Showing posts with label પુસ્તક પરિચય. Show all posts
Showing posts with label પુસ્તક પરિચય. Show all posts

Sunday, February 9, 2025

ગુજરાતમાં, ગુજરાતીમાં થઈને વિસરાઈ ગયેલી એક ચર્ચા અંગ્રેજીમાં...

 અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!

'ક્માર'નું ગુજરાતી સામયિક જગતમાં એક સમયે આગવું સ્થાન હતું. ગુજરાતની બે-ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં આ સામયિકની ભૂમિકા મહત્ત્વની બની રહી. અનેકાનેક વિષયો આ સામયિકમાં આલેખાતા. ખાસ કરીને બચુભાઈ રાવતના સંપાદક તરીકેના સમયગાળામાં આ સામયિકે આગવાં શીખર સર કર્યાં.
તેમાં વાચકોની સામેલગીરી સક્રિયપણે રહેતી. 'વાચકો લખે છે' વિભાગમાં ઘણી વાર 'કુમાર'માં પ્રકાશિત લેખોની પૂરક વિગતો વાચકો પૂરી પાડતા.
1959થી 1964 અરસામાં તેમાં એક વિશિષ્ટ ચર્ચા ચાલતી રહી. 'કુમાર'માં પ્રકાશિત થયેલા છ લેખોની ફરતે ચર્ચા થતી રહી, જેમાં અનેક વાચકોએ પોતાની રીતે ભાગ લીધો. આ ચર્ચામાં એક છેડે હતા કરાચીના કળાપ્રેમી સજ્જન ફિરોઝશા મહેતા, અને બીજી બાજુ હતા વડોદરાના કળાકાર, તસવીરકાર અને કળા વિદ્યાલયના પ્રાધ્યાપક જ્યોતિ ભટ્ટ.
આખી ચર્ચાનો મૂળ વિષય હતો કળામાં આધુનિકવાદ (Modernism) અથવા તો આધુનિક કળા (Modern Art). યુરોપનાં વિવિધ કળા સંગ્રહાલયોની મુલાકાત લઈ ચૂકેલા કળારસિક સજ્જન ફિરોઝશાએ 'મોડર્નિઝમ'ને 'સાડાપાંચિયો' (સાડા પાંચ અક્ષરનો બનેલો શબ્દ) તરીકે સંબોધીને મૌલિકતા, નવિનતા અને અનન્યતાને નામે ચાલી રહેલી શૈલીની ટીકા કરી હતી અને આ રોગને 'શૈલીઘેલછા' તરીકે ઓળખાવ્યો હતો. પોતાની ટીકાના સમર્થનમાં તેમણે અનેક ઉદાહરણો ટાંક્યાં હતાં. Modernismને તેમણે Murdersim ગણાવ્યું હતું.
જ્યોતિ ભટ્ટે એવી દલીલ રજૂ કરી હતી કે આધુનિકતા કંઈ આજકાલની દેન નથી. એ તો કળાનાં મૂળભૂત મૂલ્યો સાથે પહેલેથી જ સંબંધિત છે. માત્ર ને માત્ર મુદ્દા આધારિત આ ચર્ચામાં અનેક વાચકો પણ ભાગ લેતા રહ્યા. જ્યોતિ ભટ્ટે અત્યંત સકારાત્મક રીતે પોતાના મુદ્દાઓને વિસ્તારીત કરીને સચિત્ર સમજાવ્યા. છ અંકમાં પ્રકાશિત લેખો પર થયેલી આ ચર્ચા આટલા લાંબા અંતરાલ સુધી ચાલતી રહે એ સૂચવે છે કે એમાંથી કેવું નવનીત નીતર્યું હશે.
મહેમદાવાદનિવાસી મિત્ર વાસવી ઓઝા વડોદરામાં કળાશિક્ષણ પામીને, હૈદરાબાદ ખાતે પીએચ.ડી. કર્યા પછી બંગલૂરુમાં સંશોધન અને કળાશિક્ષણ સાથે સંકળાયેલી છે. તેણે 'કુમાર'ના અંકોમાંની આ સામગ્રીને ખંતપૂર્વક એકઠી કરી. તેને સંકલિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ કરીને એક જુદા જ વાચકવર્ગ સમક્ષ એ રજૂ કરવાનું નક્કી કર્યું. તેના આ પ્રયાસને Reliable copy નામના પ્રકાશકે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કર્યો.
11 સપ્ટેમ્બર, 2022ના રોજ વડોદરા ખાતે આ પુસ્તકના વિમોચન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજાયો. આમ, એક ગુજરાતી સામયિકમાં ધરબાઈ ગયેલી અનોખી વિગતો લોકોની સમક્ષ આવી. અત્યંત સુઘડ, નયનરમ્ય લેઆઉટ અને ડિઝાઈનવાળા આ પુસ્તકમાં કળારસિકો માટે મહત્ત્વની કહી શકાય એવી વિગતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં સુદ્ધાં ભૂલાઈ ગયેલા 'કુમાર'માંના આ વિષયને ગુજરાતી ઉપરાંતના વાચકો સુધી લઈ જવા બદલ વાસવી અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.
(પુસ્તકની વિગત: Modernism/Murderism: The Modern Art Debate in Kumar
Jyoti Bhatt, Pherozeshah Rustomji Mehta, and the readers of Kumar
Translated by Vasvi Oza, ₹ 950)

