Tuesday, May 25, 2021

પાયો સ્તંભ બનીને વિદાય લે ત્યારે....

 


ભરૂચના પ્રવિણસિંહ રાજના  24 મે, 2021ને સોમવારે થયેલા અવસાનના સમાચાર આજે જાણ્યા. તેમની સાથેનો મારો પરિચય માંડ ચારેક વર્ષનો, છતાં તેમના વ્યક્તિત્ત્વ માટે આદર સતત વધતો રહે એવી તેમની પ્રકૃતિ.
ભરૂચની 'એમિટી સ્કૂલ'ના પાયામાં જે મુખ્ય વ્યક્તિઓ ગણાય એમાં રણછોડભાઈ અને સંગીતાબેન શાહ, પ્રમેશબેન મહેતા, શૈલાબેન વૈદ્ય અને પ્રવિણસિંહ રાજ. આમાંના શૈલાબેનનું એક માર્ગ અકસ્માતમાં 1999માં અકાળે અવસાન થયેલું.
અસલમાં આ સૌ જે તે સમયે ભરૂચના 'રુંગટા વિદ્યાલય' સાથે સંકળાયેલા હતા. પણ શિક્ષણ માટે સતત કંઈક કરી છૂટવાની ભાવના એમનામાં સામાન્ય હતી, અને તેને પરિણામે તેમણે પોતાની શાળા સ્થાપવાનું વિચારેલું.
પ્રવિણભાઈ 'એમિટી'માં શરૂઆતથી જ જોડાવા ઈચ્છતા હતા, પણ તેમને માથે પરિવારની મોટી જવાબદારી હતી. તેમના પિતાજી ખેડૂત હતા. બે ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં પ્રવીણભાઈ સૌથી મોટા. આમોદ તાલુકાના કેસલુ નામના નાનકડા ગામમાં પરિવારનું કાચું મકાન હતું. પિતાજી પાસે જમીન સાવ ઓછી, અને આવકનો એક માત્ર સ્રોત પણ એ જ. આથી પાદરા તાલુકાના ડબકા જેવા નાનકડા ગામમાં, પોતાના મામાને ત્યાં રહીને પ્રવીણભાઈ શાળાકીય શિક્ષણ લેવું પડેલું. ઉચ્ચ શિક્ષણ લઈ શકાય એવા આર્થિક સંજોગો નહોતા. બને એટલા વહેલા નોકરી મેળવીને પરિવારને ટેકારૂપ બનવાનું તેમનું ધ્યેય હતું.
પ્રવીણભાઈનાં લગ્ન વિલાસબેન સાથે થયાં ત્યારે પણ ઘરની સ્થિતિમાં ખાસ ફેરફાર નહોતો થયો. એક નાનકડા મકાનમાં તેમનું લગ્નજીવન આરંભાયું. તમામ અગવડો વચ્ચે વિલાસબેન પરિવારને ટેકારૂપ બની રહ્યાં અને પ્રવીણભાઈને પડખે અડીખમ ઊભા રહ્યાં. આવા વિષમ સંજોગોમાં સુદ્ધાં પ્રવીણભાઈની મહેનતુ અને પ્રેમાળ પ્રકૃતિ તેમજ કોઈને મદદરૂપ બની રહેવાની ભાવના જળવાઈ રહી હતી. આ ઉપરાંત સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના પણ તેમના હૈયે હતી.
પ્રવીણભાઈ ભરૂચની ‘રુંગટા વિદ્યાભવન’માં ક્લાર્કની કામગીરી સંભાળી રહ્યા હતા. પરિવારની સામાન્ય સ્થિતિ જોતાં તેઓ આ નોકરી છોડી દે તો મુશ્કેલી પડે એમ હતું. આથી ‘ઍમિટી’ થોડી પગભર થાય એ પછી તેમણે નોકરી છોડવી એમ ઠેરવાયું હતું.
પ્રવીણભાઈ જે શાળામાં નોકરી કરતા હતા એ શાળા અનુદાનિત હતી, અને તેમની નોકરી કાયમી. નિયમાનુસાર તેમની નોકરીનો સમયગાળો અમુક વર્ષનો હોય તો તેઓ પેન્શનને પાત્ર ગણાય. પરિવારની આર્થિક સ્થિતિ અને જરૂરિયાત જોતાં નોકરી છોડવી તેમના માટે જરાય ઉચિત નહોતી. આમ છતાં, આંતરિક સ્ફુરણાને વશ થઈને પ્રવીણભાઈએ પોતાની કાયમી નોકરીમાં રાજીનામું મૂક્યું. દુનિયાદારીની રીતે જોઈએ તો આ પગલું કદાચ મૂર્ખતાભર્યું ગણી શકાય એવું હતું. પોતે પેન્શનને પાત્ર બની શકે એટલો સમયગાળો પૂરો કરવા પણ તે ન રોકાયા, અને કાયમી આર્થિક નુકસાન વેઠવું પસંદ કર્યું. તેની સામે જે સંતોષ હતો એ આ બધી ખોટને સરભર કરી દે એવો હતો.
એ પછીની લાંબી સફરની વાત ટૂંકમાં કરું તો પ્રવીણભાઈ આખરે 'એમિટી'માં જોડાયા. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો ચહેરો તેના સંચાલકો હોય, જે મુખ્યત્વે શિક્ષણ સાથે સંકળાયેલા હોય. પણ એટલું જ અગત્યનું પાસું છે સંસ્થાના વહીવટનું, જેમાં મોટે ભાગે વાલીઓ સાથે સંકળાવાનું હોય છે. આ ભાગને કરોડરજ્જુ સાથે સરખાવી શકાય, જે નજરે ન પડે, પણ તમામ આધાર એ પૂરો પાડે. પ્રવીણભાઈ ધીમે ધીમે આ વહીવટી પાસું સજ્જ કરવા માંડ્યા અને તેમણે વિવિધ પ્રણાલિઓ તૈયાર કરી. બધું પોતાને હસ્તક રાખવાને બદલે તેમણે એક આખી હરોળ તૈયાર કરવા પર ધ્યાન આપ્યું. તેમણે આ બાબત એવી રીતે સંભાળી લીધી કે 'એમિટી'ના સંચાલકોએ એ તરફની કોઈ ફિકર કરવાની જ ન રહે. શાળાનો પાયો પ્રવીણભાઈ હતા જ, પણ એ પછીના અરસામાં તે એક મહત્ત્વનો સ્તંભ બની રહ્યા.
ચાર વર્ષમાં જેટલી વાર મારે એમને મળવાનું બન્યું ત્યારે તેમની કાર્યપદ્ધતિ અને કાર્યશૈલી ઊડીને આંખે વળગે એવી જણાય. કોઈ પણ બાબતનું તમામ આયોજન તેમના મનમાં હોય જ, અને તેના અમલની તમામ તૈયારી તેમણે કરેલી હોય, છતાં તેનો કશો ભાર ન મળે. તેમના સ્મિતમાં હંમેશાં 'સ્વાગત'નો ભાવ લાગે. પોતાની સાથે સંકળાયેલા લોકોની સતત ખેવના અને દરકાર રાખે, તેમની જરૂરિયાત સમજે, અને એ પણ ખરા દિલથી. સંબંધ જાળવવાની તેમની વિશેષ આવડત. આથી તેમના સંપર્કમાં આવનારી વ્યક્તિના હૃદયમાં પ્રવીણભાઈ બે-ત્રણ મુલાકાતમાં જ વસી જાય.
એક અંગત પ્રસંગ લખું.
'એમિટી'ના દસ્તાવેજીકરણનું કામ મને સોંપાયું, એ પછીના એકાદ વરસના ગાળામાં મારી દીકરી શચિનું લગ્ન લેવાયું. 'એમિટી પરિવાર'ને સ્વાભાવિકપણે જ આમંત્રણ હોય. વ્યાવસાયિક ધોરણે સોંપાયેલા કામમાં આર્થિક વ્યવહાર અમારી શરત મુજબ યોગ્ય રીતે થયેલો. પણ પ્રવીણભાઈ જેનું નામ! તેમણે કહ્યું, 'શરતો જે હોય એ, લગ્ન વખતે માણસને નાણાંની જરૂર હોય. એ વખતે આપણી ફરજ છે એમને આપવાની!' બીજું કોઈક હોત તો એણે પૂછવાનો વિવેક કર્યો હોત, અને મેં 'હા' પાડી હોત એ પછી નાણાં આપ્યા હોત. પ્રવીણભાઈ પૂછવા ન રહ્યા. એમણે સીધા નાણાં મોકલી જ આપ્યા. લગ્નમાં પણ તે રણછોડભાઈ-સંગીતાબેન-ઉત્પલભાઈ સાથે ઉપસ્થિત રહ્યા. તેમને આવકાર આપીને તેમની સાથે બે શબ્દોની આપ-લે હું કરવા જાઉં કે એમણે કહ્યું, 'અમે તો ઘરના છીએ. તમે બીજા મહેમાનોને સમય આપો. અમારી ચિંતા ન કરો.' તેમની આવી ચેષ્ટા તેમને વિશિષ્ટ અને દુર્લભ વ્યક્તિત્ત્વની શ્રેણીમાં મૂકતી હતી.
તેમની સાથે એક લાંબા ઈન્ટરવ્યૂનું આયોજન હતું, જેમાં તેમની કાર્યપદ્ધતિ વિશેની વિગતો પૂછવાનું વિચારેલું. પરિસ્થિતિ સહેજ સરખી થાય કે એ વહેલી તકે કરવો એમ હતું.
તેમને કોવિડ લાગુ પડ્યો અને છેલ્લે સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના સમાચાર રણછોડભાઈ દ્વારા મળેલા. તેમની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળેલું, છતાં મનમાં ઊંડે ઊંડે એમ હતું કે પ્રવીણભાઈ તો આયોજનના માણસ છે. એમ એમને કશું ન થાય!
તેમની વિદાયથી 'એમિટી'ને જે ખોટ પડે એ અણધારી અને અઘરી હશે, પણ એક સહૃદયી તરીકે તેમની ખોટ તેમની સાથે સંકળાયેલા સહુ કોઈને સૌથી વધુ સાલશે.
(Image courtsey: Amity Educational Campus, Bharuch)

Wednesday, May 19, 2021

નીરો અને સેનાપતિઓ

નીરોને રંગવૈવિધ્ય ખૂબ પસંદ હતું. પોતાના સૈન્યની વિવિધ ટુકડીઓ માટે તેણે અલગ અલગ રંગ નિર્ધારીત કરેલા. આ સૈનિકો શિરસ્રાણમાં એક લાંબું પીંછું ખોસતા. આ પીંછાના રંગ પરથી અલગ અલગ ટુકડી અને તેના સેનાપતિની ઓળખ બનતી. જેમ કે, પીળા પીંછાવાળી ટુકડી, ભૂરા પીંછાવાળી ટુકડી, જાંબલી પીંછાવાળી ટુકડી વગેરે...


આ પૈકી લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ જરા મહત્ત્વાકાંક્ષી હતો. નીરોએ શાસન સંભાળ્યા પછી તેની નજરમાં વસવા માટે લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ અવનવી યોજના વિચારવા લાગ્યો. તે જાણતો હતો કે નીરોની નજરે દરેક રંગના પીંછાવાળા સેનાપતિ સરખા છે. આ જ બાબત તેના મનને કોરી ખાવા લાગી. થોડા સમયમાં એક તક તેણે ઊભી કરી. તેણે વિચારેલો ખેલ ખતરનાક હતો. એમાં નિષ્ફળ જવાય તો સેનાપતિ તરીકેની પોતાની કારકિર્દી દાવ પર લાગી જાય એમ હતી. પણ....એમાં સફળ થવાય તો નીરો તેને સરસેનાપતિના પદે બઢતી આપી દે એની લગભગ ખાતરી હતી.
લાલ પીંછાવાળા સેનાપતિના આડોશપાડોશના પ્રાંતોમાં અનેક સંપર્કો હતા. સેનાપતિઓના સંપર્કો કંઈ દ્રાક્ષ-સફરજનના વેપારીઓ સાથે ન હોય! એ લોકોના પરિચયમાં અવનવા શસ્ત્રોના ઉત્પાદકો, વેપારીઓ, ભાંગફોડિયાઓ, ચોરલૂંટારા, નાના મોટા હત્યારાઓ સહિતના અનેક લોકો હોય, અને આ સંપર્કોનો સેનાપતિઓ યથાસમયે ઉપયોગ પણ કરી લેતા હોય!
લાલ પીંછાવાળા સેનાપતિએ આવા એક પરિચયનો ઉપયોગ કરવાની યોજના ઘડી કાઢી. રોમની પડોશના એક પ્રાંતમાં લૂંટ-હત્યા આચરતો એક માણસ હતો. લાલ પીંછાવાળા સેનાપતિએ તેને ‘વ્યવસાય વિસ્તરણની ઉજ્જ્વળ તકો માટે’ રોમ આવવાનું નિમંત્રણ આપ્યું. નિમંત્રણની સાથે કેટલીક શરતો પણ હતી. પેલો તો લૂંટારો હતો. રોમના એક સેનાપતિની ઓથ હોય તો પછી શી ચિંતા? એમ વિચારીને એ રોમ આવવા નીકળ્યો.
વહેલી સવારે તે રોમના પાદરમાં પ્રવેશ્યો. લાલ પીંછાવાળા સેનાપતિ જાણે કે તેની રાહ જોઈને ઊભા હતા. લૂંટારાએ ઘોડા પરથી નીચે ઉતરીને, છાતીએથી સહેજ ઝૂકીને સેનાપતિનું અભિવાદન કર્યું. હજી એ કંઈ સમજે એ પહેલાં આસપાસથી લાલ પીંછાવાળા સૈનિકો ધસી આવ્યા. તેમણે પેલા લૂંટારાને ઘેરી લીધો. તેની છાતીમાં તલવાર આરપાસ ખોસી દીધી. તેના મૃતદેહને ઘોડાની પાછળ બાંધવામાં આવ્યો. એ જ રીતે તેને છેક નીરોના મહેલ સુધી લઈ જવામાં આવ્યો.


