Friday, October 20, 2023

મુફલિસીમાં મિજબાની

સરદાર દીવાનસિંહ મફ્તૂને પોતાના સામયિક 'રિયાસત'ના જમાનામાં પુષ્કળ કમાણી કરી. પણ પોતાની પાસે કદી કંઈ ન રાખ્યું. ખાધું-પીધું અને ખવડાવ્યું-પીવડાવ્યું. આ કારણે તેમણે વારંવાર મુફલિસી અને કડકાપણાનો ભોગ બનવું પડતું. પણ એવી મુફલિસીમાંય કોઈ દોસ્ત કે મહેમાન આવી જાય તો તેઓ છાનેછપને પોતાના ઘરની ચીજવસ્તુઓ વેચીને મિજબાની કરાવતા. એ વખતે કોઈ એમની મુફલિસી જાણીને મિજબાની માટે ઈન્કાર કરે તો તેઓ એની સાથે ઝઘડી પડતા.

મજાઝ (લખનવી)એ એક દિવસ મને કહ્યું કે કાલે તો સરદારસાહેબે કમાલ કરી દીધી. હું સાંજે એમને ત્યાં પહોંચેલો. તેમણે નોકરને કહ્યું કે સોડાની બાર ડઝન બોટલ લઈ આવે. એમના મહોલ્લામાં એમનો દબદબો હતો. થોડી વારમાં બોટલો આવી ગઈ. એમાંથી એક ડઝન બોટલ એમણે રાખી લીધી અને નોકરને હુકમ કર્યો કે બાકીની બોટલોમાંથી સોડા કાઢી નાખીને ખાલી થયેલી બોટલો અમુકતમુક દુકાન પર વેચી આવે (એ દિવસોમાં લખોટી સોડાની ખાલી બોટલ બાર આનામાં વેચાતી હતી) અને એના જે રૂપિયા આવે એમાંથી એક વ્હીસ્કીની બોટલ અને ખાવાનો સામાન લેતો આવે. આ હતી એમની મહેમાનનવાઝીની શાન!
આ વાત લગભગ 1937ની છે, જ્યારે હું દિલ્હીથી 'કલીમ' પ્રકાશિત કરી રહ્યો હતો અને કામધંધો તેમજ ઈશ્ક બન્ને તરફથી પરેશાન હતો. આટલું ઓછું હતું તે મારી દીકરીનું લગ્ન માથે આવી પહોંચ્યું હતું. એવામાં એક સાંજે સરદારસિંહ મારે ઘેર આવી પહોંચ્યા. સાથે બ્રાન્ડીની બોટલ લેતા આવેલા. (તેઓ વ્હીસ્કી કરતાં બ્રાન્ડી વધુ પસંદ કરતા)
અમારી બેઠક પૂરી થઈ એટલે તેમણે મને કહ્યું, 'ભાભીને મારે એક વાત કહેવી છે.' મેં નોકરને કહ્યું કે સરદારસાહેબને ઉપર લઈ જા. મારી પત્ની ત્યાં સુધી પર્દાની પાબંદ હતી, પણ એમનાથી જરાતરા પર્દો રાખતી. તેઓ મારી પત્ની સાથે વાત કરીને નીચે આવ્યા અને બે જ મિનીટમાં વિદાય લીધી. હું ઉપર ગયો તો મારી પત્નીએ મને કહ્યું, 'સરદારસાહેબ નોટોનું આ બંડલ આપી ગયા છે. કહેતા હતા કે આ રકમ એમણે એમના દોસ્ત નવાબ બહાવલપુર પાસે પત્ર લખીને મંગાવી હતી. જોઈ ને દીવાનસિંહની શરાફત અને દોસ્તી!'

(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

No comments:

Post a Comment