Showing posts with label દેવેન્દ્રસિંહ ગોહીલ. Show all posts
Showing posts with label દેવેન્દ્રસિંહ ગોહીલ. Show all posts

Sunday, November 27, 2022

આત્મીયતાનો રુટ: અમદાવાદ-નડિયાદ-ભરૂચ વાયા મહેમદાવાદ

 "આ બેન્જો તેં કેટલામાં ખરીદેલો?"

"આઠ-સાડા આઠ હજાર હશે."
"પૈસા તેં એકલાએ કાઢ્યા?"
(ચહેરા પર મૂંઝવણના ભાવ)
આ સવાલ પૂછનાર હું એટલે કે બીરેન, અને સવાલ જેને ઉદ્દેશીને પૂછાયેલો એ હતો 'વીકી' ઉર્ફે યજુવેન્દ્રસિંહ ગોહિલ નામનો જુવાનિયો.
'આવો તે કંઈ સવાલ હોતો હશે?' એમ બિચારા વીકીને થયું હશે, કેમ કે, વાદ્ય પોતે ખરીદેલું હોય તો એના પૈસા પોતે જ કાઢ્યા હોય ને!
એની મૂંઝવણ જોઈને મને મજા આવી. એ પછી મેં એને કહ્યું, 'તારા બાપાએ અને મેં 1982-83માં એક બેન્જો ખરીદેલો. એની કિંમત હતી 45/- રૂપિયા. અને અમે બેય જણે એ 'ભાગ'માં ખરીદેલો. તારા બાપાએ 25/ રૂ. કાઢેલા, અને મેં 20/. એ શરત કરેલી કે એ પછી જે એ બેન્જો રાખશે એણે પોતાના ભાગના પૈસા ચૂકવી દેવાના. એ બેન્જો હાલ મારી પાસે છે, અમે એ વગાડીએ છીએ, પણ ચાલીસ વરસ થયા છતાં હજી મેં તારા બાપાને મારા ભાગના 20/ રૂ. ચૂકવ્યા નથી. હવે તેં સીધો આઠ-નવ હજારનો બેન્જો ખરીદ્યો એટલે મારે પૂછવું તો પડે ને!'
વીકીના મનમાં આખું ગણિત ધીમે ધીમે ગોઠવાયું, અને અજવાળું થતું ગયું. એને કદાચ નવાઈ પણ લાગી હશે કે પોતાના બાપા વળી કોઈની સાથે આવી તુચ્છ ચીજ બાબતે ભાગીદારી કરે?
વીકીના એ બાપા એટલે મારો કૉલેજકાળનો મિત્ર દેવેનદ્રસિંહ ગોહિલ, જેનો 26 નવેમ્બરના રોજ જન્મદિવસ છે.
દેવેન્દ્ર સાથેની મૈત્રી આજકાલ કરતાં ચાર દાયકાને આંબી ગઈ છે. નડિયાદ ડી.ડી.આઈ.ટી.માં અમે ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પહેલા વરસથી સાથે હતા, અને છેક ત્રીજા વરસ સુધી સાથે રહ્યા. એ અમદાવાદથી ટ્રેનમાં અપ-ડાઉન કરતો અને હું મહેમદાવાદથી, એટલે લગભગ શરૂઆતથી જ પરિચય થઈ ગયેલો, જે ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો. અમારા ક્લાસમાં અમે બે જ જણ અપડાઉન કરતા હોવાથી અમારા સહાધ્યાયીઓ અમને 'અપડાઉનીયા' તરીકે ઓળખતા. ક્યારેક અમે બન્ને વર્ગમાં કશીક ગુસપુસ કરતા હોઈએ તો બોરીકરસાહેબ અટકીને પૂછતા, 'ક્યા કુછ ટ્રેન કા ટાઈમ હૈ?'
દેવેન્દ્ર એકદમ આખાબોલો, અને અમારા વર્ગમાં બારમા ધોરણ પછી ડિપ્લોમામાં આવેલા કુલ ચાર જણા. બાકીના દસમા પછી આવેલા. એટલે સીધી જ 'જનરેશન ગૅપ' જણાય. દેવેન્દ્ર પોતાના આખાબોલાપણાથી આ ગેપને વધુ પહોળી કરી આપતો. ઔષ્ઠ્ય અને તાલવ્ય વ્યંજનોથી શરૂ થતા ચુનંદા શબ્દોનો તે 'નવી' જનરેશન આગળ છૂટથી ઉપયોગ કરતો.

