Showing posts with label રોમ અને નીરો. Show all posts
Showing posts with label રોમ અને નીરો. Show all posts

Wednesday, May 19, 2021

નીરો અને સેનાપતિઓ

નીરોને રંગવૈવિધ્ય ખૂબ પસંદ હતું. પોતાના સૈન્યની વિવિધ ટુકડીઓ માટે તેણે અલગ અલગ રંગ નિર્ધારીત કરેલા. આ સૈનિકો શિરસ્રાણમાં એક લાંબું પીંછું ખોસતા. આ પીંછાના રંગ પરથી અલગ અલગ ટુકડી અને તેના સેનાપતિની ઓળખ બનતી. જેમ કે, પીળા પીંછાવાળી ટુકડી, ભૂરા પીંછાવાળી ટુકડી, જાંબલી પીંછાવાળી ટુકડી વગેરે...


આ પૈકી લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ જરા મહત્ત્વાકાંક્ષી હતો. નીરોએ શાસન સંભાળ્યા પછી તેની નજરમાં વસવા માટે લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ અવનવી યોજના વિચારવા લાગ્યો. તે જાણતો હતો કે નીરોની નજરે દરેક રંગના પીંછાવાળા સેનાપતિ સરખા છે. આ જ બાબત તેના મનને કોરી ખાવા લાગી. થોડા સમયમાં એક તક તેણે ઊભી કરી. તેણે વિચારેલો ખેલ ખતરનાક હતો. એમાં નિષ્ફળ જવાય તો સેનાપતિ તરીકેની પોતાની કારકિર્દી દાવ પર લાગી જાય એમ હતી. પણ....એમાં સફળ થવાય તો નીરો તેને સરસેનાપતિના પદે બઢતી આપી દે એની લગભગ ખાતરી હતી.
લાલ પીંછાવાળા સેનાપતિના આડોશપાડોશના પ્રાંતોમાં અનેક સંપર્કો હતા. સેનાપતિઓના સંપર્કો કંઈ દ્રાક્ષ-સફરજનના વેપારીઓ સાથે ન હોય! એ લોકોના પરિચયમાં અવનવા શસ્ત્રોના ઉત્પાદકો, વેપારીઓ, ભાંગફોડિયાઓ, ચોરલૂંટારા, નાના મોટા હત્યારાઓ સહિતના અનેક લોકો હોય, અને આ સંપર્કોનો સેનાપતિઓ યથાસમયે ઉપયોગ પણ કરી લેતા હોય!
લાલ પીંછાવાળા સેનાપતિએ આવા એક પરિચયનો ઉપયોગ કરવાની યોજના ઘડી કાઢી. રોમની પડોશના એક પ્રાંતમાં લૂંટ-હત્યા આચરતો એક માણસ હતો. લાલ પીંછાવાળા સેનાપતિએ તેને ‘વ્યવસાય વિસ્તરણની ઉજ્જ્વળ તકો માટે’ રોમ આવવાનું નિમંત્રણ આપ્યું. નિમંત્રણની સાથે કેટલીક શરતો પણ હતી. પેલો તો લૂંટારો હતો. રોમના એક સેનાપતિની ઓથ હોય તો પછી શી ચિંતા? એમ વિચારીને એ રોમ આવવા નીકળ્યો.
વહેલી સવારે તે રોમના પાદરમાં પ્રવેશ્યો. લાલ પીંછાવાળા સેનાપતિ જાણે કે તેની રાહ જોઈને ઊભા હતા. લૂંટારાએ ઘોડા પરથી નીચે ઉતરીને, છાતીએથી સહેજ ઝૂકીને સેનાપતિનું અભિવાદન કર્યું. હજી એ કંઈ સમજે એ પહેલાં આસપાસથી લાલ પીંછાવાળા સૈનિકો ધસી આવ્યા. તેમણે પેલા લૂંટારાને ઘેરી લીધો. તેની છાતીમાં તલવાર આરપાસ ખોસી દીધી. તેના મૃતદેહને ઘોડાની પાછળ બાંધવામાં આવ્યો. એ જ રીતે તેને છેક નીરોના મહેલ સુધી લઈ જવામાં આવ્યો.


ત્યાં સુધીમાં અન્ય રંગનાં પીંછાવાળા સેનાપતિઓએ નીરોને સમાચાર પહોંચાડી દીધા હતા. લૂંટારાની લાશને ઢસડતો ઘોડો અને એ ઘોડાની પાછળ લાલ પીંછાવાળા સેનાપતિ આવી પહોંચ્યા. નીરો કશું પૂછે એ પહેલાં જ લાલ પીંછાવાળા સેનાપતિએ નીરો સમક્ષ નિવેદન કર્યું, ‘સમ્રાટ, આ ખતરનાક હત્યારો આપની પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે ધસી આવતો હતો. અમે એને રસ્તામાં જ ઝબ્બે કરી દીધો.’ આ સાંભળીને નીરો હસી પડ્યો. તેણે સીધો સવાલ કર્યો, ‘તમને મારા જીવની ચિંતા છે કે પછી સરસેનાપતિ બનવાની ઉતાવળ?’ નીરોએ આગળ ચલાવ્યું, ‘લાલ પીંછાવાળા સેનાપતિ, આવી બધી રમતો હું બ્રિટેનિકસ સાથે રમતો.’ નીરોએ આકાશ તરફ જોઈને કહ્યું, ‘બ્રિટેનિકસ! બિચારો ભોળિયો જીવ હતો!’
નીરોએ તાળી પાડવા હાથ પહોળા કર્યા. બે હથેળીઓ એકબીજા સાથે ટકરાય એ પહેલાં જ લાલ પીંછાવાળા સૈનિકો ભાલા સાથે હાજર થઈ ગયા. તેમણે પોતાના જ સેનાપતિને પકડી લીધા અને તેમના હાથ બાંધી દીધા. નીરોએ સૈનિકોને તાકીદ કરી, ‘એમને ઘેરથી ભોજન લાવવાની અને મુલાકાતીઓને મળવાની છૂટ આપજો.’
લાલ પીંછાવાળા સેનાપતિને જેલમાં નાખવામાં આવ્યા. જોતજોતાંમાં સમગ્ર રોમમાં આ વાત પ્રસરી ગઈ. રોમની જનતાને આનાથી ખાસ ફરક ન પડ્યો, પણ રોમના પ્રબુદ્ધજનો માટે મૂંઝવણ ઊભી થઈ ગઈ. નીરોને ટેકો આપવો કે લાલ પીંછાવાળા સેનાપતિને, કે જે પોતે નીરોનો જ પ્રતિનિધિ હતો! મુલાકાતીઓને મળવાની છૂટ હોવાથી રોમના પ્રબુદ્ધજનો લાલ પીંછાવાળા સેનાપતિની મુલાકાતે જવા લાગ્યા. જેલમાં મળતી નવરાશનો સદુપયોગ તે કવિતા લખવામાં કરે એવાં સૂચન તેમને મળવા લાગ્યાં. એક પ્રબુદ્ધજને એ સેનાપતિને કહ્યું, ‘હું તમને સમગ્ર રોમ વતી કહેવા આવ્યો છું કે આ મુશ્કેલ ઘડીએ અમે તમારી સાથે છીએ.’ આવી વિષમ પરિસ્થિતિમાં પણ લાલ પીંછાવાળા સેનાપતિને આ પ્રબુદ્ધજનના ભોળપણ પર હસવું આવી ગયું. તેણે જરાય કટાક્ષ વગર એ પ્રબુદ્ધજનને પૂછ્યું, ‘તમારાથી ચાર ઘર દૂર તમારું નામ પૂછીએ તોય કોઈ તમારા સરનામાની કોઈને ખબર હોતી નથી. અને તમે સમગ્ર રોમ વતી કહેવા આવ્યા?’
આ સાંભળીને એ પ્રબુદ્ધજને સહેજ પણ ઓઝપાયા વિના કહ્યું, ‘તમે મારા વિશે ગ્રીસમાં પૂછો, મોરોક્કોમાં પૂછો, આર્મેનિયામાં પૂછો.’
લાલ પીંછાવાળા સેનાપતિએ ચર્ચા વધુ ન લંબાવતાં બે હાથ જોડીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું. આમ ને આમ, લાલ પીંછાવાળા સેનાપતિના દિવસો જેલમાં પસાર થતા રહ્યા. આ સમયગાળામાં નીરોનું કદ ઘણું વિસ્તર્યું, તેની ધાક બરાબર જામી. રોમના પ્રબુદ્ધજનો હવે લાલ પીંછાવાળા સેનાપતિને તેમના હાલ પર છોડીને સીધા નીરો સાથે સંપર્ક સ્થાપવા લાગ્યા.

Tuesday, May 18, 2021

નીરો અને ધર્મગુરુઓ

પ્રાચીન રોમમાં બાર મુખ્ય દેવીદેવતાઓ હતા. રોમનો પોતાનાં દેવદેવીઓ બાબતે અત્યંત આસ્થાળુ હતા. એ સમયે હજી ખ્રિસ્તી ધર્મ નવોસવો અમલી બનેલો. રોમનો ખ્રિસ્તીધર્મીઓને તિરસ્કારની નજરે જોતા. ખુદ નીરો ખ્રિસ્તીઓને ધિક્કારતો. જો કે, નીરો પોતાની જાત સિવાય કોને પ્રેમ કરતો એ કહેવું મુશ્કેલ હતું.

પ્રત્યેક દેવદેવીઓના ફાંટાફિરકા અને એ દરેકનાં વિધિવિધાન હતાં. પોન્ટીફેક્સ તરીકે ઓળખાતા ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં, તેમના શુભ હસ્તે આ વિધિવિધાન સંપન્ન થતાં. આ પોન્ટીફેક્સનું ઠીકઠીક વર્ચસ્વ આસ્થાળુઓ પર રહેતું. લોકો પોતાનાં બાળકના નામ માટે રોમન કવિઓ કે લેખકોનો નહીં, પોન્ટીફેક્સનો સંપર્ક કરતા. ક્યારેક કોઈ ખ્રિસ્તીની હત્યા પોતાનાથી થઈ જાય તો તેનો આનંદ પણ સૌથી પહેલો પોન્ટીફેક્સ સમક્ષ વ્યક્ત કરવા અમુક રોમનો દોડી જતા. ઘણા રોમન સૈનિકો ઋજુહૃદયી હતા. ખરાખરીની લડાઈ ન થાય અને લોહી ન વહે તો તેમને કોઈનો જાન લીધાનો સંતોષ થતો નહીં. આથી તેઓ સાંકળથી હાથપગ બંધાયેલાં હોય એવા નિ:શસ્ત્ર ગુલામના હાથમાં ક્યારેક તલવાર પકડાવી દેતા અને તેને જાતે જ પોતાના શરીર પર ઘા મારવાનો હુકમ કરતા. આ રીતે ગુલામો ઘવાતા. લોહી વહેતું અને એ પછી પેલા સૈનિકો એ ગુલામને હણતા. સૈનિકોને ખ્યાલ હતો કે આ રીત યોગ્ય નથી, એમ તેઓ એ પણ જાણતા હતા કે આ ગુલામ આ જીવનમાં કદી પોતાની સામે લડી શકવાનો નથી. આવી કશ્મકશ પછી એ ગુલામનો જાન લીધા પછી તેમને અસુખ લાગતું. એવે વખતે પોન્ટીફેક્સ દર્શનશાસ્ત્ર અને રોમન પુરાણોમાંથી ઉદાહરણ ટાંકીને તેમના મનનું સમાધાન કરાવતા. ટૂંકમાં રોમના વિવિધ પ્રજાજનો પર વિવિધ પોન્ટીફેક્સનો પ્રભાવ રહેતો. રોમના શાસકો પણ પોન્ટીફેક્સનો આદર કરતા.


નીરો તમામ પોન્ટીફેક્સનો આદર કરતો. રોમન પરંપરા અનુસાર ઝૂકીને આદર આપવાનું તેને ફાવતું નહોતું, કેમ કે, પોતાનું પેટ આડે આવતું હતું. આથી નીરો તેમની મુઠ્ઠી સાથે પોતાની મુઠ્ઠી હળવેકથી ટકરાવતો. પોતપોતાના પોન્ટીફેક્સને મળતું આવું વિશેષ સન્માન જોઈને તેમના અનુયાયીઓ હરખાતા. ધીમે ધીમે આ અનુયાયીઓ પોતાના પોન્ટીફેક્સને ભગવાન સમકક્ષ ગણવા લાગ્યા.
વરસમાં ત્રણ-ચાર વખત નીરો તમામ પોન્ટીફેક્સને પોતાને ત્યાં ભોજન માટે નોંતરતો. આ મિલન સાવ અનૌપચારિક રહેતું. નીરો ઊંચા આસને બિરાજતો, જ્યારે પોન્ટીફેક્સ આરસની ભોંય પર ઊભા પગે બેસતા. ભોજન પહેલાં નીરો લાયરવાદન કરતો.
એક વખત નીરોએ પોન્ટીફેક્સને ભોજન માટે નોંતરેલા અને તે લાયરવાદન કરી રહ્યો હતો. નીરોએ અધવચ્ચે વાદન અટકાવ્યું અને ઊંચે જોઈને પૂછ્યું, ‘ભૂખ લાગી છે ને?’ શો જવાબ આપવો એની કોઈ પોન્ટીફેક્સને સમજ ન પડી. છેવટે એક જાડીયા પોન્ટીફેક્સે સહેજ ડરતાં ડરતાં ‘હા’ પાડી. નીરો નવાઈથી તેમની સામે જોઈ રહ્યો. તેણે પૂછ્યું, ‘મેં તમને ક્યાં પૂછ્યું છે?’ આમ કહીને નીરોએ તાળી પાડી. એ સાથે જ એક માણસ સાંકળે બાંધેલા વાઘને લઈને ખંડમાં આવ્યો. નીરોએ હસીને વાઘ તરફ આંગળી ચીંધી અને બોલ્યો, ‘હું આને પૂછતો હતો. ચાલો, તમે હવે ‘હા’ પાડી છે તો...’ પછી વાઘ તરફ ડોકું ફેરવીને કહ્યું, ‘આનો આજનો ટંક તો નીકળી જશે.’ આ સાંભળીને પેલા જાડીયા પોન્ટીફેક્સ ફસડાઈ પડ્યા. પછી તે ઊભા થયા અને દોડીને નીરોના પગ પકડવા લાગ્યા. પલાંઠી વાળીને બેઠેલા નીરોએ પલાંઠી ખોલીને પગ લાંબા કર્યા, જેથી પોન્ટીફેક્સને એ પકડવામાં સુવિધા રહે. નીરોના પગ પકડીને પોન્ટીફેક્સ કરગરવા લાગ્યા, ‘મારી ભૂલ થઈ ગઈ. મારો પરિવાર ભૂખે મરી જશે. મારા અનુયાયીઓનું શું થશે? રોમના જ નહીં, સમગ્ર વિશ્વના સમ્રાટ એવા હે નીરો! મને બચાવી લો.’

