Saturday, December 10, 2022

ભૂતકાળ કે ભૂતાવળ?

ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેના મનમાં ટ્રેન, રેલવે સ્ટેશન તેમજ તેની ફરતેની ગતિવિધિઓ બાબતે કુતૂહલ ન હોય. આ કુતૂહલ ઘણી મોટી ઉંમરે પણ યથાવત રહેતું હોય છે. અનેક ગામ-નગરોમાં રેલવે સ્ટેશન એક માત્ર 'ફરવાનું' સ્થળ હતું. સાંજ પડ્યે ત્યાં લોકો ટહેલવા આવતા. અમારા મહેમદાવાદના રેલવે સ્ટેશનનો દરજ્જો પણ આવો જ હતો. અલબત્ત, એ અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન પર આવેલું હોવાને કારણે અહીં ટ્રેનોની અવરજવર સતત રહેતી. તેની સરખામણીએ 'નાનાં' સ્ટેશનો પર એ મર્યાદિત રહેતી. મારા મોસાળ સાંઢાસાલમાં નેરોગેજ રેલવે હતી. અહીં દિવસમાં ચાર વખત ટ્રેન આવતી. બે વખત જાય અને બે વખત પાછી આવે. ટ્રેનનો સમય થાય એટલે એ સુસ્ત દેખાતું સ્ટેશન આળસ મરડીને બેઠું થતું લાગે. અને ટ્રેનના ગયા પછી જાણે કે ફરી પાછું નિદ્રામાં સરી પડતું હોય એમ લાગે. સાંઢાસાલ સ્ટેશને વરાળ એન્જિન પાણી ભરવા માટે રોકાતું. આ સ્ટેશન પર પ્લેટફોર્મ તો હોય જ ક્યાંથી! પણ અહીં રેતીના ઢગ રહેતા. સંભવત: કશા કામ માટે એ રેતી લાવવામાં આવી હશે. સાંજ પડ્યે અમે સૌ સ્ટેશને જતા અને રેતીના ઢગ પર બેસતા. પછીનાં વરસોમાં, નેરોગેજ રેલવે બંધ થયા પછી સાંઢાસાલ જવાનું થયું ત્યારે અમે ખાસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જાણે કે ઈતિહાસનું કોઈ ફાટેલું પૃષ્ઠ ચોળાઈને રસ્તા પર પડ્યું હોય એવી એની દશા જોઈને ખિન્નતા અનુભવી હતી.
                હમણાં પીજ આગળથી પસાર થવાનું બન્યું ત્યારે તેના રેલવે સ્ટેશન તરફ નજર ગઈ એટલે અમે વાહન ઊભું રાખીને ઉતર્યા અને સ્ટેશને લટાર મારી. સવારનો સમય હતો અને તૂટેલા બાંકડા પર બે સજ્જનો બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. તેઓ નજીકમાં રહેતા હતા અને 'સમય પસાર કરવા' અહીં આવીને બેસતા હતા. પણ રેલવે સ્ટેશનની દશા જોઈને મને સાંઢાસાલનું રેલવે સ્ટેશન યાદ આવી ગયું. રોડ વ્યવહાર નહોતો એવે સમયે ટ્રેન એક માત્ર સુલભ માધ્યમ હતું, જેના થકી લોકો અવરજવર કરતા. ભાડું સાવ સસ્તું. એક ટ્રેન સાથે અન્ય મોટા સ્ટેશનની બીજી કોઈ ટ્રેન સાથે યા બસ સાથે 'કનેક્શન' રહેતું. જેમ કે, અમે મહેમદાવાદથી 'ભોપાલ પેસેન્જર'માં બેસીને વડોદરા થઈ સમલાયા ઊતરીએ ત્યારે એ ટ્રેનના મુસાફરોની રાહ જોતી નાની ગાડી ઊભેલી હોય. ભોપાલ પેસેન્જરના મુસાફરોને લઈને એ ઊપડતી.
           વરાળના એન્જિનનો અમુક ગતિમાં આવતા લયબદ્ધ અવાજમાં લોકો પોતપોતાની સમજ મુજબ શબ્દો ગોઠવતા. મારાં મમ્મી કહેતાં કે એ લોકો 'છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું' એમ બોલતાં.
            નેરોગેજ હવે તો નામશેષ થઈ ગઈ છે, અને આ પીજ સ્ટેશને તો એના પાટા પણ કાઢી લેવામાં આવ્યા છે, જે હજી અન્ય અમુક જગ્યાએ જોવા મળે છે. એક સમયે ગામથી દૂર ગણાતા સ્ટેશનની આસપાસ હવે 'વિકાસ' પહોંચી ગયો છે. આમ છતાં, આ પીજ સ્ટેશન એના પ્રવેશ તરફથી કેવું રળિયામણું લાગે છે! આવી લુપ્ત થયેલી સંસ્કૃતિને સૂઝપૂર્વક જાળવી રાખવામાં આવે, એને પ્રવાસીઓ માટેનું આકર્ષણ બનાવવામાં આવે તો ભૂતકાળના એ કાળખંડની ઝાંખી મળી રહે. જો કે, એ આશા રાખવી વ્યર્થ છે.
         અનેક અનેક લોકોના જીવન સાથે જોડાયેલી કેટલીય કથાઓ અહીં ધરબાયેલી પડી હશે, જે કદી બહાર આવશે કે કેમ એ સવાલ છે! આવાં નેરોગેજ સ્ટેશનો કેવળ ભૂતાવળ બનીને રહી ગયાં છે! 

(ભૂતાવળ= ભૂતોનું ટોળુંં )


પીજ સ્ટેશન તરફ જતાં

પ્રવેશતાં ડાબી તરફ ટિકીટબારી 

ટિકિટબારીએથી સ્ટેશન તરફ મૂકાયેલો બાંકડો 

સ્ટેશનની અંદરની તરફ મુસાફરોને ઉભા રહેવા માટેનો શેડ 

પાટા તરફથી દેખાતું સ્ટેશન 

ક્યારેક અહીં નેરોગેજના પાટા હતા 

ટિકિટબારીની સામેની બાજુએ આવેલો
બાંકડો અને પરબ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની ઑફિસ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની
ઑફિસનો અંદરનો ભાગ 
                                              
સ્ટેશનની ઓળખ સમી અણિયાળી રેલિંગ  

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Wednesday, December 7, 2022

ગ્રાફિક નોવેલના અનુવાદની યાદગાર સફર

ઉંમરના એક તબક્કે અમર ચિત્રકથાઓ અને ઈન્દ્રજાલ કૉમિક્સ ભરપૂર વાંચવાને કારણે સંવાદની સાથોસાથ આનુષંગિક ચિત્રોના નિરીક્ષણની પણ આદત વિકસતી ગઈ. આથી 'બુકશેલ્ફ' દ્વારા ગ્રાફિક નોવેલના અનુવાદનો પ્રસ્તાવ મળ્યો ત્યારે જાણે કે એક ચક્ર પૂરું થઈ રહ્યું હોય એમ લાગેલું. સૌ પ્રથમ ડૉ. અબ્દુલ કલામ અને બાબાસાહેબ આંબેડકર વિશેની ગ્રાફિક નોવેલનો અનુવાદ કર્યો ત્યારે આ નવા માધ્યમનો વિશેષ પરિચય થયો. (આ બન્ને ગ્રાફિક નોવેલની અનુવાદપ્રક્રિયા વિશે અહીં વાંચી શકાશે.)

