Showing posts with label Book. Show all posts
Showing posts with label Book. Show all posts

Wednesday, December 3, 2025

શ્રી ખખ્ખર પ્રસન્ન

વાત તો ઘણા વખતથી ચાલી રહી હતી, પણ અનુકૂળતા આજે ગોઠવાઈ. ભૂપેન ખખ્ખરનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછી તેના પ્રેરક અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને મિત્ર હીતેશભાઈ રાણા (સર્જન આર્ટ ગેલરી) વિવિધ સ્થળોએ તેના વાર્તાલાપ ગોઠવાય એવો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન આર્ટ્સ કોલેજોમાં કે અન્ય કળાવર્તુળોમાં એ ગોઠવાય એવો પ્રયત્ન છે. અલબત્ત, સાહિત્યવર્તુળો શી રીતે બાકાત રાખી શકાય? કેમ કે, આખરે તો આ એક જીવનકથા છે. અમરીશભાઈ અને હીતેશભાઈના પ્રયત્નોથી આ પુસ્તકના વાર્તાલાપ સાર્વજનિક ફાઈન આર્ટ્સ કોલેજ (સુરત), ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ (વડોદરા), ગ્રંથગોષ્ઠિ (વડોદરા), બુક લવર્સ મીટ (ભરૂચ)માં યોજાઈ ચૂક્યા છે. આ જ શ્રેણીમાં અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં પણ એના પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેના પરિણામરૂપે આજે સવારે અગિયાર વાગ્યે આ કાર્યક્રમ યોજાયો.

સવારના આઠેક વાગ્યે વડોદરાથી હિતેશભાઈ અને નેહાબહેન રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું નીકળ્યા અને સાડા દસ સુધીમાં સ્થળ પર પહોંચી ગયાં. ત્યાં ડીન શ્રી મનીષભાઈ મોદી અને ગાયત્રીબહેન ત્રિવેદીએ આવકાર્યા. હજી અમારો પરિચય થઈ રહ્યો હતો ત્યાં જ મુખ્ય અતિથિ અમીત અંબાલાલ પણ આવી પહોંચ્યા. ઔપચારિક આપલે પછી સૌ કાર્યક્રમસ્થળે પહોંચ્યા. અહીં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી હાજર હતા. આ ઊપરાંત અમદાવાદના કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા. શરદભાઈ રાવલ, મિતેષ પરમાર, ભરતભાઈ ચોકસી જેવા પરિચીતોને મળીને, થોડી ગપસપ કરીને આનંદ થયો. એ પછી કાર્યક્રમ આરંભાયો.

સંચાલન ગાયત્રીબહેન ત્રિવેદીએ સંભાળેલું. સૌના સ્વાગત પછી તેમણે પ્રસ્તાવના બાંધીને મને વક્તવ્ય માટે નિમંત્ર્યો. વીસ-પચીસ મિનીટમાં મેં મુખ્યત્વે પુસ્તકની લેખનપ્રક્રિયા વિશે વાત કરી. એ પછી અમીત અંબાલાલે ભૂપેન સાથેનાં પોતાનાં સંસ્મરણો તાજાં કરીને તેમની રમૂજી શૈલીના કેટલાક કિસ્સા જણાવ્યા. તેમના પછી હીતેશભાઈ રાણાએ ભૂપેનના અંતિમ વરસોમાં પોતે શી રીતે તેમની સાથે જોડાયા એની સંવેદનશીલ વાત કરી. સૌથી આખરમાં અમરીશભાઈએ પોતાના પિતાજી વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તી વિશે જણાવીને આ પુસ્તક તૈયાર કરાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો. આમ, પુસ્તકનાં વિવિધ પાસાંની વાત થઈ. છેલ્લે કેમ્પસ ડાયરેક્ટર વૈશાલીબહેન શાહે પ્રતિભાવ આપ્યો. મનીષભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ થોડા સવાલ પણ પૂછ્યા. એ ઉપક્રમ હંમેશાં આવકાર્ય હોય છે.

અમે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આવા કાર્યક્રમ માટે જવાનું થાય ત્યારે ભૂપેનનાં ચિત્રોની છબિઓ લેતા જઈએ છીએ અને જે તે સ્થળે તેને પ્રદર્શિત કરીએ છીએ, જેથી તેમના કામનો સૌને કંઈક પરિચય થાય.

આમ, લગભગ સવાથી દોઢ કલાકના નિર્ધારીત આયોજનમાં આ કાર્યક્રમ આટોપાયો. કાર્યક્રમ પછી હળવામળવાનો ક્રમ ચાલે એ મઝાનો હોય છે.

એ પછી અમે તરત જ વડોદરા પાછા આવવા નીકળી ગયા.

આમ, ભૂપેનના પુસ્તકપ્રકાશન કાર્યક્રમને બાદ કરીએ તો આ નવ મહિનામાં યોજાયેલો આ પાંચમો વાર્તાલાપ હતો, જે માટેના નિષ્ઠાપૂર્વકના અને નિસ્બતપૂર્વકના પ્રયત્નો હીતેશભાઈ અને અમરીશભાઈના સતત રહ્યા.
હજી વિવિધ સ્થળોએ આ પુસ્તકનો વાર્તાલાપ યોજવાનું આયોજન છે જ. કદાચ ભાવનગર, રાજકોટ કે એવાં અન્ય કેન્દ્રોમાં. જોઈએ એ શી રીતે થાય છે!


ચા-નાસ્તા અગાઉ સ્ટુડિયોમાં


કાર્યક્રમ અગાઉ ચા-નાસ્તા સાથે
અનૌપચારિક વાતચીત


ગાયત્રીબહેન ત્રિવેદી દ્વારા ઉદબોધન


કાર્યક્રમની તૈયારીરૂપે કોલેજ દ્વારા
બનાવાયેલું ભૂપેનનું પોર્ટ્રેટ

ઉપસ્થિત વિદ્યાર્થીઓ

(તસવીર સૌજન્ય: મિતેષ પરમાર, ભરત ચોકસી)

Sunday, November 23, 2025

ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી

22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.

