Showing posts with label Badrinath. Show all posts
Showing posts with label Badrinath. Show all posts

Saturday, March 26, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (7)

 શ્રીનગર. આ નામ કાને પડે એટલે એક જ શ્રીનગર યાદ આવે- જમ્મુ અને કાશ્મીરનું. પણ આ જ નામનું બીજું એક નગર ઉત્તરાખંડમાં આવેલું છે, જે ઋષિકેશથી બદ્રીનાથ જવાને રસ્તે છે. બદ્રીનાથ પહોંચતી વખતે અમારો વચગાળાનો મુકામ આ શ્રીનગરમાં હતો, પણ અમે પહોંચ્યા મોડી રાતે અને નીકળી ગયા વહેલી સવારે. તેથી આ નગરને બરાબર જોવા નહોતું મળ્યું. બદ્રીનાથથી અમે પાછા વળ્યાં ત્યારે શ્રીનગરમાં રાત રોકાવાનું નક્કી કર્યું. કેમ કે, બદ્રીનાથથી શ્રીનગર આશરે 200 કિ.મી.ના અંતરે છે અને શ્રીનગરથી ઋષિકેશ આશરે 100 કિ.મી.ના અંતરે. બદ્રીનાથમાં દસેક હજાર ફીટની ઊંચાઈએ, હિમાચ્છાદિત શિખરોની વચ્ચે માથું, કાન, નાક, હાથ, પગ બધું જ ઢાંકીને ફરવું પડે એવી સ્થિતિ હતી. રૂમમાં પણ હીટરની જરૂર જણાય. પણ શ્રીનગરમાં અમે રોકાયા ત્યાં પંખાનો ઊપયોગ કરવો પડ્યો. એક તો ઊંચાઈ સાવ ઘટી ગયેલી. માંડ 1800-1900 ફીટે આવી ગયેલા. એ રીતે શ્રીનગર પણ ખીણમાં વસેલું નગર કહી શકાય. મુખ્ય બજાર મુખ્ય માર્ગની સમાંતરે છે. આ સ્થળનો ઊપયોગ મોટે ભાગે વચગાળાના રોકાણ માટે થતો હોવાથી અહીં હોટેલની રૂમનાં ભાડાં પણ ઠીક ઠીક વધુ હતાં. પણ સૌથી મઝાની વાત હતી રોડની સમાંતરે, પર્વતોની ગોદમાં વહેતી અલકનંદા.

જો કે, આ વિસ્તારમાં અલકનંદાનો પટ મુખ્યત્વે પથરાળ છે. રેતી, કાંકરા અને પથરા વધુ જોવા મળે છે. જે હોટેલમાં અમે ઊતરેલા તેની બાલ્કનીમાંથી બરાબર સામે જ આવું દૃશ્ય દેખાતું હતું. વચ્ચે રોડ અને તેની પેલી તરફ અલકનંદા. આ નદીના પટમાં કંઈક ખોદકામ ચાલી રહ્યું હતું અને વહેલી સવારથી ડમ્પર મશીનોનો અવાજ શરૂ થઈ ગયો હતો.
મને હંમેશાં લાગે છે કે પર્વતીય વિસ્તારમાં મુખ્ય સ્થળે જતાં જતાં વચ્ચે આવતાં અમુક સ્થળોએ રોકાણ કરવાની મઝા જ અલગ હોય છે. દર વખતે એ શક્ય નથી બનતું, પણ આ વખતે અનાયાસે એમ થઈ શક્યું. એ રોકાણની આ યાદગીરી.
શ્રીનગર ખાતે નદીનો પટ

બદ્રીનાથથી અમે પાછા વળ્યા અને રસ્તામાં શ્રીનગર તેમજ ઋષિકેશ ખાતે રાત્રિરોકાણ કર્યા પછી આખરે હરિદ્વાર પહોંચ્યા. 
અલકનંદા- ભાગીરથી સંગમ, દેવપ્રયાગ

વાસ્તવમાં અમે અન્ય લોકોથી બે દિવસ વહેલા નીકળી ગયા હતા અને છેલ્લે હરિદ્વારમાં અમારે 'મુખ્ય પ્રવાહ'માં ભળી જવાનું હતું. અહીં જ રાત્રિરોકાણ કરીને સવારે દિલ્હી જવા માટે નીકળવાનું હતું. હરિદ્વાર-ઋષિકેશ હાઈવે પર આવેલી ત્રણેક હોટેલમાં સૌનો ઊતારો વહેંચાયેલો હતો, જેમાં અમારા ભાગે આવેલી રૂમની બારીમાંથી આ દૃશ્ય દેખાતું હતું.
બદ્રીનાથમાં હિમાલયને મળીને આવ્યા પછી હરિદ્વારના મેદાની પ્રદેશમાં ગીચતાની સાથે સાથે ગંદકી પણ લાગે. બારીમાંથી પહેલો હાઈવે નજરે પડે અને હાઈવેની પેલે પાર આવાં મકાનો. દૃશ્ય કંઈ ખાસ આકર્ષક નહોતું. કાચના ખોખાં ગોઠવ્યા હોય એવી હોટેલની ઈમારત અને તેની સાવ અડોઅડ હજી બની રહ્યું હોય એવું કોઈ મકાન. ચીતરવા માટે બહુમાળી મકાનની એકવિધતાની સરખામણીએ બની રહેલા મકાનનું સ્થળ બહુ આકર્ષક જણાય, કેમ કે, એમાં અલગ અલગ ટેક્સ્ચર અને સંયોજન મળી રહે.
પણ અમે વહેલા તૈયાર થઈ ગયા હતા અને જવાને હજી વાર હતી. તેથી વારેવારે નજર સામે જતી. કાચબંધ ખોખામાં તો કશો સળવળાટ નહોતો જણાતો, પણ તેની બાજુના કાચાપાકા મકાનમાં અવરજવર જણાતી હતી. પછી ધ્યાન પડ્યું કે તેમાં એક મંદિર બનાવાયેલું છે.
સ્ટોરી ઘડાતી હોય એમ મનમાં વાત બેસવા લાગી અને માત્ર રમૂજ ખાતર વિચાર આગળ ચાલ્યો. આ મંદિર કે જેની પર હજી પ્લાસ્ટર પણ નથી થયું, અને એ ક્યારે થશે એ ખબર નથી, તે ભવિષ્યમાં વિકસતું જશે. અને એમ થશે ત્યારે તેનો દેખાવ તેની બાજુમાં આવેલા કાચના ખોખાને પણ ટક્કર મારે એવો બની જશે. અને આ કાચનું ખોખું? તેમાં ઊતરનારા પ્રવાસીઓને આમ જ લૂંટતું રહેશે તો જતે દા'ડે એનો કોઈ ભાવ નહીં પૂછે. તેને તાળાં મારવાનો વખત આવશે. એમ થશે પછી તેની ભીંત પરથી પ્લાસ્ટરના પોપડા ઊખડવા લાગશે. અને બહુ ઝડપથી તેનો દેખાવ હાડપિંજર જેવો, એટલે કે અત્યારે તેની બાજુનું મકાન છે એવો થઈ જશે. આવો વિચાર આવ્યો એટલે થયું કે લાવો, હજી સમય છે તો વિરોધાભાસ સમી આ બન્ને ઈમારતોનું ચિત્ર બનાવી લઈએ.
એટલે એક રીતે કહીએ તો, અહીં જે દેખાય છે એ નથી જોવાનું. અહીં જે ઈમારત અત્યારે દેખાય છે તે ભવિષ્યમાં એની બાજુની ઈમારત જેવી થઈ જશે એવી કલ્પના છે.

