Saturday, October 21, 2023

દોસ્તનવાઝી બધા કરે, દુશ્મનનવાઝી કરનારા કેટલા?

 

એક જમાનામાં જ્યારે સરદાર દીવાનસિંહ મફ્તૂન ('રિયાસત' સામયિકના સંપાદક-પ્રકાશક) રફી એહમદ કિડવાઈની વિરુદ્ધ બરાબર લખી રહ્યા હતા ત્યારે સરદારની આર્થિક સ્થિતિ બેહદ ખરાબ હતી. તેમની મુફલિસીનો અંદાજ લગાવીને હું સીધો કિડવાઈસાહેબ પાસે ગયો અને કહ્યું કે, કિડવાઈસાહેબ, તમે મિનિસ્ટર નથી, આ યુગના ઉદારદિલ નેતા છો. 'તમારી દોસ્તનવાઝી (દોસ્તની કદરનો ગુણ)ના ડંંકા વાગે છે; પણ દોસ્તનવાઝી કંઈ મોટો ગુણ ન કહેવાય. હલાકૂ, નીરો, ચંગેઝ અને યઝીદ પણ પોતાના દોસ્તોની કદર કરતા હતા. અલબત્ત, દુશ્મનનવાઝી એક એવો ગુણ છે કે જે માણસને પૈગમ્બરના સ્તરે પહોંચાડી દે છે. તમે હલાકૂના સ્તરે રહેવાનું પસંદ કરશો કે પૈગમ્બરીના સ્તરે પહોંચવાનું?' તેમણે મલકાઈને કહ્યું, 'ઉખાણાં ન કહો. તમારો મુદ્દો જણાવો.' મેં કહ્યું, 'દીવાનસિંહ આજકાલ બહુ પરેશાન છે.'
આટલું સાંભળતાં જ તેમણે ઘંટડી વગાડી. સેક્રેટરી આવ્યો. તેમણે એના કાનમાં કંઈક કહ્યું. એ અંદર ગયો અને પાંચ મિનીટમાં ચેક લઈને આવ્યો. ચેક પર સહી કરીને કિડવાઈસાહેબે કહ્યું, 'આ ચેક દીવાનસિંહને પહોંચાડી દેજો.' દસ હજારનો એ ચેક લઈને હું દીવાનસિંહ પાસે ગયો. ચેક વટાવાઈ ગયો એટલે તેઓ આગ્રહ કરવા લાગ્યા કે અડધી રકમ હું રાખી લઉં. મેં એનો ઈન્કાર કર્યો તો તેઓ ઝઘડવા લાગ્યા અને હું ત્યાંથી ભાગ્યો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

No comments:

Post a Comment