એમ કરતાં પરીક્ષા આવી. સમય સવારનો. દેવેન્દ્ર બાપુનગર રહેતો. ત્યાંથી એ સાયકલ લઈને કાલુપુર સ્ટેશને આવે અને પછી ટ્રેન પકડે. અમદાવાદથી સવારના પાંચ-સવા પાંચે ઊપડતી ભોપાલ પેસેન્જર પકડવા માટે એણે પોણો કલાક-કલાક વહેલા નીકળવું પડે અને એથી વહેલા જાગી જવું પડે. આથી મેં એને મહેમદાવાદ આવી જવા કહ્યું. કેમ કે, એ ટ્રેન મહેમદાવાદ સવા છએ આવતી. દેવેન્દ્ર પરીક્ષા દરમિયાન મહેમદાવાદ રહેવા આવ્યો, અને ધીમે ધીમે દર પરીક્ષા વખતે એ ક્રમ બની ગયો. પછી તો એવું બનતું કે પરીક્ષા હોવાની જાણ થાય એટલે મારા ઘરનાં જ પૂછવા લાગે કે દેવેન્દ્ર ક્યારે આવવાનો છે! આ રીતે સતત મહેમદાવાદ રહેવાને કારણે મહેમદાવાદના અમારા વર્તુળથી પણ તે પરિચીત થયો. આવા જ એક રોકાણ દરમિયાન અમે બેન્જો ખરીદવાનું વિચાર્યું અને એ વિચારને અમલમાં મૂક્યો.
કૉલેજકાળની અને તેના મહેમદાવાદનિવાસની અનેક સુખદ સ્મૃતિઓ મનમાં સંઘરાયેલી છે. એ વખતે ઉર્વીશ નવમા ધોરણમાં હતો. દેવેન્દ્રે અને મેં નક્કી કરેલું કે ગમે એ થાય, ફાઈનલ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ લાવવો જ. કેમ કે, અમારી નોકરી એના પર આધારિત હતી. આથી અમે બન્નેએ રીતસર ગોખણપટ્ટી ચાલુ કરેલી. અમે લાંબા લાંબા સવાલ લખી લખીને મોઢે કરીએ અને પછી ઉર્વીશને કહીએ કે એ સવાલ પૂછે અને અમે એનો જવાબ મોઢે બોલીએ. અમારા બોલવામાં એકાદ શબ્દની ભૂલ આવે એટલે ઉર્વીશ અટકાવીને કહે કે આ ખોટું છે. અમે કહીએ કે એકાદ શબ્દ આગળપાછળ ચાલે. આમ, ઉર્વીશની પ્રમાણમાં કુમળી વયે અમે એને કેમિકલ એન્જિનિયરીંગના અઘરા અઘરા જવાબોનું શ્રવણ કરાવ્યું છે.
કૉલેજકાળમાં અમે સાથે જ ટ્રેનમાં અપડાઉન કર્યું અને અમુક ફિલ્મો પણ સાથે જોઈ. એ પછી નોકરીની વાત આવી. તેણે ભરૂચ ખાતે જી.એન.એફ.સી.માં નોકરી સ્વીકારી, અને મેં વડોદરાના આઈ.પી.સી.એલ.માં. આમ, અમે વિખૂટા પડ્યા પણ અમારો સંપર્ક ચાલુ રહ્યો. અમારો પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો.
કૉલેજમાંથી સીધા જ એક વિશાળ સંકુલમાં આવી જવાથી જે અસુખ અનુભવાય એ અમને બન્નેને એ અરસામાં અનુભવાતું, જેનો ઉલ્લેખ પત્રોમાં થતો. તે જી.એન.એફ.સી.ની ટાઉનશીપના ક્વાર્ટરમાં રહેતો ત્યારે ઘણી વાર હું એને ત્યાં એકાદ બે દિવસ રહેવા જતો. તેના પપ્પા ખુમાણસિંહકાકા અને મમ્મી બહુ પ્રેમથી મારી સાથે વાતો કરતાં.
એ પછી તેનું લગ્ન અમદાવાદસ્થિત કાનન વાઘેલા સાથે થયું. એ લગ્નમાં પણ બે દિવસ મેં હાજરી આપીને અમુક હદનો કાર્યભાર સંભાળેલો. બહુ વખત પછી જાણ થઈ કે વાઘેલા પરિવાર એટલે પ્રકાશ ન. શાહનો પાડોશી. યોગાનુયોગ એવો કે વાઘેલા પરિવારે અન્યત્ર સ્થળાંતર કર્યું, અને હવે પ્રકાશભાઈએ પણ.
કાનનના આવ્યા પછી પણ અમારા પત્રવ્યવહારમાં ઓટ ન આવી. દેવેન્દ્રના પત્રમાં હવે કાનન પણ અલગથી લખતી થઈ. કાનનના આવ્યા પછી મારું ભરુચ રહેવા જવાનું ચાલુ રહ્યું અને એ પણ જૂની પરિચીત હોય એમ લાગતું.
સમયાંતરે વડીલો વિદાય લેતા ગયા અને પરિવારમાં નવા સભ્યોનો ઉમેરો થતો ગયો. પત્રવ્યવહાર ક્ષીણ થતો ગયો, અને છેવટે સદંતર બંધ થયો, પણ આત્મીયતામાં કશો ફેર ન પડ્યો.
દેવેન્દ્રને ત્યાં પહેલાં હું એકલો જતો, પછી કામિની સાથે જતો, અને શચિને લઈને પણ જતો થયો, એમ તેને ત્યાં પણ પહેલાં યજુવેન્દ્ર અને પછી ભૃગુરાજનું આગમન થયું. પણ અમને એ અમારું જ ઘર હોય એમ લાગે છે.
એક વિશેષ પ્રસંગે દેવેન્દ્રની હાજરી હજી યાદ રહી ગઈ છે. ઉર્વીશનું લગ્ન હતું, અને પરિવારના (ઉર્વીશ સહિત) સાત જણ જ 'જાન' લઈને ઉપડવાના હતા. લગ્નની જાણ કરતું પોસ્ટકાર્ડ અમે સૌને મોકલેલું. એમાં દેવેન્દ્રને એ સહેજ વહેલું મળી ગયું. એ સીધો બેઠો ગુજરાત ક્વીનમાં અને સવારના સાડા નવે અમારે ઘેર મહેમદાવાદ. આવીને કહે, 'અલ્યા, મારે તો આવવું જ પડે.' અમેય અપવાદ કરીને એને સામેલ કર્યો અને આમ, ઉર્વીશના લગ્નનો એક માત્ર 'બહારનો સાક્ષી' દેવેન્દ્ર બની રહ્યો.
એ જ રીતે દેવેન્દ્રને ત્યાં ગમે એ પ્રસંગ હોય, મારી ઉપસ્થિતિ મોટે ભાગે હોય જ. ભરૂચમાં તેનું આગવું મિત્રવર્તુળ છે, જેની સાથે મળીને એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અને હિમાલયના પ્રવાસે પણ ઉપડે છે. મને એમ ધારવું ગમે છે કે એના બધા જ મિત્રો મને નામથી ઓળખે છે. કલ્પના તો ત્યાં સુધી પહોંચે છે કે એમાંના કેટલાક તો મારું નામ સાંભળતાં મુઠ્ઠીઓ વાળતા હશે, અને મનમાં કહેતા હશે, 'આ બાપુએ પાછું બીરેનપુરાણ શરૂ કરી દીધું.'
હવે ફોન પર સંપર્ક થાય છે, પણ ફોનમાં પત્ર જેવી મજા ક્યાં? આમ છતાં, વચ્ચે ગમે એટલો અંતરાલ પડે, જ્યારે મળીએ ત્યારે અમારી મૈત્રીની ઉષ્મા એવી ને એવી જ હોવાનું અનુભવાય છે. અને એ માત્ર દેવેન્દ્ર અને મારી વચ્ચે જ નહીં, સમગ્ર પરિવારને!
હવે તો મારા 'આદિકાળના' કહી શકાય એવા આ મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ.

