું હોય એમ બન્યું છે ખરું?

ફિલ્મકાર મુઝફ્ફર અલીની ખાસ જાણીતી ન બનેલી ફિલ્મ 'અંજુમન' (1986)નું સંગીત એટલું જાણીતું ન બન્યું, નહીંતર તેમાં પણ ખય્યામ અને શહરયારની જુગલબંદી હતી. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતોમાંથી ચાર (ત્રણ એકલ + એક યુગલ) માં અભિનેત્રી શબાના આઝમીનો સ્વર હતો.

આ જ ફિલ્મમાં ફૈઝ અહમદ ફૈઝની એક ગઝલ 'કબ યાદ મેં તેરા સાથ નહીં' ખુદ ખય્યામ અને જગજીત કૌરના સ્વરમાં છે, જેની લીન્ક નીચે આપેલી છે.


(લીન્‍ક સૌજન્ય: યૂ ટ્યૂબ)

Saturday, June 18, 2022

વો હમેં તડપા રહે હૈં

ત્રીસી, ચાલીસી અને પચાસના દાયકામાં બિનફિલ્મી ગીતોનું આગવું મહત્ત્વ હતું. ફિલ્મો માટે ગાતા ગાયકો પણ બિનફિલ્મી ગીતો ગાતાં. હેમંતકુમાર, મન્નાડે, રફી, ચીતલકર જેવા ગાયકોનાં ફિલ્મી ઉપરાંત બિનફિલ્મી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. તો જગમોહન 'સૂરસાગર', જ્યુથિકા રોય જેવા ગાયકોની મુખ્ય લોકપ્રિયતા તેમનાં બિનફિલ્મી ગીતોને કારણે હતી.

બિનફિલ્મી ગીતો ગાનાર આવા જ એક ગાયક હતા વિદ્યાનાથ શેઠ, જે 'વી.એન.સેઠ' તરીકે પ્રસિદ્ધ હતા. મુખ્યત્વે પંજાબી ગીતો માટે જાણીતા વી.એન.સેઠે હિન્દી-ઉર્દૂની કેટલીક યાદગાર ગઝલો અને ગીતો ગાયાં છે.

'વો હમેં તડપા રહે હૈં ક્યા કરેં', 'ચદરીયા ઝીની રે ઝીની', 'આતા હૈ જબ બહાર પે મૌસમ શબાબ કા', 'સજની, ક્યું પ્યાર જગાયા થા', 'મૈં લગી દીલ કી બુઝા લૂં તો ચલે જાઈયેગા', 'આંખોં કો અશ્કબાર કિયે જા રહા હૂં મૈં' જેવાં અનેક ગીતો થકી તેમનો અવાજ સંગીતપ્રેમીઓના દિલમાં ગૂંજતો રહ્યો છે.
'રુપ રેખા' (૧૯૪૮)માં તેમણે પાંચ ગીતો પણ ગાયાં હતાં, જેમાંનાં અમુક તેમણે પોતે સ્વરબદ્ધ કર્યાં હતાં, તો અમુક સંગીતકાર રવિ રાય ચૌધરી તથા પં. અમરનાથે.
સંગીતપ્રેમીઓ માટે તદ્દન ગુમનામીમાં જીવતા આ ગાયકનો પત્તો કાનપુરના હરમંદીરસીંઘ 'હમરાઝે' 2011-12ની આસપાસ મેળવ્યો હતો, અને તેમની વિસ્તૃત મુલાકાત પોતાના ત્રિમાસિક 'લીસ્નર્સ બુલેટીન'માં પ્રકાશિત કરી હતી.
૧૮ જૂન, ૨૦૧૫ના રોજ તેમનું અવસાન દિલ્હી ખાતે, ૧૦૦ વર્ષની પાકટ વયે થયું. ટેકનોલોજી યુગની કમાલ એ છે કે જે ગાયકનાં ગીતો અતિ દુર્લભ મનાતા હતા, એમાંનાં ઘણા ગીતો આજે સહેલાઈથી યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
તેમનું અતિ જાણીતું ગીત 'મન ફુલા ફુલા ફિરે જગત મેં' સાંભળીને તેમની સ્મૃતિને તાજી કરીએ.