ત્યાં સુધીમાં અન્ય રંગનાં પીંછાવાળા સેનાપતિઓએ નીરોને સમાચાર પહોંચાડી દીધા હતા. લૂંટારાની લાશને ઢસડતો ઘોડો અને એ ઘોડાની પાછળ લાલ પીંછાવાળા સેનાપતિ આવી પહોંચ્યા. નીરો કશું પૂછે એ પહેલાં જ લાલ પીંછાવાળા સેનાપતિએ નીરો સમક્ષ નિવેદન કર્યું, ‘સમ્રાટ, આ ખતરનાક હત્યારો આપની પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે ધસી આવતો હતો. અમે એને રસ્તામાં જ ઝબ્બે કરી દીધો.’ આ સાંભળીને નીરો હસી પડ્યો. તેણે સીધો સવાલ કર્યો, ‘તમને મારા જીવની ચિંતા છે કે પછી સરસેનાપતિ બનવાની ઉતાવળ?’ નીરોએ આગળ ચલાવ્યું, ‘લાલ પીંછાવાળા સેનાપતિ, આવી બધી રમતો હું બ્રિટેનિકસ સાથે રમતો.’ નીરોએ આકાશ તરફ જોઈને કહ્યું, ‘બ્રિટેનિકસ! બિચારો ભોળિયો જીવ હતો!’
નીરોએ તાળી પાડવા હાથ પહોળા કર્યા. બે હથેળીઓ એકબીજા સાથે ટકરાય એ પહેલાં જ લાલ પીંછાવાળા સૈનિકો ભાલા સાથે હાજર થઈ ગયા. તેમણે પોતાના જ સેનાપતિને પકડી લીધા અને તેમના હાથ બાંધી દીધા. નીરોએ સૈનિકોને તાકીદ કરી, ‘એમને ઘેરથી ભોજન લાવવાની અને મુલાકાતીઓને મળવાની છૂટ આપજો.’
લાલ પીંછાવાળા સેનાપતિને જેલમાં નાખવામાં આવ્યા. જોતજોતાંમાં સમગ્ર રોમમાં આ વાત પ્રસરી ગઈ. રોમની જનતાને આનાથી ખાસ ફરક ન પડ્યો, પણ રોમના પ્રબુદ્ધજનો માટે મૂંઝવણ ઊભી થઈ ગઈ. નીરોને ટેકો આપવો કે લાલ પીંછાવાળા સેનાપતિને, કે જે પોતે નીરોનો જ પ્રતિનિધિ હતો! મુલાકાતીઓને મળવાની છૂટ હોવાથી રોમના પ્રબુદ્ધજનો લાલ પીંછાવાળા સેનાપતિની મુલાકાતે જવા લાગ્યા. જેલમાં મળતી નવરાશનો સદુપયોગ તે કવિતા લખવામાં કરે એવાં સૂચન તેમને મળવા લાગ્યાં. એક પ્રબુદ્ધજને એ સેનાપતિને કહ્યું, ‘હું તમને સમગ્ર રોમ વતી કહેવા આવ્યો છું કે આ મુશ્કેલ ઘડીએ અમે તમારી સાથે છીએ.’ આવી વિષમ પરિસ્થિતિમાં પણ લાલ પીંછાવાળા સેનાપતિને આ પ્રબુદ્ધજનના ભોળપણ પર હસવું આવી ગયું. તેણે જરાય કટાક્ષ વગર એ પ્રબુદ્ધજનને પૂછ્યું, ‘તમારાથી ચાર ઘર દૂર તમારું નામ પૂછીએ તોય કોઈ તમારા સરનામાની કોઈને ખબર હોતી નથી. અને તમે સમગ્ર રોમ વતી કહેવા આવ્યા?’
આ સાંભળીને એ પ્રબુદ્ધજને સહેજ પણ ઓઝપાયા વિના કહ્યું, ‘તમે મારા વિશે ગ્રીસમાં પૂછો, મોરોક્કોમાં પૂછો, આર્મેનિયામાં પૂછો.’
લાલ પીંછાવાળા સેનાપતિએ ચર્ચા વધુ ન લંબાવતાં બે હાથ જોડીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું. આમ ને આમ, લાલ પીંછાવાળા સેનાપતિના દિવસો જેલમાં પસાર થતા રહ્યા. આ સમયગાળામાં નીરોનું કદ ઘણું વિસ્તર્યું, તેની ધાક બરાબર જામી. રોમના પ્રબુદ્ધજનો હવે લાલ પીંછાવાળા સેનાપતિને તેમના હાલ પર છોડીને સીધા નીરો સાથે સંપર્ક સ્થાપવા લાગ્યા.

Tuesday, May 18, 2021

નીરો અને ધર્મગુરુઓ

પ્રાચીન રોમમાં બાર મુખ્ય દેવીદેવતાઓ હતા. રોમનો પોતાનાં દેવદેવીઓ બાબતે અત્યંત આસ્થાળુ હતા. એ સમયે હજી ખ્રિસ્તી ધર્મ નવોસવો અમલી બનેલો. રોમનો ખ્રિસ્તીધર્મીઓને તિરસ્કારની નજરે જોતા. ખુદ નીરો ખ્રિસ્તીઓને ધિક્કારતો. જો કે, નીરો પોતાની જાત સિવાય કોને પ્રેમ કરતો એ કહેવું મુશ્કેલ હતું.

પ્રત્યેક દેવદેવીઓના ફાંટાફિરકા અને એ દરેકનાં વિધિવિધાન હતાં. પોન્ટીફેક્સ તરીકે ઓળખાતા ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં, તેમના શુભ હસ્તે આ વિધિવિધાન સંપન્ન થતાં. આ પોન્ટીફેક્સનું ઠીકઠીક વર્ચસ્વ આસ્થાળુઓ પર રહેતું. લોકો પોતાનાં બાળકના નામ માટે રોમન કવિઓ કે લેખકોનો નહીં, પોન્ટીફેક્સનો સંપર્ક કરતા. ક્યારેક કોઈ ખ્રિસ્તીની હત્યા પોતાનાથી થઈ જાય તો તેનો આનંદ પણ સૌથી પહેલો પોન્ટીફેક્સ સમક્ષ વ્યક્ત કરવા અમુક રોમનો દોડી જતા. ઘણા રોમન સૈનિકો ઋજુહૃદયી હતા. ખરાખરીની લડાઈ ન થાય અને લોહી ન વહે તો તેમને કોઈનો જાન લીધાનો સંતોષ થતો નહીં. આથી તેઓ સાંકળથી હાથપગ બંધાયેલાં હોય એવા નિ:શસ્ત્ર ગુલામના હાથમાં ક્યારેક તલવાર પકડાવી દેતા અને તેને જાતે જ પોતાના શરીર પર ઘા મારવાનો હુકમ કરતા. આ રીતે ગુલામો ઘવાતા. લોહી વહેતું અને એ પછી પેલા સૈનિકો એ ગુલામને હણતા. સૈનિકોને ખ્યાલ હતો કે આ રીત યોગ્ય નથી, એમ તેઓ એ પણ જાણતા હતા કે આ ગુલામ આ જીવનમાં કદી પોતાની સામે લડી શકવાનો નથી. આવી કશ્મકશ પછી એ ગુલામનો જાન લીધા પછી તેમને અસુખ લાગતું. એવે વખતે પોન્ટીફેક્સ દર્શનશાસ્ત્ર અને રોમન પુરાણોમાંથી ઉદાહરણ ટાંકીને તેમના મનનું સમાધાન કરાવતા. ટૂંકમાં રોમના વિવિધ પ્રજાજનો પર વિવિધ પોન્ટીફેક્સનો પ્રભાવ રહેતો. રોમના શાસકો પણ પોન્ટીફેક્સનો આદર કરતા.


નીરો તમામ પોન્ટીફેક્સનો આદર કરતો. રોમન પરંપરા અનુસાર ઝૂકીને આદર આપવાનું તેને ફાવતું નહોતું, કેમ કે, પોતાનું પેટ આડે આવતું હતું. આથી નીરો તેમની મુઠ્ઠી સાથે પોતાની મુઠ્ઠી હળવેકથી ટકરાવતો. પોતપોતાના પોન્ટીફેક્સને મળતું આવું વિશેષ સન્માન જોઈને તેમના અનુયાયીઓ હરખાતા. ધીમે ધીમે આ અનુયાયીઓ પોતાના પોન્ટીફેક્સને ભગવાન સમકક્ષ ગણવા લાગ્યા.
વરસમાં ત્રણ-ચાર વખત નીરો તમામ પોન્ટીફેક્સને પોતાને ત્યાં ભોજન માટે નોંતરતો. આ મિલન સાવ અનૌપચારિક રહેતું. નીરો ઊંચા આસને બિરાજતો, જ્યારે પોન્ટીફેક્સ આરસની ભોંય પર ઊભા પગે બેસતા. ભોજન પહેલાં નીરો લાયરવાદન કરતો.
એક વખત નીરોએ પોન્ટીફેક્સને ભોજન માટે નોંતરેલા અને તે લાયરવાદન કરી રહ્યો હતો. નીરોએ અધવચ્ચે વાદન અટકાવ્યું અને ઊંચે જોઈને પૂછ્યું, ‘ભૂખ લાગી છે ને?’ શો જવાબ આપવો એની કોઈ પોન્ટીફેક્સને સમજ ન પડી. છેવટે એક જાડીયા પોન્ટીફેક્સે સહેજ ડરતાં ડરતાં ‘હા’ પાડી. નીરો નવાઈથી તેમની સામે જોઈ રહ્યો. તેણે પૂછ્યું, ‘મેં તમને ક્યાં પૂછ્યું છે?’ આમ કહીને નીરોએ તાળી પાડી. એ સાથે જ એક માણસ સાંકળે બાંધેલા વાઘને લઈને ખંડમાં આવ્યો. નીરોએ હસીને વાઘ તરફ આંગળી ચીંધી અને બોલ્યો, ‘હું આને પૂછતો હતો. ચાલો, તમે હવે ‘હા’ પાડી છે તો...’ પછી વાઘ તરફ ડોકું ફેરવીને કહ્યું, ‘આનો આજનો ટંક તો નીકળી જશે.’ આ સાંભળીને પેલા જાડીયા પોન્ટીફેક્સ ફસડાઈ પડ્યા. પછી તે ઊભા થયા અને દોડીને નીરોના પગ પકડવા લાગ્યા. પલાંઠી વાળીને બેઠેલા નીરોએ પલાંઠી ખોલીને પગ લાંબા કર્યા, જેથી પોન્ટીફેક્સને એ પકડવામાં સુવિધા રહે. નીરોના પગ પકડીને પોન્ટીફેક્સ કરગરવા લાગ્યા, ‘મારી ભૂલ થઈ ગઈ. મારો પરિવાર ભૂખે મરી જશે. મારા અનુયાયીઓનું શું થશે? રોમના જ નહીં, સમગ્ર વિશ્વના સમ્રાટ એવા હે નીરો! મને બચાવી લો.’

 

બાજુમાં પડેલા આરસના એક બાઉલમાંથી નીરોએ દ્રાક્ષ તોડી. એને દબાવી. એમાંથી પીચકારી છૂટી, જેની સેર પોન્ટીફેક્સના હોઠ પર પડી. નીરો એકદમ હસી પડ્યો અને બોલ્યો, ‘અરે! તમે તો ગંભીર થઈ ગયા. હું ગમ્મત કરતો હતો.’ હજી પેલા પોન્ટીફેક્સ કરગરી રહ્યા હતા. કેમે કરીને પગ છોડતા જ નહોતા. નીરોએ તેમને બેય હાથે ઊભા કર્યા અને કહ્યું, ‘પોન્ટીફેક્સ, એક વસ્તુ ધ્યાનમાં રાખવી. તમારા ધર્મસ્થાનોમાં ગમે એટલા કવિઓ-લેખકો ભેગા કરો અને કવિતા-કવિતા કે વાર્તા-વાર્તા રમો...પણ તમારા હોદ્દાનો ખ્યાલ રાખો, સમજ્યા ને? તમે એ બધાને એમ દ્રાક્ષનો આસવ પીવડાવવા નીકળી પડો એ ન ચાલે, સમજ્યા? તમે છેવટે મારા પ્રતિનિધિ છો.’ પોન્ટીફેક્સ હજી ધ્રુજી રહ્યા હતા. માંડ માંડ તે બોલી શક્યા, ‘મને મારી વિનમ્રતા આડે આવે છે. શું કરું? આપ જ સૂચવો.’ નીરોએ તેમનો ખભો થપથપાવ્યો અને માથે હાથ પસવારતાં કહ્યું, ‘અમારો આ અપોલો છે એને વિનમ્ર લોકો બહુ પસંદ છે. ખરું ને, અપોલો?’ પોન્ટીફેક્સ કશું સમજે એ પહેલાં વાઘની ત્રાડ તેમને કાને પડી. નીરોએ કહ્યું, ‘બોલો, પોન્ટીફેક્સ! ફાવી જશે ને?’ પોન્ટીફેક્સ બોલી ઉઠ્યા, ‘ફાવશે. ફાવી જશે. ફાવી ગયું. ’
બાકીના અગિયાર પોન્ટીફેક્સની જુબાન જાણે કે સિવાઈ ગઈ હતી. નીરો હવે એમની નજીક ગયો. તેમને સમૂહમાં ઉદ્દેશીને બોલ્યો, ‘પોન્ટીફેક્સ છો, તો પોન્ટીફેક્સની જેમ રહેજો. નાણાંકીય ગોલમાલ, યુવતીઓને ફોસલાવવી, વસૂલી, જમીન પર દબાણ, બનાવટી ઓસડિયાં....હું બેઠો છું ત્યાં સુધી આ બધું કરવાની તમારી હિંમત શી રીતે ચાલી? તમને મેં અહીં બેસાડ્યા છે શેના માટે? આ બધું મારી જાણબહાર કરવા માટે?’
પેલા અગિયારે જણાએ નકારમાં ડોકું ધુણાવ્યું. નીરો હસી પડ્યો અને કહે, ‘તમે તમારી ફરજ પણ ભૂલી ગયા. આ બધા માટે તો તમને બેસાડ્યા છે. પણ તમે મારાથી હિસાબ છુપાવો એ કેમ ચાલે? મને બતાવવાનો ચોપડો અલગ, અને તમારો ચોપડો અલગ! વાંધો નહીં.’ આમ કહી તેણે અપોલો સામે જોયું અને કહ્યું, ‘અપોલો, આજનો દિવસ બેઈમાન માણસોથી ચલાવી લે. છે તો પવિત્ર જ! આપણા પોન્ટીફેક્સ જ છે.’ અપોલોએ ત્રાડ પાડી. નીરોએ દૂરથી જ કહ્યું, ‘સારું, સારું. વિનમ્ર માણસ પણ આપીશ. પણ અહીં ગંદકી ન જોઈએ. જ્યુપીટર અને નેપચ્યૂનને પણ થઈ રહેશે.’
નીરો પોતાનું લાયર ત્યાં જ મૂકીને ખંડની બહાર નીકળી ગયો. એ રાતે નીરો ફક્ત દ્રાક્ષ ખાઈને સૂતો. બીજા દિવસે બાર પોન્ટીફેક્સની એકસામટી નવી નિમણૂંકની ઘોષણા કરવામાં આવી. રોમનોને પહેલાં નવાઈ લાગી, પણ ‘નીરો છે તો કંઈ પણ સંભવ છે’ એમ માનીને તેમણે આ ઘોષણાને દૈવી સંકેત ગણીને વધાવી લીધી.

(By clicking image, the URL will be reached) 

Monday, May 17, 2021

નીરો અને ઉત્સવો

 નીરો એકદમ - 'કામાંધ' કહી શકાય એ હદે કામગરો હતો. ગાદીનો અખત્યાર સંભાળતાંની સાથે તે લોકોને જણાવી દેવા માંગતો હતો કે અત્યાર સુધી શાસન ભલે ગમે એમ ચાલ્યું, પણ હવે એ નહીં ચાલે. અલબત્ત, અત્યાર સુધીના રોમન શાસકોથી રોમના લોકો સંતુષ્ટ હતા, છતાં સંતોષ હોય કે આનંદ, એકધારાપણું (મોનોટોની) કંટાળો નીપજાવતું હોય છે. આથી સૌએ નીરોની વાતને ગંભીરતાથી લીધી. લોકોએ જાતે જ નીરો માટે એક સૂત્ર વહેતું કરી દીધું, 'એ જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી.' જો કે, નીરોએ કદી કોઈને આમ કહ્યું ન હતું. પણ સૂત્ર વહેતું થઈ જાય પછી જોઈતું'તું શું?

