Saturday, October 14, 2023

'શકુંતલા' પાસે એકાદ ગીત ગવડાવી લઉં

 

- વી. શાંતારામ
ફિલ્મ સમાપ્ત થઈ અને હું બહાર આવ્યો. પરસાળમાં અનેક લોકો અમારી રાહ જોઈ રહ્યા હતા. એમને મેં કહ્યું, 'ફિકર કરવા જેવું નથી. 'શકુંતલા' ઓછામાં ઓછાં પચીસ સપ્તાહ અવશ્ય ચાલશે!' મારી વાતથી સૌને હાશ થઈ.
થિયેટરની બહાર જે લોકો ખોટ ખાઈને ઓછી કિંમતે ટિકીટો કાળા બજારમાં વેચતા હતા એ કોણ હતા એ જાણવા માટે મેં મારા કેટલાક માણસોને મોકલ્યા. એ બધાંને ચાપાણી કરાવ્યાં. એ પછી જે માહિતી મળી એ આંચકો આપનારી હતી. એક સમયે મારા સહયોગી રહી ચૂકેલા બાબુરાવ પૈની 'ફેમ્સ પિક્ચર્સ'ના માણસો જ આ વાહિયાત કામમાં લાગેલા.
'શકુંતલા' બીજા સપ્તાહમાં પ્રવેશી. શરૂ શરૂમાંનું તોફાન હવે ઓસરવા લાગ્યું હતું. 'શકુંતલા' હાઉસફૂલ ભીડ જમાવી રહ્યું હતું. અમારી કંપનીમાં જે ચિંતાજનક વાતાવરણ હતું એ ધીમે ધીમે હળવું થવા લાગ્યું હતું. ફરી એક વાર મેં પ્રેક્ષકો વચ્ચે બેસીને 'શકુંતલા' જોઈ. મને એ વખતે લાગ્યું કે મધ્યાન્તર પછી ફિલ્મની ગંભીર ઘટનાઓને લઈને દર્શકો મનમાં કદાચ સહેજ વધુ પડતી તાણ અનુભવે છે. એને ઘટાડવા માટે મેં નક્કી કર્યું કે શકુંતલા પાસે એકાદ ગીત ગવડાવી દઉં. એ માટેનું યોગ્ય સ્થાન પણ મને ફિલ્મના ઉત્તરાર્ધમાં મળી ગયું: શકુંતલાએ ભરતને જન્મ આપ્યો છે. સુદૃઢ બાંધાનો ભરત ઘૂંટણીયાં ભરી રહ્યો છે અને શકુંતલા પોતાના બાળકની બાળલીલા તૃપ્ત નજરે નિહાળી રહી છે. વસંત દેસાઈએ અગાઉના એક પ્રસંગે આપેલા પાર્શ્વસંગીતની એક ધૂન મને બહુ ગમી હતી. તેની સંગીતરચના બહુ સરસ હતી. એ જ ધૂન પર કવિએ શબ્દરચના કરી:
જીવન કી નાવ ના ડોલે
હાં યહ હૈ તેરે હવાલે.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: દીવાન શરરે લખેલું, જયશ્રી પર ચિત્રીત આ ગીત અહીં સાંભળી શકાશે.

No comments:

Post a Comment