Wednesday, September 9, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (2)

આવું શિર્ષક જરા વધુ પડતું રોમેન્ટિક કે આદર્શ લાગી શકે. પણ આ બે દિવસમાં એનો બરાબર અનુભવ થયો. જાતને મેં સવાલ પૂછ્યો કે આ સહુ સાથેનો મારો સંબંધ બંધાયો શી રીતે? જવાબ આ હતો.

એમિટી સ્કૂલ, ભરુચથી અમારો મુકામ હતો વાપિ. પણ વચ્ચે એકાદ કલાક અમે પ્રિય બકુલાબહેનને મળવાનું નક્કી કરેલું. બકુલાબહેન સાથે આમ તો પરોક્ષ પરિચય ખરો, પણ પ્રત્યક્ષ પરિચય મહેન્દ્ર દેસાઈની જીવનકથા લખવા નિમિત્તે ભાનુબહેન દેસાઈ દ્વારા થયો. ત્યારથી લઈને આજ સુધી તેમની સાથે નિયમીતપણે અનિયમીત સંપર્ક રહ્યો છે. કામિની અને ઈશાન તેમને મળે એવી મારી ખાસ ઈચ્છા, કેમ કે, કામિનીએ તેમની સાથે ફોન પર વાત કરેલી છે, પણ મળવાના સંજોગો ઊભા થયા નહોતા.

બકુલાબહેન સાથે 
બકુલાબહેનને ત્યાં અનૌપચારિક ગોષ્ઠિ થઈ. તેમનું આતિથ્ય માણ્યું. એ જ સમયે મારે એક અરજન્ટ કામ આવી ચડતાં મેં એને ન્યાય આપ્યો. ત્યાં સુધી કામિનીએ અને બકુલાબહેને ગપ્પાંગોષ્ઠિ કરી. છેલ્લે છેલ્લે હું પણ જોડાયો. આ મુલાકાતની બહુ મધુર યાદગીરી લઈને અમે ત્યાંથી વાપિ જવા નીકળ્યાં.
****
આ લેખમાળાની પ્રથમ કડીમાં પ્રો. રાવજીભાઈ પટેલ 'મોટા'ના પુસ્તક અને તેના થકી થયેલા રણછોડભાઈ શાહના પરિચયની વાત લખી હતી. હવે આ જ પુસ્તકે મને કેવા સંબંધ સંપડાવી આપ્યા એની વધુ વાત.
કુકેરી ગામનાં ડાહીબહેન પરમાર વિશે મેં અગાઉ જણાવેલું, જેમનો પરિચય મને આ જ પુસ્તક થકી થયેલો. (ડાહીબહેન વિશેનો લેખ અહીં વાંચી શકાશે.)
માંડ ચારેક વરસના પરિચય અને ફક્ત એક જ વખતની રૂબરૂ મુલાકાત પછી ડાહીબહેને અણધારી વિદાય લીધી. પણ એ સંબંધનો અંત નહીં, સંબંધસૃષ્ટિનો આરંભ હતો. તેમની વિદાય પછી એક રિવાજ લેખે, તેમના પતિ ચંદ્રસિંહ પરમાર વર્ષમાં ચાર-પાંચ વખત, ખાસ કરીને તહેવારો પર નિયમિતપણે ફોન કરતા અને શુભેચ્છા પાઠવતા તેમજ બધાંની ખબરઅંતર પૂછતાં. 2020માં દીકરી શચિના લગ્નપ્રસંગે તેમના પુત્ર રાજેન્દ્રભાઈ દિલ્હીથી સીધા જ સુરત ઊતરીને ખાસ હાજરી આપવા આવેલા. તો તેમનાં દીકરી- જમાઈ પ્રતિભાબહેન અને પરિમલભાઈ પણ વચ્ચે વચ્ચે ફોન પર વાત કરતાં. એ અગાઉ 2019 માં મારું પુસ્તક 'ગુર્જરરત્ન' ડાહીબહેનને અર્પણ કર્યું ત્યારે તેમનાં સંતાનો- રાજેન્દ્રભાઈ, પ્રતિભાબહેન અને ઉર્વશીબહેન તો ખરાં જ, ડાહીબહેનના ભાઈઓ - રણછોડભાઈ અને ઉમેદસિંહભાઈનો પણ ફોન આવ્યો હતો. આમ, જાણે કે એ મારો જ વિસ્તૃત પરિવાર હોય એમ લાગેલું.
સિલવાસ ખાતે: (ડાબેથી) કાવ્યા, કુંતલબહેન, રાજેન્દ્રભાઈ,
કામિની, બીરેન અને ચંદ્રસિંહકાકા (તસવીર: ઈશાન)