કૉમિક્સ અને ગ્રાફિક નોવેલના મૂળભૂત સ્વરૂપમાં ઘણું સામ્ય છે, પણ ગ્રાફિક નોવેલ સુદીર્ઘ હોય છે, જેનો ઉદ્દેશ્ય કેવળ બાળકો માટેના વાંચનનો જ નહીં, વયસ્કોના વાંચનનો પણ હોય છે. આ સ્વરૂપમાં હવે તો જબ્બર ખેડાણ થઈ રહ્યું છે, અને અનેક ગ્રાફિક નોવેલ બજારમાં ઉપલબ્ધ બની રહી છે. અલબત્ત, તે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે, અને એ પછી અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય છે.
અહીં મૂકેલી ત્રણ ગ્રાફિક નોવેલમાંની એક They changed the world નામની શ્રેણી છે, જેની અંતર્ગત મહાન શોધકોના જીવન વિશે સચિત્ર અને સ-રસ વિગતો હોય છે. આ એક પુસ્તકમાં ત્રણ સમકાલીનો એડિસન, ટેસ્લા અને ગ્રેહામ બેલના જીવનની કથા દર્શાવવામાં આવી છે. બીજા પુસ્તકમાં વિમાનના સફળ શોધક રાઈટ બંધુઓની કથા છે, તો ત્રીજા પુસ્તકમાં સ્ટીવ જોબ્સની કથા છે.




ગ્રાફિક નોવેલ માટે ચીતરનારા ચિત્રકારો શી રીતે કામ કરે છે એ ખ્યાલ નથી, પણ તેઓ લેખક સાથે સંવાદ સાધીને ચીતરતા હશે એમ લાગે છે. આ પુસ્તકમાંનાં ચિત્રો જોતાં જ આપણને કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. કેવળ 'આઈ લેવલ'થી સમાંતર ચિત્રો બનાવવાને બદલે તેઓ સિનેમાના કેમેરાના એન્ગલથી ચિત્રો બનાવતાં હોય એમ લાગે.
એમાંય સ્ટીવ જોબ્સના પુસ્તકનું લે-આઉટ ગજબ છે. પ્રથમ નજરે એ આઈ-પેડ જેવું જણાય અને અંદરનાં આરંભિક પૃષ્ઠો પર પણ એ જ લે-આઉટ! આ પુસ્તકમાં કથા કેટલી સચોટ રીતે કહેવાઈ હોય છે એનું એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. સ્ટીવ જોબ્સની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ સંકુલ અને ઝટ ન સમજાય એવી છે. પણ આ પુસ્તકના અનુવાદ દરમિયાન બહુ સરળતાથી એનો ખ્યાલ આવી ગયો. યોગાનુયોગ એવો બન્યો કે પહેલાં મેં આ અનુવાદ કર્યો અને એ પછી સ્ટીવ જોબ્સ પર બનેલી ફિલ્મ જોવાનું બન્યું એટલે ફિલ્મને બરાબર માણી શકાઈ અને તેના નાનામાં નાના પ્રસંગો સમજી શકાયા.


હજી ગ્રાફિક નોવેલનો આ પ્રકાર ગુજરાતીમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. તેની કિંમત કદાચ સહેજ વધુ જણાય, પણ તેની પૃષ્ઠસંખ્યા અને ઉત્કૃષ્ટ નિર્માણ એને વાજબી ઠેરવે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે, કેમ કે, તેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે, અને ચિત્રો સાથે હોવાથી તે સહેલાઈથી યાદ રહી જતી હોય છે. તો વયસ્કો માટે આ ગ્રાફિક નોવેલ એક જુદા જ પ્રકારનો વાંચન અનુભવ પૂરો પાડે છે.
મારા દ્વારા આ ત્રણની સાથે કુલ પાંચ ગ્રાફિક નોવેલ અનુવાદિત થઈને પ્રકાશિત થઈ છે. છઠ્ઠીનો અનુવાદ થઈ ગયો છે, પણ એ હજી પ્રકાશિત થઈ નથી. મારા ઉપરાંત બીજા મિત્રો દ્વારા પણ એના અનુવાદ થઈ રહ્યા છે.
આશા રાખીએ કે સચિત્ર માહિતી આપતા આ માધ્યમનો આનંદ વધુ ને વધુ લોકો લઈ શકે.
આ ત્રણે પુસ્તકો બુકશેલ્ફ (અમદાવાદ) પર ઉપલબ્ધ છે અને ઑનલાઈન ઓર્ડર કરી શકાય છે.

Monday, December 5, 2022

'સાગર મુવીટોન'ના એક પ્રકરણનું સમાપન

તેમની સીધેસીધી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે 'સાગર મુવીટોન'ના ચીમનલાલ દેસાઈના પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના નાના પુત્ર. સુકેતુ દેસાઈને જોઈને પહેલી છાપ એમ જ પડે કે તે ફિલ્મના અભિનય સાથે સંકળાયેલા રહ્યા હશે. અસાધારણ લંબાઈ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શાલીન રીતભાત. આ કારણે જ તેમની ઈચ્છા જે તે સમયે ફિલ્મક્ષેત્રે જવાની હતી. એકાદ બે નિર્માતાઓ સાથે વાત પણ ચાલેલી. યોગાનુયોગ એવો થયો કે જે નિર્માતા સાથે વાત સહેજ આગળ વધે કે એ નિર્માતાનું અવસાન થઈ જાય. એ સમયે પડદા પર ખલનાયકી કરતા પ્રાણસાહેબે સુકેતુ દેસાઈને નાયકની નહીં, પણ ખલનાયક તરીકેની કારકિર્દી માટે સૂચન કરેલું, જેથી એ કારકિર્દી લાંબી ચાલી શકે. જો કે, એ કશું ન બની શક્યું. આખરે બાંદરામાં પોતાનાંં બે થિયેટર સંભાળવામાં તે પરોવાયેલા. સુકેતુ દેસાઈએ એ સમયે પડાવેલી તસવીર બતાવીને મને કહેલું, 'The coming Kumar તરીકે મારા નામની પબ્લિસિટી કરવાની હતી.' મેં તત્ક્ષણ જવાબ વાળતાં કહ્યું, 'The coming Kumar who never came.' આવી મજાકને તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકારીને કહ્યું, 'ધેટ્સ ટ્રુ.'

