Sunday, March 15, 2026

ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'

આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.

'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.

તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'

આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'

માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.

No comments:

Post a Comment