સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.
Tuesday, July 7, 2026
દોસ્તી ખરી, પણ સૌજન્યમાં મસ્તી નહીં
નિર્ધારીત દિવસે અને સમયે હું એમને ત્યાં મણિનગર પહોંચી ગયો. તેઓ તૈયાર જ બેઠા હતા. અમે થોડી ઔપચારિક વાતચીત કરી. એ પછી એમણે એક ફોન જોડ્યો. સામેથી ફોન લેવાયો એટલે મને રજનીભાઈ બોલતા હતા એ સંભળાયું, "મને ખબર છે કે તું બહુ વ્યસ્ત હોઈશ. અને તને ફોન ન થાય. હું ત્યાં આવું જ છું. પણ મારો મિત્ર જેને તુંય ઓળખે છે એ આવેલો છે અને મારી સાથે આવે છે. તો તું એને આમંત્રણ આપ." આમ કહી એમણે મને ફોન આપ્યો. સામે આપણા જાણીતા નવલકથાકાર મહેશ યાજ્ઞિક હતા. એમની દીકરીનું લગ્ન હતું, જેમાં રજનીભાઈએ હાજરી આપવાની હતી. તેઓ મને એમ જ સાથે લઈ જાય તો કંઈ મહેશભાઈ ના ઓછા પાડવાના? પણ ના, સૌજન્ય જળવાવું જ જોઈએ. મહેશભાઈએ મને બહુ પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. એ પછી અમે બન્ને કારમાં નીકળ્યા. લગ્નપ્રસંગમાં હાજરી આપી, સાથે ભોજન લીધું, અને પછી રજનીભાઈ મને રમેશ ઠાકરને ત્યાં મૂકવા આવ્યા.
****
રમેશ ઠાકર અને રજનીભાઈ જૂના મિત્રો. (એમનો ઉલ્લેખ 'ઝંઝાવાત' પુસ્તકમાં છે.) રમેશભાઈ ત્યારે 75 આસપાસના. કદ નાનું, પણ એવા ચંચળ અને જિજ્ઞાસુવૃત્તિ અકબંધ. તેઓ અમારી રાહ જ જોતા હતા. અમને જોઈને કહે, 'એક વસ્તુ તમને બતાવવાની છે અને મારેય જોવાની છે. તમે આવો એટલે ખોલું એમ કહીને મૂકી રાખી છે. હજી આજે જ આવી છે.' આમ કહીને તેઓ એક મોટું પેકેટ અંદરથી લઈ આવ્યા. એમાં અનિયમીત આકાર ધરાવતી કોઈક વજનદાર વસ્તુ હતી. અમને નવાઈ લાગી કે આ છે શું? રમેશભાઈ બહુ ઉત્સાહથી એની ઉપરનું આવરણ હટાવવા લાગ્યા. એ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે તે કશાકનો વજનદાર પથ્થર છે. આખું પેકિંગ ખૂલ્યું એટલે રમેશભાઈએ વારાફરતી એ અમારા હાથમાં મૂક્યો. કહે, 'આ લાવાનો પથ્થર છે. લાવા જામી જાય એ પછી બનતો પથ્થર. મેં જીવનમાં કદી જોયો નહોતો, એટલે કેદારને કહ્યું કે મારા માટે બીજું કશું નહીં, પણ એ મોકલી આપજે.' કેદાર ઠાકર એટલે રમેશભાઈના દીકરા, જેઓ સૈન્યમાં હતા અને તેમનું પોસ્ટિંગ કોંગો દેશમાં થયેલું. એમણે રમેશભાઈને પોતે શું મોકલે એમ પૂછાવ્યું હશે એટલે રમેશભાઈએ આવો જવાબ આપેલો, અને કેદારભાઈએ એમની ઈચ્છા પૂરી કરેલી.
જિજ્ઞાસા અને નવિન ચીજો જાણવાની કેવી ગજબ પેશન! બસ, એ પછી રજનીભાઈ પાછા જવા નીકળ્યા. મારે લેવાના ઈન્ટરવ્યૂની પણ કેવી ગજબ પૂર્વભૂમિકા ઊભી થઈ ગઈ!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment