Showing posts with label જ્યોતિ ભટ્ટ. Show all posts
Showing posts with label જ્યોતિ ભટ્ટ. Show all posts

Wednesday, March 13, 2024

જ્યોતિભાઈના જન્મદિને

 ગઈ કાલ 12 માર્ચે જ્યોતિ ભટ્ટનો 90મો જન્મદિન હતો. એ નિમિત્તે તેમની દીકરી જાઈ તેમજ તેમના બૃહદ પરિવારે એક નાનકડા, અનૌપચારિક છતાં આત્મીય કાર્યક્રમનું આયોજન કરેલું. વડોદરાના કલાવર્તુળમાં જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનનું નામ બહુ આદરપૂર્વક લેવાય છે. જ્યોત્સ્નાબહેને તો થોડા સમય પહેલાં જ વિદાય લીધી. જ્યોતિભાઈની પ્રાથમિક ઓળખ ચિત્રકાર, તસવીરકાર, પ્રિન્ટમેકર તરીકે આપી શકાય. તેમણે કળાવિષયક લેખો પણ ગુજરાતીમાં લખ્યા છે, જેનો સંચય રમણિકભાઈ ઝાપડીયાની સંસ્થા 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા 'રૂપ નામ જૂજવાં' શિર્ષકથી પ્રકાશિત કરેલો છે. પણ આ બધાથી ઉપર જ્યોતિભાઈની ઓળખ એટલે એક સાચા શિક્ષકની, માર્ગદર્શકની.

1991માં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ સાથે મારો એકાદ વર્ષ જેટલો ટૂંકો સંબંધ બંધાયો એ જ વરસે જ્યોતિભાઈ નિવૃત્ત થયેલા. પેઈન્ટિંગ વિભાગ દ્વારા તેમને અપાયેલી ફેરવેલ દરમિયાન તેમણે પોતાનો પ્રતિભાવ નહોતો પાઠવ્યો, બલ્કે તેઓ એ પાઠવી નહોતા શક્યા એ હદે તેઓ લાગણીવશ થઈ ગયેલા. આ લાગણીવશતા અને બીજી તરફ હેતુલક્ષિતા- બન્ને તેમની પ્રકૃતિમાં સહજપણે જોવા મળે.


ગઈ કાલના કાર્યક્રમમાં તેમના મિત્રો, સગાં, શુભેચ્છકોએ તેમના વિશે પોતાના અનુભવો ટૂંકમાં કહેવાનો ઉપક્રમ રાખેલો. અને એ પછી સૌથી છેલ્લે જ્યોતિભાઈનો પોતાનો પ્રતિભાવ. પણ જ્યોતિભાઈ વતી આ પ્રતિભાવ મિત્ર પિયૂષ ઠક્કર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો. જ્યોતિભાઈની આંખ સાવ ઓછું કામ આપે છે, અને ઉત્તરોત્તર તે ક્ષીણ થતી રહી છે. આમ છતાં, તેમનો જીવનરસ સૂકાયો નથી. વાંચન માટે તેમને ત્યાં એક સહાયક આવે છે, જે તેમને વિવિધ લેખો, પુસ્તકોમાંથી વાંચી સંભળાવે છે. દેશવિદેશમાં પ્રસરેલા તેમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો હજી 'સર'ની ખબરઅંતર લેતા રહે છે, અને પોતાનું ઘર સમજીને તેમને ત્યાં મળવા આવે છે. વિદ્યાર્થીઓનો આવો નિ:સ્વાર્થ પ્રેમ પામવાનું સદ્ભાગ્ય ઓછા લોકોને સાંપડતું હોય છે!
ગઈ કાલના કાર્યક્રમની ઝલક આપતી કેટલીક તસવીરો.
જ્યોતિભાઈનો બૃહદ પરિવાર