હરિદ્વાર-ઋષિકેશ હાઈવે 

(સમાપ્ત) 

Friday, March 25, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (6)

 પ્રવાસી તરીકે કોઈક સ્થળે ગયાં હોઈએ તો ત્યાં શું જોવું? શી રીતે ફરવું ? આવા સવાલના સૌના પોતપોતાના જવાબ હોય છે. ઉત્તમ રસ્તો એ છે કે એ જવાબ જાતે જ, પોતાની રુચિ અને માનસિકતા અનુસાર મેળવવો. દસમાંથી આશરે છ જેટલા પ્રવાસીઓને 'ત્યાં શું જોવા જેવું છે?' પૂછશો તો મોટે ભાગે 'ત્યાં આખા દૂધની ચા હાઈક્લાસ મળે છે' કે 'એ જગ્યાએ ખૂણામાં એક સબ્જી-પરાઠાવાળો ઊભો રહે છે, એની લસ્સી ખાસ પીજો' જેવો જવાબ મળે તો નવાઈ નહીં. આપણા લોકો એટલા પ્રખર પ્રવાસીઓ છે કે હિમાલયની પણ શરમ ન ભરે! 'ત્યાં બરફ અને પથરા સિવાય કશું જોવા જેવું નથી. એના કરતાં તો ઢીકણું સારું' એવો અભિપ્રાય બેરહેમીપૂર્વક આપતાં લોકો ખચકાતા નથી. અમને આવો અભિપ્રાય 'ઔલી' બાબતે સાંભળવા મળેલો. જોશીમઠથી 17-18 કિ.મી.ના મોટર માર્ગે, ઊંચાઈએ આવેલું આ સ્થળ ત્યાંની શિયાળુ રમતો માટે ખ્યાતનામ છે. શિયાળામાં અહીં ચોફેર બરફ છવાયેલો હોવાથી અને અહીં સરસ ઢોળાવો હોવાથી સ્કી તેમજ અન્ય શિયાળુ રમતો અહીં હોય છે. પણ એ તો શિયાળામાં. અત્યારે શું ? એનો જવાબ એ કે, 'ઔલીમાં કશું નથી.' આવા જવાબનું એક સંભવિત કારણ એ હોઈ શકે કે- જોશીમઠથી ઔલી સુધીનો રોપ-વે છે, જેમાં એક વખતની પચીસેક મિનીટની મુસાફરી છે. જતાં-આવતાંની થઈને પચાસેક મિનીટની રોપ-વેની મુસાફરી અને એકાદ કલાક ત્યાં ગાળવા મળે- એમ બે-એક કલાકનો કાર્યક્રમ હોય છે, જેની માથાદીઠ ટિકીટ 750/- રૂ. છે. 'ઔલીમાં કશું નથી' એ સમજાઈ જાય.

રોપ-વેમાં વીસેક લોકો એક સાથે ઊભાઊભા જઈ શકે એવી વ્યવસ્થા છે. જેમ જેમ ઊપર ચડતા જવાય એમ આસપાસનાં દૃશ્યો ખૂલવા લાગે, જેની તસવીરો લેવાના ફાંફા મારવાને બદલે નજરે માણવાનો આનંદ વધુ છે. આ ચઢાણ સીધું જ છે, વચ્ચે વચ્ચે રોડ પણ દેખાય. પણ મઝાની વાત એ કે અત્યાર સુધીના પહાડોની સરખામણીએ અહીં અનેક મોટાંમોટાં વૃક્ષો જોવા મળે. એમ થાય કે આ રસ્તે પગપાળા આવવા જેવું છે.
ઔલી પહોંચીએ એમ મસ્ત ઢોળાવો નજરે પડે, જેની પર આછું લીલું ઘાસ ઉગેલું હોય. આ ઢોળાવો પૂરા થાય એની સામે જ હિમાચ્છાદિત શિખરોનો આખો સમૂહ કોઈક સ્ટુડિયોના બૅકડ્રોપની જેમ દેખાય. ઢોળાવો એવા છે કે યશ ચોપરાની ફિલ્મનાં હીરો-હીરોઈન ગીત ગાતાં ગાતાં ગબડી શકે.
અમે પહોંચ્યાં ત્યારે ત્યાં અનેક ઘેટાં-બકરાં ચરતાં જોવા મળ્યાં. લીલા રંગની ઘાસિયા પૃષ્ઠભૂમિમાં ઊંચેથી સાવ રમકડાનાં જણાય એવાં સફેદ-કાળાં ઘેટાં-બકરાંનો દેખાવ એવો લાગતો હતો જાણે કે કોઈક નકશામાં ટાપુઓ દર્શાવ્યા હોય. ઠંડા અને પહાડી પ્રદેશના હોવાથી તેમના શરીર પરના વાળ 'બા બા બ્લેક શીપ, હેવ યુ એની વુલ?' પૂછવાનું મન થઈ જાય એવા હતા.



હેવ યુ એની વુલ? 

આમ છતાં, એ સવાલ ઉભો જ રહ્યો કે ઔલીમાં આખરે છે શું? ઓહ હા, રોપ-વેમાંથી નીકળતાં જ ચા- કૉફી, મૅગી તેમજ અન્ય પડીકાં મળે રહે છે, જેના વડે ત્યાંનો એક કલાક આસાનીથી પસાર થઈ જાય. અહીં પાણીપુરી, મંચુરિયન, ભાજીપાઉં જેવી ચીજો મળતી હોય તો આ સ્થળ હજી વિકસે. આપણું ગુજરાત હોય તો કહેવું જ ન પડે. ઊત્તરાખંડની સરકાર હજી આ બાબતે પાછળ છે. પણ વધુ ને વધુ ગુજરાતીઓ આવતા રહેશે તો ભવિષ્યમાં કહી શકાશે, 'ઔલીમાં એક બરફગોળાવાળો છે. એ પર્વતના શિખર પરથી સીધો જ બરફ લઈને ગોળા બનાવે છે. તમે એ ખાસ ખાજો. પણ એમાં ખસ કે રોઝ ફ્લેવર ન નખાવતા. એ સિવાયની કોઈ પણ ચાલશે.'
(ક્રમશ:) 

Thursday, March 24, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (5)

 'પર્બત કે ઉસ પાર....' અનેક રીતે વાપરી શકાય. પેલે પારની વિશાળ, છતાં અજાણી દુનિયા માટે મોટે ભાગે આ શબ્દપ્રયોગ વપરાય છે. બદ્રીનાથમાં ચરણપાદુકા નામનું સ્થળ આવેલું છે. આ સ્થળે જવાનો અમે રસ્તો પૂછ્યો એટલે એક સજ્જને અમને આંગળી ચીંધીને લાલ ધજાઓવાળું અને લાલ રંગનું મંદિર દેખાડ્યું, જે દેખીતી રીતે ઊંચાઈ પર હતું. પહેલી તસવીરમાં ડાબી તરફ ધ્યાનથી જોશો તો પાણીના ધોધની સામે એ મંદિર જોઈ શકાશે. એ મંદિરથી અમારે આગળ ઊપર ચઢવાનું હતું, જ્યાં વચ્ચે પર્વત દેખાય છે. આ પર્વતની પેલે પાર અમારે જવાનું હતું. તસવીરમાં જે હિમશીખરો દેખાય છે એ તો ઘણાં દૂર હતાં. અમારે વચ્ચેના ભાગમાં જવાનું હતું. 'પર્બત કે ઉસ પાર'.

