મારું ક્ષેત્ર ત્યારે સાવ અલગ હતું. શોખ ખાતર પણ લેખનને સ્થાન નહોતું. જે કંઈ લેખન થતું એ પત્રસ્વરૂપે, યા છૂટાછવાયા પ્રસંગોનું આલેખન. આમ છતાં, નિયમીત ધોરણે જે કંઈ કામ થતું એ હતુંં રજનીકુમાર પંડ્યા દ્વારા ઑડિયો કેસેટમાં લેવાયેલા વિવિધ લોકોના ઈન્ટરવ્યૂનું ટ્રાન્સ્ક્રીપ્શન. આમ તો, આ કામ અતિ યાંત્રિક કહી શકાય એવું, પણ મારી પાસે સમયની ખૂબ મોકળાશ હોવાથી એ હું એ રીતે કરતો કે રજનીકુમારનું કામ અતિશય સરળ બની જાય. એ માહિતી પરથી લખાતા લેખ પણ હું નિયમીત વાંચતો, એટલે મને લેખ શી રીતે લખાય, અને લેખમાં અમુક વિગતો મૂકવા માટે ઈન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવા એની તાલિમ પણ પરોક્ષ રીતે મળતી જતી. એ વખતે સ્થિર સરકારી નોકરીને કારણે કદી લેખનની કારકિર્દી અપનાવવાનું મનમાં હતું નહીં એટલે આ તાલિમનો ઉપયોગ રજનીકુમારને વધુ ને વધુ મદદરૂપ થવા માટે કરવો એવો ખ્યાલ મનમાં હતો. મારી બહુ જ આનાકાની છતાં રજનીકુમાર મને આ કામનું યોગ્ય મહેનતાણું પણ આપતા. હું કહેતો, 'એની કશી જરૂર નથી', ત્યારે રજનીકુમાર ચૅક મોકલે એની સાથે લખતા, 'આ સાથે 'ઈસકી ક્યા જરૂરત થી' યોજના હેઠળ ચૅક મોકલ્યો છે. એ તું વટાવજે, તારી પાસે મૂકી ન રાખતો.'
Monday, May 29, 2023
અનાયાસે સર્જાયેલી અનુવાદકાર્યની મૂડી
Sunday, May 28, 2023
મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ
નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો.
હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.
માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે.
રમેશભાઈના હસ્તાક્ષર |
રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન)
(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)
Saturday, May 27, 2023
સાંધ્યગોષ્ઠિ
કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. મને મળેલું એક પુસ્તક જોતાં જ આવા વિચાર આવ્યા. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પુસ્તકમાં છે.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ |
Friday, May 26, 2023
ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી
યોગેશભાઈ અને ગીતાબહેન સાથેનો મારો પરિચય માંડ દસકા જૂનો. ખરેખર તો તેમની મૈત્રી મને ભેટમાં મળેલી છે. અમેરિકાસ્થિત હાસ્યલેખક (હવે તો સ્વ.) હરનીશ જાની સાથે મારો ઈમેલ અને બ્લૉગ દ્વારા પરોક્ષ પરિચય. ચોક્કસ યાદ નથી, પણ 2012નો ઉત્તરાર્ધ હોય કે 2013નો પૂર્વાર્ધ, હરનીશભાઈ ભારતની મુલાકાતે હતા. એ દરમ્યાન સુરતથી એક વાર તેમની સાથે ફોન પર વાત થઈ અને તેમણે જણાવ્યું કે પોતે વડોદરા આવવાના છે. નક્કી કરેલા દિવસે તેઓ વડોદરા આવ્યા અને જેમને ત્યાં ઉતર્યા હતાં એ મિત્રને ઘરે મળવાનું નક્કી થયું. સરનામું સમજવા એ મિત્ર સાથે મેં વાત પણ કરી. સરનામું બરાબર સમજીને કામિની અને હું ઉપડ્યાં એ મિત્રનાં ઘેર. હરનીશભાઈ અને હંસાબહેન સાથે પહેલી વાર મુલાકાત થઈ. ખૂબ હસીમજાક કરી. તેમના યજમાનમિત્ર અમારી વાતમાં નડતરરૂપ ન થવાય એમ અમને સહયોગ આપી રહ્યા હતા એ જોઈને બહુ આનંદ થયો અને સારું પણ લાગ્યું. એ મિત્રદંપતી એટલે યોગેશભાઈ અને ગીતાબહેન પુરોહિત. હરનીશભાઈ સાથેની એ રૂબરૂ મુલાકાત પહેલી હતી અને છેલ્લી પણ!