સુકેતુ દેસાઈ: ધ કમિંગ કુમાર 

'સાગર મુવીટોન' પુસ્તકનું આલેખન નક્કી કર્યું એ પછી લગભગ એમ ગોઠવાતું કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર મારે અમદાવાદ જવાનું થતું. મિત્ર ચંદ્રશેખર વૈદ્ય પણ લગભગ હોય જ. સુકેતુ-દક્ષા દેસાઈ અને મારી વચ્ચે આ પુસ્તક બાબતે ગોરકર્મ કરાવવામાં તેઓ નિમિત્ત બનેલા. એ મુલાકાતો ઉપરાંત બે-ત્રણ વાર મુંબઈ, સુરત-ભરૂચ પણ અમે સાથે ગયેલા. મુંબઈ જઈએ એટલે કાયમી તકલીફ તેમના 'માપ'ની ટેક્સી શોધવાની રહેતી. બાંદરા સ્ટેશનના પ્રિપેઈડ ટેક્સીસ્ટેન્ડ પર અમે ટિકીટ લઈને ઊભા રહીએ, અને મોટા ભાગના બધા મુસાફરોને ટેક્સી મળી જાય એ પછી અમારો વારો આવતો, કેમ કે, સુકેતુભાઈની લંબાઈ એટલી કે સાદી ફિયાટમાં તે સમાઈ ન શકે. આથી મોટે ભાગે મારુતિ વાનની રાહ જોઈને ઊભા રહેવું પડે. મુંબઈના રોકાણ દરમિયાન તે મોટે ભાગે નેપિયન સી રોડ પર ઊતરતા, અને હું પેડર રોડ પર. આથી મોટે ભાગે એવો ક્રમ રહેતો કે તે પોતાને ત્યાંથી નીકળીને રસ્તામાંથી મને ફોન કરે અને હું પેડર રોડ પરથી તેમની સાથે જોડાઈ જાઉં.
સુકેતુ દેસાઈ અને દક્ષા દેસાઈ, પુત્રી ઋતુજા સાથે 
સુકેતુ દેસાઈની બોલવાની શૈલી એવી કે તેમને ઓળખતા ન હોય એને એમ લાગે કે તે સામાવાળાને ધમકાવે છે યા અપમાનિત કરે છે. એ એમના અવાજની લાક્ષણિકતા હતી એટલું જ.
'સાગર મુવીટોન'ના કામ વખતે અસંખ્ય વખત એવું બન્યું કે મારે તેમના દ્વારા રજૂ કરાતી હકીકતોને પડકારવાની આવી હોય. વરસોથી કુટુંબમાં ચાલી આવતી વાતોને મારા જેવો, તેમના પરિવાર માટે નવોસવો માણસ પડકારે એટલે સુકેતુ દેસાઈ પહેલાં તો વિરોધ કરે. પછી હું કહું, 'પુરાવો બતાવું તો તમે માનશો?' એટલે હસીને કહે, 'માનવું જ પડશે ને! છૂટકો છે?' અને ખરેખર, એ પછી નિખાલસતાથી એ સચ્ચાઈ સ્વીકારે. પુસ્તકના આલેખન વખતે પણ તેમણે કહેલું, 'તને જે સાચું લાગે એ જ લખજે.' આ સ્વીકાર બહુ અઘરો હોય છે.
'સાગર મુવીટોન' પુસ્તકના વિમોચન વખતે
જૂના પાડોશી આમીર ખાન સાથે
સંજોગોની થપાટ તેમના પરિવારે બહુ ખાવી પડેલી. 1991માં તેઓ સપરિવાર અમેરિકા જઈ વસ્યાં, અને અઢારેક વરસ પછી પાછા ભારત આવીને સ્થાયી થયા. એ પછી દક્ષાબહેને પુસ્તકનું કામ કરાવવાનો વિચાર કરેલો.
સ્વાસ્થ્યને લઈને તેમને અનેક સમસ્યાઓ રહેતી. પુસ્તકનું કામ પૂરું થયા પછી સંપર્ક ઓછો થાય એ સ્વાભાવિક છે, પણ તે વડોદરા આવે ત્યારે અચૂક ફોન કરતા. યા વચ્ચે કોઈ વાર મન થાય તો પણ ફોન કરતા. આ એપ્રિલમાં દક્ષાબેનનું અવસાન થયું એ પછી તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત છેલ્લી બની રહી.
સુકેતુભાઈ પથારીવશ રહેતા હતા. દક્ષાબેનની વિદાય પછી આઠેક મહિનામાં તેમણે પણ વિદાય લીધી. 4 ડિસેમ્બર, 2020ની સાંજે તેમણે શ્વાસ મૂક્યો હોવાના સમાચાર ચંદ્રશેખરભાઈ વૈદ્ય દ્વારા મળ્યા. તેઓ 80 વર્ષના હતા.

'સાગર મુવીટોન' અને 'સાગર' પરિવારના એક પ્રકરણનું આમ સમાપન થયું. અમેરિકાનિવાસ પછી તેઓ ભારતમાં ગમે એ કારણોસર સ્થાયી થવા આવ્યા હોય, 'સાગર મુવીટોન' પુસ્તકનું અવતરણ તેમનું અવતારકાર્ય બની રહ્યું. સિનેમા અને ઈતિહાસના પ્રેમીઓ તેમની આ ચેષ્ટા બદલ તેમના ઋણી રહેશે.

Sunday, December 4, 2022

પ્રોફેસર આત્મારામ અને સેલ્ફ ડિપેન્‍ડન્‍સ સર્વિસ


કેટલીક વ્યક્તિઓ અને તેમને જીવનમાં સતાવ્યા કરતી કેટલીક સમસ્યાઓ:

- પોતાની કુંડળીના ગ્રહો વાંકા છે, અને જ્યોતિષીઓએ જે ભાખ્યું એનાથી સાવ ઊલટું જ થયું. આથી લગ્ગુ શેઠ કોઈકની કુંડળી 'વેચાતી' લઈને પોતાના નામે કરાવવા નીકળ્યા છે.
- સુખદેવ કાટપીટીયાની ઘરરખ્ખુ પત્ની મધુ સામે એક જ ફરિયાદ છે કે એ પોતાના પૂર્વ પ્રેમી લાખેન્દ્ર જીનગરને ભૂલી શકતી નથી.
- ટાન્ઝાનિયાથી આવેલો એક અતિ ધનવાન નબીરો પોતે ઉતરેલો એ હોટેલની રિસેપ્શનિસ્ટ કોમલ મીઠાણીની 'સેવા' માંગે છે, પણ એ ન મળતાં એ બરાબર ધૂંધવાય છે.
- એક કૉલ સેન્ટરમાં કામ કરતા કલ્યાણસિંહ શાર્દૂલસિંહ શેખાવત નોકરીના ભાગરૂપે પોતાને સાંભળવા મળતી ગાળોથી પરેશાન થઈ ગયા છે.
- આર્થિક ગોટાળો કરેલા એક માણસની કપિલ સૂબા હત્યા કરવા ઈચ્છે છે.
- બીજા તબક્કાના બ્રેસ્ટ કેન્સરના નિદાનવાળી એક સ્ત્રી જીવનથી હારી ગઈ છે.
આવા બીજા પણ અનેક લોકો છે અને તેમની પોતીકી, તીવ્ર સમસ્યાઓ છે. આ સૌને પોતાની સમસ્યાનો ઊકેલ એક જ વ્યક્તિમાં દેખાય છે. એ છે 'સેલ્ફ ડિપેન્ડન્સ સર્વિસ'વાળા પ્રોફેસર આત્મારામ.
પ્રોફેસર આત્મારામ છે કોણ? મોટીવેશનલ થીન્કર કે સ્પીકર? લાઈફ કન્સલ્ટન્ટ? ચિંતક? આમાંનું કશું જ નહીં. આમ તો એ સામાન્ય, અને અમુક વાર તો અતિ સામાન્ય જણ લાગે, પણ એ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. મનુષ્યના મનના પેટાળમાં કયા પ્રવાહો ચાલી રહ્યા છે એનો તાગ તેઓ લઈ શકે છે, પોતે કોઈ જાણકાર હોવાની ભૂમિકા રચ્યા વિના!
સમસ્યા લઈને આવનાર વ્યક્તિને પૂરેપૂરા જોશથી, તેની 'હા'માં 'હા' મિલાવીને તેઓ તેને સમર્થન આપે છે, અને ધીમે ધીમે એ રીતે તેના વિચારને પલટાવીને તેની સમસ્યાને ઊકેલી આપે છે કે એ વ્યક્તિને એમ જ થાય કે સમસ્યા પણ પોતે જ ઊકેલી છે, પ્રોફેસરે નહીં!
પ્રોફેસરની કન્સલ્ટિંગ ફી કશી નથી. ક્યારેક તો એ પોતાના ખર્ચે ચા પીવડાવે છે. એમનો રસ છે માણસમાં. માણસના મનમાં.
પ્રોફેસર આત્મારામનું આ પાત્ર વાસ્તવમાં રજનીકુમાર પંડ્યાએ સર્જેલું છે. જીવનલક્ષી હોવા છતાં એ કેવળ કિસ્સા કે બોધદાયક લખાણ બની રહેવાને બદલે નકરી વાર્તા છે. એમાં રમૂજનો આંતરપ્રવાહ છે, રસપ્રદ સંવાદો છે, ચિત્રાત્મક વર્ણન છે, અને આ બધા ઉપરાંત એ પૂરેપૂરી વાર્તા છે. રજનીકુમાર જેમને પોતાના (વાર્તાલેખનના) ગુરુ માનતા એવા (હવે સ્વ.) મહમ્મદ માંકડે રજનીકુમારને લખેલું, 'તમે તમારાં પાત્રોને ઊભાં ને ઊભાં ચીરી નાંખો છો!' પોતાનાં પાત્રોનાં મનના અતળ ઊંડાણને તાગીને વાચકો સમક્ષ મૂકવું રજનીકુમાર માટે સહજ છે.
પ્રોફેસર આત્મારામવાળી વાર્તાઓ લખાતી હતી ત્યારે જ એવી ઈચ્છા હતી કે એનો અલગ સંગ્રહ થવો જોઈએ. આનંદની વાત છે કે તાજેતરમાં 'ઝેન ઓપસ' દ્વારા પ્રકાશિત, રજનીકુમારની હાસ્યવાર્તાઓના સંગ્રહ 'તીરછી નજર'માં 19 હાસ્યવાર્તાઓની સાથોસાથ, 'આત્મારામની અદાલતમાં' નામના અલગ વિભાગ હેઠળ આવી 14 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'આત્માની અદાલત' રજનીકુમારના એક વાર્તાસંગ્રહનું નામ છે. (જે પણ શીઘ્રપ્રકાશ્ય છે.)
પ્રોફેસર આત્મારામની વાર્તાઓ વાંચતાં વાંચતાં પહેલો ભાવ રમૂજનો આવે, ધીમે ધીમે તેની ગંભીરતા મનમાં બેસે, અને એની સાથે તેમાંથી ઉપસતા મનોભાવ તેમજ વાર્તાતત્ત્વ એ રીતે ઉઘડે કે અજવાળું અજવાળું થઈ જાય! એવો પણ સવાલ થાય કે પ્રોફેસર આત્મારામ એના સર્જક રજનીકુમારની પ્રતિચ્છાયા તો નહીં હોય ને!

Sunday, November 27, 2022

આત્મીયતાનો રુટ: અમદાવાદ-નડિયાદ-ભરૂચ વાયા મહેમદાવાદ

 "આ બેન્જો તેં કેટલામાં ખરીદેલો?"

"આઠ-સાડા આઠ હજાર હશે."
"પૈસા તેં એકલાએ કાઢ્યા?"
(ચહેરા પર મૂંઝવણના ભાવ)
આ સવાલ પૂછનાર હું એટલે કે બીરેન, અને સવાલ જેને ઉદ્દેશીને પૂછાયેલો એ હતો 'વીકી' ઉર્ફે યજુવેન્દ્રસિંહ ગોહિલ નામનો જુવાનિયો.
'આવો તે કંઈ સવાલ હોતો હશે?' એમ બિચારા વીકીને થયું હશે, કેમ કે, વાદ્ય પોતે ખરીદેલું હોય તો એના પૈસા પોતે જ કાઢ્યા હોય ને!
એની મૂંઝવણ જોઈને મને મજા આવી. એ પછી મેં એને કહ્યું, 'તારા બાપાએ અને મેં 1982-83માં એક બેન્જો ખરીદેલો. એની કિંમત હતી 45/- રૂપિયા. અને અમે બેય જણે એ 'ભાગ'માં ખરીદેલો. તારા બાપાએ 25/ રૂ. કાઢેલા, અને મેં 20/. એ શરત કરેલી કે એ પછી જે એ બેન્જો રાખશે એણે પોતાના ભાગના પૈસા ચૂકવી દેવાના. એ બેન્જો હાલ મારી પાસે છે, અમે એ વગાડીએ છીએ, પણ ચાલીસ વરસ થયા છતાં હજી મેં તારા બાપાને મારા ભાગના 20/ રૂ. ચૂકવ્યા નથી. હવે તેં સીધો આઠ-નવ હજારનો બેન્જો ખરીદ્યો એટલે મારે પૂછવું તો પડે ને!'
વીકીના મનમાં આખું ગણિત ધીમે ધીમે ગોઠવાયું, અને અજવાળું થતું ગયું. એને કદાચ નવાઈ પણ લાગી હશે કે પોતાના બાપા વળી કોઈની સાથે આવી તુચ્છ ચીજ બાબતે ભાગીદારી કરે?
વીકીના એ બાપા એટલે મારો કૉલેજકાળનો મિત્ર દેવેનદ્રસિંહ ગોહિલ, જેનો 26 નવેમ્બરના રોજ જન્મદિવસ છે.
દેવેન્દ્ર સાથેની મૈત્રી આજકાલ કરતાં ચાર દાયકાને આંબી ગઈ છે. નડિયાદ ડી.ડી.આઈ.ટી.માં અમે ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પહેલા વરસથી સાથે હતા, અને છેક ત્રીજા વરસ સુધી સાથે રહ્યા. એ અમદાવાદથી ટ્રેનમાં અપ-ડાઉન કરતો અને હું મહેમદાવાદથી, એટલે લગભગ શરૂઆતથી જ પરિચય થઈ ગયેલો, જે ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો. અમારા ક્લાસમાં અમે બે જ જણ અપડાઉન કરતા હોવાથી અમારા સહાધ્યાયીઓ અમને 'અપડાઉનીયા' તરીકે ઓળખતા. ક્યારેક અમે બન્ને વર્ગમાં કશીક ગુસપુસ કરતા હોઈએ તો બોરીકરસાહેબ અટકીને પૂછતા, 'ક્યા કુછ ટ્રેન કા ટાઈમ હૈ?'
દેવેન્દ્ર એકદમ આખાબોલો, અને અમારા વર્ગમાં બારમા ધોરણ પછી ડિપ્લોમામાં આવેલા કુલ ચાર જણા. બાકીના દસમા પછી આવેલા. એટલે સીધી જ 'જનરેશન ગૅપ' જણાય. દેવેન્દ્ર પોતાના આખાબોલાપણાથી આ ગેપને વધુ પહોળી કરી આપતો. ઔષ્ઠ્ય અને તાલવ્ય વ્યંજનોથી શરૂ થતા ચુનંદા શબ્દોનો તે 'નવી' જનરેશન આગળ છૂટથી ઉપયોગ કરતો.