Saturday, February 7, 2015

એકલતામાં ખોવાવાનો આનંદ


-     દેવેન્‍દ્રસિંહ ગોહીલ

(ભરુચ રહેતા મારા મિત્રો દેવેન્‍દ્રસિંહ ગોહીલ અને સતીશચંદ્ર પટેલથી આ બ્લોગના વાચકો પરિચીત છે. અગાઉ તેમણે અહીં બે હપ્તામાં વૅલી ઑફ ફ્લાવરનું તસવીરી વર્ણન  બહુ રસપ્રદ રીતે કર્યું હતું. આ વખતે તેઓ ઘરઆંગણાના એક ઓછા ખેડાયેલા સ્થળનો પ્રવાસ કરીને આવ્યા છે. પ્રવાસ, જો કે, ત્રણ-ચાર મહિના પહેલાં કરેલો છે, પણ આવા રખડુ મિત્રો પાસેથી તેનું વર્ણન લખાવતાં, વિગતો મેળવતાં આટલો સમય જાય તો માફ છે. એમાંય એ વર્ણન આવું હોય ત્યારે તો ખાસ.)

બંધારણમાં લખ્યું નથી તેથી શું થઈ ગયું? પહોંચતા -કારવતા ગુજરાતી ઘરોમાં  દિવાળીનું ટૂંકું વેકેશન કે મે મહિનાના લાંબા વેકેશનના એક-બે મહિના પહેલાં  રજાઓમાં શું કરીશું એવા પ્રશ્નાર્થથી વાતની માંડણી લગભગ એક નિયમ લેખે થતી હોય છે. છેવટે એકાદ દિશા પર પસંદગી ઉતરે, જેને કવર કરવાનું નક્કી કરવામાં આવે. રસ્તે આવતાં અનેક સ્થળે અને છેવટે મુખ્ય સ્થળે થપ્પો  મારીને પાછા આવી જવાનું આયોજન થાય. બે ત્રણ દિવસની રજાઓ આવતી હોય અને સાથે  શનિ-રવિ ગોઠવાતા હોય એવા મીની વેકેશનમાં આવી ગોઠવણ નાને પાયે થાય. પગે  ભમરોહોય એવા અમારા જેવા લોકો આવી ગોઠવણ ઓફિસના સમય દરમ્યાન કરી લેતા હોય છે.