વિવિધ આમંત્રિતો દ્વારા જ્યોતિભાઈ સાથેનાં
પોતાનાં સંભારણાંની ટૂંકમાં રજૂઆત

પિયૂષ ઠક્કર દ્વારા જ્યોતિભાઈના પ્રતિભાવનું પઠન






Sunday, August 27, 2023

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

 (સૌથી ધનિક હોય એવા હયાત કલાકારોની યાદીમાં પાંચ ગુજરાતી કલાકારો પૈકીનું એક નામ જ્યોતિ ભટ્ટનું પણ છે. આ સમાચાર મેં 20-8-23ના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા અને અમુક મિત્રોએ પણ મને જણાવ્યા. આની અસલિયત શી છે એ જ્યોતિભાઈને રૂબરૂ મળીને જાણ્યા પછી તેમણે લખેલી નોંધ. - બીરેન કોઠારી)

 

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

-     જ્યોતિ ભટ્ટ

સૌથી ધનિક એવા ભારતમાંના પચાસ હયાત કલાકારોની યાદીમાં મારું નામ સામેલ થયાના સમાચાર જાણવા મળે ત્યારે આનંદ કરતાં વધુ આશ્ચર્ય થાય! વિગતે વાત કરું. 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પહેલે જ પાને એક સમાચાર પ્રકાશિત થયા. ત્રણેક સંબંધીઓએ સવાર સવારમાં જ મને આ બાબતની જાણ કરીને અભિનંદન પાઠવ્યા. મેં આ સમાચાર વાંચ્યા અને વાંચીને રમૂજમિશ્રિત મૂંઝવણ થઈ આવી.


(દિવ્ય ભાસ્કર, 20-8-23, રવિવાર)

મને લાગ્યું કે આ સમાચારમાં દર્શાવાયેલી વિગતોનાં અનેક અર્થઘટન, અથવા તો અનર્થઘટન થઈ શકે છે. પહેલું તો એ કે કળાકારોની કૃતિઓ જે એક વર્ષમાં વેચાઈ તે ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણે વેચી અને કોણે ખરીદી તેનો અણસાર સુદ્ધાં આમાં નથી. આથી વાંચનારને એમ જ લાગે કે અહીં ઉલ્લેખાયેલા કલાકારોએતગડી કમાણી કરી હશે. હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરાયેલી અને બહાર પડાયેલી આ યાદી અનુસાર મને થયેલી કુલ આવક 0.37 કરોડ (એટલે કે 37 લાખ) અને મારી કૃતિની સૌથી વધુ ઉપજેલી કિંમત 0.27 કરોડ (એટલે કે 27 લાખ) છે. આ સૌથી અસ્પષ્ટ બાબત છે, જેની મને જાણ સુદ્ધાં નથી. સંભવ છે કે 0.37 કરોડની કિંમતની મારી કૃતિઓ ભારતમાં કે ભારત બહાર કોઈ આર્ટ ઑક્શનમાં વેચાઈ હોય. એ શક્યતા પણ ખરી કે ભૂતકાળમાં વિવિધ આર્ટ ગેલરી યા વ્યક્તિગત સંગ્રાહકે મારી કૃતિઓને સાવ ઓછી કિંમતે ખરીદીને પોતાની પાસે રાખી મૂકી હશે અને તેની યોગ્ય કિંમત ઉપજતાં તેને વેચી હશે. આવું થાય ત્યારે કલાકારને અને તેની બિનહયાતિમાં તેના વારસદારને તે કૃતિની ઉપજેલી કિંમતનો અમુક હિસ્સો મળવો જોઈએ એવી માગણી દુનિયાભરના કલાકારો વરસોથી કરતા આવ્યા છે, પણ આજ સુધી કોઈને કશું મળ્યું નથી.

કોઈ કૃતિની ઊંચી કિંમત ઉપજ્યાના સમાચાર પ્રકાશિત થાય એટલે કળા અને કળાકાર અંગેની ચર્ચા જાણે કે નવેસરથી શરૂ થતી લાગે છે. વાસ્તવિકતા શી હોય છે? કેટલાંક ઉદાહરણ પરથી મારી વાત વધુ સ્પષ્ટ કરું.

