Showing posts with label કે.એલ.સાયગલ. Show all posts
Showing posts with label કે.એલ.સાયગલ. Show all posts

Wednesday, January 18, 2017

મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ


મહાનતા કદી આંકડાઓની મોહતાજ નથી હોતી. લતા મંગેશકર, આશા ભોસલે, મહમદ રફી, મુકેશ, હેમંતકુમાર  કે એ શ્રેણીના અન્ય ગાયકોએ કુલ કેટલાં ગીતો ગાયાં એ આંકડાશાસ્ત્રની રીતે મહત્ત્વની, પણ તેમની ગાયકીને માણવાની રીતે સાવ ગૌણ બાબત છે.
આજકાલ ફેસબુક કે વોટ્સેપ પરનાં વિવિધ જૂથોમાં એક ગાયકને બીજા કરતાં ચડીયાતા બતાવતી ચેષ્ટાઓ જોશભેર ચાલી રહી છે. સમય પસાર કરવા માટે આ બધું ઠીક છે, પણ સરવાળે એ પાણી વલોવવા જેવી વાત છે. એક હકીકત કોઈ પણ ગાયકના ચાહકે સ્વીકારવી રહી અને એ સ્વીકારવા માટે તેણે ચાહક મટીને કેવળ સુજ્ઞ શ્રોતા બનવું રહ્યું. તે એ કે પ્રત્યેક ગાયક છેવટે માણસ છે, અને તેના કંઠને ઉંમરસહજ ઘસારો લાગતો હોય છે. આ હકીકત ઉપર ઉલ્લેખ્યાં તેના સહિત એકે એક કળાકારને લાગુ પડતી હોય છે. આ હકીકત એવા કલાકારને જ લાગુ ન પડે જે વેળાસર ગાયકી છોડી દે, કાં તેનું વહેલું અવસાન થાય.
કુંદનલાલ સાયગલને આ બાબત બરાબર લાગુ પડે છે. માંડ 43 વર્ષનું આયુષ્ય (1904-1947). કલાકાર તરીકે સોળેક વર્ષની (1930-31થી 1946) અને ગાયક તરીકે સાવ તેર વર્ષની (1933-1946)કુલ કારકિર્દી. ગાયેલાં કુલ ગીતોની સંખ્યા માત્ર 185, જેમાંથી ફિલ્મી ગીત 142 (110 હિન્દી + 30 બાંગ્લા + 2 તમિલ) અને 43 ગૈરફિલ્મી ગીત (37 હિન્‍દી +2 બાંગ્લા ‌+ 2 પંજાબી + 2 ફારસી). આમ છતાં, પાર્શ્વગાયન શરૂ થયું ત્યાર પહેલાંનાં અને ત્યાર પછીના યુગમાં તેમનું નામ સૌથી પહેલું હોઠે આવે. કેવી હતી તેમની ગાયકી? શબ્દોમાં તેનું વર્ણન મુશ્કેલ છે. ત્યાર પછી શરૂ થયેલા અને છેક હજી સુધી ચાલી રહેલા ઝપાટાસંગીતના યુગમાં તેમની ગાયકીની ઠીકઠીક મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તેને લઈને એ હકીકત વધુ દૃઢ બનતી જાય છે કે તેમની ગાયકીની ઊંચાઈને આંબવી અશક્યવત્ છે.
ઘણા સમય સુધી ફિલ્મજગતમાં પ્રવેશતા નવાસવા ગાયકોનો આદર્શ કુંદનલાલ સાયગલ રહેતા. સાયગલના પ્રભાવ હેઠળ કારકિર્દીનો આરંભ કરીને આગળ જતાં સ્વતંત્ર ઓળખ ઉભી કરનાર ગાયકો વિશે અગાઉ આ પોસ્ટમાં અહીં  વાત કરી હતી. આજે સાયગલસાહેબની સીત્તેરમી મૃત્યુતિથી છે. 

તેમના વિશે એટલું બધું લખાયું છે કે એમાં કશો ઉમેરો કરવાની ગુસ્તાખી થઈ જ ન શકે. આમ છતાં, તેમની ગાયકીનાં પાસાંને અલગ અલગ રીતે મૂકીને જોવાની એક મઝા છે. સાયગલસાહેબ કે તેમના યુગ સાથે મારું અને મારા જેવા અનેકનું ભૂતકાળનું કોઈ જોડાણ કે અનુસંધાન (નોસ્ટેલ્જિયા) નથી. આ કારણે કુતૂહલભાવે તેમના કામને વિવિધ રીતે જોવાની જિજ્ઞાસા થતી રહે છે.
સાયગલસાહેબે સૌથી વધુ ગીતો હિન્‍દીમાં ગયાં. ત્યાર પછી બાંગ્લામાં. હિન્‍દી સિવાય તેમણે બાંગ્લા, તમિલ, ઉર્દૂ, ફારસી અને પંજાબી-એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષામાં ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને તેમનું સ્મરણ કરીએ.
તેમનું ગાયેલું આ બાંગ્લા ગીત છે, જે ગેરફિલ્મી છે. ગીતકાર પ્રણવ રોય અને સંગીતકાર સુબલ દાસગુપ્તા. 