અમે ચાલવાનું શરૂ કર્યું. લાલ મંદિર સુધીનું ચઢાણ એકદમ સીધું હતું, તેથી ત્યાં પહોંચતાં જ 'સાંસ ફૂલને લગી.' એક જગ્યાએ શ્વાસ ખાવા બેઠા કે એક સ્થાનિક બહેન પીઠ પાછળ ટોપલી ભરવીને ચડી રહ્યાં હતાં એ પણ અમારી બાજુમાં બેઠાં. 'ક્યા કરેં, સાંસ ફૂલ જાતી હૈ' એમ તેમણે બેસતાંની સાથે કહ્યું એટલે અમે તરત જ હસી પડ્યાં. 'આપ કે સાથ ભી ઐસા હોતા હૈ, તો હમારા તો હોગા હી...' એવી મજાકની આપ-લે કરી. અમે ફરી ચડવાનું શરૂ કર્યું અને લાલ મંદિર વટાવીને હજી ઊપર ચડ્યા. બીજી તસવીર એ ઊંચાઈ પરથી લીધી છે, જેમાં લાલ મંદિર નીચેના ભાગે જણાય છે. ત્યાર પછી થોડું ચઢાણ અને રસ્તો સીધો હતો.



અહીં એક બીજી મઝા થઈ. અમે છેક નીચે હતાં અને કોઈકને રસ્તો પૂછતા હતાં. આસપાસમાં રમતાં છોકરાં આ સાંભળી ગયાં. તેઓ સ્થાનિક નહોતા, પણ આ મોસમમાં અહીં બહારથી આવતાં મજૂરોનાં બાળકો હતાં. ચાર-પાંચ ટાબરિયાંની ગેન્ગ હતી. તેમને લાગ્યું કે પૈસા કમાવાની આ સરસ તક છે. એટલે તેઓ 'જય બદરી વિશાલ'ની બૂમો પાડતાં પાડતાં અમારી આગળ આગળ દોડવા માંડ્યા. વચ્ચે વચ્ચે 'ચરણપાદુકા કી જય' પણ બોલતાં, જેથી અમને ખ્યાલ આવે કે તેઓ અમને ત્યાં પહોંચાડશે. અમે સહેજ લાંબો, પગદંડીવાળો પથ લેતા, પણ એ લોકો ઢોળાવો ચડી જતાં. ધમાલમસ્તી કરતાં, ગોલમટાં ખાતાં અને અંદરોઅંદર વાત એ રીતે કરતાં કે જેથી અમારે કાને પડે, 'હજ્જાર રૂપયે કમાયેંગે', 'સબકો પાંચસૌ પાંચસૌ મિલેગા' એમ ઉત્સાહમાં તેઓ બોલતા.
વચ્ચે એક મઢી આવી. તેઓ ત્યાં પ્રસાદ લેવા ગયા. તો ત્યાં રહેતા મહારાજે તેમને ધમકાવીને કહ્યું, 'દિવસમાં કેટલી વાર પ્રસાદ લેવા આવો છો? હવે ચોવીસ કલાકમાં એક જ વાર પ્રસાદ મળશે.' અમે કંઈ એ લોકોને સાથે આવવા કહ્યું નહોતું અને એ લોકો દેખાવ પણ એવો જ કરતા કે અમારાથી તેઓ અલગ છે. છતાં અમે વિચાર્યું કે છેલ્લે તેમના હાથમાં થોડા પૈસા મૂકી દઈશું. ચરણપાદુકા તેઓ અમારાથી વહેલા પહોંચી ગયા ત્યારે ત્યાંના મહંતે પણ તેમને ધમકાવ્યા. થોડી વાર પછી અમે ત્યાં પહોંચ્યાં અને પગરખાં નીચે ઉતારીને અંદર ગયાં ત્યારે પણ મહંતશ્રીની અમૃતવાણી ચાલુ હતી. અમને કહે, 'સાલે, સબ ચોર હૈ. આપને સુના હોગા અભી નીચે કલ ચોરી હો ગઈ. યે લોગ હી હૈ. આપને દેખા હોગા વો પૂરી ગેંગ નીચે ઠહરી હુઈ હૈ...' વગેરે.... હા, અમે નીચે તેમની વસાહત જોઈ હતી. 'પિઠ્ઠુ' તરીકે ઓળખાતા એ મજૂરો નેપાળથી આવેલા હતા. આવી કાતિલ ઠંડીમાં તેઓ કામચલાઉ તંબૂમાં સાગમટે રહેતા હતા. કોઈક ભંડારામાં મળતું ભોજન તેઓ લેતા હતા અને શારિરીક શ્રમ કરીને મજૂરી રળતા હતા. મહંતશ્રીએ અમને પણ અમારાં નીચે કાઢેલાં પગરખાં સંભાળવા કહ્યું. પછી અમને તેમણે 'અખંડ જ્યોત' અને અનુષ્ઠાન બાબતે માહિતી આપી અને કહ્યું કે અમે ઈચ્છીએ એના નામનું અનુષ્ઠાન યોજી શકાશે, જેના અઢીસો રૂપિયા થાય. નિર્ધારીત તિથિએ અમને એસ.એમ.એસ. મળશે વગેરે...
અમને અમારા કે કોઈના નામના અનુષ્ઠાનમાં રસ નહોતો એટલે અમે દર્શન કરીને પાછાં વળ્યાં. પેલી ટાબરિયાં ગેન્ગ અમારાથી પાછળ આવવા લાગી. અચાનક તેઓ દોડવા લાગ્યા. સૌના ચહેરા એકદમ ગભરાયેલા અને ડરેલા હતા. તેઓ પાછું જોઈ જોઈને દોડી રહ્યા હતા. એક સાવ નાનું છોકરું બીને રડવા લાગ્યું. અમને નવાઈ લાગી કે અચાનક શું થયું? તેઓ દોડતાં દોડતાં 'કુત્તા આયા' બોલી રહ્યા હતા. અમે જોયું તો ચાર-પાંચ કાળા કૂતરા આવી રહ્યા હતા. અમે કહ્યું, 'શાંતિથી ઉભા રહો. દોડશો નહીં. અમારી સાથે સાથે ચાલતા રહો.' પેલા નાનકડા ટાબરિયાને કહ્યું, 'તારા બૂટની દોરી બરાબર બાંધ. કશું થવાનું નથી. ચિંતા ન કરીશ.' આમ, અમે સમૂહ બનાવીને ચાલવા લાગ્યા. અમને પણ ફફડાટ તો હતો, પણ એટલી ખાતરી હતી કે કૂતરા કંઈ અમારી પાછળ કોઈએ દોડાવ્યા ન હોય. તેઓ એમની રીતે નીકળ્યા હશે. છોકરાં હજી ગભરાયેલાં હતાં, એટલે કામિનીને મજાક સૂઝી. તેણે ગેંગને કહ્યું, 'હમ કુત્તોં સે તુમ્હેં બચાયેંગે. લેકિન પાંચ સૌ રૂપિયા હોગા.' આ સાંભળીને એક છોકરો તરત જ બોલી ઉઠ્યો, 'ઈતના સારા તો હોતા હૈ, ક્યા?' આમ, વાતોવાતોમાં અમે આગળ વધતા રહ્યા. પેલા કૂતરાં પણ પછી બીજે ફંટાઈ ગયા. એવામાં ઢોળાવ આવ્યો એ જોઈને પેલાં છોકરાં ગબડવા માંડ્યા. અમે પગદંડી પર હતા. છોકરાં ગબડતાં ગબડતાં જ્યાં પહોંચ્યાં ત્યાં એક સાધુ સેલફોન લઈને ઊભા હતા. એમને મજા આવી હશે એટલે તેમણે એ છોકરાંઓના ફોટા લેવા માંડ્યા. અમારો રસ્તો પછી બીજી તરફ ફંટાતો હતો એટલે ભયમુક્ત છોકરાંઓનું એ છેલ્લું દૃશ્ય જોઈને અમે ફંટાયા. અને નીચે ઉતરીને પાછા બદ્રીનાથ ગામમાં આવી પહોંચ્યા.
****
સિનેમાનાં અમુક છાયાચિત્રો કેવળ જે તે ફિલ્મ પૂરતાં નહીં, શાશ્વત બની રહે છે. ફિલ્મના આરંભથી શરૂ થતી દિલધડક ઘટનાઓ, તેમાં નાયકની સંડોવણી, અનેક ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં તેની ફસામણી, આ બધામાં નાયિકાનો તેને મળતો સથવારો, આખરે તમામ ઝંઝટમાંથી મળતો છૂટકારો અને.....આખરે એ બધાના અંત પછી એક નવી, સુખરૂપ શરૂઆત તરફ, જેનું પ્રતીક એટલે સૂર્યોદય, જે પ્રકાશનું જ નહીં, આશાનું કિરણ પણ લઈ આવે છે. 'તમસો મા જ્યોતિર્ગમય' પણ અહીં લાગુ પાડી શકાય.
આ છબિશ્રેણીમાં પહેલવહેલી તસવીરમાં ચાર્લી ચેપ્લિન અને પોલેટ ગોડાર્ડ જોઈ શકાય છે, જે ચાર્લીની અદ્ભુત ફિલ્મ'મોડર્ન ટાઈમ્સ'નું અંતિમ દૃશ્ય છે.