રોમન નાગરિકો અત્યાર સુધી બેસીને ભોજન લેતા હતા. નીરોના સૂત્રને સાર્થક કરવા માટે તેમણે ઊભે ઊભે ભોજન લેવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી રોમન લેખકો બેઠા બેઠા લેખનકાર્ય કરતા હતા. તેમણે હવે ઊભે ઊભે લખવાનું શરૂ કરી દીધું. 'જંપીને બેસવા દેતો નથી'નો મંત્ર એટલો પ્રસર્યો કે મૃતદેહોને અગ્નિદાહ આપતી વખતે પણ તેમને સૂવાડવાને બદલે કશાકના ટેકે ઊભા રખાતા અને અગ્નિદાહ અપાતો. દફન થનારા મૃતદેહોને હવે ઊભા જ ખાડામાં ઊતારાતા. નીરોએ આમાંનું કશું કરવાનું કહ્યું ન હતું, પણ લોકો નીરોના આદેશને ઝીલવા તત્પર બની ગયા હતા.
નીરોએ ઘોષિત કર્યું કે પોતે હવેથી 23 કલાક કામ કરશે. આ જાણીને રોમનોને થયું કે આવો શાસક કદી થાવો નથી. કોઈકે નીરોને પૂછ્યું હોત તો જાણવા મળત કે નીરોએ ખરેખર તો કામના પોતાના કલાકો ઘટાડી દીધા હતા. આખા સપ્તાહના થઈને 23 કલાક કામ કરવાનું તેના મનમાં હતું, જ્યારે અગાઉના શાસકો સરેરાશ સો કલાકથી વધુ કામ કરતા.
રોમન લોકોનો મળી રહેલો પ્રતિસાદ જોઈને નીરોને થયું કે રોમનો પોતે ધાર્યું હતું એટલા મૂરખ નથી, પણ ધાર્યા કરતાં અનેકગણા મૂરખ છે. તેણે કેટલીક વધુ યોજનાઓ જાહેર કરી.
રોમની એક મોટી અશ્વશાળા હતી, જ્યાં સૈન્યમાં વપરાતા ઘોડાઓને રાખવામાં આવતા. આ ઘોડાઓની સંભાળ માટે વિવિધ કક્ષાના કર્મચારીઓ હતા, જેમાં અશ્વપતિના મુખ્ય હોદ્દાથી લઈને અશ્વલાદઉત્થાપક જેવા સૌથી નીચલી પાયરીના કર્મચારીઓ સુધીનો સમાવેશ થતો હતો. આ સૌ રાજ્યના સવેતન કર્મચારીઓ હતા. તેમને વેતન પ્રતિ સપ્તાહ ચૂકવાતું. નીરોએ આ પ્રથા બંધ કરીને માસિક ધોરણે વેતન ચૂકવવાનું શરૂ કર્યું. અત્યાર સુધી રાજ્યની તિજોરીમાંથી આ કર્મચારીઓને સીધું વેતન ચૂકવાતું. તેને બદલે હવે મહિને એક વાર રોમના કોલોઝિયમમાં 'વેતનોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું. રોમના લાખો લોકોની હાજરીમાં આ કર્મચારીઓને તેમનું વેતન ચૂકવવામાં આવતું. એક એક કર્મચારીનું નામ બોલાતું, હોદ્દો બોલાતો, અને વેતનની રકમ પણ! આ દરેક ઘોષણાને રોમના નાગરિકો તાળીઓથી વધાવી લેતા. સમ્રાટે વેતનમાં જબરદસ્ત વૃદ્ધિ કરી દીધી હોવાથી પોતાનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હોવાનો તેમને ગર્વ થતો.


'વેતનોત્સવ' યોજનાને રોમનોનો જે પ્રતિભાવ મળ્યો એ નીરોની ધારણા મુજબનો હતો. હવે આગળનું પગલું ભરવાનો સમય પાકી ગયો હતો. નીરોએ જોયું કે ઘણા વખતથી રોમ પર બહારનું કોઈ આક્રમણ થયું નથી. જે કંઈ કત્લેઆમ થઈ છે એ તો રાજ્યની આંતરિક ખટપટને કારણે છે. એમ કરવામાં થોડા વફાદાર સેવકો પૂરતા છે. તેણે અશ્વશાળાના તમામ હોદ્દેદારોને તેમના હોદ્દેથી ફારેગ કરી દીધા. એને બદલે તેણે સહાયકો નીમી દીધા. એટલે કે અશ્વપતિના સર્વોચ્ચ હોદ્દે અશ્વપતિ સહાયક હોય, એમ અશ્વલાદઉત્થાપકના સૌથી નીચલા હોદ્દે પણ અશ્વલાદઉત્થાપકસહાયક હોય. આ સહાયક કર્મચારીઓનું વેતન નિર્ધારીત, તેમાં કશી વૃદ્ધિ નહીં, અને તેમણે આખું વરસ સેવા કરવી પડતી. આને કારણે જે મૂળ હોદ્દેદારો હતા એ હવે ફાજલ પડ્યા. નીરોએ તેમને અન્ય અનેક ઉત્પાદક કામોમાં જોતરવા માંડ્યા, જેમ કે, રોમના મુખ્ય બગીચાઓમાં આવેલાં વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ ગણવા, રોમના મુખ્ય રસ્તાની બન્ને બાજુએ આવેલાં વૃક્ષો પર બેઠેલાં ફળોની ગણતરી કરવી, રોમના સરોવરમાં રહેલી દોઢ ઈંચ લંબાઈની માછલીઓ ગણવી વગેરે...આનાં પરિણામ ઝપાટાભેર મળવા માંડ્યાં. અશ્વશાળાના સહાયકો ખુશ રહેતા, એમ અશ્વશાળાના અસલ હોદ્દેદારો પણ રાજી રહેતા. તેઓ પોતાનો રાજીપો દરેક જણ સમક્ષ પ્રગટપણે વ્યક્ત કરતા, કેમ કે, તેમને અંદાજ નહોતો કે કયો માણસ નીરોનો જાસૂસ હશે.
અશ્વશાળાનું મોડેલ નીરોએ રોમનાં અન્ય ક્ષેત્રે પણ લાગુ પાડ્યું. દરમિયાન કોલોઝિયમમાં વિવિધ ઉત્સવો યોજાતા રહ્યા અને રોમનો તેનો આનંદ લૂંટતા રહ્યા. પહેલાં દર મહિને યોજાતા ઉત્સવો પછી દર સપ્તાહે, અને ધીમે ધીમે રોજેરોજ યોજાવા લાગ્યા.
રોમન ન્યાયપ્રણાલિને પણ નીરોએ ઉત્સવનું સ્વરૂપ આપી દીધું. 'સજામુક્તિઉત્સવ' ભાગ્યે જ યોજાતો, પણ 'કારાવાસોત્સવ', 'કોરડાઉત્સવ', 'શિરચ્છેદોત્સવ' નિયમિતપણે યોજાવા લાગ્યા. રોમન નાગરિકો હવે 'જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી' સૂત્રનો ગૂઢાર્થ સમજ્યા હતા. આજ સુધી રોમના કોઈ શાસકે લોકોના મનોરંજનની આટલી ખેવના કરી ન હતી. એ શાસકોએ રોમનોને યુદ્ધમાં જ વ્યસ્ત રાખ્યા હતા.
અલબત્ત, રોમન સેનેટમાં કેટલાક લોકો નીરોની આવી હરકતોથી નારાજ હતા. નીરોને એની જાણ હતી, પણ મુઠ્ઠીભર સેનેટને કોણ પૂછે? રોમન નાગરિકોની ખુશી વધુ અગત્યની હતી! પોતાની લોકપ્રિયતા વધારવા માટે નીરોએ વધુ એક ઘોષણા કરી. હવે પોતે 23 નહીં, પણ 24 કલાક કામ કરશે. આ સાંભળીને રોમનો હર્ષઘેલા થઈ ગયા. 23ને બદલે 24 કલાક કામ કરવાથી રોમની કાયાપલટ કઈ હદે થઈ જશે એ વિચારીને તેઓ રોમાંચિત થઈ ગયા.

(By clicking image, the URL will be reached)

Sunday, May 16, 2021

વ્યાવસાયિક પ્રકાશનના ગૌરવાન્‍વિત છડીદારની વિદાય!

 ભગતભાઈ શેઠનું 15 મેના રોજ અવસાન થતાં પ્રકાશકોની એક આખી પેઢીનો જાણે કે અંત આવ્યો. આર.આર.શેઠની કંપની સાથે મારે એક લેખક તરીકે સંકળાવાનું બન્યું નથી, પણ ચારેક વર્ષથી પ્રકાશન જગતને લગતા (રજનીકુમાર પંડ્યા સાથેના) એક મહત્ત્વના કામ અંગે તેમના નિકટના સંપર્કમાં આવવાનું બનેલું. એ પછી ત્રણ-ચાર મહિને રૂબરૂ મુલાકાત અને ફોન પર વાતો પણ કામ સંદર્ભે થતી રહેતી. જરૂર મુજબ ઈ-મેલ વ્યવહાર પણ ખરો. તેમની સજ્જતા, ખંત અને પરખવૃત્તિ પહેલી મુલાકાતમાં જ ઉડીને આંખે વળગે એવી. વ્યાવસાયિક પ્રકાશનના તે ગૌરવાન્વિત છડીદાર હતા અને દૃઢપણે માનતા કે સંસ્થાકીય પ્રકાશકોની સરખામણીએ વ્યાવસાયિક પ્રકાશકો વધુ જોખમ ઉઠાવતા હોય છે. માત્ર સત્તર વર્ષની વયે પ્રકાશન વ્યવસાયમાં પ્રવેશનાર ભગતભાઈ આજીવન આ જ ક્ષેત્રે સમર્પિત રહ્યા.

તેમના પિતાજી ભૂરાલાલ રણછોડલાલ શેઠ ગાંધીવિચારથી પ્રભાવિત અને દેશની સ્વતંત્ર્ય ચળવળમાં સક્રિય હતા. ગાંધીજી સાથે યરવડા જેલમાં પણ રહી ચૂક્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી ગાંધીવિચારના પ્રસાર માટે તેઓ ગાંધીજીના ‘નવજીવન’ અખબારનું મુંબઈના બોરીબંદર પર વેચાણ કરતા. 1926માં તેમણે મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક દુકાન ભાડે લઈને પુસ્તકો દ્વારા ગાંધીવિચારનો પ્રસાર થઈ શકે એ માટે પુસ્તકોના વિતરણનું કામ શરૂ કર્યું. 1942માં મુંબઈ પોર્ટમાં થયેલા ધડાકાને કારણે પરિવારને લઈને તેઓ સલામતીના કારણોસર વડોદરામાં સ્થાયી થયા. અહીં તેમનો પરિચય રમણલાલ વસંતલાલ દેસાઈ સાથે થયો. આ પરિચયને કારણે સાહિત્ય તેમજ ગુજરાતીમાં પુસ્તક પ્રકાશનના વિચારને વેગ મળ્યો. ‘વિરાટ પ્રકાશન મંદિર’ના નામે પ્રકાશન પ્રવૃત્તિનો આરંભ થયો અને ર.વ.દેસાઈનાં પુસ્તકોથી જ તેની શરૂઆત થઈ.
ગાંધીજીએ કાર્યકરોને અંતરિયાળ ગામડાંઓમાં જઈને થાણું બનાવવાની હાકલ કરી હતી. તેને પગલે ભૂરાલાલ શેઠ 1947માં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગામે પહોંચ્યા. માંડ બે હજારની વસતિ ધરાવતા આ ગામમાં એમણે પ્રિન્ટીંગ પ્રેસ, બાઈન્ડીંગ સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી, જે ક્રાંતિકારી ગણાઈ હતી.
1956માં ભૂરાલાલ શેઠના ભાઈઓ પરસ્પર સંમતિથી અલગ થયા અને સંસ્થાનો સંપૂર્ણ વહીવટ ભૂરાલાલે એકલે હાથે સંભાળ્યો. પ્રકાશન, વેચાણવ્યવસ્થા, લેખકસંપર્ક ઉપરાંત મુંબઈ અને સોનગઢની ઓફિસોની વ્યવસ્થા તેમણે સક્ષમ રીતે સંભાળી. જો કે, 1959 માં ભૂરાલાલનું અને છ મહિના પછી તેમનાં પત્ની મંછાબેનનું અવસાન થયું અને સંસ્થાનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડ્યું.
આ દંપતિના એક માત્ર વારસ ભગતભાઈએ સંસ્થાનો વહીવટ સંભાળી લેવો પડે એવી સ્થિતિ ઉભી થઈ. ભગતભાઈની ઉંમર ત્યારે માત્ર સત્તર વર્ષની હતી. તેમણે માસા શામળદાસ મહેતા પાસેથી વહીવટ સંભાળ્યો. આરંભિક મુશ્કેલીઓ વટાવ્યા પછી બહુ ઝડપથી તેમણે આ વ્યવસાયમાં હથોટી કેળવી લીધી અને ઘણી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ર.વ.દેસાઈ પછી અનેક પ્રતિષ્ઠિત ગણાતા લેખકો આ સંસ્થા સાથે સંકળાતા ગયા. ગુણવંતરાય આચાર્ય, ઈશ્વર પેટલીકર, પિતાંબર પટેલ, વિ.સ. ખાંડેકર, શયદા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, સુન્દરમ, સુંદરજી બેટાઈ, સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા તેમજ દક્ષિણામૂર્તિનું સંપૂર્ણ લેખક મંડળ શરૂઆતનાં વર્ષોમાં આ સંસ્થા સાથે સંકળાયેલું હતું.
આગળ જતાં ગુજરાતી સાહિત્યની ઓળખ કહી શકાય એવા અનેક લેખકો જોડાતા ગયા, જેમની નામાવલિ અહીં આપવી શક્ય નથી. સાથે સાથે બિનગુજરાતી તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિષ્ઠિત લેખકોનું અનુવાદિત સાહિત્ય પણ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતું રહ્યું. રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત લેખક-લેખિકાઓનાં પુસ્તકોના અનુવાદ પણ આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. આ પુસ્તકોએ ગુજરાતી પ્રકાશનોમાં ‘ગેમ ચેન્જર’ની ભૂમિકા અદા કરી છે, અને ગુજરાતી પ્રકાશનજગતની રૂખ બદલવામાં વિરાટ પ્રદાન કરેલું છે, એમ બહુ યોગ્ય રીતે, પૂરતી વિનમ્રતા સાથે, પણ તથ્યની રીતે ભગતભાઈ માનતા.
સારા લેખકોનાં નવાં નવાં વિષયનાં શ્રેષ્ઠ પુસ્તકો પસંદ કરીને પ્રકાશિત કરવાની સાથે સાથે તેના વેચાણ માટેનું માળખું પણ ઉભું કરવામાં આવ્યું. પ્રકાશન પ્રવૃત્તિમાં ઊંડો રસ હોવાને કારણે ભગતભાઈ અનેક સાહિત્યીક કાર્યક્રમો, ગોષ્ઠિઓમાં નિયમીત હાજરી આપતા. તેને કારણે ગુજરાતીના અનેક આદરણીય લેખકો સાથે તેમનો પરિચય થતો ગયો. પરિણામે ગુજરાતીના ઉત્તમ લેખકોએ પોતાનાં સંતાન સમાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે આ સંસ્થાને પસંદ કરી.
1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો અલગ થયાં ત્યારે ભગતભાઈએ જોયું કે ગુજરાતી પ્રકાશનમાં ટકી રહેવા માટે હવે ગુજરાતમાં સંસ્થાની શાખાનો આરંભ કરવો જરૂરી છે. આથી તેમણે 1965માં, પોતાની માત્ર 23 વર્ષની ઉંમરે દૂરંદેશીભર્યો નિર્ણય લીધો અને અમદાવાદમાં ગાંધી રોડ પર શાખાનો આરંભ કર્યો. આજે પણ આ સંસ્થાનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ ખાતે જ છે. બદલાતા જતા સમયને પારખીને તેઓ વાચકોની રસરુચિ પારખતા ગયા, વાચકો સાથે સતત સંવાદ જાળવતા ગયા અને એ મુજબ વિવિધ પુસ્તકો પ્રકાશિત કરતા ગયા. આમ છતાં, તેમની દૃષ્ટિએ એક સત્ય શાશ્વત રહ્યું છે કે વાચકોને સારાં પુસ્તકો વાંચવાની ઈચ્છા રહે જ છે.
આજ સુધીમાં આશરે સાત હજાર પુસ્તકો ટાઈટલ્સ પ્રકાશિત કરી ચૂકેલી આ સંસ્થા હાલ દર વર્ષે ત્રણસોથી વધુ પુસ્તકો પ્રકાશિત કરે છે.
આ સંસ્થા દ્વારા વખતોવખત વિવિધ યોજનાઓ ઘોષિત કરવામાં આવતી રહી છે, જેથી સારા વાંચનને પ્રોત્સાહન મળે. સ્વ. ભૂરાલાલ ર. શેઠ સ્મારક યોજના અંતર્ગત ગુજરાતી ભાષાનાં વિશિષ્ટ અપ્રાપ્ય ગ્રંથો તેમજ વિદ્વાન લેખકો દ્વારા લખાયેલાં કે સંપાદિત ગ્રંથો પડતર કિંમતે સુલભ કરી આપવાની યોજના છે. આ ઉપરાંત શ્રેષ્ઠ વાર્તાશ્રેણી, સમયનો સદુપયોગ શ્રેણી, ગાગરમાં સાગર શ્રેણી, અંગ્રેજી ભાષા શીખવાની શ્રેણી, કવિતા શ્રેણી, નાટ્ય શ્રેણી, ગુજરાતી સાહિત્યનો અમર વારસો શ્રેણી, સુખનવર શ્રેણી, ઉર્દૂ સુખનવર શ્રેણી જેવી વિશિષ્ટ શ્રેણીઓ પ્રકાશિત કરાતી રહી છે.
‘ઉદ્ગાર’ સામયિકનું પ્રકાશન ચાર ચાર દાયકાથી નિયમીત ધોરણે થઈ રહ્યું છે, જે સાહિત્ય અને સાહિત્યરસિકો વચ્ચેના સેતુની ગરજ સારે છે.
ભૂરાલાલ શેઠે આરંભ કર્યા પછી ભગતભાઈએ સંસ્થાને સંભાળી. ભગતભાઈના બન્ને પુત્રો- ચિંતનભાઈ વીસેક વર્ષથી તથા રત્નરાજ પંદરેક વર્ષથી સક્રિય છે. આમ, ત્રીજી પેઢીએ પણ આ વ્યવસાયને અપનાવીને તેને આગળ વધાર્યો.
કોવિડને કારણે ભગતભાઈ ઑફિસ જવાનું ટાળતા હતા. એ પહેલાં તે નિયમિતપણે ઑફિસે જતા. કોઈ પુસ્તકને આંખથી નજીક લાવીને ઝીણી નજરે પુસ્તક વાંચી રહેલા ભગતભાઈનું દૃશ્ય ઑફિસના મુલાકાતીઓ માટે સામાન્ય હતું. પાંચ-છ વર્ષ અગાઉ ઈન્દોર ખાતે યોજાયેલા જ્ઞાનસત્ર વેળા, એક સાચા જ્ઞાનપિપાસુની જેમ દરેક ગોષ્ઠિમાં હાજરી આપવા ઉપરાંત, એક સામાન્ય મુલાકાતીની જેમ બુફે માટેની લાઈનમાં ઉભા રહેતાં તેમને જોયા ત્યારે બહુ નવાઈ લાગેલી.
વ્યાવસાયિક પ્રકાશનના આ છડીદારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