(નોંધ: આ પોસ્ટમાં લાલ અક્ષરઅ લખાણ પર ક્લીક કરવાથી એ ગીત સાંભળી શકાશે. 

Saturday, February 19, 2022

રાહુલ દેવ બર્મન: એકલ, છતાં યુગલ ગીતો

(આ પોસ્ટ વાંચતાં પહેલાં સૂચન: આ પોસ્ટમાં કુલ અગિયાર ગીતો છે. એ તમામ ગીતો આ જ ક્રમમાં, લખાણની સાથોસાથ વાંચતા જશો તો પોસ્ટના હાર્દને બહેતર રીતે માણી શકાશે. 

આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો જાણીતાં અને સાંભળેલાં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અહીં એક ચોક્કસ ઢબ, શૈલીની રીતે તેમને સાંકળ્યાં છે. આથી એ જાણીતાં હોવા છતાં, આ દૃષ્ટિકોણથી એને સાંભળતા જશો તો મઝા આવશે.) 

પડઘાનું આકર્ષણ માનવજાતમાં પહેલેથી હશે, અને હજી એ ઓસર્યું નથી એમ લાગે. કોઈ સ્થળે પડઘો પડે છે એવી ખબર પડે કે તરત કશુંક બોલીને તેનો પડઘો સાંભળવાની ઈચ્છા આપણને થઈ આવે છે. ફિલ્મનાં ગીતોમાં હવે ટેક્નોલોજીની મદદથી ઈકો ઈફેક્ટ સહેલાઈથી મેળવી શકાય છે. પણ ટેક્નોલોજી આટલી સુલભ નહોતી ત્યારે સંગીતકારો માટે ગીતમાં પડઘાનો પ્રયોગ કરવાનો એક પડકાર હતો. ઘણા સંગીતકારોએ એવો પડકાર ઝીલવાની સફળ કોશિશ કરી હતી. 1957માં રજૂઆત પામેલી ફિલ્મ નૌશેરવાન-એ-આદિલના લતા મંગેશકરે ગાયેલા એક ગીત આજા રાત ઢલીમાં સંગીતકાર સી.રામચન્‍દ્રે પડઘાની અસર બખૂબી નીપજાવી હતી. એ વખતનાં ટાંચા સાધનો વડે તેમણે એ શી રીતે કર્યું હશે એ સંશોધનનો વિષય છે. એ પછી 1960માં આવેલી બમ્બઈ કા બાબુમાં આશા ભોંસલે અને મહમ્મદ રફીએ ગાયેલા ગીત દીવાના મસ્તાના હુઆ દિલના અમુક હિસ્સામાં આશાના અવાજમાં ઈકો ઈફેક્ટ સાંભળી શકાય છે. પછીના ગાળામાં આ સુવિધા આસાન બની, પણ અહીં જે પ્રકારનાં ગીતોની વાત કરવાની છે એ પ્રકાર જરા જુદો છે.

એક જ ગાયક કે ગાયિકાના સ્વરને બે અલગ અલગ સ્કેલ પર ગવડાવીને તેના મિક્સિંગ દ્વારા એ ગીત એકલ હોવા છતાં યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરાયો હોય એવો પ્રયોગ ખાસ કરીને રાહુલ દેવ બર્મને અનેક વાર કરેલો છે. આ પ્રયોગમાં ક્યારેક ઈકો ઈફેક્ટ જોવા મળે છે, પણ એ ઈકો ઈફેક્ટ કરતાં કંઈક વધુ છે. વિવિધ તબક્કે આર.ડી.બર્મને કરેલા આવા પ્રયોગો પરથી એ સમજાય છે કે આ પ્રકાર ખેડવાનો પડકાર તેમને બહુ પસંદ હતો અને વખતોવખત તેઓ એની વિવિધ રીતે અજમાયશ કરતા રહ્યા હતા. ટેક્નોલોજી સુલભ થયા પછી પણ તેમનું આ પ્રયોગનું આકર્ષણ ઓસર્યું નહોતું. આવાં કેટલાંક ધ્યાનમાં આવેલાં ગીતો વિશે વાત કરીએ.

