ઊપક્રમ એવો હતો કે નડિયાદની આયુર્વેદિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ મારે નડિયાદના ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ 'સ્ટડી સર્કલ' વિશે વાત કરવી. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ (સ્વ.) કુલીનચંદ્ર યાજ્ઞિકે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો. દર ગુરુવારે સાંજના છ વાગ્યે કુલીનકાકા ગોવર્ધન સ્મૃતિમંદીરે આવે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. સંખ્યા ક્યારેક બે પણ હોય તો ક્યારેક બાવીસ પચીસ પણ હોય. કુલીનકાકાનું આવવું અને વાત કરવું અચળ. છેક એમના અવસાનના થોડા સમય પહેલાં સુધી તેમણે આ ચાલુ રાખેલું. એમના પુત્ર પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું- પણ સંકળાયા. પ્રો. હસિત મહેતા આ આખી પ્રવૃત્તિ પાછળનું ચાલકબળ. અહીં મજા એ આવતી કે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય નહીં, તેમની સાથે સંવાદ સધાતો, જેમાં સૌના મનની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. કોઈ પણ વિષય અંગે અહીં મુક્તતાથી વાત થઈ શકે એવું વાતાવરણ કુલીનકાકાએ ઊભું કરેલું. અમારા સૌની જવાબદારી એને જાળવી રાખવાની. બારેક વર્ષ થયા એટલે હવે અહીં આવનારા વિદ્યાર્થીઓની પણ બીજી- ત્રીજી પેઢી આવી. પણ એક સમયે અહીં સંકળાઈ ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ભલે ગમે ત્યાં હોય, હજી તેઓ માનસિક રીતે અહીં સંકળાયેલા રહ્યા છે. આમ, એક બિરાદરી ઊભી થઈ છે એમ કહીએ તો ખોટું નહીં.
Showing posts with label નડિયાદ. Show all posts
Showing posts with label નડિયાદ. Show all posts
Wednesday, November 19, 2025
સર્જકતાની શોધ: શા માટે? શી રીતે?
વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું મહત્ત્વ જેટલી તેમની જરૂરિયાત છે, એટલી જ આપણી પણ જરૂરિયાત છે, કેમ કે, એ વિના તેમની સમસ્યાઓ કે વિચારજગતનો અંદાજ આવી શકે જ નહીં. હજી વધુ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતગાર કરવા અમે નડિયાદની વિવિધ કોલેજોમાં જવા વિચાર્યું છે. આ ઉપક્રમની શરૂઆત ગઈ કાલે થઈ ગઈ. 'સ્ટડી સર્કલ'ના જ બિરાદર અને નડિયાદની આયુર્વેદિક કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મિત્ર ભાર્ગવે સુશ્રી ભાગ્યશ્રી ટંડેલના સહયોગથીપોતાની કોલેજમાં આ ઊપક્રમ ગોઠવ્યો. આ કોલેજના કેયુર અને વશિષ્ઠ પણ 'સ્ટડી સર્કલ' સાથે સંકળાયેલા છે.
એ મુજબ વિદ્યાર્થીમિત્રો નાઝનીન અને જૈનિક સહિત અમે ત્યાં પહોંચી ગયા. 'સર્જકતાની શોધ' જેવા વિષય પર વાતનો આરંભ કર્યો અને જીવનમાં સર્જકતાનું મહત્ત્વ કેટલું તેમજ કેવી રીતનું હોય એ વિશે વાત કરી. ત્યાર પછી ટૂંકમાં નડિયાદના અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય તેમજ ગોવર્ધનરામ સ્મૃતિમંદિર વિશે તેમજ ત્યાં ચાલતી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. એ પછી ભાર્ગવ અને જૈનિકે આ સ્થળ સાથે પોતે સંકળાયા તેના અનુભવ ટૂંકમાં કહ્યા.
સમય પ્રમાણમાં ઓછો હોવાથી પ્રશ્નોત્તરી થઈ શકી નહીં. પણ આવા સ્થળે જઈએ ત્યારે એક વાત વિદ્યાર્થીઓને ખાસ કહેતા હોઈએ છીએ કે 'સ્ટડી સર્કલ' સાથે સંકળાવ કે ન સંકળાવ એનું મહત્ત્વ એક હદથી વધુ નથી. પણ તમે સમરસિયાઓ ભેગા મળીને આવું કશુંક અનૌપચારિક મિલન કરતા રહો અને વિવિધ વિષય પર વાત કરવાનું રાખો. કેમ કે, હવે વ્યક્તિગત સંવાદની જરૂર વધુ છે. ક્યારેક ક્યાંકથી અમને જાણવા મળે કે અમુક સ્થળે વિદ્યાર્થીઓ આને અનુસરે છે ત્યારે એ જાણીને આનંદ થાય.
કાર્યક્રમની કેટલીક તસવીરો.