હસીખુશીની પળો: (ઉભેલાં ડાબેથી) : રાજેન્દ્રભાઈ, કાવ્યા, કામિની,
 કુંતલબહેન, (બેઠેલાં ડાબેથી): બીરેન, ઈશાન, ચંદ્રસિંહકાકા
ચંદ્રસિંહકાકા હવે કુકેરી નહીં, પણ પુત્ર રાજેન્દ્રભાઈ સાથે સિલવાસ રહે છે. આથી વાપિના ટૂંકા રોકાણ દરમિયાન અમે તેમને મળવા જવાનું નક્કી કર્યું. રવિવારે સવારે અમે ત્યાં પહોંચ્યા અને બહુ ઉષ્માસભર રીતે મળ્યા. તેમને ત્યાં અમે કલાકેક ગાળ્યો, તેમનું આતિથ્ય માણ્યું અને જાતભાતની વાતો કરી. રાજેન્દ્રભાઈ, કુંતલબહેન અને દીકરી કાવ્યા સાથે ડાહીબહેન વિશે અને એ ઊપરાંત પણ ઘણી વાતો થઈ.
સાંજે અમારે કુકેરી પહોંચવાનું હતું, અને પ્રતિભાબહેન-પરિમલભાઈને ત્યાં ઊતરવાનું હતું. એ જ રીતે પછીના દિવસે એટલે કે સોમવારે નજીકના પ્રતાપનગર ખાતે રહેતા ડાહીબહેનના ભાઈ-ભાભી ઉમેદસિંહભાઈ અને ઉર્મિલાબહેનને મળવાનું હતું. ઉમેદસિંહભાઈના ખાસ આગ્રહ મુજબ અમારે એમને ત્યાં ભોજન લેવાનું હતું.
પ્રતિભાબહેન અને પરિમલભાઈની આ વિસ્તારમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી લખવા વિચાર છે, એટલે અહીં માત્ર એનો ઉલ્લેખ કરીને આગળ વધું છું. તેમની દીકરી માલવીએ બહુ રસપૂર્વક ડાહીબહેન વિશેની વાતો સાંભળી. સ્વાભાવિક રીતે જ, એક 'બહારની' વ્યક્તિના દૃષ્ટિકોણનો તેને ખ્યાલ ન જ હોય. માલવી એટલી સંવેદનશીલ અને લાગણીભીની છે કે 'દાદી' વિશેની વાત સાંભળતાં અનાયાસે જ એની આંખો અનેક વાર ભીંજાઈ.

કુકેરી ખાતે: (ઊભેલાં ડાબેથી): પ્રતિભાબહેન, માલવી, કામિની,
(બેઠેલાં ડાબેથી): પરિમલભાઈ, ઈશાન, બીરેન. (તસવીર: પ્રીતિ ઐયર)
પ્રતિભાબહેન અને પરિમલભાઈને ત્યાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે બપોરે ઉમેદસિંહભાઈને ત્યાં ઊપડ્યા. એ જ પ્રેમભર્યો આવકાર અને 'અઠવાડિયું રહેવા આવો'નો પ્રેમાગ્રહ. અમે રહેવા આવીએ તો અમારે કયા રૂમમાં ઊતરવાનું એ પણ તેમણે બતાવ્યું. ત્યાં પણ ચારેક કલાક અમે વીતાવ્યા અને અવનવી વાતો કરી. નેવુ વટાવી ચૂકેલા ઉમેદસિંહભાઈનું સ્વાસ્થ્ય એકદમ મજબૂત હતું.
ઉમેદસિંહભાઈ સાથે એક નાનકડા 'વહીવટ' વિશે વાત
બીજી તરફ વાંસદા રહેતાં ઉર્વશીબહેન સતત આગ્રહ કરતાં રહ્યાં કે અમે ત્યાં આવીએ. અમે ત્યાં જવા નીકળ્યા પણ ખરા. જો કે, એક નાનકડી અડચણ પેદા થતાં છેવટે અમારાથી જઈ ન શકાયું. અને અમે પાછા સુરતની વાટ પકડી.
આ બે દિવસનો અલગ અલગ સમય ડાહીબહેનનાં પરિવારજનો સાથે વીતાવ્યો. આ સંભારણું એટલું મધુર બની રહ્યું છે કે હજી મનમાં એની મિઠાશ પ્રસરેલી છે.
ફરી વાર એ જ સવાલ થાય છે. આ પરિવાર સાથે મારે સગપણ શું? અમે શી રીતે મળી શક્યાં? અને પહેલી મુલાકાતથી લઈને છેક આજ સુધી આટલો સ્નેહભાવ શી રીતે જળવાયેલો રહ્યો?
જવાબ એ જ. સગપણ શબ્દનું. અને સગાં શબ્દનાં. આવા સંપર્કો થતા રહ્યા છે, હજી થતા રહે છે, ત્યારે અનુભવાય છે કે લેખનક્ષેત્રે આવ્યો ન હોત તો શું આ શક્ય બન્યું હોત ખરું?