એ પછીના લાંબા ઘટનાક્રમ પછી આખરે આ વર્ષના માર્ચમાં એ પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક વિશે કળાક્ષેત્રના તેમજ અન્ય વાચનરસિક લોકો પણ પરિચીત થાય એ હેતુથી તેના વિશેના વિવિધ વાર્તાલાપનું આયોજન થતું રહ્યું છે. વડોદરા અને સુરતની ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમજ વડોદરાની 'ગ્રંથગોષ્ઠિ' પછી ભરૂચની બુક લવર્સ મીટમાં પણ એ થયું. આ ગોષ્ઠિના સંયોજક અંકુર બેન્કરે મુદ્દાસર કાર્યક્રમની ઔપચારિકતાઓને પૂરી કરીને સીધા વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું. મીનલબહેન દવે, ઋષિભાઈ દવે, જે.કે.શાહ, દેવાંગ ઠાકોર આ કાર્યક્રમને સતત સંવારતા રહ્યા છે. એ સૌની હાજરી બહુ ઉત્સાહજનક બની રહી. તો ભરૂચના એમિટી પરિવારના શ્રીમતિ અને શ્રી રણછોડભાઈ શાહ, શ્રીમતિ અને શ્રી પ્રકાશભાઈ મહેતા પણ પધાર્યા. બકુલભાઈ પટેલ, શિલ્પકાર મિત્ર રોહિત પટેલ, નરેન સોનાર તેમજ રમણિકભાઈ અગ્રાવતને મળવાની તક મળી. એમ શૈલેષભાઈ પુરોહિત, કાજલબેન પુરોહિત સાથે પરિચય થયો. કામિની તેમજ મિત્રદંપતિ દેવેન્દ્રસિંહ ગોહિલ અને કાનન ગોહિલ સાથે અમરીશભાઈ તો ખરા જ. પણ આ બધાં નામ મેં એ હેતુથી નથી લખ્યાં કે અમે એકમેકને 'ઓબ્લાઈજ' કરીએ.
અસલમાં ભરૂચ સાથેનો મારો પરિચય કશો નહોતો. કોલેજના અભ્યાસ પછી મિત્ર દેવેન્દ્રસિંહે જી.એન.એફ.સી. ખાતે નોકરી લીધી અને એ ત્યાં રહેવા ગયો. એ પછી વરસો સુધી મારા માટે ભરૂચની એક માત્ર ઓળખ એટલે એનું ઘર બની રહેલી. કદી વિચાર્યું નહોતું કે ભરૂચમાં આટલા બધા પરિચય કેળવાશે. એટલે કાલે લગભગ પૂરેપૂરા ભરાયેલા હોલમાં જાણે કે સૌ પરિચીતો જ હોય એમ લાગતું હતું. ભૂપેનના જીવન, પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કર્યા પછી અમરીશભાઈએ પોતાના તરફથી પણ ટૂંકમાં વાત મૂકી આપી.
કાર્યક્રમ પછી સૌને હળવામળવાનું પણ આકર્ષણ હોય છે. છેલ્લે મીનલબહેન, વિનોદભાઈ, ઋષિભાઈ સાથે ભોજન પછી વડોદરા આવવા નીકળ્યા.
કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો, જે આ લીન્ક પર સાંભળી શકાશે.

દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ
(પોડિયમ પર અંકુર બેન્
કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર,
અમરીશ કોન્
ટ્રાક્ટર, મીનલબહેન દવે) 

વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી,
દેવાંગ ઠાકોર, ઋષિ દવે

ભૂપેન વિશેની વિવિધ વાતો

અમરીશભાઈ દ્વારા બે મિત્રોની મૈત્રી વિશેની લાગણીસભર વાત

(તસવીર સૌજન્ય: અંકુર બેન્કર)-

Thursday, September 25, 2025

પુસ્તક'જન્મ'ની ઉજવણી: પહેલાં ઘરમાં અને પછી મોસાળમાં

ભૂપેન ખખ્ખરની જીવનકથાના પુસ્તકનું વિમોચન આમ તો માર્ચ, 2025માં વડોદરા ખાતે યોજાઈ ગયું હતું. એ પછી તેના વિશે વાર્તાલાપનો કાર્યક્રમ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતે થયો. આ ઉપક્રમમાં મદદરૂપ થનાર 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાનું સૂચન એવું કે શક્ય એટલી ફાઈન આર્ટ્સ કોલેજોમાં આ પુસ્તક વિશે વાર્તાલાપ રાખીએ. સૂચનનો અમલ કરતાં તેમણે સુરતની 'સાર્વજનિક કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ'માં એના આયોજન વિશે વાત કરી. ત્યાં રાજર્ષિ સ્માર્તે જરૂરી ફોલોઅપ કર્યું અને એ મુજબ કાર્યક્રમની તારીખ 23 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ નક્કી થઈ. કોઈ આયોજનબદ્ધ રીતે નહીં, પણ પછીના દિવસોમાં એવો યોગાનુયોગ ગોઠવાયો કે આ જ દિવસ આ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહના કાર્યકાળનો આખરી દિવસ હતો. વધુમાં આ સંસ્થાના વિનિમય કાર્યક્રમ મુજબ રોમાનિયાથી આવેલા બે સંશોધકો અહીં એકાદ વરસ માટે રોકાવાના હતા અને એ એમનો પહેલો દિવસ હતો. આથી પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે 'બુક ટૉક'ના કાર્યક્રમને 'બુક લૉન્ચ'માં તબદીલ કરી દીધો. કોઈ બાળકનો જન્મદિન તેના પોતાના ઘેર ઊજવાય, અને એ પછી મોસાળમાં પણ તેની ઉજવણી થાય એના જેવું!

આમાં પાછું થયું એવું કે આ આયોજન પાછળ રહેલા હીતેશ રાણા જોડાઈ શકે નહીં એવા એમના સંજોગો ઊભા થયા. એ રીતે અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું સવારના સાડા સાથે સુરત જવા રવાના થયા. અમરીશભાઈ કોન્ટ્રાક્ટર ભૂપેન ખખ્ખરના પુસ્તકના પ્રેરક છે, અને એમના પિતાજી વલ્લવભાઈ શાહ તેમજ ભૂપેન ખખ્ખરની દોસ્તીના તર્પણરૂપે તેમના મનમાં આ પુસ્તકનો વિચાર આવેલો.
સવારના પોણા અગિયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે રાજર્ષિ(રાજા) સ્માર્ત અમને આવકારવા ઊભા જ હતા. હોલમાં સૌ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. અમે પણ ફ્રેશ થઈને તરત જ હોલમાં ગયા. હોલ તરફ જતાં મિત્ર નીકી ક્રિસ્ટી આવેલા, એ પણ મળ્યા. હિન્દી ફિલ્મોના વાદ્યસંગીતમાં અઠંગ રસ ધરાવતા, અને એવા અનેક વાદકો સાથે સંબંધ ધરાવતા નીકીભાઈ આ સંસ્થાના સંચાલક મંડળમાં પણ છે. ધીમે ધીમે સૌ મંચ પર ગોઠવાયા. વડીલમિત્ર અને આ કાર્યક્રમના મુખ્ય વક્તા બકુલભાઈ ટેલર પણ આવી પહોંચ્યા.
બાજુમાં એક સ્ક્રીન પર ભૂપેનનાં ચિત્રો અને તસવીરો રજૂ થતાં રહે એવી વ્યવસ્થા ગોઠવાયેલી. પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે બહુ રસપ્રદ રીતે, અનાયાસે ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી. તેઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા એ સમયગાળામાં એક સિનીયર આર્કિટેક્ચરે તેમને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે ભૂપેન ખખ્ખરના બંગલે જવાનું સૂચવેલું. કારણ એ કે 'આપણે ક્લાયન્ટ માટે મકાન ડિઝાઈન કરતા નથી, પણ ક્લાયન્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરી આપીએ છીએ'. આ શી રીતે થાય એ જોવા માટે ભૂપેનના બંગલાની મુલાકાત લેવાની હતી. કશી ઓળખાણપિછાણ વિના પર્સીભાઈ ત્યાં ગયા અને એ પછી ભૂપેન સાથેની તેમની મૈત્રી આરંભાઈ. સમયના વહેણમાં તેઓ અલગ દિશામાં ફંટાયા, પણ આ સંભારણું અકબંધ રહેલું. એ પછી આટલા વરસે આમ ભૂપેનની જીવનકથાના પુસ્તક પરના વાર્તાલાપ વિશે પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બહુ ઉમળકાથી એનું આયોજન કર્યું, એટલું જ નહીં, વાર્તાલાપને વિમોચનમાં તબદીલ કરી દીધો.
પ્રાચાર્ય પર્સી એન્જિનિયર દ્વારા પૂર્વભૂમિકા

