Tuesday, May 4, 2021

નીરો અને તેના ગુરુ

રોમમાં નીરોના શાસનકાળ દરમિયાન અનેક એવી ઘટના કે દુર્ઘટના બની કે જેમાં તેનો જાન લેવાનો પ્રયાસ થયો હોય. અલબત્ત, આ પ્રયાસ દરેક વખતે અલગ અલગ લોકો દ્વારા થતા. વિવિધ વર્ગના લોકોમાં નીરોની એ લોકપ્રિયતા સૂચવતા હતા. 

આવી જ એક મહત્ત્વની ઘટના સાથે પીસો નામના રોમન રાજપુરુષનું નામ જોડાયેલું છે. 'પીસોનિયન કોન્સ્પીરસી' એટલે 'પીસોએ ઘડેલું કાવતરું.' મુખ્ય વાત અહીં પીસોની કે કાવતરાની નથી, પણ જે પાત્રની વાત છે એની પૃષ્ઠભૂમિ માટે આ જાણવું જરૂરી છે.

પીસો 
રોમની ગાદીએ બેઠેલો નીરો બહુ ઝડપભેર એકહથ્થુ શાસક બની ગયો હતો. આ લક્ષણ તેનામાં પહેલેથી મોજૂદ હતું, અને ખરું જોતાં તે ગાદીએ બિરાજમાન થયો એ માટે તેની આ માનસિકતા જ જવાબદાર હતી. પણ અમસ્તુંય શાસનમાં પરિવર્તન ઝંખતા હોય છે અને નવા શાસકમાં આંખો મીંચીને વિશ્વાસ મૂકી દેતા હોય છે. નીરોની આ માનસિકતા ધીમે ધીમે લોકોના ધ્યાનમાં આવવા લાગી. સ્વાભાવિકપણે જ તેની નિકટના લોકોનું ધ્યાન સૌથી પહેલું ગયું. 

કેટલાક રોમન ઉમરાવોને આ ખૂંચવા લાગ્યું, પણ કરવું શું? રોમન રાજપુરુષ પીસોએ નીરોની હત્યાની એક મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી. નીરોના અનેક વિરોધીઓની તેણે સહાય લીધી. નિર્ધારીત સમયે નીરો પર હુમલો કરવાનું નક્કી જ હતું, પણ....
પીસોના કે રોમના કમનસીબે એ યોજનાની ગંધ નીરોને આવી ગઈ. નીરોની ક્રૂરતા જોતાં એમ લાગે કે તેણે આ સૌને ખતમ કરાવી દીધા હશે. નીરોએ બધા સાથે એમ ન કર્યું. અમુકને ખતમ કરાવ્યા, પણ પીસો સહિત બીજા કેટલાક મુખ્ય કાવતરાખોરોને તેણે આત્મહત્યા કરવા મજબૂર કર્યા.
આ થઈ પૃષ્ઠભૂમિ. હવે પેલા પાત્રની વાત આ પૃષ્ઠભૂમિ સંદર્ભે.
નીરોની માતાની જેમ તેના ગુરુ સેનેકાનો પણ નીરો પર ઘણો પ્રભાવ હતો. સેનેકા નીરો કરતાં વયમાં ઘણા મોટા. અગાઉના શાસકો સાથે કામ કરી ચૂકેલા. સાહિત્ય, કળાના મર્મજ્ઞ અને (ચિંતક નહીં) ફિલસૂફ. આટઆટલી લાયકાત 
છતાં તે રોમના કોઈ અખબારમાં કટારલેખન કરતા નહોતા. કટારલેખન ન કરે એટલે સ્વાભાવિક છે કે નીરોની પ્રશસ્તિ ન કરી શકે. 
નીરોને રાજકાજના વ્યવહાર શીખવવા માટે સેનેકાને નીમવામાં આવેલા. નીરો ગાદીનશીન થયા પછી તે પ્રશિક્ષક મટીને સલાહકાર બન્યા. સ્વાભાવિક છે કે તેમને પોતાના શિષ્ય પર ગર્વ હોય. નીરો શાસન સંભાળ્યા પછી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ઉપસાવવા માંગતો હતો. ધીમે ધીમે તે એવા લોકોથી મુક્ત થવા લાગ્યો કે જેમનો તેની પર પ્રભાવ હતો. માતા અગ્રીપીનાને તેણે ન છોડી હોય તો સેનેકા કયા ખેતરનો મૂળો? એમાંય સેનેકા તો ચિંતનલેખ લખવા માટેના એકદમ લાયક ઉમેદવાર, અને છતાં એ કટારલેખન કરતા નહોતા. એમનો શો ખપ? 
'પીસોનિયન કોન્સ્પીરસી'એ નીરોને એ મોકો આપી દીધો. આ કાવતરું ઘડનારા કાવતરાખોરોમાં સેનેકાનું નામ સંડોવવામાં આવ્યું. અલબત્ત, 
હકીકતની રીતે જોઈએ તો સેનેકા આમાં ક્યાંય સંકળાયેલા ન હતા, બલ્કે તે પુસ્તકો સાથે શાંતિપૂર્વક જીવન ગુજારી રહ્યા હતા. નીરોને હકીકતનો શો ખપ? 
નીરોના સૈનિકો તેમની પાસે પહોંચી ગયા. નીરોના આદેશ અનુસાર તેમણે સેનેકા સાથે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો. 
તેમને મારી નાખવાને બદલે આત્મહત્યા માટે કહેવામાં આવ્યું. સેનેકાએ પોતાના શરીરની મુખ્ય નસો કાપી નાખી અને લોહીલુહાણ થઈ ગયા. તેમની પત્ની પોમ્પીઆએ પણ આ પગલું ભર્યું. અલબત્ત, બેમાંથી કોઈનું મૃત્યુ ન થયું.
સેનેકા એ પછી કઈ હાલતમાં જીવતા રહ્યા, એ દરમિયાન આત્મહત્યા માટે કેવા પ્રયાસ કરતા રહ્યા એ રોમના ઈતિહાસનું વધુ એક લોહિયાળ પ્રકરણ છે. આખરે તેમને વરાળયુક્ત ગરમ પાણીમાં લાવવામાં આવ્યા અને ગૂંગળામણથી એ મૃત્યુ પામ્યા. એમનો છૂટકારો થયો.

સેનેકાનું મૃત્યુ 
વિરોધીઓને જ નહીં, પોતાના પર પ્રભાવ પાડનારની પણ નીરો આ હાલત કરી મૂકતો હતો. તેને એમ જ હતું કે રોમના શાસનમાં બસ પોતાની જ બોલબાલા રહેવી જોઈએ. આમ જોઈએ તો એ કેટલો સાચો હતો! નીરોના પૂર્વસૂરિઓમાંથી કેટલાના નામ અને કામ લોકોને યાદ છે? અરે, ખુદ નીરોના શાસનકાળ દરમિયાન બીજા કેટલા પ્રતિભાવંત લોકો હશે! પણ બે હજાર વરસ પછી લોકજુબાને છે નીરો, અને એ પણ રોમની આગના કારણે! ઈતિહાસ ગમે એ કહે, લોકો કોને, શી રીતે યાદ રાખે છે કે વીસરી જાય છે એ નથી ઈતિહાસના હાથમાં કે નથી ઈતિહાસકારના હાથમાં.

(By clicking image, the URL will be reached) 

No comments:

Post a Comment