Saturday, February 8, 2025

કરુણાંતિકાનો વ્યંગ્યાત્મક દસ્તાવેજ

કરુણ પરિસ્થિતિમાં આંસું વહી આવવાં ઘણાખરા લોકો માટે સામાન્ય બાબત હોય છે, જ્યારે ઘણા લોકોની આંખો સાવ કોરી રહી જાય એમ પણ બનતું હોય છે. પણ કરુણ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? ચલચિત્ર જ્યારે ફક્ત સિનેમાના પડદે જ જોવા મળતાં ત્યારે એવો મોટો વર્ગ હતો કે જે પડદા પરનાં દૃશ્યો જોઈને આંસુ વહાવતો. ખાસ આવા વર્ગ માટે જ અંગ્રેજીમાં જેને Tearjerker કહે છે એવી ફિલ્મ કે ફિલ્મમાંનાં દૃશ્ય લખવામાં આવતાં. જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ અફર સત્ય સૌ જાણતાં હોવા છતાં મૃત્યુ સામાન્ય રીતે કરુણ પરિસ્થિતિનું જનક બની રહે છે. તેનું કારણ છે તેની આકસ્મિકતા.

એક જણનું આકસ્મિક મૃત્યુ કરુણ લાગે, તો અનેક લોકોની ઈરાદાપૂર્વક કરેલી હત્યાને કઈ શ્રેણીમાં મૂકવી? યુદ્ધમાં થતો સંહાર આપણને કોઠે પડતો રહ્યો છે, પણ સાવ નિ:શસ્ત્ર અને નિર્દોષ લોકોના સંહારને શું કહેવું! આમ છતાં, વિશ્વભરમાં તેનું પુનરાવર્તન થતું રહે છે. સમયગાળો ચાહે કોઈ પણ હોય! જલિયાંવાલા બાગનો હત્યાકાંડ હોય, યહૂદીઓનો સામૂહિક જનસંહાર હોય કે બોસ્નિયનોનો સંહાર કરતો સ્રેબ્રેનિત્ઝા હત્યાકાંડ હોય! મનુષ્યની આ આદિમ વૃત્તિ તે આટલો સુસંસ્કૃત બન્યો હોવા છતાં બદલાઈ નથી, જેનો પરચો જગતને વખતોવખત મળતો રહે છે.
ઘણાને ચીનના ટીઆનનમેન (ટાઇનામેન) ચોકનો હત્યાકાંડ યાદ હશે. 1989માં ચીનના આ જાહેરસ્થળે એકઠા થયેલા હજારો વિદ્યાર્થીઓ પર શાસકોએ લશ્કરી ટેન્કથી ધડબડાટી બોલાવી હતી. આ ઘટનાના પડઘા વિશ્વભરમાં ગૂંજ્યા હતા.
ઠેકઠેકાણે તેની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં, પણ એ તમામ વિરોધ દુર્ઘટના થઈ ગયા પછીનો હતો. જવાબદાર શાસકોના પેટનું પાણીય તેનાથી હાલે નહીં.
આ ઘટનાની ઝાઝી વિગતોની જાણ નહોતી કે હકીકતમાં શો મુદ્દો હતો અને શેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયેલા. ખબર હશે તો પણ સમયના વીતવા સાથે ભૂલાઈ ગયેલી.
આ હત્યાકાંડની પચીસમી તિથિએ એટલે કે 2014માં તેને અનોખી રીતે તાજો કરવામાં આવ્યો. સિંગાપોરમાં જન્મેલા, ચીનથી આકર્ષાઈને તેનાથી પરિચીત બનેલા, 'ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યૂ' (FEER) માસિક સાથે સંકળાયેલા કાર્ટૂનિસ્ટ મોર્ગન ચૂઆ/ Morgan Chua ઘણો સમય સુધી ચીનની નીતિઓના પ્રશંસક રહ્યા. તેમનાં કાર્ટૂનોમાં પણ તેમનું આ વલણ પ્રતિબિંબીત થતું રહ્યું. પણ ટીઆનનમેન ચોકના નિષ્ઠુર હત્યાકાંડે તેમને હચમચાવી મૂક્યા અને ચીનના શાસકોએ પોતાના દેશવાસીઓની જેમ મોર્ગનને પણ છેહ દીધો હોય એવું તેમણે અનુભવ્યું. એ પછી તેમનાં કાર્ટૂન વખતોવખત ચીનની નીતિની આકરી ટીકા કરતાં રહ્યાં. અને આ બધામાં વખતોવખત ટીઆનનમેન ચોકનો સંદર્ભ આવતો રહ્યો.

પુસ્તકનું મુખપૃષ્ઠ

આ હત્યાકાંડના પચીસમા વર્ષે મોર્ગને ટીઆનનમેનને લગતાં કાર્ટૂનોને સંપાદિત કર્યાં અને એને પુસ્તકાકારે પ્રકાશિત કર્યાં. આ પુસ્તકનું નામ જ 'TIANANMEN' છે. તેના મુખપૃષ્ઠ પર લાલ, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને તેમણે આ ઘટનાની ભયાવહતા પ્રતિપાદિત કરી.
આ પુસ્તક હવે 'નવયાન'/ Navayana પ્રકાશનગૃહ દ્વારા ભારતમાં ઉપલબ્ધ બનાવાયું છે, અને જે ઑનલાઈન ઓર્ડર દ્વારા પણ મેળવી શકાય છે. પુસ્તકનો ઉપક્રમ અદ્ભુત છે. તેમાં આ હત્યાકાંડને લગતાં વિવિધ કાર્ટૂનો છે, પણ સાથેસાથે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, તેની સાથે સંકળાયેલાં મુખ્ય પાત્રો, અને તેમની હત્યાકાંડ પછીની ગતિવિધિ વિશે કાર્ટૂન દ્વારા જ માહિતી આપવામાં આવી છે.
આટલા નિષ્ઠુર અને કરુણ હત્યાકાંડને આ રીતે વ્યંગ્યચિત્રોના માધ્યમથી પુસ્તકાકારે રજૂ કરવાનું કામ નોંધપાત્ર કહી શકાય એવું છે. આ હત્યાકાંડ વિશે કદાચ અનેક પુસ્તકો લખાયાં હશે, પણ આ પુસ્તક આગવી ભાત પાડનારું છે.

ઘટનાક્રમ

મુખ્ય પાત્રો વિશે

પાત્રોનું પછી શું થયું?
"અકળાશો નહીં. અમે એક બીગ પરેડ'ની સિક્વલનું
 ફિલ્માંકન કરી રહ્યા છીએ."