(સંપૂર્ણ) 

Tuesday, September 8, 2026

શબ્દનાં સગાંની મુલાકાતે (1)

મનુષ્યની જેમ પુસ્તકની પણ એક નિયતિ હોય છે. એ લખાતું હોય ત્યારે જુદું હોય, પ્રકાશન થાય ત્યારે જુદું હોય, અને વાચકના હાથમાં પહોંચે ત્યારે પણ જુદું હોય. આમ તો, વાચકના હાથમાં પુસ્તક પહોંચે અને એ વાંચીને તેનો પ્રતિભાવ લેખક સુધી પહોંચે તો વર્તુળ પૂરું થયું ગણાય- એમ હોવું જોઈએ. એમ કેટલા કિસ્સામાં થાય છે એ ન જાણીએ તો 'સુહાના ભરમ' ટકી રહે.

જુલાઈ, 2010માં પ્રકાશિત થયેલું, વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મેં લખેલું પુસ્તક મને અનેક રીતે ફળ્યું. એક વાર એક ફોન આવ્યો. "હું રણછોડ શાહ બોલું છું, ભરુચથી." મેં કહ્યું, "હા, બોલો." એ પછી રણછોડભાઈ જે બોલ્યા એનું તાત્પર્ય એ કે 'મોટા'ના હાથ નીચે તેઓ ગણિત ભણ્યા હતા, પણ તેમને મોટાના આ પાસા વિશે ખ્યાલ નહોતો. હવે =ઘણાં વરસોથી ભરુચમાં એમિટી નામની એક સ્કૂલ ચલાવે છે. એ પછીના વરસે તેમણે મને એમિટી સ્કૂલમાં, બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં નિમંત્રણ આપ્યું. વક્તવ્યની મને ખાસ ફાવટ નહીં, અને એ વિકસાવવાની રુચિ પણ નહીં. એક વાર તો મને થયું કે ના પાડી દઉં. પછી બીજો વિચાર આવ્યો કે લેખક તરીકે આ અનિવાર્ય બાબત રહેશે. એમ કોને કોને હું ના પાડીશ? એટલે મેં એ આમંત્રણ સ્વીકાર્યું. એ વર્ષ લગભગ 2011નું. બસ, ત્યારથી શરૂ થયેલો રણછોડભાઈ અને એમિટી સ્કૂલ સાથેનો સંબંધ હવે એ સ્તરે પહોંચ્યો છે કે જાણે એમિટીના બૃહદ પરિવારનો હું હિસ્સો ન હોઉં. એમિટી સ્કૂલના દસ્તાવેજીકરણનું પુસ્તક 'કેળવણીના કર્મયોગો' 2023માં પ્રકાશિત થયું એ અગાઉ ચાર-પાંચ વર્ષ ચાલેલી તેની લેખનપ્રક્રિયા દરમિયાન સમગ્ર એમિટી પરિવારની વધુ નિકટ આવવાનું બન્યું.

