રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!
Monday, July 6, 2026
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના
એક વખત અમે તેમને ઘેર બેઠેલા અને (તેમનાં પત્ની) તરુબહેને એક કથાકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પોતાને એમની શૈલી બહુ ગમે છે. એટલે રજનીભાઈએ તત્ક્ષણ કહ્યું, 'એ કથાકાર તલત મહેમૂદ છે. અને પેલા (અન્ય એક કથાકાર) મહમ્મદ રફી છે.' આમ બોલીને તેમણે પોતાની સરખામણી વધુ સ્પષ્ટ કરી: 'પેલા કથાકાર કથા કહે ત્યારે શ્રોતાઓને રડવું આવે, તલત મહેમૂદનાં ગીતોની જેમ. અને આ કથાકાર તો કથા કહેતાં કહેતાં પોતે જ રડવા લાગે, મહમ્મદ રફીની જેમ.' તેમની સાવી સચોટ સરખામણી સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. (ઉર્વીશ પણ ત્યારે સાથે હતો) જો કે, તરુબહેને સહેજ નારાજગીના સૂરે કહેલું, 'તમને બધી વાતમાં ફિલમ જ દેખાય છે.'
રજનીભાઈ સાથે મારે ક્યારેક કોઈ સંસ્થાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જવાનું બનતું. તેમની શૈલી સાવ નિરાળી. પહેલાં તેઓ શૂટ કરાવતા. પછી અમે બન્ને સાથે બેસીને એકે એક દૃશ્યના કાઉન્ટર નંબર અને વર્ણન લખતા. અને એના પરથી છેલ્લે હું સ્ક્રિપ્ટ લખતો. ('હેલ્લારો', 'ઊંબરો, 'ધબકારો' ફેઈમ) અભિષેક સાથે પરિચય થયો એ પછીના ગાળામાં મેં તેને આ પદ્ધતિ વિશે વાત કરી તો એનું હસવું કેમે કરીને માય નહીં. મને કહે, 'તમે ઊંધું કરો છો. પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય.' મૂળ મુદ્દો એ નથી. સ્ક્રિપ્ટ પછી લખાતી હોવાને કારણે શૂટ વેળા રજનીભાઈના મનમાં એમને ગમતા ઘણા બધા ફિલ્મદિગ્દર્શકો ઉભરતા. તેઓ કામનાં, નકામાં એવાં અનેક દૃશ્યો શૂટ કરાવતા. અને કહેતા, 'રાજ કપૂર કેટલાં બધાં દૃશ્યો કેમેરામાં લઈ લેતા. પછી એમાંથી અમુક જ પસંદ કરતા.' ડોક્યુમેન્ટરીના કામમાં બહુ સમય જતો, અને છેવટે ફાઈનલ એડિટીંગ વખતે રજનીભાઈ સુકાન પોતાના હાથમાં લઈ લેતા. આ બાબતે પછી અમને જ્ઞાન લાધતાં ઉર્વીશે અને મેં એમને સમજાવ્યું કે રાજ કપૂર, બીમલ રોય વગેરે કંઈ ડોક્યુમેન્ટરી નહોતા બનાવતા. તમે એમના વાદે ન ચડો. એમની પાછળ તો મોટા ફાઈનેન્સર હતા. તેમણે હસતાં હસતાં અમારી વાત સ્વીકારી. પણ ડોક્યુમેન્ટરીના એડિટિંગમાં તેમનાં સૂચનોમાંય એમનો ફિલ્મપ્રેમ ઝળકે. એવાં નાના નાના ગ્રાફિક મૂકાવે, અમુકમાં તો એ કેટલીક ફિલ્મોના શોટ મૂકાવે.
સારી યા ખરાબ કે મધ્યમ, કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કશા આયાસ વિના જ જે તે પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ યાદ આવી જતી. અને એ ગીતનું મુખડું ન પણ હોય, બલ્કે એના અંતરામાંથી કોઈક લીટીય હોય. અને એવું નહીં કે એમને પોતાના પ્રિય ગાયક કે પ્રિય ગીતની જ પંક્તિ યાદ આવે. પોતે સાંભળેલા કોઈ પણ ગીતની પંક્તિ તેમને સૂઝી જતી. તેમના અનન્ય પુસ્તક 'શબ્દઠઠ્ઠા'માં મોટા ભાગની વાર્તાઓમાં તેમણે કોઈ ને કોઈ ગીતની પંક્તિ કે તેની પેરડી મૂકી છે. જેમ કે, 'મેરી કહાની સુનનેવાલે, તેરા ટી.વી.આબાદ રહે', 'હમેં ઈન રાહોં પે ચલના હૈ, જહાં ઉલ્ટે સબક સિખાના હૈ', 'પ્યાર બાંટતે ચલો, એવોર્ડ બાંટતે ચલો' વગેરે.
તેમની આવી ક્ષમતાથી પરિચીત એવા સલીલ દલાલ પોતાના કોઈ પારિવારિક મુદ્દે કશુંક લખવા માગતા હતા ત્યારે એમણે રજનીભાઈને ટૂંકમાં પરિસ્થિતિ જણાવીને યોગ્ય પંક્તિ સૂચવવા જણાવેલું. સલીલભાઈ ખુદ ફિલ્મી ગીતોના ઘાયલ, છતાં એમને આ કામ માટે રજનીભાઈ વધુ યોગ્ય લાગેલા.
પ્રિય વ્યક્તિની વિદાય પછી સર્જાયેલો ખાલીપો ભાગ્યે જ ભરી શકાતો હોય છે, આપણે અન્ય કામ કે પ્રવૃત્તિમાં ડૂબી જઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એ ખાલી સ્થાન વખતોવખત પોકારીને પોતાની ઉપસ્થિતિની જાણ કરતું રહે છે.
'શબ્દઠઠ્ઠા' પુસ્તક તેમણે ઉર્વીશને અને મને કરેલું છે. અમારા નામની નીચે તેમણે જહીર ગાજીપુરનો એક શેર ટાંક્યો છે:
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના,
વાસી અખબારોં કે અનમોલ તરાશે હૈં હમ.
2003માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ટાંકેલો આ શેર આજે, તેવીસ વર્ષ પછી કેટલો બંધબેસતો લાગે છે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment