Showing posts with label આંસુ. Show all posts
Showing posts with label આંસુ. Show all posts

Sunday, February 12, 2023

આંસુસંહિતા

 'એક ધાંસૂ, એક આંસૂ' યોજના અંતર્ગત હવે સમગ્ર રાષ્ટ્ર એક સાથે એક જ મુદ્દે આંસુ વહાવતું થાય એવું આયોજન થવાની વકી છે. આની આગોતરી તૈયારી રૂપે પ્રસ્તુત છે આંસુ અંગે કેટલીક માહિતી. વાંચનારને અજ્ઞાનનો બોજ ન અનુભવાય એ હેતુથી આ માહિતી સવાલજવાબ રૂપે મૂકાઇ છે.

પ્ર.: મગર અને સોનમ કપૂરમાં સામ્ય શું?
ઉ.: તેમને આંસુ માટે ગ્લીસરીનની જરૂર પડતી નથી.
પ્ર.: આંસુનો સ્વાદ કેવો હોય છે?
ઉ.: એટલો ખારો નહીં કે લેમોનેડમાં મીઠાની અવેજીમાં ઉમેરી શકાય.
પ્ર.: આંસુ સાચા છે કે બનાવટી એ શી રીતે ખબર પડે?
ઉ.: કોને?
પ્ર.: આંસુનું મહત્ત્વ શેના આધારે નક્કી થાય? કેટલાં વહાવ્યાં એની પર? કે કોને માટે વહાવ્યાંં એની પર?
ઉ.: કોની સામે વહાવ્યાં એની પર.
પ્ર.: કોઇ આંસુ વહાવે ત્યારે સામાવાળાએ શું કરવું ઉચિત રહે?
ઉ.: આંસુના પ્રમાણ મુજબ આસપાસમાં ઉપલબ્ધ હોય એવું પાત્ર ઝડપથી આંખ નીચે ધરીને આંસુ એકઠાં કરી લેવા જોઇએ, જેથી ખારું પાણી પૃથ્વીના ભૂગર્ભ જળને દૂષિત ન કરે.
પ્ર.: કહેવાય છે મોરના આંસુ થકી જ ઢેલ ગર્ભવતી થાય છે. આ સાચું છે?
ઉ.: તમને ચીતરવા પડ્યા હોય એમ લાગતું નથી.
પ્ર.: આ રીતે અને આ જ દરે આંસુ વહાવાતાં રહેશે તો ભાવિ કેવું રહેશે?
ઉ.: દેશ નમકને મામલે આત્મનિર્ભર બની જશે. દરેકના ગાલ પર આંસુમાંથી નમક છૂટું પાડવાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.
પ્ર.: આંસુ ખુશીનાં છે કે શોકનાં એ શી રીતે ખ્યાલ આવે?
ઉ.: પહેલાં એટલું જાણી લો કે હજારો તરહ કે યે હોતે હૈ આંસુ.
પ્ર.: આંસુથી કોઇ પીગળે ખરું?
ઉ.: હા, જરૂર. આંખમાં બાઝેલા પીયા, ચીપડા, પોપડા પીગળી શકે.
પ્ર.: આંસુઓને રોકવા માટે શું કરી શકાય?
ઉ.: એની પર આડબંધ બાંધીને એનો સંગ્રહ કરી શકાય. એ રીતે સંઘરાયેલા આંસુને સમુદ્રમાં મોકલી શકાય, જેથી સમુદ્રસૃષ્ટિનું સંવર્ધન થઇ શકે. એ આંસુનો ઉપયોગ મગરો પણ કરી શકે.

(સંદર્ભ: ફેબ્રુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુલામનબી આઝાદની નિવૃત્તિ નિમિત્તે ગૃહમાં સારેલા આંસુ)