 

બાજુમાં પડેલા આરસના એક બાઉલમાંથી નીરોએ દ્રાક્ષ તોડી. એને દબાવી. એમાંથી પીચકારી છૂટી, જેની સેર પોન્ટીફેક્સના હોઠ પર પડી. નીરો એકદમ હસી પડ્યો અને બોલ્યો, ‘અરે! તમે તો ગંભીર થઈ ગયા. હું ગમ્મત કરતો હતો.’ હજી પેલા પોન્ટીફેક્સ કરગરી રહ્યા હતા. કેમે કરીને પગ છોડતા જ નહોતા. નીરોએ તેમને બેય હાથે ઊભા કર્યા અને કહ્યું, ‘પોન્ટીફેક્સ, એક વસ્તુ ધ્યાનમાં રાખવી. તમારા ધર્મસ્થાનોમાં ગમે એટલા કવિઓ-લેખકો ભેગા કરો અને કવિતા-કવિતા કે વાર્તા-વાર્તા રમો...પણ તમારા હોદ્દાનો ખ્યાલ રાખો, સમજ્યા ને? તમે એ બધાને એમ દ્રાક્ષનો આસવ પીવડાવવા નીકળી પડો એ ન ચાલે, સમજ્યા? તમે છેવટે મારા પ્રતિનિધિ છો.’ પોન્ટીફેક્સ હજી ધ્રુજી રહ્યા હતા. માંડ માંડ તે બોલી શક્યા, ‘મને મારી વિનમ્રતા આડે આવે છે. શું કરું? આપ જ સૂચવો.’ નીરોએ તેમનો ખભો થપથપાવ્યો અને માથે હાથ પસવારતાં કહ્યું, ‘અમારો આ અપોલો છે એને વિનમ્ર લોકો બહુ પસંદ છે. ખરું ને, અપોલો?’ પોન્ટીફેક્સ કશું સમજે એ પહેલાં વાઘની ત્રાડ તેમને કાને પડી. નીરોએ કહ્યું, ‘બોલો, પોન્ટીફેક્સ! ફાવી જશે ને?’ પોન્ટીફેક્સ બોલી ઉઠ્યા, ‘ફાવશે. ફાવી જશે. ફાવી ગયું. ’
બાકીના અગિયાર પોન્ટીફેક્સની જુબાન જાણે કે સિવાઈ ગઈ હતી. નીરો હવે એમની નજીક ગયો. તેમને સમૂહમાં ઉદ્દેશીને બોલ્યો, ‘પોન્ટીફેક્સ છો, તો પોન્ટીફેક્સની જેમ રહેજો. નાણાંકીય ગોલમાલ, યુવતીઓને ફોસલાવવી, વસૂલી, જમીન પર દબાણ, બનાવટી ઓસડિયાં....હું બેઠો છું ત્યાં સુધી આ બધું કરવાની તમારી હિંમત શી રીતે ચાલી? તમને મેં અહીં બેસાડ્યા છે શેના માટે? આ બધું મારી જાણબહાર કરવા માટે?’
પેલા અગિયારે જણાએ નકારમાં ડોકું ધુણાવ્યું. નીરો હસી પડ્યો અને કહે, ‘તમે તમારી ફરજ પણ ભૂલી ગયા. આ બધા માટે તો તમને બેસાડ્યા છે. પણ તમે મારાથી હિસાબ છુપાવો એ કેમ ચાલે? મને બતાવવાનો ચોપડો અલગ, અને તમારો ચોપડો અલગ! વાંધો નહીં.’ આમ કહી તેણે અપોલો સામે જોયું અને કહ્યું, ‘અપોલો, આજનો દિવસ બેઈમાન માણસોથી ચલાવી લે. છે તો પવિત્ર જ! આપણા પોન્ટીફેક્સ જ છે.’ અપોલોએ ત્રાડ પાડી. નીરોએ દૂરથી જ કહ્યું, ‘સારું, સારું. વિનમ્ર માણસ પણ આપીશ. પણ અહીં ગંદકી ન જોઈએ. જ્યુપીટર અને નેપચ્યૂનને પણ થઈ રહેશે.’
નીરો પોતાનું લાયર ત્યાં જ મૂકીને ખંડની બહાર નીકળી ગયો. એ રાતે નીરો ફક્ત દ્રાક્ષ ખાઈને સૂતો. બીજા દિવસે બાર પોન્ટીફેક્સની એકસામટી નવી નિમણૂંકની ઘોષણા કરવામાં આવી. રોમનોને પહેલાં નવાઈ લાગી, પણ ‘નીરો છે તો કંઈ પણ સંભવ છે’ એમ માનીને તેમણે આ ઘોષણાને દૈવી સંકેત ગણીને વધાવી લીધી.

(By clicking image, the URL will be reached) 

Monday, May 17, 2021

નીરો અને ઉત્સવો

 નીરો એકદમ - 'કામાંધ' કહી શકાય એ હદે કામગરો હતો. ગાદીનો અખત્યાર સંભાળતાંની સાથે તે લોકોને જણાવી દેવા માંગતો હતો કે અત્યાર સુધી શાસન ભલે ગમે એમ ચાલ્યું, પણ હવે એ નહીં ચાલે. અલબત્ત, અત્યાર સુધીના રોમન શાસકોથી રોમના લોકો સંતુષ્ટ હતા, છતાં સંતોષ હોય કે આનંદ, એકધારાપણું (મોનોટોની) કંટાળો નીપજાવતું હોય છે. આથી સૌએ નીરોની વાતને ગંભીરતાથી લીધી. લોકોએ જાતે જ નીરો માટે એક સૂત્ર વહેતું કરી દીધું, 'એ જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી.' જો કે, નીરોએ કદી કોઈને આમ કહ્યું ન હતું. પણ સૂત્ર વહેતું થઈ જાય પછી જોઈતું'તું શું?

રોમન નાગરિકો અત્યાર સુધી બેસીને ભોજન લેતા હતા. નીરોના સૂત્રને સાર્થક કરવા માટે તેમણે ઊભે ઊભે ભોજન લેવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી રોમન લેખકો બેઠા બેઠા લેખનકાર્ય કરતા હતા. તેમણે હવે ઊભે ઊભે લખવાનું શરૂ કરી દીધું. 'જંપીને બેસવા દેતો નથી'નો મંત્ર એટલો પ્રસર્યો કે મૃતદેહોને અગ્નિદાહ આપતી વખતે પણ તેમને સૂવાડવાને બદલે કશાકના ટેકે ઊભા રખાતા અને અગ્નિદાહ અપાતો. દફન થનારા મૃતદેહોને હવે ઊભા જ ખાડામાં ઊતારાતા. નીરોએ આમાંનું કશું કરવાનું કહ્યું ન હતું, પણ લોકો નીરોના આદેશને ઝીલવા તત્પર બની ગયા હતા.
નીરોએ ઘોષિત કર્યું કે પોતે હવેથી 23 કલાક કામ કરશે. આ જાણીને રોમનોને થયું કે આવો શાસક કદી થાવો નથી. કોઈકે નીરોને પૂછ્યું હોત તો જાણવા મળત કે નીરોએ ખરેખર તો કામના પોતાના કલાકો ઘટાડી દીધા હતા. આખા સપ્તાહના થઈને 23 કલાક કામ કરવાનું તેના મનમાં હતું, જ્યારે અગાઉના શાસકો સરેરાશ સો કલાકથી વધુ કામ કરતા.
રોમન લોકોનો મળી રહેલો પ્રતિસાદ જોઈને નીરોને થયું કે રોમનો પોતે ધાર્યું હતું એટલા મૂરખ નથી, પણ ધાર્યા કરતાં અનેકગણા મૂરખ છે. તેણે કેટલીક વધુ યોજનાઓ જાહેર કરી.
રોમની એક મોટી અશ્વશાળા હતી, જ્યાં સૈન્યમાં વપરાતા ઘોડાઓને રાખવામાં આવતા. આ ઘોડાઓની સંભાળ માટે વિવિધ કક્ષાના કર્મચારીઓ હતા, જેમાં અશ્વપતિના મુખ્ય હોદ્દાથી લઈને અશ્વલાદઉત્થાપક જેવા સૌથી નીચલી પાયરીના કર્મચારીઓ સુધીનો સમાવેશ થતો હતો. આ સૌ રાજ્યના સવેતન કર્મચારીઓ હતા. તેમને વેતન પ્રતિ સપ્તાહ ચૂકવાતું. નીરોએ આ પ્રથા બંધ કરીને માસિક ધોરણે વેતન ચૂકવવાનું શરૂ કર્યું. અત્યાર સુધી રાજ્યની તિજોરીમાંથી આ કર્મચારીઓને સીધું વેતન ચૂકવાતું. તેને બદલે હવે મહિને એક વાર રોમના કોલોઝિયમમાં 'વેતનોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું. રોમના લાખો લોકોની હાજરીમાં આ કર્મચારીઓને તેમનું વેતન ચૂકવવામાં આવતું. એક એક કર્મચારીનું નામ બોલાતું, હોદ્દો બોલાતો, અને વેતનની રકમ પણ! આ દરેક ઘોષણાને રોમના નાગરિકો તાળીઓથી વધાવી લેતા. સમ્રાટે વેતનમાં જબરદસ્ત વૃદ્ધિ કરી દીધી હોવાથી પોતાનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હોવાનો તેમને ગર્વ થતો.


'વેતનોત્સવ' યોજનાને રોમનોનો જે પ્રતિભાવ મળ્યો એ નીરોની ધારણા મુજબનો હતો. હવે આગળનું પગલું ભરવાનો સમય પાકી ગયો હતો. નીરોએ જોયું કે ઘણા વખતથી રોમ પર બહારનું કોઈ આક્રમણ થયું નથી. જે કંઈ કત્લેઆમ થઈ છે એ તો રાજ્યની આંતરિક ખટપટને કારણે છે. એમ કરવામાં થોડા વફાદાર સેવકો પૂરતા છે. તેણે અશ્વશાળાના તમામ હોદ્દેદારોને તેમના હોદ્દેથી ફારેગ કરી દીધા. એને બદલે તેણે સહાયકો નીમી દીધા. એટલે કે અશ્વપતિના સર્વોચ્ચ હોદ્દે અશ્વપતિ સહાયક હોય, એમ અશ્વલાદઉત્થાપકના સૌથી નીચલા હોદ્દે પણ અશ્વલાદઉત્થાપકસહાયક હોય. આ સહાયક કર્મચારીઓનું વેતન નિર્ધારીત, તેમાં કશી વૃદ્ધિ નહીં, અને તેમણે આખું વરસ સેવા કરવી પડતી. આને કારણે જે મૂળ હોદ્દેદારો હતા એ હવે ફાજલ પડ્યા. નીરોએ તેમને અન્ય અનેક ઉત્પાદક કામોમાં જોતરવા માંડ્યા, જેમ કે, રોમના મુખ્ય બગીચાઓમાં આવેલાં વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ ગણવા, રોમના મુખ્ય રસ્તાની બન્ને બાજુએ આવેલાં વૃક્ષો પર બેઠેલાં ફળોની ગણતરી કરવી, રોમના સરોવરમાં રહેલી દોઢ ઈંચ લંબાઈની માછલીઓ ગણવી વગેરે...આનાં પરિણામ ઝપાટાભેર મળવા માંડ્યાં. અશ્વશાળાના સહાયકો ખુશ રહેતા, એમ અશ્વશાળાના અસલ હોદ્દેદારો પણ રાજી રહેતા. તેઓ પોતાનો રાજીપો દરેક જણ સમક્ષ પ્રગટપણે વ્યક્ત કરતા, કેમ કે, તેમને અંદાજ નહોતો કે કયો માણસ નીરોનો જાસૂસ હશે.
અશ્વશાળાનું મોડેલ નીરોએ રોમનાં અન્ય ક્ષેત્રે પણ લાગુ પાડ્યું. દરમિયાન કોલોઝિયમમાં વિવિધ ઉત્સવો યોજાતા રહ્યા અને રોમનો તેનો આનંદ લૂંટતા રહ્યા. પહેલાં દર મહિને યોજાતા ઉત્સવો પછી દર સપ્તાહે, અને ધીમે ધીમે રોજેરોજ યોજાવા લાગ્યા.
રોમન ન્યાયપ્રણાલિને પણ નીરોએ ઉત્સવનું સ્વરૂપ આપી દીધું. 'સજામુક્તિઉત્સવ' ભાગ્યે જ યોજાતો, પણ 'કારાવાસોત્સવ', 'કોરડાઉત્સવ', 'શિરચ્છેદોત્સવ' નિયમિતપણે યોજાવા લાગ્યા. રોમન નાગરિકો હવે 'જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી' સૂત્રનો ગૂઢાર્થ સમજ્યા હતા. આજ સુધી રોમના કોઈ શાસકે લોકોના મનોરંજનની આટલી ખેવના કરી ન હતી. એ શાસકોએ રોમનોને યુદ્ધમાં જ વ્યસ્ત રાખ્યા હતા.
અલબત્ત, રોમન સેનેટમાં કેટલાક લોકો નીરોની આવી હરકતોથી નારાજ હતા. નીરોને એની જાણ હતી, પણ મુઠ્ઠીભર સેનેટને કોણ પૂછે? રોમન નાગરિકોની ખુશી વધુ અગત્યની હતી! પોતાની લોકપ્રિયતા વધારવા માટે નીરોએ વધુ એક ઘોષણા કરી. હવે પોતે 23 નહીં, પણ 24 કલાક કામ કરશે. આ સાંભળીને રોમનો હર્ષઘેલા થઈ ગયા. 23ને બદલે 24 કલાક કામ કરવાથી રોમની કાયાપલટ કઈ હદે થઈ જશે એ વિચારીને તેઓ રોમાંચિત થઈ ગયા.

(By clicking image, the URL will be reached)

Saturday, May 15, 2021

નીરો અને વિશાળતા

વિશાળતા નીરોના વ્યક્તિત્ત્વની વિશેષતા હતી એમ કહી શકાય. તેની દૃષ્ટિ વિશાળ હતી. તેનું હૈયું પણ વિશાળ હતું. તેણે કરેલું રોમનું દર્શન અતિ વિશાળ હતું. અને તેના શાસનકાળ દરમિયાન લાગેલી આગ પણ અતિ અતિ વિશાળ બની રહી હતી.