રાજર્ષિ સ્માર્તનું સંચાલન બે વક્તાઓ વચ્ચે સેતુરૂપ હતું. પર્સીભાઈએ પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. આપેલી સમયમર્યાદામાં કહી શકાય એ રીતે મેં એ કરી, અને જીવનચરિત્રના આલેખનની સફરનું વર્ણન કર્યું. હીતેશભાઈ રાણાના પ્રદાનને પણ યાદ કર્યું. એ પછી ભરતભાઈ શાહનું ઉદ્બોધન હતું. તેમણે સૌ કોઈ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને જીવનમાં બને એટલા ઊપયોગી થવાની સૌને અપીલ કરી.

રાજર્ષિ સ્માર્ત દ્વારા અભિવાદન

પુસ્તક વિમોચનની યાદગીરી

બકુલભાઈ ટેલર ભૂપેનના ખાસ મિત્ર રહી ચૂકેલા. આથી ભૂપેન વિશે કઈ વાત કરવી અને કઈ ન કરવી એની મીઠી મૂંઝવણ હતી. તેમણે ભૂપેનની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી. સાથે એ પણ જણાવ્યું કે ભૂપેનને ગુજરાતીમાં લખવું બહુ ગમતું, એમ પોતાને વિશે ગુજરાતીમાં લખાય એ પણ. (એવી ફરિયાદ પણ ખરી કે કોઈ એમના વિશે ખાસ લખતું નથી) તેમણે કહ્યું કે ભૂપેન હોત તો પોતાના જીવન પર ગુજરાતીમાં લખાયેલું આ પુસ્તક જોઈને રાજી થાત.

બકુલભાઈ ટેલરે રજૂ કરેલાં સંસ્મરણો
પોતાના પિતાજી અને ભૂપેનની દોસ્તી વિશે
વાત કરી રહેલા અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાના પિતાજીની અને ભૂપેનની દોસ્તીની હૃદયસ્પર્શી વાત કરી. આ પુસ્તક બન્ને દોસ્તોની મૈત્રીના તર્પણરૂપે તૈયાર કરાયું હોવાની તેમની વાત સૌને સ્પર્શી ગઈ.
આભારવિધિ પછી કાર્યક્રમ ઔપચારિક રીતે પૂર્ણ થયો. પણ અનૌપચારિક વાતચીતનો દોર એ પછી લંબાયો. પર્સીભાઈની ઓફિસમાં સૌ બેઠા અને ગપસપ ચાલી. રોમાનિયન મહેમાનો પુસ્તક જોતા હતા, અને તેમાં મૂકાયેલાં ભૂપેનનાં ચિત્રો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. પોતે ગૂગલ લેન્સથી ટ્રાન્સલેટ કરીને એ પુસ્તક વાંચશે એમ તેમણે જણાવ્યું. દરમિયાન 'ટાઈમ્સ' સાથે સંકળાયેલો મિત્ર વિશાલ પાટડીયા પણ આવ્યો. આ ઊપરાંત ભૂપેન સાથે સંકળાયેલા કલાકાર કૌશિક ગજ્જર સાથે હતા. સૌ સાથે ભોજન લીધું, જેમાં સંસ્થાના બીજા સહયોગીઓ પણ હતા. ભોજન દરમિયાન પણ અનેકવિધ વિષયો પર વાતો ચાલુ રહી. તેને કારણે ભૂખ ઊઘડી અને સરખું જમાયું પણ ખરું.
બપોરના અઢી આસપાસ અમે વડોદરા પાછા આવવા રવાના થયા ત્યારે એક સરસ સ્નેહમિલનની સૌરભ મનમાં પ્રસરેલી હતી. ભાઈ રાજર્ષિ સ્માર્ત આ આખા કાર્યક્રમમાં સેતુરૂપ બની રહ્યા અને તેમની સાથે એ નિમિત્તે પરિચય થયો એનો આનંદ.
(તસવીરસૌજન્ય: તેજસભાઈ પટેલ)

Wednesday, June 18, 2025

પહેલું પ્રકરણ

 ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથાનો આરંભ ક્યાંથી કરવો? એટલે કે એમાં વિષયપ્રવેશ શી રીતે કરાવવો? આ વિષે વિચારવામાં ખાસ મહેનત ન પડી. ભૂપેનની જીવનકથા લખું છું એટલે એમને બહુ મોટા ચિત્રકાર ગણાવવા એ બાબત વધુ પડતી જણાય. યોગ્ય ન લાગે. એમનાં ચિત્રોની કિંમત કરોડોમાં છે એ બાયોડેટા બહુ તુચ્છ જણાય. આથી કળાવિષયક ગ્રંથોમાં એમના ઉલ્લેખ તપાસવાના શરૂ કર્યા. 'સરદાર પટેલ યુનિવર્સિટી'ની 'જ્ઞાનવિજ્ઞાન શ્રેણી'નો ગ્રંથ 'દૃશ્યકળા' સૌથી પહેલો જોયો. તેમાં ચિત્રકળાનો ઈતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખાયેલો હતો. વૈશ્વિક અને પછી ભારતીય ચિત્રકળાની તેમાં વાત હતી. આધુનિક ભારતીય ચિત્રકળા વિષે પણ તેમાં લખાયું હતું, જેમાં ભૂપેન ખખ્ખર વિશે બેએક ફકરા જેટલું લખાણ હતું. 'એનસાયક્લોપિડીયા' જેવા ગ્રંથમાં, જ્યાં સમગ્ર ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ સળંગસૂત્રે લખાયો હોય એમાં બે ફકરા ભૂપેન વિશે ફાળવવામાં આવ્યા હોય એ જ એમનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું કહી શકાય.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આથી પહેલા પ્રકરણમાં ભારતીય ચિત્રકળાના ઉદભવથી માંડીને છેક આધુનિક ચિત્રકળા સુધીની વાત, વિવિધ શૈલીઓ, એનાં ચિત્રો, કલાકારોનો ઉલ્લેખ કરીને છેલ્લે આધુનિક ચિત્રકળાની વાત અને એમાં ભૂપેન વિશે લખાયેલા પેલા બે ફકરા સાથે એ પ્રકરણનો અંત આવે એ નક્કી કર્યું. ભૂપેનની જીવનકથામાં પ્રવેશ કરવા માટે આ પૂર્વસફર બહુ જરૂરી લાગી.
પહેલું પ્રકરણ મનમાં તૈયાર થઈ ગયેલું. એક વાર સામગ્રી મળી એ પછી એને લખતાં પણ બહુ વાર ન લાગી. આમ, પહેલું પગલું ભરાયું, પણ એ પછી પુસ્તકના સમાપન સુધી પહોંચતાં ઘણો લાંબો સમય વીત્યો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, February 21, 2025