એવું કંઈક  એક મીની વેકેશન માં ગોઠવાઈ ગયું. અમે ચાર મિત્રો સતિષ પટેલ , લલિત, ગૌરાંગ  અને હું- એક બાબતે  સહમત હતા કે મીની વેકેશનની ભીડ ઓછી થાય પછી રખડવા નીકળીએ, અને  તે પણ  બાઈક પર! એ મુજબ સતિષને સ્થળ નક્કી કરવાનું હોમવર્ક સોંપી દેવામાં આવ્યું. સતીષ જેવા આદિગૂગલને (ગૂગલથીય પહેલાના યુગના ગૂગલ)ને હોમવર્ક આપી દો એટલે પત્યું.
આખરે ગોઠવણ એવી થઈ કે  નિનાઈ ધોધ તેમજ દહેલ ઘાટના ધોધની મુલાકાત લઈને વિસલખાડી - રાજ પીપળા થઈને પરત આવવું.

બાઈક પર જવાનું હતું એટલે લલિતે હવા ભરવાનો પંપ તેમજ બે ટ્યુબ એક્સ્ટ્રા લઈ લીધી. બીજી ખાસ વ્યવસ્થાની જરુર લાગી નહોતી. બધાએ પોતપોતાના ઘેરથી એક ટંક પુરતું જમવાનું / નાસ્તો લઈ લેવાનો હતો. બાકી જે મળે તેનાથી ચલાવવાનું હતું. સાગબારામાં અમારે રાત્રિરોકાણ કરવાનું હતું, જ્યાં અમારા યજમાન હતા સુપાભાઈ.

કોઈ લીલી ઝંડી ફરકાવ્યા વિના સવારના સાડા છએ અમારો બાઈકસંઘ ઉપડ્યો. માલસામોટના રસ્તે આવેલા નિનાઈ જવું હોય તો ભરુચથી અંકલેશ્વર-વાલિયા- દેડિયાપાડાવાળો રુટ સહેલો પડે. તે થોડો લાંબો, પણ સરળ અને સગવડભર્યો છે. પણ અમે થોડો ટૂંકો અને ગામડાઓમાંથી પસાર થતો રુટ પસંદ કર્યો. હજી થોડા વર્ષો પહેલાં વિસ્તાર ગુજરાતના ચંબલ તરીકે ઓળખાતો હતો. (જાણકારો કહે છે કે હવે એ બિરુદ ગાંધીનગરને મળ્યું છે.) હવે, જો કે, હવે પ્રમાણમાં શાંતિ  છે, છતાંય સાંજ પછી વિસ્તારમાંથી પસાર થવું સલાહભર્યું નથી

નેત્રંગ છોડ્યા પછી સમતલ જમીને ધીરે ધીરે ઉંચાઈ પકડવાની શરૂ કરી. અહીં નેત્રંગ અને ડેડિયાપાડાને છૂટા પાડતી ટેકરીઓની વચ્ચે રસ્તો કોતરીને સરસ ઘાટ બનાવ્યો છે. અહીં સુધી પહોંચતાં અમારી આંખો હરિયાળા ખેતરોથી ટેવાઈ ગઈ હતી. પણ ખરું જંગલ હવે શરૂ થઈ રહ્યું હતું અને તેનો અંદાજ ઘાટ પૂરો થતાં આવી જાય. સાગના વૃક્ષોની હારમાળા રોડની આજુબાજુ શરૂ થઈ જાય, સાથે મહુડો, કરંજ, તાડ જેવાં બીજાં ઘણાં વૃક્ષો પણ દેખાવા માંડે.
નેત્રંગ ઘાટ 
સવારનો સમય અને વાદળછાયું વાતાવરણ, આખાય રોડ પર વાહનોની અવરજવર હોય એટલે બાઈકને જેમ રમાડવી હોય એમ રમાડો, કશો જ વાંધો નહિં. ધીરે ધીરે બાઈકીંગનો નશો મન પર સવાર થઈ રહ્યો હતો. ખરચી, બોરિદ્રા- ધારોલી , માલજીપુરાહરીપુરા, નેત્રંગ થઈને દેડીયાપાડા પહોંચ્યા. નોન-સ્ટોપ ૮૫ કિ.મી.ના બાઈકીંગ પછી અમારો પહેલો મુકામ હતો દેડિયાપાડાનું "ગુજરાત ભજીયા હાઉસ". દેડિયાપાડા તાલુકાનું સ્થળ હોવાથી તેનો વિકાસ થઈ ગયેલો જોઈ શકાય.  અહીં મોટરસાયકલ ચલાવતી યુવતીઓ પણ નજરે પડે. શું ખાવું છે ?’ એમ પૂછતાં સતીષે જણાવ્યું, બધું ’. એ પવિત્ર આત્માને મન કશા ભેદભાવ ન હતા. એટલે અહીં જે ત્રણ-ચાર જાતનાં ભજીયા, પાતરાં, સમોસા- જે મળ્યું તે બધાને અમે સમભાવે આરોગ્યાં. ખાતાં ખાતાં જાણવા મળ્યું કે આ સ્થળ અહીં ખૂબ પ્રચલીત છે. એટલે ડર પણ લાગ્યો કે ક્યાંક આ ભાઈ કોઈકની સાથે એમ.ઓ.યુ. કરી દેશે તો પછી આ ભજીયાં આપણી પહોંચમાં રહેશે નહીં. એટલે એ ડરના માર્યા વધુ ભજીયાં ઝાપટી લીધા. કલ હો ન હો!

