નીરોને રંગવૈવિધ્ય ખૂબ પસંદ હતું. પોતાના સૈન્યની વિવિધ ટુકડીઓ માટે તેણે અલગ અલગ રંગ નિર્ધારીત કરેલા. આ સૈનિકો શિરસ્રાણમાં એક લાંબું પીંછું ખોસતા. આ પીંછાના રંગ પરથી અલગ અલગ ટુકડી અને તેના સેનાપતિની ઓળખ બનતી. જેમ કે, પીળા પીંછાવાળી ટુકડી, ભૂરા પીંછાવાળી ટુકડી, જાંબલી પીંછાવાળી ટુકડી વગેરે...
Wednesday, May 19, 2021
નીરો અને સેનાપતિઓ
Tuesday, May 18, 2021
નીરો અને ધર્મગુરુઓ
પ્રાચીન રોમમાં બાર મુખ્ય દેવીદેવતાઓ હતા. રોમનો પોતાનાં દેવદેવીઓ બાબતે અત્યંત આસ્થાળુ હતા. એ સમયે હજી ખ્રિસ્તી ધર્મ નવોસવો અમલી બનેલો. રોમનો ખ્રિસ્તીધર્મીઓને તિરસ્કારની નજરે જોતા. ખુદ નીરો ખ્રિસ્તીઓને ધિક્કારતો. જો કે, નીરો પોતાની જાત સિવાય કોને પ્રેમ કરતો એ કહેવું મુશ્કેલ હતું.
Monday, May 17, 2021
નીરો અને ઉત્સવો
નીરો એકદમ - 'કામાંધ' કહી શકાય એ હદે કામગરો હતો. ગાદીનો અખત્યાર સંભાળતાંની સાથે તે લોકોને જણાવી દેવા માંગતો હતો કે અત્યાર સુધી શાસન ભલે ગમે એમ ચાલ્યું, પણ હવે એ નહીં ચાલે. અલબત્ત, અત્યાર સુધીના રોમન શાસકોથી રોમના લોકો સંતુષ્ટ હતા, છતાં સંતોષ હોય કે આનંદ, એકધારાપણું (મોનોટોની) કંટાળો નીપજાવતું હોય છે. આથી સૌએ નીરોની વાતને ગંભીરતાથી લીધી. લોકોએ જાતે જ નીરો માટે એક સૂત્ર વહેતું કરી દીધું, 'એ જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી.' જો કે, નીરોએ કદી કોઈને આમ કહ્યું ન હતું. પણ સૂત્ર વહેતું થઈ જાય પછી જોઈતું'તું શું?
Saturday, May 15, 2021
નીરો અને વિશાળતા
વિશાળતા નીરોના વ્યક્તિત્ત્વની વિશેષતા હતી એમ કહી શકાય. તેની દૃષ્ટિ વિશાળ હતી. તેનું હૈયું પણ વિશાળ હતું. તેણે કરેલું રોમનું દર્શન અતિ વિશાળ હતું. અને તેના શાસનકાળ દરમિયાન લાગેલી આગ પણ અતિ અતિ વિશાળ બની રહી હતી.
Friday, May 14, 2021
નીરો અને સીલ
'મહોર' યા 'મુદ્રા', જેને અંગ્રેજીમાં 'સીલ' કહે છે તેનો ઉપયોગ આદિકાળથી થતો આવ્યો છે. હડપ્પન યુગમાં બળદની આકૃતિ ધરાવતી સીલ પ્રચલિત હતી, જે ઉત્ખનન દરમિયાન મળી આવી હતી. વિવિધ શાસકો પોતપોતાના શાસનમાં વિવિધ વ્યવહાર માટે સીલનો ઉપયોગ કરતા હતા. સામાન્યત: આ સીલનો ઉપયોગ મહત્ત્વના દસ્તાવેજો પર, મુખ્યત્વે વ્યાપારી કરારો પર તેમજ રાજકાજના દસ્તાવેજો પર થતો.
Thursday, May 13, 2021
નીરો અને અગ્નિશમનમાં નાગરિકોનું પ્રદાન
રોમન સંસ્કૃતિના સુવર્ણકાળ દરમિયાન એવી અનેક બાબતોનો પાયો નંખાયો, જેને પછીના યુગમાં વિવિધ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનિક ઢબે ચકાસી અને પુરવાર કરી. અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ સ્કૉટિશ રસાયણશાસ્ત્રી જોસેફ બ્લેક દ્વારા અઢારમી સદીના મધ્યકાળમાં ઓળખી બતાવવામાં આવ્યો. તેના ગુણધર્મો, અણુસૂત્ર તેમજ અન્ય લાક્ષણિકતાઓ વગેરે તેમણે ચકાસ્યાં. તેનું નામાભિધાન કરાયું. એનો અર્થ એ નહીં કે અંગારવાયુ એ પહેલાં અસ્તિત્વમાં નહોતો. આવી વૈજ્ઞાનિક શોધોને આથી જ 'discovery' અને એ શોધ કરવાની પ્રક્રિયાને 'to discover' (અનાવૃત્ત કરવું) કહે છે.