આ વરસે આવતા શિક્ષક દિન નિમિત્તે એમિટીમાંથી આમંત્રણ આવ્યું કે અમારા શિક્ષકો સમક્ષ 'મોટા' વિશે વાત કરવી. આ તો ગમતી વાત. જો કે, મેં એમ પણ સૂચવ્યું કે હું મારી વાત કરું એ અગાઉ રણછોડભાઈ પોતે પોતાની નજરે 'મોટા' વિશે વાત કરીને પૂર્વભૂમિકા બાંધે અને એ પછી હું મારી વાત કરું.
એમ આખો ઉપક્રમ ગોઠવાયો.
આ વખતે મારી સાથે કામિની ઉપરાંત ઈશાન પણ હતો. નિયત દિવસે સવારે અમે એમિટી પહોંચી ગયા. અહીં અડધો કલાક વહેલા પહોંચવાની એક લાલચ કાયમ રહે છે. મસ્ત ચા-નાસ્તા સાથે એમિટીના 'કોર ગૃપ' (વિવિધ વિભાગોના વડા) સાથે ગપસપનું આકર્ષણ મને હંમેશાં રહે છે. સરોજબહેન સદાય હસતાં, આગતાસ્વાગતા માટે તૈયાર હોય. તો તોરલબહેન પટેલ, રીનાબહેન તિવારી, સુબી મેડમ, સુનિતા મેડમ, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય (આ વખતે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે આ ગપસપમાં નહોતાં, પણ કાર્યક્રમમાં હતાં) સાથે અનેક વિષયો છેડાય અને હાસ્યના અવાજ પણ સંભળાય. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ હાજર હતાં, તો પ્રમેશબહેન મહેતાની વિદાય પછી તેમના ખાલી પડેલા સ્થાનનો અહેસાસ પણ થતો હતો.
ચા- નાસ્તા દરમિયાન 'ચેનલ નર્મદા'વાળા ઋષિ દવે અને બકુલભાઈ પટેલ પણ આવી ગયા. ગપસપ પછી કાર્યક્રમના સ્થળે અમે આવી પહોંચ્યા. દરમિયાન ભરુચનિવાસી મિત્ર દેવેન્દ્રસિહ ગોહીલ અને કાનન પણ આવી ગયાં. તો વક્તવ્ય દરમિયાન મિત્ર નીતિન ભટ્ટ પણ આવ્યા.
પ્રાર્થના પછી રીનાબહેન તિવારીએ પરિચય આપ્યો અને પ્રકાશભાઈ મહેતાએ સંચાલન સંભાળ્યું.

રીનાબહેન તિવારી દ્વારા વક્તા પરિચય

રણછોડભાઈ પોતાના શિક્ષક 'મોટા'ની વાત કરી રહ્યા છે.

સંકુલ નિયામક પ્રકાશભાઈએ એક નિષ્ઠાવાન વિદ્યાર્થીની જેમ આ પુસ્તકનું 'રીવીઝન' કર્યું હતું, એનો અહેસાસ કાર્યક્રમ દરમિયાન થતો રહ્યો. સ્વાગતાદિની વિધિ પછી રણછોડભાઈએ 'મોટા' વિશે વાત કરી, સાથે એ વાત પર ખાસ ભાર મૂક્યો કે જે રીતે 'મોટા'ને ત્યાં વિદ્યાર્થીઓ મળવા જતા હતા, એમ વિદ્યાર્થીઓ પોતાની પાસે આવે એવું શિક્ષક કેમ ન કરી શકે? એ જ રીતે, શિક્ષકોએ પણ 'આવા' લોકોને મળવું જોઈએ.
મારા વક્તવ્યને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલું. એ મુજબ, પહેલાં 'મોટા' કોણ અને શું હતા એની વાત કરી, એ પછી પુસ્તકલેખનની પ્રક્રિયા અને મને એમાં નડેલી મૂંઝવણ વિશે જણાવ્યું, તેમજ છેલ્લે એ પુસ્તકની ડિઝાઈન અંગે પણ વિગતવાર વાત કરી. આ પુસ્તકલેખનનો યોગ જેમના થકી પ્રાપ્ત થયો એ બિપીનભાઈ શ્રોફને યાદ કર્યા.

મોટા વિશે અને પુસ્તક વિશે વાત
એકાદ કલાકમાં આટલી વાત કર્યા પછી સવાલજવાબનો દોર શરૂ થયો. વિવિધ શિક્ષકોએ અલગ અલગ પ્રકારના સવાલ કર્યા. સવાલજવાબ બહુ રસપ્રદ બની રહ્યા, કેમ કે, વક્તવ્યમાં ન આવરી શકાઈ હોય એવી વાતો એમાં સમાવાઈ ગઈ. પ્રકાશભાઈ પણ વચ્ચે યોગ્ય પાદપૂર્તિ કરતા હતા.
આમ, સમગ્રપણે એક સરસ ઉપક્રમનો હિસ્સો બનવાનું બન્યું. એ પછી ભોજન દરમિયાન પણ ગપસપનો દોર લંબાયો.
સવાલજવાબના રસપ્રદ દૌર દરમિયાન

આમ, મોટા નિમિત્તે રણછોડભાઈ સાથે થયેલા પરિચયથી શરૂ થયેલું વર્તુળ એમિટી સ્કૂલમાં મોટા વિશેની વાત કરવા સાથે પૂરું થયું હોય એમ લાગ્યું.
ભોજન પતાવીને અમારે હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાનું હતું, અને જેમને મળવાનું હતું એમાં યોગાનુયોગે 'મોટા'ના પુસ્તક થકી થયેલો અને વિસ્તરેલો પરિચય જ કારણભૂત હતો.

(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ, એમિટી સ્કૂલ)