                                         **** **** ****

દેડિયાપાડાથી ઉત્તરે છ કિ.મી.ના અંતરે બોગજ નામનું ગામ આવેલું  છે. બોગજ પાસેથી પસાર થતી તેરાવ નદીમાં મળતા નાના ઝરણાં પર આવેલો ધોધ અમારો બીજો મુકામ હતો. 


તેરાવ નદીને મળતું ઝરણું
બોગજ પાસેની તેરાવ નદી 

સ્થળે પહોંચવા માટે હવે તો પાકો રસ્તો છે. ગામ પાસે નદી પર પુલ પણ છે. બ્રિજ પર ઉભા રહીને કઈ તરફ જવું એ વિચારતા હતા, ત્યાં એક યુવાન અમારી મદદે આવ્યો. જીતેન્‍દ્ર નામનો એ યુવાન અમારી સાથે ધોધ સુધી આવવા તૈયાર થઈ ગયો. એના કહેવાથી અમે બાઈકને નીચે ઉતારી. લગભગ ૩૦-૪૦ ફીટ નીચે નદી વહેતી હતી. તેના પટમાં બાઇક મૂકી અને અમે પગપાળા યાત્રા શરૂ કરી.


નદીનો પટ ઘણો વિશાળ છે અને ઉપર ડુંગરોમાં ભારે વરસાદ થાય ત્યારે નદી બન્ને કાંઠે વહેવા લાગે છે. લગભગ એકાદ કિ.મી. નદીના પટમાં ચાલ્યા હોઇશું અને પાણીના પછડાટનો જોરદાર અવાજ  સંભળાયો. અહીં એક નાના ઝરણાનું પાણી લગભગ ૨૫-૩૦ ફુટ ઉપરથી વેગપૂર્વક નીચે પડે છે
ધોધ અને તેની આસપાસ ગીચ ઝાડી આવેલી છે, એટલે નજીક જઇએ ત્યારેજ ધોધના દર્શનની અસલી મઝા માણી શકાયઅહીં પથ્થરો પણ  રીતે ગોઠવાયેલા છે કે છેક ધોધના પાણી સુધી પહોંચી શકાયધોધની બીલકુલ બાજુમાંજ પીપળાનું ઝાડ છે અને તેના થડ પાસે જમીનમાંથી પાણીનું નાનું ઝરણું ફુટે છે 
પાણી એકદમ ચોખ્ખું(નિતર્યું )અને મીઠું છેગામલોકોએ ત્યાં પાઇપની વ્યવસ્થા એ રીતે ગોઠવી છે કે એનો ઉપયોગ થઈ શકેઆ નાનકડા ધોધનો આનંદ માણીને અમે પાછા આવ્યા અને બાઈક પર આરૂઢ થયા.

જોશભેર પછડાતાં પાણી 
બોગજથી આગળ અમારે હવે દેડિયાપાડા થઈને નિનાઈ ધોધ જવાનું હતું. સ્થળ હવે ગુજરાતભરમાં વિખ્યાત થઈ ગયું છે. સુરતીઓમાં તે ખૂબ લોકપ્રિય છે. અહીં સુધીનો રસ્તો પણ સરસ થઈ ગયો છે. આજુબાજુ ગાઢ જંગલ વિસ્તાર છે અને પર્યાવરણની જાગરૂકતા દર્શાવતા જાતજાતના પોસ્ટરો પણ લાગી ગયા છે. નિનાઈ ધોધ આમ તો માલસામોટના ડુંગરોમાંથી નીકળતી એક નાની નદી પર આવેલો છે. તપાસ કર્યા પછી પણ નદીનું નામ જાણી શકાયુ નહીં, પણ એટલી ખબર પડી કે નદી છેવટે કરજણ નદીને મળે છે. નદીનું અને સ્વીસ બૅન્કમાં જમા થયેલા રૂપિયાનું મૂળ પૂછાય નહીં. અહીં અમને વગર પૂછ્યે નદીના મૂળની ખબર પડી, પણ નામ જાણવા ન મળ્યું. મુખ્ય રોડથી ધોધ સુધી જવા માટે બેથી અઢી કિ.મી.નો કાચો રોડ છે, પણ મોટાં વાહનો સરળતાથી જઈ શકે છે. ધોધના ઉપરવાસ પાસે પણ જઈ શકાય છે. 
નિનાઈ ધોધ 
નિનાઈ ધોધની  ઉપરથી દેખાતું દૃશ્ય  
નિનાઈ ધોધ: પાણીનું અધ:પતન 