1967માં રજૂઆત પામેલી બહારોં કે સપનેના ગીત ક્યા જાનૂં સજન, હોતી હૈ ક્યા ગમ કી શામમાં આ પ્રયોગ આર.ડી.બર્મનના સંગીતમાં કદાચ પહેલી વાર સાંભળવા મળે છે. આમાં મુખડું પૂરું થવા આવે ત્યારે અને અંતરો પુનરાવર્તિત થાય ત્યારે ફક્ત આલાપ મૂકાયો હતો. ગીત લતા મંગેશકરે ગાયું હતું. એટલે તેમનું મૂળ ગાયન ચાલુ હોય ત્યારે જ યોગ્ય સ્થાનોએ એમનો જ આલાપ સંભળાય, જેનો સ્કેલ સાવ જુદો હોય.ને કારણે બે અલગ ગાયિકાઓ હોવાનો આભાસ થાય. આ ગીત અહીં સાંભળી શકાશે.


1972માં રજૂઆત પામેલી રાખી ઔર હથકડીના ગીત આજા આજા સજનમાં આશા ભોંસલેના એકલ સ્વરને અલગ સ્કેલ પર ગવડાવવામાં આવ્યો. આ ગીતમાં મુખડું પૂરું થતા તેમજ અંતરાની સમાંતરે આવતા આલાપ પા...પા...પા.. તરીકે આ સ્વર મૂકાયો હતો. અહીં એ સાંભળી શકાશે.


અગાઉ 1971માં આવેલી હરે રામ હરે કૃષ્ણના અતિ વિખ્યાત ગીત દમ મારો દમમાં મુખડું અને અંતરામાં આશા ભોંસલેના અલગ સ્કેલનો ઉપયોગ રાહુલદેવ બર્મને કરેલો, પણ આ ગીતમાં બન્ને સ્કેલ એક સાથે જોવા મળે છે. એ જ પદ્ધતિ 1972માં રજૂઆત પામેલી અનામિકાના ગીત આજ કી રાત કોઈ આને કો હૈમાં પણ ઉપયોગમાં લેવાઈ. એ ગીતમાં સ્વર આશા ભોંસલેનો જ હતો. તો 1972ની જ ફિલ્મ જવાની દીવાનીના ગીત જાનેજાં ઢૂંઢતા ફિર રહામાં આર.ડી.બર્મને આશા ભોંસલેને બે સાવ અલગ સ્કેલમાં ગવડાવીને કંઈક આવી જ અસર નીપજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ ગીતના અંતરામાં બન્ને સ્કેલ અલગ અલગ છે, અને એ ઓવરલેપ થતા નથી. આ ગીતમાં પડદા પર એક જ નાયિકા બે અલગ સ્કેલમાં, એટલે કે અલગ સ્વરમાં ગાય એવી અસર પેદા કર્યા પછી રાહુલ દેવ બર્મને એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ બે નાયિકાઓ માટે કાલા સોનાના આ ગીતમાં કર્યો.

1975માં રજૂઆત પામેલી આ ફિલ્મના ગીત કોઈ આયા, આને ભી દેમાં તો આશા ભોંસલેના સ્વરનો ઉપયોગ યુગલ ગીતની જેમ કરવામાં આવ્યો છે. એટલે કે આશા ભોંસલે એક ચોક્કસ સ્કેલ પર મુખડાનો આરંભ કરે અને એ જ મુખડામાં વચ્ચેથી જ અલગ સ્કેલ પર આશા દ્વારા જ ગવાયેલું મુખડું જોડાય. આને લઈને આ એકલ ગીત હોવા છતાં એ યુગલ ગીત હોવાનો આભાસ થાય. અંતરામાં પણ એક સ્કેલ પર શબ્દો ગવાતા હોય અને બીજા સ્કેલ પર આલાપ એની સમાંતરે ચાલતો હોય. આ ગીત અહીં સાંભળી શકાશે.