સૌ પ્રથમ બંગાળીમાં બનેલી દેબદાસ (1935) માં મુખ્ય ભૂમિકા પી.સી.બરુઆની હતી. તેને પગલે હિન્દીમાં દેવદાસ (1935)નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સાયગલે મુખ્ય ભૂમિકા ભજવી. 1936માં દેવદાસા નામે તમિલમાં આ ફિલ્મ બની, જેમાં મુખ્ય ભૂમિકા પી.વી.રાવની હતી. આ ફિલ્મમાં સાયગલે બે ગીત ગાયાં હતાં. તેમાંનું એક ગીત.


તેમણે બે ફારસી (પર્શિયન) ગીતો પણ ગાયાં હતાં. એ પૈકીનું મિર્ઝા કાતીલે લખેલું એક ગીત.



નવાઈ લાગે એવી વાત એ છે કે માતૃભાષા પંજાબીમાં તેમણે કેવળ બે જ ગીતો ગાયાં છે, જે બન્ને બિસ્મીલ અમૃતસરીએ લખેલાં છે. આ ગેરફિલ્મી ગીત પૈકીનું એક ગીત.



ઉર્દૂ- હિન્‍દી શબ્દો તેમનાં ઘણા ગીતોમાં સાંભળવા મળે છે. અહીં પ્રસ્તુત છે બેદમ વારસીએ લખેલી ઉર્દૂ ગઝલ.


 સાયગલ વિશેનાં અનેક પુસ્તકો પૈકી સૌથી અધિકૃત કહી શકાય એવું પુસ્તક એટલે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત જબ દીલ હી તૂટ ગયા’. સાયગલ વિશેની અધિકૃત માહિતી ઉપરાંત તેમણે ગાયેલા એકેએક ગીતનો પાઠ પણ તેમાં આપવામાં આવ્યો છે. આ પોસ્ટમાંની તમામ માહિતી માટે એ પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.


સાયગલસાહેબની ગાયકીની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા અલગ બાબત છે, પણ તેમના સોના જેવા અવાજને સમયનો કાટ લાગી શકતો નથી, એ પ્રતિતિ સમય વીતતાં દૃઢ થતી જાય છે. 

(તમામ ગીતોની લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી) 