સાથીસંગાથીઓની હત્યા નીરો કેવળ રાજકાજના ભાગરૂપે કરતો હતો. હકીકતમાં તે એક કળાપ્રેમી શાસક હતો. માતા અગ્રીપીનાના મૃત્યુ પછી નીરોએ વધુ સમય કળા અને સંગીત પાછળ ગાળવા માંડ્યો. અગ્રીપીના તેને રાજકાજ પર વધુ ધ્યાન આપવા માટે આગ્રહ કરતી રહેતી હતી. પોતાની કળાઆરાધનામાં બાધા ન આવે એ માટે નીરોએ અગ્રીપીનાને પોતાના માર્ગમાંથી દૂર કરી દીધી હતી. એ દર્શાવે છે કે તેનો કળાપ્રેમ માતૃપ્રેમ કરતાંય ટપી જાય એવો હતો. બલ્કે તે કળાને જ માતા સમાન લેખતો હતો. નીરો પોતે લાયર/Lyre વાદન જાણતો હતો, એમ તેણે રોમના ઉચ્ચ વર્ગના લોકોને નૃત્ય શીખવા માટે પ્રોત્સાહિત કર્યા. સ્વાભાવિક છે કે નૃત્ય કરવા માટે સંગીત જોઈએ. અને નીરો સંગીતનો જાણકાર હતો. આથી રોમના ઉચ્ચ વર્ગના અનેક લોકો નીરોની ધૂન પર નૃત્ય કરવા તત્પર રહેતા.
રમતગમતને પ્રોત્સાહન આપવાનો તેણે ભરપૂર પ્રયાસ કર્યો. રોમમાં આવેલા સર્કસ મેક્સિમસમાં યોજાતી રથસ્પર્ધાઓમાં નીરો નિયમિતપણે ભાગ લેતો. સર્કસ મેક્સિમસ એવું સ્થળ હતું કે જેમાં દોઢેક લાખ લોકો સમાઈ શકતા. સર્કસ મેક્સિમસમાં કાર્યક્રમ કોઈ પણ હોય, તે હંમેશાં ખચાખસ ભરેલું રહેતું, કેમ કે, લોકોને એટલી ખાતરી હતી કે કાર્યક્રમ ભલે ગમે એ યોજાય, પણ સમ્રાટ નીરોની ઉપસ્થિતિ હશે એટલે મનોરંજનમાં કોઈ કમી નહીં રહે.
મનોરંજન માટે નીરો પાસે અવનવા તરીકા હાથવગા રહેતા. એક વખત તે દસ ઘોડા જોડેલો રથ લઈને સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો. એ વખતે રોમમાં સામાન્ય રીતે બે ઘોડા અને વધુમાં વધુ ચાર ઘોડાવાળા રથ સ્પર્ધામાં ભાગ લઈ શકે એવો નિયમ ચલણી હતો. દસ ઘોડાવાળો રથ જોઈને રોમનો હર્ષઘેલા થઈ ગયા. એ રથ જ્યારે સર્કસ મેક્સિમસમાં ચકરાવા લેવા માંડ્યો ત્યારે એ દસે ઘોડાના પગ અંદરોઅંદર અથડાવા લાગ્યા. ઘોડા લથડતા, આખડતા, પડવા લાગ્યા. એ જોઈને રોમનો કહેવા લાગ્યા, 'આજ સુધી રોમના કોઈ સમ્રાટે આવું સાહસ કરવાની હિંમત દેખાડી નથી.' નીરોના રથ સાથે જોડાયેલા દસે ઘોડા બુરી રીતે ઘવાઈને પડ્યા. નીરોનો જયઘોષ થઈ રહ્યો.
રોમનો ધીમે ધીમે નીરો દ્વારા થતા મનોરંજક કાર્યક્રમોના એવા હેવાયા બની ગયા કે તેમને થતું કે આવા કાર્યક્રમો રોજેરોજ કેમ નથી યોજાતા?


રોમની ઐતિહાસિક આગની પહેલી જ્વાળા દેખાઈ ત્યારે પણ રોમનો એમ જ માનતા હતા કે આ પણ નીરો દ્વારા યોજાયેલો કોઈ વિશિષ્ટ મનોરંજન કાર્યક્રમ જ છે.
રોમનોને લાગતું રહ્યું કે હમણાં સમ્રાટ નીરો પ્રગટ થશે અને કંઈક એવું કરતબ દેખાડશે કે મજા મજા આવી જશે. તેઓ હથેળીઓને નજીક લાવીને તાળીઓ પાડવા માટે તત્પર બની ઉભા રહ્યા. ધીમે ધીમે આગ પ્રસરતી ચાલી. અનેક રોમનોની દુકાનો બળી ગઈ. જેમની દુકાન બળી ગઈ હતી એ લોકોને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ કોઈ મનોરંજક કાર્યક્રમ નથી, પણ ખરેખર દુર્ઘટના છે. તેમણે અન્ય લોકોને આ હકીકત ગળે ઉતારવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ આગથી ઘણે દૂર રહેલા વિસ્તારના રોમનો આવા લોકોની મજાક ઉડાવવા માંડ્યા. તેઓ કહેતા, 'તમારી દુકાનવખરી બળી ગઈ છે એટલે તમે કકળાટ કરો છો. બાકી આ મનોરંજક કાર્યક્રમ જ છે.' પેલા દુકાનદારો ગળગળા થઈને કહેતા, 'આ મનોરંજક કાર્યક્રમ નથી. આ સાચી આગ છે.' આની સામે દલિલમાં અન્ય રોમનો કહેતા, 'તમે નીરોના વિરોધી છો, રોમના વિરોધી છો. મનોરંજન જોઈતું હોય તો થોડું ગુમાવવાની તૈયારી પણ રાખવી પડે. તમને એમ લાગે છે કે મનોરંજન મફત મળે છે?' આટલું કહીને એ રોમનો ધીમેથી કહેતા, 'તમે તમારી દુકાનવખરીને રડો છો! એ આગમાં કેટલા બધા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બળી મર્યા. એમાંથી કોઈએ ફરિયાદ કરી? તમને થોડું નુકસાન ગયું એમાં રોદણાં રડવા બેસી ગયા!'


જેમની દુકાનવખરી બળી ગઈ હતી એ લોકોને સમજાઈ ગયું કે હવે બને એટલા જલ્દી સ્થળાંતર કરવામાં ભલાઈ છે. 'નીરોની જય' બોલતાં બોલતાં તેઓ આગની જ્વાળાઓ દેખાતી હતી એની વિરુદ્ધ દિશામાં ચાલી નીકળ્યા. એ વખતે તેમને તારનું ટ્યુનિંગ કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેઓ સમજી ગયા કે સમ્રાટ નીરો મનોરંજનમાં કોઈ કસર છોડશે નહીં, અને આ આગને વિશ્વની સૌથી વિશાળ આગ બનાવીને જ જંપશે.
રોમદ્રોહી ગણાઈ જવાનું જોખમ ખેડીને પણ એ સૌ રોમ છોડીને નીકળી ગયા.

(By clicking image, the URL will be reached) 

Friday, May 14, 2021

નીરો અને સીલ

'મહોર' યા 'મુદ્રા', જેને અંગ્રેજીમાં 'સીલ' કહે છે તેનો ઉપયોગ આદિકાળથી થતો આવ્યો છે. હડપ્પન યુગમાં બળદની આકૃતિ ધરાવતી સીલ પ્રચલિત હતી, જે ઉત્ખનન દરમિયાન મળી આવી હતી. વિવિધ શાસકો પોતપોતાના શાસનમાં વિવિધ વ્યવહાર માટે સીલનો ઉપયોગ કરતા હતા. સામાન્યત: આ સીલનો ઉપયોગ મહત્ત્વના દસ્તાવેજો પર, મુખ્યત્વે વ્યાપારી કરારો પર તેમજ રાજકાજના દસ્તાવેજો પર થતો.

રોમના શાસકો મોટે ભાગે પોતાના ચહેરાના ચિત્રવાળી સીલ તૈયાર કરાવતા. નીરો પોતાની ઓળખ ચહેરા થકી નહીં, પોતાના વ્યક્તિત્ત્વ થકી ઉપસાવવા ઈચ્છતો હતો. તેણે એક વિશિષ્ટ સીલ તૈયાર કરાવડાવી, જેમાં ત્રણ પૂર્ણ કદની માનવાકૃતિઓ હતી. આમ તો એ એક પૌરાણિક પ્રસંગનું ચિત્રીકરણ હતું, જેમાં એપોલો અને માર્સિઅર્સ વચ્ચે યોજાયેલી સંગીતની હરિફાઈનો પ્રસંગ ઉપસાવવામાં આવેલો. દેવતાના હાથમાં લાયર/Lyre વાદ્ય બતાવાયું હતું. નીરો પોતે પણ આ જ વાદ્ય વગાડી જાણતો હતો. પૌરાણિક કથાના આ ચિત્ર દ્વારા નીરોએ પોતે સંગીતના દેવતા તરીકેની પોતાની છબિ દર્શાવવાનો પ્રયાસ કર્યો. હવે સવાલ આવ્યો આ સીલના ઉપયોગનો.


અત્યાર સુધી સીલનો જે ઉપયોગ થતો હતો એ ઉપરાંત અનેક સ્થાને તેનો ઉપયોગ કરવા બાબતે નીરોએ ફરમાન જારી કર્યાં. દસ્તાવેજો ઉપરાંત જે પણ ચીજો રોમથી નિકાસ થતી કે આયાત થતી એ તમામ પર આ સીલ ફરજિયાત કરવામાં આવી. માનો કે, રોમમાંથી દ્રાક્ષની નિકાસ થતી હોય તો એ દ્રાક્ષના પેકિંગ પર આ સીલ મારવી પડતી. સીલ વિનાનો કોઈ માલ પકડાય તો એ માટે ભારે સજા હતી. ધીમે ધીમે કરતાં તમામ ખાદ્યપેય ચીજોને આમાં આવરી લેવામાં આવી.
એ પછી નીરોએ રોમના સાહિત્ય પર નજર દોડાવી. તેણે આદેશ કર્યો કે રોમમાં જે કોઈ કાવ્યો કે અન્ય સાહિત્ય તૈયાર થાય તો એ સંગ્રહ પર આ સીલ ફરજિયાત જોઈશે. રોમના સાહિત્યકારોએ નીરોને સૂચવ્યું કે માત્ર સાહિત્ય પર જ શા માટે, સાહિત્યકારો પર પણ આ સીલ લગાવવી જોઈએ, જેથી સ્વદેશી સાહિત્યકારોની અસ્મિતા જળવાઈ રહે. નીરોને આ સૂચન ગમ્યું, પણ સાહિત્યકારના શરીરના કયા ભાગ પર સીલ લગાવવી એ નક્કી કરી શકાયું નહીં. કેમ કે, સીલ એ સ્થાને હોવી જોઈએ કે તે સહુ કોઈની નજરે પડે.
રોમના કોલોઝિયમમાં યોજાતી વિવિધ ક્રૂર રમતોમાં અનેક ગુલામો વાઘનો શિકાર બનતા. નીરોને લાગ્યું કે આ ગુલામોની માલિકી પણ રોમની જ ગણાય. આથી તેણે એ મૃત ગુલામોના શરીર પર પણ પોતાની સીલ લગાવડાવવાનું શરૂ કર્યું. ગુલામોની માલિકી રોમની, તો પછી તેમને મૃત બનાવનાર વાઘ રોમની માલિકીના જ ગણાય. એ રીતે, તમામ વાઘના શરીર પર પણ સીલ લગાવવામાં આવી.
હવે દરેક રોમનોએ માગણી કરી કે તેમને શરીરે પણ સીલ લગાવવામાં આવે. નીરોએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો. માત્ર આ જ કારણથી રોમના સાહિત્યકારો અને સામાન્યજન વચ્ચે કશો ફેર ન રહે એ ઠીક ન કહેવાય! અલબત્ત, ત્યારે તો નહીં, પણ થોડા સમય પછી રોમના નાગરિકોની ઈચ્છા પૂરી થઈ ખરી. રોમમાં પ્રચંડ આગ લાગી અને એમાં ફસાઈ જતા લોકો બળીને ભડથુ થવા લાગ્યા. નીરોએ આદેશ આપ્યો કે દરેક મૃતકના દેહ પર સીલ લગાવવી. સમગ્ર વિશ્વમાં ગર્વભેર કહી શકાશે કે રોમની આગમાં માર્યા ગયેલા મૃતકો બીજા કોઈ નહીં, પણ રોમન જ હતા. એ મુજબ, રોમની શાહી કચેરીના અમલદારો સીલ લઈને આગ લાગેલી વસતિમાં ફરતા રહ્યા. કેટલાક મૃતદેહો બળીને કોલસો થઈ ગયા હતા. તેમની પર સીલ પાડવા જતાં બળેલા કોલસાની જેમ જ એમાંથી રાખનો ભૂકો ખરતો. આમ છતાં, રોમન અમલદારોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી. કેટલેક ઠેકાણે અમુક લોકો બળી ગયેલા, છતાં તેમનો શ્વાસ ચાલુ હતો. એ નાગરિકોએ અમલદારોને સીલ લગાવવા માટે વિનંતી કરી. રોમન નાગરિકોની વફાદારી જોઈને અમલદારોની આંખો ભિંજાઈ. પણ પોતે નિયમથી બંધાયેલા હતા. તેમણે કહ્યું, 'અમને ફક્ત મૃતદેહો પર જ સીલ લગાવવાનો હુકમ છે. પણ આપ ચિંતા ન કરો. અમે પાંચ-દસ મિનીટ ઉભા રહીશું. રાહ જોઈશું.' રોમના અમલદારોની ફરજપરસ્તી જોઈને રોમન નાગરિકોની આંખો પણ ભિંજાઈ. પણ તેમની આંખોમાં ધસી આવેલા પાણીનો પ્રવાહ એટલો મોટો નહોતો કે તેનાથી આગને બુઝાવી શકાય.
દિવસો સુધી ચાલેલી આગ આપમેળે શમ્યા પછી મૃતદેહોને એકઠા કરવાની કામગીરી ચાલી ત્યારે આ સીલ ઘણી મદદરૂપ બની રહી. સીલ ધરાવતા આ મૃતદેહો જોઈને એ એલાન ગર્વભેર કરી શકાય એમ હતું કે તેઓ રોમની ઐતિહાસિક આગમાં જ મૃત્યુ પામ્યા છે, નહીં કે કોઈ વિદેશી આક્રમણખોરના હુમલા વખતે પીછેહઠ કરીને.
સમ્રાટ નીરો અને તેમણે બનાવડાવેલી સીલ ગંભીર આપત્તિના કાળે કેવી કામમાં આવી એની યશોગાથા રોમના સાહિત્યકારો પછીનાં વરસોમાં ગાતા રહ્યા. આ સાહિત્યકારો રાજકચેરી સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરીને એ સીલ પોતાના શરીર પર મરાવી આવ્યા હતા. સૌએ પોતપોતાની રુચિ અનુસાર પોતાના શરીરના પસંદગીના વિસ્તાર પર એ સીલ મરાવી હતી, પણ એટલું ધ્યાન રાખ્યું હતું કે સીલ ગમે ત્યાં મરાવેલી હોય,એ નજરે પડવી જોઈએ. રોમના સાહિત્યકારો સીધા, ટટ્ટાર ચાલી શકતા નહીં એની પાછળનું સાચું કારણ આ હતું.

