Showing posts with label Yesudasan. Show all posts
Showing posts with label Yesudasan. Show all posts

Monday, December 1, 2025

સ્મૃતિનાં આલ્બમ અને તેમાં રહેલી તસવીરો

- યેસુદાસન

એક વાર કેટલાક મિત્રો ફિલ્મ અભિનેતા મધુના ઉમા ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે આવ્યા. સ્ટુડિયોની પાછળ દૂર દેખાતી ટેકરીઓ અને ખેતરો તરફ આંગળી ચીંધીને એમણે મધુને પૂછ્યું, 'આ બધો પણ સ્ટુડિયોનો હિસ્સો છે?' મધુએ પોતે મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન'માં પોતે ભજવેલા પાત્ર પરીકુટ્ટીની શૈલીએ વ્યંગ્યમાં મલકાઈને કહ્યું, 'હા, હા. એ બધું જ મારું છે, જો તમે એને ઝૂમ લેન્સથી જુઓ તો.'
આપણા નેતાઓ ઝૂમ લેન્સ જેવા જ હોય છે. તેઓ દૂરની ચીજોને પોતાને માટે ફોકસમાં લઈ આવે છે. તેમને સતત લાઈમલાઈટમાં રહેવું હોય છે, તેઓ સતત પોતાની તસવીરો લેવાય તેમજ પોતાને વિશે લખાય એમ ઝંખે છે. તેઓ માને છે કે કેમેરાનું ફોકસ તેમની પર નહીં રહે તો પોતે 'આઉટ ઓફ ફોકસ' થઈ જશે. તેઓ રામ ઐયર સરની જેમ માનતા નથી કે તસવીરો લેવાથી પોતાનું આયુષ્ય ટૂંકાઈ જશે. એથી વિપરીત, જ્યારે પણ તસવીરો લેવાય ત્યારે એ નાનકડા સમૂહના રાજા છે, અને પોતે દીર્ઘ, પ્રભાવશાળી જીવન જીવશે.
ફોટો આલ્બમ આપણી પ્રગતિની જેમ આપણી પીછેહઠના દસ્તાવેજનું કામ પણ કરે છે. લોકો મોહનલાલ, મમ્મૂટી કે જયરામ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની સાથે પોતાની તસવીરો આલ્બમમાં કે બેઠકખંડના ટેબલ પર પ્રદર્શિત કરીને આનંદ માણે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના ઉચ્ચતમ સમય દરમિયાન પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેની પોતાની તસવીરો દેખાડતા હોય છે, પણ જ્યારે પોતાનો ખરાબ સમય હોય ત્યારે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ કે, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારની, કે કેરળના વિત્ત મંત્રી શ્રી શિવદાસ મેનનની શૈક્ષણિક કારકિર્દી વખતની તસવીર, કે પછી બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા એ વખતની યા (અભિનેતા) ઈન્દ્રન્સ સિવણકામ કરતા હતા ત્યારની એમની સાથેની તસવીરો. એ સહુ અત્યારે બહુ લોકપ્રિય છે. એથી વિરુધ્ધ, ચન્દ્રાસ્વામી, નરસિંહરાવ અને જયલલિતાનું હવે કોઈ મૂલ્ય નથી, કેમ કે, પાવર અને પ્રભાવની તેમની ઊતરતી કળા છે. કેટલાક લોકો તો એમની સાથેની પોતાની તસવીરો આલ્બમમાંથી હટાવી લેવાની હદ સુધી જાય છે.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

Thursday, November 20, 2025

સ્માઈલ પ્લીઈઈઈઝ....અને સાહેબની દોટ

- યેસુદાસન

ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.

મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.

એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.

