Showing posts with label Art. Show all posts
Showing posts with label Art. Show all posts

Saturday, June 20, 2026

કળાને સમર્પિત કળાશિક્ષક, કળાકારની વિદાય

શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.

1991-92માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં મેં પેઈન્ટિંગ વિભાગમાં પ્રવેશ મેળવેલો. એ વખતે બન્ને ટર્મમાં અલગ અલગ વિભાગોમાં એક એક મહિનો (કે પંદર દિવસ- ચોક્કસ યાદ નથી) જવાનું બનતું. એ રીતે શિલ્પ વિભાગમાં બે વખત જવાનું થયું. અમારા અગાઉના વરસે સ્કલ્પચર વિભાગના હેડ રાઘવ કનેરિયાસાહેબ આ રીતે આવનારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને શિલ્પકળાના પ્રાથમિક પાઠ ભણાવતા. અમારી વખતે પહેલી વાર જ શિલ્પકળામાં તાજા જ એમ.એ. થયેલા એક શિક્ષક આવ્યા. તેમણે નવો જ અભિગમ અપનાવ્યો. સામાન્ય રીતે પહેલા વર્ષના પેઈન્ટિંગના વિદ્યાર્થીઓને ક્લે મોડેલિંગ શીખવાડાતું. તેને બદલે આ નવા સાહેબે સૌને 'પેપર સ્કલ્પચર' કરાવવાનું નક્કી કર્યું. પણ એથીય પહેલાં તેમણે સૌને કોઈ ને કોઈ 'ઓબ્જેક્ટ' શોધીને એનું આબેહૂબ ત્રિપરિમાણીય લાગે એવું પેન્સિલ ડ્રોઈંગ કરી લાવવાનું સોંપ્યું. તેમણે પોતાની ઓળખ આપતાં નામ જણાવ્યું, પણ તે એવા લહેજામાં બોલતા કે મોટા ભાગના બિનગુજરાતી વિદ્યાર્થીઓને એ ન સમજાયું, ખાસ કરીને એમની અટક. તેઓ પોતાનું નામ 'રતિલાલ કાન્સોદરિયા' તરીકે ઉચ્ચારતા. જો કે, તેમને સૌનાં નામ યાદ રહી ગયેલાં. તેઓ બહુ ધીમેથી બોલતા, ભાગ્યે જ અકળાતા, અને ધીરજપૂર્વક વિવિધ વિદ્યાર્થીઓએ દોરેલાં ડ્રોઈંગને નકારતાં. મેં એક અડધો ખવાયેલો મકાઈડોડો દોરવાનો શરૂ કરેલું. તેમણે એના એકે એક દાણામાં પેન્સિલ વડે રેન્ડરીંગ કરવાનો આગ્રહ રાખેલો, અને એમ કરતાં એમાંથી થોડા દાણા પણ છોલીને કાઢી નાખેલા. જેનું ચિત્ર તૈયાર થઈ જાય એને તેઓ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનું કહેતા. આ રીતે આખા વર્ગના વિદ્યાર્થીઓનાં ચિત્રો એક સાથે જોઈ શકાતા.
એ વખતે એમ લાગેલું કે રતિલાલભાઈની આકરી કસોટીમાંથી પસાર થવું 'મુશ્કિલ હી નહીં, નામુમકિન' છે. ડ્રોઈંગ પછી આવ્યો પેપર સ્કલ્પચરનો વારો. તેમણે સૌને પહેલાં ચિત્ર તૈયાર કરવા જણાવ્યું અને એ પછી તેનું કાગળશિલ્પ. સામાન્ય રીતે 'ટીન્ટેડ શીટ' (રંગીન જાડો કાગળ)માંથી તે બનાવાતું. મેં જે ચિત્ર દોર્યું એમાં જાંબલી રંગ પસંદ કરેલો. એ જોઈને રતિલાલભાઈ કહે, 'આ રંગનો કાગળ તમને ભાગ્યે જ મળશે.' મને એવી કશી ખબર નહીં, એટલે મેં નિર્દોષભાવે દુકાનમાં જઈને તપાસ કરી, અને મને એ મળી પણ ગયો એટલે મેં કામ ચાલુ કર્યું. એ જોયું એટલે રતિલાલભાઈ કહે, 'મળી ગયો આ કાગળ? સારું કહેવાય. નહીંતર આ રંગ નથી મળતો.' ખેર! મેં કાગળશિલ્પ બનાવ્યું, જે ઈલસ્ટ્રેશન જેવું વધુ હતું. અમે કામ કરતા ત્યારે જોતા કે તેમના સહાધ્યાયીઓ રહી ચૂકેલા કે તેમનાથી જુનિયર લોકો તેમને મળવા આવતા.
એ જ અરસામાં તેમનાં કાષ્ઠશિલ્પોનું પ્રદર્શન મુંબઈ ખાતે યોજાવાનું હતું. કોલેજની એક લોબીમાં એ શિલ્પો મૂકાયેલાં. જતાંઆવતાં અમે એ જોતા પણ ખરા. એમાંનું એક શિલ્પ બરાબર યાદ છે. તેમણે ચોતરા સહિતનો એક વડ બનાવેલો. વડમાં વિવિધ વસ્તુઓ- ડાળીપાંદડા તો ખરા જ, એ ઉપરાંત ટેટા, પંખીના માળા, ભમરીના ઘર વગેરે...સિમેન્ટના બનેલા ચોતરા પર તોફાની છોકરાં જે 'ગ્રાફિટી' લખી જતાં એ પણ તેમણે લાકડામાંથી કોતરેલા એ ચોતરા પર બનાવેલી, જેમાં લખેલું 'રમલાની મા મરે.' બીજા વિદ્યાર્થીઓ આવું લખાય કે નહીં એની પણ ફાઈન આર્ટ્સ સહજ ચર્ચા કરતા.
પહેલી ટર્મમાં શિલ્પકળા વિભાગમાં અમારો સમય પૂરો થયો એટલે અમે સૌ નીકળ્યા. એ પછી વારો આવ્યો બીજી ટર્મનો. આ વખતે અમારે બે ક્લે મોડેલ બનાવવાનાં હતાં. એટલે પહેલાં તો રતિલાલભાઈએ સૌને શિલ્પ જેવી જણાતી વિવિધ ચીજો શોધી લાવવાની સૂચના આપી. આ જાણીને ઘણા સિનીયર વિદ્યાર્થીઓને નવાઈ લાગી, કેમ કે, આ ચીજોમાં તેમણે 'કોઈ પણ' એટલે કે - કુદરતી કે માનવસર્જિત- ચીજ શોધવા જણાવેલું, જ્યારે અગાઉ કનેરિયાસાહેબ ફક્ત ને ફક્ત કુદરતી ચીજોનો જ આગ્રહ રાખતા.