છૂટા પડતાં યજમાન યોગેશભાઈને ઔપચારિકપણે ‘આવજો’ કહ્યું અને સંપર્કમાં રહીશું એમ અમે વાત કરી. જો કે, એટલા અલ્પ સંપર્કે અમારો પરિચય આગળ વધે એ સંભાવના ઓછી. સિવાય કે બેમાંથી કોઈ એક જણ એ માટેની પહેલ અને પ્રયત્ન કરે. એ કામ યોગેશભાઈએ કર્યું. થોડા દિવસમાં જ તેમનો ફોન આવ્યો અને બહુ પ્રેમપૂર્વક તેમણે મળવાનું ગોઠવ્યું. હરનીશભાઈ ગયા, પણ ભેટરૂપે તેઓ પુરોહિત દંપતી સાથેની આનંદદાયી મૈત્રી આપતા ગયા. એ પછી એમની સાથે અનિયમિતપણે, છતાં નિયમિત રીતે મુલાકાત થતી રહી છે. એ મુલાકાતોનાં પરિણામરૂપી સુફળ એટલે ‘મંઝિલ વિનાની સફર’ નામનું આ પુસ્તક. આ પુસ્તકની તેની મંઝિલ સુધી પહોંચવાની સફર પણ રસપ્રદ છે.
2013ના ઑક્ટોબરમાં અમે ‘સાર્થક જલસો’ નામનું છમાસિક આરંભ્યું. એમાં યોગેશભાઈએ અમને ઉમદા સહયોગ કર્યો. તેમની સાથે ઘણી વાર તેમનાં વતન રાજપીપલા અંગે વિવિધ વાતો નીકળતી. એ ધ્યાનમાં રાખીને મેં તેમને રાજપીપલાનાં તેમનાં સંસ્મરણો આલેખવા વિનંતી કરી. તેમણે એ કર્યું પણ ખરું. એ વાંચીને મને બહુ મઝા આવી, સાથે એમ પણ લાગ્યું કે એને હજી વિસ્તારી શકાય એમ છે. બસ, એ પછી એમાં ઝોલ પડ્યો. અલબત્ત, યોગેશભાઈએ એને આગળ વધારીને પોતે એસ.એસ.સી. પાસ થયા ત્યાં સુધી લખ્યું હતું. મારી પાસે એ લખાણ ઘણો સમય પડી રહ્યું.
વચગાળામાં એક વાર તેમણે મારા બ્લૉગ માટે સંગીતકાર જમાલ સેન સાથેનાં પોતાનાં જોડાણ વિશે એક લેખ લખી આપ્યો હતો, જે બહુ વિશિષ્ટ હતો.
યોગેશભાઈએ પોતાનાં સંસ્મરણાત્મક લખાણને પુસ્તિકારૂપે તૈયાર કરવા સૂચવ્યું. તેમનો હેતુ કેવળ પોતાના પરિવાર પૂરતાં દસ્તાવેજીકરણનો હતો. જો કે, સાવ આટલી ઓછી વિગતો મને અપૂરતી લાગતી હતી. આથી અમારી એક બેઠક દરમ્યાન એ બાબતે અમે સંમત થયા કે યોગેશભાઈ આ લખાણને પોતાનાં લગ્નજીવન અને એ પછી બન્ને સંતાનોના જન્મ સુધી આગળ વધારે, જેથી એક ચોક્કસ સમયગાળો તેમાં અધિકૃત રીતે આવરી શકાય. સૂચન સારું હતું, પણ સવાલ તેના અમલનો હતો. યોગાનુયોગે પુરોહિતદંપતીને 2022ના પૂર્વાર્ધ દરમ્યાન પોતાના દીકરા જીગરને ત્યાં દુબાઈ રહેવા જવાનું બન્યું. તેમનું દુબાઈનું રોકાણ ફળદાયી નીવડ્યું. ગીતાબહેને મને જૂન મહિનામાં ખુશીના સમાચાર આપતો સંદેશો મોકલ્યો કે યોગેશભાઈએ લખાણ સંપન્ન કરી દીધું હતું.
ભારત પાછા આવ્યા પછી એ લખાણ વાંચતાં મને જે લાગ્યું તે કંઈક આવું. તેમાં આલેખાયેલી સફર ભલે યોગેશભાઈની વ્યક્તિગત સફર હોય, પણ ખરેખર તો એ એક આખા કાળખંડની, ખાસ કરીને સ્વાતંત્ર્ય પૂર્વેનાં કેટલાંક વરસોની ઝાંખી છે. અભાવ અને ઓછપ નિરપવાદ પરિબળો હતાં, સંસાધનો મર્યાદિત હતાં એવે સમયે એકમેકની હૂંફથી શી રીતે લોકો આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવતાં, એ આજના હાડોહાડ ઉપભોક્તાવાદના યુગમાં માની ન શકાય એવી બાબત લાગે. તેમની આ સફર તેમના એકલા પૂરતી મર્યાદિત ન રહેતાં વાચક પણ તેમાં હમસફર બની રહે છે. તેમણે આલેખેલાં પાત્રો અને માહોલ આપણા માટે અજાણ્યાં હોવા છતાં જાણે કે આપણા પરિચિત બની રહે છે.