મારી એક કૃતિ મેં 1954-55માં તૈયાર કરેલી. મુંબઈ આર્ટ સોસાયટીના 1955ના વાર્ષિક પ્રદર્શનમાં તેને પ્રદર્શિત કરી. એ કૃતિને સો રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાયેલો અને એટલી જ કિંમતે તેનું વેચાણ પણ થયું હતું. આમ, મને એ સમયે એ કૃતિના બસો રૂપિયા મળ્યા હતા એમ કહી શકાય. 63 વર્ષ પછી મુંબઈની પંડોલ આર્ટ ગેલરીએ એક ઑક્શનમાં તેને મૂકી. મને મળેલી માહિતી મુજબ દિલ્હીની DAG આર્ટ ગેલરીએ એ કૃતિ માટે દસ લાખની બોલી લગાવીને તેને મેળવી લીધી હતી. આનો અર્થ એ કે DAGએ પંડોલ ગેલરી દ્વારા એ કૃતિના માલિકને દસ લાખ ચૂકવ્યા હશે ઉપરાંત 20 ટકા પ્રમાણે બે લાખ પંડોલ ગેલરીને તેમજ વેરારૂપે બે લાખ ભારત સરકારને પણ ચૂકવ્યા હશે.

મારી અન્ય એક કૃતિ મેં લગભગ 1961માં બનાવેલી. એ સમયે ઉજ્જૈનની કાલિદાસ અકાદમી તરફથી વાર્ષિક કલાપ્રદર્શન યોજાતાં હતાં, જેમાં મહાકવિ કાલિદાસની નિયત કૃતિ સાથે સંકળાયેલા વિષય પર આધારિત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવતી. બે ફીટ બાય 2.30 ફીટની મારી એક કૃતિ તેમાં પુરસ્કૃત થઈ હતી. ત્યાર પછી મારી અનુપસ્થિતિમાં 1964થી 1966 દરમિયાન એ કૃતિ ત્યારે યોજાયેલા ફાઈન આર્ટ્સ ફેરમાં તત્કાલીન પ્રાધ્યાપકો દ્વારા વેચાણ માટે મૂકાઈ હશે અને કોઈકે તે ખરીદી હશે. મને આ અંગે કશી જ માહિતી નથી. પરંતુ 2019માં અમેરિકાના ખ્યાતનામ ઑક્શન હાઉસ ક્રીસ્ટી તરફથી મને એક ઈ-મેલ મળ્યો, જેમાં એ ચિત્ર મારું જ હોવા બાબતે પૃચ્છા કરવામાં આવી હતી અને મારા દ્વારા તેમને એ ખાત્રી મેળવવી હતી. એ ચિત્ર ઑક્શનમાં મૂકાયું ત્યારે તેની કિંમત છથી આઠ હજાર યુ.એસ.ડોલર જણાવાઈ હતી. જો કે, તેની હેમર પ્રાઈસ એટલે કે વેચાણ કિંમત 28,500 યુ.એસ.ડોલર ઉપજેલી. મને લાગે છે કે મારી કોઈ કૃતિની ઉપજેલી આ સૌથી વધુ કિંમત હશે. અલબત્ત, તેમાં મને કશું મળ્યું નહોતું.

અખબારમાં આ પ્રકારે સમાચાર પ્રકાશિત થાય ત્યારે તેના વાચકો તો ઠીક, આવકવેરા વિભાગના અધિકારીઓ પણ એમ માની લે એવી શક્યતા છે કે આ રકમ હકીકતમાં કલાકારને મળી હશે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સમાચાર પછી મને એક સંસ્થાનો ઈ-મેલ મળ્યો. જો કે, એ કેવળ યોગાનુયોગ હતો. Not for Profitના ધોરણે ચલાવાતી એ સંસ્થાના સંચાલનખર્ચની વિગતોની સાથે તેમાં ઉદારતાપૂર્વક મદદ કરવાની અપીલ કરાઈ હતી. સાથે એ માહિતી પણ અપાઈ હતી કે સંસ્થાને અપાયેલું દાન આવકવેરાની કલમ 80 જી મુજબ કરમુક્તિને પાત્ર છે. હવે એ આશા રાખવી રહી કે આવકવેરા વિભાગ તરફથી આ સમાચારના આધારે કોઈ નોટિસ મોકલવામાં ન આવે.

