Thursday, October 12, 2023

તાકિ હંસતે હુએ નિકલે દમ


- વી. શાંતારામ
કેદીઓના મન પર સારા સંસ્કાર પાડવા માટે આદિનાથ રોજ કામ શરૂ કરતી વખતે અને ભોજન પહેલાં તેમને પ્રાર્થના કરવાની આદત પાડે છે. મારો મત હતો કે પ્રાર્થનાનું આ ગીત ન ભજન જેવું હોય કે ન 'આમ કરો, આવું આચરણ કરો' જેવા આદેશવાળું હોય. પંડિત ભરત વ્યાસ અને વસંત દેસાઈ બન્ને આ પ્રાર્થના-ગીત મંજૂર કરાવવા માટે કોલ્હાપુર આવ્યા. ભરતજી રચિત ગીત પરમાત્માની સ્તુતિ કરતું હતું. એક ગીત તરીકે એ સરસ હતું, પણ પ્રાર્થના-ગીતની મારી જે કલ્પના હતી એ તેમાં વ્યક્ત થતી ન હતી.
મેં ભરતજીને કહ્યું, 'જુઓ, જીવન બાબતે મારા અમુક આદર્શ છે કે 'માણસે જીવનભર સત્કર્મો કરતાં રહેવું જોઈએ કે જેથી મૃત્યુ વેળા તેના ચહેરા પર સંતોષની લહેર આવી જાય. આ જ વાત પ્રાર્થના-ગીતમાં આવવી જોઈએ. એમ ન લાગવું જોઈએ કે આ પ્રાર્થના કોઈ એક ધર્મની છે. દરેકને લાગવું જોઈએ કે એ એના પોતાના ઈશ્વરની- તમામ ધર્મના શ્રેષ્ઠ મૂલ્યની- એટલે કે માનવધર્મની પ્રાર્થના હોય.
ભરતજી આ સાંભળીને ગંભીર થઈ ગયા. તેમના મનમાં ચાલી રહેલી મથામણ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
બીજા દિવસે ભરતજીએ નવી પ્રાર્થના સંભળાવી:
'એ માલિક તેરે બન્દે હમ.'
'વાહ! ભરતજી વાહ! કહેવું પડે! 'માલિક' અને 'બન્દે' શબ્દ એટલા અદ્ભૂત છે કે શું કહું! બસ, તમારા કાવ્યની આ પહેલી પંક્તિથી જ મારું મન સંતુષ્ટ થઈ ગયું.'
ભરત વ્યાસના ચહેરા પર ઉત્સાહ જણાયો. તેમણે કહ્યું, 'કાલે તમે મને કહ્યું ત્યારથી મન બેચેન હતું, તરફડી રહ્યો હતો. આખી રાત કશું લખી ન શક્યો અચાનક મને જમીન મળી ગઈ. આગળ સાંભળો:
એ માલિક તેરે બન્દે હમ!
ઐસે હોં હમારે કરમ!
નેકી પર ચલેં, ઔર બદી સે ટલેંં,
તાકિ હંસતે હુએ નીકલે દમ.
કવિના માનસની શી રીતે પ્રશંસા કરું એ મને સમજાતું નહોતું. મને જે અર્થ અભિપ્રેત હતો એ તેમણે એટલા અદ્ભૂત શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે મેં તત્ક્ષણ કહી દીધું, 'તમારું આ ગીત અમર થનારું છે.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: આ ગીત ફિલ્મ 'દો આંખે બારહ હાથ'માં લતા મંગેશકરના કંઠે ગવાયું હતું. જો કે, અંગત રીતે માત્ર કોરસમાં ગવાયેલું વર્ઝન વધુ પસંદ છે. અહીં એ સાંભળી શકાશે.

No comments:

Post a Comment