મેં બે વસ્તુ શોધેલી. એમાંનું એક હતું પોર્સેલિનના બોર્ડનો તૂટેલો ટુકડો. એની અંદરના ભાગ જે રીતે ઊપસાવાયેલા એ મને રસપ્રદ જણાયા. રતિલાલભાઈને બતાવતાં કહ્યું, 'આ શિલ્પ જ છે. બનાવો' બીજી વસ્તુ તે સળીઓનું બંડલ હોય એવો દેખાવ ધરાવતું કશાકનું ફળ. રતિલાલભાઈ પાસે એ લઈ ગયો એટલે તેમણે કહ્યું, 'આ છે સરસ, પણ હજી એને ઈન્ટરેસ્ટિંગ બનાવીએ.' આમ કહીને એમણે એને વચ્ચેથી તોડ્યું અને મરડ્યું. કહે, 'જુઓ, હવે મજાનું થયું. આ બનાવો.' એટલે મેં એને બનાવવા માંડ્યું. કહેવામાં આવેલું કે પ્રમાણમાપ મુજબ બનાવવાનું. એ શું એ સમજતાં વાર લાગી. બન્યા પછી રતિલાલભાઈને જણાવ્યું એટલે તેઓ આવ્યા. હાથમાં પાતળો, મઠિયાં તળવામાં વપરાય એવો સળિયો હતો. પૂછ્યું, 'કેટલા ગણું બનાવ્યું છે?' હું મૌન રહ્યો. તેમણે સળિયા પર અંગૂઠા વડે મૂળ વસ્તુનું માપ લીધું. પછી એના વડે બનાવેલા માટીના શિલ્પનું માપ કાઢ્યું. અને દરેક બાજુએથી એ માપ એટલા ગણું છે કે નહીં એ ચકાસ્યું. મને ખબર નહીં કે શિલ્પમાં આ હદનું પરફેક્શન જોઈએ. એકાદ જગ્યાએ એ માપ ઓછું નીકળ્યું એટલે તેમણે એટલો ભાગ ફરી બનાવવા જણાવ્યો. એ મેં કર્યો. હવે વાત હતી મોડેલને વચ્ચેથી મરડવાની. એ મને ન ફાવ્યું એટલે તેમને બોલાવ્યા. તેમણે એ મરડ્યું તો ખરું,પણ પછી એ મોડેલ સ્વતંત્રપણે ઊભું રહેતું ન હતું, જે શિલ્પ માટેની પ્રાથમિક જરૂરિયાત ગણાય. તેમણે અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા એટલે કહે, 'આને હું ભારે હૈયે તોડી કાઢું છું.' એમ કહીને તેમણે એ મોડેલ તોડી નાખ્યું. અલબત્ત, તેમણે એ માન્ય રાખેલું, એટલે મારે નવું બનાવવાનું નહોતું.
બસ, એ પછી અમે પાછા પેઈન્ટિંગ વિભાગમાં આવ્યા. એક વર્ષ પછી મેં અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછી એ કોલેજ અને એના અધ્યાપકો સાથેનો સંપર્ક તૂટ્યો. એ પછી સોળ સત્તર વરસે નોકરી છોડીને પૂર્ણ સમયના લેખનક્ષેત્રે પ્રવેશ્યો. રજનીકુમાર પંડ્યા સાથેનો સંપર્ક વધુ ગાઢ બનતો રહેલો અને અમે સંયુક્તપણે કામ કરતા હતા. રજનીભાઈની દીકરી તર્જનીએ અમદાવાદની સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં શિલ્પકળામાં પ્રવેશ લીધેલો. આથી મેં સહજ પૂછ્યું, 'ત્યાં તને કોણ ભણાવે છે?' તેણે કહ્યું, 'રતિલાલ કાંસોદરિયા.' આથી મેં એમનું મારી સાથેનું કનેક્શન તર્જનીને જણાવ્યું. દરમિયાન તર્જનીની પરીક્ષા આવી. તેને લેવા મૂકવા રજનીભાઈ કોલેજે જતા અને તર્જનીની પરીક્ષા ચાલે ત્યાં લગી એટલામાં બેસીને પોતાનું કામ કરતા. એક વાર તેમનો ફોન આવ્યો અને કહે, 'લે, તારા મિત્ર સાથે વાત કર.' મેં 'મિત્ર'નું નામ પૂછ્યું તો રતિલાલ કાંસોદરિયા. અમે ફોન પર ઔપચારિક વાત કરી. મને ખબર હતી કે આટલાં વરસો પછી હું તેમને યાદ હોઉં એવી શક્યતા જરાય નહોતી. પણ મારા બેચમેટ્સના નામ આપ્યાં, વરસ કહ્યું. મેં એમને 'રમલાની મા મરે' વાળું શિલ્પ યાદ કરાવ્યું એ જાણીને એમને બહુ આશ્ચર્ય થયું. એ બધી વાતોનો આનંદ આવ્યો. પણ પરિચય એકપક્ષી જ રહ્યો એમ કહી શકાય.
પછીના સમયમાં 'અહા!જિંદગી'માં મારી કોલમ 'ગુર્જરરત્ન' શરૂ થઈ, જેમાં હું દર મહિને એક એક વ્યક્તિની દીર્ઘ મુલાકાત લઈને તેના વિશે લેખ લખતો. એ ક્રમમાં એક વાર મેં તસવીરકાર પ્રાણલાલ પટેલ વિશે લખ્યું. ચારેક પાનામાં પથરાયેલો લેખ અને સુયોગ્ય તસવીરો. એ વાંચીને ફોન આવ્યો: 'હું રતિલાલ કાંસોદરિયા બોલું છું.' તેઓ મને ઓળખતા નહોતા, પણ લેખ વાંચીને ફોન કરેલો, કેમ કે, તેઓ પ્રાણલાલના સગા થતા હતા. (તેમના કૌટુંબિક જમાઈ હતા એવો ખ્યાલ છે.) લેખ બદલ તેમણે રાજીપો વ્યક્ત કર્યો ત્યારે મેં ફરી વાર વડોદરાનું જોડાણ યાદ કર્યું. બસ, એ પછીનો અમારો પરિચય દ્વિપક્ષી બની રહ્યો. એક વાર અમદાવાદમાં તેમનાં શિલ્પોનું પ્રદર્શન હતું. અમે સપરિવાર જોવા ગયા ત્યારે રૂબરૂ મુલાકાત થઈ. કોલેજ છોડ્યા પછીની એ પહેલી અને કદાચ છેલ્લી પણ ખરી. કેમ કે, એ પછી ફોન પર નિયમીત વાત થતી, પણ મળવાનું ન બન્યું. 'સાર્થક જલસો' માટે તેઓ લખે એવી મારી બહુ ઈચ્છા. કેમ કે, તેમનાં શિલ્પોમાં ગ્રામ્યજીવન જે રીતે દેખાતું એ તેમનું અસલ જીવન હતું. ઘણીબધી વાતો હતી તેમની સાથે. જેમ કે, તેઓ ભેંસ પર ચોક વડે લખીને કક્કો શીખતા, તેમના કુટુંબના એક વડીલ વસ્ત્રોમાંથી દોરડાં બનાવીને તેનાથી ખાટલાની પાટી ભરતા (એમનું તેમણે શિલ્પ પણ બનાવેલું) વગેરે. જો કે, લખવા બાબતે તેમની ઉદાસીનતા હતી, સાથોસાથ વ્યસ્તતાનો પણ પ્રશ્ન હતો. આમ છતાં, મારો આગ્રહ ચાલુ રહેલો. ઘણી વાર મન થાય ત્યારે અચાનક તેમનો ફોન આવતો કે હું ફોન કરતો. અને વિવિધ વિષય પર વાત થતી. છેલ્લે તેમના સ્ટુડિયો પર આવવાનું કાયમી આમંત્રણ હોય જ. 'આવીશું ક્યારેક' કહીને અમે વાત પૂરી કરતા. અમદાવાદ આવવાનું બને ત્યારે કાર્યક્રમ એટલો સજ્જડ હોય કે એની બહાર જઈને ભાગ્યે જ કશું વિચારી શકાય. આથી તેમના સ્ટુડિયોની મુલાકાત લેવાની રહી જ.
આવામાં અચાનક સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે સમજાયું કે ઘણા વખતથી અમારી વાત થઈ નથી. સંપૂર્ણપણે કળાને સમર્પિત, આવા પ્રેમાળ માણસ ભાગ્યે જ જોવા મળે. અમદાવાદ શહેર તેમને અખા અને દલપતરામની પ્રતિમાઓના શિલ્પકાર તરીકે કદાચ યાદ રાખશે, પણ મને રતિલાલ કાંસોદરિયા એક કળાશિક્ષક તરીકે, તેમજ એક મિત્ર તરીકે- એમ બન્ને ભૂમિકામાં યાદ રહેશે.