પછીના વરસે, 1976માં આવેલી ફિલ્મ મુક્તિના ગીત દિલ સજન જલતા હૈમાં પણ આ પ્રયોગ વધુ એક વાર સાંભળવા મળ્યો. આ ગીત પણ આશા ભોંસલેએ ગાયું હતું. આમાં તે આખું મુખડું પૂરું કરીને તેનું આવર્તન કરે છે એ સમયે બીજા સ્કેલ પર તેમના સ્વરમાં આલાપ સાંભળી શકાય છે, જે યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરે છે. નોંધપાત્ર છે કે અંતરો એકલગાન છે, પણ અંતરા પછી આવતા મુખડામાં આલાપ ભળે છે. આ ગીત અહીં સાંભળી શકાશે.


1987માં આવેલા ગૈરફિલ્મી આલ્બમ દિલ પડોસી હૈ વખતે ટેક્નોલોજી પૂરેપૂરી વિકસી ચૂકી હતી, અને તેના રેકોર્ડિંગમાં મોટે ભાગે કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતનો ખ્યાલ કોઈ દિયા જલે કહીં સાંભળવાથી આવશે. આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ ગીતમાં અંતરામાં આ પ્રયોગ અત્યંત સુંદર રીતે સાંભળવા મળે છે. એમાં અંતરાની પંક્તિ પૂરી થતાં પહેલાં જ બીજા સ્કેલ પર આલાપ શરૂ થઈ જાય છે.


બિલકુલ આ જ રીતે, 1987માં રજૂઆત પામેલી ફિલ્મ 'ઈજાઝત'માં પણ આર.ડી.બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલા ગીત 'કતરા કતરા મિલતી હૈ'માં આ અસર પૂર્ણપણે પેદા કરી છે. આ ગીત અહીં સાંભળી શકાશે. 


આમ, આ ગીતોનો સર્જનકાળ જોતાં એ ખ્યાલ આવે છે કે આર.ડી.બર્મને તબક્કાવાર પરિવર્તનો કરતા જઈને, આ ચોક્કસ અસર ઊભી કરવાનું, પોતે ધાર્યું પરિણામ મેળવી લીધું હતું. આ પ્રકારનાં ગીતોમાં એક ગીતના અપવાદને બાદ કરતાં તમામ ગીતો આશા ભોંસલેએ ગાયેલાં છે, અને એ કેવળ યોગાનુયોગ નથી. 

(Link courtsey: You Tube) 

(પૂરક માહિતી: જયપાલ થાનકી, નંદિતા મુની) 

Wednesday, January 18, 2017

મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ


મહાનતા કદી આંકડાઓની મોહતાજ નથી હોતી. લતા મંગેશકર, આશા ભોસલે, મહમદ રફી, મુકેશ, હેમંતકુમાર  કે એ શ્રેણીના અન્ય ગાયકોએ કુલ કેટલાં ગીતો ગાયાં એ આંકડાશાસ્ત્રની રીતે મહત્ત્વની, પણ તેમની ગાયકીને માણવાની રીતે સાવ ગૌણ બાબત છે.
આજકાલ ફેસબુક કે વોટ્સેપ પરનાં વિવિધ જૂથોમાં એક ગાયકને બીજા કરતાં ચડીયાતા બતાવતી ચેષ્ટાઓ જોશભેર ચાલી રહી છે. સમય પસાર કરવા માટે આ બધું ઠીક છે, પણ સરવાળે એ પાણી વલોવવા જેવી વાત છે. એક હકીકત કોઈ પણ ગાયકના ચાહકે સ્વીકારવી રહી અને એ સ્વીકારવા માટે તેણે ચાહક મટીને કેવળ સુજ્ઞ શ્રોતા બનવું રહ્યું. તે એ કે પ્રત્યેક ગાયક છેવટે માણસ છે, અને તેના કંઠને ઉંમરસહજ ઘસારો લાગતો હોય છે. આ હકીકત ઉપર ઉલ્લેખ્યાં તેના સહિત એકે એક કળાકારને લાગુ પડતી હોય છે. આ હકીકત એવા કલાકારને જ લાગુ ન પડે જે વેળાસર ગાયકી છોડી દે, કાં તેનું વહેલું અવસાન થાય.
કુંદનલાલ સાયગલને આ બાબત બરાબર લાગુ પડે છે. માંડ 43 વર્ષનું આયુષ્ય (1904-1947). કલાકાર તરીકે સોળેક વર્ષની (1930-31થી 1946) અને ગાયક તરીકે સાવ તેર વર્ષની (1933-1946)કુલ કારકિર્દી. ગાયેલાં કુલ ગીતોની સંખ્યા માત્ર 185, જેમાંથી ફિલ્મી ગીત 142 (110 હિન્દી + 30 બાંગ્લા + 2 તમિલ) અને 43 ગૈરફિલ્મી ગીત (37 હિન્‍દી +2 બાંગ્લા ‌+ 2 પંજાબી + 2 ફારસી). આમ છતાં, પાર્શ્વગાયન શરૂ થયું ત્યાર પહેલાંનાં અને ત્યાર પછીના યુગમાં તેમનું નામ સૌથી પહેલું હોઠે આવે. કેવી હતી તેમની ગાયકી? શબ્દોમાં તેનું વર્ણન મુશ્કેલ છે. ત્યાર પછી શરૂ થયેલા અને છેક હજી સુધી ચાલી રહેલા ઝપાટાસંગીતના યુગમાં તેમની ગાયકીની ઠીકઠીક મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તેને લઈને એ હકીકત વધુ દૃઢ બનતી જાય છે કે તેમની ગાયકીની ઊંચાઈને આંબવી અશક્યવત્ છે.
ઘણા સમય સુધી ફિલ્મજગતમાં પ્રવેશતા નવાસવા ગાયકોનો આદર્શ કુંદનલાલ સાયગલ રહેતા. સાયગલના પ્રભાવ હેઠળ કારકિર્દીનો આરંભ કરીને આગળ જતાં સ્વતંત્ર ઓળખ ઉભી કરનાર ગાયકો વિશે અગાઉ આ પોસ્ટમાં અહીં  વાત કરી હતી. આજે સાયગલસાહેબની સીત્તેરમી મૃત્યુતિથી છે. 