"અને માર્યા ગયેલા સ્ટુડન્ટ એકસ્ટ્રા હતા!"

આપણા દેશમાં આવા છૂટકછૂટક પ્રયત્નો થયા છે. અબુ અબ્રાહમે કટોકટી પછી તેને લગતાં કાર્ટૂનોનું સંકલન પુસ્તકરૂપે પ્રકાશિત કરેલું. તો સુધીર તેલંગે 'નો, પ્રાઈમ મિનીસ્ટર'ના નામે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પર ચીતરેલાં કાર્ટૂનો પુસ્તકમાં સંપાદિત કરેલાં. બાબાસાહેબ આમ્બેડકરને કાર્ટૂનમાં દર્શાવીને તેમને ઉતરતા બતાવાયા હોવાનું પ્રતિપાદિત કરતું ઉન્નમતિ શ્યામસુંદરનું પુસ્તક 'નો લાફિંગ મેટર', ઈન્દીરા ગાંધીના કાર્યકાળને દર્શાવતાં સૂરજ શ્રીરામ 'એસ્કે'નાં કાર્ટૂનોનો સંગ્રહ 'ઈન્દીરા ગાંધી, ધ ફાઈનલ ચેપ્ટર', વિમુદ્રીકરણના ગાળાનાં કાર્ટૂનોનું પુસ્તક 'રુપી ઓર નૉટ રુપી' તેમજ કોરોનાકાળનાં કાર્ટૂનોનો સંચય 'ગો કોરોના ગો' (બન્ને સતીશ આચાર્યનાં) આનાં ઉદાહરણ છે.
અલબત્ત, આવા ભયાનક હત્યાકાંડ પરનાં વ્યંગ્યચિત્રોનો સંચય ધરાવતું આ પુસ્તક અનેક રીતે આગવું બની રહ્યું છે.
(TIANANMEN, 25th Anniversary edition, by Morgan Chua, પ્રકાશક: Navayana)


Sunday, May 28, 2023

મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ

 નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો. 

હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.

માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે. 

રમેશભાઈના હસ્તાક્ષર 

રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન) 

(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)

Saturday, May 27, 2023

સાંધ્યગોષ્ઠિ

કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય.  મને મળેલું એક પુસ્તક જોતાં જ આવા વિચાર આવ્યા. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પુસ્તકમાં છે.

વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.
ડૉ. દક્ષાબહેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.
વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.
આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 
બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનભાઈ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.
'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.
મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.

Tuesday, June 7, 2022

વ્યારાની સાહિત્યપરંપરાને ઉજાગર કરતી પુસ્તકત્રયી

દસ્તાવેજીકરણ બાબતે આપણું વલણ સામાન્ય રીતે ઉદાસીન રહ્યું હોય એવું જોવા મળ્યું છે. જે કંઈ થાય એમાં પણ ધોરણસરનું ઓછું જોવા મળે. એક એક ફોટામાં દસ- બાર- પંદર લોકો કાં એમના એમ ઊભા હોય, કાં હાથમાં કશુંક ચોરસ કે લંબચોરસ પકડીને ઊભા હોય એવા ફોટાઓની ભરમાર મોટે ભાગે આવા પુસ્તકોમાં વધુ હોય છે. આના થકી જે તે સંસ્થા કે વ્યક્તિની તવારીખનો ભાગ્યે જ અંદાજ આવે. આવા કામોમાં ક્યારેક સુખદ અપવાદ જોવા મળે ત્યારે આનંદ થાય. 2018 માં પ્રકાશિત આ પુસ્તકત્રયીનું લેખન-સંપાદન દક્ષાબેન વ્યાસના દ્વારા અને તેમના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.

**** 

કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણેક વરસ અગાઉ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં છે. પુસ્તકત્રયી પૈકીનું પહેલું પુસ્તક છે 'સાંધ્યગોષ્ઠિ'.

વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.

ડૉ. દક્ષાબેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.

વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.

આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.

હોમાય વ્યારાવાલા વિશે વ્યારા ખાતે
'સાંધ્યગોષ્ઠિ'માં દૃશ્યશ્રાવ્ય રજૂઆત 

'સાંધ્યગોષ્ઠ' પુસ્તકમાં આ વાર્તાલાપની નોંધ 

બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનેશ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.

'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.

મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.

****


આ પુસ્તકત્રયીમાંનું બીજું પુસ્તક એટલે 'યાત્રાપથ'. તેમાં 'શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય'નો આશરે 150 વર્ષનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. સમગ્ર તવારીખને દસ સ્તબકમાં વિભાજીત કરી દેવામાં આવી છે, જેને લઈને કયા તબક્કામાં કેટલું કામ થયું તેનો અંદાજ મળી રહે છે. છેક 1944માં કાશીબેન પવાર નામનાં એક બહેને પોતાનું મકાન, તેની ગલી અને વાડાની જમીન સાથે આ પુસ્તકાલયને ભેટ તરીકે આપ્યું હતું. કાશીબેન એક વિધવા હતાં, જેઓ કપડાંવાસણ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. ચાર સંતાનોના ભરણપોષણ અને ઉછેરની તેમને માથે જવાબદારી હતી. એ નિભાવ્યા પછી તેમણે આ નિર્ણય કર્યો હતો.


આવી અનેક બારીક વિગતો આ પુસ્તકમાં આલેખાઈ છે. પ્રત્યેક ગામમાં પુસ્તકાલયની સ્થાપના કરવાની મહારાજા સયાજીરાવ ગાયકવાડની દૂરંદેશી વિચારતાં આજે તેમના પ્રત્યેનો આદર વધતો જાય.
ત્રીજું પુસ્તક છે 'વ્યારાના સારસ્વતો'. પ્રત્યેક ગામ, નગર યા શહેરનું વ્યક્તિત્ત્વ (કે નગરત્વ) તેના રહીશો થકી ઘડાતું હોય છે. મિથ્યા ગૌરવ લેવાની ફેશન આજકાલની કે આપણા પ્રાંત પૂરતી મર્યાદિત નથી. પણ મિથ્યાગૌરવની લ્હાયમાં ક્યારેક સાચું અને વાજબી ગૌરવ લેવાનું વિસરાઈ જતું હોય એમ લાગે. આ પુસ્તકમાં વ્યારામાં જન્મેલા/કાર્યરત એવા 55 સાક્ષરોનો સંક્ષિપ્ત પરિચય સમાવવામાં આવ્યો છે. 'આધુનિકોના આચાર્ય' ગણાતા સુરેશ જોશી વ્યારામાં જન્મેલા, એની જાણ મને આ પુસ્તક થકી થઈ. પરિચયનું ફોર્મેટ પણ નક્કર- નામ, સરનામું, ફોન નંબર, અભ્યાસ, વ્યવસાય, રસનાં ક્ષેત્ર, લેખનનાં ક્ષેત્ર, પુસ્તકો તેમ જ અન્ય આનુષંગિક વિગતો.
આ પ્રકારનાં પુસ્તકો એક સંદર્ભની ગરજ સારે છે.


આ ત્રણે પુસ્તકોના લેખન-સંપાદન બદલ દક્ષાબેન વ્યાસ અને તેમની ટીમ તથા પુસ્તકાલયના કર્તાહર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન અને પુસ્તકોનું સ્વાગત.