જૂની મૂડી (2)

(સ્વામી આનંદે પોતાના દીર્ઘ લેખનવાચન દરમિયાન જૂના અને ભરપૂર અભિવ્યક્તિવાળા, છતાં ચલણમાંથી નીકળી ગયેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાંઉખાણાં વગેરે એકઠા કર્યા હતા. તેમના અવસાન પછી 1980માં આ તમામનું સંપાદન મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર.બુચ દ્વારા 'જૂની મૂડી'ના નામે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રકાશક હતા એન.એમ.ત્રિપાઠી પ્રા.લિ; મુમ્બઈ. હવે તો આ પુસ્તક પણ અપ્રાપ્ય બન્યું છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંથી ચખણીરૂપે કેટલાક શબ્દપ્રયોગો. મૂળ જોડણી યથાવત્ રાખવામાં આવી છે.) 

- વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ = દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક

- સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય = સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાનવૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ
- વાટ્યું ઓસડ ને મૂંડ્યો જતી = આ બન્નેનાં મૂળની ખબર ન પડે, એ ન પરખાય
- પારકે પાદર માવજીભાઈ કાંધાળા = બીજાનો ધનમાલ વપરાતો હોય ત્યાં ઉદાર થાય તેવા માણસો માટે વપરાય છે પારકે ઘેર માવજીભાઈ પો'ળા
- સો વાર બકો ને એક વાર લકો (લખો) = બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું
- વૈદો વઢે એમાં માંદાનો મરો (અર્થ સ્પષ્ટ છે), When doctors differ, patients suffer
- લૂણી ધરોને તાણી જાય = વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઉગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી
- કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું = આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ-આગન્તુક ન સમાય
- ઊંટે ચડી બકરાં હાંકવાં = 'જા બિલ્લી કુત્તેકુ માર', જાતે કશું ન કરતાં બીજા બધું કામ બરાબર અંકે કરી આપે તેવી અપેક્ષા રાખવી
- મથુરાનો પેંડો ન્યારો = અલગારી માણસ માટે કહેવાય છે (મથુરાનો પેંડો અસાધારણ મોટો, સામાન્ય પેંડા કરતાં અલગ પડે તેવો હોય છે)
(સૌજન્ય: જૂની મૂડી, સ્વામી આનંદ)

(નોંધ: આવા વધુ શબ્દો ધરાવતી એક જૂની પોસ્ટ મારા બ્લૉગ પર અહીં વાંચી શકાશે.

Sunday, February 9, 2025

ગુજરાતમાં, ગુજરાતીમાં થઈને વિસરાઈ ગયેલી એક ચર્ચા અંગ્રેજીમાં...

 અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!

'ક્માર'નું ગુજરાતી સામયિક જગતમાં એક સમયે આગવું સ્થાન હતું. ગુજરાતની બે-ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં આ સામયિકની ભૂમિકા મહત્ત્વની બની રહી. અનેકાનેક વિષયો આ સામયિકમાં આલેખાતા. ખાસ કરીને બચુભાઈ રાવતના સંપાદક તરીકેના સમયગાળામાં આ સામયિકે આગવાં શીખર સર કર્યાં.
તેમાં વાચકોની સામેલગીરી સક્રિયપણે રહેતી. 'વાચકો લખે છે' વિભાગમાં ઘણી વાર 'કુમાર'માં પ્રકાશિત લેખોની પૂરક વિગતો વાચકો પૂરી પાડતા.
1959થી 1964 અરસામાં તેમાં એક વિશિષ્ટ ચર્ચા ચાલતી રહી. 'કુમાર'માં પ્રકાશિત થયેલા છ લેખોની ફરતે ચર્ચા થતી રહી, જેમાં અનેક વાચકોએ પોતાની રીતે ભાગ લીધો. આ ચર્ચામાં એક છેડે હતા કરાચીના કળાપ્રેમી સજ્જન ફિરોઝશા મહેતા, અને બીજી બાજુ હતા વડોદરાના કળાકાર, તસવીરકાર અને કળા વિદ્યાલયના પ્રાધ્યાપક જ્યોતિ ભટ્ટ.
આખી ચર્ચાનો મૂળ વિષય હતો કળામાં આધુનિકવાદ (Modernism) અથવા તો આધુનિક કળા (Modern Art). યુરોપનાં વિવિધ કળા સંગ્રહાલયોની મુલાકાત લઈ ચૂકેલા કળારસિક સજ્જન ફિરોઝશાએ 'મોડર્નિઝમ'ને 'સાડાપાંચિયો' (સાડા પાંચ અક્ષરનો બનેલો શબ્દ) તરીકે સંબોધીને મૌલિકતા, નવિનતા અને અનન્યતાને નામે ચાલી રહેલી શૈલીની ટીકા કરી હતી અને આ રોગને 'શૈલીઘેલછા' તરીકે ઓળખાવ્યો હતો. પોતાની ટીકાના સમર્થનમાં તેમણે અનેક ઉદાહરણો ટાંક્યાં હતાં. Modernismને તેમણે Murdersim ગણાવ્યું હતું.
જ્યોતિ ભટ્ટે એવી દલીલ રજૂ કરી હતી કે આધુનિકતા કંઈ આજકાલની દેન નથી. એ તો કળાનાં મૂળભૂત મૂલ્યો સાથે પહેલેથી જ સંબંધિત છે. માત્ર ને માત્ર મુદ્દા આધારિત આ ચર્ચામાં અનેક વાચકો પણ ભાગ લેતા રહ્યા. જ્યોતિ ભટ્ટે અત્યંત સકારાત્મક રીતે પોતાના મુદ્દાઓને વિસ્તારીત કરીને સચિત્ર સમજાવ્યા. છ અંકમાં પ્રકાશિત લેખો પર થયેલી આ ચર્ચા આટલા લાંબા અંતરાલ સુધી ચાલતી રહે એ સૂચવે છે કે એમાંથી કેવું નવનીત નીતર્યું હશે.
મહેમદાવાદનિવાસી મિત્ર વાસવી ઓઝા વડોદરામાં કળાશિક્ષણ પામીને, હૈદરાબાદ ખાતે પીએચ.ડી. કર્યા પછી બંગલૂરુમાં સંશોધન અને કળાશિક્ષણ સાથે સંકળાયેલી છે. તેણે 'કુમાર'ના અંકોમાંની આ સામગ્રીને ખંતપૂર્વક એકઠી કરી. તેને સંકલિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ કરીને એક જુદા જ વાચકવર્ગ સમક્ષ એ રજૂ કરવાનું નક્કી કર્યું. તેના આ પ્રયાસને Reliable copy નામના પ્રકાશકે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કર્યો.
11 સપ્ટેમ્બર, 2022ના રોજ વડોદરા ખાતે આ પુસ્તકના વિમોચન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજાયો. આમ, એક ગુજરાતી સામયિકમાં ધરબાઈ ગયેલી અનોખી વિગતો લોકોની સમક્ષ આવી. અત્યંત સુઘડ, નયનરમ્ય લેઆઉટ અને ડિઝાઈનવાળા આ પુસ્તકમાં કળારસિકો માટે મહત્ત્વની કહી શકાય એવી વિગતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં સુદ્ધાં ભૂલાઈ ગયેલા 'કુમાર'માંના આ વિષયને ગુજરાતી ઉપરાંતના વાચકો સુધી લઈ જવા બદલ વાસવી અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.
(પુસ્તકની વિગત: Modernism/Murderism: The Modern Art Debate in Kumar
Jyoti Bhatt, Pherozeshah Rustomji Mehta, and the readers of Kumar
Translated by Vasvi Oza, ₹ 950)