એમ કરતાં પરીક્ષા આવી. સમય સવારનો. દેવેન્દ્ર બાપુનગર રહેતો. ત્યાંથી એ સાયકલ લઈને કાલુપુર સ્ટેશને આવે અને પછી ટ્રેન પકડે. અમદાવાદથી સવારના પાંચ-સવા પાંચે ઊપડતી ભોપાલ પેસેન્જર પકડવા માટે એણે પોણો કલાક-કલાક વહેલા નીકળવું પડે અને એથી વહેલા જાગી જવું પડે. આથી મેં એને મહેમદાવાદ આવી જવા કહ્યું. કેમ કે, એ ટ્રેન મહેમદાવાદ સવા છએ આવતી. દેવેન્દ્ર પરીક્ષા દરમિયાન મહેમદાવાદ રહેવા આવ્યો, અને ધીમે ધીમે દર પરીક્ષા વખતે એ ક્રમ બની ગયો. પછી તો એવું બનતું કે પરીક્ષા હોવાની જાણ થાય એટલે મારા ઘરનાં જ પૂછવા લાગે કે દેવેન્દ્ર ક્યારે આવવાનો છે! આ રીતે સતત મહેમદાવાદ રહેવાને કારણે મહેમદાવાદના અમારા વર્તુળથી પણ તે પરિચીત થયો. આવા જ એક રોકાણ દરમિયાન અમે બેન્જો ખરીદવાનું વિચાર્યું અને એ વિચારને અમલમાં મૂક્યો.
કૉલેજકાળની અને તેના મહેમદાવાદનિવાસની અનેક સુખદ સ્મૃતિઓ મનમાં સંઘરાયેલી છે. એ વખતે ઉર્વીશ નવમા ધોરણમાં હતો. દેવેન્દ્રે અને મેં નક્કી કરેલું કે ગમે એ થાય, ફાઈનલ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ લાવવો જ. કેમ કે, અમારી નોકરી એના પર આધારિત હતી. આથી અમે બન્નેએ રીતસર ગોખણપટ્ટી ચાલુ કરેલી. અમે લાંબા લાંબા સવાલ લખી લખીને મોઢે કરીએ અને પછી ઉર્વીશને કહીએ કે એ સવાલ પૂછે અને અમે એનો જવાબ મોઢે બોલીએ. અમારા બોલવામાં એકાદ શબ્દની ભૂલ આવે એટલે ઉર્વીશ અટકાવીને કહે કે આ ખોટું છે. અમે કહીએ કે એકાદ શબ્દ આગળપાછળ ચાલે. આમ, ઉર્વીશની પ્રમાણમાં કુમળી વયે અમે એને કેમિકલ એન્જિનિયરીંગના અઘરા અઘરા જવાબોનું શ્રવણ કરાવ્યું છે.
કૉલેજકાળમાં અમે સાથે જ ટ્રેનમાં અપડાઉન કર્યું અને અમુક ફિલ્મો પણ સાથે જોઈ. એ પછી નોકરીની વાત આવી. તેણે ભરૂચ ખાતે જી.એન.એફ.સી.માં નોકરી સ્વીકારી, અને મેં વડોદરાના આઈ.પી.સી.એલ.માં. આમ, અમે વિખૂટા પડ્યા પણ અમારો સંપર્ક ચાલુ રહ્યો. અમારો પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો.
કૉલેજમાંથી સીધા જ એક વિશાળ સંકુલમાં આવી જવાથી જે અસુખ અનુભવાય એ અમને બન્નેને એ અરસામાં અનુભવાતું, જેનો ઉલ્લેખ પત્રોમાં થતો. તે જી.એન.એફ.સી.ની ટાઉનશીપના ક્વાર્ટરમાં રહેતો ત્યારે ઘણી વાર હું એને ત્યાં એકાદ બે દિવસ રહેવા જતો. તેના પપ્પા ખુમાણસિંહકાકા અને મમ્મી બહુ પ્રેમથી મારી સાથે વાતો કરતાં.
એ પછી તેનું લગ્ન અમદાવાદસ્થિત કાનન વાઘેલા સાથે થયું. એ લગ્નમાં પણ બે દિવસ મેં હાજરી આપીને અમુક હદનો કાર્યભાર સંભાળેલો. બહુ વખત પછી જાણ થઈ કે વાઘેલા પરિવાર એટલે પ્રકાશ ન. શાહનો પાડોશી. યોગાનુયોગ એવો કે વાઘેલા પરિવારે અન્યત્ર સ્થળાંતર કર્યું, અને હવે પ્રકાશભાઈએ પણ.
કાનનના આવ્યા પછી પણ અમારા પત્રવ્યવહારમાં ઓટ ન આવી. દેવેન્દ્રના પત્રમાં હવે કાનન પણ અલગથી લખતી થઈ. કાનનના આવ્યા પછી મારું ભરુચ રહેવા જવાનું ચાલુ રહ્યું અને એ પણ જૂની પરિચીત હોય એમ લાગતું.
સમયાંતરે વડીલો વિદાય લેતા ગયા અને પરિવારમાં નવા સભ્યોનો ઉમેરો થતો ગયો. પત્રવ્યવહાર ક્ષીણ થતો ગયો, અને છેવટે સદંતર બંધ થયો, પણ આત્મીયતામાં કશો ફેર ન પડ્યો.
દેવેન્દ્રને ત્યાં પહેલાં હું એકલો જતો, પછી કામિની સાથે જતો, અને શચિને લઈને પણ જતો થયો, એમ તેને ત્યાં પણ પહેલાં યજુવેન્દ્ર અને પછી ભૃગુરાજનું આગમન થયું. પણ અમને એ અમારું જ ઘર હોય એમ લાગે છે.
એક વિશેષ પ્રસંગે દેવેન્દ્રની હાજરી હજી યાદ રહી ગઈ છે. ઉર્વીશનું લગ્ન હતું, અને પરિવારના (ઉર્વીશ સહિત) સાત જણ જ 'જાન' લઈને ઉપડવાના હતા. લગ્નની જાણ કરતું પોસ્ટકાર્ડ અમે સૌને મોકલેલું. એમાં દેવેન્દ્રને એ સહેજ વહેલું મળી ગયું. એ સીધો બેઠો ગુજરાત ક્વીનમાં અને સવારના સાડા નવે અમારે ઘેર મહેમદાવાદ. આવીને કહે, 'અલ્યા, મારે તો આવવું જ પડે.' અમેય અપવાદ કરીને એને સામેલ કર્યો અને આમ, ઉર્વીશના લગ્નનો એક માત્ર 'બહારનો સાક્ષી' દેવેન્દ્ર બની રહ્યો.
એ જ રીતે દેવેન્દ્રને ત્યાં ગમે એ પ્રસંગ હોય, મારી ઉપસ્થિતિ મોટે ભાગે હોય જ. ભરૂચમાં તેનું આગવું મિત્રવર્તુળ છે, જેની સાથે મળીને એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અને હિમાલયના પ્રવાસે પણ ઉપડે છે. મને એમ ધારવું ગમે છે કે એના બધા જ મિત્રો મને નામથી ઓળખે છે. કલ્પના તો ત્યાં સુધી પહોંચે છે કે એમાંના કેટલાક તો મારું નામ સાંભળતાં મુઠ્ઠીઓ વાળતા હશે, અને મનમાં કહેતા હશે, 'આ બાપુએ પાછું બીરેનપુરાણ શરૂ કરી દીધું.'
હવે ફોન પર સંપર્ક થાય છે, પણ ફોનમાં પત્ર જેવી મજા ક્યાં? આમ છતાં, વચ્ચે ગમે એટલો અંતરાલ પડે, જ્યારે મળીએ ત્યારે અમારી મૈત્રીની ઉષ્મા એવી ને એવી જ હોવાનું અનુભવાય છે. અને એ માત્ર દેવેન્દ્ર અને મારી વચ્ચે જ નહીં, સમગ્ર પરિવારને!
હવે તો મારા 'આદિકાળના' કહી શકાય એવા આ મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ.