Sunday, January 18, 2015

કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં


૧૯૩૧માં આવેલી પહેલવહેલી બોલતી હિન્દી ફિલ્મ આલમ આરાથી લઈને છેક અત્યાર સુધી ફિલ્મોમાં ગીતોની દીર્ઘ પરંપરા રહી છે. આરંભે અદાકારો પોતે જ ગીત ગાતા અને ત્યાર પછી પાર્શ્વગાયનનો યુગ શરૂ થયો એ સાથે જ અનેક પાર્શ્વગાયકોનો ઉદય થયો. પણ આ બન્ને યુગમાં સૌથી ટોચે કોઈ એક ગાયકનું નામ મૂકવાનું આવે તો એક જ નામ હોઠે આવે- કે.એલ.સાયગલ એટલે કે કુંદનલાલ સાયગલ.
અનન્ય સાયગલ કોશ 
આ નામ કાને પડતાં જ કાનમાં મધુર સૂરોનું ગુંજન થવા લાગે અને એક પછી એક કેટલાંય ગીતો યાદ આવવા લાગે. અહીં સાયગલની જીવનકથા, તેમની ફિલ્મોની વાતો કે તેમના વિષેની અનેક દંતકથાઓ વિગતે આપવાનો જરાય ઈરાદો નથી. વ્યક્તિ તરીકે એ કેવા ઉમદા ઈન્સાન હતા એની વાત પણ નથી કરવી. સાયગલ વિષે નાનાંમોટાં અનેક પુસ્તકો, પુસ્તિકાઓ, કૉફી ટેબલ બુક્સ થયાં છે. કોઈકમાં તેમના જીવનના છૂટાછવાયા વાર્તાઓ જેવા અર્ધસત્ય કિસ્સાઓ છે, તો કોઈકમાં ચમકીલા કાગળ પર વિશાળ કદની તસવીરોની વચ્ચે નામ પૂરતું લખાણ મૂકીને સાયગલના નામે રોકડી કરવાનો પ્રયાસ છે. આવા પુસ્તકોના અંબારમાં તેમના જીવન અને કવન અંગેનું એક પુસ્તક સૌથી અલગ તરી આવે છે. જબ દિલ હી તૂટ ગયા નામના આ પુસ્તકને સાયગલ કોશ કહી શકાય. સાયગલના જીવન વિષેની ઝીણી ઝીણી વિગતોથી લઈને તેમણે ગાયેલાં તમામ ગીતોનો આખો પાઠ તેમાં આપવામાં આવ્યો છે. આ કોશના સંપાદક છે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી. આ બન્ને સન્નિષ્ઠ સંપાદકોની સૂઝ અને ખંતનું એક ઉદાહરણ જાણવું પૂરતું થઈ પડશે.
સાયગલની જન્મતારીખ વિષે મતાંતર છે. અમુક જગાએ તે ૪ એપ્રિલ, ૧૯૦૪ છે, તો અમુક જગાએ ૧૧ એપ્રિલનો ઉલ્લેખ છે. આમાં સાચું શું? સાયગલસાહેબનાં પરીવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ તેમની પાસે કશો લેખિત પુરાવો હતો નહીં. રાઘવ આર. મેનનના પુસ્તક ધ પિલ્ગ્રીમ ઑફ સ્વરમાં ત્રણ જ્યોતિષીઓ દ્વારા બનાવાયેલી કુંડળીના ઉલ્લેખ છે. પણ તેમાં ચોક્કસ તારીખ નથી. મેનન પાસે કદાચ અસલ કુંડળી હોત, પણ તેમનું અવસાન થઈ ગયું હોવાથી એ શક્યતા પર તાળું લાગી જતું હતું. આ બન્ને સંપાદકોએ મેનન દ્વારા અપાયેલી વિગતો પરથી આખી કુંડળી અને ફળાદેશ નવેસરથી કઢાવ્યા અને તેના આધારે પ્રસ્થાપિત કર્યું કે સાયગલસાહેબની સાચી જન્મતારીખ ૧૧ એપ્રિલ, ૧૯૦૪ છે. આ બન્ને કંઈ જ્યોતિષમાં આસ્થા રાખનારા નથી, પણ સંપાદનમાં વિગતો એકઠી કરવામાં કશાનો છોછ ન પાલવે, એમ દૃઢપણે માનનારા છે. (આ પુસ્તક મંગાવવા માટેની વિગતો 
અહીં  ઉપલબ્ધ છે.) સાયગલસાહેબ પર હજી એક વ્યક્તિ પુસ્તક લખે એવી સ્વાભાવિક અપેક્ષા છે, પણ એ વાત પછી. બરાબર આજના દિવસે, એટલે કે ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના દિવસે સાયગલસાહેબે આ પૃથ્વી પરથી સદેહે વિદાય લીધી હતી. પણ સ્વરદેહે તે સદાય અમર છે.
આજના દિવસે વાત કરવી છે તેમની ગાયકીના અન્ય ગાયકો પરના પ્રભાવની.
**** **** **** 
એ બહુ જાણીતી હકીકત છે કે સાયગલસાહેબે ગાયનની બાકાયદા તાલિમ ક્યાંય કોઈની પાસે લીધી ન હતી કે નહોતી તેમને શાસ્ત્રીય સંગીત અંગે ખાસ જાણકારી. અને છતાંય તેમના અવાજમાં, તેમની ગાયકીમાં એવું ગજબનું આકર્ષણ હતું કે રાયચંદ બોરાલ, પંકજ મલિક, તિમીર બરન, ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોએ ખાસ સાયગલના કંઠને જ ધ્યાનમાં રાખીને ગીતોની ધૂન બનાવી.
સાયગલનાં ગીતોને બેસુમાર લોકપ્રિયતા મળી. આમ આદમીથી માંડીને સંગીતના, શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદોએ પણ તેમના કંઠને વખાણ્યો. એ સમયે નવા આવનાર અનેક ગાયકો માટે સાયગલનો કંઠ આદર્શસમાન હતો. તેમના જેવું જ ગાવાની અને તેમના જેવો જ અવાજ કાઢવાની કોશિશ નવા ગાયકો કરતા. જો કે, એ સમયના કાબેલ સંગીતકારોએ આ ગાયકોને સાયગલના સ્વરની અસરમાંથી બહાર કાઢ્યા અને તેમને સ્વતંત્ર ઓળખ બક્ષી. પરિણામે આ ગાયકોના કંઠની આગવી લોકપ્રિયતા ઉભી થઈ.
શરદબાબુની વિખ્યાત નવલકથા પરથી ન્યુ થિયેટર્સ દ્વારા નિર્મીત ફિલ્મ દેવદાસ (૧૯૩૫) ને ખૂબ જ પ્રસિદ્ધી મળી. તિમીર બરને સંગીતબદ્ધ કરેલાં અને સાયગલે ગાયેલાં ગીતો બહુ લોકપ્રિય થયાં. એમાંય કેદાર શર્માએ લખેલું બાલમ આયે બસો મોરે મન મેં ગીત તો ફિલ્મની ઓળખસમાન બની રહ્યું. લોકોને હોઠે રમવા માંડ્યું. આ ગીતની સફળતાથી અંજાઈને મુંબઈની સાગર મુવીટોને પોતાની ફિલ્મ ડેક્કન ક્વીનમાં આ જ ધૂન પર બિરહા કી આગ લગી મોરે મન મેં ગીત સુરેન્દ્ર પાસે ગવડાવ્યું. સુરેન્દ્રની આ પહેલી જ ફિલ્મ હતી. 