Saturday, May 15, 2021

નીરો અને વિશાળતા

વિશાળતા નીરોના વ્યક્તિત્ત્વની વિશેષતા હતી એમ કહી શકાય. તેની દૃષ્ટિ વિશાળ હતી. તેનું હૈયું પણ વિશાળ હતું. તેણે કરેલું રોમનું દર્શન અતિ વિશાળ હતું. અને તેના શાસનકાળ દરમિયાન લાગેલી આગ પણ અતિ અતિ વિશાળ બની રહી હતી.

સાથીસંગાથીઓની હત્યા નીરો કેવળ રાજકાજના ભાગરૂપે કરતો હતો. હકીકતમાં તે એક કળાપ્રેમી શાસક હતો. માતા અગ્રીપીનાના મૃત્યુ પછી નીરોએ વધુ સમય કળા અને સંગીત પાછળ ગાળવા માંડ્યો. અગ્રીપીના તેને રાજકાજ પર વધુ ધ્યાન આપવા માટે આગ્રહ કરતી રહેતી હતી. પોતાની કળાઆરાધનામાં બાધા ન આવે એ માટે નીરોએ અગ્રીપીનાને પોતાના માર્ગમાંથી દૂર કરી દીધી હતી. એ દર્શાવે છે કે તેનો કળાપ્રેમ માતૃપ્રેમ કરતાંય ટપી જાય એવો હતો. બલ્કે તે કળાને જ માતા સમાન લેખતો હતો. નીરો પોતે લાયર/Lyre વાદન જાણતો હતો, એમ તેણે રોમના ઉચ્ચ વર્ગના લોકોને નૃત્ય શીખવા માટે પ્રોત્સાહિત કર્યા. સ્વાભાવિક છે કે નૃત્ય કરવા માટે સંગીત જોઈએ. અને નીરો સંગીતનો જાણકાર હતો. આથી રોમના ઉચ્ચ વર્ગના અનેક લોકો નીરોની ધૂન પર નૃત્ય કરવા તત્પર રહેતા.
રમતગમતને પ્રોત્સાહન આપવાનો તેણે ભરપૂર પ્રયાસ કર્યો. રોમમાં આવેલા સર્કસ મેક્સિમસમાં યોજાતી રથસ્પર્ધાઓમાં નીરો નિયમિતપણે ભાગ લેતો. સર્કસ મેક્સિમસ એવું સ્થળ હતું કે જેમાં દોઢેક લાખ લોકો સમાઈ શકતા. સર્કસ મેક્સિમસમાં કાર્યક્રમ કોઈ પણ હોય, તે હંમેશાં ખચાખસ ભરેલું રહેતું, કેમ કે, લોકોને એટલી ખાતરી હતી કે કાર્યક્રમ ભલે ગમે એ યોજાય, પણ સમ્રાટ નીરોની ઉપસ્થિતિ હશે એટલે મનોરંજનમાં કોઈ કમી નહીં રહે.
મનોરંજન માટે નીરો પાસે અવનવા તરીકા હાથવગા રહેતા. એક વખત તે દસ ઘોડા જોડેલો રથ લઈને સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો. એ વખતે રોમમાં સામાન્ય રીતે બે ઘોડા અને વધુમાં વધુ ચાર ઘોડાવાળા રથ સ્પર્ધામાં ભાગ લઈ શકે એવો નિયમ ચલણી હતો. દસ ઘોડાવાળો રથ જોઈને રોમનો હર્ષઘેલા થઈ ગયા. એ રથ જ્યારે સર્કસ મેક્સિમસમાં ચકરાવા લેવા માંડ્યો ત્યારે એ દસે ઘોડાના પગ અંદરોઅંદર અથડાવા લાગ્યા. ઘોડા લથડતા, આખડતા, પડવા લાગ્યા. એ જોઈને રોમનો કહેવા લાગ્યા, 'આજ સુધી રોમના કોઈ સમ્રાટે આવું સાહસ કરવાની હિંમત દેખાડી નથી.' નીરોના રથ સાથે જોડાયેલા દસે ઘોડા બુરી રીતે ઘવાઈને પડ્યા. નીરોનો જયઘોષ થઈ રહ્યો.
રોમનો ધીમે ધીમે નીરો દ્વારા થતા મનોરંજક કાર્યક્રમોના એવા હેવાયા બની ગયા કે તેમને થતું કે આવા કાર્યક્રમો રોજેરોજ કેમ નથી યોજાતા?


રોમની ઐતિહાસિક આગની પહેલી જ્વાળા દેખાઈ ત્યારે પણ રોમનો એમ જ માનતા હતા કે આ પણ નીરો દ્વારા યોજાયેલો કોઈ વિશિષ્ટ મનોરંજન કાર્યક્રમ જ છે.
રોમનોને લાગતું રહ્યું કે હમણાં સમ્રાટ નીરો પ્રગટ થશે અને કંઈક એવું કરતબ દેખાડશે કે મજા મજા આવી જશે. તેઓ હથેળીઓને નજીક લાવીને તાળીઓ પાડવા માટે તત્પર બની ઉભા રહ્યા. ધીમે ધીમે આગ પ્રસરતી ચાલી. અનેક રોમનોની દુકાનો બળી ગઈ. જેમની દુકાન બળી ગઈ હતી એ લોકોને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ કોઈ મનોરંજક કાર્યક્રમ નથી, પણ ખરેખર દુર્ઘટના છે. તેમણે અન્ય લોકોને આ હકીકત ગળે ઉતારવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ આગથી ઘણે દૂર રહેલા વિસ્તારના રોમનો આવા લોકોની મજાક ઉડાવવા માંડ્યા. તેઓ કહેતા, 'તમારી દુકાનવખરી બળી ગઈ છે એટલે તમે કકળાટ કરો છો. બાકી આ મનોરંજક કાર્યક્રમ જ છે.' પેલા દુકાનદારો ગળગળા થઈને કહેતા, 'આ મનોરંજક કાર્યક્રમ નથી. આ સાચી આગ છે.' આની સામે દલિલમાં અન્ય રોમનો કહેતા, 'તમે નીરોના વિરોધી છો, રોમના વિરોધી છો. મનોરંજન જોઈતું હોય તો થોડું ગુમાવવાની તૈયારી પણ રાખવી પડે. તમને એમ લાગે છે કે મનોરંજન મફત મળે છે?' આટલું કહીને એ રોમનો ધીમેથી કહેતા, 'તમે તમારી દુકાનવખરીને રડો છો! એ આગમાં કેટલા બધા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બળી મર્યા. એમાંથી કોઈએ ફરિયાદ કરી? તમને થોડું નુકસાન ગયું એમાં રોદણાં રડવા બેસી ગયા!'


જેમની દુકાનવખરી બળી ગઈ હતી એ લોકોને સમજાઈ ગયું કે હવે બને એટલા જલ્દી સ્થળાંતર કરવામાં ભલાઈ છે. 'નીરોની જય' બોલતાં બોલતાં તેઓ આગની જ્વાળાઓ દેખાતી હતી એની વિરુદ્ધ દિશામાં ચાલી નીકળ્યા. એ વખતે તેમને તારનું ટ્યુનિંગ કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેઓ સમજી ગયા કે સમ્રાટ નીરો મનોરંજનમાં કોઈ કસર છોડશે નહીં, અને આ આગને વિશ્વની સૌથી વિશાળ આગ બનાવીને જ જંપશે.
રોમદ્રોહી ગણાઈ જવાનું જોખમ ખેડીને પણ એ સૌ રોમ છોડીને નીકળી ગયા.

(By clicking image, the URL will be reached) 

Friday, May 14, 2021

નીરો અને સીલ

'મહોર' યા 'મુદ્રા', જેને અંગ્રેજીમાં 'સીલ' કહે છે તેનો ઉપયોગ આદિકાળથી થતો આવ્યો છે. હડપ્પન યુગમાં બળદની આકૃતિ ધરાવતી સીલ પ્રચલિત હતી, જે ઉત્ખનન દરમિયાન મળી આવી હતી. વિવિધ શાસકો પોતપોતાના શાસનમાં વિવિધ વ્યવહાર માટે સીલનો ઉપયોગ કરતા હતા. સામાન્યત: આ સીલનો ઉપયોગ મહત્ત્વના દસ્તાવેજો પર, મુખ્યત્વે વ્યાપારી કરારો પર તેમજ રાજકાજના દસ્તાવેજો પર થતો.

રોમના શાસકો મોટે ભાગે પોતાના ચહેરાના ચિત્રવાળી સીલ તૈયાર કરાવતા. નીરો પોતાની ઓળખ ચહેરા થકી નહીં, પોતાના વ્યક્તિત્ત્વ થકી ઉપસાવવા ઈચ્છતો હતો. તેણે એક વિશિષ્ટ સીલ તૈયાર કરાવડાવી, જેમાં ત્રણ પૂર્ણ કદની માનવાકૃતિઓ હતી. આમ તો એ એક પૌરાણિક પ્રસંગનું ચિત્રીકરણ હતું, જેમાં એપોલો અને માર્સિઅર્સ વચ્ચે યોજાયેલી સંગીતની હરિફાઈનો પ્રસંગ ઉપસાવવામાં આવેલો. દેવતાના હાથમાં લાયર/Lyre વાદ્ય બતાવાયું હતું. નીરો પોતે પણ આ જ વાદ્ય વગાડી જાણતો હતો. પૌરાણિક કથાના આ ચિત્ર દ્વારા નીરોએ પોતે સંગીતના દેવતા તરીકેની પોતાની છબિ દર્શાવવાનો પ્રયાસ કર્યો. હવે સવાલ આવ્યો આ સીલના ઉપયોગનો.


અત્યાર સુધી સીલનો જે ઉપયોગ થતો હતો એ ઉપરાંત અનેક સ્થાને તેનો ઉપયોગ કરવા બાબતે નીરોએ ફરમાન જારી કર્યાં. દસ્તાવેજો ઉપરાંત જે પણ ચીજો રોમથી નિકાસ થતી કે આયાત થતી એ તમામ પર આ સીલ ફરજિયાત કરવામાં આવી. માનો કે, રોમમાંથી દ્રાક્ષની નિકાસ થતી હોય તો એ દ્રાક્ષના પેકિંગ પર આ સીલ મારવી પડતી. સીલ વિનાનો કોઈ માલ પકડાય તો એ માટે ભારે સજા હતી. ધીમે ધીમે કરતાં તમામ ખાદ્યપેય ચીજોને આમાં આવરી લેવામાં આવી.
એ પછી નીરોએ રોમના સાહિત્ય પર નજર દોડાવી. તેણે આદેશ કર્યો કે રોમમાં જે કોઈ કાવ્યો કે અન્ય સાહિત્ય તૈયાર થાય તો એ સંગ્રહ પર આ સીલ ફરજિયાત જોઈશે. રોમના સાહિત્યકારોએ નીરોને સૂચવ્યું કે માત્ર સાહિત્ય પર જ શા માટે, સાહિત્યકારો પર પણ આ સીલ લગાવવી જોઈએ, જેથી સ્વદેશી સાહિત્યકારોની અસ્મિતા જળવાઈ રહે. નીરોને આ સૂચન ગમ્યું, પણ સાહિત્યકારના શરીરના કયા ભાગ પર સીલ લગાવવી એ નક્કી કરી શકાયું નહીં. કેમ કે, સીલ એ સ્થાને હોવી જોઈએ કે તે સહુ કોઈની નજરે પડે.
રોમના કોલોઝિયમમાં યોજાતી વિવિધ ક્રૂર રમતોમાં અનેક ગુલામો વાઘનો શિકાર બનતા. નીરોને લાગ્યું કે આ ગુલામોની માલિકી પણ રોમની જ ગણાય. આથી તેણે એ મૃત ગુલામોના શરીર પર પણ પોતાની સીલ લગાવડાવવાનું શરૂ કર્યું. ગુલામોની માલિકી રોમની, તો પછી તેમને મૃત બનાવનાર વાઘ રોમની માલિકીના જ ગણાય. એ રીતે, તમામ વાઘના શરીર પર પણ સીલ લગાવવામાં આવી.
હવે દરેક રોમનોએ માગણી કરી કે તેમને શરીરે પણ સીલ લગાવવામાં આવે. નીરોએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો. માત્ર આ જ કારણથી રોમના સાહિત્યકારો અને સામાન્યજન વચ્ચે કશો ફેર ન રહે એ ઠીક ન કહેવાય! અલબત્ત, ત્યારે તો નહીં, પણ થોડા સમય પછી રોમના નાગરિકોની ઈચ્છા પૂરી થઈ ખરી. રોમમાં પ્રચંડ આગ લાગી અને એમાં ફસાઈ જતા લોકો બળીને ભડથુ થવા લાગ્યા. નીરોએ આદેશ આપ્યો કે દરેક મૃતકના દેહ પર સીલ લગાવવી. સમગ્ર વિશ્વમાં ગર્વભેર કહી શકાશે કે રોમની આગમાં માર્યા ગયેલા મૃતકો બીજા કોઈ નહીં, પણ રોમન જ હતા. એ મુજબ, રોમની શાહી કચેરીના અમલદારો સીલ લઈને આગ લાગેલી વસતિમાં ફરતા રહ્યા. કેટલાક મૃતદેહો બળીને કોલસો થઈ ગયા હતા. તેમની પર સીલ પાડવા જતાં બળેલા કોલસાની જેમ જ એમાંથી રાખનો ભૂકો ખરતો. આમ છતાં, રોમન અમલદારોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી. કેટલેક ઠેકાણે અમુક લોકો બળી ગયેલા, છતાં તેમનો શ્વાસ ચાલુ હતો. એ નાગરિકોએ અમલદારોને સીલ લગાવવા માટે વિનંતી કરી. રોમન નાગરિકોની વફાદારી જોઈને અમલદારોની આંખો ભિંજાઈ. પણ પોતે નિયમથી બંધાયેલા હતા. તેમણે કહ્યું, 'અમને ફક્ત મૃતદેહો પર જ સીલ લગાવવાનો હુકમ છે. પણ આપ ચિંતા ન કરો. અમે પાંચ-દસ મિનીટ ઉભા રહીશું. રાહ જોઈશું.' રોમના અમલદારોની ફરજપરસ્તી જોઈને રોમન નાગરિકોની આંખો પણ ભિંજાઈ. પણ તેમની આંખોમાં ધસી આવેલા પાણીનો પ્રવાહ એટલો મોટો નહોતો કે તેનાથી આગને બુઝાવી શકાય.
દિવસો સુધી ચાલેલી આગ આપમેળે શમ્યા પછી મૃતદેહોને એકઠા કરવાની કામગીરી ચાલી ત્યારે આ સીલ ઘણી મદદરૂપ બની રહી. સીલ ધરાવતા આ મૃતદેહો જોઈને એ એલાન ગર્વભેર કરી શકાય એમ હતું કે તેઓ રોમની ઐતિહાસિક આગમાં જ મૃત્યુ પામ્યા છે, નહીં કે કોઈ વિદેશી આક્રમણખોરના હુમલા વખતે પીછેહઠ કરીને.
સમ્રાટ નીરો અને તેમણે બનાવડાવેલી સીલ ગંભીર આપત્તિના કાળે કેવી કામમાં આવી એની યશોગાથા રોમના સાહિત્યકારો પછીનાં વરસોમાં ગાતા રહ્યા. આ સાહિત્યકારો રાજકચેરી સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરીને એ સીલ પોતાના શરીર પર મરાવી આવ્યા હતા. સૌએ પોતપોતાની રુચિ અનુસાર પોતાના શરીરના પસંદગીના વિસ્તાર પર એ સીલ મરાવી હતી, પણ એટલું ધ્યાન રાખ્યું હતું કે સીલ ગમે ત્યાં મરાવેલી હોય,એ નજરે પડવી જોઈએ. રોમના સાહિત્યકારો સીધા, ટટ્ટાર ચાલી શકતા નહીં એની પાછળનું સાચું કારણ આ હતું.