(By clicking image, the URL will be reached) 

Thursday, May 13, 2021

નીરો અને અગ્નિશમનમાં નાગરિકોનું પ્રદાન

 રોમન સંસ્કૃતિના સુવર્ણકાળ દરમિયાન એવી અનેક બાબતોનો પાયો નંખાયો, જેને પછીના યુગમાં વિવિધ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનિક ઢબે ચકાસી અને પુરવાર કરી. અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ સ્કૉટિશ રસાયણશાસ્ત્રી જોસેફ બ્લેક દ્વારા અઢારમી સદીના મધ્યકાળમાં ઓળખી બતાવવામાં આવ્યો. તેના ગુણધર્મો, અણુસૂત્ર તેમજ અન્ય લાક્ષણિકતાઓ વગેરે તેમણે ચકાસ્યાં. તેનું નામાભિધાન કરાયું. એનો અર્થ એ નહીં કે અંગારવાયુ એ પહેલાં અસ્તિત્વમાં નહોતો. આવી વૈજ્ઞાનિક શોધોને આથી જ 'discovery' અને એ શોધ કરવાની પ્રક્રિયાને 'to discover' (અનાવૃત્ત કરવું) કહે છે.

પ્રાચીન રોમન યુગમાં અંગારવાયુને તેના નામથી કોઈ જાણતું નહોતું. પણ બીજી અનેક કળા અને શાસ્ત્રોમાં અગ્રેસર હોવાને કારણે રોમન તજજ્ઞો આ વાયુના ગુણધર્મો જાણતા હતા. તેમને એ ખ્યાલ હતો કે રાત્રિના સમયે વૃક્ષો આ વાયુનું ઉત્સર્જન કરે છે. આ જ વાયુને મનુષ્યો પણ ઉચ્છવાસરૂપે બહાર કાઢે છે. આ વાયુ અગ્નિ પર અસરકારક રીતે કામ કરે છે.
રોમની વિશ્વપ્રસિદ્ધ આગનો આરંભ થયો અને જોતજોતાંમાં તે પ્રસરવા લાગી. નીરો પાસે તજજ્ઞોની આખી ફોજ હતી, પણ નીરો એ સૌને ભારે પડે એવો મિજાજ ધરાવતો હતો. આ તજજ્ઞોને ભાગે મોટે ભાગે નીરોના તુક્કાઓનો અમલ કરવાનો જ આવતો. એ તુક્કા સફળ થાય તો એનો જશ નીરોને જતો, અને નિષ્ફળ જાય તો.....! જે તે તજજ્ઞનું આરસનું બનાવેલું બસ્ટ રોમના કોઈક ચૉકમાં મૂકાઈ જતું.
આગ વખતે નીરોએ વધુ એક વાર તજજ્ઞોને બોલાવ્યા. રોમન તજજ્ઞોએ કેટલાક ઉપાય સૂચવ્યા. તેમણે રોમમાં જેટલાં વૃક્ષો હતાં એ તમામ કાપીને આ આગમાં નાંખવાનો આદેશ આપ્યો. અલબત્ત, આગમાં વૃક્ષોને નાખવાનું કામ માત્ર રાત્રે જ કરવાનું તેમણે જણાવ્યું, કેમ કે, વૃક્ષો રાત્રે જે વાયુનું ઉત્સર્જન કરે એ અગ્નિશામકનું કામ આપતો હતો. રોમની આગને ઠારવાનું કામ કંઈ સત્તાધીશોનું એકલાનું ઓછું હતું? રોમના નાગરિકોને પોતાનો નાગરિકધર્મ અદા કરવાનો મોકો આ રીતે આપવો જોઈએ અને તમે રાજધર્મ બજાવી રહ્યા છો એ જાણવાની તક નાગરિકોને આપવી જોઈએ એમ તજજ્ઞોએ જણાવ્યું. નીરોએ પહેલાં તો આ પ્રસ્તાવને નકારતાં જણાવ્યું, 'નાગરિકધર્મ, રાજધર્મ જેવી ફાલતૂ બાબતોની મારી આગળ વાત ન કરવી. હું એટલું જાણું કે આ રોમનોની પણ પોતાના દેશ માટે ફરજ છે. મારી એકલાની એ જવાબદારી નથી. એટલે બહુ શાણપણ દેખાડ્યા વિના એમને જોતરો. એ શું એમ સમજે છે કે એમણે વેરો ભર્યો એટલે રોમના રાજા થઈ ગયા?' તજજ્ઞોએ હકારમાં ડોકું ધુણાવ્યું. કેમ કે, ના પાડે તો ધુણાવવા માટે ડોકું જ ન રહે એવી પૂરેપૂરી શક્યતા હતી.


આદેશ જારી કરવામાં આવ્યો. તેને ભારે પ્રતિસાદ મળ્યો. એકે એક રોમન નાગરિક આ અભિયાનમાં જોડાયો. પહેલાં રોમનાં મુખ્ય માર્ગની આસપાસ ઉગેલાં વૃક્ષોનો વારો આવ્યો. આ ઉપરાંત કેટલાંક મેદાનોમાં ઉગી નીકળેલાં વૃક્ષો પણ ખરાં. આ વૃક્ષો જોતજોતાંમાં પૂરાં થઈ ગયાં, એટલે નાગરિકોએ પોતાના આંગણામાં ઉગાડેલાં વૃક્ષો ઉખાડવા માંડ્યા. એ પણ ન રહ્યાં એટલે બાગાયતનો શોખ ધરાવતા નાગરિકોએ પોતાને ત્યાં કૂંડામાં ઉછેરેલા ફૂલછોડને ઉખેડવા માંડ્યા. આ બધું રાતના સમયે આગમાં હોમવામાં આવતું. પણ કોણ જાણે કેમ, આગ વધુ ને વધુ વિસ્તરતી જતી હતી. આથી નાગરિકોને સતત અપરાધભાવ અનુભવાતો કે પોતાના પ્રયત્નો અપૂરતા છે. સત્તાધીશો લોકોને વૃક્ષો લાવવાની અપીલ કરી શકે, વૃક્ષો તો પોતે જ લાવીને હોમવાના રહે. આખરે એક સમય એવો આવ્યો કે વનસ્પતિના નામે રોમમાં ઘોડાને ચરવાનાં મેદાનો પરનું ઘાસ જ રહ્યું. નાગરિકો એ ઘાસ તરફ વળ્યા. આ જોઈને ભડકેલા રોમન સત્તાધીશે તેમને રોક્યા અને કહ્યું કે રોમમાં નાગરિકો કરતાં ઘોડાનું અસ્તિત્વ વધુ પ્રાથમિકતા ધરાવે છે, માટે ઘોડા માટેના ઘાસને કોઈએ તોડવું નહીં.
નાગરિકોને એમ હતું કે સત્તાધીશો આટઆટલા પ્રયત્નો કરતા હોય તો પોતે આગને કાબૂમાં લેવા માટે શું કરી છૂટે? એવામાં એક શાહી સલાહકારને બત્તી થઈ કે વૃક્ષો તો હોમાઈ ગયાં, અને તેમના દ્વારા મુક્ત કરાયેલા વાયુનું પ્રમાણ એટલું નહોતું કે આગ કાબૂમાં આવી શકે. આથી નાગરિકોને અપીલ કરવામાં આવી કે સૌ નાગરિકો પોતપોતાની નજીક આવેલા આગના વિસ્તારમાં પહોંચે. આગળની સૂચના તેમને ત્યાં આપવામાં આવશે. નાગરિકો પોતે આગથી ત્રસ્ત હતા, પોતાનાં માલમિલકત બચાવવા આમતેમ દોડી રહ્યા હતા, છતાં રાજ્ય પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ એમ તે માનતા હતા. અલગ અલગ નાગરિકો નાનામોટા સમૂહમાં આગ લાગી હતી એવા વિસ્તારની નજીક પહોંચ્યા. ત્યાં રોમન સૈનિકો ઉભા હતા. દરેક નાગરિકોને પપૈયાની ડાળી પકડાવવામાં આવી. તેમને જણાવાયું કે હવે એ પોલી ભૂંગળી તેમણે પોતાના નાક આગળ લગાવીને સતત ઉચ્છવાસ કાઢતા રહેવાનું છે. કેમ કે, આ ઉચ્છવાસમાં જે વાયુ નીકળે એ આગને કાબૂમાં લેશે. નાગરિકોને સામા પ્રશ્નો પૂછવાની આદત પહેલેથી નહોતી. કેમ કે, સવાલ પૂછે એનો અંજામ સૌ જાણતા હતા. અને આમ પણ, આવી મુસીબતના સમયે રાજ્યની પડખે ઉભા રહેવાની પોતાની નૈતિક ફરજ ગણાય. પોતાની ભાવિ પેઢી પૂછે કે રોમની ઐતિહાસિક આગ બુઝાવવામાં તમારું શું પ્રદાન હતું ત્યારે પોતાને નીચાજોણું ન થાય.


નાગરિકોએ પપૈયાની ભૂંગળીને પોતાના નાકમાં ખોસીને ઉચ્છવાસ કાઢવાના શરૂ કર્યા. તેઓ જોશભેર ઉચ્છવાસ કાઢી શકે એ માટે રોમન લશ્કરી બેન્ડ તાલબદ્ધ સંગીત આપતું. સાથેસાથે સૈનિકો જોશભેર ઉચ્ચાર કરતા, 'માતૃભૂમિનું, સમ્રાટ નીરોનું ઋણ અદા કરવાની આ તક એળે ન જાય એ જોજો.' સૌથી પહેલો એક નાગરિક ફસડાઈ પડ્યો. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ધરતી પર ફસડાયેલો હોવા છતાં તે બોલ્યો, 'મને અફસોસ છે કે મારી માતૃભૂમિ માટે હું કામ ન આવી શક્યો.' એક રોમન સૈનિક તેની નજીક આવ્યો. તેણે ફસડાઈ ગયેલા એ નાગરિકને પૂછ્યું, 'તમે શી રીતે મુક્તિ ઈચ્છો છો? તલવારથી? કે આગથી?' પોતાના શરીરમાં રહેલા અગ્નિશામક વાયુનો છેલ્લો અંશ પણ આગ બુઝાવાના કામમાં આવી શકે એથી રૂડું શું હોઈ શકે? આમ વિચારીને તેણે કહ્યું, 'આગથી.' બે સૈનિકો તેને ઉંચકવા આગળ આવ્યા. પેલા ફસડાઈ ગયેલા રોમને કહ્યું, 'તમે બીજા નાગરિકો પર ધ્યાન રાખો. હું મારી મેળે ચાલીને જતો રહીશ.' સહેજ અટકીને એ બોલ્યો, 'સમ્રાટ નીરોને કહેજો કે મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે, છતાં આગ કાબૂમાં ન આવી શકી એનો અપરાધભાવ અનુભવતો હું આગને હવાલે થાઉં છું.' આમ બોલતાં તે ઉભો થયો. તેના કાને ફીડલના આછા સૂર પડ્યા. એ દિશામાં તે ફર્યો, ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું. એ પછી ઉભા થઈને આગ તરફ આગળ વધ્યો અને આગમાં પ્રવેશ કર્યો.
કટોકટીના સમયે પોતે રાજ્યને કામ આવી શક્યા એ આશ્વાસન, અને પોતાના પ્રયત્નો છતાં કટોકટી દૂર ન થઈ એ અપરાધભાવ સાથે તેમનું જીવન સમાપ્ત થયું.
રોમની ભાવિ પેઢી પોતાને પૂછશે કે રોમની ઐતિહાસિક આગ વખતે તમે શું પ્રદાન કરેલું- એ મૂંઝવણમાંથી કેવળ આ એક નહીં, અનેક રોમન નાગરિકોને મુક્તિ મળી ગઈ હતી. ભાવિ પેઢી પેદા થઈ શકે એ માટે વર્તમાન પેઢીનું અસ્તિત્ત્વ જ ન રહ્યું.

(By clicking image, the URL will be reached) 

Wednesday, May 12, 2021

નીરો અને રમતો

 નીરો સત્તાની સીડી ચડ્યો એ સીડીના પ્રત્યેક પગથિયે તેના કોઈ ને કોઈ કુટુંબીજન-સ્વજનનો મૃતદેહ હતો. રોમના ઘણા સર્જકો રીતસર પડાપડી કરી મૂકતા કે આ પગથિયા પર પોતાનો વારો આવે. એ માટેની મુખ્ય લાયકાત નીરોના સંભવિત સ્પર્ધક હોવાની હતી, જેમાં આ સર્જકો ગેરલાયક ઠરતા હતા. કેટલાક સર્જકોએ તો પોતાની જનેતાને ઉદ્દેશીને ઉપાલંભકાવ્યો લખ્યા હતા કે તેણે પોતાને કેમ રાજવંશમાં જન્મ ન આપ્યો.