અલબત્ત, હજી પાયાનો સવાલ રહે છે કે આ યાદી તૈયાર કરનાર હુરુન ઈન્‍ડિયા છે કોણ? તેની વિગતે વાત અલગથી.

**** **** **** 


41મો ક્રમ, 41 ગણી ખુશી

-     જ્યોતિ ભટ્ટ


દેશના સૌથી ધનિક પચાસ હયાત કલાકારોની યાદી હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરીને બહાર પાડવામાં આવી, જે અંગેના સમાચાર 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા. આ યાદીમાંના પાંચ કલાકારો ગુજરાતી હોવાનું જણાવાયું છે, જેમાં ગુલામ મોહમ્મદ શેખ, હિંમત શાહ, શાંતિ દવે, મનુ પારેખ અને જ્યોતિ ભટ્ટનો એટલે કે મારો સમાવેશ આ જ ક્રમમાં છે. આ જાણીને સહજ જિજ્ઞાસા થાય કે હુરુન ઈન્‍ડિયા છે શું? ગૂગલને પૂછતાં તે જણાવે છે: ‘Hurun is a ranking of individuals with a net worth of INR 1,000 crore  and has grown to become the most comprehensive rich list from India.’ બીજા શબ્દોમાં કહીએ તો આ કંપની ભારતના સૌથી ધનિક લોકોની ક્રમાનુસાર સર્વાંગી યાદી તૈયાર કરે છે. ભારતીય મૂળના પચાસ સૌથી ધનિક કલાકારોની તેમણે તૈયાર કરેલી યાદી આ મુજબ છે. આ યાદી અહીં મેં ક્રમાનુસાર મૂકી નથી, પણ તેમાં સમાવાયેલાં નામનો ઉલ્લેખ કરેલો છે.

અનિશ કપૂર, કિશન ખન્ના, રામેશ્વર બરુટા, અર્પિતા સિંઘ, જોગેન ચૌધરી, શક્તિ બર્મન, અંજલિ મેનન, નલિની માલાની, શકીન શૉ, પરેશ મૈતી, લક્ષ્મા ગૌડ, બોઝ ક્રિશ્નામાચારી, સૈયદ યજુદ્દીન, લાલુપ્રસાદ શૉ, ગુલામમોહમ્મદ શેખ, અત્તીનગલ રામચંદ્રન, હિંમત શાહ, અલ્તાફ નવજોત, થોટા વૈકુંઠમ, જી.આર.ઈરન્ના, ભારતી ખેર, ગોગી સરોજ પાલ, જયશ્રી બર્મન, સીલીઆ પૉલ, વસુંધરા તિવારી બરુટા, જયશ્રી ચક્રવર્તી, મનુ પારેખ, ગણેશ હાલોઈ, સુધીર પટવર્ધન, જ્યોતિ ભટ્ટ, રઘુ રાય, શાંતિ દવે, સુબોધ ગુપ્તા, રવીન્‍દર રેડ્ડી, જિતેશ કાલ્લટ, રાહુલ દાસગુપ્તા,અતુલ ડોડીયા, પ્રભાકર કોલસે, કે.એસ.રાધાકૃષ્ણન, ગીવ પટેલ, પરમજિત સિંઘ, શીબુ નટેસન, સિદ્ધાર્થ પરાસનીસ, ટી.વી.સંતોષ, વીવાન સુંદરમ, સુદર્શન શેટ્ટી, વેલુ વિશ્વનાથન, નારાયણ અક્કીતમ, ત્રિલોક કોલ અને કિશોર શિંદે.

અખબારમાં જણાવાયા અનુસાર પચાસની આ યાદીમાં પાંચ કલાકારો ગુજરાતી છે, પણ યાદી જોતાં ખ્યાલ આવે છે કે તેમાં અતુલ ડોડીયા (ગુજરાતી) અને ડૉ. ગીવ પટેલનાં (પારસી) નામ છે. એટલે કે કુલ સાત ગુજરાતી કલાકારો છે. ગુજરાતી ન હોય, પણ ગુજરાતમાં એટલે કે વડોદરાની ફાઈન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હોય એવા કલાકારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેમ કે, ત્રિલોક કોલ, શાંતિ દવે, હિંમત શાહ, ટી.વી.સંતોષ, ગુલામ મોહમ્મદ શેખ, જયશ્રી ચક્રવર્તી, લક્ષ્મા ગૌડ, વિવાન સુંદરમ, શીબુ નટેસન, કિશોર શિંદે, રવીન્‍દર રેડ્ડી, થોટા વૈકુંઠમ અને જ્યોતિ ભટ્ટ.