Wednesday, May 11, 2022

'રૂપપ્રદ કલા'નો પુનર્જન્મ

'આપણને એમાં સમજણ ન પડે.' આ વાક્ય ઘણા બધાના મોંએ, ઘણી બધી બાબતો અંગે સાંભળવા મળતું હોય છે. ખાસ કરીને કળાની, દૃશ્યકળાની વાત આવે ત્યારે આ સૌથી વધુ લોકોના મોંએ બોલાતું વાક્ય હશે. શાળામાં ચિત્રકામનો વિષય ભણવામાં આવતો, અને 'બાળચિત્રાવલી' તેના પાઠ્યપુસ્તક તરીકે આવતી, ત્યારે એમાંના ચિત્રો મોટા ભાગના લોકો જાતે દોરવાને બદલે ચિત્રકામના ઉસ્તાદ એવા કોઈક પાસે જ દોરાવી લેતા. જે આબેહૂબ ચીતરી શકે એનું ચિત્રકામ સારું ગણાતું, અને એને લોકો ચિત્રની પરીક્ષા આપવાની સલાહ આપતા. રાજ્ય કક્ષાની ચિત્રકળાની બે પરીક્ષાઓ 'એલિમેન્ટરી' અને 'ઈન્ટરમિડીયેટ' ઘણા બધાએ આપી હશે, પાસ કરી હશે, અને તેનાં નાની સાઈઝનાં પ્રમાણપત્રો પણ સાચવી રાખ્યાં હશે. પોતે ધાર્યું હોત તો ચિત્રકળામાં આગળ વધી શક્યા હોત એવો વહેમ પણ પંપાળતા રહ્યા હશે. (ખોટું નહીં કહું, મેં પણ આ બન્ને પરીક્ષાઓ પાસ કરી છે.) અલબત્ત, આ પરીક્ષાઓ થકી ચિત્રકળાની કેટલી સમજણ વિકસી હશે એ સવાલ છે!

કળાની સમજણ હોવી એટલે કંઈ દોરતા આવડે એ જરૂરી નથી. કળાને માણવા માટેની સજ્જતા ગમે એ કેળવી શકે. પણ કળાક્ષેત્રમાં કાર્યરત હોય એ સિવાય જૂજ લોકો આવી સજ્જતા કેળવવા બાબતે રસ ધરાવે છે. એક સમયે 'કુમાર' દ્વારા આવો સન્નિષ્ઠ પ્રયત્ન કરાયો હતો. 'કુમાર' દ્વારા પ્રકાશિત 'શિલ્પ-પરિચય' નામની બંગાળીમાંથી અનુવાદિત એક પુસ્તિકા મારી પાસે છે, જેમાં શિલ્પકળાની પ્રાથમિક સમજણ અને તેને માણવા માટેની પાયાની બાબતો આપવામાં આવેલી છે. શિલ્પકળા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, છતાં તેને માણવાની બાબતે ખાસ રુચિ કેળવાયેલી જોવા મળતી નથી. આવા સંજોગોમાં આ પુસ્તિકા ઘણી મદદરૂપ બની રહે.
1947માં દેશ સ્વતંત્ર થયો અને વડોદરામાં મ.સ.યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી તેમાં દૃશ્ય, સંગીત, નૃત્ય, નાટ્ય અને સ્થાપત્ય કળાઓનાં ઉચ્ચ અભ્યાસનું શિક્ષણ આપતી ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સનો આરંભ કરવામાં આવ્યો. આગળ જતાં, સંગીત, નાટ્ય અને નૃત્યકળાની શાખા અલગ થઈને 'ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ' તરીકે ઓળખાઈ. આ વિશ્વવિદ્યાલયનાં પ્રથમ કુલપતિ હંસા મહેતા હતાં. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એ માટે ઉત્તમ અધ્યાપકોને લાવવા માટે તે પ્રયત્નશીલ હતાં. ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના આયોજન અને સંચાલન માટે તેમણે એવી જ એક વ્યક્તિની પસંદગી કરી. અમેરિકામાં કળાશિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરનાર માર્કંડ છગનલાલ ભટ્ટ એ રીતે આ ફેકલ્ટીના પહેલવહેલા ડીન બન્યા. તેમને બહુ ઝડપથી સમજાઈ ગયું કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને અહીં આવતા ઘણાખરા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સમજવાની ઘણી મુશ્કેલી હતી. પુસ્તકાલયમાં કળાવિષયક અનેક સુંદર પુસ્તકો હોવા છતાં ભાષાની મર્યાદાને કારણે વિદ્યાર્થીઓ તેનો પૂરતો લાભ લઈ શકતા નહોતા. એક સન્નિષ્ઠ અધ્યાપક અને કળાપ્રેમીને જ સૂઝે એવો વિચાર તેમને આવ્યો. અનેક પ્રાચીન-અર્વાચીન સંદર્ભોનો સહારો લઈને તેમણે એક પુસ્તક ગુજરાતીમાં તૈયાર કરવાનું નક્કી કર્યું. પ્રાચીન ભારતીયથી લઈને અર્વાચીન ભારતીય તેમજ પાશ્ચાત્ય કળાઓની સમજણ આપતું પુસ્તક તેમણે તૈયાર કર્યું. જ્યોતિ ભટ્ટ, રમેશ પંડ્યા, ફીરોઝ કાટપીટિયા જેવા એ સમયના તેમના વિદ્યાર્થીઓએ આ પુસ્તક તૈયાર કરવામાં તેમને ઘણી મદદ કરી. (આ વિદ્યાર્થીઓએ આગળ જતાં પોતાના ક્ષેત્રોમાં નામ કાઢ્યું.) 1958માં પ્રકાશિત આ પુસ્તકનું નામ 'રૂપપ્રદ કલા'. આ શબ્દ 'પ્લાસ્ટિક આર્ટ્સ' માટેનો ગુજરાતી શબ્દ છે. પ્લાસ્ટિક આર્ટ્સ એટલે દૃશ્યકળા.
સંજોગોવશાત માર્કંડભાઈને કેનેડા સ્થાયી થવા માટે જવાનું બન્યું અને આ પુસ્તકના વિતરણની યોગ્ય વ્યવસ્થા થઈ શકી નહીં. મારા મિત્ર બકુલ જોશી થકી આ પુસ્તકનો મને પરિચય થયેલો. સમયગાળો 1991-92ની આસપાસનો. પણ તે પુસ્તકાલયમાંથી લાવેલો હતો. આ પુસ્તક વસાવવું જોઈએ એ તો તે વખતે જ ખ્યાલ આવી ગયેલો, પણ મેળવવું ક્યાંથી? એ ખરા અર્થમાં દુર્લભ બની ગયેલું.