મોડર્ન ટાઈમ્સનું અંતિમ દૃશ્ય

નીચેની તસવીરમાં રાજ કપૂર અને નરગીસ છે, જે રાજની ફિલ્મ 'શ્રી 420' નું અંતિમ દૃશ્ય છે.

શ્રી 420નું અંતિમ દૃશ્ય 

આ છબિમાં ગુરૂદત્ત અને વહીદા રહેમાન દૃશ્યમાન છે, જે 'પ્યાસા'નું અંતિમ દૃશ્ય છે. બસ! છબિઓ અને પરિસ્થિતિઓની સરખામણી અહીં પૂરી થાય છે.

'પ્યાસા'નું અંતિમ દૃશ્ય 

નીચલી છબિમાં બીરેન અને કામિની નજરે પડે છે, જે લીધી છે શચિ કોઠારીએ.



બદ્રીનાથથી ત્રણ-ચાર કિ.મી.ના અંતરે આવેલા ચરણપાદુકામાં એક શિલા પર બે પગલાં જોવા મળે છે. એક પગલું મોટું છે અને બીજું નાનું. આ પ્રદેશોમાં કોઈ પણ બાબત માટે જવાબદાર ભગવાન વિષ્ણુ અને મહેશથી ઓછું કોઈ ભાગ્યે જ મળે. આમ ટૂંકું લાગે એવું આ અંતર હોવા છતાં ત્યાં પહોંચવાના રસ્તાનો શરૂઆતનો ભાગ એકદમ સીધા ચઢાણનો છે. આથી શરૂઆતથી જ 'હજી કેટલું રહ્યું?' જેવા સવાલો એકબીજાને પૂછવાનું ચાલુ થઈ જાય. જો કે, સીધું ચઢાણ વટાવ્યા પછીનો રસ્તો પ્રમાણમાં ઘણો સારો છે. સામે જ નીલકંઠ પર્વત દેખાતો હોય અને જાણે કે અનંત માર્ગ સુધી દોરી જતી પગદંડી પર આપણી યાત્રા ચાલી રહી હોય એમ લાગે. જેમ ઊંચાઈ પકડતા જઈએ એમ નીચે બદ્રીનાથની વસાહત કોઈ આર્કિટેક્ટે બનાવેલા ટેબલટૉપ મોડેલ જેવી લાગતી જાય. આસપાસના પર્વતો એટલા નજીક લાગે કે જાણે હમણાં એને સર કરી લઈએ એમ થાય. પ્રવાસીઓની પાંખી તો પાંખી અવરજવર હોવાથી રસ્તામાં ખાલી બૉટલો, પાઉચ વગેરેનાં દર્શન પણ થાય અને આપણો જીવ કકળે કે હવે હિમાલયને પણ આપણે નહીં છોડીએ.
ચોથી છબિ ચરણપાદુકાથી પાછા વળતાં, અમારી જાણબહાર લેવાયેલી છે. પણ તેમાં સામે દેખાતું હિમશિખરદર્શન અને તેની પર પડતો સૂર્યપ્રકાશ આકર્ષણનું કેન્દ્ર છે એમ અમને ચાલતી વખતે પણ લાગેલું. અમે જે દિશા તરફ આગળ વધી રહ્યા છે એ પૂર્વ દિશા જ છે, પણ કોઈ નવી શરૂઆત કરવાનો અમારો ઈરાદો નથી, એ અમારી ઝડપી ચાલ પરથી સ્પષ્ટ થાય છે. બાકીની ત્રણ છબિઓથી એ રીતે જ આ જુદી પડે છે.
(ક્રમશ:) 

Wednesday, March 23, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (4)

 ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. બન્ને એક જ માનાં સંતાન જેવાં કહી શકાય. હિમાલયની ગિરિમાળાઓમાં આવેલા આ પ્રદેશો હોવા છતાં બન્નેમાં ઘણો તફાવત જોઈ શકાય. વહીવટી રીતે જોઈએ તો હિમાચલ પ્રદેશની સરખામણીએ ઉત્તરાખંડ રાજ્ય ઘણું નવું ગણાય. અગાઉ તે ઉત્તર પ્રદેશનો હિસ્સો હતું. આ કારણે ઘણી બધી રીતે તે હિમાચલ પ્રદેશની સરખામણીએ પાછળ રહ્યું. એ જો કે, વહીવટી વાત થઈ. ભૂગોળની રીતે પણ આ પ્રદેશોમાં ફરક જોવા મળે. હિમાચલના લોકો વધુ મળતાવડા, હસમુખા અને સુંદર લાગે. કદાચ પ્રવાસીઓને તેમણે અનિવાર્ય અતિથિ તરીકે સ્વીકારી લીધા હોવાથી એમ હોઈ શકે. ઉત્તરાખંડમાં હજી એ ધીમે ધીમે થશે એમ લાગે છે.

બન્ને પ્રદેશમાં આવેલા પર્વતોમાં ખાસ તફાવત ન હોવો જોઈએ એમ મને હતું, પણ એ લાગ્યો. ઉત્તરાખંડના પહાડો પર વૃક્ષો અને જંગલોનું પ્રમાણ સાવ ઓછું જણાયું. સરખામણીએ હિમાચલમાં તે વધુ લાગે. ખાસ કરીને દેવદારનાં વૃક્ષો તેની ઓળખ સમાં છે, જેનું પ્રમાણ ઉત્તરાખંડમાં ઓછું જણાય. બોલીનો ફરક પણ ઊડીને આંખે વળગે. હિમાચલના લોકોની બોલીમાં પંજાબી છાંટ જણાય.


હિમાલયના પહાડોમાં મુખ્ય ત્રણ ભાગ તેની ઊંચાઈ મુજબ પાડવામાં આવ્યા છે- નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ. દસેક હજાર ફીટની ઊંચાઈવાળા પહાડો નિમ્નની શ્રેણીમાં આવે છે. ઉત્તરાખંડમાં, ખાસ કરીને બદ્રીનાથ વિસ્તારના પહાડોનું બંધારણ જોઈને એમ જ લાગે કે એ હમણાં જ ફસકી પડશે.


વચ્ચે મોટા મોટા પથ્થરો દેખાય, છતાં દૂરથી જોતાં એ માટીના ઢગ જેવા જ લાગે. આ વિસ્તારમાં ભૂસ્ખલનનો પ્રકોપ અવારનવાર થતો રહે છે, તેનું કારણ પણ આ ખડકો જોઈને સમજાઈ જાય.


