'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર સાથે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં વાત થઈ. એ દરમિયાન તેમણે કહ્યું, 'મહિલા દિવસ નિમિત્તે અમે દર વરસે કંઈ ને કંઈ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમાં કશું થઈ શકે?' એમનો ઈશારો આ અંગેનાં કાર્ટૂન તરફ હતો. મેં તત્ક્ષણ હા ભણી દીધી. ત્યારે એમાં શું હશે એ વિચાર્યું નહોતું. એવો વિચાર કરવા બેસીએ તો કામ જ ન થાય! એટલે એ પછીના એકાદ બે દિવસમાં અમે કાર્યક્રમની તારીખ નક્કી કરી દીધી 11 માર્ચ, બુધવાર. હવે મારે 'ધંધે' લાગવાનું હતું.
ઉર્વીશ અને બીજા અમુક મિત્રો સાથે આ કાર્યક્રમ અંગે વાત થઈ અને એમાં શું હોઈ શકે એની ચર્ચા થઈ. મારા મનમાં પણ ઘણી બધી વસ્તુઓ હતી. એટલે અનેક બાબતો વિચારાઈ. પણ એનાથી મારો ગૂંચવાડો વધતો ચાલ્યો. કેમ કે, બધું એક જ કાર્યક્રમમાં સમાવવા જઈએ તો કાર્યક્રમનું ફોકસ ખસી જાય. આ 'વિષાદયોગ' બહુ લાંબો ચાલ્યો. હું કાર્ટૂન એકઠાં કરતો જતો હતો, પણ હજી ફોકસ બનતું નહોતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હું મરણિયો બન્યો, કેમ કે, એ સિવાય છૂટકો ન હતો. જે થઈ રહ્યું હતું એની ચર્ચા છેલ્લે છેલ્લે દીકરા ઈશાન સાથે કરી. અને એને એ રજૂઆત દેખાડી પણ ખરી. છતાં એમાં વિવિધ ફેરફાર સૂઝતા ગયા. આખરે છેક આગલા દિવસે બધું ગોઠવાયું. એ મેં મારી જાતે જોયું અને મને થયું કે આ મેં ધાર્યું હતું એમ જ તૈયાર થયું છે. આ બધા વચ્ચે વિદ્યાનગરના કાર્યક્રમના નડિયાદમાં રિહર્સલ ચાલુ હતા. એની એક જુદી મજા હતી, અને આનીય જુદી મજા હતી. પણ બન્ને એકમેકમાં દખલ ન કરે એ જોવાનું હતું. આખરે તૈયાર થયેલી એ રજૂઆતમાંથી માનસિક રીતે હું બહાર નીકળ્યો. થોડા કલાક બ્રેક લીધો અને પછી આખી રજૂઆત જોઈ ત્યારે મને લાગ્યું કે આ બહુ અસરકારક બની રહેશે. મારાથી રહેવાયું નહીં એટલે કાર્યક્રમના દિવસે સવારે કબીરભાઈને ફોન કરીને જણાવ્યું કે કાર્યક્રમ મસ્ત બની આવ્યો છે.
આખરે બુધવારે સાંજની ઘડી આવી ગઈ. સ્ક્રેપયાર્ડના મંજાયેલા પ્રેક્ષકવર્ગ સમક્ષ એક પછી એક કાર્ટૂન અને તેને સંલગ્ન મારી ટીપ્પણી આવતી ગઈ, અને ધાર્યા મુજબ જ એની ઘેરી અસર પણ વરતાતી રહી. અમુક કાર્ટૂન એવાં હતાં કે એમાં શી પ્રતિક્રિયા આપવી એ ન સમજાય. કેમ કે, એમાં આધાર વ્યંગ્યનો હતો, પણ એના થકી જે વાસ્તવિકતા ઉજાગર થતી હતી એ સ્તબ્ધ કરી મૂકનારી હતી. જોતજોતાંમાં સવા કલાકે કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઘડીભર સ્તબ્ધતા ફરી વળી હતી. એ પછી લાઈટો ચાલુ થઈ. સ્તબ્ધતામાંથી બહાર આવવા માટે ચર્ચા ચાલુ થઈ અને કેટલાક મિત્રોએ અમુક મુદ્દા, એને આધારિત પ્રસંગ વગેરે કહ્યાં. આ સહજ અને અણઆયોજિત ક્રમ અડધો કલાક જેટલો ચાલ્યો ત્યારે વાતાવરણનું ભારેપણું કંઈક ઘટ્યું.
કબીરભાઈ સહિત ઘણા મિત્રોએ સૂચવ્યું કે આ રજૂઆત શક્ય એટલી વધુ જગ્યાએ યોજાવી જોઈએ. ખાસ કરીને યુવાવર્ગ હોય એવી શાળાઓ કે કોલેજોમાં તેમજ અન્યત્ર પણ. એ જ રીતે એવું પણ સૂચન આવ્યું કે આ કાર્ટૂનોને સંકલિત કરીને પુસ્તક કરવું.
જોઈએ હવે. એ તો થાય ત્યારે ખરું. પણ કાર્યક્રમે જે અસર છોડી એની પરથી એક વાત મનેય અનુભવાઈ ખરી કે આ કાર્યક્રમ વધુ સ્થળોએ યોજાવો જોઈએ. કેમ કે, સામાન્ય રીતે આવી સમસ્યાઓને જાજમ તળે છુપાવવાની માનસિકતા પ્રવર્તે છે ત્યારે એના વિશે ખુલીને વાત થાય, ચર્ચા થાય અને એ પણ કાર્ટૂન જેવા હાસ્યવ્યંગ્યના માધ્યમથી, એ વધુ જરૂરી છે.
આ બાબતે સામાજિક જાગૃતિ લાવવામાં આવા કાર્યક્રમ ઉપયોગી થઈ પડશે એમ ધારું છું. આ કાર્યક્રમના આયોજન બાબતે સંપર્ક કરી શકાશે.
No comments:
Post a Comment