હવે સુરતના 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા આ પુસ્તકનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે અને એમ સાઠ વર્ષ પછી કળાપ્રેમીઓ માટે તે સુલભ બનાવવામાં આવ્યું છે. માર્કંડ ભટ્ટના પુત્રનો પત્તો મેળવીને તેમની પાસેથી પુસ્તકના હક્ક મેળવ્યા પછી તેને પ્રકાશિત કરાયું છે. કુલ ત્રણ ખંડમાં વહેંચાયેલા આ પુસ્તકને બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ખંડ 1માં રૂપપ્રદ કલાની વ્યાખ્યાને વિવિધ પાસાંઓ વડે સમજાવવામાં આવી છે, જેમાં રંગ, રેખા, ઘનતા, અવકાશ, છાયાપ્રકાશ જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. ખંડ 2માં પાશ્ચાત્ય મંતવ્યોની રૂપરેખા વિગતે વર્ણવવામાં આવી છે. ખંડ 3માં સૌંદર્યતત્ત્વનાં વિવિધ પ્રાચ્ય મંતવ્યોની રૂપરેખાનું વર્ણન છે, જેમાં ભારતીય ઉપરાંત ચીન, જાપાનનાં મંતવ્યો વર્ણવાયાં છે.

આ ગ્રંથસંપુટ માત્ર કળાના વિદ્યાર્થી કે કળાકાર માટે જ મર્યાદિત નથી, પણ કળા અને સૌંદર્યશાસ્ત્રમાં પ્રાથમિક રુચિ ધરાવતા સહુ કોઈ માટે છે. 'કલા પ્રતિષ્ઠાન'ના રમણિક ઝાપડીયા દ્વારા એક પછી એક એમ કુલ 28 કળાવિષયક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ ગ્રંથ પ્રકાશિત કરીને તેમણે કળાપ્રેમીઓ પર મોટો ઉપકાર કર્યો છે. 



