Wednesday, October 11, 2023

એ ફિલ્મ અને તેની ટીકાનું કાળું ટપકું

 

- વી. શાંતારામ
સિનેમાઘરમાં એકે દર્શક એવો નહોતો કે જેની આંખો ભિંજાઈ ન હોય. ફિલ્મના અંતિમ પ્રસંગમાં પુનરુક્તિ કરવા છતાં લોકોને જકડી રાખવામાં હું સફળ થયો હતો. મારી જીત થઈ હતી. કેટલાય દર્શકો સુન્ન થઈને પોતાની બેઠક પર જ બેસી રહ્યા. ધીમે ધીમે ભીડ ઓસરવા લાગી. અનેક પરિચીતો ગળું રુંધાઈ જવાને કારણે બોલી શકતા ન હતા, પણ કેવળ ઈશારાથી જણાવતા હતા કે ફિલ્મ એકદમ ઉત્કૃષ્ટ બની છે.
અન્ય દર્શકોની સાથોસાથ 'રણજિત ફિલ્મ કંપની'ના માલિક ચંદુલાલ શાહ અને ગૌહરબાઈ પણ બહાર આવ્યાં. મને જોઈને ગૌહરબાઈએ ભરાયેલા કંઠે કહ્યું, 'ફિલ્મ કેવી છે એ આની પરથી સમજી જાવ.' આમ કહીને તેમણે રડી રડીને લાલચોળ થઈ ગયેલી પોતાની આંખો તરફ ઈશારો કર્યો. મેં જોયું કે એમની આંખોમાં ફરીથી આંસું ધસી આવ્યાં હતાં.
'ડૉ. કોટનીસ કી અમર કહાની' ભારતભરમાં પ્રદર્શિત થઈ અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી. પત્રકારો અને સમીક્ષકોએ આ ફિલ્મને ખૂબ વખાણી. ફક્ત બાબુરાવ પટેલ એવા હતા કે જેમણે પોતાના માસિક 'ફિલ્મ ઈન્ડિયા'માં અધમ ટીપ્પણી કરતાં લખેલું, 'ડૉ. કોટનીસ કી અમર કહાની' ફિલ્મ ઊભી બજારે સળગાવી દેવા જેવી છે.'
આ ટીપ્પણી તેમના માસિકમાં પ્રકાશિત થઈ. 'ડૉ. કોટનીસ..' લાહોરમાં પ્રદર્શિત થઈ ચૂક્યું હતું અને ત્યાંના લોકોને એટલું પસંદ પડ્યું હતું કે ત્યાંના યુવકોએ લાહોરમાં આવેલા એ માસિકના તમામ અંક ભરબજારે સળગાવી માર્યા. લાહોરમાં તો 'ડૉ. કોટનીસ...' જોવા આવેલા લોકોએ ભારતના તમામ સિનેમાઘરોની ભીડ અને આવકના વિક્રમ તોડી દીધા. એટલું જ નહીં, લાહોર એન્જિનિયરીંગ કૉલેજના પચાસ-સાઠ વિદ્યાર્થીઓએ મને એક પત્ર પણ મોકલેલો. એમાં લખેલું:
'એન્જિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ લેતાં અગાઉ અમે તમારી આ ફિલ્મ જોઈ હોત તો આજે અમે સહુ વિદ્યાર્થીઓ મેડીકલ કૉલેજમાં જ હોત, ડૉક્ટર બનત અને ડૉક્ટર કોટનીસની જેમ માનવોની સેવામાં લાગી ગયા હોત.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

No comments:

Post a Comment