Wednesday, May 12, 2021
નીરો અને રમતો
નીરો સત્તાની સીડી ચડ્યો એ સીડીના પ્રત્યેક પગથિયે તેના કોઈ ને કોઈ કુટુંબીજન-સ્વજનનો મૃતદેહ હતો. રોમના ઘણા સર્જકો રીતસર પડાપડી કરી મૂકતા કે આ પગથિયા પર પોતાનો વારો આવે. એ માટેની મુખ્ય લાયકાત નીરોના સંભવિત સ્પર્ધક હોવાની હતી, જેમાં આ સર્જકો ગેરલાયક ઠરતા હતા. કેટલાક સર્જકોએ તો પોતાની જનેતાને ઉદ્દેશીને ઉપાલંભકાવ્યો લખ્યા હતા કે તેણે પોતાને કેમ રાજવંશમાં જન્મ ન આપ્યો.
Tuesday, May 11, 2021
નીરો અને કાવ્યપ્રેમ
રમતગમત અને કળા- આ બન્ને બાબતો એવી છે કે જે કોઈ પણ રાજ્યની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. નીરોએ આ બન્નેને પ્રોત્સાહન આપવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. નીરો પોતે કવિતા લખતો. આથી રોમના કવિઓને તે પોતાની જ બિરાદરીનો લાગતો. પોતાનાં કાવ્યસંગ્રહોનાં લોકાર્પણ નીરો પાસે કરાવવા માટે તે ઉત્સુક રહેતા. લોકાર્પણની નીરોની આગવી પદ્ધતિ હતી. તેને જનમેદની ખૂબ પસંદ હતી. આથી તે દરેક કાર્યક્રમો એ રીતે યોજતો કે લાખો લોકોની ઉપસ્થિતિ હોય. અરે, તે પોતાની મા અગ્રીપીનાને મળવા જાય ત્યારે પણ રસ્તાની બેય બાજુએ ઉપસ્થિત જનમેદની તેનું અભિવાદન કરતી.
Monday, May 10, 2021
નીરો અને નવો મહેલ
રોમન સ્થાપત્યો એક મિસાલરૂપ ગણાય છે. સ્વાભાવિકપણે જ નીરોને તેનું ઘણું આકર્ષણ હતું. આથી તેણે પોતાના આવાસ માટે એક ભવ્ય મહેલનું નિર્માણ કરવાનું વિચાર્યું. નીરો કશું પણ વિચારે એટલે સીધો એનો અમલ જ હોય. આયોજન પછી આવે. આ ભવ્ય મહેલ દોમસ ઓરિઆ/Domus Aurea તરીકે ઓળખાવાયો. અંગ્રેજીમાં તેને 'ગોલ્ડન પેલેસ' કહી શકાય.
![]() |
| દોમસ ઓરિઆ |
![]() |
| દોમસ ટ્રાન્ઝિટોરિઆ |
Sunday, May 9, 2021
નીરો અને બહુમતી
લોકશાહી શાસનવ્યવસ્થા હજી ખાસ વિકસીત નહોતી, એ કાળે નીરો એમાં શ્રદ્ધા ધરાવતો હતો. સૌ જાણે છે એમ લોકશાહીનો પ્રાણ 'લોકો વડે, લોકોની, લોકો માટેની શાસનપદ્ધતિ' જેવું સૂત્ર નથી. લોકશાહીનો સાદો, સરળ અને સુંદર અર્થ છે બહુમતી. એટલે કે જે પક્ષમાં વિશેષ મતનો જુમલો હોય એ પક્ષ. ('જુમલો' અહીં ગુજરાતી અર્થમાં છે) બહુમતી કેમ? સીધી વાત છે કે કોઈ એકલદોકલ માણસ હોય તો પોતાનો અમુક મત પ્રગટ કરવા પાછળ તેનું સ્થાપિત હીત હોઈ શકે, પણ બહુમતીમાં એ શક્યતા સાવ પાતળી. નીરોના હૈયે રોમનું અને રોમનોનું હીત સદાકાળ હતું, આથી તે જે કંઈ નિર્ણય લેતો એ બહુમતીથી લેતો.
Friday, May 7, 2021
નીરો અને વિષજ્ઞ
શાસક ગમે એવો એકહથ્થુ સત્તામાનસ ધરાવતો હોય, શાસન માટે તેને વિશ્વાસુ લોકોની જરૂર હંમેશાં પડતી હોય છે. નીરો તો એક પ્રજાવત્સલ, માનવ-પશુ-પક્ષીને સમભાવે નિહાળનાર શાસક હતો. તે હંમેશાં વિવિધ નિર્ણય લેતાં અગાઉ પોતાના વિશ્વાસુઓની સલાહ લેતો. આરંભિક કાળમાં આ ભૂમિકા તેના ગુરુ સેનેકા, માતા અગ્રીપીના અને બુરસ દ્વારા ભજવાતી.
![]() |
| લોકસ્તા |
ક્લોડિયસની ત્રીજી પત્નીના પુત્ર બ્રિટેનિકસ માટે એક ખાસ વિષમિશ્રણ તૈયાર કરવાનું કામ ખુદ નીરોએ લોકસ્તાને સોંપ્યું. અગ્રીપીનાની સરખામણીએ નીરો સહેજ દયાળુ ખરો. ગમે એમ તોય બ્રિટેનિકસ પોતાનો ભાઈ હતો. આથી તેને સહેજ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખવાની ચેતવણી નીરોએ લોકસ્તાને આપી. કોણ જાણે કેમ, પણ લોકસ્તાએ તૈયાર કરેલું વિષ એટલું ત્વરિત અસર કરનારું ન નીકળ્યું. નીરો આથી ક્રોધિત થઈ ગયો. પોતાનો ઓરમાન ભાઈ રિબાઈ રિબાઈને મરે એ શી રીતે સહન થાય? તેણે લોકસ્તાને ધમકાવી, ફટકારી અને સારી ગુણવત્તાવાળું વિષ તૈયાર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
![]() |
| લોકસ્તા અને નીરો |
આગળ જતાં એવો પણ વખત આવ્યો કે નીરોએ ખુદ પોતાને માટે લોકસ્તા પાસે વિષ મંગાવ્યું. એક સુવર્ણ પાત્રમાં લોકસ્તાએ એ પ્રેમપૂર્વક મોકલ્યું. નીરો માટે ખાસ તૈયાર કરાયેલું વિષ પહેલી ધારનું હતું? એ કેટલું અસરકારક નીવડ્યું? આ સવાલના જવાબ મળે એ પહેલાં જ નીરોના જીવનનો અન્ય રીતે અંત આવી ગયો.
Thursday, May 6, 2021
નીરો અને પશુપક્ષીપ્રેમ
પોતાનાં સ્વજનો અને વડીલો પ્રત્યે હતો એવો જ આદર નીરોને મૂંગા પશુઓ પણ હતો. 'મૂંગા પશુઓ' તેના રાજ્યમાં હતા, એનો અર્થ એ કે 'બોલતાં પશુઓ' પણ હતાં. મૂંગા પશુઓ પ્રત્યે નીરોને આદરથી પણ એક ડગલું આગળ, કરુણા હતી. રોમની આસપાસના વન વિસ્તારમાં અનેક સિંહ અને વાઘ હતા. જંગલમાં આ વાઘસિંહને શિયાળવાં, વાંદરા કે હાથી જેવાં પ્રાણીઓ હેરાન ન કરે એટલા માટે નીરો તેમને રોમમાં લઈ આવ્યો હતો. કોલોઝિયમના એક ભંડકિયામાં નીરોએ તેમને રાખેલા. બેઠાડુ જીવન જીવવાથી તેઓ કોઈ રોગના ભોગ ન બને એટલા માટે તેમને અઠવાડિયે એક વાર જ ખોરાક અપાતો. 'બોલતાં પશુઓ' તેમને ધરાવાતાં. અઠવાડિયાના ભૂખ્યા સિંહ કે વાઘ આ 'બોલતાં પશુઓ' પર તૂટી પડતા. એ રીતે રોમમાં સફાઈ પણ જળવાતી, અને વાઘસિંહનું આરોગ્ય પણ સચવાઈ જતું.
Wednesday, May 5, 2021
નીરો અને વિનમ્રતા
નીરો એક વિનમ્ર શાસક હતો. તેના દિમાગમાં સત્તાની રાઈ જરાય ભરાયેલી નહોતી. આ રાઈ એવા લોકોના દિમાગમાં ભરાય કે જેમના હાથમાં એ અનાયાસે આવી ગઈ હોય. નીરોને કિશોરાવસ્થાથી જ ખબર હતી કે પોતે યોગ્ય સમયે રોમની ગાદી સંભાળવાની છે.
Tuesday, May 4, 2021
નીરો અને તેના ગુરુ
રોમમાં નીરોના શાસનકાળ દરમિયાન અનેક એવી ઘટના કે દુર્ઘટના બની કે જેમાં તેનો જાન લેવાનો પ્રયાસ થયો હોય. અલબત્ત, આ પ્રયાસ દરેક વખતે અલગ અલગ લોકો દ્વારા થતા. વિવિધ વર્ગના લોકોમાં નીરોની એ લોકપ્રિયતા સૂચવતા હતા.
આવી જ એક મહત્ત્વની ઘટના સાથે પીસો નામના રોમન રાજપુરુષનું નામ જોડાયેલું છે. 'પીસોનિયન કોન્સ્પીરસી' એટલે 'પીસોએ ઘડેલું કાવતરું.' મુખ્ય વાત અહીં પીસોની કે કાવતરાની નથી, પણ જે પાત્રની વાત છે એની પૃષ્ઠભૂમિ માટે આ જાણવું જરૂરી છે.
![]() |
| પીસો |
![]() |
| સેનેકાનું મૃત્યુ |


/religion-in-ancient-rome-526868808-5898e63a5f9b5874eef20577.jpg)





