ભારત ઊપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન જેવા દેશોને પણ હિમાલય સ્પર્શે છે. જો કે, તેનો સૌથી વધુ ભૌગોલિક લાભ ભારતને મળે છે. હિમાલયની મુલાકાત વખતે શાળામાં ભણેલી ભૂગોળલક્ષી અનેક બાબતો પણ યાદ આવતી રહે અને ખ્યાલ આવે કે એ સમયે આવી મુલાકાત ગોઠવવામાં આવી હોત તો કેવી મઝા આવત!
હિમાલયના ખડકો મુખ્ય ત્રણ પ્રકારના છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. અમે પચમઢી ગયા ત્યારે ત્યાંના ગાઈડે દેખાડેલું કે પચમઢીમાંના સાતપૂડાના પહાડોનું બંધારણ પણ હિમાલયના પહાડોને મળતું આવે છે.


આપણે આ અદ્ભુત અને શ્રેષ્ઠતમ પર્વતને શી રીતે જોઈએ છીએ? ટૂંકમાં કહીએ તો, આપણે ત્યાં જઈએ છીએ, બે હાથ જોડીને શિશ નમાવીએ છીએ અને આપણા ભાગનો કચરો આ નગાધિરાજને અર્પણ કરીને, હળવા થઈને, કોરાકટ પાછા વળીએ છીએ.
(ક્રમશ:) 

Tuesday, March 22, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (3)

 બદ્રીનાથથી ત્રણેક કિ.મી.દૂર આવેલું માણા અને માણાથી છ-સાત કિ.મી.ના અંતરે આવેલા વસુધારા ફૉલ્સ. એક તરફ ખીણ, ખીણમાં વહેતો સરસ્વતી નદીનો પ્રવાહ અને સહેજ ત્રાંસા ચઢાણવાળી પથરાળ પગદંડી. વચ્ચે એકાદ ગ્લેશિયર પણ ઓળંગવું પડે ત્યારે નીચેથી તે 'ભપ્પ' તો નહીં થઈ જાય ને, એવી બીક પણ લાગે. સવારે દસ-સાડા દસે નીકળીએ તો આરામથી ચાલતાં ચાલતાં બપોર સુધી પહોંચી રહેવાય. વચ્ચે કંઈ કહેતાં કંઈ જ ન મળે. હા, થોડા પ્રવાસીઓ મળતા રહે, જેઓ પાસેની ખીણમાં પૂરઝડપે વહેતી નદીના રવને દબાવી દે એવા અવાજે પોતાનાં શ્રાવ્યસાધનો થકી જાતભાતનાં ગીતો સાંભળતા હોય અને આપણા જેવાને પણ નિ:શુલ્ક શ્રવણલાભ આપતા રહેતા હોય. અમારા આ પ્રવાસની વ્યવસ્થા જેણે કરેલી એ સોમેશની ઑફિસમાં અમે લાકડીઓ જોઈ હતી. આથી અમે ચારેએ લાકડીઓ લઈ લીધેલી, જે બહુ આશીર્વાદરૂપ અને મોટે ભાગે તો ઈર્ષારૂપ પુરવાર થઈ. માણામાં અમને મળતા મોટા ભાગના પ્રવાસીઓ અમારી પાસે લાકડી જોઈને આશ્ચર્ય પામતા અને 'ક્યાંથી લીધી?' એમ પૂછતા. અનેક લોકોએ તો શરમ મૂકીને અમારી પાસે લાકડી માગી પણ ખરી. 'અમને આપી દો ને? અમારાથી ચડાતું નથી' વગેરે... અમે પણ શરમ જાળવીને 'આ અમારી નથી. અમારે પાછી આપવાની છે' કહીને તે ન આપી. પણ તેના હોવાથી ખરેખર ઘણો ફાયદો થયો.

કેટલીક વાર્તાઓમાં આવે છે કે 'તેને કહેવામાં આવેલું કે પાછું વાળીને જોતો નહીં. પણ તેનાથી રહેવાયું નહીં અને તેણે પાછું ફરીને જોયું એ સાથે જ....' વસુધારાનો આખો રસ્તો એવો છે કે પાછું વાળીને જોયા કરવાનું જ મન થયા કરે. માણા ગામ દીવાસળીનાં ખોખાં ગોઠવ્યાં હોય એમ નાનકડું થતું જાય. અને જે પર્વત પ્રવાસના સમયે એકદમ ઊંચો જણાતો હોય તે હવે આપણા 'લેવલ'માં આવતો જાય. ત્યારે લાગે કે આપણે ઊંચાઈ પકડી રહ્યા છીએ. મોટે ભાગે બપોર સુધી આકાશ એકદમ સ્વચ્છ હોય. 'નીલે નીલે અંબર પે' એટલે શું એનો ખ્યાલ બરાબર આવી શકે એવું. આ તસવીરમાં એ જોઈ શકાશે.

વસુધારા જતાં 
વસુધારા જતાં શરૂઆતમાં ઓછા ચઢાણવાળો રસ્તો આવે. પછી વળાંકો આવતા જાય અને પછી ચઢાણ પણ આવે. વચ્ચે વચ્ચે જામેલો બરફ પણ જોવા મળે. ગાઈડના જણાવ્યા મુજબ અહીં ક્યારેક વન્ય પશુઓ (ખાસ કરીને જંગલી ગાય, હિમરીંછ કે સફેદ વાઘ) પણ આવી ચડે. અહીંના પર્વતો સાવ ખડકાળ, વૃક્ષો વિનાના હોવાથી તેમની ઊંચાઈ હોય એનાથી પણ વધુ જણાય. પથ્થરો પર લીલ બાઝીને સૂકાઈ ગઈ હોવાથી આખો પર્વત લીલી ઝાંય ધરાવતો જણાય. હિમરીંછ, હિમમાનવ અને તેનાં પગલાંનો ઉલ્લેખ અનેક સાહસકથાઓ કે રહસ્યકથાઓમાં આવે છે. જો કે, અમને ખાત્રી હતી કે અમે કંઈ એવા વી.આઈ.પી. નથી કે હિમરીંછ અમને ખાસ મળવા માટે આવે. 'જલસો'ની ખ્યાતિ હજી ગુજરાતમાં પણ પૂરતી પહોંચી નથી, તો ઉત્તરાખંડનું રીંછ એ માંગે એટલી બધી હકારાત્મકતા કેળવવાની બાકી રહી ગઈ છે! અગાઉ કહ્યું એમ રસ્તામાં અનેક જગ્યાએ બરફ જામેલો હતો. ક્યાંક તો તેની પર પગ મૂકીને જવું પડતું. આવા એક સ્થાને 'જો મિલ ગયા ઉસી કો રીંછ સમઝ લિયા'ના ન્યાયે જામેલા બરફમાં હિમરીંછનો આકાર કલ્પી લીધો. જેને શ્રદ્ધા હશે તેને એ હિમરીંછ જરૂર જણાશે. અને શ્રદ્ધા નહીં હોય એણે હજી લાંબી મજલ કાપવાની છે એમ સમજી લેવું.
વસુધારાને રસ્તે 

****
નામમાં કશું બળ્યું નથી, પણ નામની આગળપાછળ લગાડાતાં શિંગડાં-પૂંછડાંઓમાં તો સર્વસ્વ છે. ધર્મસ્થળો-યાત્રાધામોમાં આસ્થાનો જે નિર્દય વ્યાપાર ચાલતો હોય છે એ જોઈને ક્યારેક સંસાર પરથી મન ઊઠી જાય. પણ આવાં સ્થાનોમાં સંસાર ત્યાગીને આવેલા મહાનુભાવોની આસક્તિ જોઈને એમ લાગે કે આપણે સંસારમાં રહીને પણ સંન્યાસીજીવન જીવી રહ્યા છીએ. દાઢીધારી-ભગવાધારીઓને પેન્ટ-શર્ટ પહેરેલો મનુષ્યમાત્ર 'બચ્ચા' લાગે અને એ 'બચ્ચા'ને 'સેવા કરવાની તક' મળી રહે એ માટે તેઓ પોતાની ભૂખ અનુસાર ચાની, ભોજનની કે દક્ષિણાની માગણી કરતા રહે. ક્યાંક કોઈ માગણી ન કરે તો સંસારી જીવો વતી અમુકતમુક રૂપિયામાં અનુષ્ઠાન કરી આપવાની, એ માટે અમુકતમુક રકમની દક્ષિણા આપવાની અને નિર્ધારીત દિવસે એસ.એમ.એસ. દ્વારા આપણા નામનું અનુષ્ઠાન આરંભ તેમજ સંપન્ન થવાની જાણ પણ કરવાની ઑફર આપે.
હિમાલયમાં સિદ્ધ યોગીઓ વસતા હતા (કે છે) એમ વાંચતા આવ્યા છીએ અને તેઓ માનવવસતિથી ઘણા દૂર રહીને હજારો વર્ષોનું આયુષ્ય પામે છે એમ પણ વાંચવામાં આવેલું. જો કે, હિમાલયની જેમ નજીક જઈએ અને આપણામાં કોઈ પણ સ્થળના સ્પંદનો અનુભવવા જેટલી સંવેદનશીલતા બચી હોય તો એટલા સમય પૂરતા આપણે પણ યોગીની સમકક્ષ અવસ્થામાં આવી જઈએ એવી તાકાત હિમાલયમાં છે.
બદ્રીનાથથી ત્રણ કિ.મી. દૂર આવેલું માણા ગામ 'ભારતીય સરહદનું છેલ્લું ગામ' કહેવાય છે, જ્યાંથી ચીનની (તિબેટની) સરહદ 40-45 કિ.મી. જેટલી છે. માણામાં 'ભારતીય સરહદના છેલ્લા ટી-સ્ટૉલ' પર ચા પીધા પછી ત્યાંથી સાતેક કિ.મી. દૂર 'વસુધારા ફૉલ' નામની અદ્ભુત જગા આવેલી છે. જતાં-આવતાં થઈને લગભગ ચૌદેક કિ.મી.ની આ ટ્રેક સરસ્વતી નદીના કાંઠે કાંઠે દોરી જાય છે. અને છેલ્લે પર્વત પરથી પડતી બે ધારાઓ તેમજ નીચે જમા થયેલા બરફના ઢગના અદ્ભુત દર્શનમાં પરિણમે છે.
આ સ્થળે પહોંચતાં પહેલાં એક ભાંગ્યાતૂટ્યા બાંધકામ પર લગાડેલા એક પાટિયા પર નજર પડી અને એમાં 'યોગીસમ્રાટ' વાંચતા જ મનોમન મલકાઈ જવાયું. આ સ્થળે રીતસર પીઠભર લંબાવી દઈને મેં સહજયોગ અવસ્થા સાધ્ય કરી લીધી.
એ જ અવસ્થામાં આંખ ખોલતાં 'યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં'ની અનુભૂતિ થઈ. 
બપોરના ચારેક વાગ્યે અમે પાછા ફરવાનું શરૂ કર્યું ત્યારે પણ વળી વળીને પાછું જોયા કરવાની લાલચ રોકી શકાતી નહોતી. અમે જોયું તો અચાનક પાછળના પર્વત પર વાતાવરણ બદલાતું જણાયું. ભૂરું આકાશ ધીમે ધીમે શ્વેતશ્યામ થવા લાગ્યું. અમને ખ્યાલ આવ્યો કે છેક પાછળ દેખાતા આ પર્વત પર હિમવર્ષા શરૂ થઈ છે.
વસુધારાથી પાછા વળતાં 

ધીમે ધીમે બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. તેની ગતિ વધવા લાગી. સદ્ભાગ્યે અમારી પીઠ પર તે ફૂંકાતો હોવાથી અમને ચાલવામાં મુશ્કેલી પડતી નહોતી. પણ 'હાડ થિજાવી દે એવો' પવન એટલે શું એની અનુભૂતિ બરાબર થઈ ગઈ. પાછળના પર્વત પર આકાશ વધુ ને વધુ ધૂંધળું થવા લાગ્યું. ધીમે ધીમે અમારી પડખેના પર્વત પર પણ એ પ્રસરતું જણાયું. 'જલ્દી ચાલો', 'જલ્દી ચાલો'ની સૂચના છતાં નીચે રસ્તો જ એવો હતો કે ઝડપથી ચાલી ન શકાય. આખરે અમે સાડા છની આસપાસ માણા ગામે પાછા આવ્યા અને 'ભારતીય સરહદની આખરી ચાની દુકાન' પર ચા પીવા બેઠા. ત્યારે બદ્રીનાથના જે ભાઈએ અમારી સાથે ગાઈડ મોકલેલો એ ભાઈએ બૂમ પાડી. તે પોતાની કાર લઈને તપાસ કરવા આવ્યો હતો. તેણે કહ્યું, 'હું તો ટેન્ટ લઈને આવી ગયો છું.'
જો કે, અનેક લોકો બદ્રીનાથમાં અમાર્રી રાહ જોતા હોવાથી ટેન્ટમાં રોકાવાની બહુ ઈચ્છા છતાં એ કાર્યક્રમ અમારે માંડવાળ કરવો પડ્યો અને અમે માણાથી બદ્રીનાથ આવી ગયા. રસ્તામાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડની સરકારે વાતાવરણ બાબતે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

(ક્રમશ:) 

Monday, March 21, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (2) :

 મોટા ભાગનાં ધર્મસ્થાનોની મુલાકાત લેતાં લાગે કે ઈશ્વર (જો હોય તો) બીજે ગમે ત્યાં ભલે હોય, પણ અહીં તો ચોક્કસપણે નહીં હોય. બદ્રીનાથ પણ આમાંથી બાકાત શી રીતે રહી શકે? તેનું ભૌગોલિક સ્થાન સ્વર્ગીય કહી શકાય એવું છે. મંદિરનો ભાગ પણ સુંદર છે. અહીં લગભગ આખા ભારતમાંથી ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. તેમની વ્યવસ્થા સંભાળવા માટે રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એક જ લાઈનમાં સૌ ઊભા રહી શકે. પણ આપણા લોકોને એક જ લાઈનમાં સરખા ઊભા રહેવું ફાવતું નથી. વ્યવસ્થા જાળવવા માટે ઠેરઠેર પોલિસ ઊભેલા હોય છે.