(તસવીર સૌજન્ય: Aura Art)

Wednesday, May 27, 2026

રમૂજની પહેલી શરત એટલે જાત પર હસતાં શીખવું

ઊનાળુ વેકેશન દરમિયાન અમદાવાદના એ.એમ.એ. (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન) દ્વારા બાળકોને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે AMAzing Summer Camp તરીકે ઓળખાવાય છે. આ વર્ષે અહીં મારે બે વર્કશોપ કરવાની હતી. એક તો પેપર કોલાજની અને બીજી કાર્ટૂન સ્કેચની એટલે કે કાર્ટૂન દોરતાં શીખવવાની.

કોલાજની વર્કશોપનું ત્રણ કલાકનું એક દિવસીય સેશન હતું, જ્યારે કાર્ટૂનની વર્કશોપનાં ત્રણ ત્રણ કલાકનાં કુલ બે સેશન, 16 અને 17 મે, એમ બે દિવસમાં હતાં. આમાં એકવીસ જેટલા વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતાં. આ વર્કશોપમાંં વયમર્યાદા 14થી 22 વર્ષની રખાયેલી હોવાથી એવા ઘણા વિદ્યાર્થીઓ આવેલા કે જેમને દોરવામાં રસ હોય.
બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. એકમેકના પરિચયથી આરંભ કર્યા પછી પહેલા દિવસે મોટા ભાગનો સમય કાર્ટૂન વિશેની ગેરસમજણ દૂર કરવામાં અને સમજણ સ્પષ્ટ કરવામાં ગયો. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તરત જ સવાલ પૂછે એમ રાખેલું. આને કારણે બહુ મજા આવી. મોટા ભાગના વિદ્યાર્થીઓએ ચર્ચામાં ભાગ લીધો. એ પછી પાંચેક વિષય પસંદ કરીને વિદ્યાર્થીઓને એમાંથી કોઈ પણ વિષય પર કાર્ટૂન દોરવા કહેવાયું. દોરેલાં કાર્ટૂન એક સાથે મૂકાતાં અને પોતે દોરેલા કાર્ટૂન વિશે વિદ્યાર્થી વાત કરતા. એ દિવસે સૌને ગૃહકાર્ય લેખે પોતાનું યા પોતાના કોઈ પરિવારજનનું કેરિકેચર દોરવાનું સોંપાયું.
કાર્ટૂન દોરવામાં રત વિદ્યાર્થીઓ

બીજા દિવસે કાર્ટૂન દોરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત થઈ. આમ તો એવી કશી નિર્ધારીત પદ્ધતિ નથી, છતાં શરૂઆત માટે ઊપયોગી થઈ પડે એ માટે એ જરૂરી હતું. બીજા દિવસના સેશનમાં 'નિરીક્ષણ' પર વધુ ભાર મૂકાયો અને એના વિશે ચર્ચા થઈ. કોઈ એક સ્થળ લઈને એમાં શી શી વસ્તુઓ હોય છે એ વિશે દરેક વિદ્યાર્થી એક એક વાત કરે. જેમ કે, ડૉક્ટરની ઓ.પી.ડી. દરેક વિદ્યાર્થીએ એવાં એવાં નિરીક્ષણો રજૂ કર્યાં કે નવાઈ લાગે. એ જ રીતે લગ્નપ્રસંગમાં ચાંલ્લો લખવાનું ટેબલ. આવાં બે-ચાર સ્થળો પરનાં નિરીક્ષણ વિશે વાત થયા પછી એમાં રમૂજ શી રીતે ભેળવી શકાય એની વાત થઈ. દરમિયાન બ્રેક પડ્યો, જેમાં સૌએ નીચેના માળે આવેલા એક ખંડમાં શરબત પીવા જવાનું હતું. આથી નીચે જતાં પહેલાં સૌને એ ખંડનું નિરીક્ષણ કરવાની સૂચના આપી.
શરબતવાળા રૂમનું નિરીક્ષણ બોર્ડ પર ચીતરાઈ રહ્યું છે

શરબતવાળા રૂમમાં આટલી આટલી વસ્તુઓ આ રીતે હતી

પાછા આવ્યા પછી એક પછી એક વિદ્યાર્થીઓ એ નિરીક્ષણ રજૂ કરવા લાગ્યા. અમુકે એ બોર્ડ પર ચીતરી બતાવ્યું. એ પછી એવી સ્થિતિમાં રમૂજ શી રીતે પેદા થાય એની વાત દરેક વિદ્યાર્થીઓએ આગવી રીતે કરી. છેલ્લે દરેકે એક કાર્ટૂન યા કેરિકેચર દોરવાનું હતું. સૌએ દોરેલાં કાર્ટૂનને એક સાથે મૂકીને એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી સહિત બીજા મિત્રોને એ જોવા માટે નિમંત્ર્યા. આ વખતે પણ દરેક વિદ્યાર્થીએ પોતે દોરેલા કાર્ટૂન વિશે વાત કરી.

પોતે કરી લાવેલું ગૃહકાર્ય દેખાડીને
એના વિશે થઈ રહેલી વાત
ત્રણ કલાક ક્યાં વીતી ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. છેલ્લે સૌએ સમૂહ તસવીર ખેંચાવી અને છૂટા પડ્યા.
સેશન પૂરું થયા પછી થઈ રહેલી અનૌપચારિક વાતચીત

વિદ્યાર્થીઓ સાથે સર્જનાત્મક રીતે સંવાદ સાધવાના આ પ્રયાસમાં મજા બહુ આવી, એમ મને પણ શીખવા મળ્યું.

Tuesday, May 26, 2026

કાગળ ફાડીને કલાકૃતિ

શનિવારને 16 મેના રોજ સવારના સાડા નવથી સાડા બાર દરમિયાન એ.એમ.એ; અમદાવાદ ખાતે 'કોલાજ મેકિંગ'ની વર્કશોપ યોજાઈ ગઈ. ઊનાળુ વેકેશન દરમિયાન એ.એમ.એ. દ્વારા 'અમેઝિંગ કાર્નિવ, 2026' અંતર્ગત આ આયોજન કરાયેલું. ગયા વરસે ઊનાળામાં પણ આ આયોજન હતું, પણ મારો પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાયો હોવાથી એ શક્ય નહોતું બન્યું. આ વર્કશોપમાં ભાગ લેનારાની વયમર્યાદા આઠથી ચૌદ વર્ષની રાખવામાં આવેલી. વિવિધ વયજૂથનાં નવ બાળકોએ નામ નોંધાવેલાં.
એ.એમ.એ.માં આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અલાયદો 'એક્ટિવિટી રૂમ'જ બનાવવામાં આવેલો. ઊપરાંત સૌ સહભાગીઓ માટે એક કીટ પણ રખાયેલી.
બાળકો માટે આ માધ્યમ સાવ નવું હોવાથી પહેલાં તેના વિશે પરિચય આપ્યો. મારી બનાવેલી કેટલીક કૃતિઓ ઊપરાંત મારાં બે પુસ્તકોનાં ટાઈટલ પણ પેપર કોલાજથી બનાવેલાં એ બતાવ્યાં. તેની વિશેષતા શી છે, અને મર્યાદા કઈ, એમ તે 'ક્રાફ્ટ' (કૌશલ્ય) જેવું લાગતું હોવા છતાં એવું કેમ નથી એની વાત થઈ. 'કોલાજ' અને 'મોન્ટાજ' વચ્ચે શો ફરક છે એની ચર્ચા થઈ. માત્ર ત્રણ કલાકની અવધિ હોવાથી પંદરેક મિનીટમાં આ બધું પતાવ્યું. એકમેકનો પરિચય પણ મેળવ્યો. એ પછી કામ શરૂ કર્યું.

પેપર કોલાજ વિશે પ્રાથમિક વાતચીત

પેપર કોલાજના સ્વરૂપનો પરિચય

પોતપોતાની સમજણ મુજબ સૌ કૃતિ તૈયાર કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે 'આમ કરી શકાય?', 'આવું કરું તો ચાલે?' જેવા સવાલો પણ તેઓ પૂછતા.
હું પણ સૌની સાથે જ કામ કરતો હતો. એમ મારી સાથે આવેલાં ઈશાન અને કામિની પણ પોતાનું કામ કરતાં હતાં.
પોતાની કૃતિ વિશે વાત કરતા સહભાગીઓ

દોઢેક કલાક પછી નાના બ્રેક દરમિયાન સૌની સાથે થોડી વાતો થઈ. ધીમે ધીમે મોટા ભાગના બાળકોએ પોતાની કૃતિ પૂરી કરી. ત્રીજા/ચોથા ધોરણથી લઈને દસમા સુધીનાં બાળકો હતાં. સૌની કૃતિઓ પૂરી થાય એ પછી તેને એક જગ્યાએ મૂકવાની હતી, જેથી સૌ એકમેકનું કામ જોઈ શકે. સૌની કૃતિઓ ગોઠવાઈ ગઈ એટલે એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી અને તેમના કેટલાક સહકર્મીઓને અમે એ જોવા માટે આમંત્રણ આપ્યું. ઊપક્રમ એવો રાખ્યો કે દરેક જણ પોતાની કૃતિ બતાવે અને એના વિશે વાત કરે. આમાં બહુ મજા આવી.