રોમના એક સર્જક આલ્બેનિયન ભાષાના નિષ્ણાત હતા. રોમના સૈન્યમાં નવજુવાન સૈનિકોની ભરતી કરવાની આવે ત્યારે આ સર્જકની સેવા લેવામાં આવતી. રોમના ચોકમાં યુવકોને એકઠા કરવામાં આવતા. એ પછી પેલા સર્જકને તેમની પર છોડી મૂકવામાં આવતા. આ સર્જક પહેલાં તો આલ્બેનિયન ભાષામાં વક્તવ્ય આપતા. એ પછી આલ્બેનિયન ભાષામાં પોતે લખેલાં દીર્ઘ કાવ્યોનો પાઠ કરતા. યુવકોમાં રીતસર નાસભાગ મચી જતી. એ વખતે ઘોષણા કરવામાં આવતી: 'રોમના ભાવિ સૈનિકો! તમે રોમન સૈન્યમાં જોડાઈ જાવ. ત્યાં તમારે કેવળ દુશ્મનનો ઘા જ ચૂકવવાનો રહેશે.' આ અપીલની જાદુઈ અસર થતી અને રોમન સૈન્યના સંખ્યાબળમાં દેખીતો વધારો થઈ જતો.
આ યુવા સૈનિકોને બરાબર તાલીમબદ્ધ કરવામાં આવતા. તેમને તાલીમ આપવાની રીત પણ આગવી હતી. કોલોઝિયમમાં એક વાર રોમના સ્થાપના દિન નિમિત્તે હજારો લોકો એકઠા થયેલા. રોમના શાહી પરિવારના લોકો ઉપસ્થિત હતા. પેલા રંગરૂટો પણ અહીં હાજર હતા. આગલી રાતે રંગરૂટોને તેમની કસોટી વિશે જણાવી દેવામાં આવેલું.
રેફરીએ જમણી આંખની પાંપણ સહેજ ઊંચી કરીને 'સ્ટાર્ટ'નો આદેશ આપ્યો. એ સાથે જ અચાનક દોડધામ મચી ગઈ. એકઠા થયેલા લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. રોમના લોકો એક બાબત જાણતા હતા કે પોતાને ન સમજાય એવું કશું બને ત્યારે બન્ને હાથે તાળીઓ પાડીને તેને વધાવી લેવાનું. આવી કોઈ પણ બાબત હોય તો એ નીરોનો 'એમ્પરર્સ બ્લો'(Emperor's Blow) ગણાતો, જેના રોમનો ચાહક જ નહીં, બલ્કે આદિ બની ચૂકેલા. આ નિયમ મુજબ, રોમનોએ ગગનભેદી હર્ષનાદ કર્યા.
ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું ગયું. કેટલાક લોકો પોતાનો જાન બચાવવા દોડી રહયા હતા. આ લોકો શાહી પરિવારના હતા. એક એક જણની પાછળ દસ દસ જણ દોડી રહ્યા હતા. પાછળ પડનાર કેટલાકના હાથમાં ખુલ્લી તલવાર પણ હતી, જેને તેઓ વીંઝતા હતા. જાન બચાવવા દોડનારનાં વસ્ત્રોના લીરેલીરા ઉડતા હતા. તલવારના લસરકા પણ તેમના શરીરે દેખાતા હતા. જો કે, રોમન પ્રેક્ષકોને જે જોવાની સૌથી વધુ મઝા આવતી હતી એ હતા તેમના ચહેરાના હાવભાવ. મોત નજર સામે ભાળનારનો ચહેરો કેવો થઈ જાય? આ હાવભાવ જોઈને રોમનોને 'પૈસા વસૂલ'ની લાગણી થતી હતી. અત્યાર સુધી ભૂખ્યા વાઘને ધરી દેવાતા ગુલામોનાં દૃશ્યો તેમણે જોયાં હતાં, પણ એમાં હવે ખાસ રોમાંચ નહોતો રહ્યો. તેને બદલે આ જીવસટોસટની દોડ જબ્બર રોમાંચકારી હતી.


નીરો એવો ક્રૂર નહોતો. એ કંઈ પોતાના પરિવારજનોને મારી નાંખવા નહોતો ઈચ્છતો. થોડા સમય પછી રેફરીએ બન્ને આંખો સહેજ વાર મીંચીને રમત બંધ કરવાનો આદેશ આપ્યો. એ સાથે જ પેલા પાછળ દોડનારા સૈનિકો શિસ્તબદ્ધ રીતે કતારબંધ ઉભા રહી ગયા. શાહી પરિવારના લોકો હજી દોડી રહ્યા હતા. એ જોઈને ઉપસ્થિત જનસમુદાયે નવેસરથી હર્ષનાદ કર્યા.
કહેવાય છે કે આ બનાવ પછી આ દોડમાં ભાગ લેનાર, શાહી પરિવારના એક વયસ્ક સભ્યનું આઘાતથી મૃત્યુ થયું. બીજા સભ્યોએ કાયમ માટે રોમ છોડીને બીજે વસવાટ કરવાનું નક્કી કર્યું. નીરોએ તેમને ખુશીખુશી એ સુવિધા પૂરી પાડી. જ્યુપિટર દેવતાના અવકાશી શરણમાં તેમના કાયમી નિવાસની વ્યવસ્થા કરી આપી અને રાજપરિવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવ્યું.

(By clicking image, the URL can be reached) 

Tuesday, May 11, 2021

નીરો અને કાવ્યપ્રેમ

 રમતગમત અને કળા- આ બન્ને બાબતો એવી છે કે જે કોઈ પણ રાજ્યની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. નીરોએ આ બન્નેને પ્રોત્સાહન આપવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. નીરો પોતે કવિતા લખતો. આથી રોમના કવિઓને તે પોતાની જ બિરાદરીનો લાગતો. પોતાનાં કાવ્યસંગ્રહોનાં લોકાર્પણ નીરો પાસે કરાવવા માટે તે ઉત્સુક રહેતા. લોકાર્પણની નીરોની આગવી પદ્ધતિ હતી. તેને જનમેદની ખૂબ પસંદ હતી. આથી તે દરેક કાર્યક્રમો એ રીતે યોજતો કે લાખો લોકોની ઉપસ્થિતિ હોય. અરે, તે પોતાની મા અગ્રીપીનાને મળવા જાય ત્યારે પણ રસ્તાની બેય બાજુએ ઉપસ્થિત જનમેદની તેનું અભિવાદન કરતી.

વિમોચન કાર્યક્રમ મોટે ભાગે કોલોઝિયમમાં યોજાતા. જે ગુલામોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોય તેમને એ દિવસે ઉપસ્થિત રખાતા. 'સ્લેવ ડઝન્ટ હેવ ચૉઈસ'ની ઉક્તિને ખોટી ઠેરવતો નીરો આ ગુલામોને મૃત્યુ માટે વિકલ્પ આપતો. એક તરફ અઠવાડિયાના ભૂખ્યા વાઘને બહાર કાઢવામાં આવતા. બીજી તરફ જેના કાવ્યસંગ્રહનું લોકાર્પણ કરવાનું હોય એ કવિનો કાવ્યપાઠ યોજાતો. પેલા ગુલામો આમાંથી કયા માર્ગે મોત ઈચ્છે છે એ તેમને પૂછવામાં આવતું. ગુલામોની જિંદગી આમે દોજખ જેવી હતી, પણ મૃત્યુને તેઓ બને એટલું પીડાવિહીન રાખવા ઈચ્છતા. આથી તેઓ વાઘવાળો વિકલ્પ પસંદ કરતા. જો કે, અમુક ગુલામો એવા હતા કે જેમને કોઈ વિકલ્પ અપાતો નહીં. એક યા બીજી રીતે ભાગી છૂટવાનો કે ચોકિયાત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય એવા ગુલામો આ યાદીમાં રહેતા. આથી તેમના મૃત્યુને બને એટલું યાતનામય બનાવાતું. પહેલાં તેમને કાવ્યપાઠ સંભળાવવામાં આવતો. એ સાંભળતાં સાંભળતાં ગુલામ ચીસો પાડતો, આક્રંદ કરતો, જ્યારે ઉપસ્થિત મેદની 'દુબારા, દુબારા'ના પોકારો કરતી. એક ગુલામે તો સામે ચાલીને વાઘના મોંમાં ધસી જવાનો પ્રયાસ કર્યો, પણ વાઘ સાંકળ વડે બંધાયેલો હતો, આથી તેની કારી ફાવી નહીં. આ ગુલામને વધારાની સજા ફરમાવવામાં આવી. કાવ્યપાઠ ઉપરાંત તેને ચિંતનલેખો પણ વાંચી સંભળાવવામાં આવ્યા. મૂળ આશય એ જ કે ફરી અન્ય કોઈ ગુલામ કદી નીરો સામે માથું ઉંચકવાની જુર્રત ન કરે.
નીરો પોતે અદ્ભુત સંગીત વગાડતો. તે લાયર/Lyre નામનું વાદ્ય વગાડતો. કોલોઝિયમમાં તેનું વાદન યોજાય ત્યારે આખું કોલોઝિયમ હકડેઠઠ ભરાઈ જતું. એ પછી તેના તમામ દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવતા. લાયરના સૂર નીરો છેડે એ સાથે જ રોમનો અભિભૂત થઈ જતા. એક વાયકા મુજબ, શંકર-જયકિશને 'આવારા'માં બનાવેલી 'તેરે બિના આગ યે ચાંદની, તૂ આજા' અસલમાં નીરોની ધૂન પર આધારિત છે. અન્ય એક વાયકા એવી પણ છે કે ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર કે અચ્છાંદસ પ્રકાર પ્રચલિત છે, તેના મૂળમાં આ સમયગાળાના રોમન કાવ્યો છે. આ સામ્ય વિશે કોઈક વિદ્વાનો પ્રકાશ પાડી શકે, પણ ઘણા ભાવકોએ એ વાંચતાં નજર સામે ત્રાડ પાડતો ભૂખ્યો વાઘ હોવાની અનુભૂતિ કરી છે એ હકીકત છે.


અગાઉ આપણે જોયું કે નીરો પશુ-પક્ષીપ્રેમી પણ હતો. તે વાઘની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખતો. ઘણી વાર કોઈક કવિ પોતાનો કાવ્યપાઠ કરી રહ્યા હોય ત્યારે તેમની પર વાઘને છોડી મૂકાતો. એમ દર્શાવાતું કે એ કવિની કવિતાથી જો વાઘ આટલો અકળાઈ જતો હોય તો આપણા રોમનોની શી દશા થાય?
આમ છતાં, રોમના કવિઓનો જુસ્સો એવો હતો કે તે કવિતા રચવાનું છોડતા નહોતા. મોટા ભાગના કવિઓને એક જ લાલસા રહેતી કે બસ, પોતાની કવિતા સાંભળ્યા પછી જ કોઈ ગુલામ વાઘને હવાલે થાય.
વાઘ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો આરંભ આ કાળથી થયો હતો, એમ મનાય છે. એ જે હોય એ, હકીકત એટલી કે નીરો કાવ્યપોષક, કાવ્યોદ્ધારક અને કાવ્યહિતૈષી હતો. તે પોતે કવિતા લખતો હતો, અને અન્યોને લખવા પણ દેતો હતો, એ બાબત આ હકીકતની પુષ્ટિ કરે છે.

(By clicking image, the URL can be reached) 

Monday, May 10, 2021

નીરો અને નવો મહેલ

 રોમન સ્થાપત્યો એક મિસાલરૂપ ગણાય છે. સ્વાભાવિકપણે જ નીરોને તેનું ઘણું આકર્ષણ હતું. આથી તેણે પોતાના આવાસ માટે એક ભવ્ય મહેલનું નિર્માણ કરવાનું વિચાર્યું. નીરો કશું પણ વિચારે એટલે સીધો એનો અમલ જ હોય. આયોજન પછી આવે. આ ભવ્ય મહેલ દોમસ ઓરિઆ/Domus Aurea તરીકે ઓળખાવાયો. અંગ્રેજીમાં તેને 'ગોલ્ડન પેલેસ' કહી શકાય.

દોમસ ઓરિઆ 
તો શું નીરો રાજા બન્યા પછી જે મહેલમાં વસવાટ કરતો હતો એ ભવ્ય નહોતો? જે મહેલમાં નીરો વસતો એનું નામ દોમસ ટ્રાન્ઝિટોરિઆ/Domus Transitoria હતું. પેલેટાઈન હીલ પર આવેલા આ ભવ્ય મહેલની બહારની દિવાલો આરસની જડેલી હતી. આની પરથી અંદાજ બાંધી શકાશે કે એ મહેલ અંદરથી કેટલો ભવ્ય હશે!

દોમસ ટ્રાન્‍ઝિટોરિઆ
શા માટે નીરોને નવો મહેલ બનાવડાવવાનો વિચાર આવ્યો? આ સવાલનો જવાબ આજે બે હજાર-એકવીસસો વરસ પછી શોધવો મુશ્કેલ છે. પણ દરેક રાજાને પોતે એક યા બીજી રીતે અમર બની જવાના ખ્વાબ હોય છે. પોતે શારિરીક રીતે અજરામર નથી એ તેઓ જાણતા જ હોય છે, આથી એ માટેના બીજા નુસખા તે અજમાવતા રહ્યા છે. નીરો એ રીતે તદ્દન વ્યવહારુ અને વાસ્તવદર્શી હતો. તેને ખબર હતી કે પોતાના મૃત્યુ પછી લોકો તેને યાદ રાખે કે કેમ એ પોતાના હાથમાં નથી.

લોકો પણ વિચિત્ર હોય છે! નીરોને તેમણે યાદ તો રાખ્યો, બલ્કે કદી ભૂલ્યા નહીં. કેમ કે, નીરો પોતે એક માપદંડ સમો બની રહ્યો હતો. પછીના કાળના વિવિધ શાસકો નીરોની સરખામણીએ કેટલા ક્રૂર અથવા કેટલા નિર્દય છે એ સમજવા માટે નીરોનો સંદર્ભ અપાતો રહ્યો. ભવ્યાતિભવ્ય બની રહેનારા દોમસ ઓરિઆ માટે પણ નીરોને યાદ ન રખાયો, કે નીરો જે મહેલમાં રહેતો એ દોમસ ટ્રાન્ઝિટોરિઆ માટે પણ નીરો યાદ ન કરાયો.
નીરો ઈતિહાસમાં અમર બની રહ્યો રોમની પ્રચંડ આગ થકી. કોણ જાણે કેમ, પણ લોકોને આગ વધુ યાદ રહી જતી હોય છે. બાકી રોમની એ આગ ગમે એવી ભીષણ હોય, એ ફક્ત છ દિવસ સુધી જ ચાલી હતી. છ દિવસની એ આગે નીરોને, વર્તમાન વર્ષ સુધી ગણીએ તો કહી શકાય કે આશરે એકવીસસો વરસનું આયુષ્ય અપાવ્યું. શાસકો પોતે દોમસ ઓરિઆ કે દોમસ ટ્રાન્ઝિટોરિઆ જેવાં સ્થાપત્યોથી અમર થવા માંગતા હોય છે, પણ એ તેમના હાથમાં નથી કે લોકો તેમને શી રીતે યાદ રાખશે. મહેલ કાયમી હોવા છતાં નશ્વર છે અને આગ કામચલાઉ હોવા છતાં શાશ્વત રહે છે, એમ નીરોની કથા જાણ્યા પછી લાગ્યા વિના રહે નહીં.

(By clicking image, the URL can be reached) 

Sunday, May 9, 2021

નીરો અને બહુમતી

લોકશાહી શાસનવ્યવસ્થા હજી ખાસ વિકસીત નહોતી, એ કાળે નીરો એમાં શ્રદ્ધા ધરાવતો હતો. સૌ જાણે છે એમ લોકશાહીનો પ્રાણ 'લોકો વડે, લોકોની, લોકો માટેની શાસનપદ્ધતિ' જેવું સૂત્ર નથી. લોકશાહીનો સાદો, સરળ અને સુંદર અર્થ છે બહુમતી. એટલે કે જે પક્ષમાં વિશેષ મતનો જુમલો હોય એ પક્ષ. ('જુમલો' અહીં ગુજરાતી અર્થમાં છે) બહુમતી કેમ? સીધી વાત છે કે કોઈ એકલદોકલ માણસ હોય તો પોતાનો અમુક મત પ્રગટ કરવા પાછળ તેનું સ્થાપિત હીત હોઈ શકે, પણ બહુમતીમાં એ શક્યતા સાવ પાતળી. નીરોના હૈયે રોમનું અને રોમનોનું હીત સદાકાળ હતું, આથી તે જે કંઈ નિર્ણય લેતો એ બહુમતીથી લેતો.

કોઈ પણ મહત્ત્વનું સૂચન આવે, માહિતી યા બાતમી મળે એટલે નીરો તેના વિશે વિચારતો. પોતે કોઈ મહત્ત્વના નિર્ણય પર આવે એ પછી તે એક બારણું ખોલતો અને અંદર પ્રવેશતો.
એમ મનાતું કે આ બારણાની પછવાડે એક વિશાળ ખંડ હતો, જેમાં રોમના અગ્રણીઓને નોંતરવામાં આવતા. જો કે, કોઈએ એમને પ્રવેશતા કે બહાર નીકળતા જોયા નહોતા. આથી એમ મનાતું કે તેઓ ભૂગર્ભ માર્ગે જતા-આવતા હશે. આનો પણ તર્ક હતો. કદાચ કોઈ એવો નિર્ણય લેવાય કે જેનાથી પ્રજામાં અસંતોષ પ્રસરે, તો ભૂલેચૂકેય પ્રજાના રોષનો ભોગ રોમન અગ્રણીઓએ ન બનવું પડે. નીરોની નિર્ણયસભામાં કોણ કોણ હાજર રહેતું એની માહિતી અત્યંત ગુપ્ત રખાતી.
આને પરિણામે નીરો અનેક અભૂતપૂર્વ નિર્ણય લઈ શક્યો. આ નિર્ણયોની ઘોષણા સાંભળીને રોમનો રાજીરાજી થઈ જતા. જેમ કે, એક વાર તેણે ઘોષિત કર્યું કે રોમના રસ્તાઓ વધુ પહોળા બનાવાશે. એની વચ્ચોવચ્ચ ચાર ઘોડાની બગીઓ જઈ શકે એવો વિશેષ માર્ગ તૈયાર કરાશે. ચાર કે આઠ ઘોડાની બગી સિવાયનાં અન્ય સવારો આ માર્ગમાં પ્રવેશી શકશે નહીં. આવું રોમના કોઈ શાસકે આજ સુધી કર્યું નહોતું. ચાર કે આઠ ઘોડાની બગી ધરાવતા વર્ગ સિવાયના તમામ લોકોમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું. હવે પોતાના માર્ગમાં ચાર ઘોડાવાળી બગીઓ નડશે નહીં એ બાબતે તેઓ રાજીરાજી થઈ ગયા. ચાર ઘોડાની બગીવાળાઓને અંદાજ હતો કે હવે પોતાને માથે નવો વેરો ઝીંકાશે. આમ છતાં, સમ્રાટે કર્યું તો કંઈક વિચારીને જ કર્યું હશે એમ ધારીને તેમણે મૂંગે મોંએ આ ઘોષણા સ્વીકારી લીધી.
એક વખત આઠ ઘોડાની બગી ધરાવતા એક રોમન ઉમરાવ નીરોને મળવા તેમને મહેલ ગયા. કામ કશું નહોતું, પણ નીરોની નજરમાં રહેવું તેમને ગમતું હતું. તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. નીરો એક અગત્યની બેઠકમાં છે અને કોઈક નિર્ણય માટે બહુમતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે એમ તેમને જણાવાયું. રોમન ઉમરાવની આગતાસ્વાગતા કરવામાં આવી. એ પછી સેવકો પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. એ વિશાળ ખંડમાં રોમન ઉમરાવ એકલા પડ્યા. એક કલાક વીત્યો. સવા, દોઢ એમ બે કલાક વીત્યા. નહોતો નીરો અંદરથી બહાર આવતો, કે નહોતો દિવાલ પાછળથી કશો અવાજ સંભળાતો. અઢી-ત્રણ કલાક થયા એટલે રોમન ઉમરાવની ધીરજ ખૂટી. નીરો બેઠેલો હોવાનું કહેવાયું હતું એ સભાખંડનું બારણું બંધ હતું. ઉમરાવ ઉભા થયા, અને ધીમે રહીને તેમણે એ બારણું સહેજ ખોલ્યું.


એ સાથે જ તે ચકરાઈ ગયા. તેમણે જે જોયું એ માનવામાં આવે એમ નહોતું. એ સભાખંડ 'હાઉસ ઑફ મિરર્સ' હતો, જેની ચોફેર અરીસા જડેલા હતા. આખો સભાખંડ ભરેલો હતો અને તેમાં ઠેરઠેર નીરો જ બેઠેલો જણાતો હતો. કશી ગંભીર ચર્ચા ચાલી રહી હતી અને તમામ નીરોના હાથ એક સાથે સંમતિમાં ઊંચા થતા હતા. બહુમતી લેવાની પ્રક્રિયાના એક માત્ર સાક્ષી આ રોમન ઉમરાવ બની રહ્યા.
જો કે, બારણું ખૂલવાથી નીરોનું ધ્યાન તરત જ એ તરફ ફંટાયું. તેણે પ્રસ્તાવ મૂક્યો, 'ગુપ્તતા અધિનિયમ ધારા અંતર્ગત કોઈ રાજ્યની ગુપ્ત વાત સાંભળી જાય તો એને મોતની સજા કરવી યોગ્ય રહે એમ કેટલા માને છે?' સભાખંડમાં બેઠેલા તમામ નીરોએ સંમતિમાં હાથ ઉંચા કર્યા.
બે દિવસ પછી રોમન ઉમરાવનાં પરિવારજનો રડતાંકકળતાં નીરોના દરબારમાં આવ્યા અને ફરિયાદ કરી કે પોતાના પરિવારના મોભી બે દિવસથી ઘેર આવ્યા નથી. નીરોએ તેમને આશ્વાસન આપ્યું અને પોતે તેમને શોધવા માટે બધું જ કરી છૂટશે એમ જણાવી વિદાય કર્યા.
થોડા સમય પછી રોમમાં ચાર બગીવાળો માર્ગ તૈયાર થયો ત્યારે તેના આરંભબિંદુનું નામ પેલા રોમન ઉમરાવના નામે આપવામાં આવ્યું. નીરોએ પોતાનું વચન પાળ્યું હતું.
(નોંધ: 'હાઉસ ઑફ મિરર્સ'નો આવિષ્કાર નીરોએ કર્યો કે કેમ એ મતમતાંતર હશે, પણ બહુમત માટે તેનો સૌથી વધુ ઉપયોગ નીરોએ કર્યો હતો એ બાબતે એકમત પ્રવર્તે છે. આગળ જતાં ચાર્લી ચેપ્લિને 'ધ સર્કસ'માં, બ્રુસ લીએ 'એન્ટર ધ ડ્રેગન', શોમુ મુખરજીએ 'છૈલા બાબુ' ફિલ્મમાં તેમજ બીજા અનેક નિર્માતાઓએ સફળતાપૂર્વક ફિલ્મોમાં 'હાઉસ ઑફ મિરર્સ'નો ઉપયોગ કર્યો હતો.)

(By clicking image, the URL will be reached)

Friday, May 7, 2021

નીરો અને વિષજ્ઞ

શાસક ગમે એવો એકહથ્થુ સત્તામાનસ ધરાવતો હોય, શાસન માટે તેને વિશ્વાસુ લોકોની જરૂર હંમેશાં પડતી હોય છે. નીરો તો એક પ્રજાવત્સલ, માનવ-પશુ-પક્ષીને સમભાવે નિહાળનાર શાસક હતો. તે હંમેશાં વિવિધ નિર્ણય લેતાં અગાઉ પોતાના વિશ્વાસુઓની સલાહ લેતો. આરંભિક કાળમાં આ ભૂમિકા તેના ગુરુ સેનેકા, માતા અગ્રીપીના અને બુરસ દ્વારા ભજવાતી.

નીરોના નજદીકી લોકોમાં એક વિશેષ સ્થાન હતું લોકસ્તા નામની મહિલાનું. તે વિશેષજ્ઞ હતી, વિષજ્ઞ હતી. એટલે કે વિષવિશેષજ્ઞ હતી. તેણે આ બાબતે કોઈ મહાનિબંધ લખ્યો ન હતો, આથી તેને પોતાના શાસ્ત્રની ખરેખરી જાણકારી હતી. અવનવાં વિષનાં મિશ્રણ તે તૈયાર કરતી. શુભ પ્રસંગોના ઓર્ડર તે સ્વીકારતી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વાનગી તૈયાર કરતી. નીરોની મા અગ્રીપીનાએ તેની વિશેષ સેવા લીધેલી. નીરોના કાકા અને પોતાના પતિ ક્લોડિયસ માટે તેણે લોકસ્તાની સેવા પહેલી વાર લીધી. વિષ ખાધા પછી કેટલા સમયમાં ક્લોડિયસનું મૃત્યુ કરવાનું છે એ અંગે તેણે પૂછપરછ કરીને એક ખાસ પ્રકારનું વિષ બનાવ્યું. આ વિષને મશરૂમ પર છાંટવામાં આવ્યું. ક્લોડિયસનો ખોરાક પહેલાં અન્ય એક વ્યક્તિ દ્વારા ચાખવામાં આવતો. હેલોટસ નામની એ વ્યક્તિએ મશરૂમ ખાધાં. તેને કશું ન થયું. એ પછી ક્લોડિયસે એ મશરૂમ ખાધાં અને તેને પણ કશું ન થયું. આખરે શાહી ચિકિત્સક ગેયસ ઝેનોફોને ઝેરમાં બોળેલું પીંછું ક્લોડિયસના ગળામાં મૂકીને તેને ઉલટી કરાવવાનો પ્રયત્ન કર્યો. એ રીતે ક્લોડિયસના જીવનનો અંત આવ્યો. આમ, લોકસ્તાનું વિષ નિષ્ફળ ગયું ત્યારે ચિકિત્સકની સહાય લેવામાં આવી.
લોકસ્તા 

ક્લોડિયસની ત્રીજી પત્નીના પુત્ર બ્રિટેનિકસ માટે એક ખાસ વિષમિશ્રણ તૈયાર કરવાનું કામ ખુદ નીરોએ લોકસ્તાને સોંપ્યું. અગ્રીપીનાની સરખામણીએ નીરો સહેજ દયાળુ ખરો. ગમે એમ તોય બ્રિટેનિકસ પોતાનો ભાઈ હતો. આથી તેને સહેજ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખવાની ચેતવણી નીરોએ લોકસ્તાને આપી. કોણ જાણે કેમ, પણ લોકસ્તાએ તૈયાર કરેલું વિષ એટલું ત્વરિત અસર કરનારું ન નીકળ્યું. નીરો આથી ક્રોધિત થઈ ગયો. પોતાનો ઓરમાન ભાઈ રિબાઈ રિબાઈને મરે એ શી રીતે સહન થાય? તેણે લોકસ્તાને ધમકાવી, ફટકારી અને સારી ગુણવત્તાવાળું વિષ તૈયાર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
લોકસ્તાની કાબેલિયત શંકાથી પર હતી, પણ તે બને ત્યાં સુધી વનસ્પતિમાંથી વિષ બનાવતી. ખાસ કરીને તે એટ્રોપા બેલાડોના નામની વનસ્પતિનો ઉપયોગ કરતી. આમ તો, રોમના શાસકોમાં આ વિષ ખૂબ પ્રચલિત હતું. કૌટુંબિક ભોજન સમારંભોમાં તે છૂટથી વપરાતું.
નીરોની ધમકીની બરાબર અસર થઈ. આ વખતે લોકસ્તાએ કાતિલ મિશ્રણ તૈયાર કર્યું. બ્રિટેનિકસને સહેજે રિબાવું ન પડ્યું. એક ભાઈ માટે આનાથી વધુ કોઈ શું કરી શકે? નીરો જેટલો કઠોર બની શકતો હતો, એટલો જ તે કોમળહૃદયી હતો. વ્યાવસાયિક અભિગમ તેનામાં પૂરેપૂરો. લોકસ્તાએ સફળતાપૂર્વક પોતાનો પ્રસંગ દીપાવ્યો તેના પુરસ્કારરૂપે નીરોએ તેને વિશાળ જમીન ફાળવી. નીરોની દીર્ઘદૃષ્ટિને દાદ દેવી પડે. તેણે ધાર્યું હોત તો એકાદી યુનિવર્સિટીના ઉપકુલપતિપદે લોકસ્તાને નીમી દીધી હોત. તેને બદલે લોકસ્તાના કૌશલ્યનો બહોળો લાભ લઈ શકાય એવી વ્યવસ્થા કરી. લોકસ્તા પોતાની આ કળા અન્ય વિદ્યાર્થીઓને આપે અને એ રીતે અનેક નિષ્ણાતો તૈયાર કરે, જે રોમના ભાવિને યોગ્ય આકાર આપી શકે, એ મૂળ હેતુ હતો.

લોકસ્તા અને નીરો

આગળ જતાં એવો પણ વખત આવ્યો કે નીરોએ ખુદ પોતાને માટે લોકસ્તા પાસે વિષ મંગાવ્યું. એક સુવર્ણ પાત્રમાં લોકસ્તાએ એ પ્રેમપૂર્વક મોકલ્યું. નીરો માટે ખાસ તૈયાર કરાયેલું વિષ પહેલી ધારનું હતું? એ કેટલું અસરકારક નીવડ્યું? આ સવાલના જવાબ મળે એ પહેલાં જ નીરોના જીવનનો અન્ય રીતે અંત આવી ગયો.
લોકસ્તાએ સ્થાપેલું 'વિષ સંસ્થાન' પણ ઝાઝું ન ચાલ્યું. નીરોના ગયા પછી આવેલા શાસકે નીરોના નજીકના મનાતા તમામ લોકોને, એમની આવડત અને વિશેષતા સામું જોયા વિના, એક પછી એક ખતમ કર્યા. આ પગલું સ્વાવલંબનના ભાગરૂપે હતું કે કરકસરના ભાગરૂપે એ કોઈ જાણી શક્યું નહીં. આ સંસ્થાન પછીના ગાળામાં એક યા બીજા નામ હેઠળ ચાલુ રહ્યું હતું, એવી બિનઅધિકૃત માહિતી છે, પણ તેના કોઈ પુરાવા મળતા નથી.

Thursday, May 6, 2021

નીરો અને પશુપક્ષીપ્રેમ

 પોતાનાં સ્વજનો અને વડીલો પ્રત્યે હતો એવો જ આદર નીરોને મૂંગા પશુઓ પણ હતો. 'મૂંગા પશુઓ' તેના રાજ્યમાં હતા, એનો અર્થ એ કે 'બોલતાં પશુઓ' પણ હતાં. મૂંગા પશુઓ પ્રત્યે નીરોને આદરથી પણ એક ડગલું આગળ, કરુણા હતી. રોમની આસપાસના વન વિસ્તારમાં અનેક સિંહ અને વાઘ હતા. જંગલમાં આ વાઘસિંહને શિયાળવાં, વાંદરા કે હાથી જેવાં પ્રાણીઓ હેરાન ન કરે એટલા માટે નીરો તેમને રોમમાં લઈ આવ્યો હતો. કોલોઝિયમના એક ભંડકિયામાં નીરોએ તેમને રાખેલા. બેઠાડુ જીવન જીવવાથી તેઓ કોઈ રોગના ભોગ ન બને એટલા માટે તેમને અઠવાડિયે એક વાર જ ખોરાક અપાતો. 'બોલતાં પશુઓ' તેમને ધરાવાતાં. અઠવાડિયાના ભૂખ્યા સિંહ કે વાઘ આ 'બોલતાં પશુઓ' પર તૂટી પડતા. એ રીતે રોમમાં સફાઈ પણ જળવાતી, અને વાઘસિંહનું આરોગ્ય પણ સચવાઈ જતું.

નીરો નગરચર્યાએ નીકળે ત્યારે રોમનો રસ્તામાંથી હટી જતા. એક હાથ ઊંચો કરીને તેનું અભિવાદન કરતા અને કહેતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' અભિવાદનનો આ એક પ્રકાર હતો, નીરોને પૂછાયેલો સવાલ નહીં, એટલે નીરો સામો હાથ ઊંચો કરીને સૌનું અભિવાદન ઝીલતો.
રોમના પ્રજાજનો રંગબેરંગી વસ્ત્રો પહેરતા અને શિરસ્રાણમાં પક્ષીનું પીંછું ખોસતા. એનો અર્થ એ કે રોમમાં રંગબેરંગી પક્ષીઓ પણ હતા. નીરો આ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા દાખવતો. ઘણા ચિત્રકારો નીરોનું ચિત્ર બનાવવા તત્પર રહેતા. ક્યારેક કોઈક પક્ષીની પસંદગી આ ચિત્ર માટે કરવામાં આવે ત્યારે એ પક્ષી પ્રત્યે વિશેષ કરુણા દાખવવામાં આવતી. એ પક્ષીની ચાંચની ફાટ લાખ વડે ચોંટાડી દેવાતી. આમ કરવાથી ચિત્ર માટેની બેઠક ચાલે એ દરમિયાન પક્ષી આચરકૂચર ખાઈને બિમાર ન પડે એ હેતુ હતો. એ પક્ષીના પગના પંજા તીક્ષ્ણ હોય તો એને કાનસ વડે ઘસીને બુઠ્ઠા કરાતા. એ ન ફાવે તો પંજાનો ભાગ કાપીને દૂર કરાતો. આમ કરવાથી એ પક્ષી ચિત્ર માટેની બેઠક દરમિયાન ગમે ત્યાં રખડ્યા ન કરે એ આશય હતો. એ પક્ષીની પાંખ પણ બાંધી દેવામાં આવતી. નીરોના હૃદયમાં એ સમયે વહેતી કરુણાની માત્રા અનુસાર પાંખ બાંધવા માટેની સામગ્રી વપરાતી. કરુણાનો પ્રકોપ વધુ હોય તો પાંખો સોનાના તાર વડે બંધાતી. આ પ્રકોપ સામાન્ય હોય તો લોઢાના તાર વપરાતા. અન્ય પરિસ્થિતિમાં પાંખની ટોચનો એટલો ભાગ કાપી નાખવામાં આવતો. જે પક્ષીને નીરોના ખભા પર કે હાથ પર બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તેના પ્રત્યે નીરો અત્યંત કરુણા દાખવતો. તેને બ્રેડના ટુકડા નાખતો, કે શેરડી જેવો
અન્ય આહાર ધરતો. આ જોઈને નીરોનું ચિત્ર બનાવનાર ચિત્રકારના મોંમાથી પણ ઉદ્ગાર સરી પડતા, 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' એમ કહી શકાય કે આ પક્ષીનું ભાગ્ય પલટાઈ જતું. કેમ કે, ચિત્ર પૂરું થાય એ પછી રાતે જ એ પક્ષીને શાહી રસોડે મોકલી આપવામાં આવતું. એનાથી બે ફાયદા થતા. એ પક્ષીને મોક્ષ પ્રાપ્ત થતો, અને શાહી પરિવારને સ્વાદિષ્ટ ભોજન મળતું.


નીરોના અભિવાદન માટે વપરાતું વાક્ય 'હે સમ્રાટ! આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' ધીમે ધીમે એટલું પ્રચલિત બન્યું કે રોમનો આમ વ્યવહારમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા.
કહેવાય છે કે નીરો પર હુમલો કરવાના કાવતરા માટે પીસો પકડાયો ત્યારે તેને ઘેર તલવાર સાથે ધસી ગયેલા સૈનિકોએ પણ તલવારની અણીએ પીસોને પૂછેલું, 'આટલી બધી કરુણા આપ ક્યાંથી લાવો છો?' પીસો શી રીતે કહી શકે કે પોતાનામાં વહી રહેલી કરુણાના ઝરણાનું ઉદ્ગમસ્થાન નીરોના હૃદયમાં રહેલા કરુણાના ધોધમાં રહેલું છે!
આમ, નીરો પોતાના શાસનકાળ દરમિયાન પશુપક્ષીપ્રેમી સમ્રાટ તરીકે પણ ખ્યાતિ પામ્યો. એના મૂળમાં તેના હૃદયમાં વહેતો કરુણાનો અખૂટ ધોધ હતો.

Wednesday, May 5, 2021

નીરો અને વિનમ્રતા

નીરો એક વિનમ્ર શાસક હતો. તેના દિમાગમાં સત્તાની રાઈ જરાય ભરાયેલી નહોતી. આ રાઈ એવા લોકોના દિમાગમાં ભરાય કે જેમના હાથમાં એ અનાયાસે આવી ગઈ હોય. નીરોને કિશોરાવસ્થાથી જ ખબર હતી કે પોતે યોગ્ય સમયે રોમની ગાદી સંભાળવાની છે.

નીરોની સ્ત્રીસન્માનની ભાવના અને વડીલોની આદરઈજ્જત કરવાની વૃત્તિ વિશે પણ વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. જાહેરમાં નીરો એક માતૃભક્ત, આજ્ઞાકારી પુત્ર હોવાનું દેખાડતો. રોમનાં નગરજનોને થતું કે વાહ, સમ્રાટ હોય તો આવો. નીરો જાહેરમાં મહિલાઓની ઈજ્જત કરતો રહ્યો હતો. હા, માતા અગ્રીપીના અને પોતાની પત્નીઓ ઓક્ટેવિઆ અને પોપીઆનું અપમૃત્યુ નીરોના ઈશારે જ થયું હોવાનું કહેવાય છે. આમ છતાં, નીરોએ નથી એ મામલે પોતાનું કર્તૃત્વ દાખવ્યું કે નથી એ મહિલાઓ વિશે ઘસાતું બોલ્યો. મહિલાઓ પ્રત્યે સન્માન દર્શાવવાની તેની રીત એટલા માટે જ આગવી ગણાઈ છે.
પોતાના ગુરુ સેનેકા પ્રત્યે પણ તે આદર દર્શાવવાનો પ્રયત્ન કરતો. જો કે, સેનેકા પોતે ફિલસૂફ હતા, તેમજ સાહિત્યના રસિયા. એટલે તે જાહેરમાં દાવો ન કરતા કે નીરો પોતાનો શિષ્ય છે અને પોતે તેનું ઘડતર કર્યું છે. વયના તફાવતને કારણે સેનેકાને ખબર હતી કે પોતાનું આયુષ્ય નીરોની સરખામણીએ વહેલું સમાપ્ત થવાનું છે. છતાં, ભવિષ્યમાં નીરોના ગુરુ તરીકે તેમની બદનામી ન થાય એવી તકેદારી તે રાખતા. ગુરુ સેનેકા માટે નીરોને ઘણો ભાવ હતો. ઉત્તરાવસ્થામાં તે નિષ્ક્રિય બની ગયા છે એમ ન લાગે આથી નીરોએ 'પીસોનિયન કોન્સ્પીરસી' તરીકે ઓળખાયેલા, પોતાની હત્યાના કાવતરામાં સેનેકાનું નામ સાંકળ્યું. આમ કરવાનો ઉમદા આશય એટલો જ હતો કે ગુરુ સેનેકા ભલે વયસ્ક, નિવૃત્ત અને અમુક હદે નકામા લાગતા હોય, પણ તેમનું દિમાગ હજી તેજ છે. અને આવા તેજ દિમાગ ધરાવતા ગુરુનો શિષ્ય હોવા બદલ પોતે સાર્થક્ય અનુભવે છે. કાવતરાં સાથે સંકળાયેલાં લોકોને પકડવામાં આવ્યા ત્યારે પણ નીરોએ ગુરુ પ્રત્યે કૂણું વલણ દાખવ્યું. તલવારધારી સૈનિકો ધારત તો સેનેકાને ચપટીમાં પતાવી દેત, પણ ના! ગુરુનો આદર જળવાવો જ જોઈએ. આથી તેમને કહેવામાં આવ્યું કે તે ખુદ આત્મહત્યા કરી લે. ગુરુપત્ની પોમ્પીઆએ પણ પતિને પગલે આવો પ્રયાસ કર્યો ત્યારે નારીસન્માનની ભાવનાને બરકરાર રાખીને નીરોના સૈનિકોએ તેમને રોક્યાં નહીં. અલબત્ત, બન્ને ગંભીર રીતે ઘવાયાં, છતાં મૃત્યુ તેમને નસીબ ન થયું. એ પછીના ગાળામાં પણ નીરોએ ગુરુને તેમનો હેતુ પાર પાડવામાં શક્ય એટલો સહયોગ આપ્યો.


સ્વાભાવિક છે કે પોતાનાં કુટુંબીજનો પ્રત્યે પણ નીરોને સ્નેહભાવ રહેતો. મતભેદ ભાગ્યે જ થતા, કેમ કે, પરિવારનું વાતાવરણ અત્યંત સૌહાર્દપૂર્ણ હતું. પરિવારજનોને પોતાનું જીવન વધુ વહાલું હતું કે નીરો, એ મીઠી મૂંઝવણ હતી. જેમને નીરો કરતાં પોતાનું જીવન વધુ વહાલું હોવા બાબતે ખાતરી હતી એમની માન્યતા બદલવા માટે નીરોએ કશું દબાણ નહોતું કર્યું. બસ, તેઓ પોતાનું જીવન પોતાની સાથે લઈને જાય એવી વ્યવસ્થા કરી આપી હતી.
રોમનો નહોતાં નીરોનાં પરિવારજન, કે નહોતા ગુરુ! નીરોની જાહેર ચેષ્ટાઓ બદલ તેને ઉછળી ઉછળીને વધાવતા રોમનો એમ વિચારીને રાજી થતા રહ્યા કે નીરો પોતાનાં આત્મીયજનો પ્રત્યે આવો સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી શકતો હોય તો રોમનો માટે કેટલી દરકાર તેના મનમાં હશે!
આવા પરિવારવત્સલ, સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતા, ગુરુનો આદર કરતા સમ્રાટ માટે રોમનો ગર્વ ન અનુભવે તો જ નવાઈ!

(By clicking image, the URL will be reached) 

Tuesday, May 4, 2021

નીરો અને તેના ગુરુ

રોમમાં નીરોના શાસનકાળ દરમિયાન અનેક એવી ઘટના કે દુર્ઘટના બની કે જેમાં તેનો જાન લેવાનો પ્રયાસ થયો હોય. અલબત્ત, આ પ્રયાસ દરેક વખતે અલગ અલગ લોકો દ્વારા થતા. વિવિધ વર્ગના લોકોમાં નીરોની એ લોકપ્રિયતા સૂચવતા હતા. 

આવી જ એક મહત્ત્વની ઘટના સાથે પીસો નામના રોમન રાજપુરુષનું નામ જોડાયેલું છે. 'પીસોનિયન કોન્સ્પીરસી' એટલે 'પીસોએ ઘડેલું કાવતરું.' મુખ્ય વાત અહીં પીસોની કે કાવતરાની નથી, પણ જે પાત્રની વાત છે એની પૃષ્ઠભૂમિ માટે આ જાણવું જરૂરી છે.

પીસો 
રોમની ગાદીએ બેઠેલો નીરો બહુ ઝડપભેર એકહથ્થુ શાસક બની ગયો હતો. આ લક્ષણ તેનામાં પહેલેથી મોજૂદ હતું, અને ખરું જોતાં તે ગાદીએ બિરાજમાન થયો એ માટે તેની આ માનસિકતા જ જવાબદાર હતી. પણ અમસ્તુંય શાસનમાં પરિવર્તન ઝંખતા હોય છે અને નવા શાસકમાં આંખો મીંચીને વિશ્વાસ મૂકી દેતા હોય છે. નીરોની આ માનસિકતા ધીમે ધીમે લોકોના ધ્યાનમાં આવવા લાગી. સ્વાભાવિકપણે જ તેની નિકટના લોકોનું ધ્યાન સૌથી પહેલું ગયું. 