તેમના વિશે એટલું બધું લખાયું છે કે એમાં કશો ઉમેરો કરવાની ગુસ્તાખી થઈ જ ન શકે. આમ છતાં, તેમની ગાયકીનાં પાસાંને અલગ અલગ રીતે મૂકીને જોવાની એક મઝા છે. સાયગલસાહેબ કે તેમના યુગ સાથે મારું અને મારા જેવા અનેકનું ભૂતકાળનું કોઈ જોડાણ કે અનુસંધાન (નોસ્ટેલ્જિયા) નથી. આ કારણે કુતૂહલભાવે તેમના કામને વિવિધ રીતે જોવાની જિજ્ઞાસા થતી રહે છે.
સાયગલસાહેબે સૌથી વધુ ગીતો હિન્‍દીમાં ગયાં. ત્યાર પછી બાંગ્લામાં. હિન્‍દી સિવાય તેમણે બાંગ્લા, તમિલ, ઉર્દૂ, ફારસી અને પંજાબી-એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષામાં ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને તેમનું સ્મરણ કરીએ.
તેમનું ગાયેલું આ બાંગ્લા ગીત છે, જે ગેરફિલ્મી છે. ગીતકાર પ્રણવ રોય અને સંગીતકાર સુબલ દાસગુપ્તા. 

સૌ પ્રથમ બંગાળીમાં બનેલી દેબદાસ (1935) માં મુખ્ય ભૂમિકા પી.સી.બરુઆની હતી. તેને પગલે હિન્દીમાં દેવદાસ (1935)નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સાયગલે મુખ્ય ભૂમિકા ભજવી. 1936માં દેવદાસા નામે તમિલમાં આ ફિલ્મ બની, જેમાં મુખ્ય ભૂમિકા પી.વી.રાવની હતી. આ ફિલ્મમાં સાયગલે બે ગીત ગાયાં હતાં. તેમાંનું એક ગીત.


તેમણે બે ફારસી (પર્શિયન) ગીતો પણ ગાયાં હતાં. એ પૈકીનું મિર્ઝા કાતીલે લખેલું એક ગીત.



નવાઈ લાગે એવી વાત એ છે કે માતૃભાષા પંજાબીમાં તેમણે કેવળ બે જ ગીતો ગાયાં છે, જે બન્ને બિસ્મીલ અમૃતસરીએ લખેલાં છે. આ ગેરફિલ્મી ગીત પૈકીનું એક ગીત.



