Wednesday, July 8, 2026

પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?

રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.

એ પછીના અરસામાં 'સાગર મુવીટોન' પુસ્તકના કામ માટે મારે બેંગ્લોર જવાનું થયું. રજનીભાઈએ મને ભારપૂર્વક મીનાક્ષીબહેનને મળવા અનુરોધ કર્યો. તેમની વચ્ચેના સંબંધને હું જાણતો હોવાથી મેં પણ કહ્યું કે એમને હું ચોક્કસ મળીશ.
બેંગ્લોરમાં મારું કામ પતાવ્યા પછી રજનીભાઈના મિત્ર ધીરુભાઈને મેં ફોન કર્યો. ધીરુભાઈએ બે દિવસ એવો ક્રમ બનાવ્યો કે સવારે તે પોતાનું વાહન લઈને આવે, મને અને કામિનીને એમાં લઈ જાય, વિવિધ સ્થળે ફેરવે, અને પછી સાંજે અમારા ઉતારે મૂકી જાય. આમાં અમે એક દિવસ મીનાક્ષીબહેનને મળવાનું ગોઠવ્યું. પહેલાં તો ફોન કર્યો. તેમણે બહુ ઊમળકાપૂર્વક વાત કરીને મળવાનો સમય અને ઠેકાણું કહ્યાં. એ સમયે તેમની દીકરી- જમાઈ બહારગામ ગયેલાં હોવાથી મીનાક્ષીબહેન દીકરીના ઘેર રહેવા આવેલાં. રજનીભાઈએ તેમને મારા વિશે જણાવેલું. એ રજનીભાઈના સૌજન્યનો હિસ્સો હતો કે તેઓ બન્ને પક્ષને એકમેક વિશે જાણ કરે.
મીનાક્ષીબહેન રહેતાં હતાં એ વિસ્તાર ધીરુભાઈ માટેય નવો હતો. થોડું આમતેમ થયા પછી મીનાક્ષીબહેને કહ્યું કે પોતે મુખ્ય રસ્તા પર ઊભાં રહેશે. ખરી મૂંઝવણ એ હતી કે અમે કોઈ એકમેકને જોયે ઓળખીએ નહીં. પણ મીનાક્ષીબહેન કહે, 'ઓળખી જવાશે.' ખરેખર એમ જ થયું. રસ્તાની કોરે ગુજરાતી સાડી પહેરીને ઊભેલાં, ચશ્માવાળાં એક પ્રૌઢ બહેનને જોઈને મેં ઈશારાથી જ પૂછ્યું, 'તમે મીનાક્ષીબહેન?' તેમણે પણ માત્ર આંખથી 'હા'નો જવાબ આપ્યો. એ પછી અમે તેમની દીકરીને ઘેર ગયાં. કામિની અને ધીરુભાઈ સાથે હતા ખરાં, અને તેમને એટલી ખબર હતી કે રજનીભાઈના મિત્રનાં આ બહેન છે. પણ એ મૈત્રીનો આખો અધ્યાય સ્વાભાવિકપણે જ તેમને ખ્યાલ નહોતો.
શું વાત કરવી એ સવાલ હતો. મારા મનમાં વસંત દેસાઈ, રજનીભાઈ, વીનેશ પટેલની મૈત્રીની કથા રિવાઈન્ડ થઈ રહી હતી. બહુ ભાવવાહી ક્ષણો હતી એ. પણ મીનાક્ષીબહેન અનુભવી હતાં. તેમણે જ વાત શરૂ કરી. ચા-નાસ્તો પીરસ્યો. ત્યાંથી મેં રજનીભાઈને ફોન જોડ્યો. આ પણ તેમની જ શૈલી! તેમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મીનાક્ષીબહેન સાથેય વાત કરી. અડધો- પોણો કલાક બેસીને અમે ઊભા થયાં. એ ક્ષણ બહુ ભારેખમ હતી. અમે ફરી મળીશું કે કેમ એ ખબર નહોતી. અને આમ જુઓ તો આખી વાતમાં સીધેસીધું મારું કોઈ જોડાણ પણ નહોતું, છતાં એ સમયગાળાનો હું સાક્ષી હોઉં એમ મને અનુભવાતું હતું. મીનાક્ષીબહેન પણ કદાચ આ વાત સમજી ગયેલાં. છેવટે તેમણે મૌન તોડતાં કહ્યું, 'સારું ભાઈ. આવજો. તમે આવ્યા તો બહુ ગમ્યું." મારી આંખોમાં ધસી આવેલાં પાણી મેં માંડ ખાળી રાખ્યાં. પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે રજનીભાઈની સંબંધસૃષ્ટિના કોઈ પાત્રને એમના કરતાં પહેલાં હું મળી રહ્યો હોઉં.
એ પછી અમે નીકળ્યા. ફરી મેં રજનીભાઈ સાથે વાત કરી ત્યારે તેમણેય કહ્યું, 'બેટા, મને બહુ જ ગમ્યું કે તેં સમય કાઢીને એમની મુલાકાત લીધી.' હજી હું બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો. કોઈ લેખકની પાત્રસૃષ્ટિમાં આપણે પ્રવેશ કરી જઈએ અને તેમાંના કોઈ પાત્રને મળી આવીએ એ પછી કેવી હાલત હોય!!
અને આ પાત્રો કાલ્પનિક નહીં, વાસ્તવિક હતાંં.
બેંગ્લોરથી હું પાછો આવી ગયો. વખત વીત્યો. એ પછી એક વાર રાબેતા મુજબ રજનીભાઈનો ફોન આવ્યો. કહે, 'મીનાક્ષીબહેન આવ્યાં છે. તારી સાથે વાત કરવા માગે છે.' મેં તત્ક્ષણ કહ્યું, 'બેંગ્લોરવાળાં?' ફોન કદાચ સ્પીકર પર હતો, એટલે મીનાક્ષીબહેને પણ એ સાંભળ્યું હશે. રજનીભાઈ એમને કહે, 'જોયું? હું નહોતો કહેતો કે એ તમને તરત ઓળખી જશે?' એમ કહીને તેમણે મીનાક્ષીબહેનને ફોન આપ્યો. અમે ઔપચારિક વાત કરી, પણ મારા મનમાં આખી ઘટનાઓ
રિવાઈન્ડ થતી ગઈ. ખરું કહું તો તેઓ અને રજનીભાઈ રૂબરૂ થઈ શક્યા એનો મને બહુ આનંદ હતો.
'ઝંઝાવાત'માં વસંત દેસાઈનો વિસ્તૃત ઊલ્લેખ વાંચતાં સમાંતરે મારા મનમાં આ ઘટના ચિત્રપટ્ટીની જેમ ચાલતી રહી હતી.

No comments:

Post a Comment