કેટલાક રોમન ઉમરાવોને આ ખૂંચવા લાગ્યું, પણ કરવું શું? રોમન રાજપુરુષ પીસોએ નીરોની હત્યાની એક મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી. નીરોના અનેક વિરોધીઓની તેણે સહાય લીધી. નિર્ધારીત સમયે નીરો પર હુમલો કરવાનું નક્કી જ હતું, પણ....
પીસોના કે રોમના કમનસીબે એ યોજનાની ગંધ નીરોને આવી ગઈ. નીરોની ક્રૂરતા જોતાં એમ લાગે કે તેણે આ સૌને ખતમ કરાવી દીધા હશે. નીરોએ બધા સાથે એમ ન કર્યું. અમુકને ખતમ કરાવ્યા, પણ પીસો સહિત બીજા કેટલાક મુખ્ય કાવતરાખોરોને તેણે આત્મહત્યા કરવા મજબૂર કર્યા.
આ થઈ પૃષ્ઠભૂમિ. હવે પેલા પાત્રની વાત આ પૃષ્ઠભૂમિ સંદર્ભે.
નીરોની માતાની જેમ તેના ગુરુ સેનેકાનો પણ નીરો પર ઘણો પ્રભાવ હતો. સેનેકા નીરો કરતાં વયમાં ઘણા મોટા. અગાઉના શાસકો સાથે કામ કરી ચૂકેલા. સાહિત્ય, કળાના મર્મજ્ઞ અને (ચિંતક નહીં) ફિલસૂફ. આટઆટલી લાયકાત 
છતાં તે રોમના કોઈ અખબારમાં કટારલેખન કરતા નહોતા. કટારલેખન ન કરે એટલે સ્વાભાવિક છે કે નીરોની પ્રશસ્તિ ન કરી શકે. 
નીરોને રાજકાજના વ્યવહાર શીખવવા માટે સેનેકાને નીમવામાં આવેલા. નીરો ગાદીનશીન થયા પછી તે પ્રશિક્ષક મટીને સલાહકાર બન્યા. સ્વાભાવિક છે કે તેમને પોતાના શિષ્ય પર ગર્વ હોય. નીરો શાસન સંભાળ્યા પછી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ઉપસાવવા માંગતો હતો. ધીમે ધીમે તે એવા લોકોથી મુક્ત થવા લાગ્યો કે જેમનો તેની પર પ્રભાવ હતો. માતા અગ્રીપીનાને તેણે ન છોડી હોય તો સેનેકા કયા ખેતરનો મૂળો? એમાંય સેનેકા તો ચિંતનલેખ લખવા માટેના એકદમ લાયક ઉમેદવાર, અને છતાં એ કટારલેખન કરતા નહોતા. એમનો શો ખપ? 
'પીસોનિયન કોન્સ્પીરસી'એ નીરોને એ મોકો આપી દીધો. આ કાવતરું ઘડનારા કાવતરાખોરોમાં સેનેકાનું નામ સંડોવવામાં આવ્યું. અલબત્ત, 
હકીકતની રીતે જોઈએ તો સેનેકા આમાં ક્યાંય સંકળાયેલા ન હતા, બલ્કે તે પુસ્તકો સાથે શાંતિપૂર્વક જીવન ગુજારી રહ્યા હતા. નીરોને હકીકતનો શો ખપ? 
નીરોના સૈનિકો તેમની પાસે પહોંચી ગયા. નીરોના આદેશ અનુસાર તેમણે સેનેકા સાથે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો. 
તેમને મારી નાખવાને બદલે આત્મહત્યા માટે કહેવામાં આવ્યું. સેનેકાએ પોતાના શરીરની મુખ્ય નસો કાપી નાખી અને લોહીલુહાણ થઈ ગયા. તેમની પત્ની પોમ્પીઆએ પણ આ પગલું ભર્યું. અલબત્ત, બેમાંથી કોઈનું મૃત્યુ ન થયું.
સેનેકા એ પછી કઈ હાલતમાં જીવતા રહ્યા, એ દરમિયાન આત્મહત્યા માટે કેવા પ્રયાસ કરતા રહ્યા એ રોમના ઈતિહાસનું વધુ એક લોહિયાળ પ્રકરણ છે. આખરે તેમને વરાળયુક્ત ગરમ પાણીમાં લાવવામાં આવ્યા અને ગૂંગળામણથી એ મૃત્યુ પામ્યા. એમનો છૂટકારો થયો.

સેનેકાનું મૃત્યુ 
વિરોધીઓને જ નહીં, પોતાના પર પ્રભાવ પાડનારની પણ નીરો આ હાલત કરી મૂકતો હતો. તેને એમ જ હતું કે રોમના શાસનમાં બસ પોતાની જ બોલબાલા રહેવી જોઈએ. આમ જોઈએ તો એ કેટલો સાચો હતો! નીરોના પૂર્વસૂરિઓમાંથી કેટલાના નામ અને કામ લોકોને યાદ છે? અરે, ખુદ નીરોના શાસનકાળ દરમિયાન બીજા કેટલા પ્રતિભાવંત લોકો હશે! પણ બે હજાર વરસ પછી લોકજુબાને છે નીરો, અને એ પણ રોમની આગના કારણે! ઈતિહાસ ગમે એ કહે, લોકો કોને, શી રીતે યાદ રાખે છે કે વીસરી જાય છે એ નથી ઈતિહાસના હાથમાં કે નથી ઈતિહાસકારના હાથમાં.

(By clicking image, the URL will be reached) 

Sunday, May 2, 2021

નીરો અને રોમના સિક્કા

પ્રાચીન રોમન સામ્રાજ્ય સંસ્કૃતિમાં તે સમયનાં અનેક રજવાડાંની સરખામણીએ અગ્રેસર હતું. નીરો ગાદીનશીન થયા પહેલાંથી આ પરંપરા ચાલી આવતી હતી. નીરોને ગાદીએ બેસાડવામાં તેની માતા અગ્રીપીનાની ભૂમિકા મહત્ત્વની હતી. નીરોના ગાદીધર બન્યા પછી શરૂઆતના ગાળામાં રાજકાજના વહીવટમાં પણ અગ્રીપીનાનો મત વજનદાર ગણાતો. એ હદે કે એ સમયે રોમન સામ્રાજ્યે જે સોનાના સિક્કા બહાર પાડ્યા એમાં પણ નીરોની સાથે અગ્રીપીનાનો ચહેરો સામસામો હોય એમ ઉપસાવેલો હતો.


નીરો અને અગ્રીપીનાનો ચહેરો આગળપાછળ હોય એવા પણ કેટલાક સિક્કા હતા. 


અગ્રીપીનાની દખલ પહેલેથી જ વધુ હતી, પણ શરૂઆતમાં નીરો નવો હતો. પાંચેક વરસ પછી તેણે ભોજન માટે માને નોંતરીને તેનું કાસળ કઢાવી દીધું. (એ વાત આપણે આગળ જોઈ ગયા). મા તો ગઈ, તો હવે માના ચહેરાવાળા સિક્કાનું શું કામ? એને લોકસ્મૃતિમાંથી સુદ્ધાં ભૂંસી નાંખવી રહી, જેથી કોઈ કદી યાદ જ ન કરે કે આવી કોઈક વ્યક્તિ થઈ ગઈ.
નીરોએ રાતોરાત ફરમાન બહાર પાડ્યું કે અગ્રીપીનાનો ચહેરો ધરાવતા સિક્કાઓ પાછા ખેંચવામાં આવે છે. જેની પાસે આ સિક્કા હોય તેમણે તેને બદલે નવા, નીરોના ચહેરાવાળા સિક્કા સાથે બદલી લેવા. હકીકતમાં નીરોએ પોતાના એકલાના ચહેરાવાળા સિક્કા પડાવ્યા જ નહોતા. આ ફરમાન થકી નીરોએ એક જ કાંકરે અનેક પક્ષીઓ માર્યા.
રોમનો ઠીક ઠીક સમૃદ્ધ હતા. ઘણા બધા રોમન ઉમરાવોએ સોનાના સિક્કા એકઠા કરી રાખ્યા હતા. એ સૌ થથરી ગયા. એમનું એક પ્રતિનિધિમંડળ તત્કાળ નીરોને મળવા ઉપડ્યું. નીરોએ તેમને મુલાકાત આપી. ઉમરાવોએ પોતાની સમસ્યા રજૂ કરી અને કહ્યું કે પોતે તો રાજ્યને કામ આવે એ માટે ધનસંચય કર્યો હતો. નીરોએ તેમને હૈયાધારણ આપી અને કહ્યું, 'કાલે વહેલી સવારે તમે એ તમામ સિક્કા લઈને શાહી તિજોરીએ આવી જજો અને સિક્કા બદલાવી જજો. હા, તમારો ચહેરો ઢાંકીને નીકળજો, જેથી કોઈ તમને ઓળખી ન શકે.' ઉમરાવો રાજી થઈ ગયા. તેમને ખાતરી થઈ કે સમ્રાટ નીરોના હૈયે પોતાનું હિત વસેલું છે. બીજા દિવસે વહેલી સવારે મુખવટો પહેરીને, રોમન ઉમરાવો નીકળ્યા. સિક્કાના કોથળા તેમણે ઘોડા પર લાદેલા હતા. સૌ એકઠા મળીને શાહી તિજોરીએ પહોંચ્યા. ત્યાં ખજાનચી હાજર હતો. તેણે કયા ઉમરાવ પાસેથી કેટલા સિક્કા આવ્યા એની નોંધ તૈયાર કરી. સિક્કાના કોથળાને જમા ખાતે લેવામાં આવ્યા. રોમન ઉમરાવો આગળની પ્રક્રિયા માટે રાહ જોઈને ઉભા હતા. એ વખતે આસપાસ સંતાયેલા હથિયારધારી સૈનિકો હાથમાં તલવાર સાથે નીકળી આવ્યા. તમામ ઉમરાવોનો શિરચ્છેદ કરવામાં આવ્યો. રોમના અમુક લોકોને સવારે વહેલા જાગવાની આદત હતી. કેટલાકે જોયું કે શાહી ખજાનાવાળા આવાસ તરફ ખૂબ અજવાળું દેખાઈ રહ્યું છે. એ લોકોને ખ્યાલ આવી ગયો કે શાહી ખજાનચીઓ સવારના વહેલા આવીને પોતાની ફરજ પર લાગી ગયા હશે. પોતાના રાજ્યના લોકોની ઈમાનદારી અને કર્મચારીઓની ફરજપરસ્તી પર રોમનોએ ગર્વ મહેસૂસ કર્યો.
સવાર પડતાં જ ઠેરઠેર રોમનોએ ધસારો કરવા માંડ્યો. રાજ્ય તરફથી સિક્કા પાછા ખેંચવાનું ફરમાન થયેલું, પણ એ ક્યાં આપવા, કયા સમયે આપવા એ કશાની સ્પષ્ટતા નહોતી. કેટલાક લોકો રોમના બજાર મધ્યે આવેલા ચોકમાં પહોંચી ગયા. તેમણે વિચાર્યું કે આ સ્થાને શિરચ્છેદ જેવાં અગત્યનાં કામ હાથ ધરવામાં આવે છે, આથી શક્ય છે કે સિક્કા બદલવાનું પણ ત્યાં રાખ્યું હશે. ત્યાં પહોંચતાં તેમણે જોયું કે ચોક પર રાબેતા મુજબનું કામ ચાલુ હતું, પણ સિક્કા જમા કરાવવા અંગે ત્યાં ઉભેલા સૈનિકોને કશો ખ્યાલ નહોતો. બિચારા ફરજપરસ્ત સૈનિકોએ એ હદ સુધીની ઑફર મૂકી કે કહેતા હો તો કશા વાંકગુના વિના આપનો શિરચ્છેદ કરી આપીએ, બાકી સિક્કાઓ વિશે અમને કશું કહ્યું નથી.
કેટલાક લોકો રોમના પ્રબુદ્ધ લોકોને ઘેર પહોંચી ગયા. તેમને એમ કે રોમન પ્રબુદ્ધોને અવશ્ય જાણ હશે કે સિક્કા ક્યાં જમા કરાવવા. રોમન પ્રબુદ્ધો મૂંઝાયેલા હતા. છતાં તેમણે કહ્યું, 'જુઓ, સમ્રાટ નીરોએ બધું સમજીવિચારીને કર્યું હશે. આવા સમયે આપણી ફરજ છે કે ઉહાપોહ કરવાને બદલે તેમને સહકાર આપીએ.' નાગરિકોને નવાઈ લાગી કે પોતે સહકાર આપવા તો આવેલા છે, અને ઉહાપોહ વિશે વિચાર્યું સુદ્ધાં નથી. છતાં તેમને પોતાના રાજ્યના પ્રબુદ્ધો પર શ્રદ્ધા હતી કે તેમણે જે કહ્યું એ સમજીવિચારીને કહ્યું હશે.
હાથમાં સિક્કાની નાનીમોટી પોટલીઓ લઈને રોમનો વિવિધ ઠેકાણે તપાસ કરી રહ્યા હતા કે એને ક્યાં જમા કરાવવી. એવે વખતે અચાનક તેમની પર હુમલા થવા લાગ્યા. ચિત્રવિચિત્ર કપડાં પહેરેલા સૈનિકો મુખવટો પહેરીને ઘોડો દોડાવતા ધસી આવતા, અને પોટલીઓ ખૂંચવી લેતા. કોઈ પ્રતિકાર કરવા જાય તો તેને ભાલાથી વીંધી નાખતા.
રોમનોમાં ભાગદોડ મચી ગઈ. સિક્કાને બદલે હવે તેઓ જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા. ભાગ્યે જ કોઈ એવો રોમન બચ્યો હતો કે જેની પાસે હવે નીરો અને અગ્રીપીનાવાળા સિક્કા હોય.
**** **** ****
નીરોના મહેલના એક ખંડમાં સિક્કાની વિવિધ કદની પોટલીઓ ખડકાઈ ગઈ હતી. નીરોએ હુકમ કર્યો, 'આ તમામ સિક્કાઓ ઓગાળી નાખો. હવે ફક્ત મારા ચહેરાવાળા સિક્કા બનાવો.'



એક શાણા માણસે સહેજ સંકોચ સાથે પૂછ્યું: 'પણ નામદાર, ત્યાં સુધી લોકો શું કરશે?'
નીરોએ કહ્યું, 'તમને છેલ્લી ચેતવણી છે. મારી ફીડલ ટ્યૂન કરાવવાનું તમને સોંપેલું છે એ કરાવવાને બદલે તમે ભળતા સવાલો પૂછો છો! તમને રોમદ્રોહી ઘોષિત કરી દઈશ તો તમે જેમના વતી સવાલ કરો છો એ જ લોકો તમને જીવતા સળગાવી મૂકશે, સમજ્યા?'
શાણો માણસ ખરે જ શાણો હતો. તેણે નીચી ગરદને કહ્યું, 'નામદારને માલૂમ થાય કે આપે હુકમ કર્યો એ પછી કલાકમાં જ ફીડલ ટ્યૂન અપ થઈ ગઈ હતી. સમ્રાટનો જય હો!'
આટલું કહીને તેમણે ઉંચે જોયું તો નીરો ત્યાંથી નીકળી ગયો હતો. શાણા માણસે વિચાર્યું, 'મારા સમ્રાટ કેવા નિરાભિમાની છે! એમને પોતાનો જયઘોષ સાંભળવાની પડી નથી.'
આવા શાણા માણસો અને નિરાભિમાની સમ્રાટ થકી રોમ ઉજળું હતું.