(તસવીર સૌજન્ય: કેયુર અને નાઝનીન)
Labels:
Ayurvedic College,
Nadiad,
report,
અહેવાલ,
આયુર્વેદિક કોલેજ,
નડિયાદ
Sunday, September 14, 2025
મેરે કદમ જહાં પડે...
"આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા બીલીનું એક વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો."
(સુવર્ણપુરનો અતિથિ, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
"મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો."
(વાડામાં લીલા, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
સર્જક કોઈક કાલ્પનિક વિશ્વ રચે ત્યારે તેમાં ઘણી વાર તેના સ્વાનુભવો પડઘાતા જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી, પણ એમ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' સંપન્ન થયાનું આ સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. ત્રણેક વર્ષથી હું નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદિર' સાથે સંકળાયો છું. (અહીં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે એક વારમાં લખી શકાય એમ નથી. એ ઉપક્રમ ફરી ક્યારેક). આ સ્થળ એટલે ગોવર્ધનરામનું નિવાસસ્થાન. અહીં તેમણે બાલ્યાવસ્થા તેમજ ઉત્તરાવસ્થા ગાળી હતી. 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ તેમણે આ જ મકાનમાં લખેલો. આ કૃતિને ઘોળીને પી ગયા છે એવા મિત્ર પ્રો. હસિત મહેતા અવારનવાર આ મકાન અને તેના આસપાસના સ્થળોનો 'સરસ્વતીચંદ્ર'માં અપાયેલો સંદર્ભ આપતા હોય છે. પ્રો. નીરજ યાજ્ઞિક પણ આ સમગ્ર બાબતે જાણકાર. શબ્દશ: નહીં, પણ ગોવર્ધનરામે અમુક દૃશ્યો લખ્યાં ત્યારે તેમના મનમાં કયું લોકેશન હશે એનો કંઈક અણસાર આ રીતે મળતો રહે છે.
'ગોવર્ધનરામ સ્મૃમંદિર'નું મુખ્ય પ્રવેશદ્વાર નાગરવાડામાં આવેલી ઝગડીયા પોળ તરફથી છે. તો તેનું પાછલું બારણું વ્યાસફળિયામાં પડે છે. અહીંથી એક નાનકડો રસ્તો સંતરામ મંદિર તરફ નીકળે છે. પણ એ પહેલાં મહાદેવનું એક મંદિર આવે છે, અને ત્યાંથી પગથિયાં ઊતરીએ કે એક તળાવ છે. તળાવ જાળવણીની આપણી પરંપરા અનુસાર તેમાં નકરો કચરો ઠલવાયેલો છે અને ગંદકીનું ઘર છે. આ તળાવનું નામ 'મલાવ તળાવ'. ગોવર્ધનરામ અહીં વાંચવા કે ટહેલવા માટે આવતા હતા. હજી આજે પણ આ વિસ્તારમાં પાંખી અવરજવર જોવા મળે છે, તો સવાસો દોઢસો વરસ પહેલાં આ સ્થળ કેવું રમણીય હશે એનો કંઈક અણસાર મળી રહે છે.
| મલાવ તળાવથી આ પગથિયાં ચડીએ એટલે મહાદેવ આવે, અને એ પછી થોડાં ડગલાં ચાલતાં ગોવર્ધન સ્મૃતિમંદિર પહોંચાય. |
ક્યારેક મારે કાર લઈને નડિયાદ આવવાનું થાય, યા કારમાં કોઈક મુલાકાતી આવે અને તેમને કાર પાર્ક કરવાની હોય તો આ તળાવ આગળ કાર પાર્ક કરાવીએ છીએ. અને તળાવના પરિચયથી જ 'ગોવર્ધનતીર્થની યાત્રા'નો આરંભ થાય છે. એ નાનકડું મહાદેવ પણ મસ્ત છે.
સરસ્વતીચંદ્ર'ના ભાગ 1ના બે પ્રકરણમાં તળાવ અને મહાદેવનું જે વર્ણન કરાયું છે એ આ સ્થળને ઘણું મળતું આવે છે. અહીંથી જેટલી પણ વાર પસાર થવાનું બને ત્યારે એ વિચારે રોમાંચ થાય છે કે ક્યારેક ગોવર્ધનરામનાં પગલાં અહીં પડ્યાં હશે.
| વર્ષના બાકીના મહિનાઓમાં મલાવ તળાવ |
વરસના બાકીના મહિના કચરાના ઢગ જેવું બની રહેલા આ મલાવ તળાવનું ચોમાસાનું સૌંદર્ય જોવા જેવું છે. આપણે આપણા કામની ન હોય એવી તમામ ચીજોને 'નકામી' માની લઈએ છીએ, પણ અત્યારે પાણી પર પથરાયેલી લીલ તળાવને કેટલું અદ્ભુત સૌંદર્ય બક્ષે છે!
| ચોમાસામાં મલાવ તળાવનું સૌંદર્ય |
Subscribe to:
Posts (Atom)