Saturday, February 8, 2025

કરુણાંતિકાનો વ્યંગ્યાત્મક દસ્તાવેજ

કરુણ પરિસ્થિતિમાં આંસું વહી આવવાં ઘણાખરા લોકો માટે સામાન્ય બાબત હોય છે, જ્યારે ઘણા લોકોની આંખો સાવ કોરી રહી જાય એમ પણ બનતું હોય છે. પણ કરુણ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? ચલચિત્ર જ્યારે ફક્ત સિનેમાના પડદે જ જોવા મળતાં ત્યારે એવો મોટો વર્ગ હતો કે જે પડદા પરનાં દૃશ્યો જોઈને આંસુ વહાવતો. ખાસ આવા વર્ગ માટે જ અંગ્રેજીમાં જેને Tearjerker કહે છે એવી ફિલ્મ કે ફિલ્મમાંનાં દૃશ્ય લખવામાં આવતાં. જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ અફર સત્ય સૌ જાણતાં હોવા છતાં મૃત્યુ સામાન્ય રીતે કરુણ પરિસ્થિતિનું જનક બની રહે છે. તેનું કારણ છે તેની આકસ્મિકતા.

એક જણનું આકસ્મિક મૃત્યુ કરુણ લાગે, તો અનેક લોકોની ઈરાદાપૂર્વક કરેલી હત્યાને કઈ શ્રેણીમાં મૂકવી? યુદ્ધમાં થતો સંહાર આપણને કોઠે પડતો રહ્યો છે, પણ સાવ નિ:શસ્ત્ર અને નિર્દોષ લોકોના સંહારને શું કહેવું! આમ છતાં, વિશ્વભરમાં તેનું પુનરાવર્તન થતું રહે છે. સમયગાળો ચાહે કોઈ પણ હોય! જલિયાંવાલા બાગનો હત્યાકાંડ હોય, યહૂદીઓનો સામૂહિક જનસંહાર હોય કે બોસ્નિયનોનો સંહાર કરતો સ્રેબ્રેનિત્ઝા હત્યાકાંડ હોય! મનુષ્યની આ આદિમ વૃત્તિ તે આટલો સુસંસ્કૃત બન્યો હોવા છતાં બદલાઈ નથી, જેનો પરચો જગતને વખતોવખત મળતો રહે છે.
ઘણાને ચીનના ટીઆનનમેન (ટાઇનામેન) ચોકનો હત્યાકાંડ યાદ હશે. 1989માં ચીનના આ જાહેરસ્થળે એકઠા થયેલા હજારો વિદ્યાર્થીઓ પર શાસકોએ લશ્કરી ટેન્કથી ધડબડાટી બોલાવી હતી. આ ઘટનાના પડઘા વિશ્વભરમાં ગૂંજ્યા હતા.
ઠેકઠેકાણે તેની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં, પણ એ તમામ વિરોધ દુર્ઘટના થઈ ગયા પછીનો હતો. જવાબદાર શાસકોના પેટનું પાણીય તેનાથી હાલે નહીં.
આ ઘટનાની ઝાઝી વિગતોની જાણ નહોતી કે હકીકતમાં શો મુદ્દો હતો અને શેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયેલા. ખબર હશે તો પણ સમયના વીતવા સાથે ભૂલાઈ ગયેલી.
આ હત્યાકાંડની પચીસમી તિથિએ એટલે કે 2014માં તેને અનોખી રીતે તાજો કરવામાં આવ્યો. સિંગાપોરમાં જન્મેલા, ચીનથી આકર્ષાઈને તેનાથી પરિચીત બનેલા, 'ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યૂ' (FEER) માસિક સાથે સંકળાયેલા કાર્ટૂનિસ્ટ મોર્ગન ચૂઆ/ Morgan Chua ઘણો સમય સુધી ચીનની નીતિઓના પ્રશંસક રહ્યા. તેમનાં કાર્ટૂનોમાં પણ તેમનું આ વલણ પ્રતિબિંબીત થતું રહ્યું. પણ ટીઆનનમેન ચોકના નિષ્ઠુર હત્યાકાંડે તેમને હચમચાવી મૂક્યા અને ચીનના શાસકોએ પોતાના દેશવાસીઓની જેમ મોર્ગનને પણ છેહ દીધો હોય એવું તેમણે અનુભવ્યું. એ પછી તેમનાં કાર્ટૂન વખતોવખત ચીનની નીતિની આકરી ટીકા કરતાં રહ્યાં. અને આ બધામાં વખતોવખત ટીઆનનમેન ચોકનો સંદર્ભ આવતો રહ્યો.