ઉર્દૂ- હિન્‍દી શબ્દો તેમનાં ઘણા ગીતોમાં સાંભળવા મળે છે. અહીં પ્રસ્તુત છે બેદમ વારસીએ લખેલી ઉર્દૂ ગઝલ.


 સાયગલ વિશેનાં અનેક પુસ્તકો પૈકી સૌથી અધિકૃત કહી શકાય એવું પુસ્તક એટલે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત જબ દીલ હી તૂટ ગયા’. સાયગલ વિશેની અધિકૃત માહિતી ઉપરાંત તેમણે ગાયેલા એકેએક ગીતનો પાઠ પણ તેમાં આપવામાં આવ્યો છે. આ પોસ્ટમાંની તમામ માહિતી માટે એ પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.


સાયગલસાહેબની ગાયકીની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા અલગ બાબત છે, પણ તેમના સોના જેવા અવાજને સમયનો કાટ લાગી શકતો નથી, એ પ્રતિતિ સમય વીતતાં દૃઢ થતી જાય છે. 

(તમામ ગીતોની લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી) 

Sunday, January 18, 2015

કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં


૧૯૩૧માં આવેલી પહેલવહેલી બોલતી હિન્દી ફિલ્મ આલમ આરાથી લઈને છેક અત્યાર સુધી ફિલ્મોમાં ગીતોની દીર્ઘ પરંપરા રહી છે. આરંભે અદાકારો પોતે જ ગીત ગાતા અને ત્યાર પછી પાર્શ્વગાયનનો યુગ શરૂ થયો એ સાથે જ અનેક પાર્શ્વગાયકોનો ઉદય થયો. પણ આ બન્ને યુગમાં સૌથી ટોચે કોઈ એક ગાયકનું નામ મૂકવાનું આવે તો એક જ નામ હોઠે આવે- કે.એલ.સાયગલ એટલે કે કુંદનલાલ સાયગલ.
અનન્ય સાયગલ કોશ 
આ નામ કાને પડતાં જ કાનમાં મધુર સૂરોનું ગુંજન થવા લાગે અને એક પછી એક કેટલાંય ગીતો યાદ આવવા લાગે. અહીં સાયગલની જીવનકથા, તેમની ફિલ્મોની વાતો કે તેમના વિષેની અનેક દંતકથાઓ વિગતે આપવાનો જરાય ઈરાદો નથી. વ્યક્તિ તરીકે એ કેવા ઉમદા ઈન્સાન હતા એની વાત પણ નથી કરવી. સાયગલ વિષે નાનાંમોટાં અનેક પુસ્તકો, પુસ્તિકાઓ, કૉફી ટેબલ બુક્સ થયાં છે. કોઈકમાં તેમના જીવનના છૂટાછવાયા વાર્તાઓ જેવા અર્ધસત્ય કિસ્સાઓ છે, તો કોઈકમાં ચમકીલા કાગળ પર વિશાળ કદની તસવીરોની વચ્ચે નામ પૂરતું લખાણ મૂકીને સાયગલના નામે રોકડી કરવાનો પ્રયાસ છે. આવા પુસ્તકોના અંબારમાં તેમના જીવન અને કવન અંગેનું એક પુસ્તક સૌથી અલગ તરી આવે છે. જબ દિલ હી તૂટ ગયા નામના આ પુસ્તકને સાયગલ કોશ કહી શકાય. સાયગલના જીવન વિષેની ઝીણી ઝીણી વિગતોથી લઈને તેમણે ગાયેલાં તમામ ગીતોનો આખો પાઠ તેમાં આપવામાં આવ્યો છે. આ કોશના સંપાદક છે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી. આ બન્ને સન્નિષ્ઠ સંપાદકોની સૂઝ અને ખંતનું એક ઉદાહરણ જાણવું પૂરતું થઈ પડશે.