પોતાના સર્જન પાછળનો વિચાર દર્શાવતા સહભાગીઓ

પોતપોતાની કૃતિઓ સાથે સમગ્ર ટીમ
અગાઉ એક વાર મેં પેપર કોલાજનો વર્ગ લીધેલો, પણ આવી વર્કશોપનો અનુભવ મારા માટે પણ પહેલો હતો, જે બહુ યાદગાર બની રહ્યો. વિદ્યાર્થીઓ સાથે આ બહાને સંવાદ સધાય અને તેમના મનોજગતમાં ડોકિયું કરવા મળે, જે આપણું પણ ઘડતર કરતું રહે છે, એમ અનુભવાતું રહ્યું છે. સમગ્ર ઊપક્રમ દરમિયાન એ.એમ.એ.નું આયોજન સુચારુ ઢબે હોવાથી એની એક જુદી મજા હોય છે. 

Thursday, May 14, 2026

કાગળને લાડ લડાવવાની કળા એટલે પેપર કોલાજ

શાળામાં મોટા ભાગના લોકોએ રંગીન કાગળને વાળીને, કાતર વડે કાપીને ભાતચિત્ર તૈયાર કરીને નોટબુકમાં કે ચિત્રપોથીમાં ચોંટાડ્યું હશે. એ બહુ સુંદર દેખાય, પણ ચાહે તો દરેક જણ એને એક સરખું બનાવી શકે. આને કૌશલ્ય એટલે કે ક્રાફ્ટ કહેવાય. પણ રંગીન કે શ્વેત-શ્યામ કાગળના ટુકડાને હાથ વડે યા કાતર વડે કાતરી કાતરીને તેને ચોંટાડવામાં આવે અને જે સંયોજન તૈયાર થાય એ ખરા અર્થમાં અનન્ય હોય. બનાવનાર ચાહે તો પણ અદ્દલ એકના જેવી બીજી ન બને. આથી એને કળા એટલે કે આર્ટ કહેવાય. ઘણા સુજ્ઞ લોકો પણ પેપર કોલાજને પેપર ક્રાફ્ટ સમજવાની ભૂલ કરી બેસે છે.

પેપર કોલાજ બનાવતાં પહેલાં કાગળ પર જે તે સંયોજનનો સ્કેચ દોરવો જરૂરી છે. એ પછી વિવિધ રંગીન કાગળો મળે એ મુજબ ચોંટાડતા જવાથી ધીમે ધીમે કરતાં એ એક સંપૂર્ણ સંયોજન બને છે.
પેપર કોલાજ કોઈ પણ સાઈઝનું બનાવી શકાય. નાનકડા ગ્રીટીંગ કાર્ડથી લઈને ઈમ્પિરીયલ સાઈઝ સુધીના કાગળ પર. પણ એ કેટલા સમયમાં પૂરું થશે એ કહેવાય નહીં, કેમ કે, ઈચ્છિત રંગના કાગળ ન મળે તો કામ આગળ ન ચાલે. એટલે કે રંગીન કાગળ એની મુખ્ય સામગ્રી ગણાય. સાવ સપાટ રંગના કાઈટ પેપર કે માર્બલ પેપર અનેક રંગોમાં મળે છે ખરા, પણ એમાં રંગછટાઓ ન હોવાથી એનો ઊપયોગ મર્યાદિત બની રહે છે. આથી મોટા ભાગના કલાકારો રંગીન મેગેઝીનના કાગળોનો ઊપયોગ કરે છે. અમૃતલાલ વેગડ તો લખાણ ધરાવતા રંગીન કાગળનો ઊપયોગ કરતા હતા.

કંકોતરીના કાગળનો
એક પેપર કોલાજ

ફાઈન આર્ટ્સ કોલેજ સાથેના મારા એક વર્ષના ટૂંકા સંબંધ દરમિયાન મને આ માધ્યમનો પરિચય થયો, પણ એમાં ખરું ખેડાણ મેં કોલેજ છોડ્યા પછી શરૂ કર્યું. એ સમયે 'ઈન્ડિયન એરલાઈન્સ'ના ઈન ફ્લાઈટ મેગેઝીન 'સ્વાગત'ના જૂના અંકો હું થોકબંધ ખરીદતો. અન્ય રંગીન, ગ્લોસી કાગળ ધરાવતા મેગેઝીન પણ ખરીદતો, છતાં એમાં 'સ્વાગત' જેવી મઝા નહોતી. હું મોટે ભાગે લખાણ વિનાના કાગળ પસંદ કરતો, તેને કારણે મુશ્કેલી બહુ પડતી, પણ એની મઝાય અલગ હતી. કાગળને ફાડવા માટે કાં કાતરનો ઊપયોગ થઈ શકે, યા મુક્ત રીતે કાપી શકાય, કે બન્ને રીત પ્રયોજી શકાય.

જોધપુરના મહેરાનગઢના એક હિસ્સાનો પેપર કોલાજ

જોધપુરના મહેરાનગઢના દૃશ્યનો પેપર કોલાજ
(આ ફ્રેમ કરેલો હોવાથી તસવીરમાં રંગ બરાબર દેખાતા નથી,
પણ ખ્યાલ આવી જશે.)

જોધપુરના મહેરાનગઢના એક હિસ્સાનો પેપર કોલાજ

બહાર ફરવા જવાનું થાય ત્યારે ઓછા સમયમાં દોરેલા સ્કેચ પછી કોલાજ માટે બહુ કામ આવતા. હવે તો ફોટો લઈ લેવાની સુવિધા સુલભ છે. ઘણા કલાકારો પેપર કોલાજનો ઉપયોગ મિક્સ મિડીયામાં કરે છે, એટલે કે પેપર કોલાજની સાથોસાથ તેઓ જળરંગો કે એવા અન્ય માધ્યમના રંગો પ્રયોજે છે. મેં નક્કી કરેલું કે મારે શુદ્ધ પેપર કોલાજ જ બનાવવા. એમાં પેન (કે બ્રશ)નો ઊપયોગ માત્ર ને માત્ર મારી સહી કરવા પૂરતો જ કરવાનો.
લેખનક્ષેત્રે કારકિર્દી વિકસી એટલે સ્વાભાવિક ક્રમમાં પેપર કોલાજ માટે સમય ફાળવવો મુશ્કેલ બનતો ગયો. વિવિધ રંગછટાઓવાળા કાગળ મેં કોથળો ભરીને એકઠા કરી રાખેલા. આખરે એક દિવસ ભારે હૈયે એ કોથળો કાઢી નાખ્યો. એમ વિચારીને કે, જ્યારે પેપર કોલાજનું કામ ફરી શરૂ કરીશું ત્યારે નવેસરથી કાગળો 'વસાવીશું'.