(By clicking image, the URL will be reached) 

Thursday, May 13, 2021

નીરો અને અગ્નિશમનમાં નાગરિકોનું પ્રદાન

 રોમન સંસ્કૃતિના સુવર્ણકાળ દરમિયાન એવી અનેક બાબતોનો પાયો નંખાયો, જેને પછીના યુગમાં વિવિધ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનિક ઢબે ચકાસી અને પુરવાર કરી. અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ સ્કૉટિશ રસાયણશાસ્ત્રી જોસેફ બ્લેક દ્વારા અઢારમી સદીના મધ્યકાળમાં ઓળખી બતાવવામાં આવ્યો. તેના ગુણધર્મો, અણુસૂત્ર તેમજ અન્ય લાક્ષણિકતાઓ વગેરે તેમણે ચકાસ્યાં. તેનું નામાભિધાન કરાયું. એનો અર્થ એ નહીં કે અંગારવાયુ એ પહેલાં અસ્તિત્વમાં નહોતો. આવી વૈજ્ઞાનિક શોધોને આથી જ 'discovery' અને એ શોધ કરવાની પ્રક્રિયાને 'to discover' (અનાવૃત્ત કરવું) કહે છે.

પ્રાચીન રોમન યુગમાં અંગારવાયુને તેના નામથી કોઈ જાણતું નહોતું. પણ બીજી અનેક કળા અને શાસ્ત્રોમાં અગ્રેસર હોવાને કારણે રોમન તજજ્ઞો આ વાયુના ગુણધર્મો જાણતા હતા. તેમને એ ખ્યાલ હતો કે રાત્રિના સમયે વૃક્ષો આ વાયુનું ઉત્સર્જન કરે છે. આ જ વાયુને મનુષ્યો પણ ઉચ્છવાસરૂપે બહાર કાઢે છે. આ વાયુ અગ્નિ પર અસરકારક રીતે કામ કરે છે.
રોમની વિશ્વપ્રસિદ્ધ આગનો આરંભ થયો અને જોતજોતાંમાં તે પ્રસરવા લાગી. નીરો પાસે તજજ્ઞોની આખી ફોજ હતી, પણ નીરો એ સૌને ભારે પડે એવો મિજાજ ધરાવતો હતો. આ તજજ્ઞોને ભાગે મોટે ભાગે નીરોના તુક્કાઓનો અમલ કરવાનો જ આવતો. એ તુક્કા સફળ થાય તો એનો જશ નીરોને જતો, અને નિષ્ફળ જાય તો.....! જે તે તજજ્ઞનું આરસનું બનાવેલું બસ્ટ રોમના કોઈક ચૉકમાં મૂકાઈ જતું.
આગ વખતે નીરોએ વધુ એક વાર તજજ્ઞોને બોલાવ્યા. રોમન તજજ્ઞોએ કેટલાક ઉપાય સૂચવ્યા. તેમણે રોમમાં જેટલાં વૃક્ષો હતાં એ તમામ કાપીને આ આગમાં નાંખવાનો આદેશ આપ્યો. અલબત્ત, આગમાં વૃક્ષોને નાખવાનું કામ માત્ર રાત્રે જ કરવાનું તેમણે જણાવ્યું, કેમ કે, વૃક્ષો રાત્રે જે વાયુનું ઉત્સર્જન કરે એ અગ્નિશામકનું કામ આપતો હતો. રોમની આગને ઠારવાનું કામ કંઈ સત્તાધીશોનું એકલાનું ઓછું હતું? રોમના નાગરિકોને પોતાનો નાગરિકધર્મ અદા કરવાનો મોકો આ રીતે આપવો જોઈએ અને તમે રાજધર્મ બજાવી રહ્યા છો એ જાણવાની તક નાગરિકોને આપવી જોઈએ એમ તજજ્ઞોએ જણાવ્યું. નીરોએ પહેલાં તો આ પ્રસ્તાવને નકારતાં જણાવ્યું, 'નાગરિકધર્મ, રાજધર્મ જેવી ફાલતૂ બાબતોની મારી આગળ વાત ન કરવી. હું એટલું જાણું કે આ રોમનોની પણ પોતાના દેશ માટે ફરજ છે. મારી એકલાની એ જવાબદારી નથી. એટલે બહુ શાણપણ દેખાડ્યા વિના એમને જોતરો. એ શું એમ સમજે છે કે એમણે વેરો ભર્યો એટલે રોમના રાજા થઈ ગયા?' તજજ્ઞોએ હકારમાં ડોકું ધુણાવ્યું. કેમ કે, ના પાડે તો ધુણાવવા માટે ડોકું જ ન રહે એવી પૂરેપૂરી શક્યતા હતી.


આદેશ જારી કરવામાં આવ્યો. તેને ભારે પ્રતિસાદ મળ્યો. એકે એક રોમન નાગરિક આ અભિયાનમાં જોડાયો. પહેલાં રોમનાં મુખ્ય માર્ગની આસપાસ ઉગેલાં વૃક્ષોનો વારો આવ્યો. આ ઉપરાંત કેટલાંક મેદાનોમાં ઉગી નીકળેલાં વૃક્ષો પણ ખરાં. આ વૃક્ષો જોતજોતાંમાં પૂરાં થઈ ગયાં, એટલે નાગરિકોએ પોતાના આંગણામાં ઉગાડેલાં વૃક્ષો ઉખાડવા માંડ્યા. એ પણ ન રહ્યાં એટલે બાગાયતનો શોખ ધરાવતા નાગરિકોએ પોતાને ત્યાં કૂંડામાં ઉછેરેલા ફૂલછોડને ઉખેડવા માંડ્યા. આ બધું રાતના સમયે આગમાં હોમવામાં આવતું. પણ કોણ જાણે કેમ, આગ વધુ ને વધુ વિસ્તરતી જતી હતી. આથી નાગરિકોને સતત અપરાધભાવ અનુભવાતો કે પોતાના પ્રયત્નો અપૂરતા છે. સત્તાધીશો લોકોને વૃક્ષો લાવવાની અપીલ કરી શકે, વૃક્ષો તો પોતે જ લાવીને હોમવાના રહે. આખરે એક સમય એવો આવ્યો કે વનસ્પતિના નામે રોમમાં ઘોડાને ચરવાનાં મેદાનો પરનું ઘાસ જ રહ્યું. નાગરિકો એ ઘાસ તરફ વળ્યા. આ જોઈને ભડકેલા રોમન સત્તાધીશે તેમને રોક્યા અને કહ્યું કે રોમમાં નાગરિકો કરતાં ઘોડાનું અસ્તિત્વ વધુ પ્રાથમિકતા ધરાવે છે, માટે ઘોડા માટેના ઘાસને કોઈએ તોડવું નહીં.
નાગરિકોને એમ હતું કે સત્તાધીશો આટઆટલા પ્રયત્નો કરતા હોય તો પોતે આગને કાબૂમાં લેવા માટે શું કરી છૂટે? એવામાં એક શાહી સલાહકારને બત્તી થઈ કે વૃક્ષો તો હોમાઈ ગયાં, અને તેમના દ્વારા મુક્ત કરાયેલા વાયુનું પ્રમાણ એટલું નહોતું કે આગ કાબૂમાં આવી શકે. આથી નાગરિકોને અપીલ કરવામાં આવી કે સૌ નાગરિકો પોતપોતાની નજીક આવેલા આગના વિસ્તારમાં પહોંચે. આગળની સૂચના તેમને ત્યાં આપવામાં આવશે. નાગરિકો પોતે આગથી ત્રસ્ત હતા, પોતાનાં માલમિલકત બચાવવા આમતેમ દોડી રહ્યા હતા, છતાં રાજ્ય પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ એમ તે માનતા હતા. અલગ અલગ નાગરિકો નાનામોટા સમૂહમાં આગ લાગી હતી એવા વિસ્તારની નજીક પહોંચ્યા. ત્યાં રોમન સૈનિકો ઉભા હતા. દરેક નાગરિકોને પપૈયાની ડાળી પકડાવવામાં આવી. તેમને જણાવાયું કે હવે એ પોલી ભૂંગળી તેમણે પોતાના નાક આગળ લગાવીને સતત ઉચ્છવાસ કાઢતા રહેવાનું છે. કેમ કે, આ ઉચ્છવાસમાં જે વાયુ નીકળે એ આગને કાબૂમાં લેશે. નાગરિકોને સામા પ્રશ્નો પૂછવાની આદત પહેલેથી નહોતી. કેમ કે, સવાલ પૂછે એનો અંજામ સૌ જાણતા હતા. અને આમ પણ, આવી મુસીબતના સમયે રાજ્યની પડખે ઉભા રહેવાની પોતાની નૈતિક ફરજ ગણાય. પોતાની ભાવિ પેઢી પૂછે કે રોમની ઐતિહાસિક આગ બુઝાવવામાં તમારું શું પ્રદાન હતું ત્યારે પોતાને નીચાજોણું ન થાય.


નાગરિકોએ પપૈયાની ભૂંગળીને પોતાના નાકમાં ખોસીને ઉચ્છવાસ કાઢવાના શરૂ કર્યા. તેઓ જોશભેર ઉચ્છવાસ કાઢી શકે એ માટે રોમન લશ્કરી બેન્ડ તાલબદ્ધ સંગીત આપતું. સાથેસાથે સૈનિકો જોશભેર ઉચ્ચાર કરતા, 'માતૃભૂમિનું, સમ્રાટ નીરોનું ઋણ અદા કરવાની આ તક એળે ન જાય એ જોજો.' સૌથી પહેલો એક નાગરિક ફસડાઈ પડ્યો. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ધરતી પર ફસડાયેલો હોવા છતાં તે બોલ્યો, 'મને અફસોસ છે કે મારી માતૃભૂમિ માટે હું કામ ન આવી શક્યો.' એક રોમન સૈનિક તેની નજીક આવ્યો. તેણે ફસડાઈ ગયેલા એ નાગરિકને પૂછ્યું, 'તમે શી રીતે મુક્તિ ઈચ્છો છો? તલવારથી? કે આગથી?' પોતાના શરીરમાં રહેલા અગ્નિશામક વાયુનો છેલ્લો અંશ પણ આગ બુઝાવાના કામમાં આવી શકે એથી રૂડું શું હોઈ શકે? આમ વિચારીને તેણે કહ્યું, 'આગથી.' બે સૈનિકો તેને ઉંચકવા આગળ આવ્યા. પેલા ફસડાઈ ગયેલા રોમને કહ્યું, 'તમે બીજા નાગરિકો પર ધ્યાન રાખો. હું મારી મેળે ચાલીને જતો રહીશ.' સહેજ અટકીને એ બોલ્યો, 'સમ્રાટ નીરોને કહેજો કે મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે, છતાં આગ કાબૂમાં ન આવી શકી એનો અપરાધભાવ અનુભવતો હું આગને હવાલે થાઉં છું.' આમ બોલતાં તે ઉભો થયો. તેના કાને ફીડલના આછા સૂર પડ્યા. એ દિશામાં તે ફર્યો, ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું. એ પછી ઉભા થઈને આગ તરફ આગળ વધ્યો અને આગમાં પ્રવેશ કર્યો.
કટોકટીના સમયે પોતે રાજ્યને કામ આવી શક્યા એ આશ્વાસન, અને પોતાના પ્રયત્નો છતાં કટોકટી દૂર ન થઈ એ અપરાધભાવ સાથે તેમનું જીવન સમાપ્ત થયું.
રોમની ભાવિ પેઢી પોતાને પૂછશે કે રોમની ઐતિહાસિક આગ વખતે તમે શું પ્રદાન કરેલું- એ મૂંઝવણમાંથી કેવળ આ એક નહીં, અનેક રોમન નાગરિકોને મુક્તિ મળી ગઈ હતી. ભાવિ પેઢી પેદા થઈ શકે એ માટે વર્તમાન પેઢીનું અસ્તિત્ત્વ જ ન રહ્યું.

(By clicking image, the URL will be reached) 

Wednesday, May 12, 2021

નીરો અને રમતો

 નીરો સત્તાની સીડી ચડ્યો એ સીડીના પ્રત્યેક પગથિયે તેના કોઈ ને કોઈ કુટુંબીજન-સ્વજનનો મૃતદેહ હતો. રોમના ઘણા સર્જકો રીતસર પડાપડી કરી મૂકતા કે આ પગથિયા પર પોતાનો વારો આવે. એ માટેની મુખ્ય લાયકાત નીરોના સંભવિત સ્પર્ધક હોવાની હતી, જેમાં આ સર્જકો ગેરલાયક ઠરતા હતા. કેટલાક સર્જકોએ તો પોતાની જનેતાને ઉદ્દેશીને ઉપાલંભકાવ્યો લખ્યા હતા કે તેણે પોતાને કેમ રાજવંશમાં જન્મ ન આપ્યો.