Sunday, October 30, 2022

લપડાકનો બદલો આવો?

આપણા જીવનની સફરમાં કેટકેટલા સહપ્રવાસીઓ આપણને મળતા રહે છે. કોઈ ટૂંકા સમય માટે કે કોઈ લાંબા સમય માટે અમુક પંથ સાથે કાપે અને પછી કાળના પ્રવાહમાં સહજપણે વિખૂટા પડે છે. વરસો પછી તેમના વિશે કશુંક જાણીએ, સાંભળીએ કે તેમને મળવાનું બને ત્યારે મીઠો રોમાંચ થતો હોય છે. ક્યારેક એમ ન પણ બને.

અમારા છઠ્ઠા ધોરણના વર્ગમાં એક છોકરો નવો આવેલો. બહુ નહીં, પણ સહેજ માંજરી આંખો, લંબચોરસ ચહેરાની સરખામણીએ એના હોઠ સહેજ જાડા અને પક્ષીની ચાંચની જેમ આગળ ઊપસેલા. નવા વિદ્યાર્થીનાં લક્ષણ પણ આવતાંવેંત પરખાઈ જાય, એમ બહુ ઝડપથી એની દોસ્તી અમુક તોફાની વિદ્યાર્થી સાથે થઈ ગઈ. થોડા પરિચયે ખબર પડી કે અમારી સોનાવાલા હાઈસ્કૂલથી સાવ નજીક, પાંચેક મિનીટના પગપાળા અંતરે, બગીચાની સામે આવેલી 'ગાર્ડની ચાલી'માં તે રહેતો હતો, જે 'ગ્યાડની ચાલી'ના નામે ઓળખાતી હતી. તેના પપ્પા રેલ્વેમાં નોકરી કરતા હતા. તેનાથી મોટા બે-એક ભાઈઓ હતા, અને એ ભાઈઓએ પણ આ જ શાળામાં પ્રવેશ લીધો હતો. એનું નામ હતું દીપક ભગવતપ્રસાદ દવે. જો કે, આવાં અઘરાં નામ બોલવાં કોઈને ફાવે નહીં, એટલે બહુ ઝડપથી એ 'દીપ્કા' તરીકે ઓળખાવા લાગ્યો. પણ નામમાં હજી કંઈક ખૂટતું હોય એમ સૌને લાગતું હતું. તેની પૂર્તિ થોડા સમયમાં થઈ ગઈ. પી.ટી.ના પિરીયડમાં અમે સૌ લંગડી રમતા ત્યારે દીપ્કાની દોડવાની સ્ટાઈલ બધાથી અલગ પડતી. અમસ્તો પણ એ તોફાની ગણાતો, એટલે એનું નામ પડી ગયું 'દીપ્કો બંદર'. આઠમા ધોરણમાં અમે આવ્યા ત્યારે અમારા પ્રિય શિક્ષક એવા મગનભાઈ પટેલે વળી એક નવું નામ એને આપ્યું. મગનભાઈને અમુક હોંશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ લગાવ હતો, તેમ અમુક તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ભાવ હતો. જેમ કે, અમારા મુકલા (મુકેશ પટેલ) માટે તેમને એ હદે ભાવ કે એમના વર્ગમાં મુકલો રીતસર ઊંઘે તો પણ મગનભાઈ સાહેબ એને કંઈ ન કહે અને ઊપરથી કહે, 'જુઓ ને, મારો બેટો મઠિયો (મુકાનું એમણે આપેલું નામ) કેવો ઊંઘે છે!' મગનભાઈ સાહેબ એમની કડકાઈ માટે જાણીતા. ગણિત અને રસાયણવિજ્ઞાન તેઓ ભણાવતા. કોઈને કંઈ ન આવડે એટલે મગનભાઈ સાહેબ રીતસર તેના પર તૂટી પડતા. આમ છતાં, તેઓ આવા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી પણ રાખતા. તેમણે 'દીપ્કા'નું નામકરણ કર્યું 'મિસ્ટર જમ્બુ'.