મંદિરના પ્રવેશદ્વારે વધુ પોલિસો હોય છે, જેઓ એક નિશ્ચિત સંખ્યામાં ભક્તોને અંદર પ્રવેશ આપે અને બાકીનાને અટકાવી રાખે. આને કારણે લાઈન ક્યારેક સ્થગિત થઈ જાય અને ક્યારેક ઝડપભેર આગળ વધે. લાઈન આગળ વધે ત્યારે વાંધો ન આવે, પણ એ સ્થગિત થઈ જાય એટલે દર્શનાર્થીઓની વ્યાકુળતા વધવા લાગે. એક દંપતિ લાંબી લાઈન જોઈને હરેરી ગયું અને લાઈનમાં વચ્ચેથી ઘૂસ મારવા પ્રયત્ન કરવા લાગ્યું. કોઈકે અટકાવ્યા એટલે કાકા શર્ટ ઊંચું કરીને કમરે બાંધેલો બેલ્ટ બતાવવાની ચેષ્ટા કરતાં કહેવા લાગ્યા, 'બિમાર હૂં ઈસલિયે....' જો કે, તેમને જોઈને મને થયું કે મારે પણ ગયા વરસનો હેલ્થ ચેકઅપનો રિપોર્ટ સાથે રાખવા જેવો હતો.
દર્શનાર્થીઓને કષ્ટ ન પડે એ માટે ઊપર પતરાં મૂકાયેલાં છે. આ પતરાં જે થાંભલા પર મૂકાયેલાં છે એ થાંભલાઓ પર શિલાજીત સહિતની અનેક ઔષધિઓ બનાવતી કોઈ ફાર્મસીઓની વિવિધ દવાઓની જાહેરખબર મૂકાયેલી છે. અહીં પણ ફૂલોની માળાઓ, પ્રસાદ, બીબાં વડે કપાળ પર નામ લખી આપનારાઓની અવરજવર સતત ચાલુ હોય. એમનો તો વેપાર જ આસ્થાનો. આ બધું જોતાં જોતાં સમય પસાર થાય અને આપણો નંબર આવશે એમ લાગે.
મંદિરનું પ્રવેશદ્વાર સાવ છેટું હતું ત્યારે ત્યાં લાઈનની બહાર ઊભેલા બે સજ્જનો પોલિસ સાથે કશી માથાકૂટ કરતા હોય એમ લાગ્યું. સહેજ કાન સરવા કર્યા તો સંભળાયું, 'ભૈયા, ઈતની લાઈન મેં હમારા નંબર કબ લગેગા? આપ અપના જો ખર્ચાપાની હોતા હૈ વો લે લો ઔર....' પેલા પોલિસો આનાકાની કરી રહ્યા હતા. 'સા'બ, ઐસા નહીં હોતા. યહાં પર સી.સી.ટી.વી. કૈમરે લગે હૈ....' દર્શનની લ્હાયમાં પેલા ભાઈઓ એ પણ ભૂલી જાય કે સી.સી.ટી.વી.થી પણ મોટી કોઈ આંખ તેમને જોઈ રહી હશે. (ગુર્જરગૌરવના પ્રહરીઓને જણાવવાનું કે એ ભાઈઓ ગુજરાતી નહોતા.) આમ છતાં, પેલા બન્ને ભાઈઓ લાગેલા જ રહ્યા. રેલિગની બહાર આવ્યા પછી થોડો ભાગ એવો છે કે જે ખુલ્લો હોય. અત્યાર સુધી એક જ રહેલી લાઈન અહીં આવતાં બે-ત્રણ થઈ ગઈ. અમાનવીય ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. દરવાજા પાસે ઊભા રહેલા પોલિસનું આ બાબતે ધ્યાન દોર્યું તો એ કહે, 'ક્યા કરેં, સા'બ! લોગ બીચ મેં ઘૂસ જાતે હૈં, સમઝતે હી નહીં હૈ...'
કાકાસાહેબ કાલેલકરે 'બદરીધામ'માં વર્ણવેલો એક કિસ્સો આવો જ હતો. એ તો કેટલાં વરસો અગાઉની વાત છે. તેમણે જણાવ્યા પ્રમાણે હાથમાં પ્રસાદનો થાળ લઈને મંદિરમાં પ્રવેશેલી એક યુવતીને ધક્કો વાગે છે અને થાળમાં રહેલો પ્રસાદ વેરાઈ જાય છે. પેલી યુવતી નિરાશ થઈ જાય છે. કાકાસાહેબ તેને આશ્વાસન આપતાં કંઈક આવું કહે છે, 'તું તો કોઈ પૂજારી દ્વારા પ્રસાદ ચડાવત, પણ ભગવાનની ઈચ્છા એવી છે કે એ સીધો તારા હાથે જ ચડાવાય. આ ભૂમિનો એક એક પથ્થર પવિત્ર છે, તેથી......'
આ બધું જોઈ-વાંચી-સાંભળીને સખત ત્રાસ લાગે, જે પ્રકૃતિની ગોદમાં ગયા વિના હળવો ન થઈ શકે.



(ક્રમશ:) 

Sunday, March 20, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (1)

(2018ના એપ્રિલ, મે દરમિયાન અમે બદ્રીનાથનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી આવ્યા પછી ફેસબુક પર છૂટકછૂટક લખાયેલા સંસ્મરણોને અહીં એક સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.) 

અમારા મહેમદાવાદના ઘરની સામે આજે જ્યાં બિપીનભાઈ શ્રોફનું નિવાસસ્થાન છે, ત્યાં અસલમાં એક ખરી (ખળી) હતી. જેનો દરવાજો ક્યારેક ખૂલતો. આ ખરીની દિવાલ પર મહેમદાવાદની ત્યારની એક માત્ર ટૉકીઝ 'આશા'માં રજૂ થતી ફિલ્મોનાં પોસ્ટરો લાગતાં. જો કે, આ દિવાલ એવી હતી કે એક વાર લાગેલું પોસ્ટર વરસો સુધી લાગેલું રહેતું. એ રીતે 'અપના દેશ'નું પોસ્ટર કેટલાય વખત સુધી રહેલું. સવારે જાગીને છજામાં ઉભા રહીએ કે સીધી નજર ત્યાં જ પડે એવું એનું સ્થાન રહેતું. પછી એ પોસ્ટર ફાટતું, ચીરાતું, અને તેની હાલત એવી થઈ જતી કે તેની નીચે લગાડેલું અગાઉની ફિલ્મનું પોસ્ટર પણ અડધુંપડધું દેખાતું હોય. મારી સાવ બાલ્યાવસ્થામાં કેટલાંક દૃશ્યો મને બરાબર યાદ રહી ગયાં છે એમાંનું એક તે 'બદ્રીનાથ યાત્રા' ફિલ્મનું પોસ્ટર. 1967 માં રજૂઆત પામેલી આ ફિલ્મ મહેમદાવાદમાં કદાચ ત્રણ-ચાર વર્ષ પછી, એટલે કે મારી ચાર-પાંચ વર્ષની ઉંમરે આવી હશે. કેટલું ચાલી હશે એ ખબર નથી, પણ તેનું પોસ્ટર મારા એ સમયની યાદગીરીનો હિસ્સો બની રહ્યું હતું. પોસ્ટરમાંના એક પણ ચહેરાને હું જાણતો નહોતો. મને તેમાં પર્વત પર જતા એક યાત્રાળુનું છાયાચિત્ર બરાબર યાદ રહી ગયું છે. બદ્રીનાથ એટલે શું અને તે ક્યાં આવ્યું એ પણ ખબર નહોતી. પણ એટલી ખબર આ પોસ્ટર દ્વારા પડેલી કે તે કોઈક પર્વત પર આવેલું હશે.