Saturday, May 7, 2022

ગોળીબારની મુસાફરી

 કિશોરાવસ્થા એટલે કુતૂહલ, જિજ્ઞાસાવૃત્તિ, સાહસવૃત્તિ વગેરેનો ઉદભવ થવો અને ક્રમિક વિકાસ થવો. બાળક બાલ્યાવસ્થામાં અનેક બાબતોથી પરીચીત થાય ત્યાર પછી એ બાબતો અંગે તેની જિજ્ઞાસા વધતી જાય. આ કારણે કિશોરસાહિત્યનું મહત્ત્વ એટલું જ છે કે હતું. અને આ પ્રકારમાં ખેડાણ પણ ઘણું થયું છે. વાંચન દ્વારા એક બાબત એ બનતી કે વાચકના મન:ચક્ષુ સમક્ષ આખી કથા ભજવાતી, જે સરવાળે બાળકની કલ્પનાશક્તિ ખીલવવામાં સહાયરૂપ બનતી. આ અવસ્થામાં રહસ્યકથાઓ વાંચવી પણ ખૂબ ગમે. કિશોરાવસ્થામાં મળેલો આવો માનસિક ખોરાક તેનું જીવનપાથેય બની રહે એવી ક્ષમતા આ સામગ્રીમાં હતી.

હવે સમય બદલાયો છે અને દૃશ્ય માધ્યમનો પ્રચંડ પ્રભાવ છે ત્યારે લાગે છે કે જાણે આખેઆખી કિશોરાવસ્થા જ લુપ્ત થઈ ગઈ છે. અને તેને પગલે કિશોરસાહિત્ય પણ! દ્રશ્યમાધ્યમે કલ્પનાશક્તિને મર્યાદિત કરી દીધી હોય એમ લાગે છે. આવા સમયમાં આપણે કિશોરાવસ્થામાં વાંચેલા અનેક પુસ્તકોની તીવ્ર ખોટ સાલે છે.
અહીં મૂકેલું જેકેટ ‘ગોળીબારની મુસાફરી’ નામના પુસ્તકનું છે, જે જોનાથન સ્વીફ્ટની વિશ્વવિખ્યાત કૃતિ ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’નો અનુવાદ છે. હંસા મહેતાએ તે કર્યો છે, અને તેની પહેલી આવૃત્તિ 1940માં પ્રકાશિત થયા પછી 1951માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી.
મઝાની વાત એ છે કે આ સીધેસીધો અનુવાદ નથી. મૂળ કથાને એમની એમ રાખીને તેમણે આખો પરિવેશ ભારતીય, બલ્કે ગુજરાતી કર્યો છે. સુરતમાં વસતા ‘ગોળીબાર’ પરિવારની આ અટક શી રીતે પડી એની તાર્કિક વાત લખવાની સાથે બીજા ભાગમાં તેમણે એક આખું પ્રકરણ સાવ નવું લખ્યું છે. અનુવાદ અસાધારણ સારો કહી શકાય એવો નથી, છતાં ઘણે અંશે સારો છે.
હંસાબેને આ રીતે ‘બાવલાનાં પરાક્રમો’ (કાર્લો કલોડી ની કૃતિ ‘પીનોકિયો’નો અનુવાદ, જેનાં ચિત્રો રવિશંકર રાવળે બનાવ્યાં હતાં), ‘વેનિસનો વેપારી’ અને ‘હેમ્લેટ’ (બંને શેક્સપિયરની કૃતિઓ) જેવી અનુવાદિત કૃતિઓ આપી હતી. આ ઉપરાંત ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ તેમજ ‘રુકિમણી’ જેવાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ પ્રવાસવર્ણન હતું એવો ખ્યાલ છે.