એ સમયે 'મોનીટર'ની પ્રથા ચલણી હતી. ઘણી વાર તો જે તે તાસ માટે હંગામી ધોરણે મોનીટર નીમવામાં આવતો. એ રીતે એક વાર મને મોનીટર નીમવામાં આવ્યો, સાથે સત્તા પણ આપવામાં આવી કે જે કોઈ 'અવાજ કરે' એને એક લગાવી દેવી. બીજી ચિંતા કરવી નહીં. કયા શિક્ષકે મને નીમેલો એ અત્યારે યાદ આવતું નથી, પણ મારા હવાલે વર્ગને મૂકવામાં આવ્યો. મેં જોયું કે દીપ્કો અને એના મિત્રો પાછલી બેન્ચ પર બેઠા બેઠા અકારણ હસ્યા કરતા હતા. મેં એમને અવાજ કરવાની ના પાડી. પણ પ્રતિબંધ મૂકાતાં તેમનું હાસ્ય ઓર વિફર્યું. તેઓ હોઠ દાબીને હસવા જાય અને એ રીતે અવાજ આવે. મને મળેલી સત્તાનો મેં ઊપયોગ કરવા ધાર્યો, અને ત્યાં જઈને દીપ્કાને ગાલે ટપલી લગાવવાની ચેષ્ટા કરી. પણ સત્તાના આવેશમાં એ ટપલી તમાચો બનીને દીપ્કાને ગાલે પહોંચી. ગાલ પર હથેળી પડ્યાનો અવાજ આવ્યો, અને સહુ ચોંકી ઊઠ્યા. દીપ્કો હસવાનું ભૂલીને હવે રડવા લાગ્યો. તેને કેમ છાનો રાખવો એ મારી સત્તામાં આવતું ન હોવાથી મને આવડતું ન હતું. પણ પછી વર્ગમાં શાંતિ છવાઈ ગઈ.

પછી રિસેસમાં દીપ્કાને મળીને મેં સમજાવવા પ્રયત્ન કર્યો હશે. મને હવે બીક એ પેસી ગઈ કે દીપ્કાના બન્ને મોટા ભાઈઓ આ જ શાળામાં ભણે છે. દીપ્કો એમને વાત કરે અને એ બન્ને આવે તો? એકાદ વાર રિસેસમાં દીપ્કાને મેં એના મોટાભાઈ સાથે વાત કરતો જોયો. હું વર્ગમાં જ હતો. બન્ને ભાઈઓ ચાલતા ચાલતા અમારા વર્ગ તરફ આવતા હતા. મને થયું કે હવે મારું આવી બનવાનું! પણ પછી તેનો ભાઈ બીજી તરફ ફંટાઈ ગયો અને મને હાશ થઈ. એ સાથે જ ખાત્રી પણ થઈ કે દીપ્કાએ એના ભાઈને પેલી વાત કરી નથી.

વિજ્ઞાનપ્રવાહના વિષયોને કારણે અમે ઘણા સહાધ્યાયીઓ ચાર-પાંચ વરસ સાથે રહ્યા પછી વિખૂટા પડ્યા. એ પછી ઘણા વખત સુધી ગામમાં ને ગામમાં જ રહેવાનું થયું હોવાથી મોટા ભાગનાઓને મળવાનું પણ બનતું રહેતું. વચગાળાનો દોઢ-બે દાયકો એવી વીત્યો કે જેમાં સંસારજીવન અને કારકિર્દીમાં વ્યસ્ત થઈ જવાયું. એવે સમયે બહુ જ નજીકના મિત્રો હતા એમની સાથે જ સંપર્ક ચાલુ રહ્યો. આ નજીકના મિત્રોમાંના અમે મોટા ભાગના બીજા કે ત્રીજા ધોરણથી સાથે છીએ. હવે અમારી મૈત્રી વ્યક્તિગત મટીને પારિવારિક બની ગઈ છે, અને હવે અમે ઈચ્છીએ તો પણ એને તોડી શકીએ એમ નથી. આવો જ એક મિત્ર અજય પરીખ છે, જેનો મહેમદાવાદ સાથેનો જીવંત વ્યવહાર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મારી સવાર એના ફોનથી પડે એમ બનતું હોય છે. કોઈ પણ જૂની ઘટનામાં આનુષંગિક સંદર્ભ માટેનો મારો સૌથી હાથવગો સ્રોત એ છે. તેનો વ્યવસાય મહેમદાવાદમાં જ હોવાથી તે અમારા ઘણા સહાધ્યાયીઓના સંપર્કમાં છે, અથવા તો તેમના વિશે જાણકારી ધરાવે છે, તેમજ અવારનવાર અપડેટ પણ આપતો રહે છે.

30 ઑક્ટોબર, 2018ની સવારે જ તેનો ફોન આવ્યો, અને કહે, 'દીપક દવેને ઓળખું ને?' મેં કહ્યું, 'દીપક ભગવતપ્રસાદ દવે? શું છે એનું? તને હમણાં મળ્યો કે શું?' અજયે કહ્યું: 'એ ગુજરી ગયો. આજે પાંચ-છ દિવસ થયા. તે મુંબઈ રહેતો હતો.'

વચ્ચેના દોઢ-બે દાયકા હું દીપ્કાને સાવ વીસરી ગયેલો. તે ક્યાં છે, શું કરે છે એ જાણવાની તસ્દી લીધી નહોતી. મારા મનમાં હજી એ જ આઠમા-નવમામાં અમારી સાથે ભણતા દીપ્કાની છબિ સચવાયેલી છે. બીજો પણ એક દીપ્કો આ સાથે યાદ આવે છે, જેને 'દીપ્કો માંજરો' કહેતા. આ દીપ્કાઓ જંપીને બેસતા નથી, અને એક વાર યાદ આવે એટલે આપણને જંપવા દેતા નથી.

Saturday, October 29, 2022

દર્શનથી અર્પણ સુધી

 હજી ગયા સપ્તાહે જ, ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત, રજનીકુમાર પંડ્યાએ લખેલું પુસ્તક 'ફિલ્માકાશ' પ્રકાશિત થયું. ઘણાં વરસોથી પ્રતિક્ષીત એવું આ પુસ્તક દોઢેક દાયકા પછી પ્રકાશિત થયું એ ઘણા આનંદની વાત છે, પણ એ પુસ્તક ઉઘાડતાં જ મને એક હળવો રોમાંચ થઈ આવ્યો. એ રોમાંચનું કારણ જાણવા માટે ત્રણ- સવા ત્રણ દાયકા પાછા જવું પડે એમ છે.

1988-89 ના અરસામાં, એટલે કે મારી 23-24ની અને ઉર્વીશની 16-17ની વયે એક નવા શોખનો આરંભ થયેલો. વાંચન તરફ બે-ત્રણ વરસથી આકર્ષાયેલા, પણ હવે અમને થયું કે આટલું પૂરતું નથી. ગમતા કે ન ગમતા લેખકોને પત્ર લખીને આપણી લાગણી એમને પહોંચાડવી જોઈએ. એ ક્રમમાં પહેલવહેલો પત્ર પ્રિયકાન્ત પરીખને લખેલો, અને એમના પછીનો પત્ર રજનીકુમાર પંડ્યાને લખ્યો.