પુસ્તકનું મુખપૃષ્ઠ

આ હત્યાકાંડના પચીસમા વર્ષે મોર્ગને ટીઆનનમેનને લગતાં કાર્ટૂનોને સંપાદિત કર્યાં અને એને પુસ્તકાકારે પ્રકાશિત કર્યાં. આ પુસ્તકનું નામ જ 'TIANANMEN' છે. તેના મુખપૃષ્ઠ પર લાલ, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને તેમણે આ ઘટનાની ભયાવહતા પ્રતિપાદિત કરી.
આ પુસ્તક હવે 'નવયાન'/ Navayana પ્રકાશનગૃહ દ્વારા ભારતમાં ઉપલબ્ધ બનાવાયું છે, અને જે ઑનલાઈન ઓર્ડર દ્વારા પણ મેળવી શકાય છે. પુસ્તકનો ઉપક્રમ અદ્ભુત છે. તેમાં આ હત્યાકાંડને લગતાં વિવિધ કાર્ટૂનો છે, પણ સાથેસાથે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, તેની સાથે સંકળાયેલાં મુખ્ય પાત્રો, અને તેમની હત્યાકાંડ પછીની ગતિવિધિ વિશે કાર્ટૂન દ્વારા જ માહિતી આપવામાં આવી છે.
આટલા નિષ્ઠુર અને કરુણ હત્યાકાંડને આ રીતે વ્યંગ્યચિત્રોના માધ્યમથી પુસ્તકાકારે રજૂ કરવાનું કામ નોંધપાત્ર કહી શકાય એવું છે. આ હત્યાકાંડ વિશે કદાચ અનેક પુસ્તકો લખાયાં હશે, પણ આ પુસ્તક આગવી ભાત પાડનારું છે.

ઘટનાક્રમ

મુખ્ય પાત્રો વિશે

પાત્રોનું પછી શું થયું?
"અકળાશો નહીં. અમે એક બીગ પરેડ'ની સિક્વલનું
 ફિલ્માંકન કરી રહ્યા છીએ."

"અને માર્યા ગયેલા સ્ટુડન્ટ એકસ્ટ્રા હતા!"

આપણા દેશમાં આવા છૂટકછૂટક પ્રયત્નો થયા છે. અબુ અબ્રાહમે કટોકટી પછી તેને લગતાં કાર્ટૂનોનું સંકલન પુસ્તકરૂપે પ્રકાશિત કરેલું. તો સુધીર તેલંગે 'નો, પ્રાઈમ મિનીસ્ટર'ના નામે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પર ચીતરેલાં કાર્ટૂનો પુસ્તકમાં સંપાદિત કરેલાં. બાબાસાહેબ આમ્બેડકરને કાર્ટૂનમાં દર્શાવીને તેમને ઉતરતા બતાવાયા હોવાનું પ્રતિપાદિત કરતું ઉન્નમતિ શ્યામસુંદરનું પુસ્તક 'નો લાફિંગ મેટર', ઈન્દીરા ગાંધીના કાર્યકાળને દર્શાવતાં સૂરજ શ્રીરામ 'એસ્કે'નાં કાર્ટૂનોનો સંગ્રહ 'ઈન્દીરા ગાંધી, ધ ફાઈનલ ચેપ્ટર', વિમુદ્રીકરણના ગાળાનાં કાર્ટૂનોનું પુસ્તક 'રુપી ઓર નૉટ રુપી' તેમજ કોરોનાકાળનાં કાર્ટૂનોનો સંચય 'ગો કોરોના ગો' (બન્ને સતીશ આચાર્યનાં) આનાં ઉદાહરણ છે.
અલબત્ત, આવા ભયાનક હત્યાકાંડ પરનાં વ્યંગ્યચિત્રોનો સંચય ધરાવતું આ પુસ્તક અનેક રીતે આગવું બની રહ્યું છે.
(TIANANMEN, 25th Anniversary edition, by Morgan Chua, પ્રકાશક: Navayana)


Wednesday, May 29, 2024

બાળવિશ્વમાં પા પા પગલી

 ઓશોના એક પુસ્તકનો સૌ પ્રથમ વાર અનુવાદ કરવાનું બન્યું ત્યારે પ્રકાશક રમેશભાઈ પટેલને પહેલવહેલી વાર મળ્યો. તેમનો પહેલો સવાલ: 'ઓશોનું તમે શું વાંચ્યું છે?' મેં કહ્યું, 'કશું જ નહીં. હું મારી ભાષાકીય સજ્જતાના જોરે અનુવાદ કરવાનો છું. એમાં ઓશોનું અગાઉ શું વાંચ્યું છે કે નહીં એનું મારા માટે કોઈ મહત્ત્વ નથી.' આ સાંભળીને તેઓ ઘડીક થોભ્યા. આથી મેં સૂચવ્યું, 'હું એમના કોઈ પણ લખાણના એક-દોઢ પાનનો ગુજરાતી અનુવાદ કરીને તમને મોકલું. તમે એ જુઓ. વાત બને તો આગળ વધીએ, નહીંતર પૂર્ણવિરામ.' એ મુજબ મેં એમને એક દોઢ પાનનો અનુવાદ કરીને મોકલ્યો. બસ, એ પછી ઓશોનાં કુલ ચાર પુસ્તકનો અનુવાદ તેમણે કરાવ્યો. તેમને તો બીજાં ઘણાંનો અનુવાદ કરાવવો હતો, પણ બીજી અનુકૂળતા ન ગોઠવાઈ.

આ વાત માંડવાનું કારણ એ કે, ઓશોના 'અઘરા' મનાતા અનુવાદની સરખામણીએ સાવ બાળકથાઓનો અનુવાદ વધુ મુશ્કેલ છે. છાયાબહેન ઉપાધ્યાય દ્વારા મોકલાવાયેલાં દિલ્હીની 'પ્રથમ બુક્સ' દ્વારા પ્રકાશિત ચાર અંગ્રેજી પુસ્તકો મળ્યાં. પુસ્તક શું, પુસ્તિકાઓ પણ ન કહેવાય. એક પાન પર 70-75 % જેટલી જગ્યામાં ચિત્ર, અને બાકીની જગ્યામાં બાળકોના પુસ્તકમાં હોય છે એવા મોટા ફોન્ટમાં થોડી લીટીઓ. મારે એનો અનુવાદ કરવાનો હતો. આ પુસ્તકને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા- એમ વાંચનના ચાર તબક્કા અનુસાર જે તે તબક્કામાં વર્ગીકૃત કરાયા હતાં. આથી એ કયા વયજૂથ માટે છે એનો પણ ખ્યાલ આવે. અનુવાદનો ગમે એટલો અનુભવ હોય, મા વાંચે અને બાળક સમજી શકે, અથવા તો બાળક જાતે વાંચે અને એ ખુદ સમજી શકે એવી ભાષામાં એને અનુવાદિત કરવાનું. એ કરવાની મઝા તો આવી, પણ પછી આ અનુવાદિત પુસ્તકો બીજા એક રીવ્યૂઅરને મોકલવામાં આવે, અને એમને કશી પૃચ્છા હોય તો એને સંતોષવી પડે. એક પુસ્તકનું મૂળ નામ હતું Pishi and me', જેનો સીધો અનુવાદ થાય 'પીશી અને હું.' વાત તો એક ફોઈ અને એમના નાનકડા ભત્રીજા વચ્ચેના સંબંધની હતી. શબ્દ બાબતે વધુ ખાંખાખોળાં કરતાં ખ્યાલ આવ્યો કે 'પીશી' બંગાળી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'ફોઈ'. આથી મેં શિર્ષક રાખ્યું 'ફઈબા અને હું.' એ પછી છાયાબહેન સાથે ચર્ચા ચાલી. એમાં એ તારણ નીકળ્યું કે હવે 'ફઈબા' શબ્દ ઓછો ચલણમાં છે, અને હજી એ ઘટતો જાય છે. 