ત્યાર પછી ફરતા થયા, પ્રવાસ કરતા થયા અને જાણતા થયા એમ ખ્યાલ આવ્યો કે બદ્રીનાથ ચાર ધામ પૈકીનું એક મહત્ત્વનું ધામ છે. જો કે, મારો મુખ્ય રસ પ્રવાસનો હોવાથી ધાર્મિક સ્થળ પ્રાથમિકતામાં જલ્દી ન આવે એ સ્વાભાવિક છે. આવામાં એક તક મળી બદ્રીનાથની 'યાત્રા' કરવાની. જો કે, આ 'યાત્રા'માં જોડાતા પૂર્વે એટલું સ્પષ્ટ હતું કે અમારા માટે તે યાત્રા ઓછી અને પ્રવાસ વધુ હતો. અમારા સગાં ગૌરાંગ શાહ અને ભાવિની શાહે બદ્રીનાથમાં શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, અને ઓછામાં ઓછા દોઢસો સ્વજનોને લઈ જવાનું તેમણે ગોઠવ્યું હતું. અમારા અભિગમને જાણતા હોવાથી અમને 'એ બહાને ત્યાં ફરાશે'ની છૂટ આપવામાં આવી હતી, જેનો અમે ભરપૂર લાભ લીધો.
આમ, નાનપણમાં વરસો સુધી અનાયાસે જે નજરે પડતું રહ્યું હતું એ 'બદ્રીનાથ યાત્રા'નું પોસ્ટર જીવંત બની ગયું. અમે ચારેએ આ પ્રવાસનો આનંદ લીધો અને બરાબર રખડપટ્ટી કરી. તેનો તસવીરી- સચિત્ર અહેવાલ.
**** 
પહાડ તરફની સફર ગજબ હોય છે. જતી વખતે સાવ મેદાની પ્રદેશમાંથી પહાડી પ્રદેશમાં પ્રવેશ કરીએ એ સાથે જ વાંકાચૂકા રસ્તાઓ અને ચઢાણ શરૂ થઈ જાય અને અચાનક જ અત્યાર સુધીની શુષ્ક લાગતી મુસાફરી જીવંત બની જાય. દરેક વળાંકે બારીની બહાર જોતાં દૃશ્યો બદલાતાં રહે. જો કે, મેદાની પ્રદેશમાંથી આવતા જાગ્રત માવતરો પોતે કે પોતાના બાળકને બારીએ બેસવાનો આગ્રહ કરે ત્યારે એમ લાગે કે તેમની સૌંદર્યદૃષ્ટિ સારી કહેવાય! પણ બહુ ઝડપથી બારીએ બેસવાનું રહસ્ય સમજાઈ જાય. 'સહદેવસિન્ડ્રોમ' મુજબ તેમને પહેલેથી જ્ઞાન હોય કે વાંકાચૂકા રસ્તે પેટમાં દુ:ખે, ચક્કર આવે અને 'વૉમિટ જેવું' લાગશે. આગોતરા ઊપચાર તરીકે જાતભાતની ચૂસવાની ગોળીઓ પાઉચમાં મૂકેલી હોય એ મોંમાં મૂકાઈ જાય. ત્યાર પછી બારીએ બેસીને, અગાઉ જણાવેલાં લક્ષણો દેખા દે તેની બંધ આંખે રાહ જોયા કરવાની. આમાંનું કોઈ લક્ષણ દેખા ન દે તો અસુખ થઈ જાય. બારી નજીક બેસવાનું મુખ્ય કારણ પણ એ જ કે 'કંઈક' થાય તો બારી હાથવગી હોય.

બદ્રીનાથને રસ્તે 

આ કારણે રસ્તે આવતાં અનેક સ્થળો અને તેનું સૌંદર્ય ભાગ્યે જ માણી શકાય. ખાસ કરીને હિમાલયના ચઢાણ વખતે તો હિમશિખરોનાં પહેલવહેલાં દર્શન થાય એ સાથે જ અનેરો રોમાંચ અનુભવાય. તેની ટોચ માત્ર દેખાતી હોય તો વાંકાચૂકા વળીને પણ એ જોયા કરવાનું મન થતું રહે. ઊંચાઈ વધતી જાય એમ વાતાવરણ બદલાય અને વનસ્પતિની ઘટ્ટતા પણ ઓછી થાય. પણ સૌથી વિસ્મય પમાડે એવું કશું હોય તો અહીંનું હવામાન, તેમાં ઊગતાં ફૂલો અને ફળોની વિપુલતા. 
સાવ સાદા, ટીનના ડબલાઓમાં ફૂલો ઊગાડેલાં હોય અને છતાં આખો છોડ ફૂલોથી રીતસર લચી પડ્યો હોય. સામાન્યમાં સામાન્ય મકાનોમાં પણ આવાં ડબલાં જોવા મળે. અહીંના લોકો ફૂલોના શોખીન હશે કે પછી એક રિવાજ લેખે તે ઊગાડાતા હશે એ ખબર નથી, પણ તેને કારણે મકાનનો આખો દેખાવ જ બદલાઈ જાય.
બદ્રીનાથને રસ્તે

અહીં મૂકેલી બન્ને તસવીરો બદ્રીનાથ જતાં અને આવતાં રસ્તે આવેલા કોઈ મકાનની છે. દિવાલનો ભૂરો રંગ બહુ સામાન્ય છે. તેનું પણ એક રીતે ચલણ જ હશે. પણ મને તો એ રંગ અહીંના આકાશ સાથે અનુસંધાન સાધતો હોય એવો જણાયો. સમાજવિજ્ઞાનીની શૈલીએ એવી થિયરી આપી શકાય કે વિશાળ આસમાન તળે રહેતા હોવાથી અહીંના લોકો પોતાના મકાનની દિવાલો પર પણ એ જ રંગ લગાવે છે.
મેદાની પ્રદેશોમાં રહેતા આપણા જેવા લોકો અહીં આવાં અઢળક ફૂલો જોઈને શું કરતા હશે એનું સહેલાઈથી અનુમાન કરી શકાય એમ છે.
ગમે તે હોય, પહાડી સ્થળ તરફ જવાની સફરનો જે રોમાંચ હોય છે એવો અને એટલો રોમાંચ ત્યાંથી પાછા ફરતી વેળા જળવાતો નથી.
**** 
બદ્રીનાથ આશરે દસેક હજાર ફીટની ઊંચાઈએ વસેલું છે, છતાં તેની ચોફેર પર્વતો હોવાથી તે ખીણમાં હોવાનું જણાય. મોટા ભાગના પર્વતોની ટોચ હિમચ્છાદિત હોય અને એટલી નજીક લાગે કે જાણે ચાલીને ત્યાં પહોંચી જઈએ એમ થાય.
વડોદરાના 43 અંશ તાપમાનમાંથી છૂટીને દિલ્હી-શ્રીનગર (ઉત્તરાખંડ) માં રોકાણ કરીને બદ્રીનાથ પહોંચ્યા ત્યારે જાણે કે ઓવનમાંથી નીકળીને સીધા ફ્રીઝમાં આવી ગયા હોઈએ એમ લાગ્યું. અમે પહોંચ્યા એના બે-એક દિવસ અગાઉ જ હિમવર્ષા થઈ હતી, જેની નિશાનીરૂપે રસ્તાની કોરે બરફના થર જોવા મળતા હતા. બહાર ઉભા રહીએ તેના કરતાં રૂમમાં વધુ ઠંડી લાગતી હતી. ફ્રીઝમાં મૂકેલી ચીજવસ્તુઓની જેમ રૂમમાં પડેલી એકે એક વસ્તુઓ ઠંડીગાર લાગતી હતી.
ખીણમાં હોવાને કારણે અહીં અજવાળું સવારના પાંચેક વાગ્યે થઈ જતું, પણ સૂર્યોદય સાતની આસપાસ થતો. અમારો ઊતારો બદ્રીનાથના પ્રવેશમાં જ આવેલા આંતરરાજ્ય બસ સ્થાનકની સામે આવેલા સદ્ગુરુ આશ્રમમાં, ત્રીજા માળે હતો. આ રૂમમાં ફોલ્સ સિલીંગ હતી, પણ તેની પર આવેલા છાપરે બરફના થર જામેલા હતા, જેને કારણે રૂમનું તાપમાન બહાર કરતાં પણ ઓછું જણાતું. (સેલફોનમાં એક સવારે તે 1 અંશ બતાવતું હતું.)
આમ છતાં, સવારની એક અલગ મઝા હતી. અમારી રૂમની પાછળ થતા સૂર્યોદયને કારણે રૂમની સામે આવેલા હિમશિખરો પર સૂર્યનો સીધો પ્રકાશ પડતો હોવાથી ત્યાંથી ખસવાનું મન જ ન થતું. છેક ઊપલા માળેથી જોતાં જાણે કે આપણે આપોઆપ સાક્ષીભાવમાં આવી જતા હોઈએ એમ લાગતું. નીચે રોજિંદી ચહલપહલ શરૂ થઈ જતી.
આવી એક સવારનું અમારા રૂમની બારીમાંથી દેખાતું દૃશ્ય, જે અમે પહોંચ્યા પછીના ત્રીજા દિવસની સવારે ચીતર્યું હતું.

ત્રીજે માળે આવેલા ઉતારામાંથી બારીબહાર દેખાતું દૃશ્ય 



(ક્રમશ:)