રોમના એક સર્જક આલ્બેનિયન ભાષાના નિષ્ણાત હતા. રોમના સૈન્યમાં નવજુવાન સૈનિકોની ભરતી કરવાની આવે ત્યારે આ સર્જકની સેવા લેવામાં આવતી. રોમના ચોકમાં યુવકોને એકઠા કરવામાં આવતા. એ પછી પેલા સર્જકને તેમની પર છોડી મૂકવામાં આવતા. આ સર્જક પહેલાં તો આલ્બેનિયન ભાષામાં વક્તવ્ય આપતા. એ પછી આલ્બેનિયન ભાષામાં પોતે લખેલાં દીર્ઘ કાવ્યોનો પાઠ કરતા. યુવકોમાં રીતસર નાસભાગ મચી જતી. એ વખતે ઘોષણા કરવામાં આવતી: 'રોમના ભાવિ સૈનિકો! તમે રોમન સૈન્યમાં જોડાઈ જાવ. ત્યાં તમારે કેવળ દુશ્મનનો ઘા જ ચૂકવવાનો રહેશે.' આ અપીલની જાદુઈ અસર થતી અને રોમન સૈન્યના સંખ્યાબળમાં દેખીતો વધારો થઈ જતો.
આ યુવા સૈનિકોને બરાબર તાલીમબદ્ધ કરવામાં આવતા. તેમને તાલીમ આપવાની રીત પણ આગવી હતી. કોલોઝિયમમાં એક વાર રોમના સ્થાપના દિન નિમિત્તે હજારો લોકો એકઠા થયેલા. રોમના શાહી પરિવારના લોકો ઉપસ્થિત હતા. પેલા રંગરૂટો પણ અહીં હાજર હતા. આગલી રાતે રંગરૂટોને તેમની કસોટી વિશે જણાવી દેવામાં આવેલું.
રેફરીએ જમણી આંખની પાંપણ સહેજ ઊંચી કરીને 'સ્ટાર્ટ'નો આદેશ આપ્યો. એ સાથે જ અચાનક દોડધામ મચી ગઈ. એકઠા થયેલા લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. રોમના લોકો એક બાબત જાણતા હતા કે પોતાને ન સમજાય એવું કશું બને ત્યારે બન્ને હાથે તાળીઓ પાડીને તેને વધાવી લેવાનું. આવી કોઈ પણ બાબત હોય તો એ નીરોનો 'એમ્પરર્સ બ્લો'(Emperor's Blow) ગણાતો, જેના રોમનો ચાહક જ નહીં, બલ્કે આદિ બની ચૂકેલા. આ નિયમ મુજબ, રોમનોએ ગગનભેદી હર્ષનાદ કર્યા.
ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું ગયું. કેટલાક લોકો પોતાનો જાન બચાવવા દોડી રહયા હતા. આ લોકો શાહી પરિવારના હતા. એક એક જણની પાછળ દસ દસ જણ દોડી રહ્યા હતા. પાછળ પડનાર કેટલાકના હાથમાં ખુલ્લી તલવાર પણ હતી, જેને તેઓ વીંઝતા હતા. જાન બચાવવા દોડનારનાં વસ્ત્રોના લીરેલીરા ઉડતા હતા. તલવારના લસરકા પણ તેમના શરીરે દેખાતા હતા. જો કે, રોમન પ્રેક્ષકોને જે જોવાની સૌથી વધુ મઝા આવતી હતી એ હતા તેમના ચહેરાના હાવભાવ. મોત નજર સામે ભાળનારનો ચહેરો કેવો થઈ જાય? આ હાવભાવ જોઈને રોમનોને 'પૈસા વસૂલ'ની લાગણી થતી હતી. અત્યાર સુધી ભૂખ્યા વાઘને ધરી દેવાતા ગુલામોનાં દૃશ્યો તેમણે જોયાં હતાં, પણ એમાં હવે ખાસ રોમાંચ નહોતો રહ્યો. તેને બદલે આ જીવસટોસટની દોડ જબ્બર રોમાંચકારી હતી.


નીરો એવો ક્રૂર નહોતો. એ કંઈ પોતાના પરિવારજનોને મારી નાંખવા નહોતો ઈચ્છતો. થોડા સમય પછી રેફરીએ બન્ને આંખો સહેજ વાર મીંચીને રમત બંધ કરવાનો આદેશ આપ્યો. એ સાથે જ પેલા પાછળ દોડનારા સૈનિકો શિસ્તબદ્ધ રીતે કતારબંધ ઉભા રહી ગયા. શાહી પરિવારના લોકો હજી દોડી રહ્યા હતા. એ જોઈને ઉપસ્થિત જનસમુદાયે નવેસરથી હર્ષનાદ કર્યા.
કહેવાય છે કે આ બનાવ પછી આ દોડમાં ભાગ લેનાર, શાહી પરિવારના એક વયસ્ક સભ્યનું આઘાતથી મૃત્યુ થયું. બીજા સભ્યોએ કાયમ માટે રોમ છોડીને બીજે વસવાટ કરવાનું નક્કી કર્યું. નીરોએ તેમને ખુશીખુશી એ સુવિધા પૂરી પાડી. જ્યુપિટર દેવતાના અવકાશી શરણમાં તેમના કાયમી નિવાસની વ્યવસ્થા કરી આપી અને રાજપરિવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવ્યું.

(By clicking image, the URL can be reached) 

Tuesday, May 11, 2021

નીરો અને કાવ્યપ્રેમ

 રમતગમત અને કળા- આ બન્ને બાબતો એવી છે કે જે કોઈ પણ રાજ્યની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. નીરોએ આ બન્નેને પ્રોત્સાહન આપવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. નીરો પોતે કવિતા લખતો. આથી રોમના કવિઓને તે પોતાની જ બિરાદરીનો લાગતો. પોતાનાં કાવ્યસંગ્રહોનાં લોકાર્પણ નીરો પાસે કરાવવા માટે તે ઉત્સુક રહેતા. લોકાર્પણની નીરોની આગવી પદ્ધતિ હતી. તેને જનમેદની ખૂબ પસંદ હતી. આથી તે દરેક કાર્યક્રમો એ રીતે યોજતો કે લાખો લોકોની ઉપસ્થિતિ હોય. અરે, તે પોતાની મા અગ્રીપીનાને મળવા જાય ત્યારે પણ રસ્તાની બેય બાજુએ ઉપસ્થિત જનમેદની તેનું અભિવાદન કરતી.

વિમોચન કાર્યક્રમ મોટે ભાગે કોલોઝિયમમાં યોજાતા. જે ગુલામોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોય તેમને એ દિવસે ઉપસ્થિત રખાતા. 'સ્લેવ ડઝન્ટ હેવ ચૉઈસ'ની ઉક્તિને ખોટી ઠેરવતો નીરો આ ગુલામોને મૃત્યુ માટે વિકલ્પ આપતો. એક તરફ અઠવાડિયાના ભૂખ્યા વાઘને બહાર કાઢવામાં આવતા. બીજી તરફ જેના કાવ્યસંગ્રહનું લોકાર્પણ કરવાનું હોય એ કવિનો કાવ્યપાઠ યોજાતો. પેલા ગુલામો આમાંથી કયા માર્ગે મોત ઈચ્છે છે એ તેમને પૂછવામાં આવતું. ગુલામોની જિંદગી આમે દોજખ જેવી હતી, પણ મૃત્યુને તેઓ બને એટલું પીડાવિહીન રાખવા ઈચ્છતા. આથી તેઓ વાઘવાળો વિકલ્પ પસંદ કરતા. જો કે, અમુક ગુલામો એવા હતા કે જેમને કોઈ વિકલ્પ અપાતો નહીં. એક યા બીજી રીતે ભાગી છૂટવાનો કે ચોકિયાત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય એવા ગુલામો આ યાદીમાં રહેતા. આથી તેમના મૃત્યુને બને એટલું યાતનામય બનાવાતું. પહેલાં તેમને કાવ્યપાઠ સંભળાવવામાં આવતો. એ સાંભળતાં સાંભળતાં ગુલામ ચીસો પાડતો, આક્રંદ કરતો, જ્યારે ઉપસ્થિત મેદની 'દુબારા, દુબારા'ના પોકારો કરતી. એક ગુલામે તો સામે ચાલીને વાઘના મોંમાં ધસી જવાનો પ્રયાસ કર્યો, પણ વાઘ સાંકળ વડે બંધાયેલો હતો, આથી તેની કારી ફાવી નહીં. આ ગુલામને વધારાની સજા ફરમાવવામાં આવી. કાવ્યપાઠ ઉપરાંત તેને ચિંતનલેખો પણ વાંચી સંભળાવવામાં આવ્યા. મૂળ આશય એ જ કે ફરી અન્ય કોઈ ગુલામ કદી નીરો સામે માથું ઉંચકવાની જુર્રત ન કરે.
નીરો પોતે અદ્ભુત સંગીત વગાડતો. તે લાયર/Lyre નામનું વાદ્ય વગાડતો. કોલોઝિયમમાં તેનું વાદન યોજાય ત્યારે આખું કોલોઝિયમ હકડેઠઠ ભરાઈ જતું. એ પછી તેના તમામ દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવતા. લાયરના સૂર નીરો છેડે એ સાથે જ રોમનો અભિભૂત થઈ જતા. એક વાયકા મુજબ, શંકર-જયકિશને 'આવારા'માં બનાવેલી 'તેરે બિના આગ યે ચાંદની, તૂ આજા' અસલમાં નીરોની ધૂન પર આધારિત છે. અન્ય એક વાયકા એવી પણ છે કે ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર કે અચ્છાંદસ પ્રકાર પ્રચલિત છે, તેના મૂળમાં આ સમયગાળાના રોમન કાવ્યો છે. આ સામ્ય વિશે કોઈક વિદ્વાનો પ્રકાશ પાડી શકે, પણ ઘણા ભાવકોએ એ વાંચતાં નજર સામે ત્રાડ પાડતો ભૂખ્યો વાઘ હોવાની અનુભૂતિ કરી છે એ હકીકત છે.


અગાઉ આપણે જોયું કે નીરો પશુ-પક્ષીપ્રેમી પણ હતો. તે વાઘની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખતો. ઘણી વાર કોઈક કવિ પોતાનો કાવ્યપાઠ કરી રહ્યા હોય ત્યારે તેમની પર વાઘને છોડી મૂકાતો. એમ દર્શાવાતું કે એ કવિની કવિતાથી જો વાઘ આટલો અકળાઈ જતો હોય તો આપણા રોમનોની શી દશા થાય?
આમ છતાં, રોમના કવિઓનો જુસ્સો એવો હતો કે તે કવિતા રચવાનું છોડતા નહોતા. મોટા ભાગના કવિઓને એક જ લાલસા રહેતી કે બસ, પોતાની કવિતા સાંભળ્યા પછી જ કોઈ ગુલામ વાઘને હવાલે થાય.
વાઘ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો આરંભ આ કાળથી થયો હતો, એમ મનાય છે. એ જે હોય એ, હકીકત એટલી કે નીરો કાવ્યપોષક, કાવ્યોદ્ધારક અને કાવ્યહિતૈષી હતો. તે પોતે કવિતા લખતો હતો, અને અન્યોને લખવા પણ દેતો હતો, એ બાબત આ હકીકતની પુષ્ટિ કરે છે.

(By clicking image, the URL can be reached) 

Monday, May 10, 2021

નીરો અને નવો મહેલ

 રોમન સ્થાપત્યો એક મિસાલરૂપ ગણાય છે. સ્વાભાવિકપણે જ નીરોને તેનું ઘણું આકર્ષણ હતું. આથી તેણે પોતાના આવાસ માટે એક ભવ્ય મહેલનું નિર્માણ કરવાનું વિચાર્યું. નીરો કશું પણ વિચારે એટલે સીધો એનો અમલ જ હોય. આયોજન પછી આવે. આ ભવ્ય મહેલ દોમસ ઓરિઆ/Domus Aurea તરીકે ઓળખાવાયો. અંગ્રેજીમાં તેને 'ગોલ્ડન પેલેસ' કહી શકાય.

દોમસ ઓરિઆ 
તો શું નીરો રાજા બન્યા પછી જે મહેલમાં વસવાટ કરતો હતો એ ભવ્ય નહોતો? જે મહેલમાં નીરો વસતો એનું નામ દોમસ ટ્રાન્ઝિટોરિઆ/Domus Transitoria હતું. પેલેટાઈન હીલ પર આવેલા આ ભવ્ય મહેલની બહારની દિવાલો આરસની જડેલી હતી. આની પરથી અંદાજ બાંધી શકાશે કે એ મહેલ અંદરથી કેટલો ભવ્ય હશે!

દોમસ ટ્રાન્‍ઝિટોરિઆ
શા માટે નીરોને નવો મહેલ બનાવડાવવાનો વિચાર આવ્યો? આ સવાલનો જવાબ આજે બે હજાર-એકવીસસો વરસ પછી શોધવો મુશ્કેલ છે. પણ દરેક રાજાને પોતે એક યા બીજી રીતે અમર બની જવાના ખ્વાબ હોય છે. પોતે શારિરીક રીતે અજરામર નથી એ તેઓ જાણતા જ હોય છે, આથી એ માટેના બીજા નુસખા તે અજમાવતા રહ્યા છે. નીરો એ રીતે તદ્દન વ્યવહારુ અને વાસ્તવદર્શી હતો. તેને ખબર હતી કે પોતાના મૃત્યુ પછી લોકો તેને યાદ રાખે કે કેમ એ પોતાના હાથમાં નથી.

લોકો પણ વિચિત્ર હોય છે! નીરોને તેમણે યાદ તો રાખ્યો, બલ્કે કદી ભૂલ્યા નહીં. કેમ કે, નીરો પોતે એક માપદંડ સમો બની રહ્યો હતો. પછીના કાળના વિવિધ શાસકો નીરોની સરખામણીએ કેટલા ક્રૂર અથવા કેટલા નિર્દય છે એ સમજવા માટે નીરોનો સંદર્ભ અપાતો રહ્યો. ભવ્યાતિભવ્ય બની રહેનારા દોમસ ઓરિઆ માટે પણ નીરોને યાદ ન રખાયો, કે નીરો જે મહેલમાં રહેતો એ દોમસ ટ્રાન્ઝિટોરિઆ માટે પણ નીરો યાદ ન કરાયો.
નીરો ઈતિહાસમાં અમર બની રહ્યો રોમની પ્રચંડ આગ થકી. કોણ જાણે કેમ, પણ લોકોને આગ વધુ યાદ રહી જતી હોય છે. બાકી રોમની એ આગ ગમે એવી ભીષણ હોય, એ ફક્ત છ દિવસ સુધી જ ચાલી હતી. છ દિવસની એ આગે નીરોને, વર્તમાન વર્ષ સુધી ગણીએ તો કહી શકાય કે આશરે એકવીસસો વરસનું આયુષ્ય અપાવ્યું. શાસકો પોતે દોમસ ઓરિઆ કે દોમસ ટ્રાન્ઝિટોરિઆ જેવાં સ્થાપત્યોથી અમર થવા માંગતા હોય છે, પણ એ તેમના હાથમાં નથી કે લોકો તેમને શી રીતે યાદ રાખશે. મહેલ કાયમી હોવા છતાં નશ્વર છે અને આગ કામચલાઉ હોવા છતાં શાશ્વત રહે છે, એમ નીરોની કથા જાણ્યા પછી લાગ્યા વિના રહે નહીં.

(By clicking image, the URL can be reached) 

Sunday, May 9, 2021

નીરો અને બહુમતી

લોકશાહી શાસનવ્યવસ્થા હજી ખાસ વિકસીત નહોતી, એ કાળે નીરો એમાં શ્રદ્ધા ધરાવતો હતો. સૌ જાણે છે એમ લોકશાહીનો પ્રાણ 'લોકો વડે, લોકોની, લોકો માટેની શાસનપદ્ધતિ' જેવું સૂત્ર નથી. લોકશાહીનો સાદો, સરળ અને સુંદર અર્થ છે બહુમતી. એટલે કે જે પક્ષમાં વિશેષ મતનો જુમલો હોય એ પક્ષ. ('જુમલો' અહીં ગુજરાતી અર્થમાં છે) બહુમતી કેમ? સીધી વાત છે કે કોઈ એકલદોકલ માણસ હોય તો પોતાનો અમુક મત પ્રગટ કરવા પાછળ તેનું સ્થાપિત હીત હોઈ શકે, પણ બહુમતીમાં એ શક્યતા સાવ પાતળી. નીરોના હૈયે રોમનું અને રોમનોનું હીત સદાકાળ હતું, આથી તે જે કંઈ નિર્ણય લેતો એ બહુમતીથી લેતો.