મુકેશ પણ સાયગલના જબરદસ્ત પ્રભાવ તળે હતા. નિર્દોષ દ્વારા તેમણે પાર્શ્વગાયનનો આરંભ કર્યો, એ પછી પહલી નજરમાં ગાયેલું આ ગીત સાયગલની પ્રચંડ અસર તળે હતું.


આગળ જતાં જેમની ઓળખ ઉછલમ કૂદમ તરીકે બની, એવા કિશોરકુમાર સાયગલસાહેબના જબ્બર ચાહક હતા. જિદ્દીમાં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ગાયેલા તેમના આ ગીતમાં સાયગલસાહેબનો કેવો પ્રભાવ જણાય છે!


આ ગાયકો, જો કે, એટલા નસીબદાર કે, કાબેલ સંગીતકારોએ તેમને સાયગલના પ્રભાવમાંથી બહાર કાઢીને આગવી ઓળખ બક્ષી અને આગળ જતાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ આત્મા હશમતરાય ચૈનાની ઉર્ફે ચૈનાની આત્મા હશમતરાય એટલે કે સી.એચ.આત્મા એટલા નસીબદાર ન હતા. સાયગલના અવાજના પ્રભાવમાંથી તે આજીવન મુક્ત ન થઈ શક્યા, અને તેથી જ, અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, તેમના અવાજની સ્વતંત્ર ઓળખ ભાગ્યે જ બની. તેમનું ગાયેલું નગીનાનું આ યાદગાર ગીત.


આ સૌ ભારતના ગાયકો હતા. અફઘાન ગાયક નશેનસ (સાદીક ફિતરત હબીબી) પશ્તો તેમજ ઉર્દૂ ગીતો ગાય છે. તેમને પણ અફઘાન સાયગલ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગાયેલું સાયગલસાહેબનું આ ગીત. 


ઘણી વાર એ દલીલ કરવામાં આવે છે કે સાયગલનો અવાજ કે તેમનાં ગીતોનો જમાનો વીતી ગયો. હવે એવાં ગીતો ન ચાલે. દલીલની સામે પ્રતિદલીલ અને પ્રતિ-પ્રતિદલીલ ચાલ્યા જ કરે. આના જવાબમાં આ ગીત સાંભળો, જે ડૉ. સંગીતા નેરૂરકરે ગાયું છે. ડૉ. સંગીતા નેરૂરકર સાયગલનાં ગીતો સ્ટેજ પરથી રજૂ કરે છે. 


આ તમામ ગાયકોને સાંભળ્યા પછી કુંદનલાલ સાયગલનો અસલી અવાજ. સ્ટ્રીટ સીંગરનું આ ગીત બાબુલ મોરા.. સાયગલનું અત્યંત પ્રસિદ્ધ ગીત છે. વાજીદ અલી શાહની આ રચના અતિ જાણીતી અને અનેક ગાયકો દ્વારા ગવાયેલી છે, પણ સાયગલની વાત જ ન્યારી છે. ફિલ્મમાં આ ગીત તે હાથમાં હારમોનિયમ સાથે રસ્તે ચાલતા ચાલતા ગાતા બતાવાયા છે. પડદા પર બતાવાયું છે એ રીતે શૂટીંગ વખતે ચાલતાં ચાલતાં જ આ ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો, છતાં જે અસર તેમના અવાજમાં પેદા થઈ છે, તેની તોલે બીજા કોઈનું ગાયેલું આ ગીત ન આવે. (આ અંગત મંતવ્ય છે.)



સાયગલસાહેબનાં અન્ય ગીતોની અને તેમના પર લખાનારા પુસ્તકની વધુ વાતો સમય આવ્યે...