આ યાદી 2021-22ની છે, આથી તેમાં વિવાન સુંદરમનું નામ જોવા મળે છે. વિવાનનું અવસાન 27 માર્ચ, 2023ના રોજ થયું.

હુરુનનું કામકાજ હું એવું સમજ્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી આ સંસ્થા વિવિધ દેશો તથા વ્યવસાય સાથે સંકળાયેલી અતિ શ્રીમંત વ્યક્તિઓની તારવણી કરે છે. ભારતના હયાત ધનિક કલાકારોની યાદીમાં મારું નામ 41મા ક્રમે મૂકાયું જાણીને મને આશ્ચર્ય થયું છે. કેમ કે, સમગ્ર ભારતનો સંદર્ભ હોય તો પણ આ યાદીમાં ફક્ત વડોદરામાં કેટલાંક નામ એવાં છે કે જે મારા કરતાં પહેલાં હોવાં જોઈએ. જેમ કે, રેખા રોડવીટ્ટીયા, સુરેન્‍દ્ર નાયર, નટરાજ શર્મા, અબીર કરમાકર, ધ્રુવ મિસ્ત્રી વગેરે.

પોતાની પાસે નાણાં હોવાં એ એક વાત છે, અને સૌથી ધનિકોની યાદીમાં નામ હોવું અલગ વાત છે. અત્યારે તો એ યાદીમાં 41મા ક્રમે મૂકાયાનો આનંદ માણવાનો છે. મૂળ વાત એટલી જ છે કે આનંદ મળવો જોઈએ.

Sunday, March 12, 2023

અકાદમી જેવા એકલવીરના જન્મદિને

 જ્યોતીન્દ્ર માનશંકર ભટ્ટનો આજે 89મો (જન્મવર્ષ 1934) જન્મદિન છે. આ નામ કદાચ થોડું અજાણ્યું લાગે, પણ 'જ્યોતિ ભટ્ટ' કહેતાં તેમની ઓળખાણ તરત પડી જાય. 'જ્યોતિભાઈ' તરીકે જાણીતા આ કલાકારને કોઈ એક ઓળખમાં બાંધવા મુશ્કેલ છે. ચિત્રકાર, પ્રિન્ટમેકર, તસવીરકાર તરીકે તેઓ જાણીતા છે. ઉપરાંત તેમનું લેખન પણ ઉત્તમ કક્ષાનું છે. તેમનાં લખાણો મુખ્યત્વે કળાવિષયક અને ગુજરાતીમાં હોય છે.

ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં મેં 1991માં પેઈન્ટીંગ વિભાગમાં પ્રવેશ લીધો એ તેમનું કૉલેજમાં છેલ્લું વરસ હતું. આથી તેમનો થોડોઘણો લાભ મળી શક્યો ખરો. એકાદ વરસમાં મેં પણ કૉલેજ છોડી. મને તેઓ એક ઉમદા પ્રાધ્યાપક તરીકે યાદ રહેલા, અને તેમને હું યાદ રહું એવી કોઈ શક્યતા નહોતી. એ પછી 1996- 97ની આસપાસ હોમાય વ્યારાવાલાનું સરનામું મેળવવા માટે મેં તેમને ફોન કરેલો. ત્યાર પછી મારા સંજોગો બદલાયા અને 2007થી પૂર્ણ સમયના લેખનક્ષેત્રે હું પ્રવેશ્યો. ફેબ્રુઆરી, 2008થી 'અહા!જિંદગી' માસિકમાં 'ગુર્જરરત્ન' નામે મારી કોલમ શરૂ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ગુજરાતીઓ વિશે મારે તેમની મુલાકાત લઈને લખવાનું હતું. એ ક્રમમાં બરાબર એકાદ વરસ પછી, એટલે કે ફેબ્રુઆરી, 2009માં મેં જ્યોતિભાઈનો સંપર્ક કર્યો. અમે રૂબરૂ મળ્યા. બે દિવસ સુધી લીધેલા તેમના સુદીર્ઘ ઈન્ટરવ્યૂના આધારે લખાયેલો એ લેખ 'અહા!જિંદગી'ના માર્ચ, 2009માં પ્રકાશિત થયો. એ લેખ જ્યોતિભાઈ સાથેના અનિયમીત સંપર્કનું નિમિત્ત બની રહ્યો. ત્યારથી લઈને આજ સુધી, અમે એકમેકના અનિયમીત, છતાં નિયમીત સંપર્કમાં છીએ. (એ લેખ હવે 'ગુર્જરરત્ન' નામના મારા પુસ્તકમાં છે.)
તેમને મળવાનું નાનામોટા કોઈ કામસર ગોઠવાય, પણ મળવા જઈએ અને કામની વાત પૂરી થાય એ પછી અલકમલકની વાતો નીકળે. તેઓ 'મૅડ'ના પણ પ્રેમી, એટલે એના વિશે વાત થાય જ, ઉપરાંત બીજા અનેક વિષયો પર વાત થાય. 2009 પછી તેમની દૃષ્ટિ સતત નબળી થતી ચાલી છે, અને હવે તો એ સાવ ક્ષીણ થઈ ગઈ છે. છતાં તેમનો વાંચનરસ એટલો જ પ્રબળ રહી શક્યો છે. હવે તેઓ એક સહાયક પાસે પોતાને ગમતું વાંચન કરાવે છે, એટલું જ નહીં, તેનો પ્રતિભાવ પણ આપે છે.
જ્યોતિભાઈની વાત કરીએ એટલે જ્યોત્સ્નાબહેનને અવશ્ય યાદ કરવાં પડે. દેશનાં અગ્રણી સીરામીસીસ્ટ એવાં જ્યોત્સ્નાબહેન પણ એટલાં જ પ્રેમાળ. જુલાઈ, 2020માં તેમનું અવસાન થયું અને તેમની જોડી ખંડિત થઈ. જ્યોતિભાઈને તેમની ખોટ કેવી અનુભવાતી હશે એ કલ્પી શકાય એમ છે, પણ તેમણે જે સકારાત્મકતાથી પોતાની જાતને સંભાળી લીધી છે એ જોઈજાણીને આનંદ થાય એવું છે.
ચારેક દિવસ પહેલાં એક કામ અંગે તેમને મળવા જવાનું બન્યું અને રાબેતા મુજબ વૈવિધ્યસભર વાતોમાં અમે થોડો સમય ગાળ્યો. આ વખતે તેમનાં દીકરી જાઈ પણ હતાં.

જ્યોતિભાઈ સાથે અનૌપચારિક વાતચીત (તસવીર સૌજન્ય: જાઈ સિંઘ)

જ્યોતિભાઈની તસવીર અંગેનાં ઘણાં પુસ્તક પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકનાં નામ આ મુજબ છે: Parallels that Meet, The Photographic Eye of Jyoti Bhatt,The Inner Eye and the Outer Eye, Jyoti Bhatt: Time & Time Again, Where? When? Why? Photologue by Jyoti Bhatt વગેરે.
તેમનાં કળાવિષયક લખાણો 'રૂપ નામ જૂજવાં' પુસ્તકમાં (પ્રકાશક: ગુજરાત કલા પ્રતિષ્ઠાન, સુરત) તેમજ વાસવી ઓઝા સંપાદિત 'Modernism/ Murderism: The Modern Art Debate in Kumar' પુસ્તકમાં સંઘરાયેલાં છે.
પોતાના કામ થકી અનેકો માટે પ્રેરણારૂપ બની રહેનાર તેમજ જીવનરસથી સભર અભિગમ દાખવનાર જ્યોતિભાઈને જન્મદિને અનેકાનેક શુભેચ્છાઓ.