દીવના કિલ્લાના પ્રવેશદ્વારનો પેપર કોલાજ

પેપર કોલાજ બંધ થયા, પણ સ્કેચિંગ/ડ્રોઈંગ ચાલુ રહ્યું. પેપર કોલાજ માટેનું આકર્ષણ ઓસર્યું નહીં. છાપાંમાં આવતાં વિવિધ જાહેરખબરનાં ફરફરિયાંમાં મને કોલાજ માટેની સામગ્રી દેખાતી. મેં નવેસરથી એ સંઘરવા માંડ્યાં. આ કળા વિશે વાત કરીને કોઈને સમજાવવું મુશ્કેલ હતું, અને એના નમૂના સાથે લઈને ફરાય નહીં. આમ છતાં, રસ ધરાવનારને એ હું બતાવતો. ઘણી વાર મને થતું કે કળાના આ માધ્યમનો પ્રસાર થાય તો કેટલું સારું! કેમ કે, એનાથી કળાદૃષ્ટિ તો વિકસે જ છે, સાથોસાથ એકાગ્રતા, ખંત, ધીરજ જેવા ગુણો આપોઆપ જ વિકસે છે. અને આ બધું કશાય ઘોંઘાટ વિના, શાંત ગતિએ થાય છે.
'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના મિત્ર પાર્થ ત્રિવેદી સાથે આ બાબતે વાત થઈ ત્યારે તેમણે ઊમળકાભેર પેપર કોલાજની વર્કશોપ માટે આયોજન કરવાનું આમંત્રણ આપ્યું. આમ તો, ગયે વરસે પણ આ આયોજન હતું. જો કે, એ વરસે પછી અમારો ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવાતાં એ થઈ શક્યું નહીં. આ હજી પહેલી વારનું આયોજન હોવાથી પ્રવેશ માટેની વયમર્યાદા આઠથી ચૌદ વર્ષનાં બાળકોની રાખી. આશય એટલો કે આ વયજૂથનાં બાળકો નવુંનવું ગ્રહણ કરવા માટે સજાગ માનસ ધરાવતાં હોય છે. આથી આ વયે તેમને આવા માધ્યમની જાણકારી મળે તો કશું નહીં તોય કળા પ્રત્યેનો તેમનો અભિગમ કેળવાય.
ત્રણ કલાકની આ વર્કશોપમાં તેમને પેપર કોલાજના માધ્યમથી પરિચીત કરાવવામાં આવે અને દરેક જણ એકાદ નાની કૃતિ સર્જે એવું આયોજન વિચાર્યું છે. તમને લાગે કે તમારા મિત્રવર્તુળમાં આવાં બાળકો છે, તો તેમને આની જાણ કરશો. હા, આ કાર્યક્રમ વયસ્કો માટે થઈ શકે, પણ તેનું આયોજન અલાયદું કરવું પડે. જરૂર પડ્યે એય વિચારી શકાય. હાલ તો, શનિવારે સવારે 9.30થી 12.30 દરમિયાન આ વર્કશોપનું આયોજન છે, જેની રજિસ્ટ્રેશન લીન્ક અને અન્ય વિગતો અહીં આપેલી છે.


Tuesday, June 17, 2025

આ ચિત્રો વાહિયાત છે

દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ત્રિવાર્ષિકીમાં વિવિધ ભારતીય ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. એમાં ભૂપેનનાં ચિત્રો પણ હતાં. આ પ્રદર્શનની મુલાકાતે અંગ્રેજ ચિત્રકાર હોવર્ડ હોજ્કિન આવેલા. ગીતા કપૂરના તે પરિચિત હતા. હોવર્ડને અસલ આધુનિક ભારતીય શૈલીનાં ચિત્રો જોવા મળશે એવી ઉમેદ હતી. પ્રદર્શન દરમિયાન ગીતા કપૂરે તેમને ચિત્રો વિશેનો અભિપ્રાય પૂછ્યો. હોવર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આ ચિત્રો ભયંકર છે. આમ કહેવા બદલ દિલગીર છું, પણ આ ચિત્રો વાહિયાત છે.” આટલું કહીને ઉમેર્યું, “સિવાય કે આ ત્રણ.” આમ કહીને તેમણે ત્રણ ચિત્રો ચીંધ્યાં અને કહ્યું, “જુઓ, આને ચિત્ર કહેવાય’. આ સાંભળીને ગીતા કપૂરે કહ્યું, “બહુ રસપ્રદ કહેવાય. એ ચીતરનારો કલાકાર તમારી બાજુમાં જ ઊભેલો છે’. હોવર્ડનો એ ભૂપેનનાં ચિત્રો અને ભૂપેન સાથેનો પહેલો પરિચય. ચિત્રોના આટલા મોટા મેળાવડામાં કથનાત્મક શૈલીનાં આ ત્રણ ચિત્રો જ તેમને મૌલિક જણાયાં હતાં. તેમને લાગ્યું કે એ એક આગવી ઓળખ અને શૈલી ધરાવે છે. ભૂપેન સાથે અહીંથી શરૂ થયેલો પરિચય બહુ ઝડપથી આજીવન મૈત્રીમાં રૂપાંતરિત થયો.

હોવર્ડ હોજ્કિન અને ભૂપેન ખખ્ખર

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Monday, June 16, 2025

મૂંઝવણ અને ઊકેલ

ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

ભૂપેનના મિત્ર અને મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ એક મુદ્દે ભૂપેનને પૂછેલું, 'લોકો તમને શી રીતે યાદ રાખે તો ગમે? એવા ચિત્રકાર તરીકે કે જે સજાતીય સંબંધ ધરાવતો હતો? કે એવી સજાતીય વ્યક્તિ તરીકે કે જે ચિત્રકાર હતી?' આમ તો આ સંવાદ થયેલો નૌશિલભાઈ અને ભૂપેન વચ્ચે, પણ મને એમાં મારો માર્ગ દેખાયો.
મારે ભૂપેનની જીવનકથાનું આલેખન તો એક ચિત્રકાર તરીકે કરવાનું હતું. એમાં વ્યક્તિ તરીકેની વાત આવે, પણ પૃષ્ઠભૂમિમાં, અને એય એ વિષયે દોરેલાં તેમનાં ચિત્રોને સમજવા માટે. બીજી વાત એ કે ભૂપેનની બિનહયાતિમાં એ વિશે કોણ અધિકૃત રીતે કહી શકે? શું કામ કહે? કેટલું કહે? એટલે મેં મુખ્ય આધાર ભૂપેનનાં પોતાનાં લખાણોનો લીધો, અને કેટલોક આધાર (ગુલામમોહમ્મદ) શેખસાહેબનાં લખાણનો, જે એમની ખૂબ નજીક હતા. આ બાબતને આલેખતું અલાયદું પ્રકરણ 'ગુપ્ત વલણની ઘોષણા' લખ્યું. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું કે એમાં મારા કોઈ અંગત ગમા-અણગમાનો અંશ માત્ર ઝળકવો ન જોઈએ. એ શક્ય એટલું હેતુલક્ષિતાથી આલેખાયેલું હોવું જોઈએ.
એ પ્રકરણ કેવું લખાયું એ વાંચનારે નક્કી કરવાનું છે, પણ એ લખવા પાછળનો મારો અભિગમ આ હતો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, June 15, 2025

