Sunday, October 22, 2023

સંતૂરને સ્થાપિત કરવાનું એકલક્ષ્ય


- પં. શિવકુમાર શર્મા

અન્ય ઘણા લોકોની જેમ વસંત દેસાઈએ સંતૂર સાંભળ્યું તો ઠીક, જોયું સુદ્ધાં ન હતું. તેમણે મને એક અંશ વગાડવા જણાવ્યું. એકાદ કલાક સુધી મેં સંતૂરવાદન કર્યું (રાગ અત્યારે યાદ નથી) ત્યારે એમણે કહ્યું, 'હું તમારા માટે સંગીતની રચના નહીં કરું. ફિલ્મ જુઓ અને તમે જાતે જ નિર્ણય લો કે તમારા દૃશ્ય માટે શું યોગ્ય રહેશે. મને ખાત્રી છે કે તમે ઉત્તમ રીતે વગાડશો.' એક સરોવરમાં નાવનું રોમેન્ટિક દૃશ્ય હતું, જેનો મૂડ સંતૂરના સૂરોએ બહુ સુંદર રીતે ઝીલ્યો હતો. મેં જે ધૂન વિચારેલી એ ચાંદનીમાં વહી રહેલા પાણીના બિમ્બ માટે એકદમ સુયોગ્ય હતી. તરત જ મને વધુ કેટલીક સંગીતરચના તૈયાર કરવા માટે જણાવાયું. સ્ટુડિયોમાં એક સપ્તાહમાં મેં આ કામ સંપન્ન કરી દીધું.
એ સમયે શાન્તારામજી પારસ મનાતા- એમની તમામ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ થયેલી. ફિલ્મજગત એમની પૂજા કરતું, એમની વાત સહુ કોઈ સાંભળતું. એમની સફળતાનાં અનેક કારણો પૈકીનું એક એ હતું કે ફિલ્મનિર્માણનાં તમામ પાસાંમાં તેમની સક્રિય રુચિ હતી. જેમ કે, વસંત દેસાઈએ એમને જણાવ્યું કે મેં જાતે જ સંગીતરચના કરી છે, તો શાન્તારામજીએ એ સાંભળી, અમુક નાના ફેરફાર સૂચવ્યા અને એ જ વખતે ધૂનને રેકોર્ડ કરી લીધી. હું જવા માટે નીકળ્યો એટલે એમણે મને મારી ભાવિ યોજના વિશે પૂછ્યું. મેં પ્રામાણિકતાપૂર્વક જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં હું બી.એ.પાસ થવાની રાહ જોઈ રહ્યો છું.
આથી એમણે સહેજ અધીરાઈથી પૂછ્યું, 'બી.એ. પાસ કર્યા પછી?' મેં કહ્યું કે હું સંંગીતસાધનામાં રચ્યોપચ્યો રહીશ.' એમણે કહ્યું, 'હમણાં કેમ નહીં? હું મારી આગામી ફિલ્મના સંગીત નિર્દેશક બનવાનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકું છું. અને બની શકે કે તમે એમાં અભિનય પણ કરો.'
ત્યારે હું યુવાન હતો. પાછું વળીને જોતાં લાગે છે કે એ સ્થિતિમાં કોઈ વ્યક્તિ માટે આ ઘણું મોટું પ્રલોભન હતું. શાન્તારામજીનું નામ બહુ મોટું હતું અને એ સમયે મારા જીવનમાં એક ફિલ્મ મને પ્રસિદ્ધિના શિખરે લઈ જઈ શકે એમ હતી. પણ આ પ્રસ્તાવને હું સ્વીકારી શકું એમ નહોતો, કેમ કે, મારું લક્ષ્ય કંઈક બીજું હતું. મારે મારા પિતાજીના વિશ્વાસને સાચો ઠેરવવાનો હતો અને સંતૂરને એક શાસ્ત્રીય વાદ્ય તરીકે સ્થાપિત કરવાનું હતું. મારે મારું આ સ્વપ્ન પૂર્ણ કરવાનું હતું અને બીજા કશાનું એની આગળ મહત્વ નહોતું. સંતૂર સાથેની મારી સફર હજી તો શરૂ જ થઈ હતી.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

નોંધ: વી. શાંતારામની ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'માં શિવકુમાર શર્માના સંતૂરવાદનના ઘણા અંશ સમાવાયેલા હતા. તેમણે અહીં જે વર્ણન લખ્યું છે એ અંશ નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 56.42 થી 59.07 સુધીના દૃશ્યનો હોય એમ જણાય છે.

All reacti

No comments:

Post a Comment