હવે મોટે ભાગે લોકો 'ફોઈ' કહે છે. આથી અમે શિર્ષક રાખ્યું 'ફોઈ અને હું.' સાવ બે-ચાર લીટી હોય એવાં પૃષ્ઠોમાં પણ ઘણા શબ્દો બાબતે આવી 'બાલની ખાલ' પ્રકારની ચર્ચા થતી રહી, અને એક જુદા પ્રકારનો સંતોષ થયો.
આ પુસ્તકોમાં છેલ્લે લેખક, ચિત્રકાર અને અનુવાદકનો ત્રણ-ચાર લીટીમાં પરિચય મૂકાયેલો હોય છે. મેં 'વડોદરામાં નિવાસ કરતા બીરેન કોઠારી પૂર્ણ સમયના ચરિત્રકાર, અનુવાદક, સંપાદક છે' પ્રકારનો પરિચય લખી મોકલ્યો. છાયાબહેનનું સૂચન આવ્યું, 'આ રીતે નહીં, બાળકોને રસ પડે એ શૈલીએ પરિચય લખો.' અનુવાદ કરવા કરતાંય વધુ મૂઝવણ આ પરિચય બાબતે થઈ. છેવટે છાયાબહેનને કહ્યું, 'તમે જ કંઈક સૂચવો. મને ખ્યાલ નથી આવતો.' એ પછી છાયાબહેને જે પરિચય લખ્યો એ વાંચીને મને પણ મજા આવી ગઈ. એ પણ સમજાયું કે બાળકથાનાં પુસ્તકોમાં નાનામાં નાની બાબત પણ કેટલી મહત્ત્વની બની રહેતી હોય છે.
'પ્રથમ બુક્સ'નાં આ ચારે પુસ્તકો હવે પ્રકાશિત થઈ ગયાં છે.




સાવ જુદા વયજૂથ માટે અનુવાદ કરવાનો આ અનુભવ ઘણો પડકારજનક અને યાદગાર રહ્યો.
'પ્રથમ બુક્સ'નાં બીજાં અનેક પુસ્તકો વિવિધ વયજૂથનાં બાળકો માટે તેની વેબસાઈટ www.storyweaver.org.in પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

Sunday, September 10, 2023

અર્પણનો આનંદ

દરેક પુસ્તકના આરંભે તેમાં અર્પણનું એક પાનું હોય છે, જેમાં લેખક યા સંપાદક દ્વારા જે તે પુસ્તક કોઈને અર્પણ કરવામાં આવ્યું હોય છે. આ એક પ્રકારની ભાવનાત્મક ચેષ્ટા છે. કેમ કે, તેના માટે એક આખું પાનું ફાળવવામાં આવે છે. તેનું મહત્ત્વ કદાચ વાંચનારને મન, કે પ્રકાશકને મન એટલું ન પણ હોય એમ બને.

આ કારણે જ પુસ્તક કોને અર્પણ કરવું એ બાબતે લેખકના મનમાં કેટલીક બાબતો સ્પષ્ટ હોય છે. પુસ્તકના વિષય, તેની અંદરની સામગ્રી સાથે તે સંબંધિત હોઈ શકે, યા પોતાના જીવનમાં અગત્યની હોય એવી વ્યક્તિને પણ તે અર્પણ કરાયું હોઈ શકે. એમાંય પહેલવહેલું પુસ્તક હોય ત્યારે આ અવઢવ ઘણી બધી હોય છે.
જો કે, મારી બાબતે એમ નહોતું. અત્યાર સુધીના મેં લખેલા પુસ્તકો મને સોંપાયેલા કામ જેવા હતા, જેથી તે કોને અર્પણ કરવું એ મને કામ સોંપનારની ઈચ્છાને આધિન હતું. તેમાં અલબત્ત, મારા સૂચનો રહેતાં. 'ગુર્જરરત્ન' પુસ્તકનું મહત્ત્વ મારા માટે ભાવનાત્મક હતું. મને લેખનક્ષેત્રે લાવવામાં જેમનું મોટું પ્રદાન છે એ ગુરુ રજનીકુમાર પંડ્યા, મારી જીવનસફરનો અભિન્ન જોડીદાર ઉર્વીશ કોઠારી, જીવનસંગિની કામિની કોઠારી કે મારા મમ્મી-પપ્પાનું નામ પહેલું સૂઝે. પણ એવું ન બન્યું. આ પુસ્તક અર્પણ કરવા માટે મારા મનમાં પહેલેથી, એટલે કે પુસ્તક તૈયાર થયું નહોતું ત્યારનું એક નામ નક્કી હતું.
ડાહીબહેનને અર્પણ કરાયેલું પુસ્તક 
સૌથી નવાઈની વાત એ હતી કે તેમની સાથેનો કુલ પરિચય માંડ ચારેક વરસનો જ રહ્યો. રૂબરૂ મુલાકાત માત્ર ને માત્ર એક જ વાર થઈ. આમ છતાં, લગભગ હક્કદાવે તેમણે આ પુસ્તકના અર્પણ સંબંધે મારા મનમાં સ્થાન કાયમ કરી લીધું હતું. એ હતાં કુકેરીના ડાહીબેન પી. પરમાર. તેઓ આ પુસ્તક જોવા માટે હયાત નથી, પણ મને ખાત્રી છે કે તેઓ હોત તો પુસ્તક વાંચીને તરત ફોન આવ્યો હોત, "બીરેનભાઈ, તમને હું કેઉં...! તમે મારા વિશેનો લેખ આમાં ની મૂક્યો હોત તો ની ચાલત?"
લેખમાં લખ્યું છે એ જ દોહરાવું તો - આવા વાચકોને લેખકોની હોય, એના કરતાં વધારે ગરજ લેખકોને આવા દુર્લભ વાચકોની હોય છે. વધુ ખુશીની વાત એ છે કે ડાહીબેન સાથેનો સંબંધ તેમનાંં પરિવારજનો સુધી પણ વિસ્તર્યો છે.
(પુસ્તક ઓનલાઈન મંગાવવા માટેની લીન્ક https://www.instamojo.com/.../fbb5b436a8e74a7ae942a1b883.../
અથવા વ્હોટ્સેપ નંબર: 98252 90796/ કાર્તિક શાહ)