કોઈ પણ મહત્ત્વનું સૂચન આવે, માહિતી યા બાતમી મળે એટલે નીરો તેના વિશે વિચારતો. પોતે કોઈ મહત્ત્વના નિર્ણય પર આવે એ પછી તે એક બારણું ખોલતો અને અંદર પ્રવેશતો.
એમ મનાતું કે આ બારણાની પછવાડે એક વિશાળ ખંડ હતો, જેમાં રોમના અગ્રણીઓને નોંતરવામાં આવતા. જો કે, કોઈએ એમને પ્રવેશતા કે બહાર નીકળતા જોયા નહોતા. આથી એમ મનાતું કે તેઓ ભૂગર્ભ માર્ગે જતા-આવતા હશે. આનો પણ તર્ક હતો. કદાચ કોઈ એવો નિર્ણય લેવાય કે જેનાથી પ્રજામાં અસંતોષ પ્રસરે, તો ભૂલેચૂકેય પ્રજાના રોષનો ભોગ રોમન અગ્રણીઓએ ન બનવું પડે. નીરોની નિર્ણયસભામાં કોણ કોણ હાજર રહેતું એની માહિતી અત્યંત ગુપ્ત રખાતી.
આને પરિણામે નીરો અનેક અભૂતપૂર્વ નિર્ણય લઈ શક્યો. આ નિર્ણયોની ઘોષણા સાંભળીને રોમનો રાજીરાજી થઈ જતા. જેમ કે, એક વાર તેણે ઘોષિત કર્યું કે રોમના રસ્તાઓ વધુ પહોળા બનાવાશે. એની વચ્ચોવચ્ચ ચાર ઘોડાની બગીઓ જઈ શકે એવો વિશેષ માર્ગ તૈયાર કરાશે. ચાર કે આઠ ઘોડાની બગી સિવાયનાં અન્ય સવારો આ માર્ગમાં પ્રવેશી શકશે નહીં. આવું રોમના કોઈ શાસકે આજ સુધી કર્યું નહોતું. ચાર કે આઠ ઘોડાની બગી ધરાવતા વર્ગ સિવાયના તમામ લોકોમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું. હવે પોતાના માર્ગમાં ચાર ઘોડાવાળી બગીઓ નડશે નહીં એ બાબતે તેઓ રાજીરાજી થઈ ગયા. ચાર ઘોડાની બગીવાળાઓને અંદાજ હતો કે હવે પોતાને માથે નવો વેરો ઝીંકાશે. આમ છતાં, સમ્રાટે કર્યું તો કંઈક વિચારીને જ કર્યું હશે એમ ધારીને તેમણે મૂંગે મોંએ આ ઘોષણા સ્વીકારી લીધી.
એક વખત આઠ ઘોડાની બગી ધરાવતા એક રોમન ઉમરાવ નીરોને મળવા તેમને મહેલ ગયા. કામ કશું નહોતું, પણ નીરોની નજરમાં રહેવું તેમને ગમતું હતું. તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. નીરો એક અગત્યની બેઠકમાં છે અને કોઈક નિર્ણય માટે બહુમતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે એમ તેમને જણાવાયું. રોમન ઉમરાવની આગતાસ્વાગતા કરવામાં આવી. એ પછી સેવકો પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. એ વિશાળ ખંડમાં રોમન ઉમરાવ એકલા પડ્યા. એક કલાક વીત્યો. સવા, દોઢ એમ બે કલાક વીત્યા. નહોતો નીરો અંદરથી બહાર આવતો, કે નહોતો દિવાલ પાછળથી કશો અવાજ સંભળાતો. અઢી-ત્રણ કલાક થયા એટલે રોમન ઉમરાવની ધીરજ ખૂટી. નીરો બેઠેલો હોવાનું કહેવાયું હતું એ સભાખંડનું બારણું બંધ હતું. ઉમરાવ ઉભા થયા, અને ધીમે રહીને તેમણે એ બારણું સહેજ ખોલ્યું.


એ સાથે જ તે ચકરાઈ ગયા. તેમણે જે જોયું એ માનવામાં આવે એમ નહોતું. એ સભાખંડ 'હાઉસ ઑફ મિરર્સ' હતો, જેની ચોફેર અરીસા જડેલા હતા. આખો સભાખંડ ભરેલો હતો અને તેમાં ઠેરઠેર નીરો જ બેઠેલો જણાતો હતો. કશી ગંભીર ચર્ચા ચાલી રહી હતી અને તમામ નીરોના હાથ એક સાથે સંમતિમાં ઊંચા થતા હતા. બહુમતી લેવાની પ્રક્રિયાના એક માત્ર સાક્ષી આ રોમન ઉમરાવ બની રહ્યા.
જો કે, બારણું ખૂલવાથી નીરોનું ધ્યાન તરત જ એ તરફ ફંટાયું. તેણે પ્રસ્તાવ મૂક્યો, 'ગુપ્તતા અધિનિયમ ધારા અંતર્ગત કોઈ રાજ્યની ગુપ્ત વાત સાંભળી જાય તો એને મોતની સજા કરવી યોગ્ય રહે એમ કેટલા માને છે?' સભાખંડમાં બેઠેલા તમામ નીરોએ સંમતિમાં હાથ ઉંચા કર્યા.
બે દિવસ પછી રોમન ઉમરાવનાં પરિવારજનો રડતાંકકળતાં નીરોના દરબારમાં આવ્યા અને ફરિયાદ કરી કે પોતાના પરિવારના મોભી બે દિવસથી ઘેર આવ્યા નથી. નીરોએ તેમને આશ્વાસન આપ્યું અને પોતે તેમને શોધવા માટે બધું જ કરી છૂટશે એમ જણાવી વિદાય કર્યા.
થોડા સમય પછી રોમમાં ચાર બગીવાળો માર્ગ તૈયાર થયો ત્યારે તેના આરંભબિંદુનું નામ પેલા રોમન ઉમરાવના નામે આપવામાં આવ્યું. નીરોએ પોતાનું વચન પાળ્યું હતું.
(નોંધ: 'હાઉસ ઑફ મિરર્સ'નો આવિષ્કાર નીરોએ કર્યો કે કેમ એ મતમતાંતર હશે, પણ બહુમત માટે તેનો સૌથી વધુ ઉપયોગ નીરોએ કર્યો હતો એ બાબતે એકમત પ્રવર્તે છે. આગળ જતાં ચાર્લી ચેપ્લિને 'ધ સર્કસ'માં, બ્રુસ લીએ 'એન્ટર ધ ડ્રેગન', શોમુ મુખરજીએ 'છૈલા બાબુ' ફિલ્મમાં તેમજ બીજા અનેક નિર્માતાઓએ સફળતાપૂર્વક ફિલ્મોમાં 'હાઉસ ઑફ મિરર્સ'નો ઉપયોગ કર્યો હતો.)

(By clicking image, the URL will be reached)

Saturday, May 8, 2021

આત્મીય 'સ્લીપ વૉકર'ની વિદાય

 વિખ્યાત સમાજવિજ્ઞાની ધીરુભાઈ શેઠનું 7 મે, 2021ને શુક્રવારના રોજ દિલ્હી ખાતે અવસાન થયાના સમાચાર મળ્યા. એ સાથે જ તેમની સાથેનાં કેટકેટલાં સ્મરણો તરવરી ઉઠ્યા.

ધીરુભાઈ શેઠ 
( 17-3-1934 થી 7-5-2021) 

'ડી.એલ.શેઠ' તરીકે ઓળખાતા ધીરુભાઈ સાથે મારો પરિચય બિપીનભાઈ શ્રોફ દ્વારા થયેલો. વડોદરાના વિચારક રાવજીભાઈ પટેલ 'મોટા'ના જીવન વિશે પુસ્તક લખવાનું મને સોંપાયું એ પછી મોટાની 'રેનેસાં ક્લબ' સાથે સંકળાઈ ચૂકેલા લોકોની દીર્ઘ મુલાકાત અમે લેતા હતા. એમાં બે નામ વારેવારે કાને પડતા, અને એ બેય દિલ્હીના હતા. એક રજની કોઠારી અને બીજા ધીરુભાઈ શેઠ. બન્ને દિલ્હિસ્થિત 'સી.એસ.ડી.એસ.' (સેન્‍ટર ફોર સ્ટડી ઑફ ડેવલપમેન્‍‍ટલ સોસાયટીઝ) સાથે સંકળાયેલા.
એવામાં સમાચાર મળ્યા કે ધીરુભાઈ વડોદરા આવેલા છે. બિપીનભાઈ સાથે મેં એમની મુલાકાત લીધી. એ વખતે ખબર પડી કે વડોદરામાં તેમનું મકાન છે, અને તે વડોદરા લાંબું રોકાણ કરવાના છે. તેમનાં પત્ની સુરભિકાકી પણ હતાં. ધીરુભાઈનો ઈન્ટરવ્યૂ કદાચ સૌથી અઘરો હતો. કેમ કે, તે કોઈ પણ પ્રશ્નનો જવાબ વિસ્તારથી આપતા. ઈન્ટરવ્યૂનું ઓડિયો રેકોર્ડિંગ થતું હતું, એટલે મને રાહત હતી, નહીંતર તેમનાં ઘણા શબ્દો મારા માટે નવા હતા. એ ઈન્ટરવ્યૂ લઈને અમે બહાર નીકળ્યા પછી બિપીનભાઈને મેં કહ્યું, 'આ કાકા બહુ કડક છે. એમની પાસે વાત કઢાવવી મુશ્કેલ પડે.' એ ઈન્ટરવ્યૂની મેં ટ્રાન્સક્રિપ્ટ કરી અને પછી ધીરુભાઈને એ આપવા ગયો એ અમારી બીજી મુલાકાત.
એ પછીની મુલાકાતો ગણવાનું છોડી દેવું પડ્યું. મારા ઘરથી સાવ નજીક હોવાને કારણે અમે અઠવાડિયે ત્રણેક વાર તેમને ત્યાં જવા લાગ્યા. સામાન્ય રીતે તે દિલ્હીમાં શિયાળો બેસે એટલે વડોદરા આવી જાય અને પછી ત્રણ-ચાર મહિના રહે. આ સમયગાળાની અમે રીતસર રાહ જોતા હોઈએ.
સાંજે પરવારીને સાડા નવ-દસે હું અને કામિની સાયકલો લઈને એમને ત્યાં ઉપડીએ. એ દોઢ-બે કલાકમાં કંઈ કેટકેટલા વિષયો આવે. એમાં ખરી મઝા ત્યારે આવે કે કામિની અને ધીરુભાઈ એક બાજુ બેસીને વાતો કરતા હોય, અને સુરભિકાકી મારી સાથે વાતે વળગ્યાં હોય. અમે કાં તો કોઈક જૂના ગીતની, સંગીતકારની કે એવી વાત કરીએ, બીજી બાજુ ધીરુભાઈની વાતના વિષય અવનવા. સૌથી વધુ મઝા કામિની અને ધીરુભાઈની ચર્ચાની. એક ગૃહિણી તરીકે કામિની સાવ સપાટ રીતે કહે, 'ધીરુકાકા, મને તમારી આ વાતમાં જરાય સમજણ ન પડી.' ત્યારે ધીરુભાઈ એટલું જ ફ્લેટલી કહે, 'તું વધારે સારી રીતે સમજે છે.' આમ કહીને તે સમજાવે કે પોતે કહ્યું એ શી રીતે સાચું છે.
સુરભિકાકી અને ધીરુભાઈ શેઠ 
એ રસોઈની, રેસિપીની, કે બીજી કોઈ પણ વાત કરે અને એકદમ રસપૂર્વક. સુરભિકાકીને કાને એમાંનો કોઈક શબ્દ પડે એટલે એ હસીને મને કહે, 'ધીરુભાઈ આવું બધું જાણે છે એ તો મનેય આજે ખબર પડી.' બહુ બધી મજાકમસ્તી ચાલતી રહે, અને વાતો પણ. કોઈ પણ મુદ્દાને જોવાની એમની રીત આગવી. ગુજરાતના સાંપ્રત પ્રવાહોમાં એમને ઊંડો રસ. અમારી વાતોમાં એ ઉપરાંત અનેક બાબતો આવે. 'ન્યાતભોજનની વાનગીઓ' અમારા ચારેયનો સામાન્ય રસ. એટલે એની વાત, એની આસપાસનું વાતાવરણ અને ધીરુભાઈ દ્વારા એનો સમાજવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ - આ બધું ભેગું થાય એટલે એ વાનગીઓ ચાખ્યા જેવો જ સ્વાદ આવે.
ધીરુભાઈ સી.એસ.ડી.એસ. સાથે સક્રિય હોવાથી દિલ્હીના ઉચ્ચ ગણાતા બૌદ્ધિક વર્તુળમાં તેમનું નામ અગ્ર હરોળમાં લેવાય. તેમનો દૃષ્ટિકોણ બૌદ્ધિક પ્રકારનો, એટલે તે દરેક બાબતને એક ઉંચાઈએથી જુએ.
પહેલી મુલાકાત થકી ઉપસેલી છાપ તો ક્યાંય જતી રહી, અને એક જુદી જાતની આત્મીયતા સ્થપાતી ગઈ. ધીરુભાઈની એક શૈલી એવી કે એ સામે ચાલીને કશું ન કહે. ક્યારેક સાંજે તેમણે બહાર જવાનું હોય તો એ અમને ફોન કરીને જણાવી દે એ તો બરાબર. પણ ખરી મઝા ત્યારે આવે કે જ્યારે તે ઘેર હોય અને ઈચ્છતા હોય કે અમે આવીએ. સાડા સાત-પોણા આઠે એમનો ફોન રણકે અને પૂછે: 'કેમ છો? કાલે અમે બહાર ગયેલા...' વગેરે. પછી કહે, 'આજે નીકળવાના છો?' તેમની આ શૈલી ખબર પડી ગયેલી એટલે હું કહી દઉં, 'તમે ઘેર છો તો આવી જ જઈએ.'
'અહા!જિંદગી'માં મારે 'ગુર્જરરત્ન' કોલમ ચાલતી ત્યારે મેં એમના વિશે લખવાનો ઈરાદો વ્યક્ત કર્યો. સંપાદક દીપક સોલિયાને પૂછતાં તેમણે મંજૂરી આપી. પણ ધીરુભાઈની જવાબ આપવાની શૈલીથી હું પૂરો પરિચીત હતો, એટલે મેં તેમને મારા બે એક લેખ વાંચવા આપ્યા, જેથી મારી જરૂરિયાત શી છે એ તેમને ખ્યાલ આવે. આ રીત બહુ કારગર નીવડી. ઈન્ટરવ્યૂ વખતે તે કોઈ જવાબ વિસ્તારથી આપવા જાય ત્યારે કહે, 'આ તને લખવામાં કામ નહીં લાગે, પણ એના આધારે જે બીજી વાત કરવાનો છું એ સમજવામાં કામ લાગશે.' રજની કોઠારીનું અવસાન થયું ત્યારે ધીરુભાઈ અને સુરભિકાકી વડોદરામાં હતા. મારી 'ગુજરાતમિત્ર'ની કોલમ માટે રજની કોઠારી વિશે લેખ લખવાનો હતો. તેમને કોઠારીના અવસાનનો ઘણો શોક હતો, છતાં એ લેખ માટે મને ઘણી માહિતી પૂરી પાડેલી, તેમજ માહિતીને ચકાસી પણ હતી.
તે દૃઢપણે માનતા કે સમાજવિજ્ઞાન વિશેની આપણી સમજ પશ્ચિમ પાસેથી ઉછીની લેવાઈ છે, તેથી તેના ઉકેલ પણ એ જ દૃષ્ટિએ વિચારવામાં આવે છે. તૈયાર ઉકેલ જે સમસ્યામાં ફીટ બેસી જાય એ જ દૃષ્ટિકોણથી સમસ્યાને જોવામાં આવે છે કે તેને ઊભી કરવામાં આવે છે.
અનેક દેશોની મુલાકાત લઈ ચૂકેલા ધીરુભાઈની શૈલી મુઠ્ઠી પછાડીને કે જોરશોરથી બરાડા પાડીને રજૂઆત કરવાની નહીં, પણ ધીમેથી, છતાં મક્કમતાપૂર્વક વાત મૂકવાની હતી. મોટે ભાગે એમ બનતું કે આંતરરાષ્ટ્રીય ચર્ચા, મિટીંગ કે સેમિનારમાં તેમની રજૂઆત જોઈને કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેમને પૂછનાર નીકળે કે પશ્ચિમની કઈ યુનિવર્સિટીમાંથી ધીરુભાઈએ સોશિયલ સાયન્સનો અભ્યાસ કર્યો? 'ઓક્સફર્ડ', 'કેમ્બ્રીજ', 'હાવર્ડ' કે 'યેલ' જેવા જવાબની અપેક્ષા સાથે પૂછાયેલા આ સવાલના જવાબમાં ધીરુભાઈ હસતાં હસતાં કહે, 'હું મોજે ગામ બહાદરપુર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું.'
બહાદરપુર (બાધરપુર) જેવા નાનકડા ગામમાં વીતેલા તેમના બાળપણે તેમને અનુભવસમૃદ્ધ કર્યા હતા, અને આ અનુભવ તેમને સમાજકારણને વ્યાપક રીતે સમજવામાં બહુ કામ લાગ્યા. એક ઉદાહરણ: પંચમહાલ જિલ્લાના કંબોઈ ગામે તેમનો એક મિત્ર હતો, જે ભીલ હતો. બન્ને રસ્તા પર દોડાદોડી કરતા હતા. ધ્યાન ન રહેતાં પેલો મિત્ર પાણીના ટાંકામાં પડ્યો. જોતજોતાંમાં ટોળું ભેગું થઈ ગયું. પેલાને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ થયા. આખરે બહાર આવ્યું તો તેનું શબ. છોકરાની માને આ દુર્ઘટનાનો જબ્બર આઘાત લાગ્યો. એ પછી રોજ સવારે તે પોતાના દીકરાને યાદ કરીને મરશિયા ગાતી. ધીરુભાઈને એ મરશિયાનો ભાવ યથાતથ યાદ હતો: 'હે દીકરા, તું આવતા જન્મે બ્રાહ્મણ ન બનતો. કેમ કે, ચાલી ચાલીને તારા પગ ઘસાઈ જશે. તું વાણિયો પણ ન બનતો. કેમ કે હિસાબ લખી લખીને તારી આંખો ફૂટી જશે. તું સોની ન બનતો. તું ભીલ જ બનજે અને મારે ખોળે જનમજે.' આ મરશિયા પાછળ રહેલું સમાજદર્શન ધીરુભાઈ પછી બરાબર સમજેલા.
શેરીની કૂતરી વિયાઈ હોય તો એનાં ગલુડિયાંની સંભાળ લેવાની, કૂતરી માટે શિરો બનાવવા ઘેરઘેરથી ઉઘરાણું કરવાનું, કોઈકની બકરી દોહીને દૂધ લઈ આવવાનું, વાંદરા પકડવા, પતંગો લૂંટવી, મેળામાં જઈને ત્યાંથી વસ્તુઓ સેરવી લેવાની, ગામમાં આવેલા સરકસમાં પાછલે બારણે ઘૂસ મારવી, સરકસમાં જોયેલા કૂતરાના ખેલ ઘેર આવ્યા પછી પોતે રિંગ માસ્ટર બનીને શેરીનાં કૂતરાં પાસે કરાવવા અને તેમાંથી કમાણી કરવી- આવાં તો કંઈક કરતબો તે બાળપણમાં - કિશોરાવસ્થામાં કરી ચૂકેલા.
ગામમાં સેવાદળ શરૂ થયું એટલે મિત્રો સાથે એમાં જોડાયા અને વિવિધ વાદ્યો વગાડતાં શીખ્યા. સહેજ ફાવટ આવી એટલે મિત્રોએ ભેગા થઈને બૅન્ડ બનાવ્યું. નામ રખાયું, 'બંસી બૅન્ડ'. પોતાના કે પડોશનાં ગામોમાં શુભ પ્રસંગે આ બૅન્ડને બોલાવવામાં આવતું. ધીરુભાઈ એમાં બંસરી વગાડતા. બંસરીમાં બહુ ફાવટ નહીં આવેલી, પણ બીજા વાદકો વચ્ચે નભી જતું. પણ આ બૅન્ડની આવકનો ઉપયોગ કોઈકને અભ્યાસમાં સહાય માટે કરવામાં આવતો.
આવા કંઈક અનુભવો તેમને સમાજવિજ્ઞાન સમજવામાં કામ લાગ્યા. તેમની ખ્યાતિ પોલિટીકલ સોશ્યોલોજિસ્ટ તરીકેની, છતાં તે કહેતા: 'સમાજ કંઈ નિર્જીવ અને જડ પદાર્થોનો સમૂહ નથી કે તેમાં વિજ્ઞાનની જેમ સાર્વત્રિક નિયમો લાગુ પાડી શકાય. હા, સમાજ વિશેનાં જ્ઞાન, જાણકારી અને માહિતી હોઈ શકે.' તેમની કાર્યપદ્ધતિ પોતાના જ અનુભવો થકી સમૃદ્ધ બનતી ગઈ. કોઈ એક પ્રસ્થાપિત સિદ્ધાંતને અનુસરવાને બદલે પોતાના અનુભવોમાંથી તારવેલી સમજણને તે કામે લગાડતા. આથી પોતાની કાર્યપદ્ધતિને તે 'સ્લીપ વૉકિંગ' સાથે સરખાવતા. એ વિશે તે કહેતા, 'મેં કદી કોઈ ધ્યેય સામે રાખીને કામ નથી કર્યું. મને જેમાં રસ પડે એ હું કરતો ગયો, આગળ વધતો ગયો અને માર્ગ ખૂલતો ગયો.' કોઈ પણ બાબતને એકરંગી (બ્લેક એન્ડ વ્હાઈટ) જોવાને બદલે તેની વચ્ચે રહેલા રંગપટ (ગ્રે શેડ્સ) પ્રત્યે તે ખાસ ધ્યાન દોરતા.