સાયગલની જન્મતારીખ વિષે મતાંતર છે. અમુક જગાએ તે ૪ એપ્રિલ, ૧૯૦૪ છે, તો અમુક જગાએ ૧૧ એપ્રિલનો ઉલ્લેખ છે. આમાં સાચું શું? સાયગલસાહેબનાં પરીવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ તેમની પાસે કશો લેખિત પુરાવો હતો નહીં. રાઘવ આર. મેનનના પુસ્તક ધ પિલ્ગ્રીમ ઑફ સ્વરમાં ત્રણ જ્યોતિષીઓ દ્વારા બનાવાયેલી કુંડળીના ઉલ્લેખ છે. પણ તેમાં ચોક્કસ તારીખ નથી. મેનન પાસે કદાચ અસલ કુંડળી હોત, પણ તેમનું અવસાન થઈ ગયું હોવાથી એ શક્યતા પર તાળું લાગી જતું હતું. આ બન્ને સંપાદકોએ મેનન દ્વારા અપાયેલી વિગતો પરથી આખી કુંડળી અને ફળાદેશ નવેસરથી કઢાવ્યા અને તેના આધારે પ્રસ્થાપિત કર્યું કે સાયગલસાહેબની સાચી જન્મતારીખ ૧૧ એપ્રિલ, ૧૯૦૪ છે. આ બન્ને કંઈ જ્યોતિષમાં આસ્થા રાખનારા નથી, પણ સંપાદનમાં વિગતો એકઠી કરવામાં કશાનો છોછ ન પાલવે, એમ દૃઢપણે માનનારા છે. (આ પુસ્તક મંગાવવા માટેની વિગતો 
અહીં  ઉપલબ્ધ છે.) સાયગલસાહેબ પર હજી એક વ્યક્તિ પુસ્તક લખે એવી સ્વાભાવિક અપેક્ષા છે, પણ એ વાત પછી. બરાબર આજના દિવસે, એટલે કે ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના દિવસે સાયગલસાહેબે આ પૃથ્વી પરથી સદેહે વિદાય લીધી હતી. પણ સ્વરદેહે તે સદાય અમર છે.
આજના દિવસે વાત કરવી છે તેમની ગાયકીના અન્ય ગાયકો પરના પ્રભાવની.
**** **** **** 
એ બહુ જાણીતી હકીકત છે કે સાયગલસાહેબે ગાયનની બાકાયદા તાલિમ ક્યાંય કોઈની પાસે લીધી ન હતી કે નહોતી તેમને શાસ્ત્રીય સંગીત અંગે ખાસ જાણકારી. અને છતાંય તેમના અવાજમાં, તેમની ગાયકીમાં એવું ગજબનું આકર્ષણ હતું કે રાયચંદ બોરાલ, પંકજ મલિક, તિમીર બરન, ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોએ ખાસ સાયગલના કંઠને જ ધ્યાનમાં રાખીને ગીતોની ધૂન બનાવી.
સાયગલનાં ગીતોને બેસુમાર લોકપ્રિયતા મળી. આમ આદમીથી માંડીને સંગીતના, શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદોએ પણ તેમના કંઠને વખાણ્યો. એ સમયે નવા આવનાર અનેક ગાયકો માટે સાયગલનો કંઠ આદર્શસમાન હતો. તેમના જેવું જ ગાવાની અને તેમના જેવો જ અવાજ કાઢવાની કોશિશ નવા ગાયકો કરતા. જો કે, એ સમયના કાબેલ સંગીતકારોએ આ ગાયકોને સાયગલના સ્વરની અસરમાંથી બહાર કાઢ્યા અને તેમને સ્વતંત્ર ઓળખ બક્ષી. પરિણામે આ ગાયકોના કંઠની આગવી લોકપ્રિયતા ઉભી થઈ.
શરદબાબુની વિખ્યાત નવલકથા પરથી ન્યુ થિયેટર્સ દ્વારા નિર્મીત ફિલ્મ દેવદાસ (૧૯૩૫) ને ખૂબ જ પ્રસિદ્ધી મળી. તિમીર બરને સંગીતબદ્ધ કરેલાં અને સાયગલે ગાયેલાં ગીતો બહુ લોકપ્રિય થયાં. એમાંય કેદાર શર્માએ લખેલું બાલમ આયે બસો મોરે મન મેં ગીત તો ફિલ્મની ઓળખસમાન બની રહ્યું. લોકોને હોઠે રમવા માંડ્યું. આ ગીતની સફળતાથી અંજાઈને મુંબઈની સાગર મુવીટોને પોતાની ફિલ્મ ડેક્કન ક્વીનમાં આ જ ધૂન પર બિરહા કી આગ લગી મોરે મન મેં ગીત સુરેન્દ્ર પાસે ગવડાવ્યું. સુરેન્દ્રની આ પહેલી જ ફિલ્મ હતી. 


