Friday, October 13, 2023

વિભિન્ન ભાષા છતાં એકતા શક્ય ખરી?

 

- વી. શાંતારામ
એ દિવસોમાં 'ભાષાવાર પ્રાંતરચના થઈને રહેશે'ના નારાને કારણે વાતાવરણ ગરમ હતું. સ્વાર્થી રાજકારણીઓ દ્વારા ઉશ્કેરણીને લઈને વિભિન્ન પ્રાંતના લોકોમાં તણાવ વધી ગયેલો. આવા સમયમાં મારી ફિલ્મ દ્વારા હું એ બાબતનો ખુલ્લેઆમ સમર્થક બનું કે દેશનું આ વધુ વિભાજન બરાબર નથી, તો લોકોને મારી ફિલ્મ ન ગમે. આથી મેં આ ફિલ્મમાં વ્યંગ્ય અને વિનોદની રીતે વિકસીત કરવાનો નિર્ણય કર્યો. ભાવના એવી કે હસતાંરમતાં લોકોને મારી વાત સમજાવું અને એ પણ એવી રીતે કે આસાનીથી હજમ થઈ શકે.
આ સમસ્યાની સાથે શ્યામવણી છોકરીઓના લગ્નની સમસ્યા પણ આ વાર્તામાં સાંકળી લીધી. મારું હંમેશાં માનવું રહ્યું છે કે વિભિન્ન ભાષાઓ બોલનારાઓને મનથી નજદીક લાવવા માટે એક સર્વસામાન્ય ભાષા હોવી અત્યંત જરૂરી છે, અને મારી માન્યતા છે કે આવી ભાષા કેવળ હિન્દી જ હોઈ શકે. દુનિયાની તમામ ભાષાઓના શબ્દોને અંગ્રેજીમાં સમાવીને તેને ખરા અર્થમાં એક સંપન્ન ભાષા બનાવીને અંગ્રેજીના વિદ્વાનો જેવું કરી રહ્યા હતા એ જ રીતે રાષ્ટ્રભાષા હિન્દીને પણ આપણી અન્ય ભાષાઓના શબ્દોથી આપણે સંપન્ન કરીએ તો થોડા સમય પછી એવી હિન્દીનો વધુ વિરોધ ક્યાંય નહીં થાય- એમ પણ હું માનતો હતો. પણ કટ્ટરપંથી હિન્દી ભાષાભિમાની પંડિતો શુદ્ધ હિન્દીના એટલા પ્રચંડ સમર્થક હતા કે એમનો આગ્રહ રહેતો કે હિન્દીને સહેજ પણ દૂષિત ન કરવી અને તેને શુદ્ધરૂપે જ વાપરવી. આ જ કારણે દક્ષિણ ભારતના એવા કેટલાક લોકો જે હિન્દીને આત્મસાત કરી ચૂક્યા હતા તેઓ પણ હિન્દીનો બરાબર વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધને ધ્યાને લઈને મેં મારી આ ફિલ્મમાં નાયકને હિન્દીનો એક વ્યાપક શબ્દકોશ તૈયાર કરવાના કામ સાથે સંકળાયેલો હોવાનું નક્કી કર્યું. નાયક પર આવો શબ્દકોશ બનાવવાનું ભૂત સવાર હોય છે. તેના ઘરનું વાતાવરણ પણ આના માટે પૂરક હોય છે. ફિલ્મની શ્યામવર્ણી નાયિકા ભારતની વિભિન્ન ભાષાઓથી સારી રીતે પરિચીત છે, પરિણામે તેઓ પરસ્પર આકર્ષિત થાય છે. આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પોતાની ભાષા અને રીતરિવાજો, વેશભૂષા વગેરેનું વધુ પડતું વળગણ હોય છે, આથી દરેક વાત પર મતભેદ ઊભા થાય છે. તેને કારણે બહુ રોચક નાટ્યાત્મક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દીવાન શરર ઘડાયેલા લેખક હતા. તેમણે મારી તમામ કલ્પનાઓને મૂર્ત કરી આપતી વાર્તા લખી દીધી. આ ફિલ્મનું નામ પણ મજાનું રાખ્યું: 'તીન બત્તી ચાર રાસ્તા'. મુંબઈના એક રસ્તાનું આ નામ છે. વિભિન્ન પ્રાંતની મહિલાઓની ભૂમિકા માટે જે તે પ્રાંતની અભિનેત્રીઓની પસંદગી કરી. હવે મને એક જ પ્રશ્ન સતાવતો હતો કે પેલી શ્યામવર્ણી યુવતીના પાત્રમાં કોની પસંદગી કરવી. પરંતુ સંધ્યાએ ખુશીથી પોતે જ એ કામ કરવાનું સ્વીકાર્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

No comments:

Post a Comment