પુસ્તકનો અનુક્રમ 
પુસ્તકમાંના લેખનું પહેલું પાનું 


Wednesday, September 6, 2023

શિક્ષકદિને શિક્ષકો સાથે કેળવણીના પુસ્તક વિશેની વાત

પુસ્તક વિશે વાત કરવાની હોય તો મજા આવે. એમાંય એ પુસ્તક પોતાનું લખેલું હોય તો પૂછવું જ શું? અગાઉ 13 જૂન, 2023ના રોજ ભૂજના શિક્ષણવિદ હરેશ ધોળકીયાના હસ્તે જેનું વિમોચન થયું હતું એ 'કેળવણીનો કર્મયોગ' પુસ્તક ભરુચની અ‍ૅમિટી સ્કૂલની 37 વર્ષની કેળવણીની સફરનો આલેખ છે. આ દિવસોમાં હું લદાખના પ્રવાસે હોવાથી મારા માટે 'હતો એ મારો જ અવસર ને મારી હાજરી નહોતી' જેવો ઘાટ સર્જાયેલો. પ્રવાસેથી પાછા આવ્યા પછી અ‍ૅમિટીની મુલાકાત લેવાની ઘણી ઈચ્છા હતી, પણ સમયસંજોગોનો મેળ પડતો નહોતો. અ‍ૅમિટીના રણછોડભાઈ શાહ સાથે આ ગાળામાં વાત અવારનવાર થતી રહેતી, અને તેઓ પણ આવવાનો આગ્રહ કરતા, છતાં ગોઠવાતું નહોતું. આખરે એ ગોઠવાયું. ના, એમણે એ ગોઠવ્યું. અને દિવસ પસંદ કર્યો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનનો.

કાર્યક્રમ શો? તો મારે ત્યાં આવીને શિક્ષકો સમક્ષ મારા દ્વારા જ લખાયેલા આ પુસ્તકની સામગ્રી અને લેખનપ્રક્રિયા વિશે વાત કરવી. મોટા ભાગના શિક્ષકો અંગ્રેજી માધ્યમના હોવાથી એમાંના ઘણાએ પુસ્તક જોયું હોય ખરું, પણ વાંચી ન શકાયું હોય એ પૂરેપૂરી શક્યતા. અત્યાર સુધીના અનુભવે એટલું સમજાયું છે કે કોઈ પણ સર્જનપ્રક્રિયાની વાત યોગ્ય રીતે કહેવાય તો સૌને એમાં રસ પડતો હોય છે.
એ મુજબ સવારે ઉત્પલભાઈ સાથે ભરૂચ પહોંચી ગયો. અ‍ૅમિટીમાં જાઉં ત્યારે ત્યાંના ક્રમ અનુસાર પહેલાં સૌની સાથે હળવામળવાનું, એ પછી કોર ગૃપ (વિવિધ વિભાગના આચાર્ય/આચાર્યા) સાથે ચા-નાસ્તાનો દોર અને પછી કાર્યક્રમ તરફ.

અ‍ૅમિટીની પ્રણાલિ અનુસાર સ્વાગતનોંધ

શિક્ષકદિન હોવાથી સૌ શિક્ષકો ઉત્સાહમાં હતા. તેમણે નાનાનાના અને હળવાશથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રીનાબહેન તિવારીએ ભૂમિકા બાંધીને ઔપચારિક આરંભ કર્યા પછી શિક્ષકોના જૂથે વિવિધ કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણ હળવું બનાવી દીધું.

રીનાબહેન તિવારી દ્વારા પૂર્વભૂમિકા

શિક્ષકોએ કરેલી વિવિધ રજૂઆત પૈકીની એક 
એ હળવાશ જાળવી રાખીને મારે પુસ્તક વિશે વાત કરવાની હતી. પુસ્તકની સામગ્રી વિશે, એની પ્રક્રિયા વિશે તો વાત થઈ, પણ મને સૌથી વધુ મજા એના લે-આઉટ ડિઝાઈન વિશે વાત કરવામાં આવી. એમાં કેવી ઝીણી ઝીણી બાબતો અંગે અમે માથાકૂટ કરતા અને પરિણામ મળે ત્યારે કેવો આનંદ થતો એ બધી વાતો તાજી કરી. પુસ્તકના આલેખન દરમિયાન સામગ્રી શી રીતે મળતી ગઈ, પુસ્તકનું સ્વરૂપ શી રીતે ઘડાતું ગયું, એમાં જરૂરી કાટછાંટ થતી ગઈ તેની વિગતો વિસ્તારથી જણાવી. સામે પક્ષે શ્રોતાવર્ગ એવો સંવેદનશીલ હતો કે વાત તેના પૂરા ભાવ સાથે પહોંચતી હોવાનું અનુભવાતું હતું.

પુસ્તકની સામગ્રી અને સર્જનપ્રક્રિયા વિશે વાત 

મારા વક્તવ્ય પછી રણછોડભાઈએ મારી ભૂમિકા વિશે વધુ જણાવ્યું, તો સરોજબહેન રાણા અને પ્રકાશભાઈ મહેતાએ પણ સર્જનપ્રક્રિયાની વાતમાં આપૂર્તિ કરી.

પુસ્તકપ્રક્રિયાની બાકીની વિગતો આપતા રણછોડભાઈ શાહ
પુસ્તક વિશે વધુ વાત કરી રહેલાં સરોજબહેન
પુસ્તક વિશેની કેટલીક વાત કરતા પ્રકાશભાઈ મહેતા
શાળાના સદાયના શુભેચ્છક ઋષિભાઈ દવે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને એ પછી પણ સાથે હતા. સૌએ સાથે ભોજનનો આનંદ માણ્યો. એ પછી પણ બેસીને વાતો કરી.
અ‍ૅમિટીના આત્મીય અને પોતીકા લાગતા વાતાવરણમાં, તેની જ સફર વિશે, ત્યાંના શિક્ષકો સમક્ષ અનૌપચારિક રીતે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કરવાની તક મળી એ એક વિશેષ યાદગીરી બની રહી.

(તસવીર સૌજન્ય: Amity Educational Campus Bharuch)

Sunday, May 28, 2023

મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ

 નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો. 

હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.

માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે. 

રમેશભાઈના હસ્તાક્ષર 

રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન) 

(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)