અમે ત્યાં જ બેસીને અમારું બપોરનું ભોજન પતાવ્યું . ધોધના હેઠવાસ પાસે જવા માટે પગથીયાંની સરસ વ્યવસ્થા છે. અહીં આપણી સાથે એક દસ- બાર વરસનો છોકરો ચાલવા લાગશે, આપણને એની જરૂર હોય કે ન હોય. એ આપણો બની બેઠેલો ગાઈડ છે, એવી જાણ થતાં એને કંઈક પૂછીએ તો જવાબ આપે અને તે પણ ટૂંકાક્ષરી. એની માંગણી પણ બહુ નથી હોતી. ૧૦-૨૦ રૂ.ની ટીપ આપો તો આપણું અને એનું કામ ચાલી જાય છે. અહીં એક અણગમતું દૃશ્ય એ જોવા મળ્યું કે પ્લાસ્ટીકના પેકિંગમાં ખાવાની ચીજવસ્તુઓ મળવા માંડી છે. એ જોઈને ડર લાગે કે બહુ ઝડપથી આ સ્થળનું સૌંદર્ય નષ્ટ થઈ જશે.
                                       **** **** ****
અમારું હવે પછીનું ડેસ્ટીનેશન હતું- ‘દહેલઘાટના ધોધ’. નિનાઈ ધોધથી ઉપર જઈએ તો માલ-સામોટ તરફ જવાય પણ પાછા ડેડિયાપાડા તરફ વળીએ તો દોઢ-બે કિ.મી અંતરે કોકટી ગામ પાસે એક નાનો ફાંટો પડે છે. અહીં મુખ્ય રસ્તો છોડીને કાચા-ધુળિયા રસ્તા પર બાઇક ચલાવવી પડે. વરસાદની ઋતુ હોવાથી ઠેર-ઠેર ખાબોચિયા તો હોય . પણ અધીરાઈનો પાંચ-દસ મિનીટમાં અંત આવી જાય છે. ગામ સુધી જવા માટે પાકો રસ્તો ગુજરાત સરકારે બનાવ્યો નથી, પરંતુ ગામના બીજા છેડાથી મહારાષ્ટ્રમાં પ્રવેશતાં સાંકડો, છતાં સરસ મઝાનો પાકો રસ્તો શરૂ થઈ જાય છે. વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જીલ્લાના અક્કલકુવા તાલુકાની હદમાં આવે છે. અહીં એક ખાસ બાબત તરત ધ્યાનમાં આવે અને તે છે - અહીંના બધા ડુંગરાઓ પર ખેતી કરવામાં આવે છે. ગુજરાત તરફના ડુંગરો જંગલ-ઝાડીથી ભરપૂર છે, પણ તરફ ખાસ જંગલ નથી અથવા તો યેનકેન પ્રકારે એનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ગમે તેમ પણ અહીંના પહાડોમાં સરસ રસ્તાઓને કારણે બાઈક ચલાવવાની મઝા આવે છે. નિનાઈ ધોધ સમુદ્રતળથી આશરે ૧૫૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર છે, જ્યારે વિસ્તાર એનાથીય વધુ ઊંચાઈ પર આવેલો છે. આખો વિસ્તાર ખાસ વસ્તી વિનાનો અને તેને કારણે વાહનોની અવરજવર વિનાનો છે. વાહનચાલકોની કસોટી થઈ જાય તેવા સીધા અને ઉંચા ઢાળવાળા રસ્તાઓ છે. સૌથી ઊંચી સાબર ટેકરી આશરે ૨૫૦૦ ફૂટ ઊંચાઈએ આવેલી છે અને 
તેના છેક ઉપરના ભાગમાંથી રસ્તો પસાર થાય છે