એન્‍જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયાં

જીવનકથાનું કામ સોંપાય એ પછી ઘણા સમય સુધી માહિતી મેળવવાનું કામ ચાલતું હોય છે. લખવાનો ભાગ છેલ્લે આવે. સામાન્ય રીતે કામ શરૂ કરીએ એટલે પહેલો ઉપક્રમ એ હોય કે સંબંધિત વ્યક્તિના જીવનની સાલવારી તૈયાર કરવી. આને કારણે પછી આડીઅવળી મળતી રહેતી વાતો કયા સમયગાળાના ચોકઠામાં બંધ બેસશે એનો અંદાજ આવતો જાય. આનો વધુ એક ફાયદો એ કે જીવનકથાનાં પ્રકરણોનું માળખું પણ મનોમન તૈયાર થતું જાય. મારી દૃષ્ટિએ એક ચરિત્રકાર માટે આ બાબત સૌથી મહત્ત્વની છે. તે એ કે પુસ્તક લખાતાં પહેલાં તેના મનમાં આખું માળખું બને. એ પછી પ્રાપ્ત થતી વિગતોના આધારે એમાં નાનામોટા ફેરફાર થાય, પણ મૂળભૂત ફેરફાર લગભગ ન થાય.
અમુક જીવનકથાઓ પડકાર લેખે આવે છે. પડકાર બે રીતના હોઈ શકે. પહેલો પ્રકાર એ કે અતિશય ઘટનાપ્રચૂર જીવન હોય. બીજો પડકાર એથી મોટો છે અને એ છે સાવ સપાટ જીવન હોય. ઘટનાપ્રચૂર જીવનમાં રજનીકુમાર પંડ્યાનું જીવન આવે. જો કે, એ અપવાદ છે.
'સાગર મુવીટોન' પુસ્તક એક આખી સંસ્થા અને તેની સમાંતરે વિવિધ વ્યક્તિઓની કથાનું પુસ્તક હતું. આમ છતાં, એના આલેખનમાં મને ખાસ મુશ્કેલી નહોતી પડી, કેમ કે, મારા મનમાં એની રૂપરેખા બની ગયેલી. આથી વિગતો મળતી જાય એમ હું જે તે પ્રકરણમાં મૂકતો જતો. આને કારણે ઘણી વાર એમ થતું કે એક પ્રકરણ લખતાં લખતાં વચ્ચે બ્લૉક જેવું લાગે તો બીજું પ્રકરણ શરૂ કરી દેતો. એમાં કંટાળો આવે તો નવું. એમ કહી શકાય કે ત્રણ-ચાર પ્રકરણ સમાંતરે લખાતા જતા હતા.
પણ ભૂપેનની જીવનકથા જુદી રીતે પડકારરૂપ નીકળી. એમની મોટા ભાગની વિગતો સુલભ હતી, પણ એ જે તે વ્યક્તિઓનાં સંભારણાં સ્વરૂપે હતી. એમના જીવનની સાલવારી અમેરિકન ચિત્રકાર ટિમોથી હાયમને તૈયાર કરેલી, જે ખરું જોતાં એમણે દોરેલાં ચિત્રોની સાલવારી હતી. પ્રકરણનો મુસદ્દો મનમાં તૈયાર હતો, પણ વિગતો ક્યાં? હજી ઘણા લોકોને મળવાનું બાકી હતું, એમને પૂછીને વિગતો કઢાવવાની હતી. એવામાં એક મજાનો બનાવ બન્યો.
2016માં લંડનની ટેટ મોડર્ન ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું રેસ્ટ્રોસ્પેક્ટિવ 'You can't please all' ના નામે યોજાયું, જેનું શિર્ષક ભૂપેનના એક જાણીતા ચિત્રના શિર્ષક પરથી અપાયેલું. વડોદરાથી શેખસાહેબ, હીતેશ રાણા જેવા ભૂપેનના સ્નેહીઓએ એમાં હાજરી આપેલી. એમ, ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈને પણ હાજરી આપેલી. બ્રાયને મને ત્યાંથી આ પ્રદર્શનનો કેટલોગ મોકલી આપેલો અને લખેલું કે આ નિમિત્તે પ્રકાશિત પુસ્તકની નકલ તેઓ ભારત આવે ત્યારે લેતા આવશે.

બ્રાયને મોકલેલો ટેટ મોડર્નના પ્રદર્શનનો કેટલોગ

બ્રાયને પોતે ભૂપેનનાં કેટલાંક ચિત્રોનો
બનાવેલો કેટલોગ શુભેચ્છાસંદેશ સાથે.

આ પ્રદર્શન નિમિત્તે ખરું રમખાણ થયું. એક બ્રિટીશ વિવેચકે 'ધ ગાર્ડિઅન'ના એક લેખમાં ભૂપેનનાં ચિત્રોની બરાબર ઝાટકણી કાઢીને એને સાવ નકામાં ગણાવ્યાં. આનાથી ભારતીય કલાકારોનો સમુદાય ઊકળી ઉઠ્યો. એ લોકોએ પેલા વિવેચકને 'નકામો' ઘોષિત કરી દીધો. આ જોઈને એક ત્રીજા માણસે ભારતીય સમુદાયને ટપારતાં કહ્યું, 'અલ્યા, સહેજ સહિષ્ણુતા રાખો. વિવેચકને પોતાનો મત ન હોય?' (શબ્દો જુદા, પણ ભાવ કંઈક આવો). પછી એણે મજાકમાં લખેલું, 'તો હવે આપણી પાસે એક વધુ 'પવિત્ર ગાય' છે, જેની ટીકા કરી શકાય નહીં. એ ગાયનું નામ છે ભૂપેન ખખ્ખર.'
ટેટ મોડર્નના પ્રદર્શન નિમિત્તે પ્રકાશિત થયેલું પુસ્તક
આ અહેવાલો ઓનલાઈન પ્રકાશિત થતા. અને વાંચીને બહુ રમૂજ પડતી. કેમ કે, ત્યાં સુધીમાં ભૂપેનનો જેટલો પરિચય મને થયેલો એના પરથી લાગ્યું કે આ બબાલની સૌથી વધુ મજા કોઈએ જો લીધી હોત તો એ હોત ભૂપેન. થોડા મહિનામાં બ્રાયન ભારત આવ્યા. એમને અમે મળ્યા. તેમણે મને પેલું પુસ્તક આપ્યું. સ્વાભાવિકપણે જ આ બબાલની વાત નીકળી અને મેં એમને મારો મત કહ્યો. બ્રાયન જોરથી હસી પડ્યા અને કહે, 'ખરી વાત છે. આનો સૌથી વધુ આનંદ ભૂપેને જ ઉઠાવ્યો હોત.'
નક્કી કર્યું કે આ બબાલને લગતું અલાયદું પ્રકરણ થવું જ જોઈએ. બબાલ સહેજ શમી અને બધાએ પોતપોતાના પક્ષ જણાવી દીધા એ પછી મેં તમામ વિગતોનું સંકલન કરીને પ્રકરણ લખ્યું, વિવાદ: 'ભૂપેનનો મરણોત્તર મિત્ર.' એ વખતે તો એટલું મનમાં હતું કે આ પ્રકરણ પુસ્તકના બીજા ખંડમાં, મોટે ભાગે સૌથી છેલ્લે આવશે.
આમ, ભૂપેનની જીવનકથાના આલેખન વખતે સૌથી પહેલાં જે બે પ્રકરણ લખાયા તે આ- એક પહેલું, અને બીજું, છેલ્લું. એન્જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયા, પણ વચ્ચેના પ્રકરણોના ડબ્બા હજી જોડવાના બાકી હતા.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Saturday, June 14, 2025

એ લેખ ત્યાર પછી લખી શકાયો

ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
 ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.

આમાં એક જથ્થો હતો પત્રોનો. મોટે ભાગે ભૂપેને વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા પત્રો, જેમાંના મોટા ભાગના એરમેલ લેટર હતા. વલ્લવભાઈ એક સમયગાળા દરમિયાન અમેરિકા ગયેલા ત્યારે ભૂપેને અહીંથી લખેલા. કેટલાક ભૂપેને પણ વિદેશથી વલ્લવભાઈને લખેલા. વલ્લવભાઈએ પણ ભૂપેનને પત્રો લખ્યા હશે, પણ એ ભૂપેન પાસે હોય. અમરીશભાઈએ સૂચન કરેલું કે આની પરથી તમે 'જલસો'માં લેખ લખી શકશો. મને પણ થયું કે વાત બરાબર છે. આવા દસ બાર પત્રો હતા. એ જોઈને હું રોમાંચિત થઈ ગયો. મેં એ વાંચવાના શરૂ કર્યા. એકે એક પત્રનો અક્ષરે અક્ષર વાંચ્યા પછી હું નિરાશ થઈ ગયો. બહુ સામાન્ય પત્રો. તદ્દન સામાજિક. 'હું અહીં કુશળ છું, ત્યાં સૌ કુશળ હશો; અને 'બધાને યાદ' પ્રકારના. આ બધું મને સોંપાયેલું 2016માં. એટલે મને એમ કે હું એ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રકાશિત થનારા 'જલસો'માં એના વિશે લેખ લખી શકીશ. લેખ લખી શકું એવી કોઈ ભૂમિકા જ નહોતી બનતી. જો કે, મને એ સમજાયું હતું કે એ લેખ ન લખી શકવાનું મૂળ કારણ એ હતું કે મારે હજી આ સંબંધમાં ઊંંડા ઊતરવાનું બાકી હતું.

ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા
અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ
અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો)

ધીમે ધીમે અન્ય સામગ્રી મળતી ગઈ. અમરીશભાઈ વચ્ચે વચ્ચે હળવેકથી મને પત્રો આધારિત લેખ વિશે યાદ કરાવતા, પણ હું કહેતો, 'એ લેખ યોગ્ય સમયે લખીશ. હજી એ મનમાં પાકી રહ્યો છે.' દરમિયાન 2020માં જાણીતા સમાજશાસ્ત્રી અને ભૂપેનના મિત્ર સુધીરચન્દ્ર (ગીતાંજલિશ્રીના પતિ)નું હિન્દીમાં લખાયેલું પુસ્તક 'भूपेन खख्खर: एक अंतरंग संस्मरण' પ્રકાશિત થયું. એ અગાઉ તેમની સાથે એક વાર ફોનથી વાત થયેલી અને તેમણે જણાવેલું કે પોતે આ લખી રહ્યા છે. પુસ્તક મેં મંગાવી લીધું. એ પુસ્તકમાં ભૂપેનના વ્યક્તિત્વનું અદ્ભુત આલેખન હતું. નવાઈ ત્યારે લાગી કે પોતાના પુસ્તકમાં તેમણે વલ્લવભાઈ સાથેની ભૂપેનની દોસ્તીનો ઉલ્લેખ કરતાં એ સંબંધ કેવો ગાઢ હતો એ જણાવવા લખેલું કે વલ્લવભાઈનો દીકરો અમરીશ ગાંઠના ખર્ચે ભૂપેન પર ગુજરાતીમાં પુસ્તક લખાવી રહ્યો છે. (એ પાનની છબિ મૂકી છે)


સુધીર ચંદ્રના પુસ્તકમાં ઉલ્લેખ

આ પુસ્તક વાંચ્યા પછી મને વલ્લવભાઈ અને ભૂપેન વચ્ચેનું સમીકરણ બરાબર સમજાયું. હવે પેલા પત્રો મેં જુદા પ્રકાશમાં જોયા. અને એના પર લેખ લખવાનો ધક્કો અંદરથી જ ઊભો થયો. પરિણામસ્વરૂપ એ લેખ 'સાર્થક જલસો'ના પંદરમા અંક (ઓક્ટોબર, 2021)માં પ્રકાશિત થયો. આ વિષય પરનો, આવા સંબંધ પરનો આ મારો પહેલો જ લેખ હતો. મારી ઈચ્છા, બલકે આગ્રહ કે એ લેખ હું લખું અને પછી અમરીશભાઈ પણ એ વાંચે. કશી ક્ષતિ હોય તો સૂચવે. ઊંડે ઊંડે એમ પણ ખરું કે કશો વાંધો તેમને લેવો હોય તો વેળાસર લઈ લે. મેં અમરીશભાઈને એ લેખ મોકલ્યો. તેમણે આખો લેખ વાંચ્યો. એકાદ જગ્યાએ નાનકડો હકીકતદોષ સુધાર્યો અને લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી.
'સાર્થક જલસો' ના પંદરમા અંકમાં પ્રકાશિત લેખ

આ જ લેખ પછી પુસ્તકની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને એમાં પ્રકરણ તરીકે લેવાયો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, June 13, 2025

'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...

કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.

વડોદરામાં શેખસાહેબને સૌ પ્રથમ મળવું પડે. અમે એમને ત્યાં ગયા. તેમની વ્યસ્તતા સમજાય એવી હતી, આથી ખાસ કશી વાત કરવાને બદલે તેમણે ભૂપેન વિશે પોતે લખેલો લેખ 'ભેરુ'નો ઉપયોગ કરવાની પરવાનગી અમને આપી. એ જ દિવસે નીલિમાબહેન શેખ સાથે થોડી વાત થઈ અને તેમણે ભૂપેન સાથેનાં પોતાનાં કેટલાક સંભારણાં કહ્યાં.
દરમિયાન અમરીશભાઈ એવાં મકાનોની જાણકારી લઈ આવ્યા કે ભૂપેન પોતાના બંગલામાં રહેવા જતાં પહેલાં રહી ચૂક્યા હોય. નિઝામપુરામાં રહેતા ઠાકોરભાઈ અને અતુલભાઈ શાહને અમે એ રીતે મળ્યા. ભૂપેન રહેતા ત્યારે આ બન્ને ભાઈઓની વય બાર-પંદરની હશે. એટલે તેમને એ યાદ હતા ખરા, પણ બીજી વિશેષ જાણકારી મળી શકી નહીં.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આ જ રીતે અમે રાધાસ્વામીના સત્સંગમાં ઉપસ્થિત રહ્યા અને કેટલાક સત્સંગીઓને મળ્યા. લેખાબહેન સાથે આ ગાળામાં મુલાકાત થતી રહેતી, પણ તેમની પાસે અમુકથી વધુ વિગતો હોય એમ જણાતું નહોતું. આ દરમિયાન રાણા બંધુઓ- હીતેશ રાણા અને કમલ રાણાને મળવાનું બન્યું. ભૂપેનના અંતિમ દિવસોમાં બન્ને ભાઈઓ સાથે રહેલા. તેમણે ઘણી વાતો તો કરી, સાથોસાથ પુસ્તક માટે અન્ય કોઈ પણ (ગુજરાતી અનુવાદ: આર્થિક) મદદની જરૂર હોય તો અને ત્યારે એ કરવાની તૈયારી બતાવી.
વલ્લવભાઈનાં બહેન જયાલક્ષ્મીબહેનને અમે વડોદરામાં મળ્યા. તેમણે 'ચંગુમંગુની જોડી'ને ભાવપૂર્વક યાદ કરી અને જણાવ્યું કે ભૂપેન તેમને પોતાની બહેન ગણતા હતા.
એ પછી એક વાર અમે અમદાવાદના ચિત્રકાર અમીત અંબાલાલને મળવા તેમને ઘેર ઊપડ્યા. અમીતભાઈ તો ખરા જ, તેમનાં પત્ની રક્ષાબહેને પણ ભૂપેન વિશે અઢળક વાતો કરી. ત્રણ સાડા ત્રણ કલાક તેમની સાથે અમે બેઠાં. આ દંપતિની સરળતા અમને સ્પર્શી ગઈ.
આમ છતાંં, આ બધી વાતો પછીના સમયગાળાની હતી. જે 'સ્ક્રેચ'થી આરંભ કરવાનો હતો એ હજી પડતો નહોતો. ભૂપેનના મિત્રો, પરિચિતોને તેમના વિશે એટલું બધું કહેવાનું હતું કે એમ લાગે કે આ વ્યક્તિત્વને આપણે જીવનકથાની બાથમાં કેમનું લેવું?
ક્યારેક એમ થતું કે અમે ઊપરાછાપરી અનેક લોકોને મળતા, તો ક્યારેક એમાં લાંબો ઝોલ પડતો.
આમ છતાં, એક વાત નક્કી હતી કે ભલે વિલંબ થાય તો એમ, પણ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Tuesday, April 15, 2025

દોસ્તીનું તર્પણ

ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.

આથી મેં પહેલવહેલી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ સત્સંગમાં જઈએ. બેસીએ અને જોઈએ કે એમાં શું શું થાય છે. વલ્લવભાઈના દીકરા અમરીશભાઈએ એ વ્યવસ્થા કરી આપી. લાલબાગ નજીક નિમિષ બહલ નામના એક સત્સંગીને ઘેર નિયત સમયે સત્સંગ યોજાતો હતો. અમે ત્યાં ગયા. છેક સુધી બેઠા. સત્સંગ પૂરો થયા પછી કેટલાક એવા સત્સંગીઓને મળ્યા કે જેમણે 'ભૂપેનકાકા'ને જોયા હતા.

રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું
ભૂપેને દોરેલું ચિત્ર

વલ્લવભાઈ અને ભૂપેન

પત્રના અંતે ભૂપેનનું લખાણ

રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ)

એ પછી અમરીશભાઈએ વિગત આપી કે વડોદરામાં આજવા રોડ પર 'સત્સંગ બિયાસ' છે, જ્યાં અઠવાડિયાના એક દિવસ સાંજે સત્સંગ યોજાય છે. ત્યાં પણ અમે ગયા. સત્સંગમાં હાજરી આપી અને એ પછી અનેક સત્સંગીઓ સાથે મુલાકાત કરી. ત્યાંથી વિગતો ઓછી મળી, પણ સત્સંગીઓમાં 'ભૂપેનકાકા અને વલ્લવકાકાની જોડી'નું સ્થાન શું હતું એનો બરાબર અંદાજ મળ્યો.
વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા તમામ પત્રોમાં છેલ્લે ભૂપેન લખતા: 'લિ. ભૂપેનના રાધાસ્વામી'. આ જ સંપ્રદાયના એક ધર્મગુરુ બાબુજી મહારાજનું ચિત્ર પણ ભૂપેને દોરેલું.
આવી અનેક વિગતો મારા મનમાં ઊતરતી ગઈ, સંઘરાતી ગઈ, જેના અર્કરૂપે લખાયું 'રંગમાં સત્સંગ' પ્રકરણ. વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તીને અપાયેલી એ અંજલિ છે, તો અમરીશભાઈના મતે આ પુસ્તક બન્નેની દોસ્તીનું તર્પણ છે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(બાબુજી મહારાજના ચિત્રની તસવીર ઈન્‍ટરનેટ પરથી) 

Monday, April 14, 2025

મારો સગો? મને એમ કે એ તમારો ઓળખીતો છે


ભૂપેન ખખ્ખરની જીવનકથામાં ધીમે ધીમે આગળ વધાતું જતું હતું, પણ હજી ઘણું મળવાનું બાકી હતું. અમુક વિગતોની જાણ હતી કે એ ક્યાંથી મળી શકે એમ છે, છતાં ત્યાં સુધી પહોંંચવાનો રસ્તો શોધવાનો હતો. ભૂપેનના અવસાનને ત્યારે માંડ એક સવા દાયકો થયેલો, અને તેમનું અવસાન માત્ર 69ની વયે થયેલું. આથી એવા અનેક લોકો હતા કે જે તેમને જાણતા હતા, તેમને ઓળખતા હતા. મુખ્ય વાત એ હતી કે એમની પાસે કશી નક્કર વાત મળે એમ હતું કે કેમ.

ધીમે ધીમે અમારું કામ ચાલતું, એમાં મારાં બીજાં અનેક કામ પણ સમાંતરે હોય. ભૂપેનના ડ્રાઈવર ઈશ્વર વિશે અમને ખ્યાલ હતો. એય જાણ હતી કે તેની હત્યા થઈ હતી. આથી અમે ઈશ્વરના ભાઈ ભગવાનને મળ્યા. ભગવાને બહુ પ્રેમથી ભૂપેન વિશે વાતો કરી. એમાં કોઈ ખાસ કિસ્સો નહોતો, પણ ખ્યાલ આવ્યો કે ભૂપેનનું વ્યક્તિત્વ એમના ડ્રાઈવરની દૃષ્ટિએ કેવું છે. નવાઈ ત્યારે લાગી કે ભગવાને જણાવ્યું કે પોતે પાંડુની દીકરીના સંપર્કમાં પણ છે. પાંડુ એટલે ભૂપેનની સાથે મુંબઈથી આવેલો તેમનો 'ઘાટી'. બન્નેને એકબીજા વિના ચાલે નહીં. મહેન્દ્ર દેસાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે એમ: ભૂપેન આપણને પૂછે કે 'ચા પીવી છે?' આપણે 'હા' પાડીએ તો ભૂપેન પોતે ઊભા થઈને ચા મૂકવા જાય. કહે, પાંડુ અત્યારે સૂઈ ગયો હશે.' બન્ને એકમેકની દરકાર રાખે એવા.
એક વાર ભૂપેન કહે, 'પાંડુ, તારો કોઈક સગો રોજ સવારે બાથરૂમમાં નહાવા આવે છે, અને કપડાં ધુએ છે. એ બહુ અવાજ કરે છે. એને કહે ને સહેજ મોડો આવે!' આ સાંભળીને પાંડુ નવાઈથી કહે, 'મારો સગો? હું તો એને ઓળખતોય નથી. મને તો એમ કે એ તમારો કોઈ ઓળખીતો હશે.'
બીજા દિવસે એ ભાઈ આવ્યા એટલે ભૂપેન અને પાંડુ બન્નેએ એની પૂછપરછ કરી. ખબર પડી કે એ તો બાજુના મકાનમાં બાંધકામ ચાલે છે ત્યાંનો સુપરવાઈઝર છે. બન્ને એને વઢ્યા અને કહ્યું કે હવેથી કપડાં ધોવા મોડો આવજે અને અવાજ ઓછો થાય એ રીતે કપડાં ધોજે.

ભૂપેન ખખ્ખર 

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, April 13, 2025

એક પણ છેડો છૂટવો ન જોઈએ

સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.

ભૂપેનની જીવનકથા પર કામ કરતાં કરતાં શરૂઆતમાં અમારા મનમાંય કંઈક આવો ખ્યાલ હતો. તેમણે કયા સ્થળનું ચિત્ર દોર્યું? કયા માણસનો ચહેરો ચીતર્યો? જો કે, બહુ ઝડપથી એ ખ્યાલ આવી ગયો કે આવી કવાયતનું એક હદથી વધુ મહત્ત્વ નથી. ચિત્રકારે આવાં સ્થળ, વ્યક્તિ કે પ્રસંગનો આધાર લઈને ખરેખર તો પોતાની અલાયદી સૃષ્ટિ રચી છે. ભૂપેને પોતે લખ્યું છે, 'મારા ચિત્રોમાં મારા જીવનને ન શોધશો.'
ભૂપેનની મંડળીમાં હીરાભાઈ પટેલ નામના એક વૃદ્ધ સજ્જન હતા, જે ધોતિયું, ઝભ્ભો અને ટોપીના પોતાના પોષાકથી સાવ આગવા તરી આવતા. ભૂપેનથી વયમાં તે ચૌદેક વર્ષ મોટા. તેમનું અવસાન 2010માં થઈ ગયું, પણ અમે તેમના દીકરા હર્ષદભાઈને મળ્યા. હીરાભાઈ મૂળ કુંવરપુરા ગામના હતા, જે કાયાવરોહણ નજીક આવેલું છે. ભૂપેને ચીતરેલા 'સત્સંગ' શિર્ષક ધરાવતા ચિત્રમાં કુંવરપુરાનું દૃશ્ય છે કે કેમ, એ માટેના સ્કેચ દોરવા ભૂપેન કુંવરપુરા ગયેલા કે કેમ વગેરે પ્રશ્નો અમે કર્યા. જો કે, હર્ષદભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂપેન કદી કુંવરપુરા આવ્યા નહોતા.
ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈનને હીરાકાકા પોતાના પોષાકને લઈને યાદ રહી ગયેલા. હીરાકાકાને ભૂપેને એકાદ ચિત્રમાં પણ સ્થાન આપ્યું છે. મૂળ વાત એટલી કે જીવનકથાના આલેખન દરમિયાન એક પણ છેડો છૂટવો ન જોઈએ. એનું આલેખન થાય કે ન થાય, પણ એને તપાસવાનો બાકી ન રખાય.

'ગુરુ જયંતિ'માં ડાબે વચ્ચે ઊભેલા સજ્જન કદાચ હીરાભાઈ છે.

'સત્સંગ' ચિત્ર

અતુલ ડોડિયાએ 'શ્રી ખખ્ખર પ્રસન્ન' પ્રદર્શનમાં 
'ભૂપેન મંડળી'ના સભ્યોને આપેલી અંજલિ

ભૂપેન મંડળી (ડાબેથી): વલ્લવભાઈ, ભૂપેન,
હીરાભાઈ અને બ્રાયન
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(પ્રથમ ત્રણ તસવીરો: ઈન્‍ટરનેટ પરથી)