 

'સીટીઝન્સ એન્ડ પાર્ટીઝ' (આશિષ નાન્દી સાથે), 'ધ મલ્ટીવર્સ ઑફ ડેમોક્રેસી', 'માઈનોરિટી આઈડેન્ટિટીઝ એન્ડ ધ નેશન-સ્ટેટ' (ગુરપ્રીત મહાજન સાથે), અને 'વેલ્યૂઝ એન્ડ ધ એક્ટિવ કમ્યુનિટી' જેવાં પુસ્તકો તેમણે લખેલાં છે. અભયકુમાર દુબે દ્વારા સંપાદિત 'સત્તા ઔર સમાજ'માં વિવિધ મુદ્દાઓ અંગેના ધીરુભાઈના દર્શનને વાતચીત સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. છેલ્લે તેમણે 'એટ હોમ વીથ ડેમોક્રસી: અ થિયરી ઑફ ઈન્ડિયન પોલિટિક્સ' પુસ્તક લખ્યું. (તેમના વિસ્તૃત પ્રદાન વિશે મારા પુસ્તક 'ગુર્જરરત્ન'માં વિગતવાર આલેખન છે. )
તેમનાં બન્ને સંતાનો દિલ્હીમાં છે. પુત્ર નિનાદ પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે, અને એક સમયે 'ઓપન' સામયિકના સંપાદન સાથે સંકળાયેલા હતા. હાલ તે 'બિઝનેસ વર્લ્ડ' સાથે સંંકળાયેલા છેેે, તો પુત્રી સોહા (શાહ મોઈત્રા) 'ક્રાય' (Child Relief & You) નું રિજીયોનલ ડાયરેક્ટરપદ શોભાવી રહ્યાં છે. છેલ્લા ઘણા વખતથી ધીરુભાઈ ગુડગાંવ ખાતે સોહાબેનને ત્યાં જ રહેતા હતા. સોહાબેનના માધ્યમથી તેમની ખબરઅંતર અમે પૂછી લેતા, કેમ કે, ધીરુભાઈને શ્વાસની તકલીફ ઘણી હતી. તેમની વય 85 વરસની હતી.
સુરભિકાકીની વિદાય પછી હવે ધીરુભાઈની વિદાયને લઈને એક એવો ખાલીપો સર્જાયેલો લાગે છે કે જે કદી ભરી ન શકાય. સાવ ઓછા સમયગાળામાં, છતાં જીવનને સમૃદ્ધ કરનારા જે કેટલાક સંપર્કો થયા એમાંના આ એક હવે સ્મૃતિમાં જીવંત રહેશે!

Friday, May 7, 2021

નીરો અને વિષજ્ઞ

શાસક ગમે એવો એકહથ્થુ સત્તામાનસ ધરાવતો હોય, શાસન માટે તેને વિશ્વાસુ લોકોની જરૂર હંમેશાં પડતી હોય છે. નીરો તો એક પ્રજાવત્સલ, માનવ-પશુ-પક્ષીને સમભાવે નિહાળનાર શાસક હતો. તે હંમેશાં વિવિધ નિર્ણય લેતાં અગાઉ પોતાના વિશ્વાસુઓની સલાહ લેતો. આરંભિક કાળમાં આ ભૂમિકા તેના ગુરુ સેનેકા, માતા અગ્રીપીના અને બુરસ દ્વારા ભજવાતી.

નીરોના નજદીકી લોકોમાં એક વિશેષ સ્થાન હતું લોકસ્તા નામની મહિલાનું. તે વિશેષજ્ઞ હતી, વિષજ્ઞ હતી. એટલે કે વિષવિશેષજ્ઞ હતી. તેણે આ બાબતે કોઈ મહાનિબંધ લખ્યો ન હતો, આથી તેને પોતાના શાસ્ત્રની ખરેખરી જાણકારી હતી. અવનવાં વિષનાં મિશ્રણ તે તૈયાર કરતી. શુભ પ્રસંગોના ઓર્ડર તે સ્વીકારતી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વાનગી તૈયાર કરતી. નીરોની મા અગ્રીપીનાએ તેની વિશેષ સેવા લીધેલી. નીરોના કાકા અને પોતાના પતિ ક્લોડિયસ માટે તેણે લોકસ્તાની સેવા પહેલી વાર લીધી. વિષ ખાધા પછી કેટલા સમયમાં ક્લોડિયસનું મૃત્યુ કરવાનું છે એ અંગે તેણે પૂછપરછ કરીને એક ખાસ પ્રકારનું વિષ બનાવ્યું. આ વિષને મશરૂમ પર છાંટવામાં આવ્યું. ક્લોડિયસનો ખોરાક પહેલાં અન્ય એક વ્યક્તિ દ્વારા ચાખવામાં આવતો. હેલોટસ નામની એ વ્યક્તિએ મશરૂમ ખાધાં. તેને કશું ન થયું. એ પછી ક્લોડિયસે એ મશરૂમ ખાધાં અને તેને પણ કશું ન થયું. આખરે શાહી ચિકિત્સક ગેયસ ઝેનોફોને ઝેરમાં બોળેલું પીંછું ક્લોડિયસના ગળામાં મૂકીને તેને ઉલટી કરાવવાનો પ્રયત્ન કર્યો. એ રીતે ક્લોડિયસના જીવનનો અંત આવ્યો. આમ, લોકસ્તાનું વિષ નિષ્ફળ ગયું ત્યારે ચિકિત્સકની સહાય લેવામાં આવી.
લોકસ્તા 

ક્લોડિયસની ત્રીજી પત્નીના પુત્ર બ્રિટેનિકસ માટે એક ખાસ વિષમિશ્રણ તૈયાર કરવાનું કામ ખુદ નીરોએ લોકસ્તાને સોંપ્યું. અગ્રીપીનાની સરખામણીએ નીરો સહેજ દયાળુ ખરો. ગમે એમ તોય બ્રિટેનિકસ પોતાનો ભાઈ હતો. આથી તેને સહેજ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખવાની ચેતવણી નીરોએ લોકસ્તાને આપી. કોણ જાણે કેમ, પણ લોકસ્તાએ તૈયાર કરેલું વિષ એટલું ત્વરિત અસર કરનારું ન નીકળ્યું. નીરો આથી ક્રોધિત થઈ ગયો. પોતાનો ઓરમાન ભાઈ રિબાઈ રિબાઈને મરે એ શી રીતે સહન થાય? તેણે લોકસ્તાને ધમકાવી, ફટકારી અને સારી ગુણવત્તાવાળું વિષ તૈયાર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
લોકસ્તાની કાબેલિયત શંકાથી પર હતી, પણ તે બને ત્યાં સુધી વનસ્પતિમાંથી વિષ બનાવતી. ખાસ કરીને તે એટ્રોપા બેલાડોના નામની વનસ્પતિનો ઉપયોગ કરતી. આમ તો, રોમના શાસકોમાં આ વિષ ખૂબ પ્રચલિત હતું. કૌટુંબિક ભોજન સમારંભોમાં તે છૂટથી વપરાતું.
નીરોની ધમકીની બરાબર અસર થઈ. આ વખતે લોકસ્તાએ કાતિલ મિશ્રણ તૈયાર કર્યું. બ્રિટેનિકસને સહેજે રિબાવું ન પડ્યું. એક ભાઈ માટે આનાથી વધુ કોઈ શું કરી શકે? નીરો જેટલો કઠોર બની શકતો હતો, એટલો જ તે કોમળહૃદયી હતો. વ્યાવસાયિક અભિગમ તેનામાં પૂરેપૂરો. લોકસ્તાએ સફળતાપૂર્વક પોતાનો પ્રસંગ દીપાવ્યો તેના પુરસ્કારરૂપે નીરોએ તેને વિશાળ જમીન ફાળવી. નીરોની દીર્ઘદૃષ્ટિને દાદ દેવી પડે. તેણે ધાર્યું હોત તો એકાદી યુનિવર્સિટીના ઉપકુલપતિપદે લોકસ્તાને નીમી દીધી હોત. તેને બદલે લોકસ્તાના કૌશલ્યનો બહોળો લાભ લઈ શકાય એવી વ્યવસ્થા કરી. લોકસ્તા પોતાની આ કળા અન્ય વિદ્યાર્થીઓને આપે અને એ રીતે અનેક નિષ્ણાતો તૈયાર કરે, જે રોમના ભાવિને યોગ્ય આકાર આપી શકે, એ મૂળ હેતુ હતો.

લોકસ્તા અને નીરો

આગળ જતાં એવો પણ વખત આવ્યો કે નીરોએ ખુદ પોતાને માટે લોકસ્તા પાસે વિષ મંગાવ્યું. એક સુવર્ણ પાત્રમાં લોકસ્તાએ એ પ્રેમપૂર્વક મોકલ્યું. નીરો માટે ખાસ તૈયાર કરાયેલું વિષ પહેલી ધારનું હતું? એ કેટલું અસરકારક નીવડ્યું? આ સવાલના જવાબ મળે એ પહેલાં જ નીરોના જીવનનો અન્ય રીતે અંત આવી ગયો.
લોકસ્તાએ સ્થાપેલું 'વિષ સંસ્થાન' પણ ઝાઝું ન ચાલ્યું. નીરોના ગયા પછી આવેલા શાસકે નીરોના નજીકના મનાતા તમામ લોકોને, એમની આવડત અને વિશેષતા સામું જોયા વિના, એક પછી એક ખતમ કર્યા. આ પગલું સ્વાવલંબનના ભાગરૂપે હતું કે કરકસરના ભાગરૂપે એ કોઈ જાણી શક્યું નહીં. આ સંસ્થાન પછીના ગાળામાં એક યા બીજા નામ હેઠળ ચાલુ રહ્યું હતું, એવી બિનઅધિકૃત માહિતી છે, પણ તેના કોઈ પુરાવા મળતા નથી.