સાબર ટેકરી 

આખોય વિસ્તાર ખૂબ રળિયામણો લાગે છે.
પહાડો પરથી ઉંચાનીચા રસ્તાઓ પસાર કરીને  આશરે ૩૦કિ.મી.ના અંતરે આવેલા ધોધ પાસે અમે પહોંચ્યા. અહીંના રહીશો મિલનસાર લાગ્યા. દહેલઘાટમાં ત્રણ જગ્યાએ ધોધ પડે છે. અહીં જે નદી વહે છે તેનું નામ દેવગંગા  હોવાનું જાણવા મળ્યું. આખોય વિસ્તાર પહાડી, છતાં સમતલ છે અને આશરે ૨૦૦૦-૨૨૦૦ ફુટની ઉંચાઈએ છે. અમે અહીં પહોંચ્યા ત્યારે નમતી બપોરના :૩૦/:૦૦નો સમય થયો હતોહવામાં ઠંડક અને ભેજ બન્ને કંઈક જુદી અનુભૂતિ કરાવતા હતા. અમે જેને અહીંનો મુખ્ય ધોધ માનતા હતા તે ત્રણ સ્ટેપમાં છે. અને ધોધને બરાબર નિહાળવા માટે નદી ઓળંગીને બીજી બાજુ જવું પડે છે, કારણ તરફ ખૂબજ ઊંચી ભેખડો છે, બીજી બાજુ પણ થોડે દૂર જઈને અનુકૂળ જગ્યા પસંદ કરીને થોડું નીચે ઉતરવાથી આખોય નઝારો વ્યવસ્થિત માણી શકાય છે.


દહેલઘાટના ઉપરના ભાગમાં આવેલી નદી 

દહેલઘાટના મુખ્ય ધોધની પડખે આવેલો ધોધ 

ત્રણ તબક્કે પડતો દહેલઘાટનો ધોધ 
આગળ જણાવ્યું તેમ રાત્રિરોકાણ સાગબારા ખાતે ઠરાવેલું હતું તેથી હવે પાછા ફરવું જરૂરી હતું, હવે બાઈક ચલાવવાનો વારો સતિષનો હતો. એના હાથમાં બાઈક આવે એટલે બાઈકને પાંખો ફૂટી જાણવી.  દહેલઘાટથી કણબીપીઠા- દેવમોગરા થઈને સાગબારા ફકત એક કલાકમાં તેણે પહોંચાડી દીધા. રહી વાત પાછળ બેસનારની.... એણે કશું કરવાનું હોય, જે થાય તે ચૂપચાપ જોયા કરવાનું.
દેવમોગરામાં પાંડૂરી માતાનું મોટું સ્થાનક છે. અહીં શિવરાત્રિએ મેળો ભરાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે. ગુજરાતમાં હોવા છતાં અહીં દારૂ અને મરઘીનો ભોગ માતાજીને ધરાવાય છે. અમે અહીં પહોંચ્યા ત્યારે રાત્રિના -૩૦ જેટલો સમય થઈ ગયો હતો. મંદિર બંધ હતું, પણ મંદિરના પ્રાંગણમાં આવેલા વૃક્ષો પર આગિયાની રોશની જોવાની મઝા પડી ગઈ.  છેક સાગબારા સુધી આમ રહ્યું. અહીંના જંગલોમાં આગિયા મોટા પ્રમાણમાં હોય એમ લાગ્યું. દેવમોગરાથી સાગબારા સુધીનો રસ્તો પ્રમાણમાં વધારે ખરાબ છે. સાગબારામાં સૂપાભાઈને ઘેર રાત્રીરોકાણ હતું, જે ત્યાંના જ રહીશ હતા. એમણે ભાવપૂર્વક જુવારના રોટલા, ચોખાના લોટના "માંડા"એટલે કે બાફેલો રોટલો અને મીક્ષ વેજીટેબલ સબ્જી જમાડી.  

*** ***** ****

"સાગબારાથી દેડિયાપાડા અને ત્યાંથી રાજપીપલા " રૂટ વિશે ખાસ વાત કરવી છે.- સાગબારા ગામની બહાર નીકળતાં ગાઢ જંગલ અને ખેતરો શરૂ થઈ જાય છે. વનવિભાગની મહેનત દેખાઈ આવે છે. સાથે સાથે ગ્રામજનોની સભાનતા પણ ખરી. હવે વિસ્તાર શૂલપાણેશ્વર અભયારણ્યમાં છેજંગલમાથી પસાર થતા રસ્તાઓ અને કેડીઓ પારખી શકાય છે. આખોય વિસ્તાર આમ તો પહાડી છે પરંતુ ઊંચાઈમા વધઘટ ખૂબ ઓછી છે- લગભગ સમતલ કહી શકાય . અહીં મકાઈ , જુવાર અને ડાંગરની ખેતી મોટા પ્રમાણમા થાય છે. સાગબારાથી દેડિયાપાડાનો રોડ ખરેખર સારો છે અને વાહન ચલાવતી વખતે આજુબાજુ ધ્યાન જાય તો પણ વાંધો આવે એવું નથી, દૂર રહેલા પહાડો ધીરે ધીરે નજીક આવે એમ તેની વૄક્ષો અને વનરાજીના રંગો પણ ઉઘડવા માંડે.

અમે  હવે દેડિયાપાડાથી રાજપીપલાનો રૂટ લીધો. લીમડા ચોક (ડેડિયાપાડા)થી થોડેક આગળ  જતાં રાજપીપલા જતો મુખ્ય રસ્તો શરૂ થાય છે. અહીં મોટા હોર્ડિંગ પર સ્થળના અંતર દર્શાવતા આંકડાઓ દૂરથી દેખાય છે.