મહેમદાવાદ જેવા નાનકડા નગરના બે સાવ અજાણ્યા, લબરમૂછિયા વાચકોને રજનીકુમારે અતિશય સૌજ્ન્ય તેમજ પ્રેમપૂર્વક પ્રતિભાવ પાઠ્વ્યો. એ પછી તેમના અમને ગમેલા લેખો વિશે પત્રો લખવાનો સીલસીલો ચાલ્યો. આ જ અરસામાં અમને જૂનાં હિન્દી ફિલ્મસંગીત પ્રત્યે આકર્ષણ થતું ચાલેલું. એ વખતે એસ.ડી.બર્મન અને ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ગીતો એની શૈલી પરથી ઓળખી શકાય એ રીતે કર્ણેન્દ્રીય વિકસી રહી હતી. આથી અમે એસ.ડી. બર્મન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મોની યાદી બનાવવાનું શરૂ કર્યું. યાદી કેમ? ભવિષ્યમાં અમે એ ફિલ્મોનાંં તમામે તમામ ગીતો વસાવી શકીએ એટલા માટે. આ યાદી 52 ફિલ્મોએ પહોંચેલી. એ અરસામાં ગુજરાતી 'ટાઈમ્સ ઑફ ઈન્ડીયા'માં રજનીકુમારની 'ગુંજન' નામની કટાર આવતી હતી, જેમાં તેઓ કોઈ એક ગીતનો આસ્વાદ કરાવતા અને તેની વિગતો આપતા. આ કટારમાં તેમણે એક વાર 'બંદિની'ના ગીત 'ઓ રે માઝી' વિશે લખ્યું, જેમાં તેના સંગીતકાર એસ.ડી.બર્મને કુલ 89 ફિલ્મોમાં સંગીત પીરસ્યું હોવાનું જણાવેલું. અમે તેમને પોસ્ટકાર્ડ દ્વારા પૂછાવ્યું કે અમે 52 ફિલ્મોની યાદી બનાવી શક્યા છીએ. બાકીની ફિલ્મોનાં નામ મળે? તેમનો જવાબ ન આવ્યો, પણ થોડા જ દિવસમાં અમારા સરનામે એક દળદાર એન્વેલપ આવ્યું. ખોલીને જોયું તો એમાં વિશ્વનાથ ચેટર્જીએ તૈયાર કરેલી બર્મનદાદાની તમામ ફિલ્મોગ્રાફી હતી. અમે રોમાંચિત થઈ ગયા, કેમ કે, જગતમાં આ રીતે (ફિલ્મોગ્રાફી બનાવવી અને પોતાન ખર્ચે એ મોકલવી) પણ કામ થઈ શકે છે એ અમારા માટે કલ્પનાતીત હતું.

ઉર્વીશને અને મને જૂના ફિલ્મસંગીતના મહાસાગરના કિનારેથી પહેલો ધક્કો આ રીતે રજનીકુમારે માર્યો. આગળ જતાં નલિન શાહ જેવા ગુરુ મળ્યા. આ બન્ને ગુરુઓનું રસક્ષેત્ર જૂના ફિલ્મસંગીતનું ખરું, પણ સમયગાળો અલગ અલગ. નલિન શાહ મુખ્યત્વે ત્રીસી અને ચાળીસીના દાયકાના જાણકાર, રજનીકુમારની વિશેષ રુચિ પચાસના દાયકાની. સદ્ભાગ્યે અમને બન્નેનો લાભ મળતો ગયો.


અમારા જેવા કેટલાય વાચકોના પત્રો
તેમણે આ રીતે સાચવેલા હશે.

આગળ જતાં ઉર્વીશ અને હું બન્ને લેખનના ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે સૌથી વધુ આનંદ બન્ને ગુરુઓને થયો હોય એ સ્વાભાવિક છે.

દરમિયાન રજનીકુમારનું ફિલ્મવિષયક લેખન ચાલતું રહ્યું હતું. તેમનું પુસ્તક 'આપ કી પરછાંઈયાં' આજે પણ એટલું જ પ્રિય છે, જેટલું એ પહેલી વાર વાંચેલું. તેની પ્રસ્તાવના તો એમણે હસ્તપ્રતમાંથી અમને વાંચી સંભળાવી હતી, જેનો રોમાંચ હજી અકબંધ છે.

જાન્યુઆરી, 2001 થી રજનીકુમારની 'ફિલ્માકાશ' શ્રેણીનો આરંભ 'કુમાર'માં થયો. તેનો મૂળ ઉદ્દેશ્ય 1931થી 1941ના- એટલે કે હિન્દી બોલપટના સૌ પ્રથમ દાયકાના ઈતિહાસને સળંગસૂત્રે મૂકી આપવાનો હતો. આ શ્રેણી જુલાઈ, 2007 સુધી એટલે કે સાડા છ વરસ ચાલી. એ દરમિયાન આવતા તેના અનેક પ્રતિભાવો, પૂરક વિગતો અને વાચકો તેમાં જીવંત રસ લેતા એનો હું અમુક હદે સાક્ષી રહ્યો છું. આ શ્રેણીનું સમાપન થયું એ સાથે જ તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની માંગ ઉઠી અને આયોજન પણ એવું જ હતું. આમ છતાં, એક યા બીજા કારણોસર એ ઠેલાતું જ રહ્યું. મુંબઈના એક વાચક પ્રદ્યુમ્ન કાપડીયા કાયમ તેના વિશે પૂછપરછ કરતા. રજનીકુમારે 'વચગાળાની રાહત' તરીકે તેમને 'આપ કી પરછાંઈયાં' મોકલી આપેલું, પણ છેવટે જૂન, 2020માં તેમના પુત્ર ઉન્મેષનો સંદેશો મળ્યો કે પ્રદ્યુમ્નભાઈનું અવસાન થયું છે. તેમણે રજનીકુમારને લખેલું, 'તમારા આવનાર પુસ્તકની પપ્પા અવારનવાર પુછપરછ કરતા હતા તે છપાઈને બહાર પડે તો એનું નામ જણાવવા વિનંતી એમની યાદ માટે પણ હું એ પુસ્તક ખરીદીશ ને એમના પુસ્તકસંગ્રહમાં રાખીશ.'
આવા તો અનેક વાચકો આ પુસ્તક માટે પ્રતીક્ષામાં હતા અને હજી હશે. આખરે અમદાવાદના 'ઝેન ઓપસ' દ્વારા તેનું પ્રકાશન હાથ ધરાયું, જે હવે સૌ કોઈ માટે ઉપલબ્ધ છે.

પુસ્તક વિશેની વિગતો

આ પુસ્તકના પ્રકાશનનો રોમાંચ તો ખરો જ, પણ એમાં 'સરપ્રાઈઝ' તત્ત્વ એ છે કે આ પુસ્તક ઉર્વીશને અને મને અર્પણ કરવામાં આવ્યું છે. આમ, જે વ્યક્તિ થકી અમને જૂના ફિલ્મસંગીતના આ બ્રહ્માંડનું 'વિરાટદર્શન' પ્રાપ્ત થયું, તેમણે એ પુસ્તક અમને અર્પણ કર્યું ત્યારે જાણે કે એક આખા વર્તુળનું સમાપન થયું હોવાનો અહેસાસ થાય છે.

અર્પણપૃષ્ઠ

{પુસ્તકની વિગતો: ફિલ્માકાશ (બોલતી ફિલ્મોના આરંભ 1931થી 1941 સુધીનાં અગિયાર વર્ષની હિંદી સિનેમાની વર્ષવાર યાત્રા) લેખક: રજનીકુમાર પંડ્યા, પૃષ્ઠસંખ્યા: 356, પ્રકાશક: ઝેન ઓપસ, અમદાવાદ, કિંમત: 600/રૂ.}