મુકેશ પણ સાયગલના જબરદસ્ત પ્રભાવ તળે હતા. નિર્દોષ દ્વારા તેમણે પાર્શ્વગાયનનો આરંભ કર્યો, એ પછી પહલી નજરમાં ગાયેલું આ ગીત સાયગલની પ્રચંડ અસર તળે હતું.


આગળ જતાં જેમની ઓળખ ઉછલમ કૂદમ તરીકે બની, એવા કિશોરકુમાર સાયગલસાહેબના જબ્બર ચાહક હતા. જિદ્દીમાં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ગાયેલા તેમના આ ગીતમાં સાયગલસાહેબનો કેવો પ્રભાવ જણાય છે!


આ ગાયકો, જો કે, એટલા નસીબદાર કે, કાબેલ સંગીતકારોએ તેમને સાયગલના પ્રભાવમાંથી બહાર કાઢીને આગવી ઓળખ બક્ષી અને આગળ જતાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ આત્મા હશમતરાય ચૈનાની ઉર્ફે ચૈનાની આત્મા હશમતરાય એટલે કે સી.એચ.આત્મા એટલા નસીબદાર ન હતા. સાયગલના અવાજના પ્રભાવમાંથી તે આજીવન મુક્ત ન થઈ શક્યા, અને તેથી જ, અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, તેમના અવાજની સ્વતંત્ર ઓળખ ભાગ્યે જ બની. તેમનું ગાયેલું નગીનાનું આ યાદગાર ગીત.


આ સૌ ભારતના ગાયકો હતા. અફઘાન ગાયક નશેનસ (સાદીક ફિતરત હબીબી) પશ્તો તેમજ ઉર્દૂ ગીતો ગાય છે. તેમને પણ અફઘાન સાયગલ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગાયેલું સાયગલસાહેબનું આ ગીત. 


ઘણી વાર એ દલીલ કરવામાં આવે છે કે સાયગલનો અવાજ કે તેમનાં ગીતોનો જમાનો વીતી ગયો. હવે એવાં ગીતો ન ચાલે. દલીલની સામે પ્રતિદલીલ અને પ્રતિ-પ્રતિદલીલ ચાલ્યા જ કરે. આના જવાબમાં આ ગીત સાંભળો, જે ડૉ. સંગીતા નેરૂરકરે ગાયું છે. ડૉ. સંગીતા નેરૂરકર સાયગલનાં ગીતો સ્ટેજ પરથી રજૂ કરે છે. 


આ તમામ ગાયકોને સાંભળ્યા પછી કુંદનલાલ સાયગલનો અસલી અવાજ. સ્ટ્રીટ સીંગરનું આ ગીત બાબુલ મોરા.. સાયગલનું અત્યંત પ્રસિદ્ધ ગીત છે. વાજીદ અલી શાહની આ રચના અતિ જાણીતી અને અનેક ગાયકો દ્વારા ગવાયેલી છે, પણ સાયગલની વાત જ ન્યારી છે. ફિલ્મમાં આ ગીત તે હાથમાં હારમોનિયમ સાથે રસ્તે ચાલતા ચાલતા ગાતા બતાવાયા છે. પડદા પર બતાવાયું છે એ રીતે શૂટીંગ વખતે ચાલતાં ચાલતાં જ આ ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો, છતાં જે અસર તેમના અવાજમાં પેદા થઈ છે, તેની તોલે બીજા કોઈનું ગાયેલું આ ગીત ન આવે. (આ અંગત મંતવ્ય છે.)



સાયગલસાહેબનાં અન્ય ગીતોની અને તેમના પર લખાનારા પુસ્તકની વધુ વાતો સમય આવ્યે...