અમારી બીજા દિવસની વળતી સફર શરૂ થઈ. એમ તો સવારે સાગબારાથી નીકળ્યા ત્યારથી ગણાય પણ, અહીં જરાક વિશેષ વાત છે. રાજપીપલા તરફ જતો રસ્તો L & T બાંધ્યો છે અને ખૂબ વિશાળ છે. ગામથી થોડે દૂર સુધી ખેતરો રહે છે અને પછી જંગલો શરૂ થાય છે. એની સાથે સાથે પહાડી ઢોળાવો પણ શરૂ થઈ જાય છે. ઘણા પહાડી રસ્તાઓ જોયા છે, પણ આટલા વ્યવસ્થિત, અને વેલ પ્લાન્ડ રસ્તાઓ નથી જોયા. રસ્તાની એક તરફ (ડુંગર બાજુ) પહાડોમાંથી વહેતા ઝરણાના પાણીને રોડ પર આવતું અટકાવવા વાસ્તે રસ્તાની બાજુમાં ટ્રેન્‍ચ ઠેર ઠેર બનાવવામાં આવી છે. આખોય વિસ્તાર એટલો રળિયામણો, ગીચ વૃક્ષોથી કે લીલાંછમ ખેતરોથી ભરેલો છે અને પહાડોમાં આ વિસ્તારના બીનઅનુભવી વાહનચાલક હોવા છતાં આખોય નઝારો માણતા, માણતા આગળ વધી શકાય છે.  


થોભો... 

માણો.... 

....અને નિરાંતે આગળ વધો 
વચ્ચે વચ્ચે આવતા ધોધ અને ઝરણાના પાણીના નિકાસની સુંદર વ્યવસ્થા છે. પહાડો ભલે ઊંચાઈમાં નાના છે, પણ સૌંદર્ય ખચોખચ ભરેલું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, આછું આછું અજવાળું હોય, ગરમીનું પ્રમાણ ઓછું હોય, અને આખાય પહાડી રસ્તા પર તમે એકલા વાહન ચલાવતા હો, - વાત કંઈક નોખી છે. અહીં વળાંકો, ચઢાવ-ઉતારથી તથા વૃક્ષ વનરાજીથી શોભતા આખાય રસ્તા પરનું ડ્રાઈવીંગ પ્લેઝર એક વાર અવશ્ય માણવા જેવું છે. અહીંના વાતાવરણ-સ્થળ-કાળમાં એટલી તાકાત છે કે તમને ઘડીભર કાશ્મીરની ઘાટીને ભુલાવી દેવા સમર્થ છે.

આમ પ્રવાસ કરતાં " વિસલ ખાડી " વિસ્તારમાં અમે પહોંચ્યા. લગભગ આખી બપોર અમે અહીં ગાળી. "વિસલ ખાડી " હવે તો ખૂબ જાણીતું સ્થળ છે. એટલે કંઈ વિશેષ કહેવા પણું નથી પણ અહીં "વિસલખાડી વન પરિસરિય કેન્દ્ર" (Visalkhadi eco-camp site) ખાતે ડુંગરોની ગોદમાં ઘેરાયેલા પાણીના સરોવર નજીક  બોટિંગ, ટ્રેકિંગ, આરામગૃહ, કેન્ટિન વગેરેની સુંદર વ્યવસ્થા છે.


વિસલખાડીને રસ્તે 
સાંજના સમયે અમે વિસલખાડીથી વિદાય લઈ માંડણ ગામ, બોરીદ્રાના ઊંચાઈ વાળા ભાગ પરથી કરજણ ડેમના બૅ વોટરનાં સુંદર દૃશ્યો માણ્યાં. પછી ઘાટના રસ્તામાં એક સુંદર ધોધ પણ જોયો અને રાજપીપળા થઈ ઘરે પરત આવી ગયા.


માંડણ ગામ પાસેનો નાનકડો ધોધ 

ઉંચાઈ પરથી દેખાતું બૅક વૉટરનું દૃશ્ય 

માંડણ ગામ 
આ આખું વર્ણન વિગતે કરવા પાછળનો આશય એટલો જ કે, આપણા રાજ્યમાં, આપણાથી નજીકમાં જ રહેલા આવા અદ્‍ભુત વિસ્તારથી પ્રકૃતિપ્રેમીઓ પરિચીત થાય. રજાઓમાં કેવળ ઘરની બહાર જવાની વૃત્તિને લઈને કોઈ જાણીતા સ્થળની ભીડભાડમાં ખોવાવું કે નિસર્ગની ગોદમાં આવેલા, આવા એકાંત સ્થળની એકલતામાં ખોવાવું એ પોતાની પસંદગી છે.

(તસવીરો: દેવેન્‍દ્રસિંહ ગોહીલ અને સતીષચંદ્ર પટેલ)