હવે આ લખાણને પુસ્તકરૂપ આપવા માટે તેની પર જરૂરી સંસ્કાર કરવાના હતા. એ ધીમે ધીમે કરતા ગયા. 13 મી મે યોગેશભાઈ અને ગીતાબહેનની લગ્નતિથિ હોવાથી એ દિવસે તેનું વિમોચન કરવાનું નક્કી કર્યું. આખરે એ પુસ્તક તૈયાર થઈ ગયું. આરંભ થયા પછી અમારી મૈત્રીનું એક નાનકડું વર્તુળ આમ પૂરું થયાનો આનંદ.
13મે, 2023ની સાંજે, એક અંતરંગ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીઓ વચ્ચે આ પુસ્તકનું વિમોચન થયું. એ નિમિત્તે યોગેશભાઈ અને ગીતાબહેનને શુભેચ્છાઓ.
Thursday, May 25, 2023
પાંચસોમા મુકામે
(12 જૂન, 2011ના રોજ આરંભાયેલી 'પેલેટ'ની સફરનો આ પાંચસોમો મુકામ આવતાં બાર વર્ષ થયાં. આ નિમિત્તે એક અનોખા મિલન- ના,પુનર્મિલનની વાત લખતાં જુદો જ રોમાંચ અનુભવાય છે. )
કબ કે બિછડે હુએ હમ આજ યહાં આકે મિલે....
આ ઘટનાનું બીજ કોવિડ કાળમાં રોપાયેલું. લૉકડાઉન વખતે અમારા બાળગોઠિયાઓની મંડળી 'આઈ.વાય.સી.' (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)ની જુનિયર ગેંગે પ્રસ્તાવ મૂક્યો કે અમારે અમારી મૈત્રીની વાત છેક શરૂઆતથી માંડવી, જેથી એ સૌને સળંગસૂત્રે આખી વાત જાણવા મળે. એ કામ માટે મારું નામ સૂચવાયું. જુનિયર ગેંગની જિજ્ઞાસા સાચી હોવાની ખાતરી કર્યા પછી એ ઉપક્રમ શરૂ થયો. રોજ હું આઠ-દસ મિનીટની એક બે ઑડિયો ક્લીપમાં વાત કરતો અને અમારા વૉટ્સેપ ગૃપમાં મૂકતો. બાળપણમાં (કે ત્યાર પછી પણ) અમે કંઈ એવાં પરાક્રમ નથી કર્યાં કે નથી એવી કોઈ મોટી સિદ્ધિઓ મેળવી. છતાં ચાર- સાડા ચાર દાયકાની મૈત્રીની વાત છેક આરંભથી કરીએ ત્યારે એમાં એક પેટર્ન ઉપસે જ. રોજેરોજ એ ક્લીપ મૂકાય, જુનિયર ગેંગના અમુક સભ્યો સાંભળે અને એનો પ્રતિભાવ આપે. આ રીતે અમારા માધ્યમિક ધોરણનાં વરસોની વાત આવી. આ વરસોની વાત આવે એટલે મગનભાઈ સાહેબનો ઉલ્લેખ અનિવાર્ય બને.
મગનભાઈ સાહેબ |
મગનભાઈ અને સ્નેહાબહેન |
Saturday, May 6, 2023
કવિતાબવિતા (20)
એક વહેલી સવારે, બારેકની આસપાસ મીર તકી મીર અને મજરૂહ સુલતાનપુરી પર 'દાગ' દહલવીનો ફોન આવ્યો. એમણે કહ્યું, 'જુઓ, આજે સાંજે 'મરીઝ'ની બર્થડે પાર્ટી છે, ને તમારે બન્નેએ ખાસ આવવાનું છે.' 'મરીઝ'ની પાર્ટીમાં શું શું પીરસાશે એ વિચારે બેય શાયરો ખુશ થઈ ગયા. તેમણે આવવાનું વચન આપ્યું, ત્યાં 'દાગે' કહ્યું, 'પણ હા! તમે 'મરીઝ'ને હમણાં ફોન ન કરતા. કેમ કે, આપણે એમને સરપ્રાઈઝ આપવાનું છે.' આ સાંભળીને બેય શાયરો લથડી પડ્યા. 'અરે હા! યાદ આવ્યું કે આજે સાંજે જ અમારે ગાલિબચાચાને ત્યાં કંકોતરી લખવા જવાનું છે. એટલે આવવાનું નહીં ફાવે.' 'દાગ'ને કંઈ સમજાયું નહીં.
Friday, May 5, 2023
કવિતાબવિતા (19)
Thursday, May 4, 2023
કવિતાબવિતા (18)
દિવાલ દિવાલમાં ફરક હોય છે, ભઈલા!
Wednesday, May 3, 2023
કવિતાબવિતા (17)
Tuesday, May 2, 2023
કવિતાબવિતા (16)
Monday, May 1, 2023
કવિતાબવિતા (15)
તારા નગરમાં કાયમ એમ કેમ બને,