(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

Monday, November 17, 2025

મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી તેઓ જરાય કમ નહોતા

- યેસુદાસન

શંકરને ઘેર રોજેરોજ રાજકારણીઓનો મેળાવડો થતો. મેં સાંભળેલું કે તેઓ સ્કેચ બનાવવા માટે કાગળ લઈને લોકોની વચ્ચે ફરતા. પછી મને ખ્યાલ આવ્યો કે એ સાચું નહોતું. તેઓ બરાબર સાડા આઠે ઓફિસ પહોંચી જતા, તમામ અખબારો વાંચતા અને પોતાને ગમ્યા હોય એવા સમાચારનાં કટિંગ કરતા. બહુ ઝીણવટપૂર્વક તેઓ લોકોનું નિરીક્ષણ કરતા.
પોતાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોના વિશાળ સંગ્રહ બાબતે શંકર બહુ ગૌરવ અનુભવતા. મારા માટે તેઓ- મારા બીજા ગુરુ- મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી કમ નહોતા. પહેલા દિવસનો એક બનાવ મને યાદ આવે છે. એ કદાચ એટલો મહત્ત્વનો ન લાગે, પણ તેણે મારા વિચારો અને દૃષ્ટિકોણ પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.
એમની ઓફિસમાં મારા પહેલા જ દિવસે તેમણે મને જાણીતા બ્રિટીશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોનાં ત્રણ પુસ્તકો લાવવાનું કહ્યું. મને એ જડ્યાં નહીં. જો કે, તેમણે એક જ મિનીટમાં એ શોધી કાઢ્યાં. પોતાના પુસ્તકાલયમાંથી તેમને જણાવ્યા વિના પુસ્તકો લઈ જવાની તેમણે મને ના પાડેલી. ઘણા કાર્ટૂનિસ્ટો એમની પાસેથી લઈ ગયેલાં પુસ્તકો પરત કરતા નહોતા એ બાબતે તેઓ નારાજ હતા.
તેમણે મને શેરીઓમાં ભટકીને ભિક્ષુકો, કાર મિકેનીકો અને બૂટપાલિશ કરતા છોકરાઓનો અભ્યાસ કરતાં શીખવ્યું. સાથોસાથ મિલનસ્થાનોની મુલાકાત, વક્તવ્યમાં ભાગ લેવો તેમજ લોકોની રીતભાતને ઝીણવટથી અવલોકતાં શીખવ્યું.
તેમની પાસેથી હું શીખ્યો કે જગજીવન રામની અને મોરારજી દેસાઈની લાકડી ભલે એક સરખી જણાય, પણ એક કાર્ટૂનિસ્ટની દૃષ્ટિએ એમાં ફરક જણાવો જ જોઈએ.
કાર્ટૂનિંગ બાબતે તેમણે મને (કાર્ટૂનિસ્ટ) ઓ.વી.વિજયનની કે અબુ (અબ્રાહમ)ની શૈલીને ન અનુસરવાની સલાહ આપી. એક કાર્ટૂન એ હદનું બૌદ્ધિક ન હોવું જોઈએ કે એક સરેરાશ માણસ એને માણી ન શકે. જેમ કે, વિજયનનું 'યુ ટૂ, બ્રુટસ' શિર્ષકવાળું કાર્ટૂન કોઈક જુએ તો એ બ્રિટીશ લાયબ્રેરીમાં જાય, સવારે દસ વાગ્યે એ ખૂલે ત્યાં સુધી રાહ જુએ, સીઝર પરનું પુસ્તક ફંફોસે અને પછી પાછો આવીને કાર્ટૂનનું વિશ્લેષણ કરીને હસે એ અશક્ય છે. શંકર માનતા કે એક જ લસરકામાં કોઈકને હસાવી શકે એ સફળ કાર્ટૂન.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: The Alcove publishers, Gurgaon, 2025)
(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)
(આ સાથે અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, શંકર અને યેસુદાસનનાં એક એક કાર્ટૂન તેમની શૈલીનો અંદાજ આવે એ હેતુથી મૂક્યાં છે.)

અબુ અબ્રાહમનું કાર્ટૂન

ઓ.વી.વિજયનનું કાર્ટૂન
શંકરનું કાર્ટૂન

યેસુદાસનનું કાર્ટૂન (રાજ્યસભાની બેઠક માટે સોનિયા ગાંધી સામે
ઊમેદવારી માટે કરુણાકરણ જૂથ અને કે.એમ.મણિ આગળ આવ્યા)

Sunday, November 16, 2025

તેં વેશ્યાગૃહ જોયું છે?

- યેસુદાસન

એક દિવસ તેમણે મને પૂછ્યું, 'તેં વેશ્યાગૃહ જોયું છે?' આ સવાલથી હું દિગ્મૂઢ થઈ ગયો અને મેં ના પાડી. એટલે તે અકળાઈ ગયા. મારું જ્ઞાન તો મેં ફિલ્મોમાં જે જોયેલું એના પૂરતું સીમિત હતું. તેમણે તરત પોતાના ઓફિસ સહાયક રાધેલાલને બોલાવ્યા અને મને જી.બી.રોડ પરના રેડ લાઈટ એરિયામાં લઈ જવાની એમને સૂચના આપી. સવારના સાડા નવ આસપાસ એમની લીલા રંગની એમ્બેસેડર કારમાં મને લઈ જવામાં આવ્યો. એ સાંકડી ગલીઓમાં નાના નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરતા હતા અને ઊપરના માળે મહિલાઓ કતારબંધ પોતાના દેહવિક્રય માટે ઊભેલી હતી.
સાડા અગિયાર સુધી હું પાછો આવ્યો કે એમણે પૂછ્યું, 'તેં બધું બરાબર જોયું?'
એ પછી શંકરે એ દિવસનું પોતાનું કાર્ટૂન પૂરું કર્યું અને એનો વિષય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોંગ્રેસના તત્કાલીન વડા યુ.એન.ઢેબરે એક નિવેદન આપેલું કે કોંગ્રેસ તરફ વધુ લોકોને આકર્ષિત કરવા માટે પક્ષે પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ. આ નિવેદનના આધારે શંકરે કાર્ટૂન બનાવેલું, જેમાં તેમણે નહેરુ, વી.કે.કૃષ્ણમેનન, કરણસિંઘ, જગજીવનરામ, ગુલઝારીલાલ નંદા, અને લાલ બહાદુર શાસ્ત્રીને રેડ લાઈટ એરિયામાં પોતાનું દેહપ્રદર્શન કરતા ઊભા રહેલા ચીતરેલા. કૃષ્ણમેનનને બહુ કામુક રીતે બસો રૂપિયા માંગી રહેલા બતાવેલા. મને નવાઈ લાગી કે મારા એ ગુરુએ સવારના મારા નિરીક્ષણને યથાતથ કાગળ પર ઊતારેલું. કાર્ટૂન દોરતી વખતે તેઓ કહીસુની વાતને બદલે જાતઅનુભવમાં માનતા. આર.શંકરની દેહમુદ્રાને બરાબર ન બતાવીએ કે પી.ટી.પિલ્લાઈના નાક પરના મસાને બરાબર ન ચીતરીએ તો શંકર અકળાઈ જતા. નેતાઓના નિરીક્ષણ માટે તેમણે મને સંસદ ભવનમાં નિયમીતપણે જવાની સૂચના આપેલી. 'મનોરમા'માંથી હું 2008માં નિવૃત્ત થયો ત્યાં સુધી મેં આ સીલસીલો ચાલુ રાખેલો.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)